Opinion Magazine
Number of visits: 9456946
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતો અને આદિવાસીઓને અનામત વિશેનો સુપ્રિમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક જરૂર છે, અંતિમ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|4 August 2024

રમેશ ઓઝા

સર્વોચ્ચ અદાલતની સાત જજોની બેન્ચે અનામત વિષે જે બહુમતી ચુકાદો આપ્યો છે એ ઐતિહાસિક અવશ્ય છે, પણ અંતિમ છે એ કહેવું મુશ્કેલ છે.

સર્વોચ્ચ અદાલત સમક્ષ સવાલ એ હતો કે દલિતો અને આદિવાસીઓ માટે જે અનામતની જોગવાઈ છે એમાં તેની અંતર્ગત વિભાજન કરવું જોઈએ કે નહીં? શું દેશમાં અલગ અલગ પ્રદેશમાં રહેતા તમામ આદિવાસીઓ અને તમામ દલિતો એક જ જાતિના છે? એક સરખું સામાજિક સ્તર ધરાવે છે? કે પછી તેમની અંતર્ગત સામાજિક સ્તરમાં અંતર છે અને માત્ર અંતર જ નહીં ભેદભાવ પણ છે? જો તેમની અંદર પણ સામાજિક સ્તરે અંતર હોય અને ભેદભાવ પણ હોય તો અનામતના લાભની પ્રમાણસર વહેંચણી થવી જોઈએ કે નહીં? જો એમ કરવામાં ન આવે તો દલિતો અને આદિવાસીની સબળ જાતિઓ અનામતનો લાભ લેતી રહે અને જે પાછળ છે એ પાછળ જ રહે. આ અનામત પાછળના મૂળ ઉદ્દેશને હાનિ નથી પહોંચાડતી?

આ પ્રશ્નોનો ઉત્તર આપવો અઘરો નથી. ભારતના દરેક પ્રદેશમાં રહેતા લોકોને જાણ છે કે તેમને  ત્યાંના દલિતો અને આદિવાસીઓ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે એક સરખી સ્થિતિમાં નથી. તેમની અંદર વિવિધ જાતિઓ છે અને જાતિએ જાતિએ તેમનું સ્તર અલગ અલગ છે. એક જ જાતિની અંદર પણ સ્તરમાં અંતર છે. જેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દલિત તરીકે ઓળખાતી ૩૫ જાતિઓ છે. હકીકતમાં એ અનુસૂચિત કરવામાં આવેલી જાતિઓ છે જેને “દલિત” તરીકે ઓળખાવવામાં આવે છે. ટૂંકમાં દલિત જેવી કોઈ એક જાતિ નથી. એવું જ આદિવાસીઓનું. માટે ઉક્ત પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને સર્વોચ્ચ અદાલતે ઠરાવવાનું હતું કે  જો તેમની અંદર પણ સામાજિક સ્તરે અંતર હોય અને ભેદભાવ પણ હોય તો અનામતના લાભની પ્રમાણસર વહેંચણી થવી જોઈએ કે નહીં?

સર્વોચ્ચ અદાલતે આ બાબતે પહેલો ચુકાદો ૨૦૦૫ની સાલમાં ઈ.વી. ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના કેસમાં આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ત્યારે કહ્યું હતું કે બંધારણનાં આર્ટીકલ ૩૪૧(૧) મુજબ જે યાદીના આધારે અનામતની જોગવાઈ આપવામાં આવે છે એ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની યાદીમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ ધરાવે છે. એમાં જો ફેરફાર કરવો હોય તો સંસદ કરી શકે, રાજ્ય સરકારો આ ન કરી શકે. પણ પંજાબની સરકારે કાયદો ઘડીને આવો એક પ્રયાસ કર્યો હતો અને તેને પણ અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. આની સામે રિવ્યુ પિટીશન કરવામાં આવી હતી અને રિવ્યુ પિટીશન સાંભળનાર જજોએ છેવટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને સલાહ આપી હતી કે એક વિશાળ બેંચ રચવામાં આવે અને આ વિષે નિર્ણય લેવામાં આવે.

એ સલાહને અનુસરીને સાત જજોની ખંડ પીઠ રચવામાં આવી. સર્વોચ્ચ અદાલતનો ગુરુવારનો ચુકાદો સાત ન્યાયમૂર્તિઓની ખંડપીઠનો ચુકાદો છે. સાત જજોમાંથી છ જજોએ ચુકાદો આપ્યો હતો કે પરંપરાગત રીતે જે કેટલીક પ્રજાને અન્યાય કરવામાં આવતો રહ્યો છે એ પ્રજાને ન્યાય મળે અને એ બીજાની બરાબર કરી શકે એવા સમાનતા આધારિત સમાજની રચના કરવામાં આવે એ આખરી ઉદ્દેશ છે. અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની જે સૂચી બનાવવામાં આવી છે આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પણ વાસ્તવિકતા એ પણ છે કે એ જાતિઓ અને જનજાતિઓની સ્થિતિ એક સમાન નથી. એ કોઈ એક જ્ઞાતિ નથી, પણ અલગ અલગ જ્ઞાતિઓનો સમૂહ છે એ હકીકત છે. માટે દલિતો અને આદિવાસીઓમાં જે જાતિઓ કે જનજાતિઓ વધારે પછાત છે અને જે જાતિઓ અને જનજાતિઓ પ્રમાણમાં સામજિક સ્તરે આગળ છે એની વચ્ચે ભેદ પાડવો જોઈએ અને એ મુજબ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને આપવામાં આવેલ અનામતમાં પેટા વિભાજન થવું જોઈએ. ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીએ આનાથી અલગ ચુકાદો આપ્યો છે અને ઈ.વી. ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો છે અને કહ્યું છે કે આવો અધિકાર રાજ્યોને ન આપી શકાય.

આ સિવાય સાતમાંથી ચાર ન્યાયમૂર્તિઓએ હજુ અગલ પડીને ક્રિમી લેયર હટાવવાનો પણ ચુકાદો આપ્યો છે. જેમ ઉકળતા દૂધ પરથી મલાઈ હટાવીને દૂધથી અલગ કરવામાં આવે છે એમ અનામતની જોગવાઈનો લાભ લઈને પ્રમાણમાં ઉચ્ચ સ્તરે ગોઠવાયેલા લોકોનાં પરિવારોને અનામતની જોગવાઈનો લાભ લેનારાઓમાંથી અલગ તારવતા જવા જોઈએ. જો આમ કરવામાં આવશે તો અનામતની જોગવાઈનો લાભ એવા લોકોને મળશે જેને ખરેખર તેની જરૂર છે. કોઈ દલિત કે આદિવાસી લોકપ્રતિનિધિ હોય, સનદી અધિકારી હોય, કોઈ મોટો પદાધિકારી હોય કે સફળ વિજ્ઞાની હોય તો એ જેનો હાથ પકડવો પડે એવો દુર્બળ દલિત કે આદિવાસી રહેતો નથી. તેને બહાર કાઢવામાં આવે. ચાર જજો વતીનો આ ચુકાદો ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ લખ્યો હતો જે સ્વયં દલિત છે. વાચકોને યાદ હશે કે ક્રિમી લેયર દૂર કરવાની જોગવાઈ અન્ય પછાત કોમો માટે આ પહેલાથી જ છે.

આગળ કહ્યું એમ ચુકાદો ઐતિહાસિક અવશ્ય છે, પણ અંતિમ હશે એમ કહેવું મુશ્કેલ છે. જો કે ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું જ છે કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનું તેની અંતર્ગત સામાજિક સ્તર ઠરાવવું એ ઊંડા અભ્યાસનો વિષય છે. આ કામ કાળજીપૂર્વક કરવું પડે એમ છે. આમાં રાજકારણ વચ્ચે ન આવવું જોઈએ. અહીં ઈલાજ બનીને આવે છે જાતિજનગણના. બિહાર સરકારે જાતિ જનગણના કરાવી તો ધ્યાનમાં આવ્યું કે મુસહર જેવા દલિતો અન્ય દલિતો કરતાં ક્યાં ય પાછળ છે. સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ દેશે જાતિ જનગણના કરાવવી જ જોઈએ કે જેથી ખબર પડે કે હવે કોનો હાથ છોડવાની જરૂર છે અને કોનો પકડવાની જરૂર છે. એમાં ગરીબ સવર્ણોનો પણ સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ લોકસભામાં આની માંગ કરી તો શાસક પક્ષના સભ્ય અનુરાગ ઠાકુરે તેમની હંમેશની અસંસ્કારી ભાષામાં કહ્યું હતું કે જેની કોઈ જાતિ નથી અર્થાત વર્ણસંકર છે એ જાતિની વાત કરે છે. હંમેશની માફક વડા પ્રધાને અભદ્રતાને આવકારીને અનુરાગ ઠાકુરને શાબાશી આપી હતી.

પણ હવે તો સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનાં સામાજિક પછાતપણાનું પૃથ્થકરણ કરવામાં આવે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—259

દીપક મહેતા|Opinion - Opinion|3 August 2024

પત્ની સાથે ઝવેરીની દુકાનમાં ઊભેલા સિદ્ધાર્થને કોણ બોલાવી રહ્યું હતું?                                                                                                      

એ જમાનામાં સાહિત્ય સહવાસ એટલે સિદ્ધાર્થ માટે તો સંકટ સમયની સાંકળ. હનુમાન નગરનું ઝૂંપડું તો જમીનદોસ્ત થઈ ગયું. હવે? સાહિત્ય સહવાસમાં ‘અભંગ’ મકાન હજી હમણાં જ બંધાઈને તૈયાર થયેલું. એ મકાનના બધા રહેવાસી હજી રહેવા આવ્યા નહોતા. અને પોતાની ચોપડીઓ અને કપડાંનાં પોટલાં લઈને સિદ્ધાર્થે ધામા નાખ્યા ‘અભંગ’ની ગચ્ચી કહેતાં અગાસીમાં. આખો દિવસ તો બહાર રહે – કોલેજમાં, લાયબ્રેરીમાં કે કોઈ દોસ્તને ત્યાં. રાતે સૂવા માટે અગાસી. ‘અભંગ’ના ચોથા માળે પાલકરસાહેબ રહેવા આવ્યા. તેમને રોજ રાતે જમ્યા પછી અગાસીમાં આંટા મારવાની ટેવ. પહેલા એક-બે દિવસ તો સિધ્દ્ધાર્થનો જીવ ઊંચો. આ સાહેબ વાંધો લેશે તો? અગાસીમાંથી જવાનું કહેશે તો? પણ સાહેબ સમજુ હતા, માયાળુ હતા. ક્યારેક ખબરઅંતર પણ પૂછી લેતા. બારમા ધોરણથી માંડીને છેક એમ.કોમ. સુધીની પરીક્ષાઓ સિદ્ધાર્થે આ અગાસીમાં રહીને આપી! 

સિદ્ધાર્થ પારઘે

ઓટલો નહિ, તો રહેવા અગાસી તો મળી. પણ રોટલાનું શું? એ જમાનો હતો આરે મિલ્ક કોલોનીની દૂધની બાટલીઓનો. સવારે વહેલા ઊઠી ખાલી બાટલીઓ ભરેલા થેલા લઈ મિલ્ક સેન્ટર પર જવાનું. બદલામાં દૂધ ભરેલી બાટલીઓ લેવાની. ચાર-ચાર માળનાં કુલ અગિયાર મકાન. એ વખતે એક્કેમાં લિફ્ટ નહિ. દરેક મકાનના દાદરા ચડી ઊતરી સવારે ઘેર ઘેર દૂધ પહોંચાડવાનું અને રાતે ખાલી બાટલી અને બીજા દિવસના દૂધના પૈસા લેવા જવાનું. દૂધ પહોંચાડ્યા પછી કંપાઉંડમાં ઊભેલી મોટરો ધોવાની. મફતનો કોઈનો એક પૈસો પણ લેવો નહિ એવી ગાંઠ મનમાં વાળેલી. BC(પછાત જાતિ)ના સભ્ય તરીકે મળતો કોઈ લાભ ક્યારે ય લેવો નહિ એવું નક્કી કરેલું. એટલે જાતે નવાં નવાં કામ શોધી લે. કોલનીનાં અગિયાર મકાનની અગાસીમાં પાણીની ટાંકી. પણ કોલની બંધાઈ ત્યારથી સાફ કરાવી નહોતી. એ અગિયારે અગિયાર ટાંકી એકલે હાથે સાફ કરવાનું બીડું સિદ્ધાર્થે ઉપાડી લીધું, એક ટાંકીના સો રૂપિયા લેખે. અને જિંદગીમાં પહેલી વાર એક સાથે ૧,૧૦૦ રૂપિયા હાથમાં આવ્યા. 

કોલનીના રહેવાસીઓમાંના એક ફડણીસ કાકા. ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરની માન-મોભાવાળી નોકરી છોડીને પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરેલો. એ વખતે હજી દેશમાં કમ્પ્યુટર નવાં નવાં, પણ એના કામકાજમાં ઝૂકાવેલું. ૧૯૮૫માં સિદ્ધાર્થ ટી.વાય. બીકોમની પરીક્ષા આપે. અને એક દિવસ ફડનીસ કાકા પરીક્ષા હોલમાં દાખલ. આખા કલાનગર વિસ્તારમાં તેમને માટે એટલું માન કે કોઈ તેમને રોકે તો શાનું? સીધા ગયા સિદ્ધાર્થ પાસે. કહે : “સિદ્ધાર્થ! છેલ્લો પેપર આપીને સીધો મને મળવા આવજે. પરીક્ષા પછી નોકરીની ચિંતા ન કરતો. તને નોકરીની જરૂર છે. મને મારા કામમાં મદદ કરવા તારા જેવા જુવાનની જરૂર છે.” પરીક્ષા પૂરી થઈ તે જ દિવસથી દોઢ સો રૂપિયાના પગારની એકાઉન્ટટની નોકરી શરૂ! 

*

‘કોલની’ ઉર્ફે સાહિત્ય સહવાસ

૨૬ જૂન, ૨૦૦૫, રવિવાર. સમય બપોરના ત્રણ. સાધારણ રીતે આ ટાઈમે સાહિત્ય સહવાસમાં સોપો પડી ગયો હોય. ઘણાખરા બપોરની વામકુક્ષી માણતા હોય. પણ આજે કોલનીના ઘણાબધા લોકો ‘આનંદવન’ મકાન પાસે એકઠા થઈ ગયા હતા. આગલે દિવસે, અને રાતે પણ, ભરપૂર વરસાદ પડ્યો હતો.  ઘણાના ચહેરા પર ટીપાં હતાં – વરસાદના પાણીનાં નહિ, આંસુનાં. સિદ્ધાર્થ ખેરવાડીની એક ચાલની ડબલ રૂમમાં રહેતો હતો, એ વખતે. ત્યાંથી નીકળીને એક એમ્બ્યુલન્સ કોલનીમાં દાખલ થઈ, ‘આનંદવન’ બિલ્ડિંગ પાસે આવીને ઊભી રહી. તેમાંથી હળવે હાથે લક્ષ્મણ પારઘેના પાર્થિવ દેહને નીચે ઊતારીને ‘આનંદવન’ નીચેની ખાલી જગ્યામાં ગોઠવ્યો. આ મકાન બંધાયું તે પહેલાં અહીં એક મોટો પથરો હતો. એ જ પથરા પર આખો દિવસ ભૂખ્યા-તરસ્યા બેસીને લક્ષ્મણે કોન્ટ્રેક્ટર શેઠની રાહ જોઈ હતી – અહીં નાનુંમોટું કામ મળી જશે એવી આશાથી. બધાં મકાન બંધાઈ ગયા પછી, એ પથરાની જગ્યાએ જ બંધાયેલ ‘આનંદવન’ નીચે બેસી કોલનીની રખેવાળી કરી. અને આજે છેલ્લી વિદાય પણ અહીંથી … કેટલાકે હાર ચડાવ્યા, કેટલાકે ફૂલ. કોઈકે પ્રદક્ષિણા કરી. અને સાહિત્ય સહવાસે તેના એક મૂંગા ઘડવૈયાને આખરી વિદાય આપી. 

… એ જ લક્ષ્મણ પારઘેનો દીકરો સિદ્ધાર્થ હવે એ જ કોલનીમાં પોતાના ફ્લેટમાં રહે છે.

તી ફુલરાણી

દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો છે. મોટર પણ લીધી છે. પણ કોણ જાણે કેમ સિદ્ધાર્થના મનમાં સોનું ખરીદવાની ભારે સૂગ. એને મન સોનું ખરીદવું એટલે પૈસાનો બગાડ. પણ પત્ની ભારતીને સોનાની બંગડી ખરીદવાની ભારે હોંશ. થોડા દિવસ તો આજે જશું, કાલે જશું, કહી વાત ટાળી. પણ પછી એક રવિવારની બપોરે પોતાની મોટરમાં બેસીને આંબેડકર ઉદ્યાન નજીકની ઝવેરીની દુકાને સિદ્ધાર્થ અને ભારતી પહોચી ગયાં. ભારતી તો ઘરેણાં જોવામાં મશગુલ. પણ સિદ્ધાર્થને લાગ્યા કરે કે કોઈક મને બોલાવી રહ્યું છે. દુકાનની બહાર આવ્યો. બાજુમાં જ બીજી દુકાન વાસણોની. અંદર નજર નાખી, અને એક છાજલી પર ગોઠવેલા પિત્તળના ઝગારા મારતા કળશા પર નજર ખોડાઈ ગઈ. કાનમાં ભણકારા વાગતા હતા : ‘મને તારે ઘરે લઈ જા, લઈ જા સિદ્ધાર્થ.’ 

ના, આ એ જ કળશો તો નહોતો, પણ હતો અદ્દલ એના જેવો. વર્ષો સુધી સિદ્ધાર્થનાં આઈ-બાબાના ઘરમાં ધાતુનાં ફક્ત બે જ વાસણ. એક, અદ્દલ આવો જ પિત્તળનો કળશો, અને બીજી, જર્મન સિલ્વરની નાની થાળી. વરસો સુધી રોજ સવાર-સાંજ ઘરનાં બધાં વારાફરતી એ નાની થાળીમાં જમે, અને એ એક જ કળશામાંથી પાણી પીએ. ઘડી ભર તો મન લલચાયું. પત્ની સોનાની બંગડીઓ ખરીદે છે, તો હું આ કળશો ખરીદી લઉં. ભાવ પૂછવા જતો હતો ત્યાં જ જાણે ક્યાંકથી અવાજ આવ્યો : ‘સિદ્ધાર્થ! આજે તારી પાસે શું નથી? આ કળશો તારા ઘરમાં હોય કે ન હોય, ઝાઝો ફેર પડવાનો નથી. પણ કોઈ ગરીબગુરબું આવીને ખરીદીને ઘરે લઈ જશે તો … અને સિદ્ધાર્થને યાદ આવી ગયું : વરસો પહેલાં, પૈસાની ખૂબ જરૂર હતી ત્યારે, બાબાએ આ જ દુકાને ઘરનો પિત્તળનો કળશો ગીરવે મૂકીને વીસ રૂપિયા લીધા હતા.

… અને પછી વીસ રૂપિયા પાછા આપીને એ કળશો ક્યારે ય છોડાવી શક્યા નહોતા. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 03 ઓગસ્ટ 2024]

Loading

નાની શી મિલન-બારી

મહેન્દ્ર મેઘાણી|Opinion - Opinion|3 August 2024

[‘મિલાપ’ માસિકના જાન્યુઆરી ૧૯૫૦ના પ્રથમાંકનો આરંભનો લેખ]

મહેન્દ્ર મેઘાણી

‘મિલાપ’ નામે આ નવું માસિક શરૂ થાય છે. શા માટે?

ખેડૂતનો દીકરો સાંતી જોડે છે. કુંભારનો છોકરો ચાકડો ફેરવે છે. એમને પૂછ્યું હોય કે શા માટે આ મહેનત કરો છો ? તો એ શો જવાબ આપી શકે?

ખેતરો ખેડાય છે, તો દુનિયાને દાણા મળે છે. ચાકડો ફરે છે, તો સમાજને ઠામ-વાસણ મળે છે. સાળ ચાલે છે, તો લોક લૂગડાં પામે છે. છતાં એ દુનિયાનો કે એ સમાજનો વિચાર કરીને પોતે મજૂરી કરે છે એમ કોઈ ખેડૂત, કોઈ વણકર કે કોઈ કુંભાર થોડો જ કહી શકવાનો છે ? રાત-દિવસ જોયા વગર બારેય મહિના તનતોડ મહેનત કરતા એ શ્રમજીવીના મનમાં તો એકમાત્ર વિચાર એના રોટલાનો ને એનાં બાળબચ્ચાંનો જ રમતો હોય છે. બાપીકો ધંધો એ બચપણથી શીખતો આવ્યો છે. પોતાની બધી શક્તિઓ એ એક જ ધંધામાં રેડી દઈને સમાજને ઉપયોગી બનવા એ મથે છે, અને બદલામાં આશા રાખે છે ફક્ત બે ટંકના રોટલાની. બેને બદલે એક કે અર્ધા જ ટંકનો રોટલો સમાજ એને આપે, તોયે બાપીકા ધંધાને એ છોડી શકતો નથી – કારણ કે બીજાત્રીજા કોઈ કસબ એને ભાગ્યે જ આવડતા હોય છે.

લેખનને પણ મુખ્યત્વે આ જાતનો એક વ્યવસાય સમજીને આ માસિકનું પ્રકાશન હાથ ધરવામાં આવે છે. એની વાટે સાહિત્યની કે સમાજની મોટી સેવા થઈ જશે એવી ભ્રમણા નથી. તેમ ગુજરાતી પત્રકારિત્વના ઇતિહાસમાં એ અમર થઈ જાય, તેવી મહત્ત્વાકાંક્ષા પણ નથી. ખેડૂત અને વણકર, કુંભાર અને સુથાર, સઈ અને મોચી, એ સહુ કારીગરો પોતપોતાની શક્તિ અનુસાર સમાજની અમુક અમુક જરૂરિયાતો પૂરી પાડે છે. એમની માફક પ્રામાણિક પરિશ્રમ કરીને આપણી પ્રજાની એક ચોક્કસ જરૂરિયાત પૂરી પાડવાનો આ નમ્ર પ્રયાસ છે.

એ જરૂરિયાત છે ચોપાસની દુનિયા વિશેના જ્ઞાન વધારનારા, સાદા, સમજી શકાય તેવા વાચનની.

આજે, ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીના મંગલ મુહૂર્તે, ભારતના પ્રજાસત્તાકનો પાયો નખાઈ રહ્યો છે. પર્વનો એ દિવસ હમણાં જ વીતી જશે. રાતની રોશનીઓ આવતી કાલે ગાયબ બનશે. ધ્વજપતાકાઓ અને તોરણોના શણગાર વળતા પ્રભાતે કરમાઈ જશે. ઉત્સવ-ગીતોના ભણકારા ડૂબી જશે. ગોળધાણાનો સ્વાદ સુકાઈ જશે. અને પછી આરંભાશે ભારતના પ્રજાસત્તાકની આભઊંચી ઇમારત રચવાનો પુરુષાર્થ. દિવસો અને મહિનાઓ સુધી, વર્ષો અને દાયકાઓ સુધી એ ચણતરકામ અવિરતપણે ચાલુ રહેશે. આવો પ્રચંડ પુરુષાર્થ કરવા માટે આપણી પ્રજાને જેટલી અન્નની તેટલી જ જ્ઞાનની જરૂર પડશે. આ જરૂર પૂરી પાડવાના જે પ્રયાસો આ પ્રાંતમાં થઈ રહ્યા છે, તેમાં ‘મિલાપ’ પણ પોતાનાં રંક સાધનો વડે સાથ પુરાવશે.

વિશાળ લોકસમૂહોને જ્ઞાન પૂરું પાડવા માટેનાં જે સાધનો આજે જગતમાં વપરાય છે, તેમાં છાપાં અને પુસ્તકોનું સ્થાન મોટું છે. એકલી ગુજરાતી ભાષામાં જ આજે દોઢસો જેટલાં સામયિકો બહાર પડે છે. ભારતની બીજી બાર મુખ્ય ભાષાઓમાં પ્રગટ થતાં સામયિકોની આવી ગણતરી ગયે વરસે થયેલી : હિંદી (૮૫૩), ઉર્દૂ (૫૭૧), બંગાળી (૩૬૯), તમિલ (૩૦૫), મરાઠી (૨૪૩), તેલુગુ (૧૫૧), પંજાબી (૮૧), કન્નડ (૫૧), ઉડિયા (૪૯), મલયાલમ (૨૩), સિંધી (૮), અસમિયા (૭). તે ઉપરાંત એકલી અંગ્રેજી ભાષામાં નીકળતાં ભારતીય સામયિકોનો આંકડો તો એ સૌને વટાવી જનારો હતો − ૮૬૮નો − હતો. ૩,૭૦૦ કરતાંય વધુ દૈનિકો, સાતવારિયાં અને અન્ય સામયિકોના આ ખડકલામાં જુદી જુદી ભાષાઓ, જુદી જુદી હકીકતો, જુદા જુદા વિચારો હશે. એમાં તત્કાલીન બાબતોને લગતો કેટલો ય કુથ્થો હશે; પણ થોડુંક વાચન એવું હશે કે જે ભારતની કોઈ પણ ભાષાના સામાન્ય સમાજના રસિક વાચકને રુચે, સરળ લાગે અને ઉપયોગી નીવડે. વિદેશોથી અહીં આવતાં સામયિકોમાં પણ એવાં લખાણો હોય છે. એવી થોડીક સામગ્રીની એ વિરાટ વાચન-પૂંજમાંથી તારવણી કરીને આ માસિકમાં મૂકવાની ઉમેદ છે.

આ જાતના સામયિક પાછળ પૂરતો પરિશ્રમ લેવાય તો ગુજરાતની નવી રચાતી ઇમારતમાં એ પર-પ્રાંતો તથા પર-રાષ્ટ્રો સાથેની નાનીશી મિલન-બારી બની શકે, એવી નિષ્ઠા સાથે ‘મિલાપ’ના પ્રકાશન-માર્ગે અમે ડગલું માંડીએ છીએ. કોઈ એક વ્યક્તિ, પક્ષ, વાદ કે કોઈ વાવટા પ્રત્યેની વફાદારીનું છત્ર અમારે શિરે નથી. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાને આંગણે શીતળ સમીર-લહરોમાં એકસંગાથે કલ્લોલતા તમામ પ્રજાઓના વાવટા દૂરદૂરથી દીવાદાંડી સમા અમને દેખાય છે. અમારા કાનમાં ભણકારા વાગે છે સાગરપારના એક મહાકવિએ ગાયેલા પેલા મંત્રના –

“એબૉવ ઑલ, ટુ ધાઈન ઓવ્ન સેલ્ફ બી ટ્રુ” : અને સૌથી વિશેષ તો તારા આત્માને જ વફાદાર રહેજે; એને ન છેતરજે.

એ શબ્દોમાં ગુંજી રહેલા ઈમાનને કદી ન ચૂકવાનું બળ અમારી મજલના માલિક પાસે માગીએ છીએ.

[સૌજન્ય : “મિલાપ”; 26 જાન્યુઆરી 1950; પૃ. 01-02]

Loading

...102030...478479480481...490500510...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved