Opinion Magazine
Number of visits: 9664852
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશ, વિદ્યાપીઠ-ધુરીણોને પોતાના ઇતિહાસનીયે સ્મૃતિ હોય!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 December 2024

પ્રકાશ ન. શાહ

અમદાવાદમાં જ્ઞાનકુંભ કર્ણાવતી 2024, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે હમણેના દિવસોમાં યોજાઈ ગયો ત્યારે એ માટેના નિમંત્રણપત્રમાં વિદ્યાપીઠના સરનામા તરીકે અમદાવાદને સ્થાને ‘કર્ણાવતી’નો હવાલો અપાયો હતો એથી અચરજ પામવું કે આંચકો અનુભવવો, એ નક્કી થઈ શકતું નથી.

અચરજનું કારણ સીધુંસાદું એટલું જ કે અમદાવાદનું નામાંતર વાજપેયી સરકારનાં છ વરસ દરમ્યાન કે નમો ભા.જ.પ.નાં દસ વરસ દરમ્યાન પણ ખુદ કેન્દ્ર સરકારે ગ્રાહ્ય રાખ્યું નથી. આંચકો એટલા માટે કે સંઘ પરિવાર પોતાના વહેવારમાં દાયકાઓથી ‘કર્ણાવતી’નો જ પ્રયોગ કરે છે. એની એક રાજકીય વિચારધારાકીય ભૂમિકા છે. વિદ્યાપીઠ હવે ચોક્કસ સરનામાસંકેત સાથે અધિકૃત રીતે આ રાજકીય-શાસકીય વિચારધારા સાથે જોડાવાનો ઉદ્ઘોષ કરે છે એમ જ કહેવું જોઈશે.

આ જ્ઞાનકુંભ સંઘ પરિવારની નિશ્રા શી આયોજનમાં મળી ગયો હોવાનું જો કે એના વિદ્યાપીઠ સાથેના સહ બલકે મુખ્ય આયોજક શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનું નામ જોતાંયે સમજાઈ રહેવું જોઈતું હતું. 2007માં આ ન્યાસનો આરંભ થયો અને એના સ્થાપકો પૈકી વડું નામ હજુ સાતમી નવેમ્બરે જ નિધન પામેલા દીનાનાથ બત્રાનું હતું. બત્રા, આમ તો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રચારક અને આગળ ચાલતાં સંઘપ્રેરિત વિદ્યાભારતીના અગુઆ.

જાહેર જનતાની સ્મૃતિ ટૂંકી હોવાની વાયકા છતાં એટલું તો યાદ હોવું જોઈએ કે 2014ના જૂનની 30મીએ ગુજરાત સરકારે ખાસ પરિપત્ર પાઠવીને રાજ્યની 42,000 શાળાઓને બત્રાનાં કેટલાંક પુસ્તકો સહ-અને-પૂરક વાચન તરીકે વંચાવવા જણાવ્યું હતું. ભલા માણસોની ખોટ દુનિયાને ક્યારે ય પડતી નથી એ ન્યાયે કોઈ કોઈ શિક્ષણકારે નાનાભાઈ ભટ્ટને મનુભાઈ પંચોળીનો હવાલો આપી સંવાદ ભૂમિકાએ આ પુસ્તક પ્રવેશ પરત્વે અનુમોદના પણ દાખવી હતી. અલબત્ત, સારા બત્રા સાહિત્યમાંથી પસાર થવું જરૂરી નહીં હોય – બાકી, આ બત્રા સાહિત્યમાં સારા વિદ્યાર્થીની વ્યાખ્યા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય હોય એવી બેધડક અપાઈ હતી.

શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના લગભગ મુખ્ય ટ્રસ્ટીવત આજકાલ (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ સચિવ) અતુલ કોઠારી જણાય છે. સરસંઘચાલક ભાગવતે સંઘની પ્રતિનિધિ સભામાં વિધિસર જાહેરાતભેર કોઠારીને ન્યાસની જવાબદારી ભળાવ્યાના હેવાલો આ લખતાં સાંભરે છે. બીજી બાજુ, કોઠારીએ હમણાં બત્રાને અંજલિ આપતાં ખાસ કહ્યું હતું કે એન.ઈ.પી. કહેતાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળમાં બત્રાની કામગીરી રહી છે.

આ ન્યાસકથા જોતાં વિદ્યાપીઠનો, ‘કર્ણાવતી’ એ સરનામાસંકેત ખરેખર તો હિમદુર્ગનું એકદશાંસમું ટોચકું જ માત્ર વરતાય છે. ન્યાસે, કર્ણાવતી કુંભ સારુ વિદ્યાપીઠથી સારી પસંદગી બીજી હોઈ જ ન શકે એમ કહેવા સાથે જોતરેલું કારણ એ છે કે મેકોલેની શિક્ષણ પ્રથા સામેનો આ અનેરો વિકલ્પ હતો. જો કે, ન્યાસવીરોને તેમ હવે તો કદાચ વિદ્યાપીઠના વાસ્તવિક ધુરીણોને પણ ગાંધીએ 1920માં વિદ્યાપીઠનો પ્રારંભ કરતાં સરકારથી પરહેજ કરવાપણું જોયું હતું એ ઇતિહાસવસ્તુ બાબતે જાણેત છતે ઓસાણ નયે હોયે. 

મદનમોહન માલવીયની જેમ બનારસ હિંદુ યુનિવર્સિટી સારુ બ્રિટિશ સરકારનું ચાર્ટર લેવાની જરૂરત ગાંધીએ જોઈ નહોતી એનું મહત્ત્વ આજે કદાચ કોઈને પણ વસે છે કે કેમ તે આપણે જાણતા નથી. સ્વરાજ પછી, 1963માં, વિદ્યાપીઠે સરકાર સાથે યુ.જી.સી. રાહે સંધાન કર્યું ત્યારે પણ એણે તે પોતાની સ્વાયત્તતાને ધોરણે કર્યું હતું. પણ, હવે તો, ટ્રસ્ટીમંડળની બહુમતી પોતે સામે ચાલીને શાસકીય સત્તાકીય વરણી ભણી જાય – નારાયણ દેસાઈ અને ઈલા ભટ્ટનાં 14 વરસની ગરિમા ભૂલીને સ્વાયત્તતાનું અંજીરપાંદ પણ રેઢું મેલે, શું કહીશું એને.

ન્યાસ ભારતીય જ્ઞાન પરંપરાની આધુનિકતા અને વૈજ્ઞાનિકતા પર ભાર મૂકવા માગે છે. બત્રાએ પુષ્પક વિમાનનો જે મહિમા કર્યો હતો એમાં આ બેમાંથી એકે વાનું નથી.

હશે, લાંબે નહીં જતાં થોડી કર્ણાવતી-ચર્ચા કરી લઈએ એ ઠીક રહેશે. અમદાવાદને અંગે બીજાઓએ પણ કરી હશે, પણ વિદ્યાપીઠ પરિવારને, પોતાને ત્યાં સુદીર્ઘ સેવા આપનાર ઇતિહાસવિદ રસેશ જમીનદારે આ અંગે કરેલી વિશદ ચર્ચાની તો ખબર હોવી જ જોઈએ ને. નામાંતરની ચર્ચા ઊપડી ત્યારે જમીનદારે પ્રમાણપૂર્વક જણાવ્યું હતું કે અહમદાબાદ જે અહમદશાહે વસાવ્યું એની પૂર્વાવૃત્તિ નક્કી જ કરવી હોય તો તે આશાવલ (આશાપલ્લી) હોઈ શકે.

આઠમીથી અગિયારમી સદીના ગાળામાં એ ભીલી હકૂમત હતી. પાટણના સોલંકીઓ અને લાટના ચાલુક્યો વચ્ચે બફર તરીકે આશાવલની કામગીરી હતી. આગળ ચાલતાં સોલંકીએ આશાવલ કબજે કર્યું ત્યારે લાટના ચાલુક્યો સામે સીમાન્ત રક્ષાવ્યૂહની જરૂરતને ધોરણે આશાવલ પાસે હાલના બહેરામપુરા-દાણી લીમડા (સપ્તર્ષિના આરેથી ગંગનાથ) વિસ્તારમાં કર્ણદેવ સોલંકીએ પૂરા કદના નગર તરીકે નહીં, પણ લશ્કરી છાવણી તરીકે કર્ણાવતી ઊભું કર્યું. તે બાદ સત્તા વિસ્તરી એટલે છાવણીની જરૂર ન રહી. લશ્કરી જરૂરત માટે બજાર સહિતના વહેવારમાં પડેલાઓ પડખેના આશાવલમાં ગોઠવાઈ ગયા કે બીજે ચાલ્યા ગયા. તે પછી અહમદશાહે, પડોશમાં અન્યત્ર અહમદાબાદ વસાવ્યું. એટલે કોઈ કર્ણાવતી નગર ધ્વસ્ત કરીને અહમદાબાદ વસ્યાનો ઇતિહાસ નથી. આજે તો જો કે આશાવલ, કર્ણાવતી છાવણી વિસ્તાર, કોટમાંનું અહમદાબાદ આ બધું સમાવીને ઉત્તરોત્તર વિકસતું કે વકરી શકતું મહાનગર અમદાવાદ જ એક વાસ્તવિકતા છે. મૂળ નામનો મહિમા કરવો હોય તો કળશ આશાવલ પર ઢોળવો પડે. ગમે તેમ પણ, આપણે સંમત થઈશું જમીનદાર સાથે કે નામોના અણઘડ ફેરફારથી તો ઇતિહાસ નાશ પામે છે.

કાશ, વિદ્યાપીઠ-ધુરીણોને પોતાના ઇતિહાસનીયે સ્મૃતિ હોય!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 ડિસેમ્બર 2024

Loading

દેશ મહાન બને છે માત્રને માત્ર શિક્ષણ અને શિસ્તબદ્ધ નાગરિકોથી !

રમેશ સવાણી|Opinion - Opinion|10 December 2024

આપણી બધી જ સમસ્યાઓનું મૂળ અજ્ઞાનતા છે. ભણેલો અને પીએચ.ડી. થયેલો માણસ પણ અજ્ઞાની હોઈ શકે છે. અજ્ઞાનતા એટલે સમજણનો અભાવ. દુ:ખનું કારણ પણ અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને દૂર કરવા શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે. શિક્ષણ પાયાની જરૂરિયાત છે. મારે મન શિક્ષણનું બહુ મોટું મહત્ત્વ છે. આમ તો સારું છે કે લોકો પરદેશ જાય છે. આપણું બુદ્ધિધન બહાર જાય છે, એમ કહેવાય છે. પણ ત્યાં જઈને પણ તેમના હ્રદયમાં ભારત ધબકતું હોય છે. આપણા આઝાદીના લડવૈયાઓ વિદેશમાં ભણ્યા હતા અને દેશની સેવા કરી હતી.

જગદીશ બારોટ

એવું કહેવાય છે કે ગુજરાતીઓને ચોપડી નહીં, પણ ચોપડામાં વધુ રસ હોય છે. ભણવામાં રસ નથી, વેપારમાં વધારે રસ છે. આપણે શિક્ષણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અમેરિકા સમૃદ્ધિમાં / તાકાતમાં આગળ છે, તેનું કારણ શું છે? શિક્ષણ ! અમેરિકા / કેનેડામાં 80% ચર્ચ બંધ છે. 20% ચર્ચ ચાલુ છે તે રવિવારે માત્ર બે કલાક માટે ખૂલે છે. માત્ર વૃદ્ધ લોકો જાય છે. સેવાના કાર્યો કરે છે, ભજન કરતા નથી ! અમેરિકા વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આગળ છે, તેનું કારણ છે શિક્ષણ. 

ભારત અને અમેરિકા / કેનેડાના શિક્ષણ વચ્ચે શું તફાવત છે? ભારતમાં શિક્ષણ પાછળ બજેટના 6% ખર્ચ કરવો તેવી નીતિ નક્કી થઈ છે. પરંતુ 6%ની જગ્યાએ માત્ર 0.6% ખર્ચ કરવામાં આવે છે. અમેરિકામાં મારી દીકરીનો દીકરો 9માં ધોરણમાં ભણે છે, એક વખત હું તેની સ્કૂલ જોવા ગયો. સરકાર એક વિદ્યાર્થી દીઠ 1,200 ડોલરનો ખર્ચ કરે છે. માત્ર 6,000ની વસ્તી છે તેવા ગામમાં શાળા ભવ્ય છે. શાળામાં બહુ મોટા મેદાનો છે. બધી સગવડો છે.

શા માટે આપણા યુવાનો વિદેશ જાય છે? સારું શિક્ષણ મેળવવા. સારી જિંદગી જીવવા. સારી જોબ માટે. આપણે ગૌરવ લઈએ છીએ, અમારી ગીતાએ દુનિયાને કર્મયોગનો સંદેશો આપ્યો. પરંતુ સૌથી વધુ કામચોરી આ દેશમાં થાય છે. કામમાં વેઠ કાઢવી / ગાપચી મારવી એ સામાન્ય છે. વેઠ શબ્દ અમેરિકા / કેનેડામાં નથી. આપણે ત્યાં સરકારી કર્મચારીઓ CL-કેઝ્યુઅલ લીવ રીપોર્ટ મૂકીને ગાપચી મારે છે. ઉપરી અધિકારી તપાસ કરે તો રીપોર્ટ આપવાનો, નહિતર ફાડી નાખવાનો ! ગાપચી પણ અંબાજી યાત્રા માટે મારે છે ! આ કામચોરી માટે આપણી દશા ખરાબ છે. વિદેશમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવી વ્યવસ્થા છે, આપણે ત્યાં ગોખણપટ્ટી છે. પરીક્ષા પાસ કરી એટલે પતી ગ્યું ! 

મારે બે દોહિત્ર છે. મોટો દોહિત્ર 12 સાયન્સમાં, આખા ઓન્ટારિયો રાજ્યમાં 1થી 10માં આવ્યો, 95% સાથે. મેં એને પૂછ્યું કે ‘હવે આગળ શું કરીશ?’ મને કહે કે ‘દાદાજી હું કોમર્સ લઈશ.’ ત્યાં બાળકોને કોઈ ફોર્સ કરતા નથી. તેણે કોમર્સ લીધું. 24 વર્ષની ઉંમરે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો. તે હાલ 25માં વર્ષે કંપનીમાં સીનિયર મેનેજર છે. હવે તે થોડા સમયમાં નોકરી છોડી પોતાની ફર્મ ઊભી કરવાનું આયોજન કરે છે. વિદેશમાં કોઈ માબાપ પોતાના બાળકને ફરજ નથી પાડતા કે ડોક્ટર થવાનું છે કે એન્જિનિયર થવાનું છે. ડોક્ટર / એન્જિનિયર કેમ બનાવવા છે? વધારે માલ મલીદા મળે એટલે ! નાનો દોહિત્ર 14 વર્ષનો છે. 10માં ધોરણમાં આવ્યો. મેં એને પૂછ્યું કે ‘ભવિષ્યમાં તું શું થવા ઈચ્છે છે?’ તે કહે : ‘દાદાજી હું મરીન બાયોલોજિસ્ટ થવા માગું છું.’ અહીં 9માં ધોરણમાં ભણતા બાળકને પૂછજો, મરીન બાયોલોજી એટલે શું? એને ખબર નહીં હોય ! આ ત્યાંના બાળકોની સ્વતંત્રતા છે. આ કારણે પણ આપણા વિદ્યાર્થીઓ અમેરિકા જતા હોય છે.  ત્યાં 12 ધોરણ સુધી કોઈ ફી નહીં / કોઈ ખર્ચ નહીં / કોઈ ચોપડી લેવાની નહીં / પેન્સિલ નહીં લેવાની / યુનિફોર્મ નહીં. ત્યાંના બાળમંદિરમાં ફાઈવસ્ટાર સગવડો હોય છે. એટલી બાળકોની કાળજી લે છે. એટલી જ સ્વચ્છતાની કાળજી લેવાય છે. કોલેજમાં ફી છે. લગભગ 60% વિદ્યાર્થીઓને સ્કોલરશિપ / ફ્રીશિપ / લોન મળે છે. જેથી તે ભણી શકે. મેં 63 વર્ષે સેફ્ટી એન્જિનિયરિંગ કર્યું. ત્યારે મને કોલેજે પૂછેલ કે તમારે ફ્રીશિપ જોઈએ છે? હું ત્યારે કમાતો ન હતો. મેં ફોર્મ ભર્યું. મેં ત્યારે 2,200 ડોલર ભરેલાં. વરસ પૂરું થયું એટલે કોલેજે મને 2,600 ડોલરનો ચેક આપ્યો. મેં કહ્યું કે ‘મેં તો 2,200 ડોલર આપ્યા હતા, 2,600 નહીં.’ મને જવાબ મળ્યો કે ‘200 ડોલર બસ પાસના છે અને 200 ડોલર અન્ય ખર્ચના છે !’ હું તો ત્યાંનો નાગરિક પણ ન હતો છતાં આ સવલત મને મળી હતી.

ત્યાં એક સારી બાબત એ છે કે કોલેજમાં ભણવાની સાથે 16 વરસ પછી જોબ પણ મળે, એમાં એનો ખર્ચો નીકળી જાય. જોબની વ્યવસ્થા પણ કોલેજ કરી આપે. ઉત્તમ શિક્ષણ અમેરિકા / કેનેડામાં મળે છે. દુનિયાની 10 શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં અમેરિકાની 6 છે અને ઇંગ્લેન્ડની 4 છે. ભારતની 1થી 350માં એક પણ યુનિવર્સિટી નથી ! આપણે વિશ્વગુરુનો ડોળ કરીએ છીએ ! કોઈ ડંકો વાગતો નથી ! ત્યાં બેસ્ટ શિક્ષણ મળે છે, ક્રિએટિવ થીંકિંગ મળે છે. ત્યાં વાર્ષિક પરીક્ષા હોતી નથી, બાળકોનું દર પંદર દિવસે એસેસમેન્ટ થાય. એટલે ગોખણપટ્ટી પણ નહીં. એક વખત, અમારે ત્યાં એક સંપ્રદાયના પ્રચારક આવ્યા. તેણે મારા ચાર વર્ષના દોહિત્રને પૂછ્યું કે ‘રાવણની પત્નીનું નામ શું હતું?’ મેં કહ્યું કે ‘એ રહેવા દો. કેનેડાની કોઈ પરીક્ષામાં રાવણની પત્નીનું નામ નહીં પૂછાય. પરંતુ ધર્મ અને રાજકારણ સિવાય કોઈ પણ વિષયના પ્રશ્નો પૂછો તે જવાબ આપશે.’ પ્રચારકે ચાર પ્રશ્નો પૂછ્યા, તેના જવાબો બરાબર આપ્યા. મેં કેનેડાની કોલેજમાં 11 વરસ સુધી ભણાવ્યું. મેં કદી કોઈ છોકરાંને છોકરીની ગંદી હરકત કરતો જોયો નથી. ત્યાં સમૃદ્ધિ છે તેથી દૂષણો પણ છે. પરંતુ મેં રોડ પર લથડિયાં ખાતો કે કોઈના ગજવામાં હાથ નાખતો કોઈને નથી જોયો. એ લોકો શિસ્તમાં માને છે, રીસ્પેક્ટમાં માને છે. મારા ક્લાસમાં કોઈ છોકરી કે છોકરો લેઈટ આવ્યો નથી. એક વખત પરીક્ષામાં, મને એક છોકરીએ પૂછી લીધું કે ‘સર, આ ચેપ્ટર તમે ચલાવ્યું ત્યારે હું બીમાર હતી. મને આ પ્રશ્ન સમજાતો નથી.’ એટલે મેં એને ચેપ્ટરની સમજણ આપી, જેમાં પ્રશ્નનો જવાબ વણી લીધો હતો. પરંતુ એ છોકરીએ જવાબ લખ્યો જ નહીં ! મેં એને પૂછ્યું કે ‘તેં જવાબ કેમ લખ્યો નહીં?’ ત્યારે એ છોકરીએ કહ્યું કે ‘સર, મને આપે સમજ કરી. પણ તે પહેલાં મને જવાબ આવડતો ન હતો એટલે મેં લખ્યો નથી !’ આ ઓનેસ્ટિ છે ! 

ત્યાં બાળકો કોઈ દિવસ જૂઠું ન બોલે. કદી મંદિરે જતા નથી, કદી ગીતાપાઠ કરતા નથી ! ભાગવત વાંચતાં નથી ! અહીં ગલીએ ગલીએ પારાયણો થાય છે. છતાં આપણે જૂઠું બોલીએ છીએ અને બહાદુરી સમજીએ છીએ કે મેં કેવો ઉલ્લુ બનાવ્યો ! કદી કોઈ બાળક જૂઠું ન બોલે. ત્યાં કોઈ સોગંદ ન ખાય. સોગંદ તો જૂઠ્ઠો માણસ ખાય ! સાચો માણસ સોગંદ ન ખાય. આ શિસ્ત છે ત્યાંની, એટલે એ લોકો દુનિયાની ટોચ પર છે. કોઈ દેશ તેની ભવ્ય સંસ્કૃતિથી મહાન નથી બનતો, ભવ્ય ઈમારતોથી મહાન નથી બનતો, ભવ્ય મંદિરથી મહાન નથી બનતો. દેશ મહાન બને છે માત્રને માત્ર શિક્ષણ અને શિસ્તબદ્ધ નાગરિકોથી ! અમેરિકા / કેનેડા / યુરોપના લોકો મહાન એટલે છે કે તે બહુ શિસ્તબદ્ધ છે. ન્યૂસન્સ વેલ્યુ નહીં, નહીં અને નહીં. એક વખત હું કોલેજમાં ભણાવવા જતો હતો અને બસમાં મારો મોબાઈલ સીટમાં ભૂલી ગયો. સાંજે પરત ફર્યો ત્યારે અનાયાસ સવાર વાળી બસ મળી. હું સવારે જે સીટમાં બેઠો હતો ત્યાં ગયો તો ત્યાં મોબાઈલ પડ્યો હતો ! કેટલાં ય લોકો આ સીટ પર બેઠાં હશે ! એક વખત શુક્રવારે, હું રેલવે સ્ટેશને મહેમાન લેવા ગયો. વરસાદની શક્યતા હતી તેથી છત્રી લીધી હતી. મહેમાન આવ્યા અને હું હરખમાંને હરખમાં છત્રી બાંકડા પર ભૂલી ગયો. સોમવારે વરસાદ આવ્યો ત્યારે છત્રી યાદ આવી. ચોથે દિવસે હું એ બાંકડા પર ગયો, છત્રી ત્યાં પડી હતી ! આટલી ઓનેસ્ટિ છે ત્યાં. એટલે તે લોકો મહાન છે. ટીલાંટપકાં કરવાથી મહાન નથી થવાતું ! 

કેનેડામાં વોર્ડ વાઈઝ સરકારી સમૃદ્ધ લાઈબ્રેરી છે. ત્યાં કોમ્પ્યુટર છે. વિદ્યાર્થીને એક સાથે 15 પુસ્તકો આપવામાં આવે છે. કોઈ પણ અખબારની પ્રિન્ટ આઉટ મળે. આપણે ત્યાં નવા મકાનો બને તો મંદિર કેટલું નજીક છે તેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. પણ કોઈ જગ્યાએ લાઈબ્રેરી નજીક છે તેવો ઉલ્લેખ જોવા નહીં મળે. આપણે ત્યાં વિદ્વાન પ્રોફેસર બાબુ સુથાર અને હેમંતકુમાર શાહના વ્યાખ્યાન માટે ફાળવેલ હોલ પણ કેન્સલ કરવામાં આવે છે. અમેરિકા / કેનેડામાં આવું કદી ન બને. ત્યાં તો સામેથી વિદ્વાનોને બોલાવે. હું ભણવા ગયો હતો અને મને પ્રાધ્યાપક બનાવી દીધો ! આવો ચમત્કાર ત્યાં બને ! 

[સૌજન્ય : જગદીશ બારોટ, પર્યાવરણ વૈજ્ઞાનિક, કેનેડા, 8 ડિસેમ્બર 2024, સુરત]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આ સત્તાનો ખેલ છે જેમાં હિંદુઓ અને મુસલમાનો પ્યાદાં માત્ર છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|10 December 2024

રમેશ ઓઝા

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વારંવાર કેન્દ્ર સરકારને યાદ દેવડાવે છે કે બંગલાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા વિષે કાંઈક કરો. બીજા દેશની બાબતમાં દરમિયાનગીરી કરવાનો રાજ્ય સરકારનો અખત્યાર નથી, આ કેન્દ્ર સરકારનો વિષય છે અને તેણે ભૂમિકા લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જો બંગલાદેશમાં હિંદુઓની સુરક્ષાની વ્યવસ્થા ભારત સરકાર કરી શકે એમ ન હોય તો બંગલાદેશના હિંદુ શરણાર્થીઓને સમાવવા પશ્ચિમ બંગાળ તૈયાર છે. માટે વડા પ્રધાને ખુદે અને નહીં તો કમ સે કમ વિદેશ પ્રધાને બોલવું જોઈએ. પ્લીઝ કશુંક કરો. બંગલાદેશમાં હિંદુઓ અદ્ધર જીવે જીવે છે. તેમણે પ્રસિદ્ધ મણિપુર-મૌનની પણ યાદ અપાવી હતી.

જ્યારે તમે જેમાં રમમાણ રહેતા હોય ત્યારે તેની યાદ અપાવવામાં આવે એ સ્વાભાવિક છે. હિન્દુત્વવાદીઓ અતીત અને શૌર્યમાં રમમાણ રહે છે. ચોવીસે કલાક તેઓ અતીતમાં જીવે છે અને ‘બીજાને’ લલકારે છે. આ તેમનો સ્થાયીભાવ છે. ફલાણાઓએ ભૂતકાળમાં ફલાણી ફલાણી ભૂલો કરી જેની હિંદુઓ કિંમત ચૂકવે છે. પણ કશો વાંધો નહીં, અમે બેઠા છીએ હવે કોઈ હિંદુઓનો વાળ પણ વાંકો નહીં કરી શકે. લઘુમતી કોમે લાડ લડાવનારા સત્તાભૂખ્યા અને નમાલા લોકોનો યુગ પૂરો થયો. અમે દુ:શ્મન સાથે આંખમાં આંખ મેળવીને વાત કરવાની ક્ષમતા ધરાવીએ છીએ, અમે હિંદુહિતને ભૂલીને દુ:શ્મન સાથે બિરિયાની ખાનારા કાયર અને દેશદ્રોહી નથી. આમ હિન્દુઓના ગૌરવશાળી અતીતની અને પ્રસંગોપાત બીજા દ્વારા દુભાવવામાં આવેલા રાંકડા હિન્દુઓના અતીતની વાત તમે સાંભળી હશે અને હવે કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે એવા શૌર્યની વાતો પણ તમે સાંભળી હશે. દેખીતી રીતે મમતા બેનર્જી લાગ જોઇને તેમને તેની યાદ અપાવે છે.

ગયા ઓગસ્ટ મહિનામાં બંગલાદેશમાં પ્રજાએ (મુખ્યત્વે યુવાઓએ) બળવો કર્યો અને બંગલાદેશમાંથી વડાં પ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને નાસી જવું પડ્યું ત્યારથી બંગલાદેશમાં વસતા હિંદુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. હમણાં થોડા દિવસથી તેમાં વધારો થઈ રહ્યો છે અને એ વધારો ચિંતાજનક છે. આ બાજુ ભારત સરકાર નિષ્ક્રિય છે, નિષ્ક્રિય કરતાં પણ હતપ્રભ છે, શું કરવું તે તેને સમજાતું નથી. હોંકારાપડકારા કરવાથી સત્તા સુધી પહોંચી શકાય ખરું, શાસન નથી થતું. ચીન, પાકિસ્તાન, નેપાળ, માલદીવ અને હવે બંગલાદેશે આ બતાવી આપ્યું છે. બંગલાદેશ કહે છે કે શેખ હસીનાને ભારત સરકાર આશ્રય આપી રહી છે એટલે લોકો નારાજ છે અને હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. શેખ હસીના બંગલાદેશના ગુનેગાર છે અને ભારત સરકારે અમને સોંપી દેવા જોઈએ. ભારત સરકાર એ પણ કરી શકે એમ નથી. નથી શેખ હસીનાને બીજો કોઈ દેશ આશ્રય આપતો. ભારતની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. રહી વાત બંગલાદેશમાં વસતા હિંદુઓની તો ભારત સરકાર કશું જ કરી શકતી નથી. જો બંગલાદેશ અને નેપાળ સામે હિન્દુત્વવાદીઓ કશું ન કરી શકતા હોય તો ચીન તો મહાસત્તા છે. માટે મમતા બેનર્જી ચાહી કરીને યાદ દેવડાવે છે કે હિંદુઓને બચાવીને ઇતિહાસ બદલવાનો તેમ જ ખમીર બતાવવાનો અવસર આવ્યો છે તો બતાવો.

પહેલાં થોડી અતીતની વાત. ૧૫મી એપ્રિલ ૧૯૪૬ના રોજ કોલકત્તા નજીક તારકેશ્વરમાં હિંદુ મહાસભાની બેઠક મળી હતી અને તેમાં ઠરાવ કરીને બંગાળના વિભાજન અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હિંદુ મહાસભાના અધ્યક્ષ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીને આપવામાં આવ્યો હતો. એ અધિવેશનમાં વિનાયક દામોદર સાવરકર હાજર હતા. મે મહિનામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને પત્ર લખ્યો હતો કે ભારતનું વિભાજન થાય કે ન થાય, પણ બંગાળનું વિભાજન થવું જોઈએ. હિંદુઓ અને હિંદુ બહુમતી વિસ્તારો પર મુસલમાનો રાજ કરે એ અમને સ્વીકાર્ય નથી. પણ મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં હિંદુ વસે છે તેનું શું? તેમની સંખ્યા લગભગ ૨૫ ટકાની હતી, ઓછી નહોતી. દર ચોથો હિંદુ મુસ્લિમ બહુમતી વિસ્તારમાં વસતો હતો. પણ તેની તેમને ચિંતા નહોતી. જો કે ચિંતા તો મુસ્લિમ લીગને પણ નહોતી. બહુમતી હિંદુ વિસ્તારોમાં એટલા જ પ્રમાણમાં એટલે કે ૨૫ ટકા મુસલમાનો રહેતા હતા.

ભારતનું વિભાજન થાય કે ન થાય, બંગાળનું વિભાજન થવું જોઈએ એવી માગણી કરતી વખતે તેમણે પૂર્વ બંગાળ(અત્યારના બંગલાદેશ)માં વસતા હિંદુઓની ચિંતા કરી નહોતી. તેમને એટલી પણ સમજ નહોતી અથવા ચિંતા નહોતી કે પૂર્વ પાકિસ્તાનમાં વસતા ૨૫ ટકા હિંદુઓનું જીવન અસુરક્ષિત થઈ જશે. એટલે તો પૂર્વ બંગાળમાં નોઆખલીમાં લઘુમતી હિંદુઓનો નરસંહાર થયો ત્યારે હિંદુઓને બચાવવા માત્ર ગાંધીજી ગયા હતા જેને તેઓ કાયર તરીકે ઓળખાવે છે. એક પણ હિન્દુત્વવાદી નોઆખલી ગયો નહોતો. લોર્ડ માઉન્ટબેટનનું પ્રસિદ્ધ કથન યાદ હશે. તેમણે કહ્યું હતું કે પૂર્વના મોરચે માત્ર એક વ્યક્તિની બટાલિયને શાંતિ સ્થાપી છે. અતીતની હજુ એક વાત. સુભાષચંદ્ર બોઝના ભાઈ સરતચન્દ્ર બોઝ અને શહીદ સુહરાવર્દીએ  પ્રસ્તાવ રાખ્યો હતો કે પશ્ચિમે પાકિસ્તાનની જેમ પૂર્વે જો સંયુક્ત બંગાળને સ્વતંત્ર દેશ તરીકે સ્થાપવામાં આવે તો અમે એટલે કે બંગાળી હિંદુ અને બંગાળી મુસલમાન સાથે રહેવા તૈયાર છીએ. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ તે પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, ટૂંકમાં ભારતનું વિભાજન થાય કે ન થાય અમને બંગાળનું વિભાજન થવું જોઈએ છે. એટલું જ નહીં, અમને સ્વતંત્ર બંગાળ પણ નથી જોઈતું, કારણ કે તેમાં સહિયારાપણાની શરત છે અને અમારે સાથે મુસલમાનો સાથે રહેવું નથી.

આ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘ(અત્યારનો ભા.જ.પ.)ના સ્થાપક અધ્યક્ષ હતા અને અત્યારે હિન્દુત્વવાદીઓ બંગલાદેશમાં હિંદુઓની અવસ્થા જોઇને રુદન કરે છે, પણ કશું જ કરી શકતા નથી. ૧૯૪૭માં હિન્દુત્વવાદીઓ અને મુસ્લિમ લીગીઓએ જે તે કોમના બહુમતી વિસ્તારોમાં ત્યાં વસતી લઘુમતી કોમનું શું થશે એ વિષે વિચાર કર્યો હોત તો ભારતનું વિભાજન ન થયું હોત. જો હિંદુ કે મુસ્લિમ બહુમતી કોમે પોતાને ત્યાંની લઘુમતી કોમને સતાવી ન હોત તો આજના દિવસ જોવા ન મળ્યા હોત. આજે પણ મુસલમાનોને સતાવતી વખતે હિન્દુત્વવાદીઓ વિચારતા નથી કે પડોશી દેશમાં લઘુમતી હિંદુઓનું શું થશે અને પાકિસ્તાનમાં અને બંગલાદેશમાં હિંદુઓને સતાવતી વખતે કોમવાદી મુસ્લિમ વિચારતા નથી કે ભારતમાં વસતા મુસલમાનોનું શું થશે!

અને થોડી વાત શૌર્યની. છે કોઈ વિકલ્પ ભારતના શાસકો પાસે? વિકલ્પ એક જ છે, બંગલાદેશની સરકારને સમજાવવાનો. સમજે નહીં તો વિશ્વમત કેળવવાનો. દબાવ લાવવાનો. પણ સમસ્યા એ છે કે વિશ્વદેશો ભારતના હિન્દુત્વવાદી શાસકોને તેમનાં મુસ્લિમ વિરોધી વલણની અને બુલડોઝર પોલીસીની યાદ અપાવે અને તે પાલવે એમ નથી. સામે બંગલાદેશના શાસકોને પણ હિંદુ વિરોધી વલણનાં પરિણામે ભારતમાં મુસલમાનોનું શું થશે તેની કોઈ ચિંતા નથી.

આ સત્તાનો ખેલ છે જેમાં હિંદુઓ અને મુસલમાનો પ્યાદાં માત્ર છે.

Loading

...102030...461462463464...470480490...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved