Opinion Magazine
Number of visits: 9456864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક તરફ સરકાર શિક્ષકો રાખવા રાજી નથી ને બીજી તરફ છે તે શિક્ષકો ફરજ પર હાજર રહેતા નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 August 2024

રવીન્દ્ર પારેખ

2017થી ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં અખાડા કરે છે ને આજે 42 હજાર શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષણનો કારભાર ચાલે છે. શિક્ષણને મામલે સરકાર એટલી ગરીબ છે કે તે જ્ઞાન સહાયકોને ફિક્સ પગારે રાખીને આંગળા ચાટીને પેટ ભરે છે ને આ દારિદ્રય અનેક સ્તરે સક્રિય છે. સરકાર પાસે નથી પૂરતી સ્કૂલો કે નથી પૂરતા વર્ગો કે નથી જરૂરી શૈક્ષણિક સામગ્રી. આ ગરીબી નથી, નકરી કંજૂસાઈ છે. ગુજરાતનો શિક્ષણ વિભાગ પૂરતા શિક્ષકો નથી ધરાવતો, પણ શિક્ષણ મંત્રીઓ એકથી વધારે ધરાવે છે ને તે કૈં કોન્ટ્રાક્ટ પર કે ફિક્સ પગારે નથી. આખો શિક્ષણ વિભાગ પગાર અને અન્ય લાભો પેટ ભરીને લે છે. તેઓ રિટાયર થશે તો નિવૃત્તિના પેન્શન વગેરે લાભો પણ ધરાઈને લેશે, પણ એ લાભો ન આપવા પડે એટલે સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરતી નથી. 21 ઓગસ્ટે જૂની પેન્શન યોજના સંદર્ભે શિક્ષકોએ આંદોલન શરૂ કર્યું છે ને તેનો ઠરાવ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહે એમ લાગે છે. એ નથી સમજાતું કે સરકારને કોઈ ટોકે એવી સ્થિતિ ગુજરાતમાં કેમ નથી? કેન્દ્ર સરકારને એ ખબર છે ખરી કે ગુજરાત શિક્ષણને મામલે મરી પરવાર્યું છે?

આખા દેશના શિક્ષણ બોર્ડની વાત કરીએ તો ગયે વર્ષે ધોરણ 10 અને 12માં 65 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 3 નેશનલ બોર્ડ અને 56 રાજ્ય બોર્ડની આ સ્થિતિ છે, તેમાં પણ રાજ્ય બોર્ડનાં પરિણામો વધુ નિરાશ કરનારા છે. સેન્ટ્રલ બોર્ડમાં ધોરણ 10માં 6 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, તો રાજ્ય બોર્ડમાં એ ટકાવારી 16ની છે. એ જ રીતે ધોરણ 12માં સેન્ટ્રલ બોર્ડમાં 12 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જ્યારે રાજ્ય બોર્ડમાં એ ટકાવારી 18ની છે. આ હાલત હોય ત્યારે શિક્ષકો વગર ચલાવવાની સરકારની દાનત બધી રીતે ધિક્કારને પાત્ર છે. કરુણતા એ છે કે આ પરિણામો નવી શિક્ષણ નીતિ લાગુ થઈ એ પછીનાં છે. નવી શિક્ષણ નીતિનો અર્થ શિક્ષણનો હ્રાસ એવો તો ન હોયને !

આટલું ઓછું હોય તેમ નોકરીમાં છે તેમાંના ઘણા શિક્ષકો હરામખોરી પર ઊતરી આવ્યાં છે અને એ અત્યંત શરમજનક છે. 9 ઓગસ્ટે એવા સમાચાર આવ્યા કે દાંતા તાલુકાની પાન્છાની પ્રાથમિક શાળાની ભાવનાબહેન કે. પટેલ નામની એક શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી છે ને તે અંબાજી નજીકની આ શાળામાં શિક્ષિકા તરીકે હાજર બતાવાય છે. તેનો રજાનો કોઈ રિપોર્ટ નથી કે નથી તેનું કોઈ રાજીનામું. તે દર વર્ષે દિવાળી વેકેશનમાં સ્કૂલે આવે છે ને દિવાળીની રજાઓ સહિતનો ત્રણેક મહિનાનો પગાર પણ લે છે. વાત તો એવી પણ છે કે તેનો આઠ વર્ષથી નિયમિત પગાર થાય છે. સાચું ખોટું તો સ્કૂલ જાણે, પણ દિવાળી વખતનો પગાર તો લેવાય જ છે એમાં કોઈ શંકા નથી. શિક્ષણ અધિકારી પગલાં ભરવાની વાત તો કરે છે, જોઈએ શું તોડ પડે છે તે ! શિક્ષણ મંત્રી ડિંડોરે તો કહ્યું છે કે એ બહેનને બરતરફ કર્યાં છે, પણ બનાસકાંઠાના બરતરફ થયેલ 32 શિક્ષકોની યાદીમાં ભાવનાબહેનનું નામ નથી. વાત બનાસકાંઠાની જ નથી, ખેડા, મહેસાણા, કડી, વડનગર, સૂરત એમ ઘણાં નગરોમાંથી શિક્ષકોની લાંબી ગેરહાજરીના અને વિદેશગમનના કિસ્સાઓ બહાર આવ્યા છે ને સરકાર મોડી મોડી પણ એ મામલે પગલાં ભરવા જાગી છે ખરી.

10 ઓગસ્ટે બાયડના મુખ્ય શિક્ષક આશિષ પટેલ એટલે છાપે ચડ્યા કે તેમનો વ્યવસાય બીજો જ છે ને નોકરી સ્કૂલમાં છે. સ્કૂલે ન પહોંચી વળતાં, સાહેબે તેમની જગ્યાએ એક ભાડૂતી માણસ રાખ્યો, જેથી ધંધાને વાંધો ન આવે ને શિક્ષણનું પણ પડીકું ન વળી જાય. પ્રાથમિક શાળામાં બે શિક્ષકોનું મહેકમ છે ને બંને એક જ ગામના છે એટલે એક ઘરમાં ને એક સ્કૂલમાં એમ ગાડું ગબડે છે. આશિષ સર ભલા બહુ. બાળકોનો અભ્યાસ ન બગડે એટલે એમણે ભાડૂતી માણસ રાખ્યો. કાલ ઊઠીને સરકાર જ આવા ધંધાદારી આચાર્ય માટે એક એક ભાડૂતી માણસ પ્રોવાઈડ કરે તો નવાઈ નહીં ! આમ પણ સ્કૂલોમાં ભણાવવાનું તો ખાસ રહ્યું નથી, એટલે શિક્ષકોને બદલે કારકૂનો રખાય તો ય બહુ વાંધો આવે એમ નથી. શિક્ષક હોય તો તેણે પણ કામ તો કારકૂનનું જ કરવાનું છે. પરિપત્રોના જવાબો આપવા કે ડેટા મોકલવા કે પ્રવેશોત્સવ, શિક્ષા સપ્તાહ, નારી વંદના કાર્યક્રમ જેવા એટલા કાર્યક્રમો થાય છે કે શિક્ષકોએ તેનો વીડિયો ઉતારીને કે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરવાના હોય છે. એમાં બાળકો, શિક્ષકો, આચાર્યો એમ બધાં જ જોડાય છે. હવે આવી ભાંજગડમાં ભણાવવાની જગ્યા જ ક્યાં રહે? એટલે જ શિક્ષકો સ્કૂલોમાં ઓછા ને બીજે વધારે જણાય છે. એ જ કારણે કેટલાક શિક્ષકો વિદેશ રહીને કે લાંબી રજા પર ઊતરીને પણ સ્કૂલમાં હાજરી પુરાવી શકે છે.

જો કે, અન્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શાળામાં લાંબી ગેરહાજરી ભોગવતા શિક્ષકોની તપાસના હુકમો આપ્યા છે ને કોઈ જવાબદાર હશે તો તેની સામે આકરાં પગલાં ભરવાની જાહેરાત પણ કરી છે. સુરતની શિક્ષણ સમિતિમાં પણ 3 શિક્ષકો 6 મહિનાથી ચાલુ પગારે વિદેશમાં છે. એ પણ નોટિસ પ્રક્રિયા પૂર્ણ થતાં ટર્મિનેટ થાય એમ બને. એક તરફ હજાર શિક્ષકોની ઘટ બોલે છે ને બીજી તરફ સમિતિના 100 શિક્ષકો કોઈને કોઈ બહાને વર્ગમાં ક્લાસ લેવાનું ટાળે છે. કેટલાક શિક્ષકો તો સમિતિની ઓફિસમાં જ પડ્યા પાથર્યા રહે છે. એમને શું લાભ છે તે તો તેઓ જાણે, પણ અધિકારીઓ કયા લોભે એમને સમિતિમાં પડી રહેવા દે છે તે નથી સમજાતું. બને છે એવું કે જે શિક્ષકો સ્કૂલમાં રહીને ફરજ બજાવે છે, એમને વધારાના વર્ગો લેવાનો બોજ વધે જ છે. એટલું સારું છે કે આમાં ક્યાં ય વિદ્યાર્થીઓનો વિચાર કરવાનો આવતો નથી, કારણ બીજું બખડજંતર જ એટલું હોય છે કે બાળકોનો પહેલાં તો ઠીક, છેલ્લે પણ વિચાર થતો નથી. આગળ જતાં ગેરહાજર રહેનારા ને હાજર રહેનારા શિક્ષકોની ભરતીની જુદી જુદી જાહેરાતો આવે એમ બને. એમાં પણ ભણાવનારા શિક્ષકોની ભરતી જ ન થાય એમ બને, કારણ ભણાવવાનું તો ખાસ રહ્યું જ નથીને !

દાહોદના ભીખા પટેલ કરીને એક શિક્ષકે 19 વર્ષથી નોકરી જ નથી કરી અને પગાર-ભથ્થાં લેવાનું ક્યારે ય ચૂક્યા નથી. જો કે, સુરતના શાસનાધિકારી મેહુલ પટેલે દોઢ વર્ષથી ગેરહાજર સમિતિની એક શિક્ષિકાને તમામ કાર્યવાહીને અંતે બરતરફ કરવાનો નિર્ણય લઈ લીધો છે, તો ઓગણીસ વર્ષથી નોકરી ન કરતાં દાહોદના એ શિક્ષકશ્રી સામે કોઈ પગલાં લેવાશે કે ભીનું જ સંકેલાતું રહેશે તે નથી ખબર. ગેરહાજર શિક્ષકોનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો ને ત્યાં શિક્ષણ મંત્રીએ એવો ખુલાસો કર્યો કે 2019થી 2022 સુધી અનધિકૃત રીતે ગેરહાજર રહેનાર 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ એવી માહિતી પણ આપી કે 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે અને 70 શિક્ષકો એવા છે જે ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે. એમાંથી દસેકને તો સસ્પેન્ડ પણ કરી દેવાયા છે. મીડિયા ઘણા વખતથી એ મામલે ગર્જી રહ્યું છે કે વિદેશ વસતા ને અહીં હાજરી પુરાવતા શિક્ષકો ચાલુ પગારે આવી સગવડ ભોગવી રહ્યા છે, એની સામે શિક્ષણ મંત્રીએ એવી સ્પષ્ટતા કરી છે કે એક પણ ગેરહાજર શિક્ષકને પગાર ચૂકવાયો નથી. એ વાત જુદી છે કે દાહોદના 19 વર્ષથી નોકરી ન કરતાં શિક્ષકને પગાર-ભથ્થાં ચૂકવાયાં છે.

– તો, આ પરિસ્થિતિ છે. શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષકો સરખી નોકરી કરતાં નથી. કોઈ પગાર સ્કૂલમાંથી લે છે ને ધંધો ઘરેથી કરે છે. કોઈ વર્ષો સુધી પગાર ખાઈને સ્કૂલમાં હાજર જ થતાં નથી, કોઈ લાંબી રજા પર વિદેશ ફરે છે ને અહીં શિક્ષકની હાજરી પુરાતી હોવાથી, બદલીમાં બીજો શિક્ષક પણ મુકાતો નથી ને જે હાજર છે તેની પોતાની જવાબદારી ઉપરાંત બીજાની જવાબદારી પણ તેને માથે મરાય છે. અત્યારે શિક્ષકનાં સસ્પેન્શન અને ટર્મિનેશનનો પવન ફૂંકાયો છે, એમાં ઘણાની નોકરી જાય એમ બને. શિક્ષક જાય પછી એની જગ્યાએ નવા શિક્ષક આવશે એવું લાગે છે? ઘણુંખરું નહીં આવે. ખરેખર ઘટ છે ત્યાં ભરતી થતી નથી, તો આમ એકલદોકલની વિદાય પછી નવા શિક્ષક મુકાય એ વાતમાં દમ નથી. આમ પણ શિક્ષકની પરિપત્રોએ જવાબદારી એટલી વધારી મૂકી છે કે તે ટીચર કમ અને કલાર્ક જ્યાદા થઈ ગયો છે. આ બધું જો શિક્ષણને માટે જ થતું હોય તો, ધૂળ નાખી, પણ આ બધું શિક્ષણને ભોગે થાય છે. એમાં વિદ્યાર્થીનું તો કેવળ અહિત જ થાય છે. સુરતમાં જ 100 જેટલા શિક્ષકો વર્ગમાં ભણાવવા જતા ન હોય તો તેઓ છે શેને માટે એવો સાદો સવાલ પણ કોઈ અધિકારી કે મંત્રીને થતો નથી. આ બધું પાછું પ્રાથમિક શિક્ષણમાં થાય છે એટલે પાયાનું શિક્ષણ આપવામાં જ આટલા પ્રશ્નો છે. વિદ્યાર્થીઓને શિક્ષક ન ઓળખે એ તો સમજી શકાય, પણ શિક્ષકને પણ વિદ્યાર્થીઓ ન ઓળખે એવું શક્ય છે. વર્ગમાં ભણાવે તો બાળકો શિક્ષકને ઓળખેને !

જગતના કોઈ ખૂણામાં શિક્ષણ ગુજરાત જેટલું ગૌણ નહીં થયું હોય !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑગસ્ટ 2024

Loading

ગાંધી વિરોધીઓને સાદર

હરેશ ધોળકિયા|Gandhiana, Opinion - Opinion|23 August 2024

હરેશ ધોળકિયા

અત્યારે હાલત એવી છે કે જે કંઈ થાય છે તે બધું જ સોશિયલ મીડિયા પર જ થાય છે. ભલે બહારથી ગાંધી નિર્વાણ તિથિના કાર્યક્રમો થતા હોય છે અને અંજલિઓ અપાય છે, પણ જો સોશિયલ મીડિયા પર નજર કરાય તો ગાંધી પ્રત્યેનો ધિક્કાર સતત વ્યક્ત થાય છે. અને ગોડસે તરફ સહાનુભૂતિ પણ સતત વ્યક્ત થાય છે. માત્ર ગોડસે નહીં, પણ ગાંધીની હત્યામાં જેમણે પણ ભાગ લીધો હતો તે બધાને મહાન ગણાય છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઇતિહાસનું અજબ શીર્ષાસન થઈ રહ્યું છે. જેમણે કામ કર્યું છે તેમને હલકા ચીતરવાનો સિલસિલો થાય છે અને બિનજરૂરી વ્યક્તિત્વોને વ્યર્થ મહત્ત્વ અપાય છે. આ બંને ક્રિયા સમજ્યા વિના થાય છે એ કરુણતા છે. ટીકા કે પ્રશંસા અભ્યાસપૂર્વક થાય તો વ્યક્તિને સમજવામાં મદદરૂપ થાય છે, પણ કેવળ ને કેવળ આવેશ અને ધિક્કારથી થાય તો તે વ્યક્તિને તો કશું નુકસાન નથી થતું. ધિક્કાર પ્રસરાવવાથી ગાંધી કે નહેરુને કોઈ નુકસાન નથી, પણ કરનારને ચોક્કસ થાય છે. તે એક મહાન વ્યક્તિત્વને સમજવાનો લાભ ગુમાવી બેસે છે. વ્યર્થ વ્યક્તિઓને મહત્ત્વ આપવાથી મહત્ત્વ આપનારનું મગજ પણ વ્યર્થ બની જાય છે. ગાંધીજીના સંદર્ભમાં પણ અત્યારે આવું જ થઈ રહ્યું છે.

પણ ધિક્કાર પ્રસરાવનારને ખબર નથી કે એક તો તેના અભિપ્રાયનું કોઈ જ મહત્ત્વ નથી. સોશિયલ મીડિયાના અભિપ્રાયોનું આમ પણ કોઈ મહત્ત્વ હોતું નથી. હા, કેટલાંક કાચાં ભેજાઓમાં ઝેર પ્રસરે છે તે ખોટ છે. બાકી કોઈ જ મહત્ત્વ નથી. અને ધિક્કાર પ્રસરાવનારને એ પણ ખબર નથી કે ગાંધીજી પ્રત્યે વિશ્વમાં દિન પ્રતિદિન આદર વધતો જાય છે. જેમ જેમ હિંસા વધે છે – અને તે તો દરરોજ કૂદકે અને ભૂસકે વધે છે – તેમ તેમ ગાંધી વિચારોનું મહત્ત્વ વધતું જાય છે. વિશ્વની દેવોસ જેવી આંતરરાષ્ટ્રીય મિટિંગોમાં મહત્તમ ચર્ચા ગાંધી વિચારની ઉપયોગિતા વિશે થાય છે. યુનો જેવી સંસ્થાઓ પણ ગાંધી વિશે પુષ્કળ ચર્ચાઓ કરે છે અને તેમના ઉપાયોની વ્યવહારુતાને ચકાસે છે. આ ધિક્કારવાદીઓ ક્યારેક પણ આ બધું વાંચે તો તેમને ખ્યાલ આવે કે તેઓ કેટલો સમય અને શક્તિ બગાડે છે. સોશિયલ મીડિયાને મહત્ત્વ આપનારાઓએ તેને મહત્ત્વ આપવાને બદલે વિશ્વમાં થઈ રહેલ આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. તો તેમનું મગજ વધારે ઝેરી થતાં અટકશે અને ડહાપણનો ઉદય થશે.

યુનો કે દેવોસ જેવી મોટી વાતો છોડી દઈએ. વિશ્વના કહેવાતા નાના લોકોમાં પણ ગાંધીજીનો કેવો પ્રભાવ છે તે જોઈએ. હમણાં પરંધામ આશ્રમ, પવનારથી હિંદીમાં પ્રકાશિત થતા સામયિક ‘મૈત્રી’માં એક આવો દાખલો નોંધાયો છે જે વિશ્વનો ગાંધી પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે. એક ડોક્ટરે નોંધેલ જેનો સીધો અનુવાદ અહીં આપેલ છે.

થોડાં વર્ષો પહેલાં અમેરિકામાં જોસેફ ઈર્વીન નામનો એક ટેક્સી ડ્રાઈવર હતો. પત્ની અને બે બાળકો, એ તેનો પરિવાર હતો. તે રોજ પંદર કલાક ટેક્સી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. બંને બાળકો ડૉક્ટર બને તેવાં સ્વપ્ન જોતો હતો. ૧૯૯૫માં અચાનક એક દિવસ તેના હૃદયમાં દુ:ખાવો થયો. તપાસ કરાવી તો બાયપાસ કરાવવાની સલાહ આપવામાં આવી. ખર્ચ કહ્યો, બે લાખ ડોલર. જોસેફની તે તાકાત ન હતી. હવે શું કરવું ?

તેના સદ્દનસીબે એક દિવસ તેની ટેક્સીમાં એક ભારતીય મહિલા બેઠી. નામ શ્રીદેવી સચદેવ. વાતચીતમાં તેને આ તકલીફની ખબર પડી. આ મહિલા પોતે ક્ધઝર્વેટીવ કાર્ડિયોલોજીસ્ટ હતી. એટલે કે કેવળ દવાઓથી હૃદયરોગને કાબૂમાં રાખનાર. તેણે જોસેફને બીજા દિવસે પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. તેની દવા શરૂ કરી. સદ્દનસીબે તે લાગુ પણ પડી ગઈ. જોસેફ સાજો થવા લાગ્યો. આ મહિલા ગાંધી વિચારમાં શ્રદ્ધા રાખતી હતી. જ્યારે પણ જોસેફ સારવાર માટે આવતો, ત્યારે તે તેને ગાંધીજીનું એકાદ પુસ્તક વાંચવા આપતી હતી. આ વાચનથી જોસેફ પર ગાંધી પ્રભાવ વધતો ગયો. પરિણામે દારુ, માંસ, સિગરેટ વગેરે છૂટતાં ગયાં. તે નિયમિત પ્રાર્થના કરવા લાગ્યો. તેનું જીવન હવે સાત્ત્વિક બનવા લાગ્યું. તે ફરી સોળ સત્તર કલાક ટેક્સી ચલાવવા સજ્જ થઈ ગયો. બંને સંતાનોને મેડિકલમાં પણ પ્રવેશ અપાવી શક્યો.

થોડાં વર્ષો પછી એક બીજા ભારતીય ડૉક્ટર કાકડિયા – જેમણે આ નોંધ લખી છે – અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી.માં આવ્યા. અકસ્માતે તેમને પણ આ જોસેફની જ ટેક્સી મળી. ભારતીય વ્યક્તિને જોઈ જોસેફે તેમને પૂછ્યું કે તે ભારતના કયા પ્રાંતમાંથી આવ્યા છો ? ડૉક્ટરે જવાબ આપ્યો – “ગુજરાતમાંથી.”

“ઓહ ! ગાંધીના ગુજરાતમાંથી ?” જોસેફ ગળગળો થઈને બોલ્યો, “તમે ગાંધી વિશે કંઈ જાણો છો ?”

ડૉક્ટર પણ ગાંધીપ્રેમી હતા. તે બોલ્યા, “હા, હા, ગાંધીએ તો મારી અને મારા સમગ્ર પરિવારની જિંદગી બચાવી અને બનાવી પણ છે. ગાંધી કોઈ મનુષ્ય નથી. તે તો ફરિશ્તા છે. પયગંબર છે. તે મનુષ્ય નથી, અવતાર છે.” બંનેની દોસ્તી થઈ ગઈ.

ડૉક્ટર છ વર્ષ સુધી અમેરિકામાં રહ્યા. તેમને ક્યાં ય જવું હોય તો જોસેફ ટેક્સી લઈ હાજર થઈ જતો હતો. તેમના છેલ્લા દિવસે પણ તેમને એરપોર્ટ પર મૂકવા જોસેફ જ ગયો. ડૉક્ટરે ભાડારૂપે તેના હાથમાં સો ડોલરની નોટ મૂકી. જોસેફે કહ્યું, “મને આ ડોલરની નોટ નથી જોતી. તમારી પાસે હોય તો મને ગાંધીની છબીવાળી સો રૂપિયાની નોટ આપો. હું તો ક્યારે ય ભારત નહીં આવી શકું. તમે આ ડોલરનો ઉપયોગ મને યાદ કરીને ગાંધીની જન્મભૂમિ પોરબંદર અને સાબરમતીની યાત્રા કરજો.” ડૉક્ટર પણ ગળગળા થઈ ગયા.

ભારતમાં આવી ડૉક્ટરે જોસેફને ગાંધીજીનાં અંગ્રેજી પુસ્તકો, એક ખાદીની સાડી અને ત્રણ વાનરોની પ્રતિકૃતિ મોકલી.

સમય જતાં બંને વચ્ચે સંપર્ક ઓછો થતો ગયો. બાર વર્ષ નીકળી ગયાં.

બાર વર્ષ પછી ડૉક્ટરને ફરી એક વાર અમેરિકા જવાનો પ્રસંગ ઊભો થયો. અમેરિકા પહોંચતાં જ તેમણે જોસેફનો સંપર્ક કર્યો. જોસેફ તો મળવા ન આવ્યો, પણ તેનો પુત્ર માર્થિન ડૉક્ટરને મળવા આવ્યો. તેણે કહ્યું કે જોસેફનું મૃત્યુ થઈ ગયું હતું. પણ તેણે ડૉક્ટરને આગ્રહપૂર્વક પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. બીજા દિવસે ડૉક્ટર જોસેફના ઘેર ગયા. ઘરમાં ફરતા હતા તો તેમણે એક દૃશ્ય જોયું. જોસેફના પૂજાઘરમાં ઈશુની મૂર્તિ સાથે ગાંધીજીની છબીવાળી સો રૂપિયાની નોટ કાચની ફ્રેમમાં જાળવી રાખી હતી. તેની પાસે ક્રોસ હતું અને સાથે ત્રણ વાનરની પ્રતિકૃતિ રાખી હતી. પછી તેણે જોસેફની અંતિમ વિધિના ફોટાનું આલ્બમ બતાવ્યું તો તેમાં તેના શરીર પર ખાદીની સાડી ઓઢાડી હતી. ડૉક્ટર તો જોઈને ચકિત થઈ ગયા.

તે તેની કબર પર અંજલિ આપવા ગયા તો બીજું આશ્ચર્ય જોયું. જોયું તો કબર પર કૂચ કરતા ગાંધીજીની છબી અને કબરના પથ્થર પર ગાંધીના ચરખાનું ચિત્ર હતું.

વિદેશનો એક સામાન્ય કહેવાતો ટેક્સી ડ્રાઈવર જે સમજી શક્યો હતો તે આપણા ધિક્કાર-પ્રેમીઓ નથી સમજી શકતા. ભારતની કમનસીબી જ એ રહી છે કે તે પોતાના મહાન લોકોને ક્યારે પણ ઓળખી શક્યું નથી. આપણે મહાનોની પૂજા કે ધિક્કાર કરી શકીએ છીએ, પણ તેમને સમજવાનો ક્યારે ય પ્રયાસ નથી કરતા. વેદાંતથી ગાંધી સુધીનો બધાનો સાચો લાભ આ દુષ્ટ કહેવાતા ભૌતિકવાદી પશ્ચિમના લોકોએ લીધો છે અને આજે પણ લે છે.

વિશ્વગુરુઓ કરતાં તો આ ટેક્સી ડ્રાઈવર ચડિયાતો ન ગણી શકાય ?

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑગસ્ટ 2024; પૃ. 09 તેમ જ 15

Loading

કાઓરીને પત્ર

નારાયણ દેસાઈ|Gandhiana, Opinion - Opinion|22 August 2024

(કાઓરી કુરીહારા એક જાપાનીઝ યુવતી. ગાંધી વિચાર-દર્શનમાં વિશેષ રુચિ. આથી ગાંધીજીને જાણવા-સમજવા ખાસ ભારત આવી. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં રહી અને ગાંધીદર્શન પર પીએચ.ડી. કર્યું. ગાંધીજીને વધુ સમજવા ખાસ ગુજરાતી શીખી. નારાયણભાઈ દેસાઈની ગાંધીકથા ય સાંભળતી-માર્ગદર્શન મેળવતી.  – સંપાદક, “ભૂમિપુત્ર”)

જાપાનમાં સુનામી આવી અને દરિયાકિનારે જ આવેલ અણુમથક એમાં સપડાયેલું. સૌ લોકો ચિંતિત હતા. ત્યારે કાઓરીએ કેટલાક પ્રશ્ર્નો પૂછેલા તેના જવાબરૂપે આ પત્ર લખાયો હતો. તેના કેટલાક અંશો.

પ્યારી પુત્રી કાઓરી,

કાઓરી કુરીહારા અને નારાયણ દેસાઈ

તારી સાથે ઓળખાણ હતી એટલે જેવું સાંભળ્યું કે તારો દેશ એકસાથે ત્રણ મોટાં સંકટોમાં ફસાયો છે, તેવું જ મારું મન તારા ભણી દોડી ગયું. મેં જ્યારે તારા ઘરનાં સંબંધીઓ અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેં તો મને એક ગંભીર પ્રશ્ન પૂછીને વિચાર કરતો કરી મૂક્યો. તેં સાવ સહજભાવે મને પૂછ્યું કે જો આજે ગાંધીજી હોત તો જાપાનના લોકો શું કહેત ? તારે સારુ આ પ્રશ્ન સ્વાભાવિક છે, કારણ તને ગાંધીજીમાં ઊંડો રસ છે. અને તું જાણે છે કે હું ગાંધીજીના ખોળામાં રમ્યો છું પણ મારે માટે આ પ્રશ્ન કઠણ છે. એટલા માટે કે :

૧. મને એમ થાય કે આવા પ્રશ્નનો જવાબ આપવાનો મારો અધિકાર કેટલો ? અને

૨. ગાંધી તો નિત્યવિકાસશીલ વ્યક્તિ હતા. એમને ગયાને પણ કેટલાં ય વર્ષો થઈ ગયાં. મેં એમને જોયા-જાણ્યા તેને આધારે જવાબ આપું, પણ તેઓ તો આટલાં વર્ષોમાં ક્યાંયના ક્યાં ય આગળ વધી ગયા હોત. એટલે મારો જવાબ કદાચ જુનવાણી પણ બની જાય !

પહેલી વારની ચેતવણી આપણને – આખી માણસજાતને હિરોશીમા-નાગાસાકીમાં મળી ગઈ હતી. પણ દુનિયા આખીએ આવી તેજાબી ચેતવણી આગળ આંખ આડા કાન કર્યા. ત્યાર પછીના દાયકાઓ સુધી આપણી માણસજાતે એકબીજાની સામે મૉતનાં શસ્ત્રોના ખડકલા જ કર્યે રાખ્યા. અને પાછું એને રૂપાળું નામ આપ્યું “શીત યુદ્ધ” ! વળી પરમાણુ શસ્ત્રો અને પરમાણુ ઊર્જાનો સંબંધ “ચોલી દામન” હતો. એ આપણે ન સમજ્યા. પરમાણુ શસ્ત્રના શિકાર બનેલા તમારા દુર્ભાગી દેશે એ જ રસ્તો લીધો. “શાંતિ માટે અણુ” એ તો પોતાની લાજ છુપાવવા માટેનું, કહેવાતી વિકસિત દુનિયાનું એક મોટું બહાનું જ હતું. હવે તો એ પુરવાર થઈ ચૂકેલી વાત છે કે પરમાણુ ઊર્જા સ્વચ્છ નથી, સસ્તી નથી અને સલામત તો હરગિજ નથી.

તમારા દેશે અણુઊર્જા પાછળ દોટ મૂકવાનું સ્વીકાર્યું તેની પાછળ કદાચ નીચેનાં કારણો હોઈ શકે :

૧. તમારી પાસે ઊર્જા મેળવવાના બીજા સ્રોતો પ્રમાણમાં ઓછા હતા.

૨. વિકાસ એટલે જરૂરિયાતો વધારવી, એ વ્યાખ્યા તમારા નીતિ – નિર્ધારકોને મનમાં વસી ગઈ હતી. અને એવા વિકાસની હોડમાં તમારે બને એટલા આગળ રહેવું હતું.

૩. આપણી નજર “પશ્ચિમ” ભણી જ રહી. એની આપણે એટલી હદ સુધી હરીફાઈ કરી કે એનાં મૂલ્યો, એની જીવનશૈલી, એની આખી સંસ્કૃતિ જ આપણો આદર્શ બની ગઈ અને આપણે આપણું આગવાપણું વિસારીને પશ્ચિમની નકલમાં લાગી ગયા અને કેટલીક બાબતમાં તો એને આંટી પણ ગયા.

૪. આપણે એમ જ માનીને ચાલ્યા કે અમારી ટેકનોલોજી તો કદી ભૂલ, થાપ ખાય જ નહીં. આપણા પહેલાં બીજા એકથી વધારે મોટા દેશોએ પણ આમ જ માન્યું હતું અને ખસૂસ ભૂલો કરી હતી. તોયે આપણે પોતાને કદી ભૂલ ન કરનારા માનતા રહ્યા. “માણસ માત્ર ભૂલને પાત્ર” એટલી સાધારણ બુદ્ધિને આપણે અળગી જ રાખી.

અમર્યાદ સંપત્તિ, નિરંકુશ સત્તા અને હદબહારની મહત્ત્વાકાંક્ષા – આ ત્રણ આપણા સમાજને નષ્ટ કરનાર ત્રિદોષ છે. એને કાબૂમાં રાખવા માણસે પોતાની મનોવૃત્તિ ફેરવવી પડશે. લોભ, સત્તાકાંક્ષા અને અહંકારને જીતવા આપણે સતત પ્રયત્ન કરતા રહેવો પડશે. સમાજનાં મૂલ્યો બદલવા સારુ છેવટે તો વ્યક્તિની મનોવૃત્તિ જ બદલવાની રહેશે. ઈર્ષા, મહત્ત્વાકાંક્ષા અને યુદ્ધને પ્રેરણા આપનાર સ્પર્ધાને બદલે આપણે પરસ્પર કાળજી રાખતો અને સુખદુ:ખ વહેંચતો caring – દરકાર રાખનાર અને sharing – સહભાગી થનાર સમાજ ઊભો કરવો પડશે.

આપણા સમાજના માળખામાં આપણે એવા ફેરફાર કરવા પડશે કે જેથી સમાજના સંચાલનમાં સમાજના દરેક સભ્યની ભાગીદારી થાય. એ ભાગીદારીનો દરેક સભ્ય લાભ પણ ઉઠાવતો હોય અને એને સારુ જરૂરી એવી ફરજ પણ એ અદા કરતો હોય.

જ્યાં લોકો એકબીજાને નિકટથી ઓળખતા હોય એવા સમુદાયમાં જ આ શક્ય છે. માટે આપણી નવી સમાજરચનાની ગોઠવણ નાના સમુદાયોવાળી કરવી પડશે. આને માટે ઘણાં સામાજિક નિરીક્ષણો ને પ્રયોગો  કરવાં પડશે. તમારી નવી પેઢીનું આ કામ છે. અમારી જૂની પેઢી જ્યાં સુધી સમાજને લઈ ગઈ છે, ત્યાંથી આગળ લઈ જવાનું કામ તમારું છે. માણસજાતના ઇતિહાસમાં તમને આને મળતા કેટલાક દાખલાઓ મળી આવશે. તમારું કામ એનું અધ્યયન કરીને એમની વ્યવસ્થામાંથી સમાજને ટકાવનાર તકો શોધી કાઢીને એને વિકસાવવાનું રહેશે. અલબત્ત આપણે જે નવી વ્યવસ્થા ઊભી કરવી છે તે કોઈ પુરાણી વ્યવસ્થાની નકલ તો નહીં જ હોય. આપણો પ્રયાસ પુરાણી વ્યવસ્થામાંથી સમાજપોષક તત્ત્વો શોધી કાઢીને તેની કલમ નવી વ્યવસ્થાના પડકાર સાથે કરવાનો હોવો જોઈએ.

કામ ભલે થોડું કે નાનું હોય, પણ તે સતત થતું રહેવું જોઈએ. સાતત્ય કામને જે શક્તિ આપે છે તેવી શક્તિ કેટલીક વાર આંદોલન પણ નથી આપી શકતાં. ધ્યેય ઊંચું રાખવું, પણ આંખો સામે નાનાં, પણ સિદ્ધ થાય એવાં લક્ષ્ય રાખવાં.

આજની જટિલ પરિસ્થિતિનો વિચાર કરતાં સમૂળગું પરિવર્તન કરવાની વાત સાવ સહેલી નથી, એ હું સ્વીકારું છું. પણ આદર્શ તો એવો જ હોય ને કે જે પહોંચમાં હોય, પણ પકડમાં ન હોય ! તો જ એને સારુ પરાક્રમ કરવાની પ્રેરણા થાય.

વ્યક્તિગત સજ્જતા જો તમે ઉપર જણાવ્યા તે મુદ્દાઓ મુજબ સાધી, એની સાથેસાથે જ સમાજ પરિવર્તન સારુ નીચેના રસ્તાઓ લેવા જોઈએ એમ મને લાગે છે :

૧. સૌથી પહેલાં તો આજની પરિસ્થિતિમાં રહેલાં એવાં તત્ત્વો જે નૈતિક, સાંસ્કૃતિક કે અન્ય વિષયોમાં જીવન-મરણની કટોકટી ઊભી કરે છે, અને ભવિષ્યમાં કરી શકે એમ છે તે બાબત ખૂબ મોટા પ્રમાણમાં લોકજાગરણ થવું જોઈએ. આ કામ વ્યાપક લોકશિક્ષણ દ્વારા જ થઈ શકે. એને સારુ પ્રચાર અને માધ્યમોનો પણ ઉપયોગ થઈ શકે. અને લોકજાગરણના નવાં વૈકલ્પિક માધ્યમોની શોધ પણ થવી જોઈએ. સમાજનો વિવેક જગાવવો એ પરિવર્તનનું પહેલું પગલું છે.

૨. ત્યારબાદ લોકોની શક્તિ સંગઠિત થવી જોઈએ. સંગઠન સત્તા કબજે કરવા સારુ નહીં. સત્તા કબજે કરીને પરિવર્તનનો પ્રયત્ન એ સાચો ક્રાંતિકારી પ્રયત્ન નથી. મોટેભાગે તો આવા પ્રયાસથી ચાલુ વ્યવસ્થા જ વધુ મજબૂત થતી હોય છે. નવું અને નક્કર સંગઠન તો નીચેથી ઉપર, નાના નાના સમુદાયોમાં, ગામડાઓમાં અને મહોલ્લાઓમાં ઊભું થશે.

૩. વ્યવસ્થાને બદલવા જતાં ઠેક ઠેકાણે એનાં સ્થાપિત હિતો દ્વારા વિરોધ થશે. એમને તો દુનિયા સામે ગમે તેવું સંકટ આવીને ઊભું હોય, તો પણ તેમાંથી પોતાનું હિત જ સાધવું હોય છે. એમની સામે શીંગડાં માંડવા જનારે એ વાસ્તવિકતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે સ્થાપિત હિતો સંખ્યામાં ભલે નાનાં હોય, પણ તે સંપત્તિવાન છે, સત્તાવાન છે, અને સંચારનાં ઘણાંખરાં માધ્યમો પર અંકુશ છે. સંઘર્ષ કઠણ અને લાંબો થઈ શકે છે. આ બાજુ પરિવર્તન ઇચ્છનારાઓની મોટામાં મોટી શક્તિ લોકશક્તિ છે. એ શક્તિ લાંબા ગાળાના સંઘર્ષમાં છેવટ લગી તો જ ટકી રહે કે જો (અ) એમનામાં ફાટફૂટ ન પડે, (આ) શુદ્ધ સાધનોના ઉપયોગ કરવાના આગ્રહમાં તે મક્કમ હોય અને (ઈ) એને શુદ્ધ ચારિત્ર્યવાળું અને કુશળ નેતૃત્વ મળે. મને વિશ્વાસ છે કે તમારી સુસંસ્કારી, શિસ્તબદ્ધ અને ટકી રહેનારી પ્રજામાંથી જ આવું નેતૃત્વ તમને મળી રહેશે.

બહેન, તારા નાના પ્રશ્નનો મેં બાપુને નામે, લાંબો જવાબ આપ્યો, ક્ષમા કરજે. સાચો જવાબ તો તારા જેવા તરુણ તરુણીઓએ શોધવાનો છે. એની પાછળ અખૂટ શ્રદ્ધા અને વિલક્ષણ કાર્યક્ષમતા જોઈશે. તમારી વાદ-મુક્ત બુદ્ધિ અને વિકારશુદ્ધ હૃદય તમને જવાબ શોધવામાં જરૂર કામ લાગશે. કાળે આપણી સામે કટોકટી ખડી કરી છે. એ કટોકટી જ આપણને વિચાર કરવા પ્રેરશે અને છેવટે સર્વમંગલકારી શક્તિ જ આપણને પુરુષાર્થ કરવા પણ પ્રેરશે એવી શ્રદ્ધા સાથે.

તમારામાં માનવીનું ભાવિ ભાળતો તારો દાદાજી …

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑગસ્ટ 2024; પૃ. 07-08

Loading

...102030...459460461462...470480490...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved