Opinion Magazine
Number of visits: 9557158
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુ.એસ.ની ચૂંટણીમાં ગર્ભપાતના અધિકારનો મુદ્દો 

નેહા શાહ|Opinion - Opinion|13 November 2024

નેહા શાહ

વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ હોવાના નાતે અમેરિકાના રાષ્ટ્ર-પ્રમુખની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પ  ચૂંટાઈ બીજી વખત અમેરિકાના રાષ્ટ્ર-પ્રમુખ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. નવા પ્રમુખની સાથે ઘણું બદલાશે અને સાથે બદલાશે મહિલાઓ ને સલામત ગર્ભપાતનો અધિકાર. 

આ ચૂંટણીમાં વધતો ફુગાવો, બેરોજગારી, સ્થળાંતર, કે  આરોગ્ય સુવિધા જેટલો જ ચર્ચાયેલો રાજકીય મુદ્દો ગર્ભપાતના અધિકારનો હતો. વિશ્વમાં આધુનિક ગણાતા, અને ઉદારવાદી  મૂલ્યો  માટે જાણીતા સમાજમાં ગર્ભપાતનો અધિકાર ૨૦૨૪માં પણ અગત્યનો ચૂંટણીનો મુદ્દો હતો તે તો કેવી વિડંબના! જગતને માનવ અધિકારની દુહાઈ આપનાર દેશનું રાજકારણ પોતાની મહિલા નાગરિકોના ગર્ભપાત જેવા મૂળભૂત માનવ અધિકાર સંદર્ભે વહેંચાયેલું છે. એના નામે મત માંગી શકાય એટલા મતદાતા બંને અભિપ્રાયના પક્ષે છે! અમેરિકાના બંને પ્રમુખ પક્ષો આ સંદર્ભે વહેંચાયેલા છે – ડેમોક્રેટિક પક્ષ ગર્ભપાત માટે યોગ્ય આરોગ્યની સુવિધા પૂરી પાડવાની હિમાયત કરે છે, જ્યારે રિપબ્લિકન પક્ષ ન જન્મેલા બાળકના જન્મ લેવાના અધિકારની વાત કરે છે, એમના મતાનુસાર ગર્ભપાત એ માનવ હત્યા બરાબર છે. કેથોલીક ખ્રિસ્તી સમાજ પહેલેથી ગર્ભપાતનો વિરોધી રહ્યો છે જેમનું રિપબ્લિકન પક્ષને સમર્થન છે. આમ, યુ.એસ.નું રાજકારણ ‘જીવનના અધિકાર તરફી’ અને ‘પસંદગીના અધિકાર તરફી’ એમ બે જૂથમાં વહેંચાયેલું છે. 

ગર્ભપાતનો મુદ્દો હંમેશાંથી અમેરિકામાં જાહેર ચર્ચાનો વિષય રહ્યો છે અને અમેરિકનો એ માટે હંમેશાં ભાવુક રહ્યા છે. ૨૦૨૨માં આ મુદ્દાએ ફરીથી જોર પકડ્યું, જ્યારે સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં ગર્ભપાતને બંધારણીય હક ના ગણવાનો ચુકાદો આપ્યો. આ ચુકાદો મહિલાઓના અધિકાર સંદર્ભે એક અગત્યની પીછેહઠ હતી કારણ કે ૧૯૭૩ના એક ઐતિહાસિક ચુકાદામાં યુ.એસ.ની સર્વોચ્ચ અદાલત ગર્ભપાતને બંધારણીય હક માની ચૂકી હતી. એટલે ૨૦૨૨માં સર્વોચ્ચ અદાલતે એ પ્રગતિશીલ ચુકાદાને ફેરવ્યો અને દરેક રાજ્યને પોતાના આગવા કાયદા રાખવાની જોગવાઈને મંજૂરી આપી. આ સાથે તેર રાજ્યોમાં ગર્ભપાતને ગેરકાનૂની ગણતા કાયદા અમલમાં આવ્યા. અન્ય આઠ રાજ્યોમાં આંશિક પ્રતિબંધ આવ્યા. કેન્ટકી અને લુઝિયાના જેવા રાજ્યોમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલા માટે પણ ગર્ભપાત ગેરકાનૂની છે. કમલા હેરિસે પોતાના પ્રચારમાં ગર્ભપાતના અધિકારને ઘણું મહત્ત્વ આપ્યું અને કહ્યું કે મહિલાઓના અધિકારને પુન:સ્થાપિત કરવા તે બનતું કરશે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે  એમના પહેલી ટર્મ દરમ્યાન સુપ્રીમ કોર્ટના એ ન્યાયાધીશોને નિમવા બદલ ગર્વ લીધો જેમણે ૨૦૨૨નો ચુકાદો આપ્યો. 

આધુનિક જીવન સાથે ‘ભ્રૂણનાં જીવનના અધિકાર’ના નામે ગર્ભપાતનો વિરોધ મેળ ખાતો નથી. જીવનના અધિકારની વાત નૈતિક રીતે જેટલી સોહામણી લાગે છે એટલી છે નહીં, કારણ કે બાળક રૂપી અવતરતા નવા જીવનની જવાબદારી માતાના ખભે આવે છે, જો માતા બાળકને ના ઇચ્છતી હોય તો પણ. વણમાંગ્યા બાળકનો ઉછેર શું એ જરૂરી પ્રેમ અને કાળજીથી કરશે? એ માટે શું કોઈને પણ ફરજ પાડવી શક્ય છે? અહીં, સ્ત્રીના પોતાના જીવન પરના અધિકારની સામે ન જન્મેલા બાળકના અધિકાર વચ્ચે પસંદગી કરવાની આવે છે. જ્યારે વર્તમાન સમયમાં મહિલાઓના જીવનનો ઉદ્દેશ્ય માત્ર સંતાન પ્રાપ્તિ અને કુટુંબની કાળજી પૂરતો સીમિત નથી રહ્યો. કારકિર્દીનું મહત્ત્વ પુરુષ જેટલું જ સ્ત્રીઓ માટે પણ છે. આવડત અને અભ્યાસનો યોગ્ય ઉપયોગ થાય, જેનું સમાજમાં યોગદાન હોય એ મહત્ત્વાકાંક્ષા માનવ સહજ છે. એમાં સ્ત્રી અને પુરુષના પાડેલા ભેદ માનવ સર્જિત છે. જ્યાં અને જ્યારે સ્ત્રીઓને મોકો મળ્યો છે એ બધા ક્ષેત્રોમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે એમાં હવે કશું સાબિત કરવાનું બચ્યું નથી. જરૂર છે માત્ર યોગ્ય મોકો મળે એવું વાતાવરણ ઊભું કરવાની. અને, માત્ર કારકિર્દીના નામે જ શા માટે, એ સિવાય પણ જો કોઈ સ્ત્રી બાળકની જવાબદારી ઇચ્છતી ન હોય તો એને એ અધિકાર હોવો જોઈએ. શરીર સ્ત્રીનું છે, જીવન સ્ત્રીનું છે તો શરીરમાં રહેલા ગર્ભને રાખવો કે નકારવો એ અધિકાર પણ જે તે સ્ત્રીનો જ હોવો જોઈએ. ક્યારેક ગર્ભપાતથી માતાના શરીરને જોખમ ઊભું થવાની શક્યતા હોય તો એ કિસ્સામાં નિર્ણય ડોક્ટરે લેવાનો હોય. કોર્ટે નહીં. પણ, સ્ત્રીની પ્રજનન શક્તિ પરનું નિયંત્રણ એ પિતૃસત્તાક વ્યવસ્થાના પાયામાં છે.  

ભારતની કોર્ટ ગર્ભપાતના સંદર્ભે મોટાભાગે પ્રગતિશીલ વલણ અપનાવી રહી છે એ રાહતની વાત છે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે એક બળાત્કારની પીડિતાની ગર્ભપાત માટેની અરજીને મંજૂરી આપતા કહ્યું કે સ્ત્રીના શરીર પર સ્ત્રીનો અધિકાર છે. જો આ કિસ્સો બળાત્કારનો ના હોત તો કોર્ટનું વલણ શું હોત એ કહેવું મુશ્કેલ છે. કારણ કે, આધુનિક અને પ્રગતિશીલ સમાજમાં પણ અવારનવાર રૂઢિવાદી જુવાળ આવતા રહે છે જેમાં સ્ત્રી વિરોધી વલણ દેખાતા રહે છે.

સૌજન્ય : નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ટાઈમ ટુ પ્રાયોરિટાઈઝ મેન્ટલ હેલ્થ એટ વર્કપ્લેસ : વિશ્વ માનસિક આરોગ્ય દિનની ઘોષણા

સોનલ પરીખ|Opinion - Opinion|13 November 2024

પહેલા માણસ જીવવા માટે કામ કરતો હતો, આજનો માણસ કામ કરવા માટે જીવે છે. કામ આપણને આખા આખા ગળી જાય છે. જીવલેણ મહત્ત્વાકાંક્ષા, ગળાકાપ હરીફાઈ, હંફાવી દે તેવી ઉંદરદોડ, ડરાવી તેવી અસુરક્ષા, ત્રાસ આપે તેવું ઓફિસ–પોલિટિક્સ, ક્ષમતા કરતાં વધુ ભારણ – કશું સરળ નથી – યસ,  ઈટ ઈઝ ટાઈમ ટુ પ્રાયોરિટાઈઝ મેન્ટલ હેલ્થ એટ વર્કપ્લેસ …  

સોનલ પરીખ

છેલ્લાં થોડાં વર્ષોમાં માનસિક સ્વાસ્થ્ય વિષે જાગૃતિ વધી છે. તેમાં પણ કોવિડને કારણે આખા વિશ્વના લોકો માનસિક તાણ-ત્રાસનો ભોગ બન્યા અને એની અસરો આત્મહત્યા, ઘરેલુ હિંસા કે ડિપ્રેશન રૂપે વ્યાપક બની ત્યાર પછી લોકો માનસિક સ્વાસ્થ્યને વધારે ગંભીરતાથી લેવા લાગ્યા છે. આમ છતાં માનસિક સ્વાસ્થ્ય હજી પણ આપણા માટે પડકાર છે કારણ કે તેના વિષે આપણામાં જાગૃતિ ઓછી છે. આપણને શરદી કે તાવ આવે, કેન્સર પણ થઈ જાય તો આપણે એણે છુપાવતા નથી, સલાહ લઈએ છીએ, સારવાર કરાવીએ છીએ જ્યારે ડિપ્રેશન કે એંકઝાયટી કે સ્ટ્રેસ જેવી તકલીફો પર દુર્લક્ષ કરીએ છીએ. તકલીફ વધી જાય તો જાણે કોઈ નિષિદ્ધ, વર્જિત, શાપિત, કલંકરૂપ સ્થિતિ હોય એમ કોચલામાં પુરાઈ જઈએ છીએ અને સારવાર કરવાનું જેમ બને તેમ ટાળીએ છીએ.

એક જ પરિવારમાં માનસિક સમસ્યાના બે સાચા કિસ્સા બન્યા છે તે અત્યારે નોંધવાનું મન થાય છે. સુરેશભાઈને સ્ક્રિઝોફેનિયા હતો. પરણ્યા, સંતાનો કર્યાં પણ ન સંબંધોના ઊંડાણને સમજી શક્યા, ન કોઈ જાતની જવાબદારી લઈ શક્યા. ઘરના લોકોની સમજાવટ, સાથસહકાર આપવાની તૈયારી, છતાં એ ડૉક્ટર પાસે જવા તૈયાર જ ન થયા. બીમારી ઘર કરી ગઈ. કુટુંબ વર્ષો સુધી ખૂબ હેરાન થયું ને ધીરે ધીરે વિખેરાઈ ગયું. આજે 70 વર્ષના સુરેશભાઇ એકલા છે. એમને અવાજો સંભળાય છે, અસંબદ્ધ વાતો કરે છે. અવ્યવસ્થિત, ગંદા, ઘરમાં અંધારું કરીને પુરાઈ રહે છે. આ જ સુરેશભાઈના 32 વર્ષના દીકરાને એંકઝાયટી થઈ. એણે જોયું કે અતાર્કિક, અકારણ વધારે પડતી ચિંતા થાય છે, મન ઊંચું રહે છે અને વિચારો પર કાબૂ રાખી શકાતો નથી ત્યારે તેણે તરત જ એક સકાયાટ્રિસ્ટની મદદ લીધી અને થોડા મહિનામાં નોર્મલ થઈ ગયો. ઘરમાં અને કામની જગ્યાએ તેને સમજદારીભર્યો સાથ મળ્યો એ ખરું, પણ તે સાજો થયો તેનું સૌથી મોટું કારણ એ હતું કે તે પોતાની તકલીફ સમજ્યો, એને સ્વીકારી અને મોડું થવા દીધા વિના, છુપાવ્યા વિના, શબ્દો ચોર્યા વિના કુટુંબને અને પોતાની ટીમને એ તકલીફ જણાવી. હું એવા એકથી વધારે લોકોને ઓળખું છું જેઓ કોરોના દરમ્યાન ડિપ્રેશન કે સ્ટ્રેસનો ભોગ બન્યા હોય અને ઓનલાઈન સેશન્સ લઈ પોતાને સંભાળી લીધા હોય.

એક વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોય તો તેની અસર તેના કુટુંબ, તેનો સમાજ અને તેના કામ પર પડે છે. દરેકની એ ફરજ છે કે પોતાના મનને સ્વસ્થ, તંદુરસ્ત રાખવું અને કોઈ માનસિક તકલીફથી પીડાતું હોય તો તેને બુદ્ધિપૂર્વકનો સાથ આપવો. જે જાતની જિંદગી આપણે જીવી રહ્યા છીએ, અને જે જાતની આપણી માનસિકતા છે તે માનસિક સમસ્યાઓને કાયમી આમંત્રણ જેવી છે. તેથી જ મનોચિકિત્સકો ‘લાઈફસ્ટાઈલ ચેન્જ’ અને ‘માઈન્ડસેટ ચેન્જ’ બંને પર ભાર મૂકે છે.

માનસિક સ્વસ્થ વ્યક્તિ પ્રસન્ન હોય છે, જીવનના પડકારોને ઝીલવા સક્ષમ હોય છે અને સમાજને માટે કઇંક સારું કરવા તત્પર હોય છે. દર વર્ષે 10 ઓકટોબરે વિશ્વ માનસિક આરોગ્ય દિન, જે તે વર્ષની વિશ્વસ્તરની પરિસ્થિતિ અનુસાર થીમ સાથે ઉજવાય છે. આ વર્ષની થીમ છે ‘ઈટ ઈઝ ટાઈમ ટુ પ્રાયોરિટાઈઝ મેન્ટલ હેલ્થ એટ વર્કપ્લેસ.’ વર્લ્ડ ફેડરેશન ઑફ મેન્ટલ હેલ્થના સભ્યો, શેરહોલ્ડરો અને સમર્થકોના મતદાનથી થીમ નક્કી થાય છે. આ વર્ષે એમને કામની જગ્યાએ માનસિક સ્વાસ્થ્ય પર ભાર મૂકવાની જરૂર લાગી છે કેમ કે તેનાથી કંપનીઓની ઉત્પાદકતા, હાજરી, એકંદર કાર્યક્ષમતા અને વ્યક્તિના અંગત અને પારિવારિક જીવન પર સીધી અસર થાય છે.

સર્વેક્ષણો મુજબ 47 ટકા લોકોના સ્ટ્રેસનું સૌથી મોટું કારણ વર્કપ્લેસ સ્ટ્રેસ છે. સ્ટ્રેસના બે પ્રકાર છે : ઍક્યુટ  અને ક્રોનિક. થોડા સમય માટેનું હોય એને ઍક્યુટ સ્ટ્રેસ કહે છે જ્યારે જે લાંબા સમય સુધી ચાલે એને ક્રોનિક સ્ટ્રેસ કહે છે. મોટા ભાગે એવું જોવા મળે છે કે ઍક્યુટ સ્ટ્રેસ આગળ જતાં ક્રોનિક સ્ટ્રેસમાં પરિણમે છે. વર્કપ્લેસ સ્ટ્રેસનાં કારણોમાં કામનું ભારણ, ડેડલાઈન્સ, અયોગ્ય ટીમ કલ્ચર, નોકરીની અસલામતી, ઓછું વેતન અને કદરનો અભાવ મુખ્ય છે. વધારે પડતી અપેક્ષા રાખવામાં આવતી હોય અને અપેક્ષાઓ એકબીજા સાથે મેળ પડે તેવી ન હોય, કામ કેવી રીતે – ક્યારે કરવું એનો પૂરતો કંટ્રોલ ન હોય, ટીમ અને મેનેજર પાસેથી પ્રોત્સાહન કે સાથ ન મળતાં હોય, કામની જગ્યાએ સુમેળભર્યા સંબંધોનો અભાવ હોય, પોતાની ભૂમિકા કે જવાબદારી અંગે કે પછી કંપની કેવાં સંજોગો અને પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે એ અંગે પૂરતી સ્પષ્ટતા ન હોય, કામની જગ્યા અસુવિધાભરી કે ખટપટવાળી હોય, કામ માટે યોગ્ય તાલીમ કે કુશળતા ન હોય, લાંબા કલાકો, ફરતી રહેતી શિફ્ટ, અપૂરતા વર્ક-બ્રેક, કર્મચારીનાં કૌશલ્ય સાથે મેળ ન ખાય તેવી, અર્થહીન કે જટિલ કામગીરી, સારી તક ન મળવી, ઓફિસમાં રમાતું રાજકારણ, ભેદભાવ, શોષણ આ બધાની નકારાત્મક અસર કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર થાય છે.

લાંબા સમય સુધી આવું ચાલે તો વ્યક્તિ તાણ અનુભવવા લાગે છે અને પોતાને દૂર રાખવાની વૃત્તિનો ભોગ બને છે. કામ કરવાની પ્રેરણા ચાલી જાય છે. પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસ ચાલ્યાં જાય છે. ક્યારેક આક્રમક, ક્યારેક રડમસ, ક્યારેક આળો બની જાય છે. આ સ્થિતિનો સામનો કરવા માટે પોતાની સંભાળ રાખતાં શીખવું જોઈશે. તંદુરસ્ત આહાર, પૂરતી ઊંઘ, કસરત, ધ્યાન, મિત્રો-પરિવાર સાથે સરસ સમય વીતાવવો, શરીરમનને સમયાંતરે થોડો આરામ ખૂબ જરૂરી છે. એટલું જ જરૂરી છે સીમા નક્કી કરવાનું. નક્કી કરો કે તમે તમારી વર્ક શિફ્ટ સિવાય ઓફિસના કામમાં કેટલો સમય આપી શકો છો – ઓફિસનાં કામ માટે 24 કલાક ઉપલબ્ધ રહેવાથી માનસિક થાક વધે છે અને કામની પૂરી કદર થતી નથી એવું લાગે છે.

મનોચિકિત્સકો કહે છે કે કામ તો લોકો પહેલા પણ કરતા, આજે પણ કરે છે પણ ફરક એ છે કે પહેલા માણસ જીવવા માટે કામ કરતો હતો, આજનો માણસ કામ કરવા માટે જીવે છે. એટલે તકલીફ એક કલાક કે એક દિવસની નથી, કાયમી છે. કામ આપણને આખાને ગળી જાય છે. આપણી પાસે પોતાના અને પરિવાર માટેનો સમય નથી. જીવલેણ મહત્ત્વાકાંક્ષા, ગળાકાપ હરીફાઈ, હંફાવી દે તેવી ઉંદરદોડ, ડરાવી તેવી અસુરક્ષા,  ઓફિસ-પોલિટિક્સ, ક્ષમતા કરતાં વધુ ભારણ – કશું સરળ નથી.

આર્થિક અસ્થિરતાનો માહોલ અને સફળતા પાછળની અંધ દોટનો શિકાર કંપનીઓ પોતાના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ નથી તેનું આ પરિણામ છે. કર્મચારીઓ સખત દબાણ, સતત સંઘર્ષ અનુભવતા હોય અને હાજર હોવા છતાં ગેરહાજર જેવી સ્થિતિમાં હોય તો કંપનીને નુકસાન થાય જ. એક સર્વેક્ષણ કહે છે કે ભારતની કંપનીઓ કર્મચારીઓની ખરાબ માનસિક સ્થિતિને કારણે વર્ષે અબજો ડોલરનું નુકસાન ભોગવે છે. કેટલીક કંપનીઓ આ સત્ય સમજવા લાગી છે અને કાઉન્સેલિંગ, જિમ, વેલનેસ પ્રોગ્રામ્સ, સહકારભર્યું વાતાવરણ, યોગ્ય તાલીમ, મદદરૂપ નીતિઓ, સ્ટ્રેસ મેનેજમેન્ટ – ટાઈમ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન વગેરેનું આયોજન કરતી રહે છે.

‘ક્રિએટિંગ એ મેન્ટલી હેલ્ધી વર્કપ્લેસ બિગિન્સ વિથ રેકગ્નાઈઝિંગ એવરીવન્સ સ્ટ્રગલ્સ, ઇવન ઇફ ઈટ ઈઝ નોટ વિઝિબલ.’ ઉદ્યોગો, કંપનીઓ અને મેનેજમેન્ટ આ સત્ય સમજે તો તેમને અને તેમના કર્મચારીઓને ફાયદો થાય.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 ઑક્ટોબર  2024

Loading

વિનોબા : નારાયણભાઈની કલમે

સંકલન : ભદ્રા-વિક્રમ સવાઈ|Gandhiana|13 November 2024

જે પિતાનો વારસો એકનો સવા કરી જાણે, તેણે વારસો દીપાવ્યો ગણાય. ગાંધીજીનું જીવન એટલું બધું વૈવિધ્યપૂર્ણ હતું કે એમના સમગ્ર વારસાને સવાયો કરીને દીપાવનાર ભવિષ્યમાં ક્યારેક આવશે એમ કહેવું પડે. પરંતુ વિચાર અને આચરણના ક્ષેત્રમાં કેટલેક અંશે પોતાની રીતે, શોભાવનારા ગણ્યાગાંઠ્યા લોકોમાં વિનોબા પ્રથમ પંક્તિના હતા.

ગાંધીજીના જીવનમાં અસંખ્ય લોકો એવા આવ્યા છે, જે તેમનાથી પ્રભાવિત થયા હતા. થોડાક એવા પણ આવ્યા છે, જેનાથી ગાંધીજી પ્રભાવિત થયા હતા. આમ પરસ્પર પ્રભાવ પાડનાર લોકોમાં વિનોબા અનન્ય હતા.

વિનોબાની ગાંધીજીને પકડવાની રીત આગવી હતી. ‘નવજીવન’ કે ‘હરિજન’માં લખેલું ગાંધીજીનું લખાણ વિનોબા અક્ષરે અક્ષર વાંચતા. ગાંધીજીના કેટલાક લેખો પ્રશ્નોત્તર શૈલીમાં લખાતા. આવા લેખોને વિનોબા પોતાના મનોયત્નનું સાધન બનાવતા. પહેલાં માત્ર પ્રશ્નો વાંચી લે. ઉત્તર તરફ નજર ન કરે. પછી એ પ્રશ્નોના જવાબ પોતાના મનમાં વિચારે. પછી ગાંધીજીના જવાબો જોડે પોતાના ઉત્તરને મેળવી જુએ. ચિત્તશુદ્ધિ, રચનાત્મક કાર્યો, સત્યાગ્રહ આ ત્રણે બાબતોમાં ગાંધીજીને સમજવાની આ રીત વિનોબાને ઉપયોગી થઈ પડતી. વિનોબાએ, ગાંધીજીના સત્ય-અહિંસા આ દ્વિશબ્દી મંત્રની જગ્યાએ સત્ય-પ્રેમ-કરુણાનું ત્રિશબ્દી સૂત્ર આગળ ધર્યું. તે અહિંસાને વિધેયાત્મક સ્વરૂપમાં પ્રગટ કરવા સારુ. કરુણામાં દયા સાથે કૃતિનો ભાવ પણ આવે છે. બીજાના સુખથી સુખી થવામાં પ્રેમ છે અને બીજાના દુ:ખથી દુ:ખી થવામાં કરુણા છે.

૧૯૨૩માં ઝંડા સત્યાગ્રહ વખતે વિનોબા પહેલી વાર જેલમાં ગયા. ‘ભારત છોડો’ આંદોલન વખતે છેલ્લી વાર જેલમાં ગયા. વચમાં ચાર વાર તેમણે જેલ ભોગવેલી. એમ કુલ સાડા પાંચ વર્ષ જેલમાં ગાળેલાં. ગાંધીજીની કલ્પના મુજબનું સત્યાગ્રહી કેદી તરીકેનું જીવન વિનોબાને પ્રકૃતિ-સિદ્ધ હતું. રાજાજીએ લખેલું, “જુઓ પેલો વિનોબા ! દેવદૂત જેવો એમનો પવિત્ર આત્મા. વિદ્વત્તા, તત્ત્વજ્ઞાન અને ધર્મનાં ઊંચાં શિખરો પર વિહરે છે. અને છતાં એ મહાન આત્માએ ધારણ કરેલી વિનમ્રતા એટલી આબાદ છે અને દિલની સચ્ચાઈ એટલી તો સહજ છે કે અમલદાર એમને જાણતો ન હોય તેને તો એમની મહાનતાની ગંધ સરખીયે ન આવે ! જેલરે એમને જે વર્ગમાં મૂક્યા છે, તે વર્ગની ઠરાવેલી મજૂરી મુજબના પથરા તેઓ બરાબર ફોડે છે. કોઈને ખબર પણ નથી પડતી કે એ માણસ મૂંગે મોંએ કેટકેટલી શારીરિક યંત્રણા સહન કરી રહ્યો છે ! એમના પ્રત્યે જે વર્તણૂક થઈ રહી છે, તે સાંભળી અમને તો કમકમાટી છૂટી ગઈ ….”

રચનાત્મક ક્ષેત્રે તત્ત્વનિષ્ઠાના ઉદાહરણ તરીકે તકલી પર કાંતતા. જેટલી મજૂરી મળે તેનાથી જીવનયાપન કરવાનું વિનોબાએ નક્કી કરેલું. ઋષિખેતી અને કાંચનમુક્તિનો પ્રયોગ પણ કર્યો હતો. વિનોબાનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હતું. એમનામાં ઘણી મૌલિકતા હતી. સહેજે કોઈથી પ્રભાવિત થાય એવા નહોતા. ગાંધીજી પાસેથી વિનોબાને વ્યક્તિગત મોક્ષસાધના અને સામાજિક ક્રાંતિનો સમન્વય મળ્યો. સંતોના ઉપદેશ અને જમાનાની માગ, ગાંધીજીમાં વિનોબાએ એક થતાં જોયાં.

સત્યાગ્રહને વિનોબાજીએ માત્ર સંઘર્ષના એક સાધન તરીકે નહીં, પણ જીવનનિષ્ઠા તરીકે પરિભાષિત કર્યું. સત્યાગ્રહની દિશા તીવ્રથી તીવ્રતર ને તીવ્રતમ તરફની નહીં, પણ સૌમ્યથી સૌમ્યતર અને સૌમ્યતમ તરફની હોવી જોઈએ. એટલે કે સામા પક્ષ પર ઉત્તરોત્તર વધુ દબાણ લાવવું એ સત્યાગ્રહની રીત નથી. વિનોબાએ પ્રતિરોધી પ્રેમ એવો શબ્દ આપેલો. એ જ રીતે નિર્ભયતાનો અર્થ એમણે કરેલો કે આપણે કોઈથી ન ડરીએ અને કોઈને ડરાવીએ નહીં – બંને મળીને નિર્ભયતા બને છે. પોતાની જાતને દેહથી ભિન્ન જોવામાં જ નિર્ભયતા છે.

વિનોબા સ્વરાજોત્તર કાળના ગાંધીવિચારની કડી સમાન હતા. ગાંધીની વિચારયાત્રાને વિનોબાએ પોતાની મૌલિક રીતે આગળ ચલાવી. ગાંધીજીના જવાથી ખાસ કરીને દેશના રચનાત્મક કાર્યકરોમાં આવેલો શૂન્યાવકાશ તેમણે ભર્યો. દેશની આગળ આર્થિક, સામાજિક, નૈતિક ક્રાંતિનાં વિચારબીજ ગાંધીજીએ ‘લોક સેવા સંઘ’ની યોજના દ્વારા મૂકેલાં. વિનોબાજીએ ‘સામ્યયોગ’ એવો શબ્દ યોજીને રાજનીતિને બદલે લોકનીતિ ઊભી કરવાનું સૂચન કર્યું. ભૂદાન-ગ્રામદાન-ગ્રામ સ્વરાજ આંદોલન ચરિતાર્થ કરવાના કાર્યક્રમો પણ આપ્યા.

વિનોબા આધ્યાત્મિક રીતે એટલી ઊંચાઈએ પહોંચેલા કે તેમણે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકરભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગદર્શન, તે ઉપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિકસૂત્ર, યાજ્ઞવલ્કયસ્મૃતિ વગેરે ગ્રંથોનો અભ્યાસ કરેલો. ધૂળિયા જેલમાં હતા ત્યારે જ ‘ગીતાઈ’ની પ્રથમ આવૃત્તિ છપાઈ. આજે તેની અનેક આવૃત્તિઓ થઈ છે. ધૂળિયાની જેલ પહેલાં એ અનુવાદ થઈ ગયો હતો. જેલમાં એને છેલ્લો ઘાટ અપાયો. માતૃસ્મરણમાં એને ‘ગીતાઈ’ નામ આપ્યું. ગાંધીજીના ચૌદ વરસના સહવાસમાં પણ એકાંતપ્રિય રહેલા વિનોબા સર્વલભ્ય ઉપાસના કરતા થઈ ગયા હતા.

‘ગીતાઈ’ જો મહારાષ્ટ્ર સારુ હતી તો ‘ગીતા પ્રવચનો’ આખા દેશને સારુ અને અમુક અંશે આખા જગત માટે હતાં. જે આજે ભારતની બધી મુખ્ય ભાષાઓ ઉપરાંત વિશ્વની પણ અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂક્યાં છે. આ બે ગ્રંથો દ્વારા વિનોબાએ ભારતીય સંસ્કૃતિના પોતાના છોડ પર ગાંધીની કલમ ચડાવી હતી અને ગાંધીજીની હયાતીમાં જ એમનો વારસો શોભાવ્યો હતો.

તકલી દ્વારા સ્વાવલંબનના પ્રયોગમાં વિનોબા એવા ગૂંથાઈ ગયા કે શરીર સાચવવાનું પણ ભાન ન રહ્યું. વિનોબાનું વજન ૨૦-૨૫ રતલ જેટલું ઘટી ગયું. વિનોબાજીનું કૃશ શરીર જોઈને મિત્રોએ ગાંધીજી આગળ રાવ ખાધી. ગાંધીજીએ પ્રેમાધિકાર ચલાવ્યો. એ પ્રયોગ બંધ કરાવ્યો. શરીર સુધારવા હવાફેર કરવા સૂચવ્યું. વિનોબાએ આજ્ઞા માથે ચડાવી પણ હવાફેર પોતાની રીતે કર્યો. હવાફેર કરવા તેઓ પંચમઢી-દેવલાલી કે માથેરાન ન ગયા. પોતે જ્યાં હતા ત્યાંથી ૫-૬ કિલોમીટર દૂર ધામ નદીને પેલે પાર જમનાલાલજીનો એક બંગલો હતો ત્યાં જવાનું ઠરાવ્યું. ગાંધીજી જાણતા હતા કે વિનોબા આનાથી વધુ મચક આપે એમ નથી. એટલે એ વિચાર મંજૂર રાખ્યો. પણ શરત કરી કે ત્યાં જઈને આરામ લેવાનો છે. આરામ એટલે સંપૂર્ણ આરામ. કંઈ કામ કરવાનું નહીં. અને ચિંતન પણ નહીં કરવાનું. વિનોબાએ એ શરત મંજૂર રાખી અને પોતાની દૃષ્ટિએ અર્થ કર્યો. ધામ નદી ઓળંગતી વખતે મનમાં તેમણે ત્રણ વાર ઉચ્ચારણ કર્યું : સંન્યસ્તં મયા, સંન્યસ્તં મયા, સંન્યસ્તં મયા. અને જીવવા પૂરતી ખાવાપીવા, નહાવાધોવા જેવી પ્રવૃત્તિઓ સિવાય બીજી બધી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી અને વિચારો વિશે પણ શૂન્યતા સાધી.

શૂન્ય મહલમેં દિયના બારિલે

આસન સે મત ડોલ રે – તોહે પીવ મિલેંગે.

એ દિવસોનું વર્ણન કરતાં એક વાર વિનોબાએ આ લેખકને (નારાયણભાઈને) કહેલું : ‘સ્થિતિ એવી હતી કે હું કશાય વિશે સભાન નહોતો. ક્યાંક બેસવું હોય તો પહેલાં જગા ઉપર હાથનો પંજો પછાડી જોઈ લેવું પડે કે ક્યાં છું !’ કામનો ભાર નહીં. દૂધનું પ્રમાણ વધારેલું. ૧૦ માસમાં વજન વધીને ૧૨૮ રતલ સુધી પહોંચી ગયું !

આવા હૃદયસ્થ વિનોબાએ ગાંધીજીમાં હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિનો સમન્વય જોયેલો. આવી વિચક્ષણ પ્રતિભાને તેમની પુણ્યતિથિએ શત શત નમન.

(‘મારું જીવન એ જ મારી વાણી’ ખંડ-૩ના આધારે.)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 નવેમ્બર 2024; પૃ. 07 તેમ જ 11

Loading

...102030...447448449450...460470480...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved