Opinion Magazine
Number of visits: 9456940
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેન્કો ગ્રાહકોને માણસ ગણે તો ય ઘણું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 September 2024

રવીન્દ્ર પારેખ

અપવાદો હશે જ ને બેન્કો ગ્રાહકો સાથે માણસાઈથી વર્તતી પણ હશે, પણ બેન્કો મોટે ભાગે ગ્રાહકોને ગણકારતી નથી, એવી ફરિયાદો વ્યાપક છે. એ ખરું કે બધે જ સ્ટાફ ઓછો રાખીને વિકાસના બણગાં ફૂંકાતા રહે છે, પરિણામે વાસ્તવિક સ્થિતિનો અણસાર ઉપલા સ્તરે પહોંચતો નથી, પણ જે ગ્રાહકો બેન્કનો સીધો સામનો કરે છે એમનો અનુભવ સંતોષજનક નથી તે નક્કી છે.

શનિવારે આવેલા એક સમાચાર જોઈએ. કોલકાતામાં બસ ખરીદવા દેબાશિષ રૉય ચૌધરીએ 15.15 લાખની લોન બેન્ક ઓફ ઇન્ડિયામાંથી લીધી. લોન ભરવામાં ગરબડ થતાં બેન્કનાં રિકવરી એજન્ટે બસ જપ્ત કરી. લોનની પતાવટ થયા પછી બસ પાછી મળી જવી જોઈતી હતી, પણ રિકવરી એજન્ટે બસ પરત ન કરતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ફરિયાદ થતાં રિકવરી એજન્ટે વાહન પરત તો કર્યું, પણ તે ક્ષતિગ્રસ્ત હતું ને તેનાં ચેસિસ અને એન્જિન નંબર બદલાયેલાં હતાં. સુપ્રીમ કોર્ટે રિકવરી એજન્ટની ઝાટકણી કાઢતાં કહ્યું કે રિકવરી એજન્ટ વાસ્તવમાં ગુંડાઓનું એક ગ્રૂપ લાગે છે, જે અરજદાર બેન્ક વતી લોન લેનારને બાહુબળ વડે પરેશાન કરે છે. આકરી ટિપ્પણી કરવાની સાથે કોર્ટે અરજદારને વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. આ રકમ રિકવરી એજન્ટ પાસેથી વસૂલવાનું બેન્ક ઓફ ઇન્ડિયાને કોર્ટે રોકડું પરખાવ્યું છે. રિકવરી એજન્ટ કંપની મેસર્સ સિટી ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ સામે, વાહન યોગ્ય સ્થિતિમાં પરત ન કરાયું હોવાથી FIR દાખલ કરવામાં આવી હતી. તે સંદર્ભે સુપ્રીમ કોર્ટે સંબંધિત વિસ્તારના પોલીસ કમિશનરને કોઈ પણ વિલંબ વગર કાર્યવાહી કરવાનો આદેશ આપતા જણાવ્યું કે પોલીસ બે મહિનામાં ચાર્જશીટ દાખલ કરશે અને ટ્રાયલ કોર્ટ તેની નોંધ લેશે તથા કાયદા અનુસાર આગળ વધશે.

સુપ્રીમ કોર્ટ સુધી વાત પહોંચી ત્યાં સુધી બેન્કની ભૂમિકા કેવી રહી હશે તે સમજવાનું અઘરું નથી અને રિકવરી એજન્ટને ગુંડા તરીકે કોર્ટે ઓળખાવ્યા તે પરથી પણ લોન ધારકો સાથેનો તેમનો વ્યવહાર કેવો હશે તે સમજી શકાય એવો છે. આમ પણ ગ્રાહકો સાથેનો બેન્કોનો વ્યવહાર ખાસો ઉદાસીન હોય છે. ગાંધીજી જેવાએ ગ્રાહકનું માન જાળવવા કસ્ટમર ઈઝ ઓલવેઝ રાઇટ કહ્યું હતું, પણ તે હવે આઉટ ડેટેડ થઈ ગયેલું લાગે છે. હવે કષ્ટથી મરે તે કસ્ટમર એવી વ્યાખ્યા દૃઢ થતી આવે છે. સામાન્ય ગ્રાહક બેંકમાં દાખલ થાય ત્યારથી જ બેંકમાં આવી પડવા બદલ પસ્તાતો હોય છે, કારણ તેને ભાગ્યે જ કોઈ સ્ટાફ એટેન્ડ કરવા રાજી હોય છે. તે એટલે પણ કે સ્ટાફ જ એટલો ઓછો હોય છે કે કોઈ એટેન્ડ કરવા ઈચ્છે તો પણ તેમ કરી ન શકે. આવી અવગણના જે તે બેન્કના રિટાયર્ડ સ્ટાફની જે તે બ્રાન્ચમાં પણ થાય છે. ઘણીવાર તો ઓળખીતો સ્ટાફ બદલાઈ ચૂક્યો હોય અને નવો સ્ટાફ કામમાં જ ‘એવો’ વ્યસ્ત હોય છે કે નવી ઓળખાણ કરવાનો તેની પાસે સમય જ રહેતો નથી. બેન્કો KYCની વિધિ પૂરી કરવા ગ્રાહકનો ફોટો કે આધાર કાર્ડ કે પાન કાર્ડની ઝેરોક્સ લઈ તો લે છે, પણ ગ્રાહક કે તેનો ફોટો ભાગ્યે જ ધ્યાનથી જોવાતો હશે. આમ KYC-KNOW YOUR CUSTOMER-માં હેતુ ગ્રાહકને જાણવાનો હોય છે, પણ ગ્રાહક જણાઈ ન જાય એની ખાસી ચિંતા બેન્કો કરતી હોય છે. સ્ટાફ એટલો યાંત્રિક રીતે વર્તતો હોય છે કે ગ્રાહક પોતાને સતત ઉપેક્ષિત જ અનુભવે છે. કદાચ સેન્સિટિવ સ્ટાફની જરૂર રહી નથી એટલે જ ક્યાંક હવે રોબોટ્સથી કામ લેવાય છે.

સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટના લેજર સાથે કે કેશ કાઉન્ટર પર ગ્રાહકો સાથે જે સીધો સંપર્ક સ્ટાફનો થતો હતો તે કોમ્પ્યુટર આવતાં ઘટી ગયો છે. કેશ પણ એ.ટી.એમ. આવતાં કાઉન્ટર પરથી નાની રકમ લેવાની રહી નથી. એને લીધે પણ ગ્રાહક દૂર થઈ ગયો હોય કે ગ્રાહકને દૂર રાખવા જ આવી પદ્ધતિ અપનાવાઈ હોય એમ બને. એ ખરું કે કાઉન્ટરો પર લાઇન લાગતી હતી, તે ઓછી થઈ ગઈ, પણ ત્યારે નહોતી થઈ એથી વધુ અવગણના હવે લાઇન નથી ત્યારે ગ્રાહકોની થાય છે.

આટલું ઓછું હોય તેમ ઓનલાઈન બેન્કિંગ થતાં ગ્રાહકો પોતે જ મોબાઈલ પર પૈસા ઉપાડતા કે ટ્રાન્સફરનો વ્યવહાર કરતા થયા છે, એટલે ગ્રાહકને જાણવાની બહુ જરૂર જ રહી નથી. થોડાં વર્ષો પર બ્રાન્ચ હેડ ગ્રાહકો સાથે મીટિંગ કરતાં ને ત્યાં ગ્રાહકો પોતાની મુશ્કેલીઓ રજૂ કરી શકતા. હવે એ થાય છે કે કેમ તે ખબર નથી, પણ ગ્રાહકો સાથેનો બેન્કોનો સંપર્ક ઘટ્યો છે. એ સાથે રકમ ઉપાડવા પર શરતો ને ચાર્જિસ લાગુ થયા છે. એક સમય હતો જ્યારે આ શરતો ન હતી ને ગમે તેટલી રકમ ગ્રાહક ઉપાડી શકતો. મોટી રકમ હોય તો કરન્સી ચેસ્ટમાંથી રકમ ઉપાડીને ગ્રાહકને અપાતી. આ સંપર્ક લગભગ તૂટ્યો. પાસ બુક હાથેથી લખીને અપાતી તેને બદલે પાસ બુકનાં પ્રિન્ટર્સ એ કામ કરતાં થયાં. આટલી સગવડો વધી, પણ તે દેખાવની જ રહી, કારણ મોટે ભાગે તો એ.ટી.એમ. કે પાસબુક પ્રિન્ટર્સ ચાલુ હાલતમાં હોતાં જ નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં બેન્કની સર્વિસ ઘટી છે ને ચાર્જિસ વધ્યા છે. એક સમય હતો જ્યારે ગ્રાહક ખાતું બંધ કરવાનું કહેતો, તો બેન્ક ગ્રાહક ગુમાવવા રાજી ન થતી. તે ગ્રાહકોને સાચવવા મથતી. હવે ખાતું ખૂલે કે બંધ થાય, બેન્કો નિર્લેપ ભાવે બધું સ્વીકારી લે છે. એટલું સારું છે કે સ્ટાફ તરીકે હજી માણસો રખાય છે ને બેન્કોના HRD ડિપાર્ટમેન્ટ શરૂ થવાનો લાભ એ થયો કે સ્ટાફ મશીનની જેમ નિર્લેપ ભાવે કામ કરતો થયો છે.

વચ્ચે એવો પવન ફૂંકાયો કે બેન્કો એડવાન્સિસ પર વધારે ધ્યાન આપતી થઈ. બલકે, તેને એમ કરવાની ફરજ પાડવામાં આવી. એને લીધે ડિપોઝિટ્સ પર ધ્યાન ઘટ્યું. ડિપોઝિટ્સના રેટ્સ પણ ઘટ્યા. ગ્રાહકો પણ ક્યાંથી વધુ વળતર મળે એની વેતરણમાં પડ્યા. લોન સસ્તી થઈ એટલે લોનનો ઉપાડ વધ્યો ને હવે એવી સ્થિતિ આવી છે કે બેન્કોની ડિપોઝિટ્સ ઘટવા લાગી છે ને ગુજરાતની જ વાત કરીએ તો કો-ઓપરેટિવ બેન્કો પાસે લોન આપવાના પૈસા ખૂટવા માંડ્યા છે. રાજ્યની ટોપ 10 બેંકમાં 3 મહિનામાં 915 કરોડની ડિપોઝિટ ઘટ્યાના સમાચાર મહિના પર જ આવ્યા હતા. રિઝર્વ બેન્ક ગ્રાહકોને સતર્કતાના ઉપદેશો આપતી રહે છે, પણ તેની પાસે બેન્કોને સતર્ક રહેવા અંગે કૈં કહેવાનું નથી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં જી.ડી.પી. ઘટીને 6.7 ટકા થયો છે. નાણાંકીય વર્ષ 2023-‘24નાં પ્રથમ ક્વાર્ટરમાં જી.ડી.પી. 8.2 ટકા હતો ને છેલ્લા ક્વાર્ટરમાં 7.8 ટકા હતો ને હવે 15 મહિનાની નીચલી સપાટીએ (6.7 ટકાએ) પહોંચ્યો છે તે સૂચક છે.

એક વસ્તુ સ્પષ્ટ છે કે કોઈ પણ બેન્કને ગ્રાહકોની અવગણના મોડી વહેલી ભારે પડવાની છે. ગ્રાહકો વગર કોઈ બેન્ક ટકે એ વાતમાં દમ નથી. ગ્રાહકો તો રસ્તો કરી જ લે છે. તે વધુ વળતર મળે એટલે બેન્કોને બદલે બોન્ડ્સ કે મ્યુચ્યુઅલ ફંડ કે શેર બજાર તરફ નજર દોડાવે જ છે, પણ એની અસરો એ પડી છે કે બેન્કોની ડિપોઝિટ ઘટવા લાગી છે.

ત્રણેક મહિનામાં જ ગુજરાતીઓની બેન્ક ડિપોઝિટ 15,000 કરોડ ઘટી ગઈ છે. ગુજરાતમાં આ સ્થિતિ હોય તો અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ કૈં બહુ સારી નહીં જ હોય. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી – SLBC-ના રિપોર્ટ મુજબ માર્ચ, 2024માં ગુજરાતીઓની ડિપોઝિટ 12.42 લાખ કરોડ રૂપિયા હતી, તે જૂન, 2024માં 12.27 લાખ કરોડ થઈ ગઈ છે. સીધો 15,000 કરોડનો ઘટાડો ને તે પણ ત્રણ જ મહિનામાં ! એ દરમિયાન ગુજરાતમાં 1 લાખથી વધુ લોકોએ 13 હજાર કરોડની હોમ લોન લીધી છે, એટલું જ નહીં, 7,000થી વધુ વિદ્યાર્થીઓએ 466 કરોડની એજ્યુકેશન લોન લીધી છે. આમ તો ગુજરાતીઓએ 10.41 લાખ કરોડની લોન લીધી છે, તેમાંથી 32,231 કરોડની લોન નોન-પરફોર્મિંગ એસેટ્સ-NPA થઈ છે. માત્ર ત્રણ મહિનામાં જ 643 કરોડની NPA વધી છે. ગુજરાતનાં 31 જિલ્લા કલેક્ટરો પાસે 395 કરોડની લોનના ડિફોલ્ટર્સની મિલકતો ટાંચમાં લેવાની 883 અરજીઓ પડતર છે.

તો, આ સ્થિતિ છે. બેન્કોએ ડિપોઝિટ્સ આકર્ષવા માટે ગંભીર પ્રયત્નો કરવા પડે એમ છે અને એ ગ્રાહકોની અવગણનાથી તો શક્ય જ નથી. ગ્રાહકો સાથે સંપર્કો વધારીને જ ડિપોઝિટ્સ વધારી શકાય એ સમજી લેવાનું રહે. બેન્કો લોનના ટાર્ગેટ આપે છે એમ જ ડિપોઝિટસના ટાર્ગેટ પણ તેણે આપવા પડે. બેંકમાં આવેલા ગ્રાહકને સ્મશાન વૈરાગ્ય આવે એવી સ્થિતિ ઇચ્છનીય નથી. બેન્કો ગ્રાહકો માટે પણ હોય છે એ વાત બેન્કોને યાદ અપાવવી પડે એ દુ:ખદ છે. કો-ઓપરેટિવ બેન્કો પાસે લોન આપવાના પૈસા નથી, એ સ્થિતિ શિડ્યુલ્ડ બેન્કોની ન થાય તેમ ઈચ્છીએ. ગ્રાહકો કેટલા જોખમી છે એ તો વધતાં NPAના આંકડા પરથી ખબર પડે જ છે, પણ ઘણા ગ્રાહકો સાચવવા જેવા પણ હોય છે, તે ધ્યાનમાં રાખવા જેવું  છે. ગ્રાહક છેવટે તો માણસ છે ને તેને માણસ ગણવાનું સૌજન્ય બેન્કો દાખવે એ અપેક્ષિત છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 સપ્ટેમ્બર 2024

Loading

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૬)

સુમન શાહ|Opinion - Literature|2 September 2024

વિભૂતિમત્ અને ઊર્જિતની આ આરાધના ઉમાશંકરમાં, પછી તો, વધુ ને વધુ ભાવે વ્યક્તિમત્-ની કવિતા બનતી આવી છે. ઉમાશંકરની સૃષ્ટિમાં, જેમ ગાંધીમાં નૂતન મનુષ્યનો સંભવ સ્ફુર્યો હતો, માત્ર સ્વાતન્ત્ર્યનો નહીં, માનવીની સર્વાંગી મુક્તિનો સંકેત વિલસ્યો હતો, તેમ હવે અધ્યાત્મનો પ્રવેશ થાય છે. જો કે પરને વિશે એ અધ્યાત્મ ઠીક ઠીક સમય લગી મુખરિત રહ્યું છે અને સ્વને વિશે અનુચ્ચરિત રહ્યું છે. ‘આત્માનાં ખંડેર’ વ્યક્તિમત્-નું કાવ્ય છે, પણ ત્યાંસુધી એમની સૃષ્ટિમાં ‘હું’-ની જાણે કશી સાવયવ પ્રતીતિ મળતી નથી. 

સારસ–બેલડી — Love Sarus Crane

જેમ કે, એમનાં ચિન્તનોર્મિ અને પ્રણયોર્મિ કાવ્યો જુઓ, મોટે ભાગે સૉનેટ્સ. ૧૯૩૧-માં જ કવિને, કાવ્યનાયકને, થાય છે કે પ્રકૃતિમાં સારસબેલડીનો જે ‘મીઠો બેવડ નાદ’ (૪૧) છે, તે સુણીને, એ દામ્પત્યગાથા સુણીને, બેસી નથી રહેવાનું. એટલે પ્રશ્ન થયેલો કે ‘વ્હેવું જગે એકલ, સાથમાં વા?’ (૪૧). વાત પ્રણયની હોય છતાં ‘હું’ એ બધી પૂર્વસમયની આભાથી વિયુક્ત થયો નથી. એમનો નાયક અજંપાભરી કુણ્ઠા અનુભવે છે, દમિત ભાવ આનુભવે છે, કેમ કે એને થાય છે,  પ્રણયમાં બીજાના ઉરને જીતી-વળગીને બેસી નથી રહેવાનું! નાયકને એમ પણ થાય છે કે જીવતર એક કલહ હોય અને માનવજાત પણ વ્યથિત હોય, ત્યારે પોતાને જીવવાનો જ કશો કોડ નથી. એ હૃદયદવથી પોતે તો બળે જ છે, પણ ત્યારે પ્રણયલબ્ધિને ય એક ‘સાન્ત્વના’ જ લેખે છે, જો કે, કહે છે ખરો, ‘મધ્યાહ્ને યે મને તું હૃદયદવ શમાવંતી લાધી સુજ્યોત્સના’, (૧૪૦). 

કવિએ ‘પ્રણયધબક’ (૧૪૮) કાવ્યમાં, ‘પ્રણયના અણબૂઝ્યા અનલ’-ને અયુત મન્વન્તરોનો, ભૂત માત્રનો, પ્રકૃતિ સમસ્તનો વ્યાપક સંદર્ભ આપ્યો છે. દર્શાવે છે કે પ્રણયધબક તે ભૂત, વર્તમાન અને ભાવિના ‘પ્રજ્ઞામનુજયુગલોની’ રસકલા છે. પ્રણયનું એવા ઓછા વૈયક્તિક સ્વરૂપને કારણે એક દૃષ્ટિદોર ઊભો થાય છે, એક એવી ભૂમિકા રચાય છે, જે પર સમષ્ટિપ્રેમ માટેનું કાવ્ય ‘વિરાટ પ્રણય’ કવિ ખુશીથી સરજી શકે છે. ‘પ્રણયસપ્તક’-માં પત્રો, નયનો વગેરેની ભાવ-નિબિડતા ઊભી થઈ છે ખરી, પણ ત્યાંયે નાયક અફસોસ અનુભવે છે. એને થાય છે, ચોપાસ તુમુલ હિંસા છે, વિનાશ છે, ભૂખ્યાં મનુજોની ચીસો છે, ત્યારે પોતે ‘પ્રણયની બિન બજાવે છે’! જો કે, એવા સંજોગો વચ્ચે ય એ પ્રીતિની કંઈક કદર કરવા ઉદ્યુક્ત થયો છે ખરો, (૩૩૨). 

‘અવર’-ની શાન્તિ કાજે સ્વના સમર્પણની આ વાત એ રીતે વ્યવધાનમુક્ત નથી થઈ શકી. એમનામાંના કવિને કવનનો પણ ખાસ મહિમા વસતો નથી, કેમ કે, ‘આ પૃથ્વીની જ રાખોડી… / સમગ્ર ઇતિહાસ પે ઊડીને પિછોડી આચ્છાદશે, એવી એને દહેશત છે. એમનો નાયક તો એને ‘ઓરતા’ જ ગણે છે, (૧૨૯). છતાં, કવિ આત્મસંતોષ લે છે, એવું કહીને કે આવતી પેઢીઓની શી કસૂર છે કે કવન ન કરવું, (૧૩૦). જો કે ‘કવિધર્મ’ કાવ્યમાં, કલાકારસહજ શ્રદ્ધા દઢ થઈ છે ખરી, એમ કે કવિનો શબ્દ ‘સંજીવની’ બની શકે છે, (૩૬૬). તો ‘કવિ’ કાવ્યમાં, ‘તે’ અને ‘હું’-ને કવિવ્યક્તિત્વનાં બે અંગ કહ્યાં છે, તેમાં પણ સંભવિત છે. એ બન્ને વચ્ચે આલેખાયેલો લાક્ષણિક સંવાદ કવિધર્મ શું હોઈ શકે એ અંગે સૂચક નીવડ્યો છે, (૩૬૮).

આમ નાયક, કાવ્ય અને પ્રણય બેયને એવી સમીક્ષાબુદ્ધિથી વર્યો છે. સમર્પણને વિશેની એની એ પ્રતિબદ્ધતા એ વરસોમાં સવિશેષભાવે, અને પછી એક નૉંધપાત્ર પરિબળ તરીકે ઉમાશંકરમાં વિલસતી રહી છે.

‘અવર’-થી ‘હું’ લગભગ વિયુક્ત નથી, એ જોતાં, ઉમાશંકરના નિદર્શનમાં, એ ‘હું’-ને એ ભૂમિકાએ કલ્પવો જ ન જોઈએ. છતાં, એમનામાં એ સમષ્ટિપરક વિશ્વ સંકોચાતું આવ્યું છે : ‘ઘાણીનું ગીત’ (૫૨), ‘હથોડાનું ગીત’ (૫૨), ‘દળણાંનાં દાણા’ (૬૭), ‘ધોબી’ (૮૫). ‘મોચી’ (૧૧૦), ‘વાંસળી વેચનારો’ (૧૭૧), ‘ગુંદર વીણનાર’ (૧૭૫) જેવી રચનાઓ વિશ્વતોમુખી પ્રેમધારાની રાષ્ટ્ર-વિરાટ ચેતનાની ભૂમિકાએ લખાયેલી રચનાઓ ભાસે છે, તો પણ, એને પેલા પ્રારમ્ભિક સમષ્ટિમૂલ્યની સમીક્ષક ગણીએ તો ખોટું નહીં. એટલું જ નહીં, નૉંધવું જોઈએ કે એવા વિષયોને વરેલી રચનાઓને પરિણામે, ગુજરાતી કવિતાક્ષેત્ર વધુ ને વધુ વાસ્તવલક્ષી બની રહ્યું’તું.

‘બળતાં પાણી‘ —

‘બળતાં પાણી’ એનું ચોખ્ખું નિદર્શન છે. એમાં, ‘પાસેનાં’-ને વિશેનો તીવ્ર પ્રશ્ન ઊપસ્યો છે, એમાં એક એવું વાસ્તવદર્શન હતું જેમાં ભાવનાઓ અને આદર્શોની ભભકનું નિરસન વાંચી શકાય. 

‘જઠરાગ્નિ‘ —

ઉમાશંકરે આકારેલા એ ‘હું’-નો ફુત્કાર ‘જઠરાગ્નિ’-માં પેલી સત્ય-પ્રતીતિ વિશે એમના ચિત્તમાં કદાચ પહેલી વાર પ્રશ્ન ખડો કરે છે, (૪૦). ઉમાશંકરે ‘મંગલ શબ્દ’-ના આરાધક તરીકે નહીં, કે ગાંધી જેવી વિરાટ વિભૂતિની છાયામાં ય નહીં, પણ એક કલાકારની વિલક્ષણ છટાથી, પોતાના જ હું-ના જોસ્સાથી એમાં ‘રચો, રચો’ -નો ધિક્કાર અને બેપરવાઈનો કાકુ ઉપસાવ્યો હતો, અને એ સ્વરૂપે રચનાની પ્રત્યક્ષતાને સિદ્ધ કરી હતી. નિશિત છતાં સરળ કાવ્યબાનીનું એ જોમ પરમ્પરાપ્રાપ્ત કાવ્યપ્રકાર અને કાવ્યમાધ્યમની પાળો વચ્ચે પણ ખીલ્યું હતું. એમાં એમની અધિકૃતતાનું રસાયન ભળ્યું છે. એને નિતાન્ત ઉમાશંકરીય ઉન્મેષ ગણવો જોઇશે.

(ક્રમશ:)
(02/09/24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રમેશ ર. દવેને જન્મદિવસની શુભેચ્છા

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|1 September 2024

રમેશ ર. દવે

જેમના સાહિત્યકાર હોવાનો મને ક્યારે ય ભાર લાગ્યો નથી, એવા વડીલ મિત્ર રમેશ ર. દવે આજે ઇઠોતેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. રમેશભાઈએ મને નિરપેક્ષ સ્નેહ અને પ્રોત્સાહન આપ્યાં છે.

ગુજરાતીમાં લખવાની શરૂઆતના તબક્કામાં ચન્દ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં ચાલતા ‘પરબ’ માટે લેખ આપવા ગયો એ વખતે ગુજરાતી સાહિત્ય પરિષદના ક.લા. સ્વાધ્યાય મંદિરમાં પહેલો પરિચય. તે મૈત્રીમાં ઝડપથી ફેરવાયો.

પરિષદના ગ્રંથાલયમાં વાંચવા જઉં એટલે સાથે ચા-પાણી-નાસ્તો થાય. તેમનાં પત્ની અને હંમેશનો આધાર ભારતીબહેન પરિષદનો પુસ્તક ભંડાર ચલાવે એટલે ત્યાં પણ પુસ્તકોની વાતો થાય.

રમેશભાઈ સંપાદક બન્યા એટલે તેમણે મારી પાસે લાંબા લેખો સહિત ઠીક પ્રમાણમાં લખાવ્યું, સહજતાથી અને કૃપાભાવ વિના. બે અનુવાદોમાં કેટલાક ખાસ શબ્દોમાં પણ સરૂપબહેન ધ્રુવની મદદની જેમ રમેશભાઈની પણ મદદ મળી.

પરિષદ, તેની ચૂંટણી, ઇતિહાસ અને સાહિત્ય કોશ, જ્ઞાનસત્રો અને અધિવેશનો જેવા વિષયો પર માહિતી મળતી રહી. રિસેસની તેમની મંડળીમાં મને ય તેમણે શરીક કર્યો. ‘કંદોઈ’નો અતિસ્વાદિષ્ટ અને અતિમોંઘો મોહનથાળ તેમણે એકથી વધુ વખત ખવડાવ્યો છે.

પરિષદમાં મને સક્રિય પણ કર્યો. જો કે પછીનાં વર્ષોમાં મને સંસ્થા વિશે વધતા દરે સકારણ અભાવ થતો ગયો.

રમેશભાઈએ મને પુસ્તકો ભેટ આપ્યાં છે. તેમનો શબ્દચિત્ર સંગ્રહ ‘જળમાં લખવા નામ’ ઘણો ગમે છે. ‘શબવત’ વાર્તાસંગ્રહમાં પણ મજા પડી હતી. લોકભારતી અને નયી તાલીમ વિશેનાં પુસ્તકો તેમની પાસેથી મળ્યાં છે. સહુથી મૂલ્યવાન ભેટ તે ‘દર્શક અધ્યયન ગ્રંથ’ની પહેલી આવૃત્તિ અને સ્વામી આનંદ અધ્યયન ગ્રંથ.

કેટલાંક વર્ષો પૂર્વે રમેશભાઈના સૅટેલાઈટ રોડ પરના વીમા નગરમાં આવેલા લીલાછમ્મ ઘરે જવાનું ઘણું થતું. સામાયિકો-પુસ્તકો જોવાનાં અને ક્યારેક રાત્રે પોણા બાર સુધી વાતો કરવાની.

મારી કૉલેજ અંગેના બળાપા પણ એમની આગળ કાઢ્યા છે. મારી એક નોકરીમાં ઘટતું કરવામાં પ્રા. ભાલચન્દ્ર જોશીની જેમ રમેશભાઈ અને તેમના સંબંધી પ્રા. સૅમે મને કરેલી મદદનું ઋણ મારે માથે છે.

મારી દીકરીને નાનપણમાં રવિવારે સવારે ‘અટીરા’ના  બાગમાં ફેરવીને પાછાં આવતાં એક હૉલ્ટ રમેશભાઈને ત્યાં હોય. તેને ફૂલ-પાન, રંગીન કાંકરા-પથ્થર સુખડીનો ખાઉ અને વ્હાલ મળે. રતન સમા જયંત મેઘાણી અને રમેશ સંઘવીને પહેલી વાર મળવાનું રમેશભાઈને ત્યાં થયું.

રમેશભાઈ એટલે ઝાડ-પાનનાં જણ. એક જમાનામાં પરિષદના પરિસરમાં જે હરિયાળી હતી તે રમેશભાઈના પરસેવાનું પરિણામ હતી. તેમના ઘરની સામેના કોટની ધારે તેમણે વર્ષો લગી વૃક્ષો વાવીને ઊછેર્યાં છે.

આપણે ત્યાં કુદરત અને વૃક્ષોનાં ગાણાં ગાનારાં મોટા ભાગના સાહિત્યકારો કુદરત કે વૃક્ષો બચાવવા-જાળવવામાં બિલકુલ જ જવલ્લે સક્રિયતા દાખવે છે. તેનાથી વિપરીત રમેશભાઈ વૃક્ષજન હતા. પરસેવે નિતરતા તાંબા વરણા ડિલે હાથમાં ખુરપી લઈને ક્યારીમાં કામ કરતાં રમેશભાઈની છબિ મારા મનમાં વસેલી છે.

જાણકારને ચોક્કસ અતિશયોક્તિ લાગે, છતાં ખબર નહીં કેમ પણ રમેશભાઈને જોઈને મને લોકભારતીના અજોડ વૃક્ષજન ઇસ્માઇભાઈ નાગોરી યાદ આવે. 

‘જીવતર નામે અજવાળું’ નામના ઉજાસભર્યા પુસ્તકમાં મનસુખ સલ્લાએ કરેલા તેમનું અદ્દભુત શબ્દચિત્ર વાંચતાં ઇસ્માઈલ દાદા અને રમેશભાઈ વચ્ચે ઓછું સામ્ય લાગે.

અલબત્ત, મારા મનમાં બંનેને જોડતી બે કડી : ઝાડપાન માટેની આસ્થા અને રમેશભાઈની માતૃસંસ્થા સણોસરાની લોકભારતી સંસ્થા. એ ગ્રામશિક્ષણ વિદ્યાપીઠ અને એની આખી  સંસ્કૃતિનો તેમ જ દર્શકનો પરિચય – જેના વિના ગુજરાતનો પરિચય અધૂરો ગણાય – તે મને પત્રકારત્વના પ્રા. સોનલ પંડ્યાની જેમ રમેશભાઈ થકી મળ્યો હતો.

ગુજરાતી સાહિત્ય અકાદમીએ સોંપેલા દર્શકના સમગ્ર સાહિત્યની ગ્રંથશ્રેણીનું અનેક રીતે માતબર ગણાતું  કામ રમેશભાઈએ સ્વાયત્ત અકાદમી ચળવળના સાથી તરીકે વિરોધના ભાગ રૂપે છોડી દીધું હતું.

રવીન્દ્રનાથ ટાગોર પરના એક વીડિયો કાર્યક્રમ માટે કવિવરની ઇમેજ તરીકે રમેશભાઈનું  દૃશ્યાંકન કરવામાં આવ્યું હતું. 

રમેશભાઈની નવી નવલકથા ‘વામનરાવ નાઇટ્સ’ હમણાં પ્રસિદ્ધ થઈ છે. તેઓ સાહિત્ય પરિષદના ‘ગ્રંથવિહાર’મા આવ્યા હતા અને ઘણી વાતો કરી એમ હંસાબહેન પાસેથી જાણ્યું ત્યારે ઘણો આનંદ થયો.

મારા પ્રેમાળ વડીલ મિત્ર રમેશભાઈને નિરામય દિર્ઘાયુ માટે શુભેચ્છા.

01 સપ્ટેમ્બર 2024 
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...447448449450...460470480...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved