Opinion Magazine
Number of visits: 9457022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોક અદાલતોનો શીઘ્ર, સસ્તો અને સમાધાનકારી ન્યાય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 September 2024

ચંદુ મહેરિયા

પંચ પરમેશ્વરની ભૂમિ ભારતની ન્યાય વ્યવસ્થામાં લોક અદાલત જેવી કોઈ વ્યવસ્થા ના હોય તો જ નવાઈ. સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના આ અમૃત વરસમાં તાજેતરમાં વિશેષ લોક અદાલત સપ્તાહ ઉજવાયું હતું. લોક અદાલતોને વૈધાનિક દરજ્જો ભલે સુપ્રીમ કોર્ટની રચનાના ઘણાં વરસો પછી મળ્યો. પરંતુ તે એક યા બીજા સ્વરૂપે દેશમાં વિદ્યમાન હતી જ. એટલે તેના આરંભના સગડ મેળવવા અઘરા છે.

બંધારણના આમુખમાં પ્રત્યેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું વચન છે. અનુચ્છેદ ૧૪ અને ૨૨(૧)માં રાજ્ય માટે કાયદા સમક્ષ સૌ સરખા હોવાની ખાતરી આપવામાં આવી છે. છતાં સૌને ન્યાય સુલભ નથી. ભારતમાં ન્યાય અતિ મોંઘો, થકવી નાંખે એટલો વિલંબિત અને નિરાશ કરે એટલો ધીમો છે. આ સ્થિતિમાં ગરીબો માટે અદાલતોમાંથી ન્યાય મેળવવો દુષ્કર છે. ૧૯૭૬માં બેતાળીસમા બંધારણ સુધારા હેઠળ અનુચ્છેદ ૩૯(એ) ઉમેરવામાં આવ્યો છે. ઈકવલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એઈડની જોગવાઈ ધરાવતા આ અનુચ્છેદના અમલ માટે ૧૯૮૫માં લીગલ સર્વિસીઝ ઓથોરિટી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. તે અન્વયે ૧૯૯૫માં નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી(NALSA)ની રચના કરવામાં આવી હતી. આ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ થકી લોક અદાલતને વૈધાનિક અને કાનૂની દરજ્જો મળ્યો છે.

નિ:શુલ્ક કાનૂની સેવા અને લોક અદાલત દ્વારા ન્યાયની પહોંચ ગરીબો સુધી લઈ જવાનો ઉદ્દેશ છે. ન્યાયની તલાશમાં આમ આદમી, સમાજનો નિર્ધન અને નિમ્ન વર્ગ કે જે સાધન અને ક્ષમતા ધરાવતો નથી તેને લોક અદાલતના માધ્યમથી ન્યાયનો અહેસાસ કરાવવામાં આવે છે. લોક અદાલત વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર છે. ન્યાયાલયની બહાર વિવાદોને સુલેહ, સમજૂતીથી ઉકેલવાનો તેનો પ્રયત્ન છે. એટલે જ તે લોકોની અદાલત કહેવાય છે. બંને પક્ષો વચ્ચે વાતચીત અને સંમતિથી નિષ્પક્ષ અને સરળ ન્યાય મેળવી શકાય છે એવી ગાંધીજીની વિચારધારા એ લોક અદાલતનો પાયો છે. જે વિવાદ બંને પક્ષો વચ્ચેની આપસી સમજૂતીથી ઉકેલાય છે તેમાં કટુતા, શત્રુતા અને તણાવ હોતા નથી. પરસ્પરનો ભાઈચારો, સોહાર્દ અને સદ્દભાવના ટકે છે.

ટ્રાયલ કોર્ટસ, હાઈકોર્ટસ અને સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોનો ગંજ ખડકાયેલો છે. રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડ પ્રમાણે દેશની જિલ્લા અને અન્ય અદાલતોમાં આશરે ૩ કરોડ, હાઈકોર્ટસમાં ૫૭ લાખ અને સુપ્રીમ કોર્ટમાં ૬૬,૦૦૦ કેસો પડતર છે. હાલની ગતિએ તેનો નિવેડો આવતાં સવા ત્રણસો વરસ લાગી શકે છે. એટલે અદાલતી ન્યાયમાં થતો વિલંબ નિવારવો અને ન્યાયની પહોંચ સૌ સુધી હોય તે માટેનાં પગલાં કાયદા પંચ અને બીજી કમિટીઓએ શોધ્યા હતા. તેમણે સૂચવેલા સુધારાત્મક ઉપાયને અનુસરીને સર્વિસ ટ્રિબ્યૂનલ, મોટર વાહન ટ્રિબ્યૂનલ, રેલવે ટ્રિબ્યૂનલ અને ગ્રાહક અદાલતો જેવા વૈકલ્પિક મંચો દ્વારા ન્યાય તોળવામાં આવી રહ્યો છે. પરંતુ આ પગલાં પૂરતાં નહોતા એટલે લોક અદાલતોની રચના થઈ છે.

લોક અદાલતોને તમામ પ્રકારના કેસોના નિવારણની સત્તા નથી. વળી તેને સજાની તો બિલકુલ સત્તા નથી. વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર તરીકે તે સેટલમેન્ટથી જ કેસનો નિવેડો લાવે છે. હા, તેને સિવિલ કોર્ટ જેટલી સત્તા મળેલી છે. લોક અદાલત સમક્ષ અદાલતોમાં પડતર કેસો અને નવા કેસો એમ બંને પ્રકારના કેસો આવે છે. નાના સિવિલ વિવાદો, સર્વિસ મેટર, મકાન માલિક-ભાડૂઆત વચ્ચેના વિવાદો, ખેતીની જમીન, પાક, ઘરની જગ્યા, વૈવાહિક પ્રશ્નો, અધિગૃહિત જમીનનું વળતર, મોટર વાહન દુર્ઘટના જેવા કેસો લોક અદાલતમાં વિચારવામાં આવે છે. જો બંને પક્ષો સંમત ના હોય તો ગુણ દોષના આધારે નિર્ણય આપવાની જરા ય સત્તા લોક અદાલતને નથી. લોક અદાલતમાં બધા પક્ષો વચ્ચે સુલેહ સમજૂતીથી જે નિર્ણય લેવાય તે તમામને બાધ્યકારી હોય છે અને આ  નિર્ણયને કોઈ કોર્ટમાં પડકારી શકાતો નથી.

કોર્ટમાં વિવાદનો નિર્ણય આવતા વરસો લાગે છે, પરંતુ લોક અદાલતમાં ત્વરિત ફેંસલો આવી જાય છે. અદાલતોમાં સાક્ષી-પુરાવા અને દલીલો માટે ફરિયાદી અને આરોપી બંને મોંઘીદાટ ફી આપીને રોકેલા વકીલો પર આધારિત હોય છે. જ્યારે લોક અદાલતનો ન્યાય જેમ શીઘ્ર છે તેમ સસ્તો કે નિ:શુલ્ક છે. અહીં કોઈ પણ પ્રકારની કોર્ટ ફી ભરવાની હોતી નથી. કોર્ટના પ્રથમ ચરણ પૂર્વેના જે કેસો લોક અદાલતમાં આવે છે તેની ભરેલી કોર્ટ ફી પરત મળે છે. વકીલોનો કોઈ ખર્ચો થતો નથી.

લોક અદાલતો રાષ્ટ્રીયથી સ્થાનિક સુધીની હોય છે. કાયમી કે સ્થાયી લોક અદાલત પણ છે. મોબાઈલ અને કેદીઓના પ્રશ્નો માટેની અલાયદી લોક અદાલત પણ જોવા મળે છે. સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી દૈનિક, પાક્ષિક અને માસિક ધોરણે લોક અદાલતો યોજે છે. જેમ અદાલતોમાં પડતર કેસોના આંકડાથી આપણે ઘડીભર દંગ રહી જઈએ છીએ તેમ લોક અદાલતો દ્વારા કેસોના નિકાલના આંકડાઓથી પણ થાય છે. ટેકનોલોજીના ઉપયોગથી ૨૦૨૧માં ચાર રાષ્ટ્રીય ઈ-લોક અદાલતોમાં ૧૨.૮ લાખ કેસોનો નિકાલ થયો હતો. ૨૦૧૬થી ૨૦૨૦માં રાષ્ટ્રીય લોક અદાલતોએ ૨ કરોડ ૯૦ લાખ કેસોનો નિકાલ કર્યો હતો. એક જ દિવસે રાષ્ટ્રીય લોક અદાલતોએ ૧૧ લાખ કેસોનો નિકાલ કર્યો હતો.

અદાલતોથી લોકો તંગ આવી ગયા છે એટલે લોક અદાલતો સફળ થઈ રહી છે કે લોક અદાલતોએ નિકાલ કરેલા કેસો ખૂબ સામાન્ય પ્રકારના, આપસી વાતચીતથી ઉકેલાય તેવા હતા એટલે સફળ છે ? પડતર કેસોનો બોજ લોક અદાલતથી ઘટે છે તેમ કહી શકાય ? લોક અદાલતની વિશેષતા, સફળતા અને લાભ જેમ અનેક છે તેમ તેની મર્યાદાઓ પણ છે. લોક અદાલત ન્યાયની બેવડી પ્રણાલી તો નથી ઊભી કરી રહીને ? તેવો સવાલ થાય છે. અમીરો માટે અદાલતો અને ગરીબો માટે લોક અદાલતો તેવી સ્થિતિનું નિર્માણ તો નથી થઈ રહ્યું ને? લોક અદાલતો સમક્ષ આવતા મોટા ભાગના કેસોમાં વાદી અમીર સંસ્થાઓ છે અને પ્રતિવાદી સામાન્ય લોકો છે. એટલે લોક અદાલતોની સુલેહ, સંધિ, સમજૂતી ગરીબોના માથે તો નથી થોપાતીને? ગરીબો પાસે સમજૂતી સ્વીકારવા સિવાયનો કોઈ વિકલ્પ જ ન હોય એટલે કેસનો નિવેડો આવે છે, એટલે ન્યાય થયેલો લાગે પણ વાસ્તવમાં તો અન્યાય છે એવું જો બનતું હોય તો તે લોક અદાલતની નિષ્ફળતા છે. લોક અદાલતનો પ્રાણ સમજૂતી હોય તે બરાબર પણ તેનાથી ન્યાયને હાણ ના પહોંચવી જોઈએ. શીઘ્ર ન્યાયને લીધે ન્યાયની ગુણવત્તાને અસર તો નથી થતી ને ? તે બાબત પણ વિચારણીય છે. લોક અદાલતો ગરીબોનું સશક્તિકરણ કરે છે કે ન્યાયને બદલે સમજૂતી માટે મજબૂર કરે છે તે સવાલ પણ લોક અદાલતની મસમોટી મર્યાદા છે.

૧૯૫૩માં સુપ્રીમ કોર્ટના એડવોકેટ શિવદયાલ ચૌરસિયા(જન્મ ૧૯૦૩, અવસાન ૧૯૯૫)એ સેન્ટ્રલ લીગલ એઈડ સોસાયટીની સ્થાપના કરી હતી. સુપ્રીમ કોર્ટના ઘણા જજિસનો તેમને સહયોગ મળ્યો હતો. સાંસદ તરીકેના  તેમના  પ્રયત્નોથી જ લોક અદાલતને વૈધાનિક દરજ્જો મળ્યો હતો. એટલે તેમને લોક અદાલતના જનક ગણવામાં આવે છે. જસ્ટિસ પી.એન. ભગવતી જેમ જાહેર હિતની અરજીના તેમ લોક અદાલતોના પણ પુરસ્કર્તા ગણાય છે. ૧૯૮૨માં ગુજરાતમાં ઉના (જિલ્લા જૂનાગઢ) ખાતે પહેલી લોક અદાલત યોજાઈ હતી. લાંબી દડમજલ પાર કરી ચુકેલી લોક અદાલતો  સમક્ષ આજે ન્યાયની ગુણવત્તા, કાર્યકુશળતા અને પર્ફોરમન્સના સવાલો ઊઠી રહ્યા છે. સમતામૂલક ન્યાયમાં તે કેટલી વૃદ્ધિ કરી શકી છે તે જ માપદંડે તેની સફળતા માપી શકાય.

e.mail : maheriyachandu@gmail.com

Loading

હિંદના દાદાનું બસોમું વરસ શરૂ થઈ રહ્યું છે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 September 2024

દાદાભાઈ નવરોજી

જન્મ : 4-9-1825 — મૃત્યુ : 30-6-1917

આજે ચોથી સપ્ટેમ્બરે હિંદના દાદા તરીકે પંકાયેલા દાદાભાઈ નવરોજી(4-9-1825 : 30-6-1917)નું બસોમું વરસ શરૂ થઈ રહ્યું છે.

1885માં રાષ્ટ્રીય મહાસભા(ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ)ની સ્થાપના થઈ એના બીજે જ વરસે 1986માં એ વ્યોમેશચંદ્ર બેનરજી પછીના બીજા પ્રમુખ તરીકે દેશભરમાં ઊંચકાયા હતા અને લાંબા જાહેર જીવનમાં એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ વાર કાઁગ્રેસ પ્રમુખ તરીકે પ્રકાશ્યા હતા.

પ્રકાશ ન. શાહ

1906માં કાઁગ્રેસના બાવીસમા પ્રમુખ તરીકેના ભાષણમાં એમણે ‘સ્વરાજ'(સેલ્ફ રુલ)નો પહેલ પ્રથમ ટંકાર કીધો હતો. જે વર્ષોમાં સ્વાભાવિક જ એવી વ્યાપક લાગણી હતી કે અંગ્રેજી રાજે દેશમાં વ્યવસ્થા સ્થાપી આપણને નવી દુનિયા સાથે સંપર્કમાં મૂકી આપ્યા છે ત્યારે ભલે સીમિત અર્થમાં પણ સ્વરાજ ટંકાર અક્ષરશ: એક ઘટના હતી.

આટલે સુધી કેવી રીતે પહોંચ્યા હશે એ? નવસારીનું સંતાન. મુંબઈમાં એલ્ફિન્સ્ટનમાં અધ્યયન-અધ્યાપન. (બાય ધ વે, એમના એક ટૂંકમુદતી છાત્ર નર્મદ પણ ખરા. જો કે, નવેમ્બર 1850માં માતાના અવસાન સાથે એમણે ભણવાનું છોડી દીધું હતું.) થોડીક ધંધાકીય કામગીરી, 1874માં વડોદરાનું ટૂંકજીવી દીવાનપદું, વચગાળામાં ‘રાસ્ત ગોફ્તાર’ એ ગુજરાતી પત્ર મારફતે પારસી સમુદાયને ધર્મ સમજ ઉપરાંત સંસાર સુધારાની કોશિશ.

વળી ધંધાકીય કામગીરી સારુ લંડન પહોંચ્યા તો ત્યાં સાથે સાથે કેટલોક વખત યુનિવર્સિટી કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે પણ કામગીરી બજાવી. યુ.કે.ની ગુજરાતી લિટરરી એકેડેમી આ ગરવા ગુજરાતીને સબહુમાન સંભારશે ને? દ્વિશતાબ્દીનો અવસર જો કે બ્રિટનની લિબરલ પાર્ટીની (અને એક અર્થમાં બ્રિટિશ પાર્લામેન્ટનીયે) જવાબદારી બને છે, કેમ કે 1892-1895નાં વર્ષોમાં દાદાભાઈ લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે લંડનના સેન્ટ્રલ ફિન્સબરી મતવિસ્તારમાં આમની સભા(હાઉસ ઓફ કોમન્સ)માં ચૂંટાઈ આવ્યા હતા. ફિન્સબરી વિસ્તારમાં બુટસોતા (મનોમન જો કે અડવાણે પાય) ચાલતાં મેં અનુભવેલો રોમાંચ તો ક્યાંથી લખું- કવિ નહીં ને!

ઇતિહાસના છાત્ર તરીકે પાછળ નજર કરું છું તો મને દાદાભાઈનો પાર્લામેન્ટ-કાળ જગતતખતે ભારત છેડેથી અતિ મહત્ત્વનો લાગે છે. 1892નું સ્તો એ વરસ હતું જ્યારે શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં વિવેકાનંદ પ્રકાશ્યા હતા. એ જ વરસો હતાં જ્યારે બેરિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકાના હિંદીજનોના હક્ની લડાઈમાં પરોવાઈ રહ્યા હતા. (હજી લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ના ઉદય આડે દસકો હતો.)

દાદાભાઈનું મોટું પ્રદાન તે હિંદની ગરીબીની એમની નકરી સંવેદનશક્તિ નહીં પણ શત પ્રતિશત સ્વાધ્યાયપુત માંડણી. શરૂમાં એમના લંડનના સહકારીઓમાં મંચેરજી ભાવનગરી પણ હતા. પણ ભાવનગરીને આ લિબરલ ખાસ્સા રેડિકલ વરતાતા એ ખસતા ગયા, અને કોન્ઝર્વેટિવ પક્ષમાં એમણે નિજનું મોચન લહ્યું. આ મંચેરજી પછીનાં વર્ષોમાં કોન્ઝર્વેટિવ પાર્ટી તરીકે હાઉસમાં ચૂંટાઈ પણ આવ્યા હતા.

દાદાભાઈ એમના લંડન કાળ દરમ્યાન સેકંડ ઈન્ટરનેશનલ સાથે સંકળાયા હતા. સેકંડ ઈન્ટરનેશનલમાં જોડાયેલાઓમાં રૂસી માર્ક્સવાદના પિતાનું બિરૂદ પામેલા પ્લેખેનોવ અને જર્મનીની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રતિષ્ઠ સિદ્ધાંતકોવિદ કોટ્સ્કી પણ હતા. યાદ રહે, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ(મે ડે)નું એલાન આ સેકંડ ઈન્ટરનેશનલને નામે ઇતિહાસદર્જ છે.

1867-68 આપણે ત્યાં આકરા દુકાળનો કાળ હતો. એ સંદર્ભમાં રિલીફ ફંડ સારુ લંડનમાં ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશનની સભાને સંબોધતા દાદાભાઈએ કહ્યું હતું કે અંગ્રેજ અમલ હિંદની સઘળી કમાણી ઇંગ્લેન્ડ ભેગી કરે છે. જંગી કર આવકનો મોટો હિસ્સો આમ હિંદ બહાર ચાલ્યો જાય છે. બ્રિટિશ અમલદારો હિંદમાં કમા ય ને હિંદમાં ખર્ચે તો આપણે ત્યાં મૂડીનિર્માણ થાય. આ મૂડીનિર્માણ રોજગારની તકોને બહોળી કરે અને એના પાયાનોયે વિસ્તાર કરે. પણ પાણીમૂલે કાચો માલ ઉશેટી જ્યો અને હિંદને પોતાનું ફરજિયાત બજાર બનાવી સોનામૂલે પાકો મહાલ લાદવો, એ પદ્ધતિ હિંદમાં દુષ્કાળ રાહત જેવાં કામોના સ્રોતને શોષી લે છે અને સ્વદેશી મૂડીનિર્માણ સારુ કોઈ રસકસ બચતા નથી.

1876માં એક સહલેખક સાથે એમણે ‘પોવર્ટી ઓફ ઇન્ડિયા’ એ પુસ્તક બહાર પાડ્યું, તો 1901માં એ ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા’ લઈને આવ્યા. હિંદની આર્થિક સમૃદ્ધિના શોષણ ને દોહનના આ દસ્તાવેજ સાથે એમનો સિક્કો પડ્યો અને ‘ડ્રેઈન થિયરી’નું વિરૂપ ને અમાનવીય સત્ય સૌની સામે આવ્યું. સંસ્થાનવાદ થકી સધાતું શોષણ જે તે દેશમાં કેવું અનર્થકારણ સર્જે છે એ પ્રત્યક્ષ થયું.

સમાજવાદી વિચારધારાના પંડિત ને સ્વાતંત્ર્યસેનાની અશોક મહેતાએ એ વિગતે કૌતુક કીધું છે કે કાર્લ માર્ક્સએ (1818-1883) લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં બેસી ‘દાસ કેપિટલ’નું શકવર્તી કામ કરી રહ્યા હતા એની જ આસપાસના દસકામાં દાદાભાઈએ સાંસ્થાનિક શોષણથી સર્જાતા મૂડીવાદની અસલિયત પર પાયાનું કામ કર્યું હતું.

અને હા, દાદાભાઈની કીર્તિદા કિતાબમાં ‘અનબ્રિટિશ’ એ પ્રયોગ નોંધ્યો તમે? બ્રિટન વતનઆંગણે જે ધોરણસર સોજ્જું રાજવટ ચલાવે છે તે હિંદમાં બિલકુલ અનબ્રિટિશ એવી શોષણ રીતિએ પેશ આવે છે. માટે પોતાનાં આર્થિક ને બીજાં વાનાંમાં હિંદ પાસે મર્યાદિત પણ સ્વશાસનની, સેલ્ફ રુલ કહેતાં ‘સ્વરાજ’ની જરૂર છે, એમ એમનું કહેવું હતું.

હમણાં મેં આ હાડના લિબરલ માર્ક્સવાદી હોઈ શકતી આંતરરાષ્ટ્રીય સંગઠન – સેકંડ ઈન્ટરનેશનલ સાથે સંકળાયા હતા એ ઉલ્લેખ કર્યો ત્યારે ધડ ધડ દડી આવેલી સ્મૃતિ –

‘જાગો, જગના ક્ષુધાર્ત! જાગો, દુર્બલ અશક્ત!

ઈન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે …’ 

એ યાદગાર મેઘાણી પંક્તિઓની હતી જે વાસ્તવમાં સેકંડ ઈન્ટરનેશનલના ગાનનું અનુરણન છે.

સોબતી બલકે સાગરીત મૂડીવાદના આજના દોરમાં દાદાભાઈની દ્વિશતાબ્દી એક નવા જ ડ્રેઈનવાસ્તવ સાથે ઈન્સાફી તખ્ત પર નવજાગરણનો નેજો ફરકાવવા ચહે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 સપ્ટેમ્બર 2024 

Loading

આખો જન્મારો તને આંખ્યુંમાં રાખું, મને વ્હાલું લાગે છે તારું મુખ

રમજાન હસણિયા|Opinion - Opinion|4 September 2024

અરુણભાઈ ભટ્ટ સંગાથે રમજાનભાઈ હસણિયા

આજે સાંજે ચાલવા ગયા ત્યાં મિત્ર રામે સમાચાર આપ્યા કે અરુણભાઈ ભટ્ટે વિદાય લીધી. હું એકાદ ક્ષણ ધબકારો ચૂકી ગયો ! ધરતી પરથી કોઈ ઓલિયો ફકીર જતો રહ્યો હોય ને ધરા વામણી બની ગઈ હોય એવું અનુભવ્યું.  અરુણભાઈના નિકટના સ્વજનોની યાદીમાં હું ક્યાં ય ન આવું ને છતાં એ મારાં સૌથી નજીકના સ્વજનોમાં આવે. આમ તો સાધુને સૌ પોતાના હોય એ ન્યાયે જ્યારે જ્યારે મળ્યા છીએ ત્યારે જાણે પૂરવ ભવના સંગાથી હોઈએ તેવું અનુભવ્યું છે.

અરુણભાઈને બિલકુલ ન્હોતો ઓળખતો ત્યારે પહેલી વાર સાંઈ મકરંદની ભૂમિમાં એક વ્યાખ્યાન નિમિત્તે જવાનું થયેલું. હું પ્રિય કવિની ભૂમિના કણકણને સંવેદતો ફરી રહ્યો હતો ને ત્યાં સામે એવું કોઈક આવી ગયું કે જેમના ચરણમાં સહજ ઝુકાઈ ગયું. મને અંગતભાવે વિનોબાનું ઘેલું આકર્ષણ છે. એમને પ્રત્યક્ષ ન જોયાનો રંજ મનમાં ઘણીવાર અનુભવાતો. એ રંજ ઓગળી ગયો જ્યારે મેં પહેલી વાર અરુણભાઈને જોયા. અરુણભાઈ તો દેખાવે ને સ્વભાવે વિનોબા જ લાગે ! એમણે વિનોબાને કેટલા ચાહ્યા હશે કે સ્વયં વિનોબારૂપ બની ગયા !  કોઈને અતિશયોક્તિ લાગી શકે પણ હું તો મારો અનુભવ કહું છું. બીજાનો જુદો હોઈ શકે. એમની નિકટના સૌ જાણે કે તેઓ કોઈને પગે લાગવા ન દે. મને એમણે પગે લાગતા રોક્યો નહિ. કેમ જાણે મારાથી સહજભાવે કહેવાઈ ગયું કે હું તમને નહિ વિનોબાને પગે લાગું છું. એમણે મંદ સ્મિત કર્યું.  મરકતાં મરકતાં જાણે કહી રહ્યા હતા કે, ‘હું જાણું છું.’ અમારો એ એટલો જ સંવાદ અંતરના તાર એવા તો સાંધી ગયો કે જે એમના જવાથી પણ નહિ છૂટે.

એ પછી તેઓ કાર્યક્રમમાં મળ્યા. હું મોટે મલાવે ભાષણ કરી રહ્યો હતો ને તેઓ મીઠું સ્મિત વેરતાં સામે બેસી રહ્યા હતા. આજે વિચારું છું ત્યારે સંકોચ થાય છે કે અધિકારીજન ચૂપ હતા ને ખાલી ઘડો વાગી રહ્યો હતો. એમની આંખોનું તેજ ને ચહેરા પરની પ્રસન્નતા મને ચુંબકની જેમ ખેંચી રહ્યાં હતાં. બહુ જ ઓછું બોલતા મેં એમને સાંભળ્યા છે. છતાંયે કાંઈ કેટલું ય જાણે એમની આંખોએ મને કહી દીધું છે.

અમારું પ્રથમ મિલન પણ નંદીગ્રામમાં અને અમારું અંતિમ મિલન પણ નંદીગ્રામમાં જ થયું. નંદીગ્રામ આમ પણ મિલનની ભૂમિ છે. લંકાવિજય કરીને ઘરે પરત ફરતા શ્રીરામ પ્રથમ ભાઈ ભરતને મળવા નંદીગ્રામ પધાર્યા છે. જ્યાં વર્ષોના છુટા પડેલા ભાઈઓ મળેલા એ નામ ધરાવતી ભૂમિમાં અમે બીજીવાર મળ્યા. વળી મારે ત્યાં વક્તવ્ય માટે જવાનું થયેલું. ત્યારે ઉતારે સામાન મૂકીને અમે સાંઈના કક્ષને સલામ ભરી વિમલભાઈ સાથે ભોજન લેવા જઈ રહ્યા હતા ને રસોડામાં પ્રવેશતાં જ સામે દર્શન થયા અરુણભાઈ ભટ્ટના. ભોજનખંડ એમની હાજરીથી ભજનખંડ બની ગયેલો અનુભવ્યો. એમનું મંદ મંદ સ્મિત અને આંખોમાંથી ઝરતું અમી મને એવું ભીંજવી ગયું કે મેં જે ખાધું તે સઘળું અરુણું અરુણું લાગ્યું ! એમની પાસે બેસીને જમાડતા અમીબહેનમાં મીરાંબહેનના દર્શન કરી ધન્ય થયો.

અરુણભાઈ ભટ્ટ

ભોજન પછી અમે એમનાં ઉતારે દોડી ગયા. નાદુરસ્ત તબિયત હોવાં છતાં એમનાં ચહેરા પરનું સ્મિત લગીરે ઓછું ન્હોતું થયું. હું તો અધિકારપૂર્વક એમનાં પલંગ પર એમની સાવ નજીક બેસી ગયો ને પગ દબાવવા લાગ્યો એટલે તેમણે માર્મિક હાસ્ય વેરતાં કહ્યું કે, ‘ભાઈ અત્યારના છોકરા વડીલોને ભારે દબાવે છે !’ મેં પગ દબાવવાનું ચાલુ રાખ્યું ને એમણે મને એમ કરવા દઈને મારી ઈચ્છા પૂર્ણ કરી. એમનો હાથ મારા હાથ, પીઠ ને માથા પર ફરતો રહ્યો ને હું તરબતર થતો રહ્યો એમની પ્રેમવર્ષામાં. અવાજ બહુ જ ધીમો થઈ ગયેલો એટલે હું એમની વધુ નજીક જઈ શક્યો. બોલવા માટે ધીમો પડી ગયેલો અવાજ કબીરનું પદ ગાવા સહજ મોટો થઈ ગયો. એમનું વ્હાલ વરસતું રહ્યું ને ટપકતી રહી મારી આંખ. અમારાં આ મૌન સંવાદને સાથે આવેલા રામ આદિ વિદ્યાર્થી મિત્રો કદાચ કુતૂહલવશ જોઈ રહ્યાં હશે, પણ મને તો એની ભાન સુધ્ધાં ન રહી. અરુણભાઈના ઘરે જઈ એમની સાથે રહેવાનું મન થઈ ગયું ને એમણે પ્રેમથી કહ્યું જરૂર આવજો. આ ઈચ્છા અધૂરી જ રહી. બે ચાર વખત જવાનું વિચાર્યું, ગોઠવ્યું ને કોઈને કોઈ કારણસર ન જવાયું. કદાચ કુદરત અમારા અનુબંધને નંદીગ્રામ સાથે જ બાંધી રાખવા માંગતી હશે.

અમારી ભાવભીની એ ક્ષણોમાં વાતવાતમાં હરિ મળશે કે નહિ એવી વાત મારા મોઢે આવી ગઈ ને એક ઋષિ વચન આપે તેમ તેઓ બોલી ઉઠ્યા, ‘જરૂર મળશે ..’ મને થયું કે મારી લાયકાત તો કદાચ સાત ભવે પણ થાય કે કેમ પણ આવા સાધુજનોની આજ્ઞા થકી હરિને આવવું પડશે એ નક્કી. અરુણભાઈ સાથેની આ ક્ષણો મારા એ પ્રવાસની સૌથી મહામૂલી ક્ષણો હતી. એમની સાથેના મૌન સંવાદને તો મારે કેમ વાચા આપવી ? એમનાં જેવું સ્મિત કરતાં પણ નથી આવડતું કે જેનાથી વ્યક્ત થાઉં !

અરુણભાઈનો એ અપૂર્વ પ્રસાદ લઈ અમે સાંઈના નિવાસ ભણી ડગ માંડ્યા. આજે વાતવાતમાં રામે કહ્યું કે એમની પાસે બેસીએ તો વાઈબ્રેશન કેવા સરસ આવે નહિ ? ને મારું અંતર બોલી ઉઠ્યું કે, ‘હું ઘણા સાધુ સંતોને મળ્યો છું ને સૌને માટે મારા મનમાં પ્રેમાદર છે. તેમ છતાં મારે કબુલવું જોઈએ કે જેવી સાધુતા મેં અરુણભાઈના સાનિધ્યમાં અનુભવી છે એવી અન્ય કોઈના સાનિધ્યમાં અનુભવી નથી. એમના પવિત્રત્તમ પરમાણું જેમણે અનુભવ્યા હશે તેઓ આ વાતમાં અચૂક હામી ભરશે.

મૂળદાસજીનું જાણીતું ભજન છે કે, 

‘અનુભવીને એકલું આનંદમાં રહેવું રે ;

ભજવાં શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ન કહેવું રે…  

અરુણભાઈ બહુ સારા ભજન ગાતાં એવું સૌ કહે છે. એ બહુ મીઠું બોલતા હશે. એમણે કરેલી મીરાંબહેનની ચાકરી વિશે પણ મેં કેવળ સાંભળ્યું છે. પણ મને તો મૂળદાસની પંક્તિને સાર્થક કરતા અરુણભાઈ જ મળ્યા છે. એમને મેં અનુભવ્યા છે કોઈ દિવ્ય આનંદલોકમાં રમમાણ કરતા સાધક તરીકે, જેની ભીતર નિરંતર ભજન ચાલ્યા કરતું હોય એવા સાધક તરીકે, ગંગાસતીને અભિપ્રેત છે એમ આઠે પહોર આનંદમાં રહેતા સાધુજન તરીકે ને મેં તો ચુપચાપ ચાહ રહી એમ કહેતી સુન્દરમ્‌ની સાધિકા તરીકે !

મકરંદભાઈના નિવાસની પડખે એક ઓરડામાં જ્યારે અમે મળેલા ત્યારે સુતે સુતે એમણે બે પદ સંભળાવેલાં. એમાંનું એક હતું – ‘આખો જન્મારો તને આંખ્યુંમાં રાખું, મને વ્હાલું લાગે છે તારું મુખ’ તમે તો હરિને આંખ્યુંમાં રાખ્યા. હું તો તમને રાખીશ કેમ કે મને શ્રદ્ધા છે કે તમને મળવા હરિ મારી આંખ્યુંમાં જરૂર આવશે !

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...445446447448...460470480...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved