Opinion Magazine
Number of visits: 9557257
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્મિતા પાટિલ અને હંસા વાડકરની ‘ભૂમિકા’

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 November 2024

રવીન્દ્ર પારેખ

રવિવારે  વિન્ટેજ વેટરન્સમાં શ્યામ બેનેગલની ફિલ્મ ‘ભૂમિકા’ જોઈ. સ્મિતા પાટિલની જન્મતારીખ 17 ઓક્ટોબરે નજીકમાં જ ગઈ એટલે આ લખવું પ્રસ્તુત થશે.

સ્ત્રીઓનું ફિલ્મોમાં કામ કરવું તિરસ્કારથી જોવાતું હતું, એ જમાનામાં હંસા વાડકર 13 વર્ષની ઉંમરે મરાઠી અને હિન્દી ભાષામાં બનેલી ફિલ્મ ‘વિજયાચી લગને’(1936)માં હિરોઈન બનેલી. તેણે ફિલ્મમાં કામ કરવું ન હતું, પણ પછી ફિલ્મોમાં જ ખપી ગયા જેવું થયું. 24 જાન્યુઆરી, 1923માં મુંબઇમાં જન્મેલી રતન સલગાઉંકર પાછળથી હંસા વાડકર તરીકે ઓળખાઈ. તેની મા સરસ્વતી દેવદાસીની દીકરી હતી ને બાપ ભાલચંદ્ર સલગાઉંકરની મા અને નાની દરબારમાં ગાનારીઓ હતી. તેનો બાપ શરાબી હતો એ સ્થિતિમાં રતનનું ભણવાનું છૂટી ગયું. આવામાં ભાઈને ભણવાનો વાંધો નથી આવતો, પણ બહેનનો ભોગ લેવાય છે …

રતનના બાપની એક બહેન માસ્ટર વિનાયકને પરણેલી. આ વિનાયક તે ફિલ્મ અભિનેત્રી નંદાના પિતા. બીજી બે બહેનો કેસર અને ઇન્દિરા ફિલ્મોમાં કામ કરતી. અલબત્ત ! અટક વાડકર રાખીને ! રતનની નાની ઉંમરે આવતા, મહિનાના અઢીસો રૂપિયા ભાઈને કડવા નથી લાગતા, પણ ફિલ્મોનો વાંધો તો તેને હતો જ ! એટલે રતન, હંસા બની ને તેણે અટક વાડકર અપનાવી. હંસાએ ફિલ્મોમાં કામ નહોતું કરવું, પણ તેની ફિલ્મો ચાલી નીકળી. બોમ્બે ટોકીઝ, પ્રભાત ફિલ્મ, વ્હી. શાંતરામની કંપનીમાં કામ કરતાં  કરતાં ફિલ્મો જ તેની કારકિર્દી થઈ ગઈ. પ્રભાત ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સંત સખુ’ બહુ જ પ્રશંસા પામી. અનંત માને દિગ્દર્શિત ફિલ્મ ‘સાંગતે ઐકા’ ફિલ્મ તમાશા પરથી 1939માં બની ને તે પુનામાં જ સવાસોથી વધુ અઠવાડિયા ચાલી. આ ઉપરાંત નોંધપાત્ર ફિલ્મોમાં ‘દુર્ગા’, ‘અપના પરાયા’. ‘રામશાસ્ત્રી’, ‘નવ જીવન’, ‘આઝાદ’, ‘સંત જનાબાઈ’, ‘રામ જોશી’ , ‘પુઢચે પાઉલ’, ‘ધર્મકન્યા’ વગેરે ગણાવી શકાય. મહિલાઓ દબાઈ-ચંપાઈને રહેતી હતી એ જમાનામાં હંસા વાડકર આધુનિક અભિનેત્રી તરીકે જાણીતી થઈ.

હંસા વાડકર

ફિલ્મોમાં હંસાને ભારે સફળતા મળી, પણ જિંદગીમાં એટલી જ નિષ્ફળતાઓ પણ મળી. 15 વર્ષની ઉંમરે 10 વર્ષ મોટા જગન્નાથ બંદરકર સાથે તેનાં લગ્ન થયાં. લગ્ન જીવન સફળ ન થયું – એમાં અન્ય ફિલ્મી હીરો સાથેના હંસાના સંબંધો અંગે પતિનો શંકાશીલ સ્વભાવ ભાગ ભજવી ગયો. તે એ હદ સુધી કે તેની સગી દીકરીને પણ તેને મળવા દેવાતી ન હતી. નાટકમાં, ફિલ્મોમાં કામ અપાવવાને બહાને પતિ જગન્નાથે તેને ખૂબ ફસાવી. 15 વર્ષની હંસાને તેણે ગર્ભવતી કરી એટલે કુટુંબની મરજી વિરુદ્ધ હંસાએ તેની સાથે પરણવું પડ્યું. પોતાના ધંધામાં જગન્નાથ નિષ્ફળ જતાં તે હંસાનો બિઝનેસ મેનેજર બની ગયો. પતિના શારીરિક, માનસિક અને આર્થિક ત્રાસથી છૂટવા હંસા શરાબની લતે ચડે છે.  એક વાર જાગે છે તો તે પોતાને અજાણ્યા પુરુષની ત્રીજી પત્ની તરીકે જુએ છે જે તેને ગુલામની જેમ રાખે છે ને  ત્યાંથી તે પતિની મદદથી છૂટે છે. ફરિયાદ કરવા મેજિસ્ટ્રેટ પાસે જાય છે તો તે લાગ જોઈને હંસા પર બળાત્કાર કરે છે. તેણે ગૃહિણીની જિંદગી જીવવી હતી, પણ તેનો પતિ તેને ફિલ્મો તરફ જ ધકેલતો રહ્યો. તેણે ઘરને બદલે હોટેલમાં રહેવું પડે છે. 1971માં 48 વર્ષની ટૂંકી જિંદગીથી ત્રાસીને હંસા દુનિયાથી વિદાય લે છે.

અનેક સંઘર્ષ અને પીડાને વાચા આપતી આત્મકથા હંસાએ ‘સાંગત્યે ઐકા’ મરાઠીમાં લખી. 1966માં ‘માણૂસ’ નામના મરાઠી સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈને 1970માં તે પુસ્તક તરીકે બહાર આવી ત્યારે તેણે ખાસી ચર્ચા જગાવેલી. એ આત્મકથા પર આધારિત એક ફિલ્મ જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલે ‘ભૂમિકા’ બનાવી. આ અદ્દભુત ફિલ્મને અનેક એવોર્ડસ મળ્યા ને તેની હિરોઈન સ્મિતા પાટિલને 1977નો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. અમોલ પાલેકર, અનંત નાગ, કુલભૂષણ ખરબંદા, નસીરુદ્દીન શાહ, સુલભા દેશપાંડે, દીના પાઠક જેવાં કલાકારોના અદ્દભુત અભિનયથી ઓપતી આ ફિલ્મનું સંગીત વનરાજ ભાટિયાનું હતું. ‘મંથન’માં ‘મેરો ગામ કાંઠા પારે…’માં ઉત્તર ગુજરાતની જે મહેક અનુભવાય છે એવી જ સુગંધ મરાઠી લાવણીમાં પણ વનરાજ ભાટિયા ફેલાવી શકે છે. ફોટોગ્રાફી ગોવિંદ નિહલાનીની હતી, જેમણે પછી સ્વતંત્ર રીતે ‘આક્રોશ’, ’અર્ધસત્ય’ જેવી ફિલ્મો બનાવી. પાત્રોની ઉંમર વચ્ચેનો તફાવત, સ્મૃતિનો કૌટુંબિક ગામઠી માહોલ અને તેની સાથે વર્તમાનનો શહેરી રંગીન લિબાસ વિરોધાવવા ફિલ્મમાં ફોટોગ્રાફીનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ભૂતકાળની ઉદાસ સ્મૃતિઓ બ્લેક એન્ડ વ્હાઇટમાં અને વર્તમાનની પીડાના વિવિધ રંગો ઉપસાવવા રંગીન ફોટોગ્રાફીનો સહેતુક ઉપયોગ ‘ભૂમિકા’માં થયો છે. સ્ક્રિપ્ટ ગિરીશ કરનાર્ડ, સત્યદેવ દુબે અને શ્યામ બેનેગલની હતી. સંવાદો સત્યદેવ દુબેના હતા, તેમાં વળી સ્ક્રિપ્ટ એટલી ટાઈટ હતી કે ઉત્તમ ફિલ્મ નીપજીને જ રહે. સ્ક્રિપ્ટ માટે પણ આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. આ ફિલ્મને શિકાગો ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગોલ્ડ પ્લેક’ એવોર્ડ પણ મળેલો.

ફિલ્મ ઉત્તમ કેવી કેવી રીતે કરી શકાય તેનો આ ફિલ્મ ઉત્તમ નમૂનો છે. અમોલ પાલેકરની તમામ ભૂમિકાઓમાં આ યાદગાર ભૂમિકા છે. આમ તો તે હસમુખ, ભોળા નાયકની ભૂમિકાઓથી પ્રેક્ષકોને પરિચિત, પણ આમાં તે શઠ, આક્રમક, શંકાશીલ અને ગણતરીબાજ પતિની ભૂમિકામાં છે. સ્મિતા અને  અમોલ સામસામે આવે છે તો બંનેની આંખો જ ધારદાર સંવાદનું કામ કરે છે.

સ્મિતા પાટિલ

ફિલ્મમાં બે પ્રવાહ છે. એક વર્તમાનનો ને બીજો વીતેલા સમયનો ! બંને વચ્ચે દાયકાઓનું અંતર છે. નાનકડી ઉષા (સ્મિતા) અને કેશવ(અમોલ)નું સાંગીતિક ઘરાનામાં વીતતું જીવન બહુ અસરકારક રીતે બતાવાયું છે. એમાં ઉષા તો બીજી બાળકી બને છે, પણ તેનાથી ઉંમરમાં મોટો કેશવ તો અમોલ જ બતાવાયો છે. એ અભિનય વડે ઉંમરનો જે તફાવત ઊભો કરે છે તે કાબિલે દાદ છે. ફ્લેશબેકનો અમોલ અને વર્તમાનનો અમોલ જુદા જ અનુભવાય છે. આ ભેદ ઉપસાવવામાં ફોટોગ્રાફી મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમણે શ્યામ બેનેગલની ફિલ્મ મંથન’ જોઈ છે એમને ખ્યાલ હશે કે ગામના સરપંચ તરીકે એક આંખ મીંચીને બોલતો કુલભૂષણ ખરબંદા અને ‘ભૂમિકા’ના સેટ પર લીલા નાળિયેરની મલાઈ ખાતો હરિલાલ (ખરબંદા) સાવ ભિન્ન જણાશે.

એ ખરું કે હંસા વાડકરે તેના સમયમાં ઘણી પડકારજનક ભૂમિકાઓ કરી, પણ સ્મિતા પાટિલ માટે ઉષા કે ઉર્વશી તરીકે વધારે પડકારો ઝીલવાના હતા. તેણે ફિલ્મ અભિનેત્રી ઉર્વશી તરીકે જુદી જુદી બ્લેકએન્ડ વ્હાઇટ અને રંગીન ફિલ્મોની અનેક ભૂમિકાઓ ભજવવાની હતી, એટલું જ નહીં, અભિનય દ્વારા ભૂમિકાઓ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરવાનો હતો. એ સાથે જ ભૂતકાળ અને વર્તમાનની કૌટુંબિક જિંદગીમાં ઊભી થયેલી કડવાશને પણ તીવ્રતાથી પ્રગટ કરવાની હતી. હંસા/ઉષા/ઉર્વશીની વ્યથા એ છે કે તેણે જે નહોતું કરવું એ જ કરવાનું આવ્યું ને ખુમારી એ હતી કે તેણે કરવું છે તે જ તે કરશે. આ સંઘર્ષ જિંદગી ખાઈ જનારો હોય છે.

નાની હતી ત્યારે ઉષાએ કેશવને પરણવું ન હતું ને માને ત્યારે વાંધો ન હતો. ઉષા ફિલ્મોમાં કમાતી થાય છે તો મા શાંતાબાઈ(સુલભા દેશપાંડે)નું મન ફરી જાય છે ને તે કેશવને ન પરણવાનું ઉષાને કહે છે. ઉષા માને સંભળાવે પણ છે કે કેશવે મદદ કરી ત્યારે તો કૈં ન બોલી. તેણે પરણવું પડે છે, કારણ કેશવે તેને ગર્ભવતી કરી છે. તેણે ફિલ્મો નથી કરવી ને પતિ કેશવ તેને પૂછ્યા વગર જ ઉષા/ઉર્વશી ફિલ્મો કરશે એવું કમિટ કરી આવે છે. ઉષાએ સાથી અભિનેતા રાજન (અનંત નાગ) સાથે કામ નથી કરવું ને પતિ તેની સાથે જ કામ કરવાની યોજના કરી શકે છે. વિધિની વક્રતા એ છે કે પતિ સાથે ઝઘડો કરીને ઘર છોડતી ઉષાએ જવું તો રાજનને આશરે જ પડે છે. એ પણ વિચિત્ર છે કે ધનાઢ્ય (અમરીશપુરી)ની ત્રીજી પત્ની બનેલી ઉષાએ તેની કેદમાંથી છૂટવા પત્ર લખીને જાણ તો પતિને જ કરવી પડે છે. આવા અનેક વિરોધાભાસોને સ્મિતા પાટિલે જીવી-જીરવી બતાવ્યા છે. સ્મિતા ઉત્તમ અભિનેત્રી હતી ને તે પણ હંસા વાડકરની જેમ જ નાની ઉંમરમાં ગુજરી ગઈ.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી શિવાજીરાવ પાટિલની દીકરી સ્મિતાનો જન્મ 1955માં પુનામાં થયો અને મૃત્યુ 1986માં મુંબઇમાં થયું. જોવાની ખૂબી એ છે કે અભિનયની કોઈ પણ તાલીમ લીધા વગર જ તે ઉત્તમ અભિનેત્રી પુરવાર થઈ હતી. શ્યામ બેનેગલે જ તેને અભિનયની પહેલી તક ‘ચરણદાસ ચોર’માં આપી. અભિનય તો તેણે 12 વર્ષ જ કર્યો, પણ એટલા ઓછા સમયમાં તેણે 66 ફિલ્મો કરી. ભૂમિકા ઉપરાંત ‘ચક્ર’, ‘મંથન’ અને મરાઠી ફિલ્મ ‘ઉંબરઠા’ માટે તેને અભિનયના રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા. તેને પદ્મશ્રી સન્માન પણ મળ્યું.

31 વર્ષની ટૂંકી જિંદગીમાં દેશ-વિદેશમાં માન-સન્માન મળે તેવું ઓછું બને. સ્મિતાએ અભિનય દ્વારા એવી સ્ત્રીને ફિલ્મી પડદે પ્રસ્તુત કરી જે શોષિત અને પીડિત તો છે જ, પણ એ મામલે તે વેઠ્યા નથી કરતી, અપેક્ષિત પરિણામ માટે મથે પણ છે. હંસા વાડકરને નિમિત્તે સ્મિતા પાટિલના સર્વોત્તમ અને સર્વાંગી અભિનયનો પરિચય ’ભૂમિકા’માં પ્રેક્ષકોને મળ્યો એ નાનીસૂની વાત નથી, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 નવેમ્બર 2024

Loading

બેસતે સ્વરાજે અનેરી જુગલબંદી : આજે સંભારીએ, બેઉને એક સાથે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 November 2024

નહેરુ જયંતી  

જુગલબંદી : જવાહર ને સરદારની પરસ્પર પૂરક, ઉપકારક જોડી

સુવાંગ શાસનનાં દસ વરસ પછી અને છતાં બદ્ધેબધ્ધો ગરબડયશ  સ્વરાજના સ્થાપક–પિતાઓને જ ધરાર દીધે રાખવાની બચકાના હરકત ધોરણસરની તપાસ માંગે છે : બહુ થયા  ઇતિહાસના ‘જો‘ અને ‘તો‘.

લેપિયર – કોલિન્સની, આપણા સ્વરાજસંગ્રામને લગતી લોકપ્રિય કિતાબ ‘ફ્રીડમ એટ મિડ નાઇટ’ પર આધારિત સિરિયલ તરતમાં વહેતી મૂકવાની છે ત્યારે એની આગોતરી ખાટીમીઠી, કહો કે ટીઝર, સોશ્યલ મીડિયા પર જોઈ તમે? કાઁગ્રેસ કારોબારીના વરિષ્ઠ સદસ્યો એકત્ર થયા છે. મૌલાના આઝાદ છ વરસ પછી પ્રમુખપદેથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એમનું (કાઁગ્રેસ પ્રમુખનું) સ્થાન કોણ લેશે એ વિમર્શમુદ્દો છે. સંખ્યાબંધ પ્રાન્તિક સમિતિઓ સરદાર તરફે છે. ટીઝરમાં દર્શાવ્યા મુજબ, ચાલુ વિમર્શે ગાંધી પ્રવેશે છે. દેશને પટેલની જરૂર છે એવો મુદ્દો એ લગભગ અધોરેખિત શૈલીએ કરે છે, અને જવાહરલાલના પ્રમુખપદની ભલામણ કરે છે. 

પ્રકાશ ન. શાહ

લ-ગ-ભ-ગ ઇતિ સિધ્ધમ ઢબે આ ખટમીઠું પડદાઊંચક આપણી સામે આવે છે. પણ દેશની તવારીખનો આ તબક્કો કોઈ એકાએક આવી પડેલ કે ઉપરથી ટપકી પડેલ નેતૃત્વનો વાસ્તવમાં નથી. સ્વરાજયાત્રા દરમિયાન 1929ની લાહોર કાઁગ્રેસના વારાથી નવા નેતૃત્વનું સહજ એલાન જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મુકમ્મલ આઝાદીના ઠરાવ સાથે થઈ જ ચૂક્યું છે. પછીનાં વરસો સંગઠનના માણસ તરીકે પટેલ અને લોકમોઝાર નેતૃત્વના અનેરી જુગલબંદીના છે. એમાં સમવિષમ ચડાવઉતાર હોઈ શકે, પણ જુગલબંદી તે જુગલબંદી.

જવાહર-સુભાષ પૈકી ભગતસિંહને આર્થિક સામાજિક કાર્યક્રમને ધોરણે જવાહર સારુ પક્ષપાત છે. હવે જુઓ 1931ની કરાચી કાઁગ્રેસમાં જવાહરના બે પ્રિય મુદ્દા – મૂળભૂત અધિકારો અને નાગરિક સ્વાધીનતા – ઠરાવરૂપે પસાર થઈ પ્રતિમાન સરજે છે ત્યારે પ્રમુખપદે વલ્લભભાઈ છે. 1935ના બંધારણ પ્રમાણે ચૂંટણી લડાય છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટણીજંગમાં ચાવીરૂપ સંકલન દાયિત્વ સંગઠન છેડે પટેલ હસ્તક છે અને દેશ આખામાં ધૂમી વળી જનમતને જીતવો એની જવાબદારી જવાહર બખૂબી પાર પાડે છે. એ દિવસોમાં વલ્લભભાઈએ બાપુને લખેલો પત્ર વાંચો. જવાહરે કેવું ભગીરથ કામ કેટલાં ભોગ સાથે પાર પાડ્યું, એ પ્રશંસાભાવ સાથેના વત્સલ શબ્દોમાં નાનો ભાઈ (સરદાર) મોટા ભાઇ(ગાંધી)ને રિપોર્ટ કરે છે. પોતાનાથી 14 વરસ મોટા વલ્લભભાઈ અને 20 વરસ મોટા ગાંધી સાથે મતભેદ સમેતનો સૌહાર્દ સમ્બન્ધ, કોણ સમજે. 

વિભાજનની વિભીષિકા વચ્ચે મોટી વાત દેશજનતાને બાંધતા ઊર્મિવત્સલ એવા અલબત્ત ખરી હૂંટીના અવાજની છે, એવી જ વળી રાજકીય એકમ તરીકેના દૃઢબંધની જરૂર છે. જવાહર ને સરદાર પરસ્પ પૂરક, ઉપકારક, સંસ્કાર (કરેક્ટિવ) એવી દુર્મિળ જોડી તરીકે બોજનું વહન કરે છે. બંનેને એકબીજા વિશે ખબર પણ છે, અને કદર પણ છે. મુંબઈની વિરાટ સભાને નેહરુ-પટેલ સંબોધે છે. પત્રકાર વિન્સેટ શીન આફરીન પોકાર્યાનો ભાવ પટેલ સમક્ષ વ્યક્ત કરે છે. પટેલ સહજભાવે કહે છેઃ મિ. શીન, આ બધું લોક જવાહર સારુ ઊમટ્યું છે. 

વિદેશ મંત્રીની નેહરુગાદીએ હાલ બેસતા એસ. જયશંકર વચ્ચે ગતકડું લઈને આવ્યા હતા કે નેહરુની કેબિનેટ યાદીમાં વલ્લભભાઈનું મૂળે નામ જ નહોતું! ભાઈ, નેહરુનો પટેલ પરનો કાગળ ઇતિહાસદર્જ ને ફાઈલબદ્ધ છે. એ લખે છે, મારે તમને ઔપચારિકતા સર નિમંત્રણ આપવું પડે છે, પણ (તમને એની જરૂર નથી, કેમ કે બધા જાણે છે કે) તમે આ નવી રચનાનો આધારસ્થંભ છો. 19 જુલાઈ 1947ના રોજ સત્તાવાર યાદી નેહરુએ લૉર્ડ માઉન્ટબેટન પર મોકલી એમાં ગણેશનામ શું પહેલું જ સરદાર રિપીટ, સરદાર વલ્લભભાઈ પટેલનું છે. 

‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં મૌલાના આઝાદે લખ્યું છે કે જો નેહરુનું નામ મૂક્યું એને બદલે પટેલનું મૂકવા જેવું હતું એમ મને લાગે છે. પાછળથી મેં પટેલને પૂછ્યું હતું કે તમે કેમ તમારે માટે આગ્રહ ન રાખ્યો. એમણે કહ્યું કે, 1945માં જેલમાંથી આવ્યો તે પછી શરીર સાવ કોરાઈ ગયેલું છે. ગમે ત્યારે ઢબી પડે એવું છે. (મતભેદો છતાં) અટ્ઠાવનના જવાહર ને બોત્તેરના વલ્લભ વચ્ચે, જે પણ વર્ષો ને સ્વાસ્થ્ય છે તે જવાહર પાસે સ્તો છે. 

કેળવવા જોગ પરિપ્રેક્ષ્યનું આ તો એકદશાંશમું ટોચકું માત્ર છે. દસ વરસના સુવાંગ શાસન પછી અગિયારમે પણ નહીં પકડાય તો ક્યારે પકડાશે ? રામ જાણે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 નવેમ્બર 2024

Loading

“તમારી પાસે પહેલાં હું ત્રણ ચીજ માગું છું. આપશો?”

રામનારાયણ નાગરદાસ પાઠક|Gandhiana|14 November 2024

રામનારાયણ નાગરદાસ પાઠક

ઓરિસ્સામાં હરિજન ફંડનું કામ ચાલતું હતું. કેન્દ્રાપાડામાં સાંજે સભા ભરાઈ. બાપુ એક ઊંચા મંચ ઉપર બેઠા. દશપંદર હજાર માણસમાં ભાગ્યે જ સોબસોએ પૂરાં કપડાં પહેરેલાં હશે. બાપુ લગભગ પોણો કલાક બોલ્યા. પછી ફાળો શરૂ થયો. રૂપિયા, આના, પૈસા, અધેલા, પાઇનો ઢગલો થયો. એમાં એક છોકરો આગળ આવ્યો, અને મોટું કોળું બાપુની સામે ઊંચું કરી ધરી રાખ્યું. બાપુએ મંચ ઉપરથી હાથ લંબાવીને લીધું અને સભાને શાંત પાડતાં બોલ્યા, “આ એક છોકરાની ભેટ છે. એણે છાપરા ઉપર શાકના વેલા ચડાવ્યા છે. કદાચ આજે આ કોળું તેનો મુખ્ય ખોરાક હશે. મેં એને પૂછ્યું કે તું આ શા માટે લઈ આવ્યો? મને કોળું આપી દીધું, હવે તું શું ખાઈશ? તો તેણે કહ્યું કે એક ટંક ન ખાવાથી ક્યાં મરી જવાના છીએ? મારી પાસે પૈસા નથી એટલે કોળું લાવ્યો. તાતા કે બિરલાના લાખો રૂપિયા કરતાં મને આ કોળાની વધુ કિંમત છે. તમને કેટલાકને થતું હશે કે આ માણસ ગરીબોના પૈસા લઈ લે છે. એ કરતાં બે-પાંચ શેઠિયા પાસેથી લાખ કેમ લઈ લેતો નથી? પણ તમે સમજો કે આ અસ્પૃશ્યતાનિવારણના મહાયજ્ઞમાં પૈસાની નહીં, ભાવનાની કિંમત છે. જે મને પાઈપૈસો આપે છે તે આ કામમાં મારી સાથે છે.”

સાંજે પાંચ વાગ્યે બીજે ગામ જવા નીકળ્યા. આગળ એક ભજનમંડળી અને પાછળ લોકોનું ટોળું. ગાતાવગાડતા આનંદથી નાચતાકૂદતા સૌ ચાલ્યા. જાણે પ્રભુ ચૈતન્યદેવ ફરી પધાર્યા હોય એમ લાગતું હતું. ધાર્યા કરતાં બીજા ગામનું અંતર વધારે નીકળ્યું, એટલે બાપુ એક ઝાડ નીચે વિસામો ખાવા બેઠા. ડિલે માત્ર કચ્છભેર, એક પગ લાંબો કરીને ઘુંટણ પર હાથ ટેકવી બેઠેલા બાપુ આસપાસ બેઠેલા સેંકડો ઓરિસ્સાવાસીઓના પ્રતિનિધિ સમા દરિદ્રનારાયણના સાથીના અવતાર જેવા લાગતા હતા.

ઠક્કરબાપા સાથે વાત કરી રહ્યા હતા. એમની બાજુમાં ઓરિસ્સાના લોકસેવક ગોપબંધુ ચૌધરી બેઠા હતા. તેઓ બાપુના દુભાષિયાનું પણ કામ કરતા. તે વખતે એક ડોસો આવ્યો. તેના અંગ પર માત્ર લંગોટી અને માથે લીરો વીટેલો હતો. અમે દૂર બેઠેલા જરા ખસીને નજીક આવ્યા. એ વૃદ્ધના શરીરની પાંસળીઓ ગણી શકાતી હતી. આવીને એ બાપુ સામે બેઠો. માથામાંથી તણખલું લઈ મોંમાં મૂક્યું. અને બાપુ સામું ત્રણવાર માથું નમાવ્યું. પછી એક પૈસો બાપુના પગ આગળ મૂક્યો. બાપુ ટગર ટગર જોઈ રહ્યા. તેમને આ જોઈને ભારે દુ:ખ થતું હતું. ઠક્કરબાપા તેમના અંતરની વેદના કળી શક્યા. થોડીવાર કોઈ બોલ્યું નહીં.

પછી બાપુએ ડોસા સામે જોઈ કહ્યું, “તમારી પાસે પહેલાં હું ત્રણ ચીજ માગું છું. આપશો?”

ચીંથરેહાલ વૃદ્ધ બાપુ સામે તાકી રહ્યો. એના મનમાં થયું કે આવડા મોટા મહાત્માને મારી પાસેથી શું લેવાનું હશે? એને ભારે નવાઈ લાગી, છતાં તરત એની આંખમાં તેજ આવ્યું. એ બોલ્યો, “બાપજી, આલવા જેવું હશે તો આલીશ.’’

માણસ કંઈક લેવા આવે છે ત્યારે એની આંખમાં ગરજ અને જીભમાં ખુશામત હોય છે. અને આપતી વખતે આત્માનું ઓજસ અને જીભમાં ત્યાગનું તેજ ચમકે છે. ઘડી પહેલાંનો ડોસો ઘડીમાં પલટાયો. ગાંધી મહાત્મા શું માગે છે તેની રાહ જોઈ રહ્યો.

બાપુ બોલ્યા, “પહેલાં તો તમારા માથામાં જે ઘાસનાં તરણાં છે તે મને આપી દો. આજથી કોઈની પાસે મોંમાં તરણું લઈ માથું ન નમાવશો. તમે પણ બીજા જેવા જ માનવી છો. સૌની જેવો જ આતમરામ તમારામાં પણ વસે છે. બીક કે લાલચથી બીજાને નમવું તે પાપ છે.” ડોસાએ માથામાંથી તરણાં ફેંકી દીધાં. “લો બાપજી” એમ કહેતાં એની આંખ ચમકી ઊઠી.

બાપુ બોલ્યા, “બીજું, તમારું મોં ગંધાય છે. તમે છાંટોપાણી લીધાં છે. દારૂ, તાડી, બીડી, તમાકુ, અફીણ વગેરે વ્યસનો માણસના દુ:શ્મન છે. અંગ્રેજની ગુલામી કરતાં એ મોટી ગુલામી છે. એ છોડી દેવાનું વચન આપો.”

“આજથી છાંટોપાણી નહીં લઉં, બાપજી!” ડોસાએ કહ્યું.

“ત્રીજું”, બાપુ બોલ્યા, “તમારી જીભ ચોખ્ખી રાખજો. જે જીભે રામનું નામ બોલીએ એ જીભે હલકો શબ્દ ન બોલાય. બાળકોને કે સ્ત્રીને ગાળ ન દેવાય. પાડોશીને ખરાબ વેણ ન કહેવાય. દેહ તો આત્માનું મંદિર છે. બોલો, કબૂલ છે?”

“ભલે બાપજી, ખોટા શબ્દ નહીં બોલું.”

બાપુ રાજી થઈને કહે, “તમારો પૈસો લાવો. એ ક્યાંથી લાવ્યા?” “લાકડાની ભારી વેચી તેમાંથી પાંચ પૈસા મળેલા. ચાર પૈસાના ચણા લઈ ખાધા અને એક આપને પગે મૂકવા લાવ્યો, બાપજી.”

“મને શા માટે આપો છો?”

“આપ કોઈ ધરમના કામમાં વાપરશો.”

“ધરમનું કામ એટલે ?”

“કોક ગરીબ ગુરબાના લાભમાં.”

બાપુએ ઠક્કરબાપાની સામે જોયું. તેઓ જાણે કહી રહ્યા હતા કે સાવ કંગાલ માણસનું મન પણ કેટલું મોટું છે. આર્થિક રીતે એ ગરીબ છે, પણ મનનો ગરીબ નથી. બીજાને માટે ઘસાવું, તેમાં જીવતરનો લહાવો માનવો, એ આપણા લોહીમાં રહેલી વસ્તુ હતી. 

બાપુએ એ પૈસો લીધો; એ ઘડીએ ત્રણે ડોસાના ચહેરા એક સરખા ખીલી ઊઠયા. એ ત્રિમૂર્તિ અમારા અંતરમાં એક અનોખો અજવાસ પાડી રહી.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...445446447448...460470480...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved