Opinion Magazine
Number of visits: 9664852
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોંઘવારી, બેરોજગારી, કોમ્યુનલ ધૃણાની સ્થિતિમાં કોઈ દિવસ ગુના ઘટે નહીં, ગુના વધે; એટલી સાદી સમજ એમને નહીં હોય?

રમેશ સવાણી|Opinion - Opinion|29 December 2024

[1]

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ 25 ડિસેમ્બર 2024ના રોજ, ગુજરાતની કથળેલી કાયદો વ્યવસ્થા / મહિલાઓની અસુરક્ષા અંગે મારો ઈન્ટરવ્યૂ લીધેલો; તેના મહત્ત્વના મુદ્દાઓ: 

સવાલ : ગુજરાતની 10 વર્ષની બાળકી પર રેપ કરી, ગુપ્તાંગમાં સળિયો નાખી તેની હત્યા કરવામાં આવી. અને બીજી ઘટનામાં એક વૃદ્ધા પર બળાત્કાર થાય છે. શાળાનો શિક્ષક બાળા પર રેપ કરી હત્યા કરે છે. આવી બીજી ઘટનાઓ પણ બની છે. કોલકાત્તામાં રેપ-મર્ડર થાય તો ગુજરાતના મુખ્ય મંત્રી ધરણા પ્રદર્શન કરે છે, પણ ગુજરાતમાં જ બનેલી આ બન્ને શરમજનક ઘટના અંગે મુખ્ય મંત્રી ચૂપ છે ! આપ શું કહો છો?

જવાબ : છેલ્લી બે ઘટનાઓ બની તે વધુ ગંભીર છે, કેમ કે નાની બાળા પર આ જ આરોપીએ એક મહિના અગાઉ બળાત્કાર કર્યો હતો. બીજી ઘટનામાં વૃદ્ધા પર યુવાને બળાત્કાર કરી જેલમાં ગયેલ આરોપી જામીન પર છૂટીને ફરી વખત વૃદ્ધા પર બળાત્કાર કર્યો. બન્ને આરોપીઓએ રીપીટ ક્રાઈમ કર્યું છે. સરકાર આ બાબતે ચિંતિત હોવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં રેપ-મર્ડરની ઘટના બની ત્યારે ગુજરાતમાં સત્તાપક્ષે ગોકીરો બોલાવ્યો હતો. પરંતુ આ બન્ને ઘટનાઓ બન્યા બાદ નાગરિકોને / વિક્ટિમ પરિવારને સંતોષ થાય તે પ્રકારનું કોઈ નિવેદન સત્તાપક્ષના કોઈ નેતાએ આપ્યું નથી. આ બાબત ગંભીર છે. આનો અર્થ એ છે કે સરકારને નાગરિકો પ્રત્યે નિસબત હોવી જોઈએ તે દેખાતી નથી. એક મહિના પહેલા બાળા પર રેપ થયો તેની ફરિયાદ પોલીસે કેમ લીધી નહીં? અથવા વિક્ટિમ પરિવાર બળાત્કાર જેવી ગંભીર ગુનાની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશને જતાં કેમ અચકાય છે? તેની તપાસ કરવી જોઈએ. બીજા કેસમાં કોર્ટે આરોપીને જામીન પર છોડ્યો અને એ આરોપી ફરી વખત વૃદ્ધા પર રેપ કરે છે. આ અત્યંત પાશવી કૃત્ય છે. આવા કૃત્યો બાબતે સરકાર ચિંતિત હોવી જ જોઈએ. સરકાર અને પોલીસ વિભાગે મનોમંથન કરી, ગંભીર ગુનાની ફરિયાદ નોંધાય તેવો માહોલ અને તેવો નાગરિકોને વિશ્વાસ અપાવવો જોઈએ, પણ હાલના તબક્કે આવું જોવા મળતું નથી. 

રમેશ સવાણી અને તુષાર બસિયા

સવાલ : સરકાર કહે છે કે અમે કોઈને છોડીશું નહીં ! અમે તાત્કાલીક ન્યાય અપાવીશું. તમે પોલીસ વિભાગમાં ફરજ બજાવી છે. હજુ કાર્યવાહીમાં શું ઘટે છે?

જવાબ : પ્રથમ તો આજે પોલીસ, પોલીસ નથી રહી; વેઠિયા મજૂર જેવી બનાવી દીધી છે. પોલીસ પોતાનાં મુખ્ય કામો કરી શકતી નથી. એક તરફ જગ્યાઓ ખાલી છે, બીજી તરફ VIP બંદોબસ્તના નામે 4-5 દિવસ તેને રોકી રાખવામાં આવે છે. પોલીસ નેતાઓની સુરક્ષામાં જ રોકાયેલી હોય છે. નાગરિકોની સુરક્ષા એમના માટે મહત્ત્વની રહી નથી. પોલીસ પાસે ગુનાની વિઝિટ કરવાનો સમય નથી. પોલીસ નથી સરખું વિલેજ વિઝિટેશન કરતી. સ્થળ પર લખવાનો ક્રાઈમ મેમો ઓફિસમાં બેસીને રાઈટર લખે છે. એક ઉદાહરણ આપું. એટ્રોસિટી એક્ટમાં બળાત્કાર / હત્યા / મિલકતને આંગ ચાંપવી વગેરે ગુનાઓ બને ત્યારે જિલ્લા SP તથા કલેક્ટરે ગુનાની વિઝિટ કરવાની હોય છે. પરંતુ આવા ગંભીર ગુનાઓમાં SP / કલેક્ટર સ્થળ વિઝિટ કરતા નથી કે સ્થળ વિઝિટ દરમિયાન નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે તે કરાવતા નથી. વંચિતો / દલિતો / આદિવાસીઓને વિશ્વાસ અપાવવા જે એક્ટ બન્યો છે તેનું પાલન બરાબર થતું નથી. એટલે એમને સંતોષ નથી. કાયદામાં જે જોગવાઈઓ કરી છે તેનો અમલ પણ કરતા નથી. 

સવાલ : તો રાજ્યની કથળેલી હાલત માટે બ્યુરોક્રસી જવાબદાર છે?

જવાબ : તેના માટે બ્યુરોક્રસી તથા રાજકીય નેતાઓ જવાબદાર છે. રાજ્યના વડાએ વિચારવું જોઈએ કે પોલીસ ફોર્સ બંદોબસ્તમાં રોકાઈ રહે છે, તો એ બીજું કામ શું કરે? એ નાગરિકોની સુરક્ષા કરશે? પેટ્રોલીંગ કરશે? નાઈટ કરશે? રેકર્ડ વ્યવસ્થિત રાખશે? એ સરખું ચાર્જશીટ કરશે? વિટનેસના નિવેદનો વ્યવસ્થિત લેશે? આમાંનું કશું થતું નથી ! બધું કામ રાઈટરો કરે છે. રાઈટર લખે તે SP / પોલીસ કમિશનર તથા જજ વાંચે છે. આ હાલત છે.

સવાલ : હમણાં રાજકોટમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ કહ્યું હતું કે રાજ્યના 6,800 ક્રિમિનલ પર ચાંપતી નજર રાખવા 6,800 પોલીસને રોક્યા છે. ગુનાઓ ખૂબ ઘટ્યા છે. પરંતુ પરિસ્થિતિ જુદી છે. તમે શું કહો છો?

જવાબ : પોલીસ વડાની વાત ખોટી છે તેમ બળાત્કારની આ બન્ને ઘટનાઓ કહે છે. એક મહિના પહેલા આરોપી રેપ કરે અને ફરી વખત તે આરોપી રેપ કરે અને બાળાની હત્યા કરે / વૃદ્ધા પર બળાત્કાર સબબ જેલમાં પૂરાયો આરોપીને કોર્ટ જામીન પર છોડે અને ફરી વખત એ જ આરોપી વૃદ્ધા પર બળાત્કાર કરે; એનો અર્થ એ છે કે ક્રિમિનલ પર ચાંપતી નજર રાખવાની વાત ખોટી છે. બીજું, ક્રાઈમ ઘટે છે તે મોટો ભ્રમ છે. જ્યારે બેરોજગારી / મોંઘવારી / નફરત-ધૃણા સતત સમાજને પીડી રહી હોય ત્યારે ક્રાઈમ ઘટે તે વાત કોઈ રીતે ગળે ઊતરી શકે નહીં. ક્રાઇમ હંમેશાં આર્થિક અને સામાજિક સ્થિતિના કારણે બને છે. આર્થિક કારણ વધુ કારણભૂત છે. ઠગાઈ / વિશ્વાસઘાત / ચોરી / ઘરફોડ / લૂંટ વગેરે ગુના પાછળ આર્થિક પરિબળ હોય છે. ક્રાઇમ ઘટ્યું હોય તો કઈ રીતે ઘટ્યું છે તે જોવું જોઈએ. ગુજરાતના પોલીસ સ્ટેશનમાં કોઈ નાગરિક જાય તો તેની FIR નોંધાય છે ખરી? જો FIR નોંધાતી હોય તો નાગરિકો FIR નોંધાવવા હાઈકોર્ટમાં કેમ જાય છે? હાઈકોર્ટના આદેશ બાદ FIR નોંધાય છે તે શું સૂચવે છે? એ સૂચવે છે કે સરકાર અને પોલીસ સાચી દિશામાં કામ કરતી નથી. એટલે હાઈકોર્ટે કામ કરવું પડે છે. હાઈકોર્ટ ફરિયાદ નોંધવાનો હુકમ કરે તેનો અર્થ એ છે કે પોલીસ તંત્ર કામ કરતું નથી. સરકાર કામ કરતી નથી. આ બાબત કોઈ ગંભીરતાથી લેતું નથી. ખરેખર તો આ બાબત મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીએ ગંભીરતાથી લેવી જોઈએ. હાઈકોર્ટને FIR નોંધવાનો હુકમ કેમ કરવો પડ્યો તે પ્રાથમિક સમજની વાત છે. આટલી પ્રાથમિક સમજ મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી ધરાવતા નથી, એ અફસોસની વાત છે. 

સવાલ : આ બાબતો મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને સમજાતી નથી, એવું કહેવા માંગો છો? શું બ્યુરોક્રસી સરકાર પર હાવી છે?

જવાબ : મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને પોતાના નાગરિકોની ચિંતા હોવી જોઈએ. એમને ચિંતા કઈ છે? ગુનાઓ ઘટ્યા છે એ બતાવવું છે. મહિલાઓ સામેના આટલા ગુના ઘટ્યા, SC-ST સામેના આટલા ગુનાઓ ઘટ્યાં છે એવું ખોટું સર્ટિફિકેટ લઈને છાતી ફૂલાવવી છે, એ મૂળ સમસ્યા છે. કોઈ પણ લોકપ્રિય મુખ્ય મંત્રી હોય; લોકોને પ્રતિબદ્ધ મુખ્ય મંત્રી હોય તો તે નીચે સૂચના આપે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવે તો નોંધી લેવી. જો ફરિયાદ નોંધવામાં ન આવે તો જે તે પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હું જ્યારે પોલીસ વિભાગમાં જોડાયો ત્યારે એ સ્થિતિ હતી કે બોગસ ફરિયાદીઓ મોકલવામાં આવતા હતા. જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધાય તો સંબંધિત પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરતા હતા. મને કહો કે 2001થી લઈ 2024 દરમિયાન આખા ગુજરાતમાં એક પણ એવા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરેલ છે, કે જેણે ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હોય ! એક પણ કિસ્સો જોવા નહીં મળે. એનો અર્થ એ છે કે સરકાર ઈચ્છે છે, રાજ્યના પોલીસ વડા ઇચ્છે છે કે ભલે ગુનાનું બર્કિંગ થાય; ભલે ગુનાનું મિનિમાઈઝેશન થાય; ગુનાઓ પોલીસ ચોપડે ઓછા ચડે; ગુલાબી ગુલાબી ચિત્ર ગુજરાતનું દેખાય તેવું સરકાર ઇચ્છે છે, પોલીસ વડા પણ એવું ઇચ્છે છે.

સવાલ : એમ કહી શકાય કે ગુનાને ઓછા દેખાડવાની પોલીસની ગુના બર્કિંગ કરવાની કાર્યરીતિ સરકારને ગમે છે. વાસ્તવમાં ક્રાઈમ વધ્યું છે, પણ રાજ્યની સ્થિતિ બતાવવા માટે પત્રકારોને NCRBના આંકડાઓ જ ધ્યાને લેવા પડે છે. ગુનાઓ નોંધાય જ નહીં તો તે NCRBના આંકડામાં કઈ રીતે આવે? સાચા આંકડા મળે નહીં.

જવાબ : પોલીસ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ અરજીમાં લે છે. અરજી રાખી મૂકે છે. આ રીતે ગુનાઓ ઘટે જ ! આ રીતે ઘટેલાં ગુનાની વાહવાહી પણ કરવામાં આવે છે. એના માટે ગર્વ લેવામાં આવે છે. પરંતુ શું મુખ્ય મંત્રી અને રાજ્યના પોલીસ વડા એ જાણતા નથી કે ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી, કોમ્યુનલ ધૃણાનું વાતાવરણ છે, એ સ્થિતિમાં કોઈ દિવસ ગુના ઘટે નહીં, ગુના વધે; એટલી સાદી સમજ એમને નહીં હોય?

સવાલ : એનો મતલબ એ છે કે રાજ્યની હાલની સ્થિતિ માટે પોલિટિકલ અને પોલીસ બન્નેની નિષ્ફળતા છે? 

જવાબ : બન્ને એના માટે જવાબદાર છે. બ્યુરોક્રસી એટલે રાજ્યના પોલીસ વડા સરકારને સાચું કહી શકતા નથી. ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરનાર સામે પગલાં લેવાતાં નથી. એનો મતલબ છે કે હળીમળીને, સમજૂતીથી ગુનાનું બર્કિંગ થઈ રહ્યું છે. આ હોમ મિનિસ્ટરને ગમે છે. અમારે ત્યાં ગુનાઓ ઘટ્યા છે, અમારે ત્યાં સુશાસન છે. ગુનાનું પ્રમાણ ઘટવાથી સુશાસન સ્થપાઈ જતું નથી. લોકોને જઈને પૂછો કે પોલીસ તમારી ફરિયાદ લે છે? લગભગ 90% લોકો કહેશે કે પોલીસ ફરિયાદ લેતી નથી ! હમણાં જ થોડા સમય પહેલા વસ્ત્રાપુરમાં ડિઝિટલ મીડિયાના વરિષ્ઠ મહિલા પત્રકારનું લેપટોપ / પાકીટ કારમાંથી ચોરાઈ ગયું. તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ગયાં. પોલીસે કહ્યું કે અરજી આપી દો ! અરજી લઈ લીધી અને અરજી એમને એમ રાખી. પછી ઊહાપોહ થયો ત્યારે તેમની FIR નોંધી ! જો વરિષ્ઠ પત્રકાર સાથે આવું થતું હોય તો ગુજરાતના સામાન્ય નાગરિકો સાથે શું થતું હશે? તેનો એક અંદાજ તમે લગાવી શકો છો.

[28 ડિસેમ્બર 2024]

•

[2]

ગેરપ્રચાર, સિંદૂર ચોપડેલા પથ્થર જેવું કામ કરે છે !

સવાલ : સરકારની, પોલીસની જવાબદારીની વાત આપણે કરી પણ નાગરિકોની જવાબદારી હોય કે નહીં? દિલ્હીમાં નિર્ભયાના ઘટના બાદ જબરજસ્ત ઊહાપોહ થયો હતો. નાની બાળા સાથેની ગુજરાતની આ ઘટના માટે નાગરિકોમાં કોઈ અવાજ જોવા મળતો નથી. આવું કેમ? 

જવાબ : કોણ બોલશે? કથાકારો બોલશે, ધર્મગુરુઓ બોલશે, પત્રકારો બોલશે, લેખકો બોલશે, નાગરિક સંગઠનો બોલશે, આ બધા તો સત્તાપક્ષની ચાપલૂસી કરે છે. તો અવાજ કઈ રીતે ઊઠશે? ગુજરાતમાં કોઈ નાગરિક સંગઠન છે, જે સરકાર સામે લડતું હોય? સરકાર સામે અવાજ કરતું હોય. નાગરિકો નેતૃત્વહીન છે. નાગરિકોમાં ઉગ્ર આક્રોશ છે, અમારું કોઈ સાંભળતું નથી. પણ એ કોને કહે? નથી મીડિયા એને હાઈલાઈટ કરતું કે નથી નેતાઓ ધ્યાન આપતા. વિપક્ષની પણ ક્રેડિટ નથી રહી. એ બોલે તો પણ લોકો એમને મહત્ત્વ આપતા નથી. ચારેબાજુ નૈતિક ધોવાણ થઈ ચૂક્યું છે. આ નૈતિક ધોવાણ કરનાર સત્તાપક્ષ છે, એના સંગઠનો છે. જે વારેવારે સંસ્કૃતિની વાત કરે છે. વારેવારે ધર્મની વાત કરે છે. સંસ્કૃતિ માટે ત્રિશૂળ, તલવાર વહેંચે છે. કઈ સંસ્કૃતિ માટે હથિયાર વિતરણ કરે છો? શું 10 વરસની બાળા પર આવું કૃત્ય થાય તો તેમાં સંસ્કૃતિ નષ્ટ થતી દેખાતી નથી? તમે કહો, RSS / VHP / બજરંગ દળ કે કોઈ સંસ્કૃતિ રક્ષક સંગઠનોએ અવાજ ઊઠાવ્યો છે? આવો એક દાખલો ગુજરાતમાંથી બતાવો ! એનો મતલબ એ છે કે સત્તાપક્ષ અને તેમની બધી સંસ્થાઓ પણ જે કંઈ ક્રાઈમ થઈ રહ્યું છે એમાં મૌન છે. એટલે અવાજ ઊઠતો નથી. બીજું શહેરી વર્ગ થોડો જાગૃત છે, દિલ્હીમાં આવી ઘટના બને તો ઊહાપોહ થાય. આ ઘટના ભરુચમાં બની છે. અને તે આદિવાસી બાળા ભોગ બની છે. આપણે ત્યાં ધર્મની / જ્ઞાતિ / જાતિ / વર્ણની રાજનીતિ છે, તે વચ્ચે આવે છે. ભોગ બનનાર આદિવાસી છે એટલે એટલો ઊહાપોહ નહીં થાય. આની જગ્યાએ જો કોઈ ઉચ્ચ વર્ણની દીકરી હોત તો લોકોએ થોડો અવાજ કર્યો હોત. આ રીતે મૂંગા રહેવું અને મૂંગા રાખવા તે સરકારનું / સત્તાપક્ષનું કામ છે. એટલે જ સરકાર આપણને જ્ઞાતિ / જાતિ / વર્ણમાં વહેંચી રહી છે. એટલે જાગવું જરૂરી છે. જો આપણે જ્ઞાતિ / જાતિ / વર્ણમાં રહીશું તો આ પ્રકારના બનાવો બનશે અને આ પ્રકારના બનાવોમાં તમે બોલી પણ નહીં શકો, એ સ્થિતિ આવશે. 

સવાલ : હવે સમય બદલાયો છે. અગાઉ આવી ઘટનાઓ બનતી ત્યારે મુખ્ય મંત્રી પર દોષારોપણ થતું. લોકો રાજીનામું માંગતા. હવે કહેવાતા બુદ્ધિજીવીઓ કહે છે કે આમાં મુખ્ય મંત્રી / ગૃહ મંત્રી શું કરે, આમાં પોલીસે ધ્યાન આપવાનું હતું. આવું પરિવર્તન કેમ?

જવાબ : રાજ્યના કોઈ પણ ખૂણામાં રેપની ઘટના બને તે માટે મુખ્ય મંત્રી / ગૃહ મંત્રી સીધી રીતે જવાબદાર નથી, પરંતુ એકનો એક આરોપી 10 વરસની બાળા પર ફરી રેપ કરે; એકનો એક આરોપી જામીન મુક્ત બની ફરી વૃદ્ધા પર બળાત્કાર કરે, ત્યારે સરકારે જાગવાની જરૂર છે. એક આરોપી ફરી વખત કેમ ગુનો કરે છે? તંત્ર લાચાર કેમ છે? Preventive Actions – અટકાયતી પગલાં કેમ કાચાં પડ્યા? શું કાયદામાં કડક જોગવાઈ નથી? કાયદામાં જોગવાઈ છે જ. પણ આપણે અટકાયતી પગલાં લઈ શકતા નથી. પોલીસ VIP બંદોબસ્તમાં રોકાયેલી રહે છે. પોલીસ કામ કરી શકતી નથી. પોલીસ મુક્ત હોય તો આરોપી સામે બરાબર પગલાં લીધાં હોત, અને તેની પર વોચ રાખી હોત. તો આ બન્ને ઘટનાઓમાં આરોપી ફરી વખત રેપ કરી શક્યો ન હોત ! રેપ થયો તે માટે પોલિસી-મેકરની જવાબદારી નથી; પરંતુ મુખ્ય મંત્રી / ગૃહ મંત્રીની જવાબદારી એટલે ઠરે છે કે આવા ગંભીર ગુનાની ફરિયાદ કેમ ન લેવાઈ? એવું તે કેવું તંત્ર છે કે 10 વર્ષની બાળા પર રેપ થાય અને માતાપિતા ફરિયાદ પણ ન કરે? એવી નિષ્ઠુરતા કેમ છે તંત્રમાં? શા માટે માતાપિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ન ગયા? આ અંગે મુખ્ય મંત્રી / ગૃહ મંત્રીએ જાગવાની જરૂર છે કે નહીં? એટલાં માટે એમની જવાબદારી થાય. મૃદુ / સંવેદનશીલ જેવા શબ્દો વાપરીને સુશાસન બતાવો તે ન ચાલે. ખરેખર તો લોકો સાથે એમનું એટેચમેન્ટ નથી રહ્યું, લોકોથી કપાઈ ચૂક્યા છે. એવાં ગુલાબી ભ્રમમાં રહે છે કે લોકોની કોઈ ચિંતા જ નથી. એના કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. હવે જો પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર નહીં થાય તો હું માનું છું કે આવી ઘટનાઓ આપણે અટકાવી શકીશું નહીં. 

સવાલ : લોકો દોખજમાં જીવતા હોય તેવી સ્થિતિ રાજનેતાઓએ કરી દીધી છે. છતાં સત્તા પલટો પણ આપણે જોતાં નથી. શું લોકોમાં કોઈ રોષ નથી, એવું માની શકાય?

જવાબ : ઘણાં લોકો આ સ્થિતિ માટે લોકોને જવાબદાર ગણે છે. વોટ તો એને આપે છે ! પરંતુ હું લોકોને જવાબદાર નથી ગણતો. લોકોની લાચારી છે. બે ટકના રોટલાની ચિંતા કરે, પોતાનું પેટ ભરવાની ચિંતા કરે કે આ બધું સમજે? ગોદી મીડિયા જે રીતે એક તરફી પ્રચાર કરી રહ્યું છે અને આપણને ધર્મનો નશો કરાવી રહ્યું છે, એ સામાન્ય લોકો સમજી શકશે? નહીં સમજી શકે. ચૂંટણીમાં ક્રિમિનલને ટિકિટ આપવામાં આવે છે. ચૂંટાય એ જ લક્ષ્ય હોય છે. એવા લોકો ચૂંટાય પણ જાય છે. મોરબીમાં 135 લોકોના મોત થયા છતાં ત્યાં સત્તાપક્ષનો ભવ્ય વિજય થયો ! આ સૂચવે છે કે લોકોને સંદર્ભથી કાપી નાખવામાં આવ્યા છે. એ સંદર્ભ એ છે કે નફરત-ધૃણાની રાજનીતિ અને મતપ્રાપ્તિ માટે ધર્મવાદ અને રાષ્ટ્રવાદનો બેફામ ઉપયોગ. ચૂંટણીપંચ પણ કંઈ કરતું નથી. તો એના કારણે સત્તાપક્ષને મજા આવી ગઈ છે. એટલે કદાચ રોજે આવા કિસ્સાઓ બને તો પણ એ જ ચૂંટાવાના છે. એમણે આખું તંત્ર ગોઠવી રાખ્યું છે. એમના માટે મોટામોટા કોર્પોરેટ કથાકારો પ્રચાર કરવાના છે, સ્વામિનારાયણ સંતો પ્રચાર કરવાના છે. બીજા ધર્મગુરુઓ પ્રચાર કરવાના છે. એમના માટે કોર્પોરેટ લોબી પ્રચાર કરવાની છે. એના માટે નાણાં છે, એના માટે ચૂંટણીપંચ છે, એના માટે પોલીસતંત્ર છે. ગુંડાઓ છે. એટલે સત્તાપક્ષ ચૂંટાય છે. તે લોકપ્રિય છે, તે સારાં કામોના કારણે ચૂંટાય છે તે ભ્રમ છે. એ ચૂંટાય છે આયોજનપૂર્વકના ગેરપ્રચારના કારણે. હવે આમાં લોકો જાગૃત કઈ રીતે બને? લોકો પાસે વિકલ્પ જ નથી. સ્વતંત્ર મીડિયા છે? જે થોડાં સ્વતંત્ર મીડિયા છે એને પણ કચડી નાખવામાં આવે છે. એક પત્રકારને કાઢવા આખી ચેનલ ખરીદી લેવામાં આવતી હોય તો એ શું સૂચવે છે? એ સૂચવે છે કે કોઈ અવાજ જોઈએ નહીં ! સરકાર સામે અવાજ ઈચ્છતા નથી ! અમે જે કામ કરીએ છીએ તે પવિત્ર કામ કરીએ છીએ, અમે માત્ર નેતા નથી પણ દેવદૂત છીએ, નોન બોયોલોજિકલ છીએ; એમ એ પ્રસ્થાપિત કરી દે છે. એટલે લોકોને માનવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેમ કોઈ સિંદૂર ચોપડેલા પથ્થરમાં વિશ્વાસ બેસી જાય છે, પગે લાગે છે, તે રીતે ગેરપ્રચારના કારણે લોકો સત્તાપક્ષને માને છે ! લોકોના કામ કર્યા છે એટલે ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો આવી છે તે ભ્રમ છે. આ એક પ્રકારની ગોઠવણ છે. 

સવાલ : જો સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારતી નથી તો રાજ્યનું ભવિષ્ય શું લાગે છે?

જવાબ : રાજ્યનું ભવિષ્ય દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે. નાગરિકોને વધારેને વધારે સહન કરવાનું આવશે, તે ચોક્કસ છે. પોલિસી લેવલે આખી વ્યવસ્થા ભાંગી પડે ત્યારે આજે આદિવાસી બાળા ભોગ બની છે, વૃદ્ધા ભોગ બની છે, કાલે બીજા ભોગ બનશે. ત્યારે તમે અવાજ કરી શકો તેવી સ્થિતિ નહીં રહે. આમાં કોઈ સારા સંકેતો મળતા નથી. સરકાર ખરેખર જાગે છે કે નહીં? સરકાર ખરેખર લોકો પ્રત્યે પ્રતિબદ્ધ છે કે નહીં? આ સવાલ નાગરિકોના મનમાં ઊઠ્યા છે. સરકારે પણ વિચારવું જોઈએ કે લોકોની સુરક્ષા માટે બેઠાં છીએ, નહીં કે તાલ તાશીરા માટે. સરકાર જો પરિવર્તન નહીં લાવે અને માત્ર જાહેરખબરથી સુશાસન સ્થાપી દેશે તો આગળ જતાં પરિસ્થિતિ વણસશે ! 

સવાલ : આવી જઘન્ય ઘટનાઓ બને ત્યારે મુખ્ય મંત્રી/ ગૃહ મંત્રી બે શબ્દો બોલી શકે, પણ એવું પણ બન્યું નથી !

જવાબ : બિલકુલ, રાજ્યના વડાની ફરજ છે કે આવી ઘટનાઓ બને ત્યારે નાગરિકોમાં વિશ્વાસ પ્રગટે તેવા બે શબ્દો કહે. તો નાગરિકો સુરક્ષાનો અહેસાસ પણ કરી શકે. મુખ્ય મંત્રીએ કહેવું જોઈએ કે અમે વિચારમંથન કરીશું અને અમે એક્શન લઈશું તેની ખાતરી આપું છું. આટલું જો મુખ્ય મંત્રી કહે તો લોકોને તંત્રમાં વિશ્વાસ બેસે. 

સવાલ : આવું મુખ્ય મંત્રી કહેતા નથી તેનું શું કારણ હોઈ શકે?

જવાબ : તેઓ એવું માને છે કે આપણે આવું સ્વીકારીશું તો ખરાબ દેખાશે. પણ એ એમની ખોટી માન્યતા છે. તંત્રની ખામી છે. કોર્ટની પણ ખામી છે. જજે આરોપીને જામીન પર છોડ્યો ન હોત તો તે ફરી વખત બળાત્કાર કરી શક્યો ન હોત ! મુખ્ય મંત્રીએ એ કહેવું જોઈએ કે ‘આવા તંત્રની અમે પુનઃ વિચારણા કરીશું.’ લોકોમાં વિશ્વાસ બેસે તેવાં પગલાં લેવાવાં જોઈએ.

http://xn--ndco.rs/

29 ડિસેમ્બર 2024
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મનમોહનસિંહ બોલતા હતા ત્યારે દુનિયા સાંભળતી હતી

રમેશ ઓઝા|Opinion - Opinion|29 December 2024

રમેશ ઓઝા

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ભારતના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ વિષે કહ્યું હતું કે “તેઓ જ્યારે બોલે છે ત્યારે વિશ્વ તેમને સાંભળે છે અને લાભાન્વિત થાય છે.” તેમની વાત તો સાચી હતી, પરંતુ ત્યારે એમ લાગ્યું હતું કે વિદેશ મુલાકાતો વખતે એક દેશનો શાસક બીજા દેશના શાસકને અને તે શાસકના દેશની પ્રજાને સારું લગાડવા માટે આવું બધું બોલતા હોય છે અને એવી જ કદાચ આ પ્રસંશા હોઈ શકે છે. બદલાયેલા વૈશ્વિક રાજકારણમાં ભારતને નજીક લાવવામાં અમેરિકાનો સ્વાર્થ છે. પણ પછી એનાથી પણ વધારે સુખદ આશ્ચર્ય થયું. બરાક ઓબામાએ પ્રમુખપદ છોડ્યા પછી દસ વરસે લખેલી તેમની આત્મકથામાં આ જ વાત ફરી દોહરાવી અને એ પણ વિસ્તારથી. જે યુગમાં અને જે સંજોગોમાં ડૉ. મનમોહન સિંહે ભારતના નાણાં પ્રધાન તરીકે આર્થિક સુધારાઓ દ્વારા હસ્તક્ષેપ કર્યો એ વિકાસશીલ દેશોના દૃષ્ટાનો હસ્તક્ષેપ હતો. માત્ર ભારતના નહીં, તમામ વિકાસશીલ દેશોના. આને કહેવાય કદર. ૨૦૧૪માં ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન તરીકે નિવૃત્ત થયા ત્યારે તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે ઇતિહાસ મને ન્યાય આપશે. તેમને તેમણે ધાર્યું હતું તેના કરતાં પણ વહેલો ન્યાય મળ્યો છે. ઘણીવાર શત્રુઓ જ દુ:શ્મનને ઝડપથી મહાન સિદ્ધ કરી આપતા હોય છે.

ડૉ. મનમોહન સિંહ જ્યારે દેશના નાણાં પ્રધાન બન્યા ત્યારે સામ્યવાદી દેશોનું પતન થયું હતું. વિદ્વાનોએ ‘ધ એન્ડ ઓફ હિસ્ટરી’ એટલે કે પક્ષ પ્રતિપક્ષ(થિસીસ એન્ટી થિસીસ)ની સાઈકલનો અંત આવી ગયો છે અને લોકશાહી મૂડીવાદ માનવ સમાજ માટે કલ્યાણકારી સંજીવની તરીકે અમર રહેશે એવી ઘોષણા કરી દીધી હતી. આ બાજુ શ્રીમંત દેશો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરીને હરખાતા હતા કે તેમણ વિકાસશીલ દેશોની અંદર સત્તાવાર પ્રવેશ મેળવીને તેનાં સાધનો અને બજાર પર કબજો કરી લીધો છે. ચીન વીંગમાં ઊભું હતું જેણે તાનાશાહી મૂડીવાદનો અનોખો, કહો કે વિચિત્ર વર્ણસંકર માર્ગ અપનાવ્યો હતો. ભારત હવે જૂની વ્યવસ્થામાં ટકી શકે એમ નહોતું, કારણ કે જૂની વ્યવસ્થા જ પડી ભાંગી હતી. એક બાજુ ડબલ્યુ.ટી.ઓ. દ્વારા વિશ્વ પર કબજો કરવાની રમત, બીજી બાજુ તાનાશાહી મૂડીવાદનું સ્વરૂપ આગળ જતાં કેવું હશે તે વિશેની આશંકા અને તેની વચ્ચે ભારત જેવો દેશ જે કદમાં વિશાળ છે, વસ્તી મોટી છે, વિપુલ સંસાધનો ધરાવે છે, હજુ પણ અનેક અર્થમાં ગરીબ અને પછાત છે, વિકાસનાં હોવા જોઈતાં લક્ષ્યોથી ઘણો દૂર છે અને પાછો વિકાસશીલ દેશોમાં સફળ લોકશાહીનો એમ કહી શકાય કે એકમેવ ટાપુ છે.

આવી સ્થિતિમાં ડૉ. મનમોહન સિંહનો ઉદય થયો. તેમના ઉદયમાં એ સમયના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવનો મોટો ફાળો હતો. બદલાયેલા અને બદલાઈ રહેલા જગતનાં સંકેતો તેમણે પામી લીધાં હતા. તેઓ પોતે વિચક્ષણ વિદ્વાન હતા. તેમણે જોયું કે રાજકારણી નાણાં પ્રધાન અત્યારના સંક્રાંતિના સમયમાં દેશની જગ્યા બનાવી નહીં શકે. કોઈ અર્થશાસ્ત્રી હોવો જોઈએ જેને હળવે હલેસે પણ દૃઢતાપૂર્વક કામ લેતા આવડતું હોય. તેમની પહેલી પસંદ રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર આઈ.જી. પટેલની હતી. પટેલસાહેબે નાણાં પ્રધાન બનવાની ના પાડી અને તેમણે ડૉ. મનમોહન સિંહનું નામ સૂચવ્યું. અલબત્ત ડૉ. મનમોહન સિંહ દેશ માટે અજાણ્યા નહોતા. તેઓ વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા, રીઝર્વ બેન્કના ગવર્નર હતા, આયોજન પંચના નાયબ અધ્યક્ષ હતા વગેરે. છેક જવાહરલાલ નેહરુએ તેમનું હીર પારખી લીધું હતું અને તેમને વહીવટીતંત્રમાં જોડવા કહ્યું હતું, પરંતુ ત્યારે ડૉ. મનમોહનસિંહે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમીક્સમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું પસંદ કર્યું હતું.

પી.વી. નરસિંહ રાવે ડૉ. મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવ્યા અને પછી જે થયું તે ઇતિહાસ છે. તેઓ માત્ર ભારતના અર્થતંત્રને જ નહીં, ભારતને નવા યુગમાં લઈ આવ્યા. આનો શ્રેય જેટલો મનમોહન સિંહને જાય છે એટલો જ તેમના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવને જાય છે. એ સમયે આ લખનારે અને બીજા અનેક લોકોએ આર્થિક સુધારાઓની ટીકા કરી હતી. બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા મૂડીવાડી દેશોનો નવસંસ્થાનવાદ ભારતમાં પ્રવેશ કરશે એમ લાગતું હતું. ત્યારે એ વાત નહોતી સમજાઈ કે બચવા માટે પણ સમય અને સંદર્ભોએ પેદા કરેલા અખાડામાં ઉતરવું જરૂરી છે. હવે તમે રિંગની બહાર નહીં રહી શકો. ધીરે ધીરે વાત સમજાતી ગઈ અને વિરોધ ઓછો થવા લાગ્યો. ડૉ. મનમોહન સિંહના એ સમયનાં અનેક વ્યાખ્યાનો મનનીય હતાં. બરાક ઓબામાં જેવો જ અનુભવ આ લખનારને થવા લાગ્યો. આ માણસ કાન દઈને સાંભળવા જેવો છે. ૨૦૦૮ પછી જગતમાં મોટું આર્થિક સંકટ આવ્યું અને ભલભલા દેશો તેની લપેટમાં આવી ગયા ત્યારે ફરી એક વાર દેશના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશને સંકટમાં ટકાવી રાખ્યો હતો.

પણ એનો અર્થ એવો નથી કે મનમોહન સિંહે નિરાશ નથી કર્યા. તેમની પાસેથી પ્રચંડ આશા હતી એટલે નિરાશા વધારે સાલે છે. તેમણે ખબર હતી અને તેમણે ઘણીવાર કહ્યું પણ હતું કે ધરના બારણાં ખોલો તો સાવચેતી પણ વધારવી જોઈએ. જો સાબદા ન રહો તો લોમડીઓ લાભ લઈ જાય. આશા હતી કે આ વાત સમજનારા ડૉ. મનમોહન સિંહ દરવાજા ઉઘાડ્યા એ પછી માત્ર દાયકાની અંદર વડા પ્રધાન બન્યા છે તો લોમડી લાભ મારી ન જાય એ સારુ દરવાજા બંધ કર્યા વિના સાવચેતીનાં પગલાં લેશે. બીજા શબ્દોમાં કહીએ તો પુખ્ત અર્થતંત્ર માટે જરૂરી વહીવટી, નાણાંકીય, વાણીજ્યકીય અને અદાલતી સુધારાઓ કરશે. સંત્રીઓ વિનાનો મૂડીવાદ આફત નોતરી શકે. તેઓ સુધારા નહીં કરી શક્યા. લાભાર્થીઓની તાકાત એટલી વધી ગઈ હતી કે તેમણે શાસનસંસ્થાઓને કબજે કરવાનું શરૂ કર્યું. મનમોહન સિંહ એક લાચાર મૂક દર્શક બની ગયા. અત્યારે તો તેનાથી પણ બદતર સ્થિતિ છે. ડૉ. મનમોહન સિંહ તો લાચાર હતા જ્યારે અત્યારના શાસકો ભાઈબંધ છે. દેશપ્રેમે લૂટ તરફના આક્રોશને શાંત કરી દીધો છે અને લોકો અમૃતકાલનો અનુભવ કરી રહ્યા છે. ડૉ. મનમોહન સિંહે ઇતિહાસ મને ન્યાય કરશે એમ જે કહ્યું હતું એનો આ સંદર્ભ છે.

ઇતિહાસ બીજા એક કારણે પણ ન્યાય કરવાનો હતો. એ કારણ છે ભારતનાં નાગરીકોનું અને ગરીબ વંચિતોનું સશક્તિકરણ. માહિતીનો અધિકાર શિક્ષણનો અધિકાર, જલ જમીન અને જંગલ પર અધિકાર વગેરે. દેશની અંદર પોતાનાં માટે અલાયદો દેશ ઇચ્છનારા ભદ્ર સમાજને આ જોગવાઈઓ નડતરરૂપ છે. બે બદામનો ખેડૂત અને આદિવાસી વળી આડો ચાલવા જેટલી સુરક્ષા ધરાવે? હટાવો સુરક્ષાકવચ.

મહાત્મા ગાંધીની જેમ મનમોહન સિંહ પણ આડા આવે છે. પણ આવા લોકો મરતા નથી. અત્યારના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્‌ના પતિ પરકાલા પ્રભાકર અર્થશાસ્ત્રી છે. એક વાર પતિ-પત્ની દેશની આર્થિક સ્થિતિ વિષે ચર્ચા કરતાં હતાં, ત્યારે પ્રભાકરે નાણાં પ્રધાન પત્નીને કહ્યું હતું કે રોડની પેલી બાજુ એક કિલોમીટર દૂર ડૉ. મનમોહન સિંહ રહે છે. જ્ઞાન જોઈતું હોય તો ત્યાં જવું પડશે. ઉપાય એ બતાવી શકશે. દૂરનું એને ભળાય છે.

બરાક ઓબામાંથી પરકાલા પ્રભાકર. વર્તુળ પૂરું થાય છે. એ જ્યારે બોલતા હતા ત્યારે દુનિયા સાંભળતી હતી અને ઘરઆંગણે તેમની હલકી ભાષામાં ઠેકડી ઉડાડવામાં આવતી હતી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ડિસેમ્બર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—269

દીપક મહેતા|Opinion - Opinion|28 December 2024

નવા જમાનાની જાદુઈ લાકડીની ‘નવલ’- કથા

નોકર અને શેઠની હાજરજવાબી     

દુનિયાની ૬૯ ભાષાઓમાં જુદી જુદી રીતે જોવા મળતી સિન્ડ્રેલાની પરીકથા અને આજની આપણી આ કથા વચ્ચે એક જ ફરક છે. આજની કથાનું મુખ્ય પાત્ર કોઈ છોકરી નહિ, પણ એક છોકરો છે. એનું નામ નવલ. બાવાજીનું નામ હોરમસજી. એવનને તન પોરિયા. નવલ સૌથી નાહ્લો. હોરમસજી અમદાવાદની એડવાન્સ મિલમાં સ્પિનિંગ માસ્તરની મામૂલી નોકરી કરે. નોકરીમાં નહિ પેન્શન કે નહિ કોઈ બી જાતનો વીમો. હજી તો નવલ માંડ ચાર વરસનો થિયો તેવામાં હોરમસજી ખોદાયજીને પ્યારા થઈ ગિયા! થોરા દિવસ તો નવસારીના પરગજુ પારસીઓએ તન છોકરા અને તેમની માયને સાચવિયાં. પન પછી? તન પોરિયાઓને લઈને મમ્મા ગિયાં સુરત. ભરત-ગૂંથન, શીવણકામ અને બીજા ન્હાલ્લાં મોટ્ટાં કામ કરીને માંડ માંડ ચાર દોઝરાં ભરે.

એક વેળાએ દોરાબજી તાતા ગિયા હુતા સુરત. ખોદાયજીની એવી મરજી હોસે તે મળિયા પેલા તન છોકરાનાં માયજીને. દોરાબજીએ એવનને સમજાવિયાં : તન તન છોકરાને તમે એકલે હાથે મોટા નહિ કરી સકસો. એમને અહીંના ઓર્ફનેજમાં મૂકી દો. સુરતનું આય અનાથાશ્રમ મુંબઈના રહેવાસી જમશેદજી નસરવાનજી પીતીતની યાદમાં એવનના બાવા નસરવાનજીએ સુરુ કિધેલું. નસરવાનજી હુતા એ જમાનાના એક મોટ્ટા વેપારી. એકનો એક પોરિયો જમશેદજી. માત્ર બત્રીસ વરની આવરદા ભોગવનાર જમશેદજી એક અચ્છા પારસી લેખક હુતા, જુદી જુદી ભાષાઓના જાણકાર ચાહક હુતા. ‘માહરી મજેહ’ એવનની કવિતાની કિતાબ. જુદી જુદી ભાષાઓની કહેવતોનો દળદાર સંગ્રહ તે ‘કહેવતમાળા.’ બંને ચોપડી એવનના ગુજરી ગિયા પછી છપાઈ. નસરવાનજીએ જમશેદજીની યાદમાં મુંબઈમાં બંધાવેલી જે.એન. પીતીત લાઈબ્રેરી આજે બી ફ્લોરા ફાઉન્ટન પાસે અડીખમ ઊભી છે.  

પણ આ તો વાત જરા આરે પાટે ચરી ગઈ. તન પોરિયાઓને લઈને દોરાબજી ગિયા પેલા ઓર્ફનેજમાં. પન એના મેનેજર કહે કે અમે બે છોકરાને રાખસ. પણ આય તીજો નવલ, હજી બૌ નાલ્લો છે એટલે આવતે વરસે તેને દાખલ કરસું. અને એક વરસ વેરે નવલ બી ગિયો બે મોટા ભાઈની સાથે ઓર્ફનેજમાં. 

નવલ તાતા

અને હવે આવે છે આય વાતમાં જબરો ટવીસ્ટ! ૧૯૧૮માં દોરાબજીના ભાઈ રતનજી (આર.ડી.) એકાએક લંડનમાં ગુજરી ગિયા. નહિ રતનજીને ઓલાદ, નહિ દોરાબજીને. પન રુવાન(મૃતદેહ)ને અવલમંજલ પહોંચારવા માટે દીકરો તો જોઈએ! એટલે કોઈ છોકરાને દત્તક લેવો પરે. અને બરાબર એ જ ટાણે દોરાબજીને સાંભરી આયા પેલા તન પોરિયાઓ જેને સુરતના ઓર્ફનેજ્માં પોતે જ દાખલ કીધા હુતા. અને ભલે દૂરના, પણ એ તને પોરિયા તાતા ખાનદાનના હુતા. એ વલી કઈ રીતે? દોરાબજી અને રતનજીનાં માયનું નામ હીરાબાઈ, જે હુતાં સર જમશેદજીનાં ધણિયાણી. પોરિયા નવલનાં દાદી અને હીરબાઈ, બે સગ્ગી બહેનો! એટલે રતનજીના વિધવા નવાજબાઈને લઈને ગિયા સુરતના ઓર્ફનેજમાં. તન ભાઈઓને બતલાવીને બોલિયા કે આ તનમાંથી કોઈ બી એકને પસંદ કરી લો. જોતાં વેંત નવાજબાઈની નજરમાં નાલ્લો પોરિયો નવલ વસી ગિયો. વરસો પછી આય વાતને યાદ કરતાં નવલ તાતા બોલિયા હુતા કે એ દહાડે નવાજ મમ્મા મારે વાસ્તે તો હાથમાં જાદુઈ છડી લઈને જ આયાં હુતાં. એવને મુને એ છડી અડકાવેલી બી નહિ. અને છત્તાં તે દહારે હું ઓર્ફનેજમાંથી તાતા ખાનદાનના રાજમહેલ જેવા બંગલામાં પૂગી ગિયો!

પન એ જ દહારે નહિ હોં! કેમ વારુ? નવલ અને એના બંને ભાઈ ઓર્ફનેજમાં ફી ભરીને નહિ, બિલકુલ ફ્રીમાં રહેતા હુતા. અને ઓર્ફનેજનો નિયમ હૂતો કે આય રીતે ફ્રીશિપ મેળવનાર પોરિયા મેટ્રિક(આજની એસ.એસ.સી.)ની પરીક્ષા પાસ કરે તે પછી જ ઓર્ફનેજ છોરી સકે. એટલે મેટ્રિક થયા પછી જ નવલજી તાતા ખાનદાન સાથે રહેવા ગિયા. મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ બનિયા, લંડન જઈ અભ્યાસ કીધો અને ૧૯૩૦માં તાતા ગ્રૂપમાં કોઈ ઊંચા હોદ્દા પર નહિ, એક સામાન્ય ડિસ્પેચ ક્લાર્ક તરીકે જોડાયા. મજૂરોને લગતા કાયદા-કાનૂન, મજૂરોની સુખાકારી, વગેરેમાં નવલજીને જબરી જાણકારી. ફક્ત આપરા દેશમાં જ નહિ, બીજા દેશોમાં પન એ માટે તેમની જબરી નામના. પૂરાં ૩૮ વરસ સુધી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનિઝેશન(ILO)માં એવને હિન્દુસ્તાનનું પ્રતિનિધિત્વ કીધું. પોતાની કંપનીના મજૂરો સાથે બી નવલજી હસી મજાક બી કરી પણ શકતા અને સામી મજાક ઝીલી બી શકતા. એક વાર એક મજૂર તેના મશીન પરથી પૂરા એક કલાક માટે ગાયબ થઈ ગયેલો માલમ પડ્યો. પાછો આવ્યો ત્યારે સુપરવાઈઝર તેને નવલજી પાસે લઈ ગિયો અને ફરિયાદ કીધી. નવલજીએ પૂછયું : ‘કામ છોડીને એક કલાક સુધી ક્યાં ગિયો હૂતો?’ મજૂર: ‘સાહેબ! વાળ કપાવવા ગયો હતો.’ ‘એટલે જે ટાઈમમાં કામ કરવા માટે હું તુને પગાર આપું છ, એ ટાઈમનો ઉપયોગ તું વાળ કપાવવા માટે કરે છ?’ મજૂર હતો હાજરજવાબી. કહે : ‘ના, સાહેબ. મેં બધ્ધા વાળ નથી કપાવ્યા. આપ જે ટાઈમનો પગાર આપો છો એ ટાઈમમાં ઊગેલા એટલા જ વાળ કપાવ્યા છે!’ આય સાંભળી નવલજી ખડખડાટ હસી પડિયા અને આંગળીનો ઈશારો કરી કહ્યું કે ‘જા.’

ભારતની હોકી ટીમ સાથે નવલ તાતા (વચમાં કાળા સૂટમાં બેઠેલા)

નવલજીનો બીજો ખાસ શોખ તે રમતગમત. ઇન્ડિયન હોકી ફેડરેશનના લાગલાગટ પંદર વરસ સુધી એવન પ્રેસિડન્ટ હુતા. આપરો દેસ આઝાદ થિયો તે પછી પહેલવહેલી ઓલિમ્પિક્સ ગેમ્સ ૧૯૪૮માં લંડનમાં રમાવાની હુતી. નવલજીનો ખાસ આગ્રહ કે આઝાદી પછીની આ પહેલી ગેમ્સમાં હિન્દુસ્તાનની હોકીની ટીમે ભાગ લેવો જ જોઈએ. લાંબા વખત સુધી સરકાર સાથે લખાપટ્ટી કીધી. પન સરકારી અમલદારો જેનું નામ! ન હા પાડે, ન ના પાડે. કારણ? કારણ ટીમનો આવવા-જવાનો, રહેવા કરવાનો ખરચ કયે ખાતે ઉધારવો એની વિમાસણ. છેવટે નવલજી ગિયા પંડિત જવાહરલાલ નેહરુ પાસે. અને એવણને હોકી ટીમને મોકલવા રાજી કીધા. આઝાદ ભારતની હોકી ટીમ ગઈ, અને ગ્રેટ બ્રિટનને (૪-૦) હરાવીને પહેલો ગોલ્ડ મેડલ જીતીને પાછી આવી. એ પછી ૧૯૫૨માં નેધરલેન્ડને (૬-૧) હરાવ્યું. ૧૯૫૬મા પાકિસ્તાન સામે ત્રીજો ગોલ્ડ મેડલ. પણ જીત મળી હુતી થોરી નાલ્લી : ૧-૦ ગોલથી. નવલજી નેહરુને મલવા ગિયા તે વારે નેહરુ થોરા નારાજ હુતા. કહે : ‘૧-૦ એ તે કાંઈ જીત કહેવાય? આવી જીત ટેનિસમાં ચાલે, પણ હોકીમાં? શું આપણી ટીમની રમતનું ધોરણ કથળવા લાગ્યું છે?’ તરત નવલજીનો જવાબ મળ્યો : ‘ના, જી. પન બીજા દેશોનું ધોરણ સુધરવા લાગ્યું છે.’ ૧૯૬૯માં ભારતના રાષ્ટ્રપતિએ નવલ તાતાને પદ્મભૂષણથી નવાજ્યા હતા. નવલ તાતાના હોકી માટેના લગાવની યાદગીરી સાચવવા માટે જમશેદપુરમાં ૨૦૧૭માં નવલ તાતા હોકી એકેડેમીની સ્થાપના કરવામાં આવી. 

૧૯૬૯માં રાષ્ટ્રપતિ ડો. ઝાકિર હુસેનને હાથે પદ્મ ભૂષણ

૧૯૭૧ની લોકસભાની ચૂંટણી વખતે નવલજી દક્ષિણ મુંબઈ મતદાર વિભાગમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા ત્યારે ઘણાને નવાઈ લાગેલી. તેમની સામેના બે ઉમેદવારો હતા જ્યોર્જ ફર્નાન્ડીસ અને ડોક્ટર એન.એન. કૈલાસ. એ જમાનામાં મુંબઈના ‘બેતાજ બાદશાહ’ ગણાતા સદોબા પાટીલને હરાવીને આગલી ચૂંટણીમાં ફર્નાન્ડીસ જીતેલા. પણ પરિણામ કોઈએ ધારેલું નહિ એવું આવ્યું : ફર્નાન્ડીસ અને નવલ તાતાને હરાવીને લગભગ અજાણ્યા ગણાય એવા ડો. કૈલાસ જીતી ગયા!  

કેન્સરના રોગથી પીડાઈને ૧૯૮૯ના મે મહિનાની પાંચમી તારીખે નવલ તાતા મુંબઈમાં બેહસ્તનશીન થિયા.

નવલજી પછીના તાતા ખાનદાનના મોભીની અજીબોગજબ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 ડિસેમ્બર 2024 

Loading

...102030...442443444445...450460470...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved