Opinion Magazine
Number of visits: 9664885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જસ્ટિન ટ્રુડોઃ ઉદારમતવાદી આગેવાન મારગ ભૂલ્યા, અને રાજકીય બાજી ચોપટ થઇ ગઈ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 January 2025

પરિવર્તનશીલ વિચારધારાની વાત કરનારા ટ્રુડો લોકોની સંવેદનાઓ સમજવામાં કાચા પડ્યા અને લોકપ્રિયતાથી કેળવેલો વધુ પડતો આત્મવિશ્વાસ જ તેમના પતનનું કારણ બન્યો

ચિરંતના ભટ્ટ

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નવ વર્ષ પછી પોતાના પદને અલવિદા કહી રહ્યા છે. પક્ષમાં ચાલેલા ભેદભાવ અને તેમના ટેકેદારોની ઘટતી સંખ્યાને પગલે આખરે આ નિર્ણય લેવાય છે.  ટ્રુડો જ્યારે કેનેડાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે આખી દુનિયાની નજર તેમના પર હતી. અત્યારે એ 53 વર્ષના છે એટલે કે સત્તા પર આવ્યા ત્યારે ચાળીસીના પૂર્વાર્ધમાં હતા. ટ્રુડો સત્તા પર આવ્યા ત્યારે તેમના ચાહકો આખી દુનિયામાં વધ્યા. તે એક ‘કૂલ’ રાજકારણી તરીકે દૃષ્ટાંત સમાન ગણાયા અને તેમની લોકપ્રિયતા પણ ખાસ્સી હતી. સમય પસાર થતો ગયો અને તેમની નીતિઓ, વૉટબેંકનું રાજકારણ, પર્યાવરણને લગતી નીતિઓથી માંડીને અનેક બાબતો પર સવાલો ઉઠ્યા. વળી આંતરરાષ્ટ્રીય સંબંધો સાચવવાને મામલે ટ્રુડોએ જબરો બફાટ કર્યો, એમાં ય ખાસ કરીને ભારત સાથેના સંબંધો તો છેલ્લાં એક – દોઢ વર્ષમાં એવા બગાડ્યા કે કંઇ બોલવા જેવું ન રાખ્યું. બીજા દેશમાં જેને આતંકવાદ ગણાય તેવી ચળવળને પોતાના લાભ માટે, પોતાના દેશમાં ટેકો આપવાની ભૂલ ટ્રુડોએ કરી. ટ્રૂડોની શરૂઆતથી માંડીને અત્યારે તેમની વિદાય સુધીની ઘટનાઓ સમજવાનો પ્રયાસ કરીએ.

શરૂઆત

ટ્રુડોને રાજકારણ વારસામાં મળ્યું હતું. તેમના પિતા ચાર ટર્મ સુધી કેનેડાના વડા પ્રધાન રહી ચૂક્યા છે અને તેમની પહેલી ટર્મ હતી ત્યારે જસ્ટિન ટ્રુડોનો જન્મ થયો.  2013માં ટ્રુડો લિબરલ પાર્ટીના વડા બન્યા ત્યારે પક્ષને હજી 2011ની હારની કળ વળી રહી હતી, પ્રગતિશીલ વિચારધારા ધરાવતા મતદાતાઓ ડાબેરી ન્યુ ડેમોક્રેટિક પાર્ટી તરફ વળ્યા હતા. ટ્રુડોએ યુવાન સલાહકારોનું જૂથ બનાવ્યું અને મારિઆનાને (મારિજુઆના) કાયદેસર બનાવવાથી માંડીને નેશનલ કાર્બન ટેક્સ લાગુ કર્યો તો માળખાંકીય સુવિધાઓમાં કરોડોનું રોકાણ કર્યું. આર્થિક અસમાનતાને ઠીક કરવાના વાયદા પણ કર્યા. 2015 સુધીમાં તેમના પક્ષના યુવા ટેકેદારોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી અને ચૂંટણીમાં જીત તેમને હાથવગી રહી.  કેનેડાના વડા પ્રધાન તરીકે શપથ લેનારી તે બીજી સૌથી યુવાન વ્યક્તિ બન્યા. તેમને કેબિનેટમાં મહિલાઓ અને પુરુષોની સંખ્યા એક સમાન હતી.

આંતરિક પ્રશ્નો

જસ્ટીન ટ્રુડો

જો કે સફળ વહીવટની વાત કરવી અને તેને અમલમાં મુકવો બે અલગ વાતો છે. સ્વપ્નદૃષ્ટા જેવી છટાથી જે યોજનાઓ અને પરિવર્તનોની વાત થઇ હતી તે લાગુ કરવાનું અઘરું પડ્યું.  તેલના ભાવ ગગડ્યા અને કેનેડાનું અર્થતંત્ર હચમચી ગયું. ડોનાલ્ડ ટ્રમ્પ ત્યારે યુ.એસ.એ.ના વડા તરીકે ચૂંટાયા અને તેમણે નોર્થ અમેરિકા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને વખારે નાખવાની વાત કરી – આ કારણે કેનેડા માટે યુ.એસ.એ.ના માર્કેટથી હાથ ધોઈ બેસવો પડે. જો કે ટ્રુડોએ તેમના વિશ્વાસુ બાહોશ અધિકારીઓની મદદથી 2018માં ટ્રમ્પ સાથેની વાટા-ઘાટો સાચવી લીધી. અમેરિકન માર્કેટમાં કેનેડાનું સ્થાન યથાવત્ રાખવું એ કદાચ જસ્ટિન ટ્રુડોની વડા પ્રધાન તરીકેની સૌથી અગત્યની સિદ્ધિ હતી. જો કે ટ્રમ્પ સાથેના રાજદ્વારી સંબંધો મજબૂત ન રહ્યા.

ભ્રષ્ટાચારના આરોપ અને કોવિડનો ફટકો

2019માં બીજી ટર્મ માટે ચૂંટણી લડવા તૈયાર થઇ રહેલા ટ્રુડો સરકારના મુખ્ય સભ્યો અને તેમના સ્ટાફમાંથી કેટલાક લોકોનાં નામ એસ.એન.સી.-લેવાલિન ગ્રૂપ ઇન્ક.ના ભ્રષ્ટાચાર અને છેતરપીંડીના કેસમાં ઉછળ્યા. એટર્ની જનરલે એવા આક્ષેપ મૂક્યા કે સરકારી લોકોએ તેમની પર આ કંપનીનો સોદો પાર પાડવા દબાણ મૂક્યું હતું. 2019માં ટ્રુડો ચૂંટણી તો જીત્યા પણ સંસદમાં તેમની બહુમતી ન રહી. આ ટર્મનો ખાસ્સો સમય કોવિડ રોગચાળામાં ગયો અને આખી દુનિયાના અર્થતંત્રની માફક કેનેડાનું અર્થતંત્ર પણ વેન્ટિલેટર પર મુકાઈ ગયું. ટ્રુડોએ જાહેર કરેલી રાહત યોજનાઓ કેનેડાના બજેટ પર બોજ સાબિત થઇ.  વેક્સિનને લગતા મુદ્દાઓ પર તેણે ધ્યાન ન આપ્યું જેને કારણે વિરોધ પ્રદર્શનો થયા જે હટાવવા ટ્રુડોએ કટોકટી લાદવાની સત્તા વાપરી. રોગચાળો અને વેક્સિનના કાયદાઓની આડ અસર તો ગઈ પણ ફુગાવો ઝિંકાયો. એમાં વળી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો જેની અસર સપ્લાય-ચેન પર પડી. બેંકના દરો આસમાને પહોંચ્યા અને લોકો માટે મોર્ટગેજ, ભાડાં બધું જ વધી ગયું.  કેનેડામાં કોસ્ટ – ઑફ – લિવિંગ – જીવવાની કિંમતો વધતી ગઈ અને કોઇ યોજનાઓ લેખે ન લાગી.

ભારત સાથે મામલો બિચક્યો

કેનેડાના આંતરિક ખળભળાટની વચ્ચે વૈશ્વિક સંબંધોમાં ટ્રુડોએ કાચું કાપ્યું. ભારત સાથે કેનેડાના સંબંધો 2023માં બગડવા માંડ્યા હતા જ્યારથી ટ્રુડોએ ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સી અને સરકારી એજન્ટ્સનો હાથ હોવાનો આક્ષેપ મુક્યો હતો. પોતાના દેશમાં મત મેળવવા તેણે ભારત પર આક્ષેપ મૂક્યો પણ મામલો બિચક્યો. ભારતે આ આક્ષેપો નકાર્યા અને પુરાવાની માગણી કરી. ભારતીય સરકારે પણ કેનેડાની સરકારને ખાલિસ્તાનીઓને ટેકો આપીને યોગ્ય નથી કર્યું એમ કહ્યું. સ્વાભાવિક છે જે ભારત માટે આતંકવાદ ગણાય છે તે વિચારધારાને અન્ય દેશ ટેકો આપે તો તેની સાથેના વૈશ્વિક સંબંધો બગડવાના જ છે. કેનેડામાં મત મેળવવા માટે ટ્રુડો ખાલિસ્તાનીઓને ટેકો આપે છે-નો આરોપ ભારતે મૂક્યો. આ આરોપબાજી વચ્ચે ભારત અને કેનેડાએ પોતાના દેશોમાં નિમણૂંક કરાયેલા અન્ય દેશના રાજદૂતોને ઘરભેગા કર્યો – બન્ને દેશોના રાજદ્વારી સંબંધોમાં સખત તણાવ આપ્યો. ખાલિસ્તાની અલગાવવાદીઓને કેનેડાએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના નેજામાં કેનેડાએ રક્ષણ આપ્યું ત્યારે પણ ભારતે કેનેડાની ટીકા કરી હતી. ટ્રુડોએ ભારતની મુલાકાત લીધી ત્યારે પણ કેનેડાના ખાલિસ્તાનીઓ સાથે સંબંધો ગાઢ બનાવવાનો તેમનો ઇરાદો હતો અને માટે જ પંજાબના તત્કાલીન મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે તેમને મળવાનું એમ કહીને ટાળ્યું હતું કે તે ખાલિસ્તાનીઓના ટેકેદાર છે. ભારતમાં અંદરોઅંદર પણ મતભેદ હોય પણ આપણા દેશની એકતા પર જો કોઇ હુમલો કરશે તો ભારત એ જતું નહીં કરે એ નક્કી છે. ટ્રુડોએ આ સમજવાની જરૂર હતી પણ જે પોતાના દેશને સમજવામાં જ કાચા પડ્યા એવા નેતા અન્ય દેશની લાગણી કેવી રીતે સમજી શકવાના હતા.

ટ્રુડોના રાજમાં શરૂઆતનાં વર્ષોમાં ઇમિગ્રેશનની નીતિઓ હળવી હોવાથી ભારતીય વિદ્યાર્થીઓએ તેનો ખાસ્સો લાભ લીધો હતો. 2024માં ટ્રુડોએ સ્ટડી વિઝા પ્રોગ્રામની ઝડપ ઘટાડી તો વિદેશી વિદ્યાર્થીઓને અપાતા પરવાના પર પણ 35 ટકા કાપ મૂક્યો હતો. આ કારણે પણ ભારતીયોમાં ખાસ્સી અકળામણ હતી. કોન્ઝર્વેટિવ પક્ષના આગેવાન પિયે પૉયલિએવ્રા આગામી ચૂંટણીમાં અગત્યનો ચહેરો છે અને તે કેનેડા લક્ષી નીતિઓ અપનાવશે જેમાં રોજગારીમાં કેનેડાના નાગરિકોને પ્રાધાન્યથી માંડીને ઇમિગ્રેશનના સ્તરો રોજગારીની તકો, સ્વાસ્થ્ય અને ઘરની સવલતોના આધારે નિયત કરવામાં આવશે. ટૂંકમાં કેનેડામાં શિક્ષણ, રોજગાર અને પરમિનેન્ટ રેસિડન્સીના સપનાં પર ભારતીયોએ કાપ મૂકવો પડશે.  સ્વાભાવિક છે કે ભારત અને કેનેડાના વ્યાપારી સંબંધો પર પણ ટ્રુડોએ છેલ્લે છેલ્લે કરેલી આડોડાઇની અને નવા નેતૃત્વની અસર પડશે. બન્ને દેશો વચ્ચે થતી આયાત-નિકાસનો આંકડો 8.4 બિલિયન ડૉલર્સે પહોંચ્યો હતો. કેનેડાનું નવું નેતૃત્વ આ વ્યાપારી સંબંધોને સાચવી શકશે કે પછી નવી નીતિઓ લાગુ કરશે જે આ આર્થિક કડીઓને અસ્તવ્યસ્ત કરશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.

ટૂંકમાં એક સમયે ગ્લોબલ લિબરલ આઇકોન ગણાતા ટ્રુડોની લોકપ્રિયતા લોકો લાગણી ન સમજી શકવાને કારણે ઘટી ગઈ. પહેલાં ઇમિગ્રેશન નીતિમાં મોકળાશ આપી જેનાથી હાઉસિંગ, સ્વાસ્થ્ય, નોકરીઓ અને પગાર ધોરણો પર બોજ આવ્યો તો સાથે ફિસ્કલ નીતિઓમાં કોન્ઝર્વેટિવ અને મોડરેટ રાજકીય વિચારધારાઓને નેવે મૂકી વળી સાંસ્કૃતિ ઉદારમતવાદ ઘણા પારંપરિક અને જૂની વિચારધારા ધરાવતા કેનેડિયન્સને કઠ્યો. તેમની ટીકા થઇ ત્યારે ટ્રુડોએ બળનો ઉપયોગ કરી વિરોધીઓને ચૂપ કર્યા. ટ્રુડોને તેની લોકપ્રિયતાનો આત્મવિશ્વાસ નડી ગયો એમ કહેવામાં કંઇ ખોટું નથી. ઘર સાચવવામાં અંદર બહાર બધે હોળી કરવાની ટ્રુડોએ ભૂલ કરી છે. આવનારું નેતૃત્વ નવું કરવાને બદલે જે બગડ્યું છે તે સુધારે તો બન્ને દેશ અને વૈશ્વિક રાજનીતિ માટે એક યોગ્ય પગલું સાબિત થશે.

બાય ધી વેઃ 

આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક બળ વાપરીને કેનેડાને યુ.એસ.એ.નું 51મું રાજ્ય બનાવવાની મહેચ્છા જાહેર કરી છે. સ્વાભાવિક છે કે ટ્રુડો જે હવે પોતાના વડા પ્રધાન તરીકેના રાજીનામું આપી ચૂક્યા છે તેમણે આ આખી વાતને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે આવું તો કોઈ કાળે થવાનું નથી. વળી કોન્ઝર્વેટિવ નેતા પિયે પૉયલિએવ્રાએ પણ આ સોશ્યલ મીડિયા પર એવા અર્થની જ વાત કરી કે કેનેડા ક્યારે ય પણ 51મું રાજ્ય નહીં હોય. અમે એક મહાન અને સ્વતંત્ર દેશ છીએ. આ પછી તેમણે યુ.એસ.ને અલ-કાયદાના હુમલા વખતે, એનર્જીના માર્કેટમાં  અને અમેરિકન ઉત્પાદનો ખરીદવામાં કેનડાનો શું ફાળો રહ્યો છે તેની વાત કરી અને ટ્રુડોની સરકારની આકરી ટીકા કરતા કહ્યું કે અત્યારની સરકાર આ મુદ્દાઓ બતાવવામાં નબળી પડી છે પણ પોતે કેનેડા માટે લડશે અને સત્તા પર આવીને કેનેડા યુ.એસ.ની સરહદના પ્રશ્નોને પણ સંબોધશે. કેનેડા યુ.એસ.માં ભળી જાય એ વાતમાં કોઈ દમ નથી કારણ કે તેની સંસ્કૃતિ, કાયદા, ગન કલ્ચરને લગતા નિયમો બધું જ યુ.એસ.થી અલગ છે. ટૂંકમાં ટ્રમ્પે તો કેનેડામાં બધું હખળડખળ છે એ જોઇને વાણી વિલાસ શરૂ કરી દીધો પણ ટ્રમ્પ જેવા કોન્ઝર્વેટિવ પિયે પૉયલિએવ્રા પણ કેનેડા ફર્સ્ટની નીતિમાં માનનારા છે. આવામાં ભારતે વિચારવું પડશે કે કેનેડા ફર્સ્ટની નીતોમાં ભારત સાથેના સંબંધો સુધારવા માટેનું ચેક લિસ્ટ હશે કે કેમ?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2025

Loading

વિશ્વ શાંતિ પથ – લંડન

આશા બૂચ|Gandhiana, Opinion - Opinion|12 January 2025

1931માં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંધીજી લંડન આવ્યા ત્યારે મ્યુરિએલ લેસ્ટરનું આમંત્રણ સ્વીકારીને બ્રોમલી બાય બો – લંડનમાં આવેલા, તેમના આવાસ કિંગ્સલી હોલમાં પોતાનો ઉતારો રાખેલો.

તારીખ 2 ઓક્ટોબર 2024માં કિંગ્સલી હોલમાં મુલાકાતીઓ માટે મ્યુરિએલ લેસ્ટરનાં કાર્ય અને ગાંધીજી સાથે તેમના સંબંધો દર્શાવતા ફોટા તેમ જ માહિતીનું પ્રદર્શન અને એ સ્થળની ઐતિહાસિક વિગતો સાથેની મુલાકાતનું આયોજન થયેલું. ગાંધી ફાઉન્ડેશન અને ખાદી લંડનના પ્રતિનિધિ તરીકે મને ચરખા કાંતણનું નિદર્શન કરવાની તક મળી.

મુલાકાતીઓ સાથે કિંગ્સલી હોલના બગીચામાં આવેલ એક અનોખા સ્મારકની મુલાકાત લીધી.

વિવિધ ધાર્મિક માન્યતાઓ ધરાવનારા અને અલગ અલગ સાંસ્કૃતિક પરંપરાઓને અનુસરનારાઓને લંડનમાં એક શાંતિ આપે તેવું સ્મારક ઊભું કરવાનો વિચાર આવ્યો, જેને કારણે આ વિશ્વ શાંતિ પથનું નિર્માણ થયું. શાંતિ અને સંવાદિતા માટેની પોતાની મનોકામનાને વ્યક્ત કરવા આ સ્થાન સહુને આવકારે છે.

આ શાંતિ પથનું દુનિયાના દરેક દેશમાંથી લાવેલ પથ્થર કે રેતી વડે બાંધકામ કરવામાં આવ્યું છે. વિશ્વના ઇતિહાસમાં ખાસ મહત્ત્વ ધરાવતાં સ્થળો જેવાં કે મક્કા, માઉન્ટ અરાફાત, એસિસી, વૃંદાવન, જેરુસલેમ અને માચુ પિચ્ચુની રેત લાવવામાં આવી હતી. આખા સ્થાપત્યની નીચે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાંથી લાવેલી રેતી મુકવામાં આવી છે.

આ સ્થાપત્યની મધ્યમાં આખા વિશ્વ પર માનવ જાતના દર્દ મિટાવનારી શાંતિની જ્યોત જોવા મળશે, જે સૂર્ય શક્તિથી સતત ઉજ્વલિત રહે છે. આ પથના બાહરી વર્તુળમાં શાંતિ માટે અલગ અલગ ભાષામાં શબ્દો કોતરવામાં આવ્યા છે.

આ શાંતિ પથના મુલાકાતીઓ એક દીપ લઇ, તેને ફરતે પ્રદક્ષિણા કરે છે અને પોતે જે સ્થળે શાંતિ સ્થપાય તેવી ઈચ્છા રાખે ત્યાં એ દીપ મૂકે છે. આ એક અદ્ભુત અનુભૂતિ કરાવે તેવું સ્થળ છે.

e.mail : 71abuch@gmail.com

Loading

ધર્મના ખૂની વેપારમાં લોકો પણ ભાગીદાર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2025

રમેશ ઓઝા

આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજીનાં મંદિરમાં ધક્કામુક્કીમાં છ જણ માર્યા ગયા. આંધ્ર પ્રદેશનાં મુખ્ય પ્રધાને તપાસનો આદેશ આપ્યો છે, જવાબદાર અધિકારીઓને બરતરફ કર્યા છે અને માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને ૨૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ અને આવા સમાચાર સમયાંતરે જોવાવાંચવા મળે છે, આપણે બે ઘડી ખિન્ન થઈએ છીએ અને પછી તેને એક કમનસીબ ઘટના તરીકે ખપાવીને ભૂલી જઈએ છીએ.

પણ આ અને આવી ઘટનાઓ દુર્ઘટના છે કે ખૂન? બહુ આકરો શબ્દ વાપરું છું એની મને જાણ છે, પણ કડવી હકીકત એ છે કે આ ધર્મને નામે થતાં ખૂન છે અને સમયાંતરે થતાં જ રહે છે. જે લોકોએ તિરુપતિ બાલાજીનું મંદિર જોયું હશે તેમને ખ્યાલ હશે કે મંદિર આવવાજવાની સડકથી લગભગ દસ ફૂટ નીચે છે. મંદિરના નિર્માતાઓએ લાંબુ વિચારીને આવી રચના કરી હતી. તમે અંદર ઉતર્યા વિના ઉપરનાં સ્તરેથી મંદિરનાં મુખ્ય દ્વાર પર નજર કરો તો બરાબર સામે બાલાજીનાં દર્શન થાય. સદીઓથી આમ ચાલતું હતું અને સનાતન ધર્મના ગૌરવને ક્યારે ય આંચ નહોતી આવી.

પણ એમ કેમ ચાલે? આધુનિક યુગમાં ધર્મનો ધંધો કરવો હોય તો ધાર્મિક સ્થાનોનો મહિમા વધારવો જોઈએ, મનોકામના પૂરી થવાની વાયકાઓ ફેલાવવી જોઈએ, કોઈ ખાસ દિવસોનો વિશેષ મહિમા કરવો જોઈએ, મોટા મોટા લોકોને એ ધાર્મિક સ્થળે લઈ આવવા જોઈએ અને એ પછી જુઓ લોકો કેવા ઉમટે છે! લોકો જ્યારે ઉમટે ત્યારે દર્શનને અઘરાં બનાવી દેવાનાં. તિરુપતિ બાલાજીનાં મંદિરમાં દૂરથી દર્શન કરનાર ભક્ત અને બાલાજી વચ્ચે એક ઊંચો થાંભલો બાંધવામાં આવ્યો છે કે જેથી ભક્ત દર્શન કરીને જતો ન રહે. એ થાંભલો જો સિમેન્ટ કોંક્રીટનો હોય તો એ અવરોધ કહેવાય, પણ જો એનાં પર સોનાનો ઢાળ ચડાવવામાં આવ્યો હોય તો એ મહિમા કહેવાય. હવે તમારે દર્શન કરાવનાર જે રીતે દર્શન કરાવે એ રીતે જ કરવાં પડે. અને પછી શરૂ થાય લાંબી લાઈનનો મહિમા. જેટલી લાંબી લાઈન એટલો મોટો વેપાર. સ્પેશ્યલ દર્શન, વી.આઈ.પી. દર્શન, ખાસ શ્રદ્ધાળુઓ માટે મંગળા આરતીનો લાભ (અને એવાં દિવસમાં પાંચેક લાભ આપવામાં આવે) વગેરે વગેરે અને દરેકના ઠરાવેલા ભાવ. આ સિવાય પ્રસાદ, માદળિયાં અને બીજી ચીજોનું વેચાણ. એક સોનેરી થાંભલો બાંધીને ભગવાનને કોમોડીટીમાં, મંદિરને બજારમાં અને ભક્તોને ગ્રાહકમાં ફેરવી નાખ્યા! તપાસ સમિતિનો જે અહેવાલ આવશે એ એમ નહીં કહે કે ધક્કામુક્કીનું કારણ સોનેરી થાંભલો છે.

તમને આ નથી સમજાતું? તમને ભક્તમાંથી ગ્રાહકમાં ફેરવી નાખ્યા, તમારા ભગવાનને ભગવાનમાંથી કોમોડીટીમાં ફેરવી નાખ્યા, મંદિરને બજારમાં ફેરવી નાખ્યાં અને તમે પોરસાવ છો? ધર્મના ખૂની વેપારમાં લોકો પણ ભાગીદાર છે, કારણ કે લોકો પણ લાલચુ છે અને ઉપરથી મૂર્ખ છે. ધર્મનો વેપાર કે ધર્મનું રાજકારણ કરનારાઓ આ જાણે છે, એટલે ધર્મનો અને ધર્મસ્થાનકોનો એટલો મહિમા કરો કે લોકોને તેમાં ભાગીદાર હોય એવું લાગે! જુઓ મારા ધર્મના કેવા પતાકા લહેરાઇ રહ્યા છે.

બનારસમાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક કાશી વિશ્વનાથનું મંદિર છે. કાશીનો મહિમા તો તમને જાણો છો. છેલ્લા ચાર દાયકા દરમ્યાન સોએક વાર હું બનારસ ગયો હોઈશ. મંદિર સડક અને ગંગા નદીની વચ્ચે અંદર ગલ્લીમાં છે. મેં ચાલીસ વરસમાં શ્રાવણ મહિનો છોડીને ક્યારે ય સડક સુધી લોકોની લાઈન જોઈ નહોતી. આજે બારેમાસ મુખ્ય સડક પર ચોક સુધી લાઈન જોવા મળે છે અને શ્રાવણ મહિનામાં મૈદાગીન સુધી એટલે કે લગભગ બે કિલોમીટર. મુંબઈમાં સિદ્ધિ વિનાયકનું એક નાનકડું દેરું હતું અને લોકો દૂરથી દર્શન કરી શકતા હતા. મહિમા ત્યારે પણ હતો, પણ દર્શનમાં અવરોધ પેદા કરવામાં નહોતો આવતો એટલે મંદિર નાનું નહોતું પડતું, લાઈન નહોતી લાગતી. આજે આજુબાજુનાં મકાનો ખરીદીને લગભગ ત્રણ-ચાર એકરમાં દેવસ્થાનને ફેરવી નાખવામાં આવ્યું છે અને એ છતાં ય લોકોની લાઈન લાગે છે. લાઈનની લંબાઈ તમારી શ્રદ્ધાને પ્રભાવિત કરે છે અને તમને તેની જાણ પણ નથી. તમને એમ લાગે છે કે તમે સનાતન ધર્મના નવોત્થાનના છડીદાર છો. ગ્રાહક પોતાને માલિક સમજે છે.

આજકાલ રાજકીય પક્ષો મફતમાં ધાર્મિક યાત્રાઓ કરાવે છે. કેન્દ્ર સરકારે યાત્રા સ્થાનો માટે સસ્તા દરની ટ્રેન શરૂ કરી છે. ધાર્મિક વેકેશનો અને રજાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારો પોતાને ત્યાનાં ધાર્મિક સ્થાનોમાં આવવા માટે સેલેબ્રીટીઝને બોલાવે છે. અમિતાભ બચ્ચનને ઉત્તર પ્રદેશની સરકારે કુંભના મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું છે. એને કારણે હજુ વધુ લોકો આવવા પ્રેરાશે અને ભીડ વિરાટ બનશે. ભીડનું કદ સનાતન ધર્મના પતાકા લહેરાવશે.

જે વાચક વિચાર કરતા ડરતો નથી એવા વાચકને બે સલાહ : એક, જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચે અવરોધ પેદા કરવામાં આવતો હોય એવા ધાર્મિક સ્થાનોમાં નહીં જવું. ભગવાન નારાજ નહીં થાય. એને નામે ધંધો કરનારાઓને અને સાચા ભક્તોને હેરાન કરનારાઓને નુકસાન નથી પહોંચાડતો તો તમને શું કામ નુકસાન પહોંચાડે? બે. ભીડ જોઇને સાવધાન થઈ જવું, કારણ ભીડ અને ધતિંગને સંબંધ છે.

ખેર, જે થઈ રહ્યું છે એ એક રીતે સારા માટે થઈ રહ્યું છે. નવનિર્માણ માટે વિનાશ જરૂરી છે. વિનોબા ભાવે કહેતા ગયા છે કે રાજકારણ અને ધર્મના દિવસો પૂરા થવામાં છે. એની અંદરની વિકૃતિ જ તેને ખતમ કરી નાખશે. જેમ પરિવારને પરિવારના લોકો જ ખતમ કરે છે એમ જે તે ધર્મને એ ધર્મના લોકો જ ખતમ કરી રહ્યા છે. પણ તો પછી નવનિર્માણ શેનું થશે? વિનોબાએ કહ્યું છે વિજ્ઞાન અને આધ્યાત્મનું. એ પછી માનવસમાજને પાછું ધાવણ મળતું થશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2025

Loading

...102030...426427428429...440450460...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved