Opinion Magazine
Number of visits: 9456986
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાઁગ્રેસને પ્રાસંગિક બનાવવાનું શ્રેય રાહુલ ગાંધી કરતાં નરેન્દ્ર મોદીને વધુ

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2024

રમેશ ઓઝા

૨૦૧૦ પછી પહેલીવાર એવી સ્થિતિ પેદા થઈ હતી કે જો કોઈ પક્ષ પાસે દૃષ્ટિસંપન્ન અને કર્તુત્વવાન નેતૃત્વ હોય તો તે કાઁગ્રેસને રાજકીય પરિદૃશ્યમાંથી કાયમ માટે નહીં તો પણ દાયકાઓ સુધી દૂર ધકેલી શકે. કાઁગ્રેસથી જનતા નારાજ હોય અને કાઁગ્રેસને રાજ્યોમાં અને કેન્દ્રમાં પરાજીત કરી હોય એવા અનેક પ્રસંગ બન્યા છે, પરંતુ કાઁગ્રેસ સામે જનતાનો આટલો ગુસ્સો પહેલીવાર જોવા મળ્યો. અભૂતપૂર્વ. એટલે તો કાઁગ્રેસ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માત્ર ૪૪ બેઠકો સુધી નીચે આવી ગઈ. કાઁગ્રેસને કાયમ માટે અથવા દાયકાઓ સુધી દૂર ધકેલી શકાય એમ હતી એનું બીજું કારણ કાઁગ્રેસ પક્ષની સ્થિતિ હતી. નેહરુ-ગાંધી પરિવારની વગ તળિયે હતી અને પક્ષમાં એવો કોઈ નેતા નહોતો જે પક્ષને પાછો બેઠો કરી શકે. પક્ષને પાછો બેઠો કરવો હોય તો ઓછામાં ઓછા બે દાયકા દિવસરાત મહેનત કરવી પડે, પરંતુ જ્યાં સત્તા જ એકમાત્ર લક્ષ્ય હોય ત્યાં એ કોણ કરે અને શા માટે કરે?

ટૂંકમાં કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી બહાર ફગાવી દેવા માટેનો અપૂર્વ અવસર હાથ લાગ્યો હતો, પરંતુ એમાં એક શરત હતી. કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી દૂર ધકેલવા માગનારાઓએ અને તેની જગ્યા લેવા માગનારાઓએ પહેલાં એ સમજી લેવું જોઈએ કે આખરે જનતા કઈ વાતે કાઁગ્રેસથી નારાજ છે? તેમને શું જોઈએ છે અથવા નથી જોઈતું? અને જનતાને જે જોઈએ છે એ આપવામાં નહીં આવે તો જનતા તેમને પણ દરવાજો બતાવી શકે છે.

અરવિંદ કેજરીવાલ

પહેલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ આવ્યા. તેમને એમ લાગ્યું કે જનતા ભ્રષ્ટાચારથી નારાજ છે એટલે તેમની સામે ઉચ્ચ શિક્ષિત, ત્યાગી, બુદ્ધિમાન, કોઈ પ્રકારનો અંગત સ્વાર્થ નહીં ધરાવનાર, પવિત્ર અને સ્વચ્છ હોવાની ઈમેજ લઈને જશું તો બેડો પાર થઈ જશે. અમે ભ્રષ્ટાચારની બાબતે કોઈની સાડીબાર નહીં રાખનારા નો નોનસેન્સ લોકો છીએ અને સ્વચ્છ વ્યવસ્થાનો અમારી પાસે અકસીર ઈલાજ છે. તેમને સફળતા મળી ન મળી ત્યાં નરેન્દ્ર મોદી મેદાનમાં આવ્યા. તેમને એમ લાગ્યું કે ભારતની પ્રજાને નવા યુગમાં જવું છે. તે નિરાશ છે અને એટલી હદે નિરાશ છે કે હવે પ્રજાએ સપનાં જોવાનું બંધ કરી દીધું છે. તેમને એવો કોઈ શાસક જોઈએ છે જે નવા યુગમાં લઈ જાય અને અનેક તકોનો ઢગલો કરે. અરવિંદ કેજરીવાલની તુલનામાં નરેન્દ્ર મોદીએ વધારે આશા જગાડી, આવતીકાલના ભારતનું વધારે આશાસ્પદ ચિત્ર આપ્યું. તેમણે જનતાની નારાજગીનું વધારે સાચું કે સચોટ નિદાન કર્યું હતું. આ સિવાય સફળતાના પર્યાય તરીકે રજૂ કરવામાં આવેલું કહેવાતું ગુજરાત મોડેલ કર્તુત્વના પ્રમાણ તરીકે તેમની પાસે હતું અને સંઘ પરિવારની વિશાળ સાંગઠનિક તાકાત તેમની પાસે હતી.

૨૦૧૧થી ૨૦૧૪ સુધીનાં એ સમુદ્રમંથનના વર્ષોમાં નરેન્દ્ર મોદી અંતિમ વિજેતા નીવડ્યા. અરવિંદ કેજરીવાલ પણ સાવ ફેંકાઈ નહોતા ગયા. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ બતાવી આપ્યું કે તેઓ ગણનાપાત્ર રાજકીય અસ્તિત્વ ધરાવે છે. નરેન્દ્ર મોદી માટે સાવ મોકળો માર્ગ નથી.

નરેન્દ્ર મોદી

કસોટી હવે શરૂ થઈ. નરેન્દ્ર મોદી એ વાત ભૂલી ગયા કે જનતા કાઁગ્રેસથી નરાજ નહોતી, પ્રચંડ નારાજ હતી અને નારાજ હોવા માટે તેમની પાસે પ્રચંડ કારણો હતાં. તેમણે જનતાની નારાજગીનો રાજકીય ઉપયોગ તો કર્યો, પણ એ નારાજગીની પ્રચંડતાની ઉપેક્ષા કરી. એ તેમની સૌથી મોટી ભૂલ હતી.

નરેન્દ્ર મોદીએ જે કારણે જનતા કાઁગ્રેસથી નારાજ હતી એ કારણોનો ઉપાય કરવાની જગ્યાએ કાઁગ્રેસ માટેની નારાજગી નફરતમાં ફેરવાય એ માટેનાં પ્રયત્નો શરૂ કર્યા. કાઁગ્રેસને બદનામ કરો, કાઁગ્રેસના નેતાઓને બદનામ કરો, કાઁગ્રેસ શાસકોએ કરેલી કે ન કરેલી ભૂલોને દેશ સાથેના અપરાધ તરીકે રજૂ કરો, ઐતિહાસિક તથ્યો સાથે તોડમરોડ કરો, તેમને ભ્રષ્ટ અને નમાલા તરીકે ચીતરો. રાહુલ ગાંધીને પપ્પુ તરીકે, એક જોકર તરીકે સ્થાપિત કરો. ગોદી મીડિયા, પક્ષનો આઈ.ટી.સેલ અને આજકાલ જેને ગોદીવૂડ તરીકે ઓળખવામાં આવે છે એ સિનેમાવાળાઓ આ કામે લાગી ગયા. દસ વરસથી આ ઉદ્યોગ ધમધમે છે. બીજો માર્ગ તેમણે  કાઁગ્રેસની રાજ્ય સરકારોને તોડવાનો, કાઁગ્રેસનાં રાજ્ય એકમોમાં ફૂટ પાડવાનો, કેટલાક નેતાઓને જેલમાં નાખવાનો, કેટલાકને ડરાવીને રાખવાનો અને સૌથી વધુ તો કાઁગ્રેસને મળતી નાણાંકીય સહાયના સ્રોત બંધ કરી દેવાનો અપનાવ્યો. કાઁગ્રેસને અને કાઁગ્રેસના નેતાઓને એટલી હદે બદનામ કરો કે જનતાની નારાજગીમાં ઘટાડો થવાની વાત તો બાજુએ રહી, પ્રજા નફરત કરતી થાય. નારાજગી હજુ પણ ઘટી શકે, પણ નફરતને દૂર કરવી એ અઘરું કામ છે. અને પક્ષ જો બચ્યો જ ન હોય તો નફરતને દૂર કરવાનું કામ કોણ કરવાનું! એને માટે તો જાત ઘસવી પડે. ગણતરી એવી હતી આ દ્વારા કાઁગ્રેસ કાયમ માટે ખતમ થઈ જશે. લાંબો સમય કે ટૂંકા સમયનો પ્રશ્ન જ નથી, કાયમ માટે કાઁગ્રેસ ખતમ થઈ જશે. વિકલ્પ જ નહીં રહેવા દેવાનો. ન રહે બાંસ ન બજે બાંસુરી.

આ સિવાય હિન્દુત્વ તો છે જ. હિંદુઓને ડરાવીને અને રડાવીને બાંધી રાખી શકાશે.

આમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકા બી ટીમ તરીકેની હતી. જો બાબત આર્ટીકલ ૩૭૦ જેવી મોટી હોય તો નરેન્દ્ર મોદીની સરકારના નિર્ણયોને સમર્થન આપવાનું. બાબત થોડી ઓછી, પણ મહત્ત્વની હોય તો મૂંગા રહેવાનું. અને ક્ષુલ્લક બાબતોએ વિરોધ કરવાનો એટલે જેમને મધ્યમમાર્ગી સેક્યુલર વિરોધ પક્ષની યાદ આવે તો તે માટે કાઁગ્રેસના વિકલ્પે હાજર રહેવાનું. આયોજન એક દમ ગણતરીપૂર્વકનું હતું. બદનામ કરો, કાઁગ્રેસની જમીન આંચકી લો અને તેની જગ્યાએ અરવિંદ કેજરીવાલનો ટાપુ આપો એટલે લોકોને એમ ન લાગે કે વિરોધ કરવાવાળું અને વધારે સારા વિકલ્પનો દાવો કરનારું કોઈ જ નથી.

પણ કટક ઉતાર્યું હોવા છતાં કાઁગ્રેસ ખતમ તો ન થઈ, પણ પાછી બેઠી થઈ રહી છે અને એ પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં. જેને જોકર તરીકે બદનામ કર્યો હતો તેના નેતૃત્વમાં. આવું કેમ બન્યું?

રાહુલ ગાંધી

આનું કારણ આગળ કહ્યું એમ નારાજગી પાછળ રહેલાં પ્રચંડ કારણોની કરવામાં આવેલી ઉપેક્ષા હતું. લોકોને નવા યુગમાં પ્રવેશવું હતું, નવું ભારત જોઈતું હતું, નવી તાજગી જોઈતી હતી અને કાઁગ્રેસ એ કરવા અસમર્થ હતી એ લોકોની નારાજગીનું પ્રચંડ કારણ હતું. બીજા શબ્દોમાં આશા પ્રચંડ હતી એટલે નારાજગી પ્રચંડ હતી. નરેન્દ્ર મોદીએ માત્ર લોકોની નારાજગી જોઈ અને એ નારાજગીને નફરતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો અને લોકોની અંદર જે પ્રચંડ આશા હતી, નવા યુગમાં પ્રવેશવાનાં અરમાન હતાં તેની ઉપેક્ષા કરી.

જો કોઈ ચીજની આવશ્યકતા હોય તો શૂન્યાવકાશમાંથી પણ એ પેદા થાય. કલ્પના ન કરી હોય ત્યાંથી ગાંધી અને ભગતસિંહ પેદા થાય. કાઁગ્રેસને પ્રાસંગિક બનાવવાનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે એનાં કરતાં ઘણો વધુ શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે.

આની વધુ ચર્ચા હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2024

Loading

ઓસ્કાર શિન્ડલર? એ વળી કોણ?

સોનલ પરીખ|Opinion - Opinion|21 September 2024

બીજા વિશ્વયુદ્ધમાં થયેલા યહૂદી નરસંહાર દરમ્યાન ઓસ્કાર શિન્ડલર નામનો એક જર્મન વેપારી સૈન્ય માટેની સામગ્રી બનાવતો અને તગડો નફો રળતો. યહૂદીઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારો જોઈ એનું મનુષ્યત્વ એવું ખળભળી ઊઠ્યું કે તેણે જીવનું જોખમ લઈ, સર્વસ્વ હોડમાં મૂકી એક હજારથી વધારે યહૂદીઓના પ્રાણ બચાવ્યા …

કહેવાય છે કે યુદ્ધસ્ય કથા રમ્યા. યુદ્ધની વાતો રમ્ય હશે, યુદ્ધ રમ્ય હોતું નથી એવા અનુભવ છતાં માણસ યુદ્ધ વિના કદી રહી શક્યો નથી. યુદ્ધ જો અનિવાર્ય હોય તો તેને જાણી લેવું જોઈએ અને યુદ્ધના ઇતિહાસમાંથી શીખ લેવી જોઈએ. યુદ્ધનો ઇતિહાસ કહે છે કે યુદ્ધ ચોક્કસ ભયંકર છે, પણ દેશપ્રેમ, બલિદાન, શૌર્ય, હિંમત, નિર્ભયતા, પરાક્રમ, ખેલદિલી, સાહસ જેવા ઉદાત્ત ગુણો યુદ્ધના સમયે વધુ નીખર્યા હોવાના દાખલા ઓછા નથી.

પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ-સલામતી જાળવવા માટે અને ફરીથી માનવસંહાર ન થાય તે માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી; તેમ છતાં વીસ જ વર્ષમાં બીજું વિશ્વયુદ્ધ થયું, જે છ વર્ષ ચાલ્યું અને માનવ-ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ સાબિત થયું. તેમાં વિશ્વના પાંચેય ખંડોના 47 દેશો સંડોવાયા હતા. આ યુદ્ધમાં ૭ કરોડ લોકોથી વધારે મરાયા હતા અને તેમાંથી મોટાભાગના નાગરિકો હતા.

ઓસ્કાર શિન્ડલર

બીજા વિશ્વયુદ્ધનાં બે પ્રકરણો કદી ભુલાવાનાં નથી – ભુલાવા જોઈએ પણ નહીં – હિરોશિમા-નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બ અને યહૂદી નરસંહાર. વાત કરવી છે એક નરબંકાની જેણે પોતે જર્મન હોવા છતાં હોલોકાસ્ટ દરમિયાન અનેક યહૂદીઓની જિંદગી બચાવી હતી. એ પહેલેથી યહૂદીઓનો હમદર્દ હતો એવું નહોતું; પણ યહૂદીઓ પર વિના વાંકે અને પદ્ધતિસર થઈ રહેલા અમાનુષી અત્યાચારો જોઈ એનું મનુષ્યત્વ એવું ખળભળી ઊઠ્યું કે તેણે જીવનું જોખમ લઈ, સર્વસ્વ હોડમાં મૂકી એક હજારથી વધારે યહૂદીઓના પ્રાણ બચાવ્યા. એનું નામ ઓસ્કાર શિન્ડલર.

ઓસ્કાર શિન્ડલરનો જન્મ ૨૮ એપ્રિલ ૧૯૦૮માં. મોરવિયાના ઝ્વીટાઉ પ્રાંતમાં તે ઉછર્યો અને નાઝી જર્મનીની ઇન્ટેલિજન્સ સર્વિસમાં જોડાયો. ૧૯૩૮માં જર્મનોએ ઝેકોસ્લોવાકિયા પર કબજો કરવા માંડ્યો તે પહેલાથી શિન્ડલર જર્મન સરકારને રેલવે અને સૈન્યની અવરજવર વિષે માહિતી ભેગી કરી આપતો. ઝેક સરકારે તેને પકડ્યો પણ હતો, પણ એ વર્ષે મ્યુનિચ કરાર થયા એટલે છોડી મૂક્યો. સપ્ટેમ્બર ૧૯૩૯માં જર્મનોએ પોલેન્ડ જીતી લીધું. પોલેન્ડના પૂર્વ ભાગમાં વસતા યહૂદીઓને ક્રાકોવ નામના એક મોટા શહેરમાં આવી જવાનો આદેશ આપવામાં આવ્યો. રોજ ૧૦,૦૦૦થી પણ વધુ યહૂદીઓ ક્રાકોવમાં એકઠા થવા લાગ્યા. કમાણીની તક જોઈ શિન્ડલરે એક ખાલી પડેલી ફેક્ટરીમાં સૈન્ય માટે જરૂરી ધાતુની વસ્તુઓ બનાવવા માંડી.

યુદ્ધ આગળ વધતું ગયું, શિન્ડલરની સંપત્તિ વધતી ગઈ. જોતજોતામાં તે કરોડપતિ બની ગયો. યહૂદીઓ પરનો અત્યાચાર વધતો જતો હતો. ધંધાધાપા છીનવી લઈ, પોતાના વિશાળ ઘરોમાંથી ખેંચી કાઢી તેમને ઊંચી દીવાલોથી ઘેરાયેલા ‘ઘેટો’માં ધકેલી દેવામાં આવ્યા. વિરોધ કરનાર કે બીમાર-કમજોર ગોળીનો શિકાર બનતા. બચેલા યહૂદીઓ જર્મનોના ગુલામો તરીકે કામ કરવા લાગ્યા. નાના કારણથી કે કારણ વિના પણ તેમના પર ગોળીઓ વરસાવાતી. કોઇપણ જર્મન ચાહે ત્યારે એમને ગોળી મારી શકતો. એમણે ખતમ કરવા એક આખું તંત્ર કામે લાગ્યું હતું જે ‘એસ.એસ.’ તરીકે ઓળખાતું.

શિન્ડલરની ફેક્ટરીમાં શરૂઆતમાં બિન-યહૂદી કામદારો વધુ હતા. સમયાંતરે ઘેટોના અધિકારીઓ યહૂદીઓને મજૂરી કરવા મોકલવા લાગ્યા. એમને ઓછું વેતન આપવાનું, વળતર વગેરેની બલા નહીં. શિન્ડલરે પોતાનો ફાયદો જોઈ યહૂદી કામદારો વધારવા મંડ્યા. બે જ વર્ષમાં ૧૫૦ યહૂદી કામદારોન સંખ્યા ૧૫૦માંથી ૧,૧૦૦ થઈ ગઈ.

૧૯૪૩માં ક્રાકોવના યહૂદીઓને ઘેટોમાંથી લેબર કેમ્પમાં લઈ જવાયા. લેબર કેમ્પથી શિન્ડલરની ફેક્ટરી ઘણી દૂર હતી. માઈલો ચાલી યહૂદીઓ કામ કરવા આવે અને ૧૨ કલાક કામ કરે. શિન્ડલરે લેબર કેમ્પનો સબકેમ્પ પોતાની ફેક્ટરીમાં ખોલવાની પરમિશન માંગી, કે મજૂરોની શક્તિ બચે ને કામ વધુ થાય. દલીલ અને લાંચ બંને કામ કરી ગયાં. ફેક્ટરીમાં સબકેમ્પ ખૂલ્યો. જર્મન સૈન્યને જરૂરી ચીજો ધમધોકાર બનવા લાગી. આ કેમ્પમાં પણ કાંટાળા તાર અને વૉચ-ટાવર્સ હતા, પણ ખાવાનું વધારે સારું હતું.

૧૯૪૪ની શરૂઆતમાં મૂળ કેમ્પ એસ.એસ.ના કબજામાં ગયો અને કોન્સન્ટ્રેશન કેમ્પ બન્યો. થોડા મહિનામાં જર્મની યુદ્ધમાં હારવા લાગ્યું. ક્રાકોવ છોડતા પહેલા બચેલા યહૂદીઓને પતાવી દેવા, એવો આદેશ છૂટ્યો. શિન્ડલરે પોતાની ફેક્ટરીના અને બને તો અન્ય યહૂદીઓને પણ બચાવવા કમર કસી. યહૂદી કામદારોની જરૂર છે તેમ કહી તેણે જર્મન અધિકારીઓ જેમાંના અનેક તેના મિત્રો પણ હતા, તેમને ભેટો, લાંચ આપી એક એક યહૂદીની મોટી કિંમત ચૂકવી ૧,૧૦૦ યહૂદીઓને ખરીદ્યા. એમાં  વિજ્ઞાનીઓ, ઇતિહાસકારો, વેપારીઓ, બાળકો અને મહિલાઓ હતાં. જર્મન સેના હારતી ગઈ તેમ તેમ ફેક્ટરીનું કામ ઘટ્યું, પણ શિન્ડલરે પોતાની ફેક્ટરી ચાલુ બતાવી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યાં સુધી અધિકારીઓને તગડી લાંચ આપી આપીને પોતાના કામદારોને રક્ષ્યા. યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં ખાવાનું ખરીદવામાં અને લાંચ આપવામાં તેની બધી સંપત્તિ ખર્ચાઈ ગઈ.

જે દિવસે જર્મન સેનાએ આત્મસમર્પણ કર્યું એ રાતે બાર વાગ્યા સુધી તે આ યહૂદીઓ સાથે હતો. વિદાય વખતે તેમાંથી એક યહૂદીએ શિન્ડલરને એક વીંટી ભેટ આપતાં કહ્યું, ‘હિબ્રુ ભાષામાં કહેવત છે, “જેણે એક જીવન બચાવ્યું, તેણે એક દુનિયા બચાવી”. આ ૧,૧૦૦ લોકોની આવનારી અનેક પેઢીઓ તમારી દેન હશે.’ એ પળે શિન્ડલર વિચારતો હતો – આ ગાડી, કોટમાં ભરાવેલી સોનાની પીન વેચ્યાં હોત તો બીજા થોડા માણસો બચી જાત – તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં, ‘હું હજી થોડું વધારે કરી શક્યો હોત!’ યહૂદીઓ ભીની આંખે તેને ભેટી પડ્યા.

બીજા વિશ્વયુદ્ધના યહૂદી નરસંહારમાં ૬૦ લાખ યહૂદીઓને મારી નાખવામાં આવ્યા હતા. પોલેન્ડમાં યુદ્ધ પહેલા ૩૫ લાખ યહૂદીઓ હતા જેમાંથી માત્ર ત્રણથી ચાર હજાર બચ્યા હતા. શિન્ડલરે બચાવેલા ૧,૧૦૦ યહૂદીઓની સંખ્યા આજે ૭,૦૦૦થી પણ વધારે છે. તેઓ અમેરિકા, યુરોપ અને ઈઝરાયેલમાં વસે છે. તેમને ‘શિન્ડલરજુડાન’ કહેવામાં આવે છે.

યુદ્ધ પછી શિન્ડલર યહૂદી રિલિફ ઓર્ગેનાઇઝેશનની મદદથી પશ્ચિમ જર્મની ગયો. ખર્ચાયેલા નાણાંનું થોડું વળતર મળતાં તેણે આર્જેન્ટિનામાં ખેતી કરી, થોડા નિષ્ફળ ધંધા કર્યા. ૯ ઓકટોબર ૧૯૪૭માં ૬૬ વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું. જેરુસલેમમાં તેને દફનાવાયો. નાઝી પક્ષના કોઈને આવું માન મળ્યું નથી.

આ ભવ્ય ઘટના પર ફિલ્મ બનાવવાના પ્રયત્નો થાય જ. ૧૯૫૧ અને ૧૯૬૦માં પ્રોજેક્ટો શરૂ થયા, પણ કોઈ ને કોઈ કારણથી અટકી પડ્યા. ૧૯૮૦માં ઓસ્ટ્રેલિયન લેખક થોમસ કેનલી યુરોપના એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા ત્યાં તેમને શિન્ડલરની વાત જાણવા મળી. ૧૯૬૪માં જે ફિલ્મ બનાવવાનો હતો તે પેફરબર્ગે કેનલીને ઘણી માહિતી આપી. આ માહિતી, સંશોધન અને શિન્ડલરજુડાનની મુલાકાતો પછી કેનલીએ ‘શિન્ડલર્સ લિસ્ટ’ નવલકથા લખી. સ્ટીવન સ્પીલબર્ગે તરત ફિલ્મ બનાવવાના રાઇટ્સ લઈ લીધા, પણ પોતે ઇમોશનલી અને પ્રોફેશનલી તૈયાર નથી એવું લાગ્યા કર્યું એટલે ‘શિન્ડલર્સ લિસ્ટ’ ફિલ્મ દસેક વર્ષ પછી, ૧૯૯૩માં બની. તેને શ્રેષ્ઠ ફિલ્મ સહિત સાત ઓસ્કાર મળ્યા. ફિલ્મ શ્વેતશ્યામ છે – સ્પીલબર્ગનું માનવું હતું કે ‘હોલોકાસ્ટને કોઈ રંગ ન હોઈ શકે’. તેમાં શિન્ડલર એક નાની છોકરીને વારંવાર માણસોની ભીડ વચ્ચે જુએ છે. એક દિવસ તેનો અર્ધો દટાયેલો મૃતદેહ જોઈ તે ખળભળી જાય છે અને યહૂદીઓને બચાવવા કટિબદ્ધ થાય છે. આખી ફિલ્મમાં માત્ર આ લાલ કોટવાળી બાલિકા રંગીન બતાવાઈ હતી.

૧૯૯૯માં શિન્ડલરના ઘરમાંથી એક સૂટકેસ મળી, જેમાં ૧૩ પાનાંનું પીળું પડી ગયેલું મૂળ લિસ્ટ, ફોટા, દસ્તાવેજો મળ્યાં તેના પરથી ‘શિન્ડલર્સ સૂટકેસ : રિપોર્ટ્સ ફ્રોમ ધ લાઈફ ઑફ અ લાઈફસેવર’ નામનું પુસ્તક બન્યું છે. એમાં એક વેધક સવાલ પૂછાયો છે, ‘ઈઝ બ્રાઈબરી ઑલવેઝ બેડ?’ સવાલમાં જ જવાબ સમાયેલો નથી?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 એપ્રિલ  2024

Loading

ચલ મન મુંબઈ નગરી—265

દીપક મહેતા|Opinion - Opinion|21 September 2024

ઇસ બિલ્ડિંગ કી દીવારો કી ઇંટે મેરી મા ને અપને સર પર ઉઠાઈ હૈ

સાહિત્ય સહવાસમાં રહે તો સાહિત્યકારો, પણ ઘરકામ કરવાવાળી કોંડાબાઈને રોજિંદા જીવનમાં કામકાજ અને વાતચીત વધુ થાય તે તો દરેક ઘરની સ્ત્રીઓ સાથે. પોતાની આપવીતી કહેતી વખતે કોંડાબાઈએ મોટે ભાગે તો લોકોની ઉજળી બાજુની જ વાત કરી છે છતાં ક્યારેક હળવેકથી ઓછી ઉજળી બાબતની વાત પણ કરી દે છે. ઘણાં ઘરોમાં બૈરાંઓને અડોશપડોશના લોકોની વાતો જાણવામાં રસ. ઘણી વાર પૂછે : ‘કાલે મોડી રાત સુધી ફલાણાને ત્યાં લાઈટ ચાલુ હતી. શું વાત હતી?’ કોંડાબાઈ જવાબ આપે: ‘ખાસ કશું હતું તો નહિ. કદાચ લાઈટ ઓલવવાનું ભૂલી ગયાં હશે.’ પછી ઉમેરે છે : ‘હું શું કામ કહું કે કાલે રાતે તેમને ત્યાં તો પુ.લ. દેશપાંડે નામના બહુ મોટા લેખક જમવા આવેલા અને મોડે સુધી ખાણીપીણી (હા, પીણી પણ) ચાલતી રહેલી.’ પણ હું નહિ તો બીજું કોઈ ને કોઈ તો મળી જ રહે અને સાચી વાત જાણ્યા પછી બીજે દિવસે હું કામ પર જાઉં ત્યારે મને તરત સાંભળવા મળે : ‘આવો, આવો ઇન્દિરા ગાંધી! તમે તો વાત છુપાવવામાં બહુ પાવરધાં છો!’

લક્ષ્મણ અને કોંડાબાઈ પારઘે

ગંગાધાર ગાડગીળનાં પત્ની પાઈ પાઈનો હિસાબ રાખવાવાળાં. કોંડાબાઈએ તેમને ત્યાં કામ શરૂ કર્યું. બીજે જ મહિને તેમને પૂછ્યું : ‘કોંડા! તેં બેન્કમાં ખાતું ખોલાવ્યું છે કે નહિ?’ ‘અમે તો આખો દિવસ કામ કર્યા પછી માંડ બે ટંકનું ખાવા પામીએ છીએ. પછી ખાતું ખોલાવવાની શી જરૂર?’ ‘દર મહિને તારે થોડી બચત તો કરવી જ જોઈએ. એક કામ ઓછું કર્યું એમ માનજે. ચાલ, મારી સાથે બેન્કમાં, ખાતું ખોલાવવા.’ ખાતું ખોલ્યું. પાસ બુક આપી કોંડાબાઈને. દર મહિને ગાડગીળબાઈ બેન્કમાં જાય ત્યારે કોંડાબાઈ પાસેથી પાસ બુક અને દસ રૂપિયા લેતાં જાય અને તેના ખાતામાં પૈસા ભરી પાસ બુક પાછી આપી દે. એક વખત જોયું તો પાસ બુકમાં બેલન્સ ઝીરો! તરત ઊલટ તપાસ : ‘પૈસા ક્યાં ગયા? કેમ ઉપાડી લીધા?’ ‘મને શી ખબર? તમે આપો એટલે હું તો પાસ બુક પારઘેને આપી દઉં.’ (કોંડાબાઈ પુસ્તકમાં બધે જ પતિનો ઉલ્લેખ તેમની અટક ‘પારઘે’થી જ કરે છે.) કદાચ તેમણે પૈસા ઉપાડ્યા હશે.’ ‘હમણાં ને હમણાં ઘરે જા, અને પૂછ કે બધા પૈસા કેમ ઉપાડી લીધા.’ ઘરે જઈ પૂછ્યું તો જવાબ મળ્યો : ‘મારા એક દોસ્તને બહુ જરૂર હતી, એટલે તેને આપી દીધા!’ તે દિવસથી ગાડગીળબાઈએ કોંડાબાઈની પાસ બુક પણ પોતાની પાસે જ રાખવા માંડી.

કોલોનીનું મહિલા મંડળ

કોંડાબાઈની દીકરી ભીકૂનાં લગન લેવાયાં. કોંડાબાઈ જ્યાં જ્યાં કામ કરતાં ત્યાં ત્યાં ઘરની સ્ત્રીઓ પૂછવા લાગી : ‘દીકરીનાં લગન લીધાં છે તે કાંઈ જોઈતું કરતું હોય તો કહેજે.’ તેમને કોંડાબાઈ જવાબ આપતાં : ‘મને ખબર છે કે અડધી રાતે હું માગીશ તો પણ તમે પૈસા આપશો. પણ ભીકૂનાં લગન માટે મારે કોઈની પાસે એક પાઈ પણ માગવી પડે તેમ નથી. ગાડગીળબાઈએ મારા નામનું ખાતું બેન્કમાં ખોલાવ્યું છે તેમાં જમા થયેલા પૈસામાંથી લગનની બધી જોગવાઈ થઈ રહેશે.’ કોઈનીયે પાસે હાથ લંબાવ્યા વગર દીકરીનાં લગન થઈ ગયા પછી કોલોનીની સ્ત્રીઓ સાંજે મળે ત્યારે એકબીજાને કહેતી : ‘આ કોંડાબાઈ તો બડી ચેપ્ટર નીકળી.’

કોંડાબાઈ ઘરકામ કરતાં ત્યારે પગાર દસ-પંદર રૂપિયા, દિવસનો નહિ, મહિનાનો. દરેક ઘરે દિવસમાં ત્રણ વાર કામ કરવા જવાનું : સવાર, બપોર, સાંજ. તેમાં ય ઘણાં ઘરોમાં તો બે-પાંચ વરસ સુધી પગાર વધારાનું નામ સુધ્ધાં નહિ! તો કેટલાંક ઘરમાં દર વરસે માગ્યા વિના પાંચ રૂપિયાનો વધારો મળે! વધ્યુંઘટ્યું ખાવાનું અને જૂનાં પુરાણાં કપડાં મળે તે જ બોનસ! એક દિવસ પ્રો. બાંદીવડેકર કોલેજમાંથી ઘરે આવ્યા અને પત્નીને પૂછ્યું : ‘આ કોંડાબાઈ તેમના ઘરે રોજ રસોઈ કઈ રીતે કરે છે?’ ‘બીજી કઈ રીતે કરે, ચૂલા પર.’ ‘તો પ્રેશર કૂકર ચૂલા પર મૂકી શકાય ખરું?’ ‘હા, મૂકી તો શકાય.’ બીજે દિવસે પ્રો. બાંદીવડેકર ઘરે આવ્યા ત્યારે નવું નક્કોર કૂકર લેતા આવ્યા અને કોંડાબાઈને આપીને કહે : ‘હવેથી ઘરે રસોઈ આ કૂકરમાં કરજે.’ ‘સાહેબ! તમે આ લાવ્યા એ માટે આભાર. પણ આ કૂકરમાં મારે રાંધવું શું?’ ‘કેમ? દાળ, ભાત, શાક વગેરે.’ ‘સાહેબ! અમારે તો રોજ બંને ટંક જમવામાં જારના રોટલા અને ઠેચા (સૂકી ચટણી) જ હોય. અને તે બેમાંથી એક્કે આ કૂકરમાં રંધાય નહિ.’ સાહેબ સહેજ વિચારમાં પડ્યા. પછી કહે : ‘કોંડાબાઈ! આ કૂકર રાખ તો ખરી! એક દિવસ એવો જરૂર આવશે જ્યારે તું ય રોજ દાળ-ભાત-રોટલી શાક બનાવીને ઘરનાંને જમાડીશ.

સિદ્ધાર્થ હજી તો ભણતો હતો ત્યારે એક દિવસ આઈને કહે કે ‘મારી સાથે બેંકમાં ચાલ! મારે ત્યાં ખાતું ખોલાવવવું છે.’ મા તો ગભરાઈ. આ છોકરો હજી તો ઇસકોલમાં ભણે છે. એની પાસે પૈસા આવ્યા ક્યાંથી, અને તે ય એટલા કે બેંકમાં ખાતું ખોલાવવું પડે! પૂછ્યું તો દીકરો તો કાંઈ જવાબ ન આપે! કોંડાબાઈ જ્યાં કામ કરતાં ત્યાં પોતાની વિમાસણ જણાવી. એ બહેને કહ્યું : ‘તું નાહકની ચિંતા કરે છે. તું રાનડેસાહેબ(જાણીતા સંગીતકાર અને સંગીતશાસ્ત્રી અશોક રાનડે)ને ત્યાં કામ કરે છે ને, તેમનાં પત્ની ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરે છે. તેઓ એક પ્રોગ્રામ માટે સિદ્ધાર્થને રેડિયો પર લઈ ગયાં હતાં. તેના મહેનતાણાનો ચેક સિદ્ધાર્થને મળ્યો છે. પણ એ જમા કરાવવા બેન્કમાં ખાતું તો હોવું જોઈએ ને! અને હજી સિદ્ધાર્થ પુખ્ત વયનો થયો નથી એટલે એકલો જઈને ખાતું ખોલાવી ન શકે. એટલે તારે તેની સાથે જવું પડશે.’

કોંડાબાઈનું અભિવાદન કરતાં સચિન અને અંજલી તેંદુલકર

સાહિત્ય સહવાસમાં અનેક નામવંત સાહિત્યકારો રહે. તેમાંનાં કેટલાંક નામ મહારાષ્ટ્ર બહાર દેશમાં પણ જાણીતાં. પણ અહીં રહેતા એક જણનું નામ તો આખી દુનિયામાં જાણીતું અને માનીતું. એ નામ તે સચિન તેંદુલકર. તેના પિતા રમેશ તેંદુલકર મરાઠીના જાણીતા લેખક અને અધ્યાપક. ઉષ:કાળ નામના મકાનમાં ચોથે માળે રહે. સચિનનાં મા રજનીતાઈ લગભગ રોજ કોંડાબાઈને પૂછે : ‘તું રોજ કેટલી વહેલી ઊઠીને કામે લાગે છે! હું તને રોજ વહેલી સવારે કામ પર જતી-આવતી જોઉં છું.’ પછી કોંડાબાઈ ઉમેરે છે: ‘એનો અર્થ એ કે રજનીતાઈ તો મારા કરતાં પણ વહેલાં ઊઠતાં હશે.’ પછી તો કોંડાબાઈનો બીજો દીકરો રમેશ અને સચિન ગાઢ દોસ્તો બની ગયા. ક્રિકેટર તરીકે સચિનની સિદ્ધિ-પ્રસિદ્ધિ વધતી ગઈ. તેને એક મદદનીશ રાખવાની જરૂર જણાઈ ત્યારે રમેશ તેંદુલકરે તે કામ માટે રમેશ પારઘે પર પસંદગીનો કળશ ઢોળ્યો.

કોંડાબાઈનો દીકરો સિદ્ધાર્થ અને સચિનનો ભાઈ અજિત ખાસ મિત્રો. સચિન નાનો હતો ત્યારે તેનું ધ્યાન રાખવા એક બાઈ રાખેલી, તેનું નામ લક્ષ્મીબાઈ. સચિન તેની પાસે જ ઊછર્યો એમ કહીએ તો ચાલે. વરસો પછી લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું ત્યારે સચિન જાતે ખારની ઝૂંપડીમાં લક્ષ્મીબાઈનાં બાળકોને આશ્વાસન આપવા ગયો હતો. સિદ્ધાર્થનું પહેલું પુસ્તક ‘કોલોની’ પ્રગટ થવાનું હતું ત્યારે સચિને અગાઉથી કહેલું : ‘ભલે હું દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં, તારા કાર્યક્રમમાં હું હાજર રહીશ.’ પણ બન્યું એવું કે કાર્યક્રમને દિવસે જ સચિનને દિલ્હી જવું પડ્યું. ત્યાંનું કામ પત્યું કે તરત ચાર્ટર્ડ ફ્લાઈટની સગવડ કરીને સચિન વખતસર મુંબઈ આવીને કાર્યક્રમમાં હાજર રહ્યો.

*

અને અંતે:

થોડાં વરસ પછી, એક પત્ર.

‘આઈ:

જે કોલોનીમાં વરસો સુધી તેં લોકોનાં કપડાં-વાસણ ધોયાં, ઝાડું-પોતાં કર્યાં, જે કોલોનીનાં મકાન બાંધવા માટે તેં અને બાબાએ લોહીનું પાણી કરી માટીનાં તગારાં માથે ઉપાડ્યાં, આખી જિંદગી બાબાએ કોલોનીનાં નાનાંમોટાં કામ કર્યા, જે કોલોનીનાં મકાન બાંધવા માટે ઈંટ, ચૂનો, સિમેન્ટ ભરેલાં તગારાં માથે મૂકીને તું અને બાબા હજારો વાર દાદર ચડ્યાં-ઊતર્યાં, એ જ કોલોનીમાં, આઈ, આજે મેં ઘર લીધું છે.’

આઈની આંખોમાંથી ગંગા-જમના વહેવા લાગી. ‘શું કહે છે તું, દીકરા! બાપ રે! તું તો ખરો નીકળ્યો! પણ અરેરે! આ દિવસ જોવા તારા બાબા ન રહ્યા! એ હોત તો કેટલા ખુશ થાત!’

સત્યદેવ દૂબે

‘આઈ! તને યાદ છે? આ જ ફુલરાણી બિલ્ડિંગના કોલમનાં લાકડાનાં ખોખાંઓમાં બાબાએ સિમેન્ટ-ચૂનો ભરેલાં. આ જ ફુલરાણીની ભીંતો બાંધવા માટે તેં તગારાં ભરી ભરી ઇંટો ચાર-ચાર માળ સુધી ચડાવેલી, આ જ ફૂલરાણીની કપચીની લાદીઓ બાબાએ બેસાડેલી. એ જ ફુલરાણીનો ૧૦ નંબરનો ફ્લેટ. દાયકાઓ સુધી અહીં પ્રખ્યાત નાટ્યકર્મી સત્યદેવ દૂબે રહ્યા. આજે એ જ ફ્લેટ મેં ખરીદી લીધો છે.’

‘… સત્યદેવ દૂબે દાયકાઓ સુધી એ ફ્લેટમાં રહ્યા, પણ મકાન બંધાયું ત્યારે જેવો હતો તેવો ને તેવો જ ફ્લેટ હતો, વરસો પછી પણ. નહિ ક્યાં ય સમારકામ કે ફેરફાર, નહિ રંગરોગાન, નહિ ઝાઝું રાચરચીલું. હા, ફુલરાણીમાં લોકો રહેવા આવ્યા તે પહેલાં આઈ-બાબા અને અમે બધાં છેલ્લે, આ દસ નંબરના ફ્લેટમાં જ રહેલાં. ત્યારે નહોતાં બારીબારણાં, અને દીવાલોને રંગ પણ લાગ્યો નહોતો. અમારા ઘરનો છેલ્લો ચૂલો ફુલરાણીના આ જ ફ્લેટમાં સળગાવેલો. દૂબેસાહેબે રંગરોગાન કરાવ્યાં જ નહોતાં. એટલે રસોડાની એક ભીંતના નીચેના ભાગ પરનો પીળો ડિસ્ટેમ્પર રંગ મેં હળવેકથી આંગળી વડે ખોતર્યો. તેની પાછળનો ભાગ આજે પણ કાળો થયેલો હતો. મેં તેના પર હળવેકથી હાથ ફેરવ્યો. અમારા ઘરના છેલ્લા ચૂલાની મેશનો એક પોપડો ઉખડીને નીચે પડ્યો. એ પોપડાને હથેળીમાં રાખીને અમિતાભ બચ્ચનની સ્ટાઈલમાં હું બોલ્યો : ‘ભલે ગમે તેટલાં સંકટ આવે, ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે, હું આ ફ્લેટ ક્યારે ય છોડીશ નહિ. ક્યૂં કી, ઇસ બિલ્ડિંગ કી દીવારો કી ઇંટે મેરી મા ને અપને સર પર ઉઠાઈ હૈ.’

લિ.

સિદ્ધાર્થ લક્ષ્મણ પારઘે

મુકામ પોસ્ટ ૧૦, ફુલરાણી.

e.mail. : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 સપ્ટેમ્બર 2024

Loading

...102030...426427428429...440450460...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved