Opinion Magazine
Number of visits: 9557214
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કયાં પરિબળો મહિલાઓને વર્કફોર્સની બહાર ધકેલે છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 December 2024

ચંદુ મહેરિયા

વિશ્વ બેન્કના અહેવાલ પ્રમાણે ભારતના પુરુષોની શ્રમબળમાં ભાગીદારી ૧૯૯૦માં ૮૪ ટકા અને ૨૦૧૯માં ૭૬ ટકા હતી. જો કે મહિલાઓની ભાગીદારી ૧૯૯૦માં ૩૦ ટકા, ૨૦૦૫માં ૩૨ ટકા અને ૨૦૧૯માં ૨૧ ટકા જ હતી. દેશમાં મહિલાઓની વસ્તી આશરે ૪૮.૫ ટકા છે. પરંતુ ૧૫ વરસથી ઉપરની ૨૫ ટકા મહિલાઓને જ સવેતન કામ મળે છે અને તેમાં સતત ઘટાડો થતો રહે છે. શ્રમબળમાં મહિલાઓની ભાગીદારીની વૈશ્વિક ટકાવારી પચાસ છે જ્યારે ભારતમાં તેનાથી અડધી જ છે. ભારતમાં આજે મહિલાઓની વર્કફોર્સમાં જે ૨૧થી ૨૫ ટકા ભાગીદારી છે તે અમેરિકામાં સો વરસો પહેલાં ૧૯૨૦માં હતી. અર્થાત સદી પૂર્વેના અમેરિકાની સ્થિતિએ ભારત છે. આજના ભારતની મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારીનો દર વિયેટનામથી અડધો જ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં પણ ભારતની મહિલાઓ વર્કફોર્સમાં ઓછી છે. આ સઘળી વિગતો દર્શાવે છે કે મહિલાઓની શ્રમબળ ભાગીદારીમાં આપણે કેટલા પાછળ છીએ.

આશરે ૧૨ ટકા ભારતીય મહિલાઓને લગ્નનાં કારણે નોકરી, કામ કે રોજી છોડવી પડતી હોવાનું તાજેતરના વર્લ્ડ બેન્કના સાઉથ એશિયા મેરેજ અપડેટમાં જણાવ્યું છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ ‘ધ ઈમ્પેક્ટ ઓફ કેર રિસ્પોન્સિબિલિટીઝ ઓફ વિમેન્સ લેબર પાર્ટીસિપેટન્સ’ પ્રમાણે ભારતની ૫૩ ટકા મહિલાઓ લગ્ન પછી પતિ, બાળકો અને વડીલોની સારસંભાળની જવાબદારીને કારણે શ્રમબળની બહાર ધકેલાય છે. કેરિયર અને કુટુંબમાંથી એકની પસંદગી કરવાની થાય છે ત્યારે ૯૭.૮ ટકા મહિલાઓને પરિવારની જવાબદારી નિભાવવા તે જે સવેતન કામ કરે છે તેને છોડવું પડે છે.

લગ્ન અને બાળકોની દેખભાળ ઉપરાંતનાં ઘણાં પરિબળો મહિલાઓને શ્રમબળની બહાર રહેવાની ફરજ પાડે છે. આપણી પિતૃસત્તાત્મક સામાજિક-સાંસ્કૃતિક બાંધણીમાં જ મહિલાઓનું સ્થાન ઘરમાં માનવામાં આવે છે.મસામંતી, સંકીર્ણ અને લિંગભેદી સમાજમાં મહિલાઓ વગર પૈસે ઘરનું કામ કરે અને પુરુષો બહાર કમાવા જાય તેવી માન્યતા અને પરંપરા છે. બહારનાં કામો માટે પુરુષોને અને ઘરનાં કામો માટે મહિલાઓને સીમિત રાખી છે. ઘરની મહિલા કમાવા બહાર જતી હોય તો તેનું કારણ ઘરની આર્થિક હાલત નબળી હોવી કે સ્ત્રીનું ચારિત્ર્ય સારું નહીં હોવાની વ્યાપક માન્યતા ઘર કરી ગઈ છે.

શ્રમબળમાં મહિલાઓની ઓછી ભાગીદારીનું એક મહત્ત્વનું પરિબળ અસલામત કાર્યસ્થળો છે. મોડીરાત સુધી કે પાળી પદ્ધતિમાં કામ કરવા માટેના સાનુકૂળ વાતાવરણનો અભાવ અને કાર્યસ્થળે થતી અનેક પ્રકારની સતામણી પણ મહિલાને કામથી દૂર રાખે છે. કામનાં સ્થળો દૂર આવેલાં હોય તો જાહેર પરિવહનનો અભાવ કે તે અસુરક્ષિત હોવાનું પરિબળ મહિલાઓને વર્કફોર્સની બહાર કરે છે. એક સર્વે મુજબ અર્ધી આબાદીની અડધી મહિલાઓને એકલા ઘરની બહાર આવવા-જવાની છૂટ નથી. પચાસ ટકા મહિલાઓ ઘરનું કરિયાણું લેવા પણ એકલી જઈ શકતી નથી. સગવડયુક્ત માળખાંકીય સવલતો અને કાર્યસ્થળે જવા-આવવાના પરિવહનનો અભાવ મહિલાઓ માટે મોટો પડકાર છે. જે તેમને સવેતનિક કામોથી વંચિત રાખે છે.

કૃષિકામોમાં યંત્રોના વધેલા વપરાશે પણ મહિલાઓને ખેતમજૂરીથી વંચિત કરી છે. જો મહિલા કમાતી હશે તો તે આર્થિક રીતે પગભર હશે એટલે ઘરમાં તેનું ધાર્યું થશે કે તે કોઈને ગાંઠશે નહીં તેવો ખોટો ડર ઊભો કરવામાં આવ્યો છે. એટલે ઘણાં શહેરી-શિક્ષિત કુટુંબો પતિ-પત્ની બંને કમાતાં હશે તો જીવન ધોરણ ઊંચું હશે તેને બદલે મહિલાને ઘરમાં રાખવાને પ્રાથમિકતા આપે છે. ૧૯૪૭માં આઝાદીની સાથે જ પુરુષોના જેટલો મતનો અધિકાર મહિલાઓને મળ્યો છે અને તેનો બરાબર અમલ થાય છે. મહિલાઓ પુરુષો કરતાં વધુ મતદાન કરે છે એવું પણ બને છે. પરંતુ દેશના શ્રમબળમાં પુરુષોના જેટલી જ મહિલાઓની ભાગીદારી નથી.

સશક્ત અને સુરક્ષિત શ્રમશક્તિ શ્રમબળમાં મહિલાઓની બરાબરીની ભાગીદારીથી જ ઊભી થઈ શકે છે. એટલે સરકારે અને સમાજે શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો કરવા પડશે. બાળઉછેર અને વડીલોની સારસંભાળ મહિલાઓની ચિંતાનો વિષય છે કે તે જ વધુ સારી રીતે નભાવી શકે છે તે માનસિકતામાં બદલાવ આવવો જોઈએ. હાલમાં માંડ એક ટકો પુરુષો જ બાળકોની દેખભાળ માટે સવેતન કામ છોડે છે તે યોગ્ય નથી. વળી સ્ત્રી-પુરુષ બંને કામ કરે અને છતાં બાળકો અને વૃદ્ધોની દેખભાળ થઈ શકે તેવી સવલતો ઊભી થવી જોઈએ. સુલભ અને સલામત ઘોડિયાઘર, બાલવાડી, સારસંભાળ કેન્દ્રો અને વૃદ્ધાશ્રમો હોવાં જોઈએ. જે દેશો તેમના જી.ડી.પી.નો ૧ ટકો અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન(ઈ.સી.સી.ઈ.)માં ખર્ચે છે તે દેશોની ઓછી મહિલાઓ કામ છોડે છે. ભારતે પણ આ દિશામાં વિચારવું પડશે. જો આપણે બાળકો, બીમાર અને વૃદ્ધોની દેખભાળની વ્યવસ્થા વિકસિત કરી શકીશું તો શ્રમબળમાં મહિલાઓ વધશે.

કાર્યસ્થળે પહોંચવાનો પડકાર મહિલાઓને કામથી વંચિત કરે છે તેના નિવારણ માટે મહિલાઓને વાહન ચલાવવા-ખરીદવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વિમેન્સ ફ્રેન્ડલી વાહનોનું ઉત્પાદન, વાહન ખરીદવા સસ્તા વ્યાજ દરની સરળ લોન વ્યવસ્થા, કેટલાક કરવેરામાં રાહત, સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સની ઉપલબ્ધિ જેવાં પગલાં લઈ શકાય. સલામત રહેઠાણો અને સુરક્ષિત કાર્યસ્થળોને પ્રાથમિકતા આપવી જોઈએ. પિતૃસત્તાની બેડીઓથી મહિલાઓ મુક્ત રહે તે માટે છોકરા-છોકરી વચ્ચેનો ભેદ અને પૂર્વગ્રહ બાળપણથી જ પેદા ના થાય તેનું ધ્યાન રાખવું. ઘરનાં અને બહારનાં કામોના કાર્યવિભાજનમાં રહેલો લિંગભેદ દૂર કરવો જોઈએ.

કેટલાક અર્થશાસ્ત્રીઓ કાર્યબળમાં મહિલાઓના અલ્પ પ્રમાણને સ્વીકારતા નથી. તેઓ ઓછા પ્રમાણ માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની શ્રમની વ્યાખ્યાને જવાબદાર માને છે. આઈ. એલ. ઓની શ્રમની પરિભાષામાં વેતન અને આર્થિક લાભ મળતા હોય તે કામોનો જ સમાવેશ થાય છે. ભારતની મહિલાઓ જીવતર આખું  રસોઈ, ઘરકામ, પશુઓની દેખભાળ કે ખેતીનાં કામો વગર પૈસે કર્યા કરે છે. આ કામોના બદલામાં તેમને કોઈ આર્થિક ચુકવણું થતું નથી કે આવાં કામોની કદી કોઈએ આર્થિક ગણતરી કરી નથી. એટલે ભારતની મહિલાઓના આવા વૈતરાં વાજબી રીતે શ્રમબળની બહારના ગણાય છે. પરંતુ તેથી વર્કફોર્સમાં તેમનું પ્રમાણ વધુ છે તેવું પ્રતિપાદિત કરી શકાય નહીં.

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડનાં અગ્રણી ગીતા ગોપીનાથનું માનવું છે કે મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારી વધાર્યા સિવાય ભારતની આર્થિક આકાંક્ષા પૂર્ણ થઈ શકે તેમ નથી. વિશ્વની ત્રીજી આર્થિક વ્યવસ્થા બનવા માટે વર્કફોર્સમાં મહિલા ભાગીદારીનો હાલનો દર બમણો હોવો જોઈએ. મહિલાઓનાં કામ અંગેના જે પુરુષ કેન્દ્રી સામાજિક-પારિવારિક-સાંસ્કૃતિક વિચારો છે તે બદલવા પડશે. વળી મહિલાઓ સવેતનિક કામ માટે તૈયાર છે તો નવી રોજગારીની તકો સર્જવાની જરૂર રહેશે. દેશની પ્રગતિનો આધાર મહિલાઓની પ્રગતિમાં રહેલો છે તે બાબત નીતિનિર્માતાઓ એ બરાબર સમજી લેવી પડશે.

E.mail :  maheriyachandu@gmail.com

Loading

માનવી : રઘુ અને રાજહંસીની મિત્રતા વર્ણવતી બાળનવલ

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|4 December 2024

પ્રકાશ ન. શાહ

ગુજરાતી સાહિત્ય પરિષદના મહુવા જ્ઞાનસત્રમાં અતિથિ સર્જક તરીકે પ્રો. રાધાવલ્લભ ત્રિપાઠી આવી રહ્યાનું સાંભળ્યું ત્યારે સહસા દડી આવેલું સ્મરણ એમની સંસ્કૃત બાલનવલ ‘માનવી’નું હતું. સ્કૉલર તો એ છે જ, પણ એમની વિદ્ધભોગ્ય કામગીરી ચર્ચવાનો અહીં ન તો અધિકાર છે, કે નથી એવો કોઈ આશય પણ.

વાત જો કે આપણે ‘માનવી’ની કરતા હતા. 2021માં આવેલી આ બાલનવલ તરફ મારું ધ્યાન હજુ થોડા મહિના પર જ ગયું હતું. શિક્ષણમર્મી કૃષ્ણકુમારે એમની એક્સપ્રેસ નુક્તેચીનીમાં કહ્યું હતું કે પર્યાવરણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પુરસ્કૃત કિશોરયુવા પ્રતિભા ગ્રેટા થુનબર્ગ અંગ્રેજી અનુવાદ માટે ‘માનવી’થી પરિચિત હોત તો એણે સુંડલા મોંઢે એની જાહેરાત કરવામાં ધન્યતા અનુભવી હોત.

રાધાવલ્લભ ત્રિપાઠી

‘માનવી’ એ નવલનામ સંજ્ઞાવાચક છે. આ નામની એક રાજહંસી માનસરોવર ભણી પાછા ફરી રહેલા હંસવૃંદથી છૂટી પડી ગઈ છે. વૃંદસંગાથ છૂટી ગયો એનું કારણ આગળ વધતાં વચમાં કરેલ મુકામ દરમ્યાન બાળ રઘુ સાથેની મૈત્રીનું છે. ‘આવજો’ કહેવા ગઈ તે લંબાયું અને, દરમ્યાન, તકાજાવશ મિત્ર હંસ અનંત સહિતના સમગ્ર હંસવૃંદે પાંખો ફફડાવી …

આ ઘટનાસ્થળ બુંદેલખંડમાં નર્મદાતટે ભોપાલથી સાઠ કિલોમીટર છેટે વિદિશા કને વસેલું નાનું શું નંદનપુર છે. એક દિવસ ‘ઈન્ડિયા ન્યૂઝ’ અખબારમાં ચમક્યું કે અહીં લુપ્તપ્રાય પ્રજાતિવત રાજહંસ ખાસા ચાળીસેકની સંખ્યામાં ડેરો નાખી પડ્યા છે. સમાચારે સહજ ખેંચાયેલા પક્ષીવિદ સલીમ અલી ઊડતે વિમાને ને મારતી મોટરે નંદનપુર પહોંચે છે. પણ હંસવૃંદ તો ઊડી ગયું છે. રહી છે એકમાત્ર રાજહંસી માનવી.

આખી વાર્તા તો હું અહીં ક્યાંથી માંડું. પણ રઘુ અને માનવીની દોસ્તીનો, એમની વચ્ચે સંવાદની અજાયબીનો, એનો બજારુ કસ કાઢવા સરકસ પ્રવેશનો અંતરો, વળતે વરસે ભરતપુરના સરકસડેરા વખતે ત્યાંના પક્ષીવિહારમાં પોતાના હંસટોળા સારુ રઘુની કુમકથી માનવીની ખોજ, એમાં નિરાશા: આગળ ચાલતાં સરકસના રશિયા-મુકામ દરમ્યાન પોતાના હંસ સમુદાય સાથે પુનર્મિલન.

અહીં જે બધા ચડાવ-ઉતારનો ઉપરટપકે નિર્દેશ કર્યો છે એમાં મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેની વિખંડિત ને વિષમતુલા, બજારનાં બળો થકી મનુષ્ય ને પ્રકૃતિનું દોહન કહેતાં નિ:શેષ શોષણ, એ બધું એટલી સરળસોંસરી રીતે કહેવાયું છે કે કથિત બાલનવલ થકી એક આલા દરજ્જાની, ઉપદેશના મુદ્દલ મેદ વગરની બોધકથાનો સહજ સાક્ષાત્કાર થાય છે. થાય છે, સત્યજિત રાય વહેલા ગયા, બાકી –

સંસ્કૃતપંડિત કહેતાં જે એક જમાતજુર્દી આકૃતિ ઊભા થાય છે એને મુકાબલે ‘રાધાવલ્લભ ત્રિપાઠી દેખીતા અભ્યાસબોજ વગરના મૂળગામી રસવિહારી તરીકે આપણી સામે આવે છે. એ તમને વાત વાતમાં સરળતાથી એમ પણ કહી નાખે કે ‘સંસ્કૃત સાહિત્ય એક હદ તક પિતૃસત્તાક સમાજ કી ઉપજ હૈ.’ બીજી બાજુ, સંસ્કૃત સાહિત્યને આધુનિકતાનો સંસ્કાર આપતા આ વિદ્વાનની આંગળીએ તમને સંસ્કૃત કવિતાની લોકધર્મી પરંપરાનોયે હૃર્દ્ય પરિચય મળી રહે.

દેશવિદેશમાં ઊંચી પાયરીના વિદ્વાન અધ્યાપક તરીકે પોંખાયેલા ને ઊંચકાયેલા રાધાવલ્લભ ત્રિપાઠીના ભાવજગત ને સંવેદનવિશ્વમાંથી સમકાલીન વાસ્તવ વિશે જે કાવ્યપંક્તિઓ સહજ ઊતરી આવે છે એની લગાર જિકર કરું? એક રીતે આ નિર્દેશ ‘માનવી’માં વરતાયેલી પર્યાવરણ નિસબતની જ ફ્રિકવન્સી પરનો છે.

રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દેહલી(સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, ન્યૂ દિલ્હી)ના કુલપતિ તરીકે દિલ્હીમાં જે વર્ષો ગાળવાનાં બન્યાં ત્યારનું આ સંવેદન, નમૂના દાખલ :

ક્યા કરે યહ આકાશ?

હવા કી તરહ વહ બહ નહીં સકતા

આગ કી તરહ જલા નહીં સકતા

પાની કી તરહ ધારાઓ મેં નહીં બંટ પાતા

ધરતી કી તરહ નહીં ઉઠા સકતા બોજ

* * *

આકાશ તો હૈ કેવલ આકાશ

ગગનચુંબી ઈમારતોં કે જંગલ મેં

વહ ભટકતા હૈ બદહવાસ

ઉસે સબ ઔર સે પીસ રહી હૈં ઈમારતોં કી ઘની પાંતે

ડરાતા હૈ ઉસે ધુઆં

પાઈપોં સે ફૂટતા

આકાશ ઢૂંઢતા ફિરતા હૈ અપના ખુદ કા આકાશ

આકાશ કે લિયે

કહીં નહીં હૈ અવકાશ

ક્યા કરે બિચારા આકાશ?

વેલ, ઓવર ટુ મહુવા!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 ડિસેમ્બર 2024

Loading

નીવડેલા અને નવોદિત સૌ સાહિત્યકારમિત્રો પ્રતિ — 

સુમન શાહ|Opinion - Literature|3 December 2024

સુમન શાહ

સૌ મિત્રો સાવધાન થઈ નૉંધી લો કે લેખક અને પ્રકાશક વચ્ચેના સમ્બન્ધો પૂર્વે હતા તે હવે નથી રહ્યા. ત્યારે સાહિત્યકારો સાથે પ્રકાશકો માત્ર ધંધાની રીતે નહીં પણ સાહિત્યપ્રવૃત્તિના સહભાગી તરીકે જોડાતા હતા. હવે સવિશેષે ધંધાદારી દૃષ્ટિ જોવા મળે છે. પ્રકાશકો એનાં બે કારણો ખાસ જણાવે છે :

૧ : પ્રકાશકો જણાવે છે કે પુસ્તકો હવે પહેલાંની જેમ નથી વેચાતાં. કૉલેજો અને યુનિવર્સિટીઓની ગ્રાન્ટ્સ બંધ થઈ ગઈ છે. આ કેટલું સાચું છે એ નક્કી કરવું પડે. 

૨ : કહે છે, હવે ‘અઘરાં’ પુસ્તકો નથી વેચાતાં. આ પણ કેટલું સાચું છે એ નક્કી કરવું પડે કેમ કે જેને તેઓ ‘અઘરાં’ કહે છે એ નિર્ણય કોને કર્યો એ જાણવા નથી મળતું. ભલે, એવાં પુસ્તકોની માંગ બીજે કદાચ ન હોય, પણ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં તો પહેલેથી છે જ ! અને ધારો કે અધ્યાપકો ‘સહેલું સહેલું’ ભણાવે છે, તો તેવાં પુસ્તકોની પણ જરૂરત તો પડે જ ! 

એટલે, આ બન્ને કારણો એક ટ્રૅપ છે.  

તેમ છતાં, માંગ ન હોય, નફો ન થતો હોય, તો ધંધાદારી વ્યક્તિ ધંધો ન કરે, એ દુનિયાનો નિયમ છે, સમજી શકાય છે. 

તેમ છતાં, અચરજ એ છે કે નવા નવા અનેક પ્રકાશકો આવ્યા છે કેમ કે નવા નવા એવા લેખકો પણ આવ્યા છે, જેમને પોતાનું પુસ્તક છપાવાની જરૂરત પડી હોય. જેમ કે, પીએચ.ડી.-નું સંશોધન, કાવ્યો કે ગઝલોનો સંગ્રહ, વાર્તાઓનો સંગ્રહ. વળી એમાં, લેખક રૂપે જાહેર થવાની દુર્દમ્ય છતાં વાસ્તવિક અને આવકાર્ય ઇચ્છા પણ ખરી. પરિણામે, પ્રકાશનના ધંધાનું સ્વરૂપ બદલાયું છે. એ નવા લેખકોમાંના કેટલાકને રૉયલ્ટી ન મળે એનો ય વાંધો નથી હોતો, એટલું જ નહીં, પ્રકાશકને તેઓ સામેથી પૈસા પણ આપે છે, પ્રકાશક પુસ્તકની અમુક નકલો આપી દે એટલે એમને થાય છે કે બહુ થયું. પ્રકાશકો એને સ્વાભાવિકતા ગણી લે છે, પણ એ લેખકોની એ ભલી માનસિકતા ઍળે જાય છે, તેનું કશું મૂલ્ય નથી થતું. 

બીજું, આ ધંધામાં આવેલું મોટું પરિવર્તન ધ્યાનપાત્ર છે : પ્રકાશનો હવે ડિઝિટલ થવા માંડ્યાં છે. એટલે કે જોઈતી નકલો જ કરવાની, કેમ કે ગોડાઉનમાં વધુ જગ્યા ન કરવી પડે. પણ નકલો આટલી જ જોઇએ છે એ કોણ નક્કી કરે છે? ચા, ખાંડ કે મીઠું લેવા ગયેલા ગ્રાહકોથી ગ્રાહકોની સંખ્યા નક્કી થાય, પણ પુસ્તકો લેવા ગયેલા ગ્રાહકોની સંખ્યા કેવી રીતે નક્કી થાય અને તેથી પછી એ મુજબની નકલો તૈયાર કરાય? પ્રકાશકના એકથી વધુ કૉલેજોમાં અને યુનિવર્સિટીઓમાં પ્રસરણકેન્દ્રો હોય, આઈ મીન, આઉટલેટ્સ મોટી સંખ્યામાં હોય, તો થઈ શકે. બાકી, મારી જાણ મુજબ, પુસ્તક ખરીદવા પ્રકાશકની દુકાને ગુજરાતમાં તો લાઇન કદ્દી નથી લાગી.  

પૂર્વેના પ્રકાશકો કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સામે ચાલીને પુસ્તકો મોકલતા, એમના માણસો જાતે પુસ્તકો લઈને જતા. પ્રકાશકનો મૂળ ધર્મ જ એ છે કે પુસ્તકને એ ગ્રાહક સુધી લઈ જાય, પુસ્તકને પ્રકાશિત કરે એનો સાદો અર્થ જ એ, કે પ્રસરાવે. 

ટૂંકમાં, આજે ડીઝીટલ પ્રકાશન મજબૂરી કે અનિવાર્યતા હોય તો પણ, એ પણ એક ટ્રૅપ છે. જે લેખક પોતાના સાહિત્યકાર્યના પ્રસરણ વિશે ઉદાસીન હોય, અને જેને એમાં રહેવું પાલવતું હોય, તો તેમાં તો કોઈને શો વાંધો હોઈ શકે? 

પણ બનાવો એવા પણ બને છે કે હાર્ડ કૉપીઝ ૩૦૦ કહી હોય અને ડીઝીટલમાં ૩૦ તૈયાર કરે; જેથી ૩૦૦-ની રૉયલ્ટી આપવાનો ગાળો અતિ લંબાઇ જાય, અને પુસ્તક એ મન્દ ગતિએ જ પ્રસરે.

ડીઝીટલ નહીં કરનારા પ્રકાશકો લેખકને કહેતા હોય છે કે — અમે પુસ્તક પ્રકાશિત કરીશું પણ રૉયલ્ટી નહીં આપી શકીએ. — અમે તમારા ખર્ચે પુસ્તક તૈયાર કરીને તમે કહેશો એટલી નકલો તમને આપી દઈશું — અમે પુસ્તક-પ્રકાશનના આટલા રૂપિયા પહેલેથી લઇએ છીએ. વગેરે. એમ પ્રકાશકને ધાર્યું મળી જાય પછી, ફોન ન લેવા કે ઉપાડવા, મૅસેજ કે ચૅટિન્ગ ન કરવું, વગેરે જવાબ ન આપવાની જૂના ધોતી-શેઠિયાઓની કુટેવના પણ અનુભવ લેખકોને થતા હોય છે. કૉનવર્સેશનના આ અતિ ફાસ્ટ જમાનામાં પણ તેઓ એમ વર્તે છે ! 

અલબત્ત, પ્રકાશકો અને પ્રકાશનોનાં સારાં અને ઉમદાં દૃષ્ટાન્તો નથી એમ નથી.

તેમ છતાં, પ્રકાશનનો ધંધો હવે લેખકોની ગરજે થવા માંડ્યાં છે અને એ કઈ હદે વિસ્તરશે તે કલ્પી શકાય એટલું સરળ છે. 

મારું મિત્રોને ખાસ એટલું જ કહેવાનું થાય છે કે પ્રકાશનને હવે એક બિઝનેસ ડીલ તરીકે, એક સોદા તરીકે, અપનાવો. પહેલાંની જેમ ભલાભોળા સારસ્વતની જેમ ન રહો, બલકે, અરસપરસ જે કંઈ નક્કી કરો, તેનું પાકું કરારનામું કરો; જેમાં, પુસ્તકની નકલસંખ્યા, પ્રકાશનની તારીખ, રૉયલ્ટીની ટકાવારી, તેના પેમૅન્ટની પદ્ધતિનો સ્પષ્ટ નિર્દેશ હોય. 

ઉપરાન્ત, તમે ટાઇપિન્ગ અને પ્રૂફરીડિન્ગ કર્યું હોય, તો તેનું મહેનતાણું પણ તમે માગી શકવા જોઈએ. બધાંના ભાવ વધ્યા છે તો રૉયલ્ટીના ટકા વધારવાનું પણ તમે કહી શકવા જોઈએ, વરસોથી એ બાપડો ૧૦% જ રહ્યો છે. 

મિત્રો, એ લેખક તો મોટો છે, હું તો હજી નાનો છું, એ હિણપતનો ત્યાગ કરો અને સ્વનિષ્ઠ બનો. અને એક પરમ સત્ય સમજી રાખો કે પુસ્તક પ્રકાશિત થઈ જવાથી જ સાહિત્યકાર નથી થઈ જવાતું તેમ છતાં એ જ દિશાનો એ એક સચ્ચાઇભર્યો પુરુષાર્થ હોય છે. એ પુરુષાર્થને ધંધાની રીતભાતમાં રોળાઈ જવા ન દો, કેમ કે એ તમારું સત્ય છે, એની તમે રક્ષા કરો, એ તમારી કરશે.  

(આ લેખ મારા સ્વાનુભવોની ભૂમિકાએ આપણા સૌના હિતની ચિન્તાથી લખ્યો છે. તમે મારા સાહિત્યકારમિત્ર તો છો જ, મિત્ર પણ છો. એ નાતે આ પોસ્ટ મેં તમને tag કરી છે, એને કશા જ ખચકાટ વિના, પ્લીઝ, પ્રસરાવશો.)

= = =

(02Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...426427428429...440450460...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved