1931માં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંધીજી લંડન આવ્યા ત્યારે મ્યુરિએલ લેસ્ટરનું આમંત્રણ સ્વીકારીને બ્રોમલી બાય બો – લંડનમાં આવેલા, તેમના આવાસ કિંગ્સલી હોલમાં પોતાનો ઉતારો રાખેલો.
તારીખ 2 ઓક્ટોબર 2024માં કિંગ્સલી હોલમાં મુલાકાતીઓ માટે મ્યુરિએલ લેસ્ટરનાં કાર્ય અને ગાંધીજી સાથે તેમના સંબંધો દર્શાવતા ફોટા તેમ જ માહિતીનું પ્રદર્શન અને એ સ્થળની ઐતિહાસિક વિગતો સાથેની મુલાકાતનું આયોજન થયેલું. ગાંધી ફાઉન્ડેશન અને ખાદી લંડનના પ્રતિનિધિ તરીકે મને ચરખા કાંતણનું નિદર્શન કરવાની તક મળી.
મુલાકાતીઓ સાથે કિંગ્સલી હોલના બગીચામાં આવેલ એક અનોખા સ્મારકની મુલાકાત લીધી.
વિવિધ ધાર્મિક માન્યતાઓ ધરાવનારા અને અલગ અલગ સાંસ્કૃતિક પરંપરાઓને અનુસરનારાઓને લંડનમાં એક શાંતિ આપે તેવું સ્મારક ઊભું કરવાનો વિચાર આવ્યો, જેને કારણે આ વિશ્વ શાંતિ પથનું નિર્માણ થયું. શાંતિ અને સંવાદિતા માટેની પોતાની મનોકામનાને વ્યક્ત કરવા આ સ્થાન સહુને આવકારે છે.
આ શાંતિ પથનું દુનિયાના દરેક દેશમાંથી લાવેલ પથ્થર કે રેતી વડે બાંધકામ કરવામાં આવ્યું છે. વિશ્વના ઇતિહાસમાં ખાસ મહત્ત્વ ધરાવતાં સ્થળો જેવાં કે મક્કા, માઉન્ટ અરાફાત, એસિસી, વૃંદાવન, જેરુસલેમ અને માચુ પિચ્ચુની રેત લાવવામાં આવી હતી. આખા સ્થાપત્યની નીચે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાંથી લાવેલી રેતી મુકવામાં આવી છે.
આ સ્થાપત્યની મધ્યમાં આખા વિશ્વ પર માનવ જાતના દર્દ મિટાવનારી શાંતિની જ્યોત જોવા મળશે, જે સૂર્ય શક્તિથી સતત ઉજ્વલિત રહે છે. આ પથના બાહરી વર્તુળમાં શાંતિ માટે અલગ અલગ ભાષામાં શબ્દો કોતરવામાં આવ્યા છે.
આ શાંતિ પથના મુલાકાતીઓ એક દીપ લઇ, તેને ફરતે પ્રદક્ષિણા કરે છે અને પોતે જે સ્થળે શાંતિ સ્થપાય તેવી ઈચ્છા રાખે ત્યાં એ દીપ મૂકે છે. આ એક અદ્ભુત અનુભૂતિ કરાવે તેવું સ્થળ છે.
e.mail : 71abuch@gmail.com