Opinion Magazine
Number of visits: 9456861
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ (૩) 

સુમન શાહ|Opinion - Literature|24 September 2024

૪

રાજેન્દ્ર શાહ

કેટલાંક ગીતોની કેટલીક પંક્તિઓ તો ઘણી જ સ્મરણીય છે, જેમ કે –

મને જરા ઝૂંક વાગી ગઈ … 

માલતીની ફૂલકોમળી તો યે ડૂંખ લાગી ગઈ …

*

સૂકી મેં વીણી કાંઈ ડાળી ને ડાંખળી

સૂકાં અડૈયાંને વીણ્યા રે લોલ

લીલી તે પાંદડીમાં મ્હૅકંત ફૂલ બે’ક  

મારે અંબોલડે ખીલ્યાં રે લોલ.

*

હરિ તારા ઘટના મન્દિરિયામાં બેસણાં હોજી. હરિ હું ય એ જ ઘરનું બાળ.

*

ફૂલની ભીતર ભરિયું તે મધ ભમરે લીધું પ્રીછી

ઓયમા મને ચટકી ગયો કાળમુખો કોઈ વીંછી.

*

‘કોઈ સૂરનો સવાર

આવી ઊતર્યો અરવ મારે ઉરને દ્વાર.’

* 

‘તને જોઈ જોઈ તો ય તું અજાણી’

“શાન્ત કોલાહલ” સંગ્રહમાં ‘વનવાસીનાં ગીત’ એવા શીર્ષકથી રાજેન્દ્રભાઈએ ૧૮ રચનાઓ રજૂ કરી છે. કેટલીક રચનાઓની કોઈ કોઈ પંક્તિ રજૂ કરીને સંતોષ માનું : 

૧ :

નમીએ અગનફૂલને હેતે નમીએ અગનફૂલ,

ઓથમાં જેની ઊછરે આપણ વનવાસીનું ફૂલ. 

રાનપશુનાં નૅણમાં એનાં તેજની વાગે શૂલ.

૨ :

પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ

ઉગમણે તેજ મ્હૉરતું ને ટહૂકાર કરે ચણ્ડૂલ 

મૉકળે મને રાન-વેરાનમાં

માણીએ સંસાર; ઝંખવાય રે અગનફૂલ.

૩ : 

વાગે રે, વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું, બોલની હારે પાયલિયું રણકારે એને

માનસરોવવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું 

સાવજની યે સૉડમાં સરી કરીએ અટકચાળું. 

તારલિયાનાં તેજને વ્હૅતાં વાંચીએ ઝરણપાણી 

રાનમાંજારનાં નૅણથી વીંધાય રૅણનું કાજળ કાળું.

૪ : 

કાંચળી જોઈને કાયે ભાગે ને મૌવર માંડે મરદ,

સાત પાતાળનાં ભોંયરાં ભેદીને આવતી નાગણ

રાગનું એને ય દરદ. વાત નાગણ અને મદારીની છે, પણ ખરી વાત તો પ્રિય અને પ્રિયાની છે.

૫ : 

એ ય વ્હાલીડા ! સાંભળી લેજે સાદ.

અંગ મ્હારાંને વીંટળાયો છે નાગ 

ઝૅરની એનાં જીરવી જાય ન આગ,

મૌવરમાં ધર, મન્તરનો કોઈ રાગ

નહિ તો એલા, જિન્દગી લગી મેલજે મોરી યાદ.

વ્હાલીડા સાંભળી લેજે સાદ.

૬ : 

છોરી ! તોરી વાત વેલાતી !

આવડે ના તો ય ઊકલે મરમ

મનમાં એની મ્હેક ફેલાતી. 

તડકે તપ્યું રાન ભલે ને

આંહી તો પૂનમ રાત રેલાતી.

૭ : 

જૂઠી તે રીસને રાગે નેપુર તારાં રૂમઝૂમ રૂમઝૂમ વાગે, રૂપાળવી. 

આવડો ફૂંફાડો ન રાખીએ નકામ  

એને ન્હાનો ગોવાળિયો ય નાથે. 

૮ : 

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,

મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. 

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે…તાવ હોય જો કડો ટાઢિયો

કવાથ કુલડી ભરીએ, વાંતરિયો વળગાડ હોય તો

ભૂવો કરી મંતરીએ…કેવડિયાનો કાંટો અમને…

૯ : 

કાજળિયા અન્ધારથી યે કંઈ કાળવી ત્હારી કીકી

સળગ્યાં મ્હારાં નૅણલાં એને જોઈને ટીકી ટીકી.

૧૦ : 

વનમાં વાયરે ઘેરી’તી આજ, મ્હને વનમાં વાયરે ઘેરી

કિયા જનમનો વૅરી, તે આજ મને વનમાં વાયરે ઘેરી.

૧૧ : 

પેલે તીરે તારું ગામ વ્હાલીડા, હું આ તીરની વનવાસી,

વાંકડી રે એની ચાલથી, બેઉને ભીંજવી જાય વરાંસી.

૧૨ : 

શરત : ‘શરત’ — સમગ્ર રચનામાં કવિનું મને એક અનોખું સર્જનાત્મક ઉડ્ડયન જોવા મળ્યું છે

પાતળી કેડી કેરકાંટાળીઅંટેવાળે આવતાં એખણ એરું, સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી… 

ગોફણના એક ઘાથી ઉતાર

નભનો તેજલ તારો,ભાલની મારી બિંદીએ મેલી

અંજવાળું જનમારો,

ઝરણાંનાં ઝાંઝરની તાલે રમતાં રે’તાંચડવો મારે એક અવિચલ મેરુ.

આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખેએ જ તે મારા આયખાનો ભડ ભેરુ. 

– નાયિકાના ઑરતા તો જુઓ : સાવજ કેરી ખાલની મોજડી, ગોફણના એક ઘાથી ઉતારેલો નભનો તેજલ તારો એના ભાલની બિંદી, ઝરણાંનાં એનાં ઝાંઝર …

રાજેન્દ્રભાઈએ ‘દરિયાખેડુનાં ગીત’ લખ્યાં છે, “વિભાવન”-માં સંઘરાયાં છે.

૧ : 

જાગ, હુલાસી જાગ… 

૨ :

હાલ્ય રે ભેરુ, હાલ્ય હૉંશીલા,

જોરનું જુવાળજળનું આયું તેડું.

હાલક ડોલક થનગની ર્ હૅ,

નાવડીનો દોર છોડ રે સાગરખેડુ. 

ખારવાનાં ગીત લખ્યાં છે, બે છે, “શ્રુતિ”-માં સંઘરાયાં છે.

૧ : 

હે ઇ ચાંગા, શુકર, બોમાન, શાની !

ભરતી આવી ભૂર, હો ભૂરાં અલબેલાનાં ઊછળે પાણી. : હે ઇ રે હેલા આ…ય

ન્હૈં મોતી, ન્હૈં  ધોતી, કેવળ 

કેડનું રેશમ ચીની ઘરદુવારે, ભરજુવાળે કાય રહે નિત ભીની. 

 રે હેલા હે ઇ રે હેલા આ…ય. 

૨ :

હે…ઇ…ષા હેલોમ, હે એ ઇ ષા 

હે…ઇ…ષા હેલોમ, હે એ ઇ ષા. તે પછી – ભૈયા આપણ, હે એ ઇ ષા

ધારીએ આપણ, હે એ ઇ ષા 

ભતવારીનું ગીત બહુ સુન્દર છે, એની વ્યંજના પણ રમણીય છે, આખું આ પ્રમાણે છે : 

નાની રે પીલુડી ઝાઝા ઘેરની એની કન્દરાની હેઠ

એની છાંયડીની હેઠ

ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ  

અન્તે કહે છે : 

મધ રે બપોરે માજમ ચાંદની,

વીંઝણો વાતુંનો ઢળાય,

નયને સોણલાં કળાય,

કાળજે ટાઢક મીઠી માણીએ….નાની રે પીલુડી ઝાઝા ઘેરની…

રાજેન્દ્રભાઈએ કવિ જયદેવના સુપ્રસિદ્ધ “ગીતગોવિંદમ્”-નો અનુવાદ કરેલો. એક ગીતની પહેલી કંડિકા આ પ્રમાણે છે : 

રતિસુખને સંકેત-નિકેત ગયેલ મનોહર વેશ

ન કર, નિતમ્બિનિ, ગમનવિ લંબન, અનુસર તે હૃદયેશ

ધીર સમીરે યમુના તીરે અધીર કુંજવિહારી

આલિંગન-રંજન કારણ, જો, કરત કામના તારી. આ ગીત બહુ જાણીતું છે. મનોહર વેશ ધારણ કરીને રતિસુખની ઈચ્છાથી અભિસારે નીકળેલી નિતમ્બિનિને કવિ કહે છે, તારી હૃદયેચ્છાને અનુસર ને વાર ન લગાડ, કેમ કે યમુનાતીરે શ્રી કૃષ્ણ આલિંગનરંજન માટે તારી કામના કરી રહ્યા છે.  

જયદેવની પદાવલિશૈલીનું રાજેન્દ્રભાઇનું આ ગીત જુઓ –

ઝલમલ ઝલમલ નદીજલ-લહરી, પવન વહે પણ મલમલ,

પૂરવ ગગનને અરુણ કિરણ, મૃદુ વિકસત રમ્ય કમલદલ

મધુ-પરિમલ-રત અલિગણ ગુંજે,

મુકુલિત કલરવ નિખિલ નિકુંજે;

કહીં, પ્રિય!

કહીં તુમ નિવસત? નયનન વિકલ ભમે મુજ થલથલ,

ઝલમલ ઝલમલ નદીજલ-લહરી…

 

ઇંધણાં વીણવા ગૈતી મોરી સૈયર.. 

ચઇતરનું આભ સાવ સૂનું સૂનું ને તો ય

કંઈથી કોકિલકણ્ઠ બોલે રે લોલ

વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે

દખ્ખણને વાયરે ડોલે રે લોલ. 

(૬). 

(આ ગીત હું બહુ ગાતો). 

ચૈત્ર માસનું આભ સૂનું સૂનું છે તો ય કોકિલકણ્ઠ! -એ વિરોધાભાસ નૉંધો. નવલી બધી જ કૂંપળો કલ્પો. એ કૂંપળો દખ્ખણના વાયરે ડોલે છે. કહેવાયું છે, કવિસમય છે, કે દક્ષિણ દિશાનો વાયરો પ્રેમીઓનું મિલન સાધી આપે છે. સૈયર ભલે ઇંધણાં વીણવા ગૈતી, પણ એનો સંગાથી ત્યાં આવે એની વાટ જોઈ રહેલી.

‘સુન્દર ! બહુરિ કુટિલ તવ છલના :

પલ રૂપ એક, અવર પણ દૂજો 

મન કંઈ પામત કલ ના…’ 

(ક્રમશ:)
(23Sep24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેવું હતું ૧૯૪૨ના ઑગસ્ટનું પહેલું અઠવાડિયું ?

સોનલ પરીખ|Opinion - Opinion|23 September 2024

ઑગસ્ટ મહિનાની શરૂઆત થાય અને કરેંગે યા મરેંગેની લડત યાદ આવે – એવી વિરાટ ઘટના કે તેને વિષે વાંચવા, લખવા કે વિચારવાથી તેનો અંદાજ ન આવે.

કેવું હતું ૧૯૪૨ના ઑગસ્ટનું પહેલું અઠવાડિયું ? નારાયણ દેસાઈના શબ્દોમાં કહીએ તો ભારતના કુરુક્ષેત્રમાં બે સૈન્ય સાબદાં થઈ સામસામે ઊભાં રહી ગયાં હતાં. એક બાજુ બ્રિટિશ સરકાર હતી બીજી બાજુ સત્યાગ્રહી સેના. બ્રિટિશ સરકારની લગામ વિન્સ્ટન ચર્ચિલના હાથમાં હતી. એમણે ક્યારનું જાહેર કરી દીધું હતું કે સત્તાને આટોપી લેવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. હાડોહાડ સામ્રાજ્યવાદી ચર્ચિલને ખ્રિસ્તી ધર્મ કે કોઈ રાજકીય વિચારધારાની પરવા નહોતી. તેઓ માનતા હતા કે બ્રિટનનો ભારત પર અધિકાર છે અને એ પકડ તેમણે મજૂબત રાખવી હતી. એમ કરવામાં ગાંધી જેવાનો ભોગ લેવો પડે તો તેમ કરતાં ય ખચકાય નહીં એવી તેમની મક્કમતા હતી. ઇંગ્લેન્ડમાં બેસીને ભારતની ઝીણામાં ઝીણી હિલચાલ પર ચાંપતી નજર રાખી સામ્રાજ્યને મજબૂત કરે એવા માર્ગે લઈ જાય એવી શકુનિ બુદ્ધિવાળા વજીર લિઓપોલ્ડ એમરી બધો કારભાર સંભાળતા હતા અને ભારતમાં એમના વતી વહીવટનું સુકાન સંભાળતા હતા વાઈસરૉય લોર્ડ લિનલિથગો. ભારતની અને ભારતના રાજકીય પક્ષોની નાડ પારખતાં તેમને આવડતું હતું. ગોરા અને કાળા અમલદારોની ફોજ અને એક આખું વહીવટી તંત્ર તેમના હાથ મજબૂત કરતું હતું.

બા – બાપુ

બીજી બાજુ હતી સત્યાગ્રહી સેના. એનું માર્ગદર્શન એક એવા માણસના હાથમાં હતું જેણે સંઘર્ષ કરવાનું અવનવું સાધન શોધ્યું હતું. એ સાધન તેણે વિશ્વના બે ખંડોમાં સફળતાપૂર્વક વાપર્યું હતું. દરેક સંઘર્ષ વખતે એની રણનીતિ કોઈ નવું તત્ત્વ લઈને આવતી. આ સેનાપતિની અસલી તાકાત તેનું આત્મબળ હતું. એની મક્કમતા સામેના સેનાપતિ કરતાં જરાયે ઊતરે એવી ન હતી. એને સાથ હતો બત્રીસલક્ષણા સાથીઓનો, જેમણે જાતે તપી તપીને પોતાને કંચન સમા વિશુદ્ધ કર્યા હતા. એમની તાકાત એમની દેશભક્તિ અને ગાંધીજીમાં એમની શ્રદ્ધાની હતી. આ સેનાનો મુખ્ય આધાર ભારતની કરોડોની જનતા પર હતો. આ જનતા સત્યાગ્રહના શસ્ત્રને ભલે આછુંપાતળું સમજતી હતી, પણ તેની રગોમાં સત્પથ પર ચાલવાની પ્રેરણા વહેતી હતી.

બ્રિટિશ સરકારને આ સેના અને તેની લડતનો બે દાયકાનો અનુભવ હતો. આ વખતે જૂની ભૂલો ન કરવાનો સંકલ્પ હતો. ગાંધી ઉપવાસની રમત રમે કે બીજું કોઈ અણધાર્યું પગલું ભરે એ પહેલાં જ એમને ઝડપી લેવા એ નક્કી હતું. વિશ્વયુદ્ધ ચાલુ હતું. થોડા લોકો મરશે તો ય બહુ હોબાળો થવાનો સંભવ ન હતો, એ સરકારને ખબર હતી.

આ વખતે જનતાએ પણ કમર કસવા માંડી હતી. ‘ભારત છોડો’ શબ્દ ગાંધીજીએ પોતાના લેખોમાં કદી વાપર્યો ન હતો. એમને તો, અંગ્રેજો પોતાના ભલા ખાતર સ્વેચ્છાએ ભારત છોડે એ જ અભિપ્રેત હતું. જનતાના હૃદયમાંથી એનું સૂત્ર ઊઠ્યું હતું. ‘ભારત છોડો’ અને એ સૂત્રોચ્ચાર સાથે વિદ્યુતપ્રવાહ વહી નીકળ્યો હતો. ૧૯૨૦માં અસહકાર આંદોલન વખતે દેશનો શિષ્ટ સમાજ જેલમાં જવા તૈયાર થયો હતો, ૧૯૩૦-૩૨માં ભારતની નારીઓ વીરાંગના બની બહાર નીકળી હતી અને આ વખતે, ૧૯૪૨માં આબાલવૃદ્ધ સૌ હાથમાં માથું લઈને ઝંપલાવવા તૈયાર હતાં.

સંગ્રામ શરૂ કરવા માટે મુંબઈ સૌથી વધારે અનુકૂળ મહાનગર હતું. અહિંસક આંદોલન શરૂ થયું ત્યારથી મુંબઈનો એને મક્કમ ટેકો હતો – પછી તે વિદેશી કપડાંની હોળી હોય, મીઠાનો સત્યાગ્રહ હોય કે તિલક સ્વરાજ નિધિ હોય. ૧૯૪૨નો ઑગસ્ટ મહિનો બેઠો અને મુંબઈમાં નવા ઉત્સાહનો સંચાર થયો. ૭ અને ૮ ઑગસ્ટે મહાસમિતિની બેઠક ગોવાલિયા ટેન્ક પર ભરાવાની હતી. આગેવાનો આવે તે પહેલાં જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે સામસામા તાર થઈ ચૂક્યા હતા અને ક્યારે કોની ધરપકડ કરવી અને કોને કઈ જેલમાં રાખવા તેનો વ્યૂહ રચાઈ ચૂક્યો હતો.

૮ ઑગસ્ટે ગોવાલિયા ટેન્ક મેદાન પર માનવમહેરામણ સમાતો નહોતો. આગેવાનો પ્રવેશતા અને ‘વંદે માતરમ્‌’, ‘જય હિન્દ’ જેવાં ગગનભેદી સૂત્રો ગાજી ઊઠતાં. સરદાર પટેલે કહ્યું, ‘સરકાર પ્રચાર કરે છે કે કૉંગ્રેસ તો મૂઠીભર ચળવળિયાઓની ધાંધલ છે. નવ કરોડ મુસ્લિમો, સાત કરોડ હરિજનો, લાખો બુદ્ધિજીવીઓ કૉંગ્રેસ સાથે નથી. રેડિકલો, કોમ્યુનિસ્ટો, ડેમોક્રેટો પણ કૉંગ્રેસ સાથે નથી. હું કહું છું કે જો અમારી સાથે કોઈ નથી, તો પછી સરકારને અમારો આટલો ભય કેમ છે ? વિશ્વયુદ્ધ પૂરું થાય એ પછી આઝાદી આપવાના વચન આપવામાં આવે છે પણ લડાઈને અંતે આઝાદી આપવા સારુ અંગ્રેજો અહીં હશે કે કેમ એ પ્રશ્ન છે. દરેક ભારતીયના મનમાં એક જ વાત છે કે અંગ્રેજો ભારત છોડો અને અમને અમારું ફોડી લેવા દો.’

ગાંધીજીએ કહ્યું, ‘આ વખતની લડતમાં ઘણી મોટી કુરબાની કરવી પડશે. કારણ મુસ્લિમ લીગનો વિરોધ છે. અંગ્રેજોનો પણ વિરોધ છે, સર ફ્રેડરિક પકેલના પરિપત્રમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી સંસ્થાઓને એક થઈ કૉંગ્રેસ સામે મોરચો માંડવા ખુલ્લી ઉશ્કેરણી છે. આવી આ સલ્તનતનો આપણે સામનો કરવાનો છે જેના રસ્તા કુટિલ છે. આપણો રસ્તો સીધો છે. સત્યાગ્રહમાં જૂઠ કે ફરેબને સ્થાન જ નથી …. આ ઘડીથી સૌ કોઈ પોતાને આઝાદ માને અને આઝાદ નાગરિક તરીકે વર્તે. હું તમને એક ટૂંકો મંત્ર આપું છું; એને તમારે હૈયે કોતરી રાખજો અને તમારે શ્વાસે શ્વાસે એનો જાપ ચાલવા દેજો. એ મંત્ર છે, ‘કરેંગે યા મરેંગે.’ દેશને કાં તો આઝાદ કરીશ, નહીં તો મરી ફીટીશ. દરેક ભાઈ અને બહેન આઠે પહોર એક જ ધ્યાન ધરે કે સવાર-સાંજ ખાઉં છું તો આઝાદી માટે, જીવું છું તો આઝાદી માટે અને પ્રસંગ આવ્યે મરીશ તે પણ આઝાદીને માટે.

‘મારી હંમેશની ટેવ મુજબ મારે હજી ઘણી વિધિઓ પૂરી કરવાની છે. આ બોજો અસહ્ય છે. જે મંડળોમાં હું શાખ ગુમાવી બેઠો છું તેમની આગળ દલીલો કરવાની ચાલુ રાખવાની છે. છેલ્લા થોડા દિવસોમાં હું મારા મિત્રોમાં પણ શાખ ગુમાવી બેઠો છું. જે માણસ સત્યનો શુદ્ધ શોધક હોય, તથા ભય કે દંભ વગર પોતાની શક્તિ-મતિ અનુસાર માનવજાતિની સેવા કરવા ઇચ્છતો હોય તેના જીવનમાં આવા પ્રસંગો ઊભા થાય છે. તેને આખી દુનિયા સામે એકલા ઊભા રહેવું પડે છે પણ તે સર્વસ્વ ત્યાગીને પણ જેને ખાતર તે જીવ્યો છે અને જેના ખાતર તેને મરવાનું છે તેનો ઇન્કાર કરતો નથી ….’

માઉન્ટ પ્લેઝન્ટ રોડ પર બિરલા હાઉસે પાછા ફરતાં ગાંધીજીને રાત પડી ગઈ હતી. આવતાંની સાથે તેમણે સાથીઓ સાથે બેસીને પ્રાર્થના કરી અને થોડી વારમાં સૂઈ ગયા. પણ બા, મહાદેવભાઈ અને સાથીઓની ઊંઘ વેરણ થઈ હતી. સવારે ચાર વાગ્યે પોલીસ આવી અને ગાંધીજી, મહાદેવભાઈ અને મીરાંબહેનને ગિરફ્તાર કર્યાં. કસ્તૂરબાને ગાંધીજી સાથે જવું હોય તો કેદ થઈને જઈ શકે એવો વિકલ્પ હતો. એમણે ગાંધીજીને પૂછ્યું, ‘શું કરું ?’ ‘મારી સાથે આવવું હોય તો હું તને રોકીશ નહીં. પણ જો મને પૂછતી હોય તો હું એમ કહું કે કાલે શિવાજી પાર્કની સભામાં મારા વતી ભાષણ કરતાં તું પકડાય એ મને વધારે ગમે. પણ પછી સરકાર તને મારી સાથે ન પણ રાખે. એ બધું વિચારીને તું નિર્ણય લે.’ એક ક્ષણમાં કસ્તૂરબાએ નિર્ણય લઈ લીધો, ‘હું ભાષણ કરવા જઈશ અને પકડાઈશ. જે જેલમાં રાખશે ત્યાં રહીશ.’

આપણે આ દેશનાં, આ બા અને બાપુનાં સંતાનો છીએ, તે યાદ રાખીએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 ઑગસ્ટ  2024
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2024; પૃ. 08 તેમ જ 06

Loading

હિંદુ ધર્મનાં મૂળ તત્ત્વો

મનસુખ સલ્લા|Opinion - Opinion|23 September 2024

મનસુખભાઈ સલ્લા

આજે હિંદુ સમાજ એકથી વધુ વમળમાં ફસાયેલો જોવા મળે છે. એટલે એવા અનેક મોરચા ખૂલી રહ્યા છે જેમાં ભરપૂર આંતરવિરોધ હોય. મૂળે હિંદુધર્મ વૈદિક ધર્મરૂપે સ્વીકાર્ય અને વિકસિત થયો હતો. એમાં એક જ દેવ, એક જ ગ્રંથ, એક જ ગુરુ કે એક જ પ્રતિમાનો આગ્રહ નહોતો – જે ઇસ્લામ, ખ્રિસ્તી કે અન્ય ધર્મોમાં જોવા મળે છે. કારણ કે વૈદિક ધર્મનો પાયો ઉપનિષદો અને ગીતા છે. ઉપનિષદો અને ગીતા કોઈ અમુક ધર્મ કે ફિરકાનું પ્રગટીકરણ નથી, પરંતુ જીવનધર્મની વૈશ્વિક વિચારણાનું પ્રગટીકરણ છે. એટલે ઉપનિષદો અને ગીતાની વિચારણા તમામ ધર્મના લોકોને અસર કરે છે, સ્વીકાર્ય બની શકે તેમ છે.

જેને વૈદિકધર્મ તરીકે ઓળખવામાં આવે છે તે મૂળ સંકુચિત, બંધિયાર કે આચરણબદ્ધ નહોતો. પરંતુ ધર્મની વિચારણા પાછળ આખરે તો માણસ હોય છે. માણસને પોતાનાં હિત કે ગમા-અણગમા હોય છે. કોઈપણ ધર્મનું વિશુદ્ધ સ્વરૂપ ઉદાર, મોકળાશભર્યું અને સર્વસમાવેશક હોય છે. એના બદલાવમાં પાંચસો-હજાર વર્ષ લાગતાં હોય છે. વળી તત્કાલીન અનુભવોને પારદર્શક રીતે તપાસવાની, મૂલવવાની અને સ્વીકારવાની તૈયારી ઘટે ત્યારે અમુક આચારો કેન્દ્રમાં આવી જાય છે. આ મોટું જોખમ હોય છે. પછી એવાં સંકુચિતતા કે બંધિયારપણાનું પણ મહિમાગાન શરૂ થાય છે.

ઉપનિષદો અને ગીતાની ઉદાર, વૈશ્વિક અને પ્રાણીમાત્રના અસ્તિત્વનું ગૌરવ કરનારી વિચારણાની જગ્યાએ હિંદુધર્મ ત્યાં સુધી સંકોચાયો કે એમાં ચાતુર્વર્ણ્ય કર્મ પ્રમાણે હતા તે જન્મ પ્રમાણે બની ગયા. આ દેશમાં ક્ષત્રિયો ઋષિ બની શકતા હતા, જેને પોતાના પિતા કોણ છે તેની ખબર નહોતી તે સત્યકામ ગુરુકુળનો આચાર્ય બની શકતો હતો, વારાંગના સાધ્વી બની શકતી હતી. વિચારની આ મોકળાશ ગુમાવી ત્યાર પછી વિધિ-વિધાનો અને આચારો મુખ્ય બન્યાં અને માણસ ગૌણ બન્યો. ઉપલા વર્ગોએ સંપત્તિ, બળ અને સ્થાનને આધારે પોતાનાં હિતો જાળવવા અમાનવીય ગણાય એવાં ધોરણો પ્રચલિત કર્યાં. શુદ્રવર્ગને માત્ર હલકો વર્ગ જ ગણવામાં ન આવ્યો, પરંતુ અસ્પૃશ્ય ગણવામાં આવ્યો. સ્ત્રીનું સ્થાન-માન એટલું સંકોચાયું કે સતીપ્રથાને ધાર્મિક ગણવામાં આવી.

લગભગ એક હજાર વર્ષના મુસ્લિમ અને અંગ્રેજ શાસનમાં હિંદુ-સમાજ વિચારને બદલે આચારને કેન્દ્રમાં મૂકતો થયો. દેવદેવલાં અને પૂજાવિધિઓમાં તેમને સત્ત્વજાળવણીનો મહિમા દેખાયો. એટલે એક માણસ દિવસમાં દસ વખત સ્નાન કરતો હોય તો એ પવિત્ર ગણાયો. પવિત્રતા અને સ્નાનને અનિવાર્ય સંબંધ નથી એ ભુલાયું. એટલું જ નહિ, એવા આચારોનું મહિમામંડન થયું. બાકીનાને પોતાનાથી ઊતરતા ગણવામાં ગૌરવાનુભવ થવા લાગ્યો.

‘ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્‌’ની વિચારણા કરનારો આ દેશ જ્ઞાતિ-જાતિની ચડતી-ઊતરતી ભાંજણીમાં વહેંચાઈ ગયો. અસ્પૃશ્યોને મંદિરપ્રવેશ કે દર્શનનો પણ અધિકાર ન રહ્યો. સ્ત્રીઓ પૂજા કે યજ્ઞમાં પડખે ભલે બેસે, પણ તેનો શિક્ષણનો, પસંદગીનો, કર્તૃત્વનો અધિકાર ઝૂંટવાઈ ગયો. એનો આત્યંતિક છેડો ત્યાં સુધી પહોંચ્યો કે હનુમાનજીને હાથ જોડીને સ્ત્રીઓ પગે ન લાગી શકે, હાથ પાછળ રાખીને નમન કરી શકે. આ સઘળું આચારધર્મ કેન્દ્રમાં મૂકવાને કારણે થયું. એનો સૌથી નિકૃષ્ટ નમૂનો સતીપ્રથા છે.

ધર્મતત્ત્વને રાજકારણ સાથે જોડવામાં આવે છે ત્યારે રાજા, શાસક કે અમુક વર્ગને તત્કાલ લાભ પણ થાય, પરંતુ ધર્મતત્ત્વને અવશ્ય હાનિ પહોંચે છે. ધર્મતત્ત્વ મનુષ્યની વ્યક્તિગત સાધના છે. મનુષ્યને રુચે એ પદ્ધતિથી અને એ રીતે ઉપાસના કરે. તેમાં ચડતો-ઊતરતો ક્રમ ન હોઈ શકે, કે અમુક જ પદ્ધતિ સાચી એવો આગ્રહ ન હોઈ શકે. પરંતુ આજે એને મહત્ત્વ અપાઈ રહ્યું છે. નાગરિક ધર્મ અને અમુક ધર્મમાં શ્રદ્ધા એ બે તદ્દન ભિન્ન તત્ત્વો છે. નાગરિક ધર્મનો આધાર બંધારણ છે. બંધારણનાં મૂલ્યો છે. તેમાં જ્ઞાતિ-જાતિ કે ધર્મ વચ્ચે આવતો નથી. તમામ ધર્મોએ આનો સ્વીકાર કરવો રહ્યો. ચોરી, વ્યભિચાર, છેતરપીંડી, હત્યા કે સામાજિક સુરક્ષાના નિયમો માટે ધર્મ કે જાતિ પ્રમાણે નિયમો નથી હોતા. બંધારણમાં માણસમાત્ર માટે સમાન નિયમો હોય છે. બંધારણ સર્વસામાન્ય નિયમો પર પ્રતિષ્ઠિત હોય છે.

આથી ઊલટું થવાથી જે દુષ્પરિણામ સર્જાયું તે એ છે કે ભારતમાં શ્રમિક હલકો, ઊતરતો, ઓછું મહેનતાણું મેળવનારો હોય છે. યુરોપ-અમેરિકામાં કે કોઈપણ વિકસિત દેશમાં શ્રમિક માટે આટલો તુચ્છભાવ નથી હોતો. એટલે તો જાતે કશું ય કરવું એ આ દેશમાં હલકું કામ ગણાય છે. કોઈ પણ દેશના વિકાસનો મૂલાધાર શ્રમ હોય છે. પરંતુ ભારતમાં શ્રમનાં કામો હલકાં ગણાય છે. એથી સૌને બેઠાડુ એવી સરકારી નોકરી જ જોઈએ છે. (અને કોઈપણ દેશમાં સરકારી નોકરી ૬-૭ ટકાથી વધારે નથી હોતી.) એટલે ભારતમાં ૩૫ જગ્યા માટે પાંચ લાખ અરજી આવે છે.

હિંદુધર્મની સંકોચનની આ પ્રક્રિયાને પરિણામે નીચલી ગણાતી જ્ઞાતિઓ, અસ્પૃશ્યો, ગિરિજનો, મહેનતુ વર્ગ છે ભલે બહુમતીમાં, પરંતુ તેમના ગૌરવના પુન:સ્થાપન માટે ભાગ્યે જ વિચારણા થાય છે. રાજકીય પક્ષો પોતાના હિત માટે આ વિશાળ વર્ગને વાપરવામાં માને છે, તેમને ગૌરવપૂર્ણ જીવન મળે એમાં નથી માનતા. કેટલાક તો આ સૌ ન ભણે કે સારું ન ભણે એમ ઇચ્છે છે. જેથી કાયમ માટે ‘કીધું કરનારો’ વર્ગ મળી રહે એવું ગોઠવી શકાય.

મંદિર એ શ્રદ્ધાસ્થાન છે. જેને જ્યાં રુચે ત્યાં જાય. પરંતુ આજે મંદિર એ દેખાડાનું સ્થાન બનતાં જાય છે. તેમાં પ્રવેશ માટે મોટી રકમો લેવાય છે. બીજાં અનેક અનિષ્ટો પણ પ્રવેશ્યાં છે. મંદિરો પાસે અબજો રૂપિયા જમા છે, તેમાંથી તેઓ નિશુલ્ક હૉસ્પિટલો સ્થાપી શકે, નિશુલ્ક ઉત્તમ વિદ્યાલયો ચલાવી શકે. પરંતુ મંદિરોને એવાં આયોજનોમાં ધાર્મિકતા દેખાતી નથી. ભપકાભર્યાં આયોજનોમાં જ ધાર્મિકતા જોવાય છે.

આ દેશમાં ૧૪૫ કરોડ આસપાસની વસ્તી છે. તેમાં ૮૦ કરોડ લોકો સરકારના પાંચ કિલો અનાજ ઉપર ગુજારો કરે છે. એટલી કારમી ગરીબી આ દેશમાં છે, ત્યારે એક લગ્નમાં ૫૫૦ કરોડ રૂપિયા ખર્ચાય કે મંદિરોમાં સોનાની ઈંટો ચઢાવાય એ કેટલું વાજબી ગણાય એવો પ્રશ્ન આપણને થતો નથી.

મોટી વસ્તી ગામડામાં, પછાત વિસ્તારમાં અને પછાત ગણાતા વર્ગમાં અભાવમાં જીવતી હોય ત્યારે તેમાંથી પાંચ-દસ જણને ઊંચા સ્થાને બેસાડી દેવાથી આખા વર્ગનું ખરું ગૌરવ થતું નથી. તેમને આત્મગૌરવનો અનુભવ થાય એવી સામાજિક અને આર્થિક સ્થિતિ સર્જવી એ સાચો હિંદુધર્મ છે. ગાંધીજીએ દેશનું મોં સાચા ધર્મતત્ત્વ તરફ વાળ્યું હતું. પરંતુ એમને ભૂલી જવા માટે વ્યાપક રીતે બધી શક્તિ ખર્ચાય છે. એમાં નુકસાન ગાંધીજીને નથી, આ દેશની માનવીય વિકાસ પ્રક્રિયાને છે.

આ દેશ યુરોપ કરતાં મોટો છે. ઈશાન ભારત, પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને બાકીના ભારતમાં અપાર વૈવિધ્ય છે. વસ્તી એટલી મોટી છે કે ગાંધીજીએ કહેલું ફરી યાદ કરાવવું જરૂરી છે : ‘સૌને સ્થાનિક સ્વમાનપૂર્ણ રોજી મળવી જોઈએ.’ આપણે કોમ્પ્યુટર ક્રાંતિ અને એ.આઈ.થી લુબ્ધ થઈને વધુ હાથને કામ વગરના કરવા તરફ તો નથી જઈ રહ્યા ને ? દુનિયા સાથે આપણે શાની હરીફાઈ કરવાની છે ? ઉદ્યોગપતિઓને ૧૦૦ માણસોને બદલે એક રોબોટથી કામ લેવાનું વધારે ગમે. તેમાં નફો વધારે મળે અને ચિંતા ઓછી રહે. પરંતુ આટલી મોટી વસ્તીને કામ વગરની કરીને પછી રાહતના ટુકડા આપવાથી આ દેશનો મૂળ પ્રશ્ન નહિ ઊકલે. દેવામાફી, અમુક વસ્તુઓ મફત આપવી, એને બદલે સ્વમાનપૂર્ણ રોજગાર વધે એ આ દેશનો ખરો માનવધર્મ છે.

કમનસીબે સ્વરાજના પ્રારંભથી ગાંધીપ્રબોધિત સાદગીપૂર્ણ જીવનશૈલીને ભૂલી જવામાં આવી. આજે ૫ ટકા સંપન્નો પાસે દેશની ૯૦ ટકા સંપત્તિ છે. અને ૯૫ ટકા વસ્તી પાસે ૧૦ ટકા સંપત્તિ છે. આ ધાર્મિક વલણ ગણાય ખરું ? ખરેખર તો આ દેશમાં રાજકારણીઓ, ધાર્મિક આગેવાનો અને ઉદ્યોગપતિઓના વૈભવી દેખાડાને બદલે સાદગીપૂર્ણ જીવનને મહત્ત્વ આપવાની જરૂર છે. (ઈકોલોજી પણ એ જ કહે છે.) આ દેશે પ્રાચીનકાળથી ત્યાગી અને તપસ્વીઓને પોતાના હૈયે સ્થાપ્યા છે, વૈભવનો દેખાડો કરનારને નહિ.

આ દેશમાં મુખ્ય જરૂરિયાત કામ ઇચ્છતા દરેકને કામ મળે અને શોષણરહિત વાજબી વળતર મળે એ જ ખરી ધાર્મિકતા છે. એનો સંસ્કાર બાળપણથી સ્થિર કરવા માટે તાર્કિક બુદ્ધિનો વિકાસ કરે તેવું શિક્ષણ આપવાની જરૂર છે. અત્યારે જે પ્રકારનું રટવાનું, યાદ રાખવાનું શિક્ષણ અપાઈ રહ્યું છે તે દેશને પાછળ લઈ જશે. એને બદલે તપાસવાનું, વિચારવાનું અને શોધવાનું શિક્ષણ આપવું જરૂરી છે.

કોઈપણ ધર્મની યથાર્થતા એમાં છે કે તે માણસને સંતોષી, પ્રામાણિક, ન્યાયપ્રિય, જવાબદાર અને ઉદાર થતાં શીખવે. વૈદિક ધર્મનાં મૂળ એમાં છે. નવા ભારત સામેનો મહાન પડકાર આ છે. એક પક્ષને બદલે બીજો પક્ષ રાજગાદી સંભાળે એટલાથી પૂરતું નહિ થાય. એટલે કે આધ્યાત્મિકતાનો પાયો નૈતિક મૂલ્યો છે. અને નૈતિક મૂલ્યો માનવીય ગૌરવ વિના સર્જી શકાતાં નથી. જ્ઞાતિ-જાતિ-લિંગ-ધર્મના ભેદ વિનાનું માનવીય ગૌરવ એ આ દેશનું મૂળ ધર્મતત્ત્વ છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2024; પૃ. 07 તેમ જ 17

Loading

...102030...423424425426...430440450...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved