Opinion Magazine
Number of visits: 9456862
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેટરલ એન્ટ્રીથી નોકરશાહીમાં પાર્શ્વપ્રવેશનું સમર્થન અને વિરોધ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 September 2024

ચંદુ મહેરિયા

ભારત સરકારના ચોવીસ મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવની પિસ્તાળીસ ખાલી જગ્યાઓ લેટરલ એન્ટ્રીથી ભરવા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ૬૦ પાનાંની જાહેરાત ક્રમાંક ૫૪/૨૦૨૪, તા.૧૭મી ઓગસ્ટના રોજ પ્રગટ થઈ હતી. લેટરલ એન્ટ્રી એટલે સરકારી સેવામાં મોટા હોદ્દાઓ પર કોઈપણ પ્રકારની પરીક્ષા વિના બહારના નિષ્ણાતો કે વિશેષજ્ઞોની સીધી ભરતી. આ પ્રકારની ભરતીમાં અનામત નીતિ લાગુ પડતી નથી. છેક નહેરુના જમાનાથી આ પ્રકારે નિમણૂકો થતી આવી છે. પરંતુ વર્તમાન સરકારે તેને સંસ્થાગત રૂપ આપ્યું છે. અગાઉની સરકારોમાં રાજકીય રીતે થતી એકલદોકલ નિમણૂકો હવે મોટાપાયે અને યુ.પી.એસ.સી. દ્વારા થાય છે. એટલે કાઁગ્રેસ સહિતના વિપક્ષોએ જ નહીં સરકારના સહયોગી પક્ષોએ પણ અનામતના મુદ્દે તેનો વિરોધ કરતાં સરકારે પારોઠનું પગલું ભરી આ ભરતી પ્રક્રિયાની જાહેરખબર રદ્દ કરાવી છે.

કેન્દ્ર સરકારના પ્રવક્તા મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર વાર્તામાં કહ્યા પ્રમાણે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામાજિક ન્યાય પ્રતિ પ્રતિબધ્ધ છે’, તેથી સરકારે યુ.પી.એસ.સી.ને આ વિજ્ઞાપન રદ્દ કરવા જણાવ્યું છે. સરકારના કોઈ સચિવે નહીં, પણ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પર્સોનલ, પબ્લિક ગ્રિવેંન્સિસ એન્ડ પેન્શન્સે સંઘ લોક સેવા આયોગને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે “સમાજના નબળા વર્ગોને સરકારી સેવાઓમાં તેમનું સાચું પ્રતિનિધિત્વ મળી શકે તે માટે” વિજ્ઞાપન રદ્દ કરો. સરકારે આમ કરીને લેટરલ એન્ટ્રી અનામતને ખતમ કરશે કે તે અનામત છીનવી લેવાનો પ્રયાસ છે તેનો જવાબ આપ્યો છે.

છેક ૧૯૫૪માં ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડમાંથી આઈ.જી. પટેલને નાયબ આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારથી લેટરલ એન્ટ્રી અસ્તિત્વમાં છે. વિરપ્પા મોઈલીના અધ્યક્ષપદ હેઠળના બીજા વહીવટી સુધારણા પંચે સિવિલ સેવાઓના વહીવટમાં સુધારાની જરૂર જોઈ, બહારથી નિષ્ણાતોની સીધી ભરતી કરવા ભલામણ કરી હતી. છઠ્ઠા પગાર પંચે હાલની વહીવટી પ્રણાલીમાં સુધારા માટે ઊંચા કે વરિષ્ઠ પદો પર લેટરલ એન્ટ્રીથી ભરતી સિવાય અધિક પરિણામોન્મુખી વલણ અપનાવવા સૂચવ્યું હતું. નીતિ આયોગ સાથે સંકળાયેલા સચિવોના સમૂહે લોકશક્તિની ઉપલબ્ધતામાં વૃદ્ધિ અને નવી પ્રતિભાના ઉપયોગ માટે મધ્યમ અને વરિષ્ઠ સ્તર પર લોકોને સામેલ કરવા જણાવ્યું હતું. વર્તમાન સરકારે ૨૦૧૭માં લેટરલ એન્ટ્રી અંગે વિચારણા કરી ૨૦૧૮થી તેનો અમલ કર્યો છે. તાજેતરની ૪૫ જગ્યાઓની જાહેરાત પૂર્વે ત્રણ વખત હાલની સરકારના કાર્યકાળમાં લેટરલ એન્ટ્રીથી નિમણૂકો થઈ છે. સંસદના વર્ષાસત્રમાં આપેલ માહિતી મુજબ છેલ્લાં પાંચ વરસોમાં ૬૩ નિષ્ણાતોની ઉચ્ચ પદો પર લેટરલ એન્ટ્રીથી નિયુક્તિઓ થઈ છે. ભારત ઉપરાંત અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બેલ્જિયમમાં  આ પ્રકારે ભરતી થાય છે. અમેરિકામાં તો વળી કાયમી સિવિલ સર્વન્ટ અને મિડ કેરિયર પ્રોફેશનલ્સનું ચલણ  છે.

લેટરલ એન્ટ્રીના સમર્થકો તેના અત્યાર સુધીના સારા અનુભવોની દુહાઈ દઈ ઉમદા ઉદ્દેશો જણાવે છે. દેશની વહીવટી પ્રણાલીને વધુ અસરકારક બનાવવા તે જરૂરી છે. નવા અને બહેતર વિચારોનો લાભ મેળવવાનો પણ તેનો હેતુ છે. વિશેષ જ્ઞાન અને કૌશલ ધરાવતા લોકોને વહીવટમાં સામેલ કરવાથી વહીવટ સુધરે છે. વહીવટની બહારના લોકોના જ્ઞાન અને અનુભવનો લાભ મળે છે. સમર્થકોની એક દલીલ એ પણ છે કે અર્થવ્યવસ્થાનો આકાર અને જટિલતામાં વૃદ્ધિ સાથે અસરકારક નીતિગત હસ્તક્ષેપ માટે વિભિન્ન ક્ષેત્રોની જાણકારી આવશ્યક છે. વર્તમાન આઈ.એ.એસ. કદાચ તે માટે સજ્જ નથી. તેથી વિશેષ પ્રતિભાની આવશ્યકતા છે. બદલાયેલી પરિસ્થિતિ અને જરૂરિયાતોમાં તકનિકી નિષ્ણાતોની જરૂર ઊભી થઈ છે. નવા અને તાજા વિચારો વહીવટને વધુ જીવંત અને ઉપયોગી બનાવશે. ઉદ્યોગ નિષ્ણાતો અને બિનસરકારી સંસ્થાઓને લેટરલ એન્ટ્રીથી વહીવટી પ્રક્રિયામાં સીધા સામેલ થવાની તક મળે છે.

અનામત નીતિને લેટરલ એન્ટ્રીથી વિશેષ અસર થાય છે. તેથી તેનો વ્યાપક વિરોધ થયો છે. અનામત વર્ગના અધિકારીઓની આ જગ્યાઓ પર પ્રમોશનની તક ઘટે છે. તો નવી નિમણૂકમાં આટલી જગ્યાઓ ઓછી થાય છે. ૧૫મી ડિસેમ્બર ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલ માહિતી પ્રમાણે ભારત સરકારમાં જોઈન્ટ સેક્રેટરી અને સમકક્ષ જે ૩૨૨ જગ્યાઓ ભરાયેલી છે તેમાં સામાન્ય વર્ગના ૨૫૪, ઓ.બી.સી. ૩૯, એસ.સી. ૧૬ અને એસ.ટી. ૧૩ અધિકારી છે. અર્થાત આ જગ્યાઓમાં અનામત વર્ગનું હાલનું પ્રતિનિધિત્વ પણ ઓછું છે. જો જગ્યાઓ ઘટશે તો તેથી પણ ઓછું થશે. યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં આ જગ્યાઓ માટે અનુસૂચિત જાતિ/જનજાતિની વય મર્યાદા ૩૭ વરસ છે અને તકની કોઈ મર્યાદા નથી. જ્યારે ઓ.બી.સી. વર્ગના ઉમેદવારો માટે નવ તક અને ૩૫ વરસની વય મર્યાદા ઠરાવેલ છે. પરંતુ લેટરલ એન્ટ્રીથી આ જગ્યાઓની ભરતીની જાહેરખબરમાં આવશ્યક ઉંમર ૪૦થી ૫૫ વરસ છે. જે તમામ અનામત વર્ગના ઉમેદવારો કરતાં વધુ છે. તેથી અનામતના મુદ્દે લેટરલ એન્ટ્રીનો વિરોધ વાજબી છે.

પ્લાનિંગ કમિશનના પૂર્વ સદસ્ય અરુણ માયરા લેટરલ એન્ટ્રીમાં બજારના પરિબળના યોગદાનની ચર્ચા કરે છે. તેમના મત મુજબ, “એકવીસમી  સદીના વહીવટી તંત્ર સામે બજાર, સમાજ અને સરકારના સ્તરે પડકાર છે. બજાર સમર્થક આર્થિક સુધારાની અમેરિકી વિચારધારાના બીજ ભારતની રાજનીતિમાં વાવવા અર્થશાસ્ત્રીઓને લેટરલ એન્ટ્રીથી દેશના નાણાં અને આર્થિક સંસ્થાનોમાં ઉચ્ચ પદે બેસાડવામાં આવ્યા હતા. હાલની સરકારે મુખ્ય આર્થિક સલાહકાર, નીતિ આયોગના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર અને નાણાં પંચના ઉપાધ્યક્ષની નિમણૂક લેટરલ એન્ટ્રીથી કરી છે. બહારથી આવી સીધી ભરતીથી આ ઉચ્ચ પદો પર વિરાજમાન મહાનુભાવો દેશની આર્થિક નીતિઓ ઘડે છે, આર્થિક નીતિની દિશા નક્કી કરે છે.”

“હાલની વહીવટી પ્રણાલીમાં સમસ્યા શું છે જે લેટરલ એન્ટ્રીથી ઉકેલાઈ જશે?” તેવા સવાલ સાથે યુ.પી.ના નિવૃત્ત મુખ્ય સચિવ આલોક રંજન સ્પષ્ટ કરે છે કે “પ્રશ્ન જ્ઞાન કે અનુભવના અભાવનો નથી. સમસ્યા નોકરશાહી સંરચના અને સરકારી કાર્યપ્રણાલીનો છે. જે સર્વશ્રેષ્ઠ સિવિલ સેવક નોકરીના આરંભે ગતિશીલ અને ઉત્સાહી હોય છે તે સમય જતાં સી.એ.જી., સી.વી.સી., સી.બી.આઈ. અને કોર્ટના ડરે નરમ પડી જાય છે. અને કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પોતાની નોકરીની સલામતી વિચારે છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલા અધિકારીઓ આ સ્થિતિથી બચીને નિર્ણયો કઈ રીતે લેશે?” અરુણ માયરા પણ કહે છે કે, “આજે સામાજિક, આર્થિક, પર્યાવરણીય સમસ્યાઓ જટિલ બની છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલ કોઈ પર્યાવરણવિદ્દ પર્યાવરણની સમસ્યા ઉકેલી નાંખે પણ શાયદ સામાજિક-આર્થિક નુકસાન પહોંચાડે. તેનો હલ શું હશે?”

એટલે વહીવટને અનુભવ, જ્ઞાન અને નિષ્ણાતપણાની ચોક્કસ જ જરૂર છે. પરંતુ તે લેટરલ એન્ટ્રીથી ઉકેલાશે તેમ માનવાની જરૂર નથી. હાલના વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી. વર્તમાન આઈ.એ.એસ. આઈ.પી.એસ. અધિકારીઓને જરૂરી તાલીમ આપીને પણ આ ખોટ પૂરી શકાય છે. લેટરલ એન્ટ્રીથી જ ભરવાપાત્ર જગ્યાઓ અનામતના અમલ સાથે, શૈક્ષણિક લાયકાત અને અન્ય આવશ્યકતાઓ જણાવી, વગર પરીક્ષાએ સીધી ભરતીથી ભરવાને બદલે, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યુ.પી.એસ.સી. દ્વારા લેખિત પરીક્ષાથી ભરી શકાય છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

માણસ આજે 

સુમન શાહ|Opinion - Opinion|24 September 2024

સુમન શાહ

માણસ, શું હતો અને આજે કેવોક છે; માનવતા, શું હતી અને આજે કયા સ્વરૂપે છે; માણસનો પ્રકૃતિ સાથે, અન્ય જીવો સાથે તેમ જ સંસ્કૃતિ-સભ્યતા સાથે શો સમબન્ધ હતો અને આજે એ સમ્બન્ધનું કયું રૂપ પ્રગટ્યું છે, વગેરે વગેરેની જાણકારીથી આપણો સમસામયિક સાહિત્યકાર પરિચિત થાય તો સંભવ છે કે ગુજરાતી સાહિત્યનું ખોટકાઇ ગયેલું ગાડું ઘૉંચમાંથી બહાર આવે ને પાછું પાટે ચડી જાય.

સુધારક યુગના ગુજરાતી સાહિત્યમાં માણસનું જે ચિત્ર મળે છે એની મુખ્ય રેખાઓ એમ સૂચવે છે કે એ પછાત હતો, એનો પરિવાર અને એનો સમાજ પછાત હતો. એની ઇતિહાસ-બુદ્ધિ નષ્ટભ્રષ્ટ હતી, એની ઘણી બધી ઉપકારક સ્મૃતિનો નાશ થયેલો. સાહિત્ય એને એમાંથી બહાર કાઢીને અર્વાચીન રૂપમાં જોવા ઝંખતું હતું.

ગાંધીયુગમાં ગાંધીજીએ એને એના દેશ્ય રૂપમાં જોવા ઝંખ્યું હતું.

જેને આપણે આધુનિક ગુજરાતી સાહિત્ય કહેતા આવ્યા છીએ એમાં, માણસને વ્યક્તિવિશેષ રૂપે જોવા અને તપાસવાનું થયું હતું, એની અસ્તિત્વપરક ગૂંચોને ઓળખવાનું થયું હતું.

પરન્તુ આજે એ માણસની આપણને શી ઓળખ સાંપડે છે? શું એને આપણે માત્ર ગુજરાતી / ભારતીય નાગરિક રૂપે, લોકશાહીમાં અનિવાર્ય મતદાર રૂપે, જોયા કરીએ તે પૂરતું છે? વિશ્વ સ્તરે એનું જે ચિત્ર ઊભું થઈ રહ્યું છે, એ જાગતિક પરિપ્રેક્ષ્યથી એને જોઇએ તો એ કેવોક દેખાય છે? એ પરિપ્રેક્ષ્ય શું છે? વગેરે પ્રશ્નોના ઉત્તરો વિચારવા એ મારો આ નવ્ય લેખમાળા પાછળનો આશય છે.

હું જ્યારે AI અને હરારી વિશે અભ્યાસ કરતો હતો અને લેખમાળા કરેલી ત્યારે માનવવાદ અને અનુ-માનવવાદ વિશેનાં હરારીનાં પ્રત્યક્ષ-પરોક્ષ મન્તવ્યોમાંથી પણ પસાર થયેલો. મને આ બન્ને વાદની વિચારસરણીઓમાં રસ છે કેમ કે બન્ને માણસની વાત કરે છે, અને માણસ તો સાહિત્યકલાનો કેન્દ્રસ્થ વિષય છે, માણસના સ્થાયીભાવો અને એનું સંકુલ સમૃદ્ધ ભાવજગત તો સાહિત્યકલાનું મૂળેરું દ્રવ્ય છે. એ દ્રવ્યમાંથી સાહિત્યકૃતિઓ સરજાય છે, વાચકો તેને અનુભવે છે. 

++

મહાભારતના ‘શાન્તિપર્વ’ (૨૧૯-૨૦) -માંનું આ વચન સુખ્યાત છે :

ગુહ્યમ્ બ્રહ્મ તદિદમ્ વો બ્રીવીમિ / ન હિ માનુષાત્ શ્રેષ્ઠતરમ્ હિ કિંચિત:

બ્રહ્મનું ગુહ્ય તમને કહું, એ કે, મનુષ્યથી શ્રેષ્ઠ કશું નથી. 

એ વચનને જ જાણે આપણા સમયમાં પ્રવર્તેલા માનવવાદની વિચારસરણી અનુસરે છે.  

માનવવાદ —  

વિશ્વને નિહાળતું એક દર્શન છે – વર્લ્ડવ્યૂ. એ એક ન્યાયસંગત રળિયામણું વિશ્વ સરજવા માગે છે. મનુષ્યના સર્વ-સામર્થ્યને આગળ કરે છે. આ પૃથ્વી પર શ્રેષ્ઠ જીવ મનુષ્ય છે. એ સર્વશક્તિમાન છે, બાકી બધા પશુ છે, જાનવર છે, ક્ષુદ્ર જીવો છે. માનવવાદ બ્રહ્મ, ઇશ્વર કે દેવદેવતાઓમાં નથી માનતું – નૉનથેઇસ્ટિક છે. એ તર્ક અને વિજ્ઞાન પર ભાર મૂકે છે. માનવવાદીઓ માને છે કે વિશ્વને સમજવા માટેનું સર્વોત્તમ ઉપકરણ તર્કપૂત શોધ છે; એની સહાયથી ખરા નિર્ણયો કરી શકાય છે. સાથોસાથ, માનવવાદ નીતિવિષયક મૂલ્યોમાં અને પરોપકાર-વિચારમાં ય માને છે.

જો કે, માનવવાદી વિચારો સાવ નવી વસ્તુ નથી. પુનર્જાગૃતિ કાળમાં (રીનેસાંસ-કાળમાં) જોઈ શકાશે કે પેટ્રાર્ક કે ઇરેસ્મસ જેવા વિચારકો મનુષ્ય મેળવી શકે એ સિદ્ધિઓના આગ્રહી હતા, ઉપરાન્ત, એ માટે એમણે પ્રશિષ્ટ સાહિત્યના અધ્યયનોનો આગ્રહ આગળ કરેલો. પ્રબોધન કાળમાં (ઍન્લાઇટન્મૅન્ટ-કાળમાં) વૉલ્ટેર, રૂસો અને કાન્ટ જેવા ફિલસૂફો તર્ક, વળી ધૈર્ય અને વૈયક્તિક સ્વાતન્ત્ર્યના પક્ષકાર હતા. ૧૯-મી સદીના જોહ્ન સ્ટુઅર્ટ મિલ જેવા અનેક વિચારકોએ પ્રગતિ અને માનવકલ્યાણની વાતો હેતુપૂર્વક કરી હતી. અર્વાચીન ફિલસૂફો અને કર્મશીલો પણ વિજ્ઞાન અને તર્કશીલ વિચારધારાના હિમાયતી છે. તેઓ પણ માનવ-અધિકારો અને સામાજિક ન્યાયના તરફદાર છે.

પરન્તુ અનુ-માનવવાદની વિચારસરણી એને પડકારે છે.

અનુ–માનવવાદ —

એક ફિલોસૉફિકલ અને સાંસ્કૃતિક આંદોલન છે. માનવવાદીઓનું પેલું ન્યાયસંગત વિશ્વ તો અશક્ય દીસે છે, બલકે જે છે એનો ય ધ્વંસ થઈ જાય એવાં જોખમો સરજાયાં છે. અનુ-માનવવાદનો પ્રમુખ સવાલ એ છે કે મનુષ્ય હોવું એટલે શું. મનુષ્ય વિશેના પરમ્પરાગત ખયાલોને એ પડકારે છે. મનુષ્યોને વિશ્વના કેન્દ્રમાં મૂકનારા તેમ જ માનવીય ગુણોની અદ્વિતીયતા ગાનારા ઍન્થ્રોપોસેન્ટ્રિક વિશ્વદર્શનની પણ હમેશાં સમીક્ષા કરે છે. આ વિચારકો માને છે કે મનુષ્યો અને મશીન વચ્ચેની સીમાઓનો લોપ થઈ રહ્યો છે. હું દાખલા આપું : સ્માર્ટ ફોન અને માણસની હથેળીઓ; માણસનો ખૉળો – લૅપ – અને કમ્પ્યુટર. 

++

હરારીમાં, માનવવાદ અને અનુ-માનવવાદ બન્નેની સામાન્ય સમીક્ષા મળે છે :

હરારી દર્શાવે છે કે આધુનિક વિજ્ઞાનીય પ્રગતિની પડછે માનવાવાદની વિચારસરણી કાલગ્રસ્ત ભાસે છે.

હરારીની અનુ-માનવવાદ વિશેની સમીક્ષા સંકુલ મનાય છે. કેમ કે, એક તરફ, તેઓ AI અને જેનેટિક ઍન્જિનયરિન્ગ જેવા ટૅક્નોલૉજિકલ પ્રગતિના મોટા ફાયદા કબૂલે છે, પરન્તુ બીજી તરફ, તેઓ તેથી જનમનારાં ભારે જોખમો વિશે ચિન્તા પણ વ્યક્ત કરે છે. એમને ડર છે કે આ ટૅક્નોલૉજિને પ્રતાપે એક નવ્ય ‘ડેટા-ઍલિટ’ પેદા થશે. એ વિવિધ સંસાધનો અને માહિતીનાં નિયન્ત્રણ કરતો હશે. એથી સામાજિક અસમાનતા સરજાશે.

મનુષ્યપરક નિરપવાદવાદમાં – હ્યુમન ઍક્સેપ્શનાલિઝમમાં – માણસ વિશેની સર્વોપરીતા વિશે જે કંઇ માન્યતા છે એને જીવવિજ્ઞાન, જેનેટિક્સ અને મનોવિજ્ઞાન હવે પડકારે છે. એ વિજ્ઞાનો વિશેની વિકસી રહેલી સમજદારીથી સ્પષ્ટ થયું છે કે અન્ય જીવોથી મનુષ્ય મૂળે તો જરા ય જુદો નથી. હવે આપણને આપણી ફ્રી વિલ, ન્યૂરલ નેટવર્ક્સની પ્રોડક્ટ લાગશે. હરારી જણાવે છે કે અમરતા અને પ્રફુલ્લ સામર્થ્યો માટેની દોડ માનવતા અને માનવીય ગૌરવ માટેના પરમ્પરાસિદ્ધ ખયાલોને ધોઈ નાખશે. 

પ્રોફેસર શાહિધા બારીએ IQ2 -ના પ્લેટફૉર્મ પરથી હરારીનો ઇન્ટરવ્યુ લીધેલો. તેઓ જણાવે છે કે હરારી, એ ચર્ચી રહેલા કે માનવજાતનું ભવિષ્ય પોતાને કેવુંક લાગે છે, અને ટૅક્નોલૉજિની સર્વશક્તિ એનો ઘાટ ઘડવામાં કેટલી નિર્ણાયક નીવડી હશે. હરારીએ એવો પ્રશ્ન કરેલો કે Covid-19 પૅન્ડામિકથી કેમ કશો મેજર કલ્ચરલ કે પોલિટિકલ રીસેટ ન પ્રગટ્યો. એમણે કહેલું કે યુક્રેન પરના રશિયાના આક્રમણે આન્તરરાષ્ટ્રીય વ્યવસ્થાને ડ્હૉળી નાખી છે. એ બધું છે છતાં, મનુષ્યજાતિ પોતાની નિયતિનો ચાર્જ લઇ શકે છે.

++

આપણે ત્યાં આવા ઇન્ટર્વ્યૂઝ નથી થતા. આપણે ત્યાં આપણા ઇતિહાસજ્ઞો કે સમાજવિજ્ઞાનના જ્ઞાતાઓ સાથે સાહિત્યકારો જોડાય અને સમસામયિક પ્રશ્નોની ચર્ચાઓ થાય એવું નથી થતું. આપણે રાજકારણ સાથે જોડાયેલા પ્રશ્નોની માંડીને ચર્ચા નથી કરતા. કોણ ભા.જ.પ.માં, કોણ કૉન્ગ્રેસમાં, કોણ મોદીના ભક્ત, વગેરે ઓટલા-પરિષદમાં થતી વાતો જેવાં ટાહ્યલાંને રાજકીય જાગૃતિમાં ખપાવીએ છીએ. 

કલાકૃતિઓને કે સાહિત્યકૃતિઓને સામાજિક કે રાજકીય પ્રશ્નોના પ્રતીકાત્મક ઉકેલો કહેવામાં આવે છે. ‘પોલિટિકલ અન્કૉન્સ્યસ’-ની વિચારધારા અનુસાર, સાહિત્યે દર્શાવેલા ઉકેલોની સમીક્ષા કરી શકાય, પણ એની આપણા વિવેચકને કશી જાણ નથી. અને જો છે, તો આપણે ત્યાં એવી કૃતિઓ નથી. 

આપણે ગઝલ ગીત કે જીવન-પ્રસંગોના અનુ-વાદ જેવી વાર્તાઓ વત્તા ચપટી માનવતાના ગળચટ્ટા સંમિશ્રણને સાહિત્ય ગણી બેઠા છીએ. ધર્મ અધ્યાત્મ સમાજ રાજકારણ વિજ્ઞાન કે ટૅક્નોલૉજિ સાથેનો આપણો અનુબન્ધ નષ્ટ થઈ ગયો છે. એ સંજોગોમાં, નારી અને દલિત તત્ત્વોનું સાહિત્ય પણ કશી વૈચારિક સમીક્ષા વિનાનું માત્ર કરુણાળુ અને રસિક રહી ગયું છે. 

એટલે, સવાલ તો એ થાય છે કે જે મનુષ્યને આપણે સાહિત્યશબ્દથી ચીતરીએ છીએ એ ખરેખર છે -? કોણ છે -? એ કોઇ સરેરાશ જન તો નથી ને? એ આપણી ‘સાહિત્યિક’ કહેવાતી દૃષ્ટિમતિની કાતરથી કપાઇને બચેલો કશો નિર્જીવ કાપલો તો નથી ને?

(ક્રમશ:)
(23Sep24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સદ્ગુરુવાચોની સાપડેલ સોય 

વિન્દા કરન્દીકર (ગુજરાતી અનુવાદ : નંદિતા મુનિ)|Poetry|24 September 2024

મરાઠી આવડતું હોવાના કોઈ જ દાવા વગર, વિન્દા કરન્દીકરના એક ગમતા કાવ્યને ગુજરાતીમાં ઉતારવાની ચેષ્ટા કરી છે. ભૂલચૂક લેવી દેવી. 

— નંદિતા મુનિ 

કરું આદરે સદ્ગુરુસ્તવન

જે થકી સત્ય-જ્ઞાન મુજ વધ્યાં છે.

ધન્ય પાયથાગોરસ! ધન્ય ન્યૂટન!

ધન્ય આઈન્સ્ટાઈન! બ્રહ્મવેત્તા.

ધન્ય પાશ્ચર! ધન્ય મારી ક્યૂરી!

ખરાં ધન્વંતરિ! મૃત્યુંજય.

ધન્ય ફ્રોઈડ ને ધન્ય ડાર્વિન,

જેણે આત્મજ્ઞાન મને આપીયું.

ધન્ય ધન્ય માર્ક્સ, દલિતત્રાતા, 

ગૂંચો ઇતિહાસની ઉકેલનારા!

ધન્ય શેક્સપિયર! કાલિદાસ ધન્ય! 

ધન્ય હોમર, વ્યાસ! ભાવદૃષ્ટા.

ફેરેડે, માર્કોની, વેટ, રાઈટ ધન્ય 

અન્ય પણ ધન્ય, સર્વ સ્વયંસિદ્ધ.

ધન્ય ધન્ય સર્વ, હુંય ધન્ય ધન્ય,

સામાન્ય કેરોયે  કંઈ અર્થ હોય છે.

સદ્ગુરુ કને બસ એક યાચના,

ભક્તિભાવ નયનમાં એટલો હજો.

સદ્ગુરુ દેજો, એક દાન દાસને –

દાસનું દાસપણું નષ્ટ થાઓ.

સદ્ગુરુવચનનું સુખ સાંપડે

તેનો જન્મ બની રહે ધન્ય-ધન્ય.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

 

Loading

...102030...422423424425...430440450...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved