Opinion Magazine
Number of visits: 9456792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

… ને વાર્તા કહીશું પૉર … !

રેણુકા દવે|Poetry|25 September 2024

આંબે આવ્યા મૉર … ને વાર્તા કહીશું પૉર …!

દાદીએ વાર્તા પૂરી કરી 

ને  ચકો ચકી … પૂરી વાળો કાગડો … સૂપડકનો રાજા …. બોબડી રાણી …

બધાં ટીનીની ઘેરાતી આંખના પોપચાં હળવેથી ઉંચકીને 

ધીમાં પગલે અંદર પ્રવેશ્યાં,

ટીનીની સ્વપ્ન નગરીને સજાવવા ….એની ઊંઘને મીઠી કરવાં ….

અને ….

ૐ નમઃ શિવાયના મંત્રજાપમાં મન પરોવવા મથતાં 

દાદીની આંખમાં પ્રવેશ્યું 

નિર્ભયા .. પ્રિયંકા અને એવી અનેક નામી અનામી સ્ત્રીઓનું ટોળું ….

એમની રહી સહી ઊંઘને ય ઉડાડવા…..!!!

સૌજન્ય : રેણુકાબહેન દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૧૦) 

સુમન શાહ|Opinion - Literature|25 September 2024

‘છિન્નભિન્ન છું‘ —

મેં કહ્યું છે કે આ બીજા વર્તુળમાં, જીવનસ્વીકૃતિ વિશેનો પ્રશ્ન અનેક વખતે કાવ્યની રૂપનિર્મિતિ વિશે ક્રાન્તિકર બની રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે કવિની સૃષ્ટિ હવે રૂપ માટે – ફૉર્મ માટે – અછાન્દસમાં વિકસી રહી છે.

પદ્યગન્ધી, મુક્ત અને સમુપકારક વનવેલી લગી ઉમાશંકર પ્હૉંચ્યા, એ પછી વધુ ને વધુ ભાવે આક્રમણભોગ્ય – વલ્નરેબલ – પદાર્થ તો પદ્ય જ બાકી હતો! ‘છિન્નભિન્ન’ છું અને ‘શોધ’ એને પણ મારી હટાવે છે, અને અછાન્દસનું મુક્તિ-દ્વાર ખૂલે છે. કવિની સામે છન્દોલય હવે નામશેષ પદાર્થ છે અને લય વિશેષ પદાર્થ છે.

ઉમાશંકર જોશી

ઉમાશંકરે પોતે “પ્રાચીના’-ની પ્રસ્તાવનામાં કહ્યું છે કે ‘નર્યા ગદ્યથી જુદું અછાંદસ વાહન ખેડવાની જરૂર રહે.’ (જુઓ, “સમગ્ર કવિતા” આવૃત્તિ બીજી, પૃ. ૨૫૩). છન્દોબદ્ધ પદ્યરચનાના હિમાયતીઓ ‘છિન્નભિન્ન છું’-માં આપણી ચતુર્વિધ છન્દોરચનાનું મિશ્રણ જુએ; મુક્ત છન્દથી છન્દમુક્તિ તરફ ઢળેલાઓ એમાં અછાન્દસ જુએ; પણ એમ સમજીએ એટલું પૂરતું છે કે ઉમાશંકર અછાન્દસ પ્રતિ તેમ જ ‘ફ્રી વર્સ’-થી ‘વર્ લિબર્’-ની દિશામાં પોતાના કારણે ગયા છે.

જોઈ શકાશે કે ‘ત્રીજા અવાજ’-ની દુનિયામાંથી કવિ હવે ‘પહેલા અવાજ’-ની દુનિયામાં પાછા ફર્યા છે. અહીં, એક રીતે આપણે આત્માનાં ખંડેરના યથાર્થને પામી ચૂકેલા ‘હું’-ને મળીએ છીએ, સ્વર્ગની અનિવાર્ય શરત રૂપે નર્કનો સાક્ષાત્કાર કર્યા પછી સ્વર્ગને વિશે જ ઉદાસીન અને નિર્ભ્રાન્ત, પ્રબુદ્ધ, યુધિષ્ઠિરના ‘હું’-ને મળીએ છીએ.

પરન્તુ હવે એ ‘હું’-નો દૃષ્ટિપથ બદલાઈ ગયો છે. એનો જે સઘન અનુભવ હવે છે, તે એક-કેન્દ્ર વ્યક્તિતા વિશે છે, છિન્નભિન્નતા વિશે છે. ખંડેરને જોઈ રહેનારો એ હવે માત્રદૃષ્ટા નથી, પણ પોતાની અંદર તૂટતા રહેતા કશાકની પ્રતીતિથી ક્લિન્ન આત્મા છે. મને લાગે છે કે અહીં, અસ્તિત્વના મૂળ બિન્દુ પરથી જાત વિશેની એક નિષેધક પણ અધિકૃત ચેતનાનો વ્યાપાર પ્રસર્યો છે. અને ત્યારે ભાષા, એનો પૂર્વસિદ્ધ પ્રયોગ, એનું માધ્યમ, વગેરે બધાં જ ડિસ્ટિન્ક્શન્સનો, એટલે કે, વિશિષ્ટતાઓનો લોપ થયો છે. અહીં કવિતા પોતે જ એના સર્જકથી લગભગ અવિશ્લેષ્ય બની છે, (એલિયટ-કથિત) ‘ધ પોએટ ટૉકિન્ગ ટુ હિમસૅલ્ફ’-નો, કવિતાના એ પહેલા અવાજનો, એ છેક અંદરનો છેડો છે. 

વ્યક્તિમત્-ની કવિતા સાથેનું આ લાક્ષણિક પુન:સન્ધાન ઉમાશંકરની કાવ્યસૃષ્ટિમાં, નૉંખું છે, અધિકૃત છે, સ્વકીય છે. એ દૃષ્ટિએ, એને નવપ્રસ્થાન ગણવું જોઈશે. ૧૯૫૬-માં આ કાવ્ય પ્રકાશિત થયું ત્યારે યુદ્ધોત્તર વિશ્વ વકરી રહ્યું’તું. તે પૂર્વે દેશ આઝાદ થઈ ચૂક્યો’તો — જો કે એને ગાંધી-હત્યા જેવી મૉંઘી કિમ્મતેય ચૂકવવી પડેલી. ત્યારે કવિના જાણીતા કાવ્ય, ‘એક ચૂસાયેલા ગોટલાને’-માં જેની કલ્પના થયેલી એ સ્વાતન્ત્ર્યનું મહાવૃક્ષ ઝૂલતું હતું. તેમછતાં, ‘મને મુરદાંની વાસ આવે’ (૫૩૦) જેવી સંવેદના જનમાવનારા ‘જીર્ણ જગત’-નો કવિ ઉદ્ધાર પણ ઝંખતા હતા. એ એમની એવી સંમિશ્ર અને સ્થિર ન થઈ શકતી દોલાયમાન ભાવાવસ્થા હતી. પણ જુઓ કે એમની કવિતા, એ લાગલો સમસામયિક સંદર્ભ પડતો મૂકે છે, અને આ કાવ્ય પ્રગટે છે. કવિદૃષ્ટિ સમસામયિક અને રાષ્ટ્રસીમિત વાતાવરણની જડતાને વીંધીને વિસ્તરે છે અને છેલ્લે પોતાની સત્તામાં પાછી ફરે છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફની એક પ્રકારની એને પછડાટ પણ કહેવાય. અને ત્યારે જે થયું તે છિન્નભિન્નતાની અનુભૂતિ હતી. 

છઠ્ઠા દાયકાના પૂર્વાર્ધની રચનાઓમાં, “વસંતવર્ષા”-ની કેટલીક રચનાઓમાં, તેમ જ સાતમા દાયકાના પૂર્વાર્ધની, “અભિજ્ઞા”-ની કેટલીક રચનાઓમાં, પ્રાસંગિકતા અને પ્રકીર્ણતાની પુષ્કળતા હતી. બધું વેરવિખેર લાગે, ક્યાંક તો કાવ્યત્વના લીલા દુકાળની કિંચિતેય છાપ ઊઠે. પરન્તુ એ સૃષ્ટિને આ બે બળવાન રચનાઓ, ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’, ભુલાવી દે છે. એ કારણે એ બે કર્નલ સ્પોટની આસપાસ અન્ય કૃતિઓ મૂકવાની ભલામણ કરવાની મને જરૂરત પણ નથી જણાતી.

કાવ્યનાયક હવે છિન્નભિન્ન છે, તેથી જાતને સ્વીકારવાનો પ્રશ્ન ઊભો થયો છે. વિવશ થઈ પ્રકૃતિને કહે છે : પ્રકૃતિ તું શું કરે? / મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે. (૭૯૯). રચનાના પહેલા ખણ્ડમાં એ અવસ્થા ઉપમામૂલક કલ્પનો વડે વ્યક્ત થઈ છે. રચનાની દિશા નક્કી કરનારાં એ કાવ્યાત્મક વિધાનો સાંભળવા જેવાં છે :

‘છિન્નભિન્ન છું.

નિશ્છન્દ કવિતામાં ધબકવા કરતા લય સમો,

માનવજાતિના જીવનપટ પર ઊપસવા મથતી કોઈ ભાત જેવો,

ઘેરઘેર પડેલ હજી નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ,

વિચ્છિન્ન છું.’ (૭૯૯).

નાયકને થાય છે, રાગ-દ્વેષ-ભય તત્ત્વોથી સારવી લેવાતા પ્રેમમૂલ્યની પોતાનાથી કશી માવજત નથી થઈ શકી; એટલું જ નહીં, વ્યક્તિને એક-કેન્દ્ર કરનારા એ રસાયનને આત્મસાત્ કરવામાં પોતે નિષ્ફળ નીવડ્યો છે. 

અસ્તિત્વની તરેહ અને પ્રેમમૂલ્ય વચ્ચેના એ ‘અન્તર’-ની પ્રતીતિને ‘બીઇન્ગ’ અને ‘બીકમિન્ગ’-ના દ્વૈતની પ્રતીતિ ગણવી જોઈશે. એણે એને દુનિયાથી વિખૂટો પાડી દીધો છે. એનું પરાયાપણું, બહુ સાદી રીતે સૂચવાયું છે : ‘અરે, તું તો દુનિયાને કાંઈ સમજતો જ નથી! (૮૦૧). ‘હા, દુનિયાનો હું શિષ્ય છું’ કહીને આશ્વાસન મેળવે છે, છતાં, કશો મદાર બાંધી શકતો નથી. ‘કોણ જાણે? / અટાણે તો ધબકો આ એક પછી એક ઓછી / થતી જાય’. (૮૦૧), એમ અસમંજસમાં પડી જાય છે.

પોતાના એ વિલક્ષણ ક્ષયનો સાક્ષી બનેલા કાવ્યનાયકની ‘વૈશાખી ખાખી લૂ-લીલા’ ઇમેજરી સરસ છે, (૮૦૧-૨). સાબર નદીના પાતળા ઝરણામાં એ ‘ટાઢકની ધાર’ અનુભવે છે, અને એમ, ‘વૈશાખી દોજખ’-થી બચી જવાની ખેવના કરે છે. એ પૂરો સભાન છે કે એ તો ‘આનન્ત્ય મૃગજળ પ્રતિ દોટ દેતું ભોળકડું હરણું’ જ છે. ચૈતન્યના એ ક્ષણાર્ધના ઠારણને એ એક આશ્વાસન ગણી લે છે. તેમછતાં, અનેક તીવ્ર પ્રશ્નોથી એ આશ્વાસન આક્રાન્ત અને છિન્ન જ રહે છે, અંદરની રુજા રૂઝાતી નથી. એટલે, એક-કેન્દ્ર થવાના સંભવને એ નકારે છે, છિન્નતાને સમજપૂર્વક વળગી રહીને લાચારીથી સ્વીકારી લે છે.

‘શોધ‘ —

આ નાયક એના એવા ‘ઇન્ટર્નલ હૅમરેજ’-ની અવસ્થામાં કાવ્ય જેવા દુર્લભ પદાર્થનું સર્જન તો કરી શકે જ શી રીતે? વિચ્છિન્નતા કશાયને પણ કેવી રીતે જનમાવી જાણે? શોધનો પ્રશ્ન બરાબર અહીં ખડો થાય છે. એ પ્રશ્ન બોલચાલની ભાષાનો લય ધરાવતા કાવ્યમાધ્યમની શોધ પૂરતો મર્યાદિત નથી; એવા ઉપકરણ પૂરતો સ્થૂળ નથી; નવ્ય વિષયવસ્તુ શોધવા જેવો દયાજનક બહિર્ ભટકાર પણ નથી. આ તો કાવ્યનાયકના આભ્યન્તરમાં વિસ્તરતી વેરાનતાનો એને થયેલો સાક્ષાત્કાર છે, અને તેથી લાધતા શૂન્યની અનુભૂતિ છે. અહીં, ‘ક્રીએટિવ ફાઇબર’ પોતે જ ચીમળાઈ રહ્યો છે. આ શૂન્યતા, આધુનિક કલાકાર માટે વિષય બનતી હોય છે અને એ આ કાવ્યનો પણ વિષય છે. ‘શોધ’ આ વર્તુળનું ચૉથું કર્નલ સ્પોટ છે.

જીવન જો સ્વીકાર્ય નથી દીસતું, વ્યક્તિત્વ એક-કેન્દ્ર નથી થઈ શકતું, અનુભૂતિ છિન્નભિન્નતાની છે, કાવ્યકલા અસંભવ ભાસે છે, તો તેની એક નિષેધમૂલ અને વિદ્રોહશીલ સૃષ્ટિ રચી શકાય; વિચ્છેદ એની ગતિવિધિ બને, અને રૂપનિર્મિતિ એનું ઋત. પણ મૂળે ઉમાશંકર જીવનનિષ્ઠ કવિ છે એટલે કલાના રૂપનિર્મિતિસંગત પરિમાણોમાં વિસ્તરનારું એમનું સર્જનદ્રવ જ નથી. સારવેલા વિચારની કે ચિન્તનની નાની કણી પણ કાવ્યવિધાનમાંથી સરી પડતી નથી; જો ચૂકી જઈએ તો હાનિ થાય. આપણને યાદ રહેવું જોઈશે કે ઉમાશંકર વિધાયકતાના ઉપાસક છે, જીવન-કલાધર છે, અને એ એમની પ્રકૃતિ છે. છેવટે તો એ પ્રકૃતિ પોતાની સૃષ્ટિનું પોતાની રીતેભાતે સાવયવ કલ્પન રચનારી છે. 

આ રચનામાં, ‘ક્યાં છે કવિતા?’ એ ધ્રુવપ્રશ્ન છે. એ શોધ વિવિધ દિશાઓમાં વધુ ને વધુ ફંગોળાતી રહે છે. ઉમાશંકરમાંના કાવ્યપુરુષનો એ આન્તર્ ભટકાર છે. કવિતા અહીં પોતાને શોધતી પ્રગટે છે. પોતે પોતાનો જ વિરોધાભાસ રચે, વાચકને એ નિજી વ્યથાના સાક્ષી થવા નિમન્ત્રણ આપે, આધુનિકોની એ કલા-શૈલી, ‘શોધ’-નો વિશેષ છે. કવિસંવિદ અહીં માત્ર પોતાના જ પ્રતાપે પોતાના જ સ્વાયત્ત અને સ્વકીય ઋતથી દોરવાય છે અને શુદ્ધ કાવ્યસૃષ્ટિ રચે છે. બને કે એ આડપેદાશ લાગે, કેમ કે એ આન્તરપ્રક્રિયાનું પરિણામ હોય; પણ અધિકારી ભાવકોને એમાં અધિકૃત સત્-નો આવિષ્કાર વરતાય; શોધના સત્યનો પ્રભવ જણાય.  

સાહિત્યકલાની એવી શોધનમૂલ સંભાવનાને આધુનિકોએ ચરિતાર્થ કરી છે અને એ વડે બુદ્ધિવિજ્ઞાનશીલ પ્રવર્તમાન સભ્યતા સાથે સમતુલા રચી છે. કવિકર્મનો એવો ધીંગો આધુનિક સંકેત કિંચિત્ રૂપમાં પણ ‘શોધ’-માં પ્રગટ્યો છે, એ ઓછા આનન્દની વાત નથી. 

અહીં, ‘પૃથ્વીના ભીતરની સ્વર્ગીલી ગર્વિલી ઉત્કંઠા સમાં પુષ્પો છે, (૮૦૨); ગર્ભવતી માતા છે; વધીને વૃક્ષ થયેલો છોડ છે; ‘સંધ્યાના તડકાથી’ વૃક્ષનાં થડ રંગતો ઈશ્વર છે, (૮૦૩); અડધિયા ડબ્બામાં, ગાડીમાં, પ્રવેશતાં નવ વરવધૂ છે; પંખી છે; તારા છે; શેરીનું બાલુડિયું છે; શિશુઓનું કલહાસ્ય છે – આ બધું જ છે, પણ કવિતા નથી — ક્યાં છે કવિતા?

પ્રભુની પદે પદે પ્રતીતિ લાધે એવી સૃષ્ટિરચના વિશે નાયકને લવલેશ શંકા નથી; આકાંક્ષાઓ અને અરમાનોમાં ઉભરાતું મનુષ્યત્વ પણ એને બરાબર લાગે છે; એક માત્ર પોતે બરાબર નથી. એને અહમ્ નડે-કનડે છે, એને લાગે છે કે કવિ-જીવન ઉપજીવન છે. એનો ‘હું’ એને આમ નિર્ભ્રાન્ત કરે છે, અને એ આત્મનિમજ્જનને વરે છે, અને, આત્મશોધનને પામે છે. પોતાને પ્રભુસ્રવિત સૃષ્ટિના વિરોધે મૂકે છે, તેથી દ્વૈત અનુભવે છે. છતાં, એને શ્રદ્ધા બેસે છે કે ક્ષણાર્ધ માટે ય પોતે ‘વૃક્ષ-રચનામય’ બની ગયેલો તેવું તાદાતમ્ય સાધીને પોતે દ્વૈતને ટાળી શકશે – ‘તદાત્મ હું એમ સર્વ વિશ્વના પદાર્થ થકી થઈ શકું જ.’ પણ તરત પ્રશ્ન થાય છે, ‘કિંતુ શી રીતે એ હશે સાધ્ય?’. ઉત્તર મળે છે, ‘સૌન્દર્યાનુભૂતિ દ્વારા, કવિતા દ્વારા …(૮૦૫). જો કે, છેવટે એને પ્રતીત થાય છે કે સૌન્દર્ય તો છટકિયાળ છે, ચૈતન્ય સાથે અહોરાત સંતાકૂકડી ખેલ્યા કરે છે. એ સ્વરૂપે પ્રશ્ન અણઉકલ્યો રહે છે, શોધ ચાલુ રહે છે. ‘ક્યાં? – ક્યાં છે કવિતા?’, એમ એક જાતની નિરુત્તરતામાં કવિએ રચનાને છોડી દીધી છે.

૯

આ વર્તુળની કાવ્યસૃષ્ટિ સૂચવે છે કે કવિ હવે માત્ર ઊર્મિકવિ નથી રહ્યા. હવે એમનો ચ્હૅરો કવિ-કલાકારનો લાગે છે. કાવ્યનો સંભવ પ્રશ્નાર્થ હેઠળ હોય ત્યારે કવિની જે આત્માભિમુખ મુદ્રા પ્રગટે, તે અહીં પ્રગટીને રહી છે. જીવન-સ્વીકૃતિનો પ્રશ્ન હવે કાવ્યનું સર્જન અને તેને ધારણ કરનારી રૂપનિર્મિતિનો પ્રશ્ન પણ બને છે.

જીવનની સ્વીકૃતિને વિશે જે પ્રશ્ન જાગ્યો તેના વસ્તુતત્ત્વનો આ વર્તુળની સૃષ્ટિમાં અશેષ વિલય નથી થયો; વસ્તુ અહીં કાવ્યદૃઢ સ્વરૂપમાં પણ રહે તો છે જ. ‘જીવન તો તે, જે કૈં થયું આત્મસાત્, આત્મરૂપ’ (૮૦૪) જેવું વિધાન ઉચિત સંદર્ભો વચ્ચે ય કાચુંપાકું લાગે છે. ‘નવપરિણિત પેલાં’-માં, ‘શરીરનો તાગ લીધા કર્યો છે માનવીએ યુગમન્વન્તરોથી’ (૮૦૮), એ પંક્ત્યાર્ધથી શરૂ કરીને આખું ખણ્ડક પૂરું કરીએ ત્યાંલગીમાં તો હાંફી જવાય છે, ગદ્યાળ વિચારોનો મારો થાય છે, અછાન્દસે કવિની જાણ બ્હાર ત્યાં ઢેકો કાઢ્યો છે. કલાના ઉદ્ભાવન અર્થે વસ્તુતત્ત્વ પોતાની બધી જ ખૂબીઓ, સંકુલ સમૃદ્ધિ, જતી નથી કરતું, એમ જ કહેવું રહે છે. પ્રશ્ન ભલે છે પણ જીવનને વિશેનો છે ને! – એ ગમ્ભીરતામાં છુપાયેલી દાર્શનિકતા આ વર્તુળની સૃષ્ટિમાં ક્યારેક આમ લગીર કુણ્ઠા બની છે. 

તેમછતાં, ન્યાય ખાતર કહેવું જોઈએ કે, સામાન્યપણે, આ બન્ને કાવ્યોમાં, વસ્તુ અને રૂપ વચ્ચે ઉચિત સામંજસ્ય ઊભું થયું છે. બન્ને કાવ્યોમાં રૂપનો કાર્યસાધક કશો અમર્યાદ ઉન્મેષ ભલે નથી, પણ સમર્યાદેય નથી. કહી શકાય કે વસ્તુનું અહીં બહુશ: કલામાં રૂપાન્તર થયું છે – અનેક સ્થાનો દર્શાવી શકાય : ‘છિન્નભિન્ન છું’-ની ઇમેજરી, ‘વૈશાખી ખાખી લૂ-લીલા’; બીજા ખણ્ડમાંનો ધૂંધવાટ, ‘જાણે સ્વિચ ઑફ કરી દઉં’, (૭૯૯); ‘શોધ’-માં, વધી વૃક્ષ થયેલા છોડ સાથેનો નાયકનો જાંબું અને આંસુથી દૃગગોચર બની જતો વિરોધ, (૮૦૩); સંધ્યાના તડકાથી વૃક્ષના થડને રંગતો ઈશ્વર, (૮૦૩); ગાડીના ડબ્બામાં પ્રવેશતું નવ યુગલ, (૮૦૩); કે, વર્ષાભીની સાંજના સમયનું નાની ગૌરીઓનું ઝુંડ, (૮૦૫). આ બધાં કલાનાં સૌન્દર્યઘટકો છે એમ લાગ્યા વિના રહેશે નહીં. 

બન્ને કાવ્યોમાંની પ્રશ્નોક્તિઓ અને બન્નેનું લયવિધાન મોટાં રચના-વિશિષ્ટ તત્ત્વો છે : ‘શાઆઆ માટે નહિ તો’ – વાળી પંક્તિ એનું ઉત્તમ નિદર્શન છે, (૮૦૩). વાગ્મિતાતત્ત્વોમાં પ્રશ્નતત્ત્વ કદાચ ઉમાશંકરના સમગ્ર વ્યક્તિત્વનો ય વિશેષ છે. મારા તો, અનુભવની વાત છે કે તેઓ પૂછી પૂછીને તેમ જ કહી કહીને વાત કરવાની આગવી શૈલી ધરાવે છે, (ધરાવતા હતા). 

“સપ્તપદી’-ની અન્તિમ સિવાયની ચાર રચનાઓમાં, ‘ક્યાં છે કવિતા?’ પ્રશ્નનું નિરસન છે. એમાં, એક-કેન્દ્ર વ્યક્તિતા અને કલાભિવ્યક્તિ – બન્નેની શક્યતાનો માર્ગ સ્ફુર્યો છે. સમ્પૂર્તિના ત્રીજા વર્તુળમાં, સર્વસાધારણ રૂપે ઉમાશંકર એમના કાવ્યપુરુષાર્થની પરિણતિએ પ્હૉંચ્યા જણાય છે, અને ત્યારે પ્રશ્નોત્તર-પર સૌન્દર્ય કલાનો પર્યાય ભાસે છે. એમાં, સમગ્ર કવિતાના કવિ વડે રચાયેલા ‘સાવયવ કલ્પન’-ની રેખાઓ છે, એ રૂપે કાવ્યસર્જનની અખિલાઇ સિદ્ધ થઈ છે.

(ક્રમશ:)
(24Sep24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
સૌજન્ય : https://ekatra.pressbooks.pub/umashankarvishesh/chapter/છિન્નભિન્ન-છું/

Loading

ઘર, મકાન, દીવાદાંડી અને કાયમી સરનામું …

સોનલ પરીખ|Opinion - Opinion|25 September 2024

એક સાધુ, એક મહેલ પાસે જઈ પૂછે છે, ‘આ ધર્મશાળામાં એક રાત માટે ઓરડો મળશે?’ ચોકીદાર ખિજાયો, ‘રાજાના મહેલને ધર્મશાળા કહેતાં શરમાતો નથી?’ સાધુ બોલ્યો, ‘ભાઈ, થોડા દાયકા પહેલા અહીં કોઈક રહેતું હતું. થોડાં વરસ પહેલા બીજું કોઈ રહેતું હતું. આજે વળી કોઈ બીજું જ રહે છે. રહેનારા બદલાયા કરતા હોય એવી જગ્યાને ધર્મશાળા નહીં તો બીજું શું કહેવાય?’ મનગમતું ઘર બનાવવાની લ્હાયમાં પહેલા માણસ જીવવાનું ભૂલી જાય છે અને પછી જેને કાયમી સરનામું માન્યું હોય તે જગ્યાને ધર્મશાળાની જેમ ખાલી કરી જાય છે.

નિર્મલા સીતારામન્‌

આપણાં અર્થશાસ્ત્રી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામન્‌ મુત્સદી અને બુદ્ધિમાન જ નહીં, સંવેદનશીલ અને સર્જનાત્મક પણ છે. તેમના એક સુંદર લેખનો અંશ અહીં મૂકવાનું મન થાય છે. તેઓ લખે છે, તિરુચિરપલ્લીના અમારા સંયુક્ત પરિવારમાં 5 વર્ષથી 95 વર્ષની ઉંમરના 14 સભ્યો હતા. ત્રણ પેઢી સાથે રહેતી અને જે હતું તે વહેંચીને આનંદ કરતી.

આજે વડવાઓનું એ ઘર ખાલી છે. મારી માએ જતનપૂર્વક ઉછેરેલો બગીચો ખેદાનમેદાન છે. જાંબુ, સરગવો, લીમડો અને પીપળો લીલીછમ સુંદરતા ગુમાવી બેઠાં છે. તાજગીભર્યા રંગોથી ઓપતાં સુગંધી ફૂલો ખીલતાં નથી. કૂદાકૂદ કરતી ખિસકોલીઓ દેખાતી નથી. મારી માના હાથમાંથી દાણા ચણવા આવતું મોર-કુટુંબ ગાયબ છે. બુલબુલ, ચકલી, કોયલ ક્યાંક ચાલ્યાં ગયાં છે. મહિનામાં એકાદ વાર આવીને ધમાલ કરતું વાંદરાનું ટોળું પણ હવે આવતું નથી.

એક વાર લોકો ચાલ્યા જાય, પછી ઘર મકાન બની જાય છે.

વર્ષો સુધી હું એને વેચવાનું વિચારી શકતી નહોતી. હવે ત્યાં જવાની હિંમત કરી શકતી નથી. એમાં રહેનારા ચૌદમાંથી દસને સમયે છીનવી લીધા છે. પડોશીઓમાંના મોટાં ભાગનાની પણ આ જ સ્થિતિ છે. એક વારનાં જીવંત, ધબકતાં ઘર હવે સૂમસામ મકાન બની ગયાં છે. બાળકો મોટાં થઈ ઘર છોડી ગયાં છે, માતાપિતા હયાત નથી કે પછી ઘરની જેમ ખખડધજ થઈ ગયાં છે. સુકાતાં ઝાડની ડાળીઓ પર કાગડા બોલ્યા કરે છે.

જે ઘર બનાવવામાં આપણે જિંદગી ખર્ચી નાખીએ છીએ, મોટેભાગે એની આપણાં સંતાનોને જરૂર હોતી નથી. ઘણીવાર તો એ ઝઘડાનું કારણ બને છે.

માણસનો આ કેવો સ્વભાવ છે – લીઝ પર અનિશ્ચિત સમય માટે મળેલી અને કોઈ કોર્ટમાં કશી અપીલ ન થઈ શકે એવી જિંદગીને એક કાયમી સરનામે વસાવી દેવાનો આ કેવો મોહ છે! વર્ષો સુધી ઘસાતા રહીને આપણે ઘર બાંધીએ છીએ જે અંતે વેચાઈ જાય છે, લડાઈનું કારણ બને છે કે પછી ઉપેક્ષિત થઈ ખંડેરની જેમ ઊભાં રહી જાય છે.

જ્યારે કોઈ ફોર્મમાં કાયમી સરનામું લખવાનું આવે, મને હસવું આવે છે.

એક ઝેન વાર્તા છે – એક સાધુ, એક મહેલ પાસે જઈ ચોકીદારને પૂછે છે, ‘આ ધર્મશાળામાં એક રાત રહેવા માગું છું. ઓરડો મળશે?’ ચોકીદાર ખિજાયો, ‘રાજાના મહેલને ધર્મશાળા કહેતાં શરમાતો નથી?’ સાધુ બોલ્યો, ‘ભાઈ, હું થોડાં દાયકા પહેલા આવ્યો ત્યારે અહીં બીજું કોઈ રહેતું હતું. થોડાં વરસ પહેલા આવ્યો ત્યારે એના બદલે બીજું કોઈ રહેતું હતું. આજે એ બેમાંથી કોઈ અહીં નથી અને કોઈ બીજું જ રહે છે. રહેનારા બદલાયા કરતા હોય એવી જગ્યાને ધર્મશાળા નહીં તો બીજું શું કહેવાય?’ મનગમતું ઘર બનાવવાની લ્હાયમાં પહેલા માણસ જીવવાનું ભૂલી જાય છે અને પછી જેને કાયમી સરનામું માન્યું હોય તે જગ્યાને ધર્મશાળાની જેમ ખાલી કરી જાય છે.

માણસની મૂર્ખતાઓ ખરેખર કોઈ અંત નથી …

લેખ વાંચતાં અને આ લખતાં અનેક મોટાં જાજરમાન ઘર આંખ સામે આવે છે. એક વાર એ વિસ્તારની શાન ગણાતાં એ ઘરો આજે ખાલી, સારસંભાળ વિનાનાં, જૂનાં, ઝાંખાં, એકલાં અને નવાં બાંધકામો વચ્ચે નડતાં હોય એવાં ઊભાં છે.

માનવસ્વભાવની વાત થાય ત્યારે વર્જિનિયા વુલ્ફની નવલકથા ‘ટુ ધ લાઈટહાઉસ’ યાદ આવ્યા વિના ન રહે. યોગાનુયોગ એ છે કે એમાં પણ એક જર્જરિત થતા જતા સમરહાઉસની વાત છે. બીજો યોગાનુયોગ એ છે કે આ નવલકથા 1927ની પાંચમી મેએ પ્રગટ થઈ હતી. એ વાતને આજે 97 વર્ષ થયાં, લગભગ એક સદી જેટલો સમય. પણ શૈલી, વિષયવસ્તુ અને ટેકનિકની રીતે આજે પણ એ આધુનિક લાગે એવી છે.

એક સુંદર સમર-હાઉસમાં એક અંગ્રેજ કુટુંબ અને કેટલાક મિત્રો ઉનાળો ગાળવા આવ્યા છે. રામસે કુટુંબની મુખ્ય સ્ત્રી રોઝમેરી હેરિસ સુંદર, ઉદાર, પ્રેમાળ અને શિસ્તબદ્ધ છે. પતિ માઇકલ ગૉગને સંતાનો પર ધ્યાન આપવાની ટેવ નથી એટલે રોઝમેરી પોતાનાં આઠ બાળકોને ખૂબ સમય આપે છે, અને સાથે પતિ, મિત્રો અને એનું ચિત્ર બનાવતી એક ઊગતી ચિત્રકાર આ સૌને સાચવે છે. એનો પતિ ઉદ્ધત, ક્રોધી, અધીરો અને સ્વકેન્દ્રી છે. એ બુદ્ધિમાન છે, ફિલોસોફર છે, પણ એને ધારી સફળતા ન મળે ત્યારે એનો દોષ પત્ની-સંતાનો પર ઢોળે છે. આ વખતે છ વર્ષનો દીકરો જેમ્સ એની કડવાશનો શિકાર બન્યો છે. જેમ્સને બોટમાં બેસીને દૂર દેખાતું લાઈટહાઉસ-દીવાદાંડી જોવા જવું છે. વેકેશનની બીજી અનેક આનંદદાયક પ્રવૃત્તિઓ ચાલ્યાં કરે છે, પણ એ ધરાર બહાના કાઢી કાઢીને તેને લાઈટહાઉસ જોવા નથી જ લઈ જતો.

કુટુંબનાં મોટાં સંતાનો આ એકના એક સમર-હાઉસથી કંટાળ્યા છે અને બીજે ક્યાંક વેકેશન ગાળવા મળે એવાં સ્વપ્ન જુએ છે જ્યારે નાનાં સંતાનો, ખાસ કરીને જેમ્સ અને એનાથી એક વર્ષ મોટી કેમિલા પિતાને ધિક્કારવા લાગ્યાં છે. એ ઉનાળાનો અંત આવે ત્યાં સુધીમાં પરિવારના સભ્યો વચ્ચેના સ્નેહનો પણ જાણે અંત નજીક દેખાવા લાગ્યો છે.

થોડાં જ વખતમાં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. રોઝમેરી અને બે સંતાનો એક પછી એક મૃત્યુ પામે છે. સમરહાઉસમાં વેકેશન ગાળવા જવાતું નથી. આમ જ દસ વર્ષ પસાર થઈ જાય છે. સોળ વર્ષના જેમ્સ અને સત્તર વર્ષની કેમિલાને લઈ પિતા ફરી એ જ સમરહાઉસમાં જાય છે, જે હવે જૂનું થઈ ગયું છે. આ વખતે તે સામેથી, થોડા અપરાધભાવ સાથે લાઇટ હાઉસની ટ્રીપ ગોઠવે છે. સંતાનો પિતાની આ લાગણીને અને એના જટિલ વ્યક્તિત્વને સમજ્યાં છે. ભૂતકાળની કડવાશ દેખાતા સ્નેહના પ્રકાશ સાથે નવલકથા પૂરી થાય છે. આ બાજુ ચિત્રકાર યુવતી રોઝમેરીનું ચિત્ર અંતે પૂરું કર્યું છે. બ્રશ નીચે મૂકતાં એ કહે છે, ‘આઈ હેવ હેડ માય વિઝન.’

વર્જિનિયા વુલ્ફ

આ નવલકથામાં વર્જિનિયા વુલ્ફ(1882-1941)ના જીવનનું સારું એવું પ્રતિબિંબ છે. વર્જિનિયા તેની મા જુલિયા સ્ટીવન્સથી ખૂબ પ્રભાવિત હતી. પિતાને ડિપ્રેશન હતું. વર્જિનિયા 13 વર્ષની હતી ને જુલિયા મૃત્યું પામી એ દિવસ પણ 5 મે હતો. તેમનું કુટુંબ પણ એક સમરહાઉસમાં વેકેશન ગાળવા જતું. વર્જિનિયાનું પ્રસિદ્ધ ‘અ રૂમ્સ ઑફ વન્સ ઑન’ અને ‘વિમેન એન્ડ ફિક્શન’ આ નવલકથા પછી બે વર્ષે બનેલી ઘટનાઓ.

બીજા વિશ્વયુદ્ધ વખતે વર્જિનિયા હતાશામાં સરી ગઈ હતી. સતત મૃત્યુ વિષે વિચાર્યા કરતી. 1941ના માર્ચ મહિનામાં 59 વર્ષની વર્જિનિયાએ ઓવરકોટના ખિસ્સામાં મોટા પથ્થરો ભરીને નદીમાં ડૂબકી મારી દીધી. શબ મળતાં વીસ દિવસ થયા. મરતાં પહેલા તેણે પતિ પરના પત્રમાં લખ્યું હતું, ‘હું માનસિક સંતુલન ખોઈ બેસવાની તૈયારીમાં છું. મને અવાજો સંભળાય છે. એકાગ્ર થઈ શકાતું નથી. તેં મને ઘણું સુખ આપ્યું છે, પણ હવે હું નહીં બચું.’ એક વાર તેણે લખેલું, ‘ઈશ્વર નથી. આશા રાખી શકાય, દોષ ઢોળી શકાય એવું કોઈ નથી. સારું-ખરાબ જે થાય છે તેની જવાબદારી મારી જ છે.’ ‘ટુ ધ લાઈટહાઉસ’ પરથી એક ટી.વી. ફિલ્મ બની હતી. આત્મહત્યાને ‘ગ્લોરિફાઈ’ કરવા માટે એના પર પ્રતિબંધ મૂકવામાં આવેલો.

ઘણું જુદું હોવા છતાં એક સદીના અંતરે પૃથ્વીના જુદા જુદા ગોળાર્ધો પર વસેલી એક ભારતીય રાજકારણી અને એક વિદેશી લેખિકાના સંવેદનો – અને આપણા અનુભવજગત વચ્ચે પણ – કેવું અજબ, અવ્યક્ત સામ્ય છે!!

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 મે  2024

Loading

...102030...420421422423...430440450...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved