Opinion Magazine
Number of visits: 9557111
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમને નથી સીમાડા

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|11 December 2024

“કિરણ.”

“હા, મમ્મી.”

“બેટા, આપણે આવતા અઠવાડિયે ભારત જવાનું છે. ટિકિટ, વિઝા વગેરેનું કામ તારા પપ્પાએ પતાવી દીધું છે.”

“મમ્મી, મને શું કામ હેરાન કરો છો? મારે ઇન્ડિયા આવવું નથી. મને ત્યાં મજા નથી આવતી. કંપની વગર હું બોર થઇ જઈશ.”

“ના, આ વખતે તો તારે ભારત અમારી સાથે આવવાનું જ છે. આ તારા મોસાળનો છેલ્લો પ્રસંગ છે. અત્યાર સુધીના તું એક પણ પ્રસંગમાં આવ્યો નથી. ને સાથે સાથે તારા માટે કન્યા પણ જોઈ લઈશું.”

“મમ્મી, તું મારા માટે ઇન્ડિયન છોકરી વિશે તો વિચારતી જ નહીં, એ મારી સાથે અને અહીંના કલ્ચરમાં સેટ ન થાય.”

“ના બેટા, એવું નથી. એ તારી માન્યતા છે. હું ને તારા પપ્પા ભારતીય છીએ તો પણ અહીં સેટ થઈ ગયાં, ને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર પણ જાળવી રાખ્યા.”

“મમ્મી, પપ્પા ને તમારી વાત અલગ છે. મમ્મી તું ઇન્ડિયામાં મારા માટે છોકરી ન જોતી.”

“ભલે પણ તારે અમારી સાથે ભારત આવવાનું છે, એ નક્કી છે. આ બાબતે અમારા નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં થાય.”

માસીને ત્યાં લગ્ન પતી ગયાં. “મમ્મી, હું બે-ત્રણ દિવસ પછીની અમેરિકા જવાની ટિકિટ કન્ફર્મ કરવી લઉં?”

“જેવી તારી ઇચ્છા, થોડા દિવસ વધારે રહે તો સારું. અમે તો ભારત આવ્યાં છીએ એટલે રોકવાનાં છીએ. પછી વારંવાર ભારત આવી શકાતું નથી અને ભારતનો મોહ છૂટતો નથી.”

કિરણની માસીનો ફલેટ ‘ઓમ હાઇરાઈઝ એવન્યુ’માં બી વિંગમાં હતો. બહુ મોટો એરિયા હતો. વૉકિંગ માટેનો એરિયા, સરસ મજાનો બગીચો, ફુવારા વગેરે હતું. કિરણ ફ્રી હતો. તેણે વિચાર્યું, ચાલ જરા બગીચામાં આંટો મારું. બાંકડા ઉપર આરામથી બેઠો હતો. અચાનક તેની નજર બાજુના બાંકડા ઉપર બેઠેલી યુવતી ઉપર પડી. વેલ ડ્રેસ, આત્મવિશ્વાસથી ભરી, હરણી જેવી આંખો અને અવાજ પણ મીઠો હતો, ધીમા અવાજે કંઈક ગીત ગણગણી રહી હતી. કિરણ તો, તેને જોઈને જ મુગ્ધ થઈ ગયો.

“હાઈ, હું છું કિરણ ત્રિવેદી. આ સામે દેખાય એ `ઓમ એવન્યુ`માં મારી માસીને ત્યાં યુ.એસ.થી આવ્યો છું. આપનું શુભ નામ કહેશો?”

“મારુ નામ સોનલ, સોનલ ભટ્ટ. હું પણ એજ `ઓમ એવન્યુ`માં રહું છું અને રોજ સાંજે બગીચામાં વોક પર આવું છું. મને પ્રકૃતિનું સાનિધ્ય બહુ ગમે છે.” આટલી વાત કરીને સોનલ ચાલી ગઈ. કિરણને સોનલને રોકવાની અને વધારે વાત કરવાની ઘણી ઇરછા હતી, પણ એ સંકોચવસ એમ ન કરી શક્યો.

બીજે દિવસે કિરણ જરા વહેલો આવીને થોડા દૂરના બાંકડા ઉપર બેઠો. રોજના નિયત સમય પ્રમાણે આજે પણ સોનલ આવીને બાંકડા ઉપર બેઠી. મસ્તીથી બગીચાની મજા લઈ રહી હતી અને ધીમું ધીમું ગીત ગણગણી રહી હતી.

“હાય!”

“હાય! .. કેમ છો?”

“બસ બગીચાની, પ્રકૃતિની મજા માણી રહી છું.”

“ગઈકાલે આપણી પ્રથમ મુલાકાત હતી. વિશેષ વાત ન થઈ શકી.”

“તો આજે કરોને. ગઈ કાલે કહ્યું હોત તો હું રોકાઈ જાત, મારે જવાની કોઈ ઉતાવળ નહોતી.”

“હું, યુ.એસ.માં સોફ્ટવેર એન્જિનિયર છું અને અમારો વિવિધ પ્રકારનો પારિવારિક બિઝનેસ છે. મારું આખું ફેમિલી તેની સાથે સંકળાયેલું છે. બહુ મોટો કારોબાર છે.”

“મારી વાત કરું, તો મેં, ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. મારા પપ્પાને દરેક પ્રકારના રેડીમેડ ગારમેન્ટસનું પ્રોડકશન હાઉસ અને હોલસેલ બિઝનેસ છે. દરેક પ્રકારના ગારમેન્ટસનું ફેશન ડિઝાઈન હું કરું છું. એ રીતે મારા પપ્પાના બિઝનેસ સાથે સંકળાયેલી છું.”

“યુ.એસ.માં પણ ફેશન ડિઝાઇનિંગનો બહુ ક્રેઝ છે. ત્યાંના લોકોમાં ઇન્ડિયન ફેશન ડિઝાઇનનો બહુ ક્રેઝ છે. યુ.એસ.માં આ ક્ષેત્રમાં આગળ વધવા માટેની વિશાળ તકો છે.”

પછી તો કિરણ અને સોનલની રોજ મુલાકાત થતી રહી. કિરણનાં મમ્મી-પપ્પા વિચારમાં પડી ગયાં કે ‘કિરણ તો બે-ત્રણ દિવસમાં યુ.એસ. પાછો જવાનું કહેતો હતો. તે વાતને અઠવાડિયું થઇ ગયું પણ તેણે ટિકિટ કેમ કન્ફર્મ કરાવી નથી? કંઈક ગરબડ લાગે છે અને રોજ સાંજે નિયત સમયે બગીચામાં વોક કરવા પણ જાય છે.’

“તમે આજે કિરણ પાછળ જઈ વાતનો તાળો મેળવો. હકીકત શું છે? જે કિરણ ભારત આવવા માટે તૈયાર નહોતો, એ હવે, પાછા જવાની ટિકિટ કન્ફર્મ કરાવતો નથી. અહીંયાં નહીં ગમે એમ કહેતો હતો. મને તેના મૂડમાં પણ ફેરફાર લાગે છે.”

કિરણના પપ્પાએ જોયું, કે કિરણ કોઈ યુવતીની સાથે બેઠો હતો. બંને ખૂબ પરિચિત હોય એ રીતે વાતચીત કરતાં ને એવું જ વર્તન કહેતાં એટલે કદાચ કિરણને, આ યુવતીમાં રસ જાગ્યો હોય એમ લાગ્યું. તેણે તેની પત્નીને વાત કરી. બંને મનોમન ખુશ થયાં કે ભારતની છોકરી તો તેને ના પસંદ હતી. ચાલો આપણી ઇચ્છા પૂરી થશે. પણ કિરણ સાથે વાત કરીને સાચી પરિસ્થિતિ તો જાણવી પડે, કદાચ બંને વચ્ચે ખાલી મિત્રતા હોય અને અમે કંઇક જુદું સમજી બેઠાં હોઈએ તો લોચો પડી જાય.

“કિરણ, તું આપણી રિટર્ન ટિકિટ કન્ફર્મ કરવી લે. અહીંયાંનું કામ પતી ગયું છે. અમે પણ તારી સાથે જ આવીએ છીએ. આપણે યુ.એસ. પાછા જવું છે.”

“મમ્મી, થોડા દિવસ વધારે રોકાઈએ તો ? મને અહીં મજા આવે છે.”

“મને ખબર છે, તારે તો ઇન્ડિયા આવવું જ નહોતું ગમતું. હવે, અહીંયાં ગમે છે. આ સોનલ કોણ છે? તને ઇન્ડિયા નહીં સોનલ ગમી ગઈ છે.”

“મમ્મી, તારી વાત સાચી છે. સોનલને મળ્યા પછી મારા ઇન્ડિયા વિશેના વિચારો, માન્યતા બદલાઈ ગયા છે. મમ્મી, તું સાચી છો, ભારત એ ભારત છે. ભારત જેવો માહોલ, લાગણી અને સંબંધનું મૂલ્ય બીજે ક્યાં ય ન મળે.”

“તે સોનલને વાત કરી?”

“મમ્મી સોનલને વાંધો નથી પણ સોનલનાં મમ્મી-પપ્પા યુ.એસ. જેટલે દૂર કદાચ ન પણ મોકલવા માગે.”

“બેટા, એ લોકોની ચિંતા સાચી છે. દીકરી નજર સામે હોય તો પણ ચિંતા થતી હોય છે, જ્યારે આ તો યુ.એસ. અને અજાણ્યા કુટુંબમાં લગ્ન કરી મોકલવાની. પાછા સમાજમાં છેતરવાના બનાવો પણ બનતા રહે છે. તું ચિંતા ન કર, અમે વાત કરી લઈશું.”

કિરણના મમ્મી-પપ્પા અને સોનલનાં મમ્મી-પપ્પાની મિટીંગ થઈ. સોનલની મમ્મીએ પોતાની ચિંતા વ્યક્ત કરી,

“સોનલ અમારું એક જ સંતાન છે. બહુ લાડકોડથી ઉછેરી છે એટલે આટલી દૂર મોકલવાની વાતે મન માનતું નથી.”

“તમારી ચિંતા વ્યાજબી છે. આપણે જરા આપણા ફેમિલીમાં એકબીજાની ઓળખાણ જોઈ લઈએ, પછી આગળ વધીએ.”

પછી તો વાતચીત થતાં કિરણનું અને સોનલનું ફેમિલી પરિચિતોમાંથી નીકળ્યું. કિરણ અને સોનલનાં લગ્ન નક્કી થઈ ગયાં.

“કિરણ.”

“હા, મમ્મી.”

“બેટા, પ્રેમને સીમાડા હોય છે? અમારા વખતમાં તો આવું નહોતું. ત્યારે તો મુંબઈ પણ પરદેશ કહેવાતું.”

“ના મમ્મી, પ્રેમને સીમાડા નથી હોતા! અને ભારતના (હવેથી હું, ઇન્ડિયા નહીં પણ ભારત કહીશ) સીમાડે હું બંધાયો તેને મારું ખુશનસીબ માનું છું.”

“બેટા, હવે તો એક વધારાની ટિકિટ સાથે યુ.એસ. જવાની રિટર્ન ટિકિટ તું કન્ફર્મ કરાવીશ ને?”

કિરણ અને સોનલના મુખ પરના શરમના શેરડા સાથે હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો ….

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

કાશ, વિદ્યાપીઠ-ધુરીણોને પોતાના ઇતિહાસનીયે સ્મૃતિ હોય!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 December 2024

પ્રકાશ ન. શાહ

અમદાવાદમાં જ્ઞાનકુંભ કર્ણાવતી 2024, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે હમણેના દિવસોમાં યોજાઈ ગયો ત્યારે એ માટેના નિમંત્રણપત્રમાં વિદ્યાપીઠના સરનામા તરીકે અમદાવાદને સ્થાને ‘કર્ણાવતી’નો હવાલો અપાયો હતો એથી અચરજ પામવું કે આંચકો અનુભવવો, એ નક્કી થઈ શકતું નથી.

અચરજનું કારણ સીધુંસાદું એટલું જ કે અમદાવાદનું નામાંતર વાજપેયી સરકારનાં છ વરસ દરમ્યાન કે નમો ભા.જ.પ.નાં દસ વરસ દરમ્યાન પણ ખુદ કેન્દ્ર સરકારે ગ્રાહ્ય રાખ્યું નથી. આંચકો એટલા માટે કે સંઘ પરિવાર પોતાના વહેવારમાં દાયકાઓથી ‘કર્ણાવતી’નો જ પ્રયોગ કરે છે. એની એક રાજકીય વિચારધારાકીય ભૂમિકા છે. વિદ્યાપીઠ હવે ચોક્કસ સરનામાસંકેત સાથે અધિકૃત રીતે આ રાજકીય-શાસકીય વિચારધારા સાથે જોડાવાનો ઉદ્ઘોષ કરે છે એમ જ કહેવું જોઈશે.

આ જ્ઞાનકુંભ સંઘ પરિવારની નિશ્રા શી આયોજનમાં મળી ગયો હોવાનું જો કે એના વિદ્યાપીઠ સાથેના સહ બલકે મુખ્ય આયોજક શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનું નામ જોતાંયે સમજાઈ રહેવું જોઈતું હતું. 2007માં આ ન્યાસનો આરંભ થયો અને એના સ્થાપકો પૈકી વડું નામ હજુ સાતમી નવેમ્બરે જ નિધન પામેલા દીનાનાથ બત્રાનું હતું. બત્રા, આમ તો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રચારક અને આગળ ચાલતાં સંઘપ્રેરિત વિદ્યાભારતીના અગુઆ.

જાહેર જનતાની સ્મૃતિ ટૂંકી હોવાની વાયકા છતાં એટલું તો યાદ હોવું જોઈએ કે 2014ના જૂનની 30મીએ ગુજરાત સરકારે ખાસ પરિપત્ર પાઠવીને રાજ્યની 42,000 શાળાઓને બત્રાનાં કેટલાંક પુસ્તકો સહ-અને-પૂરક વાચન તરીકે વંચાવવા જણાવ્યું હતું. ભલા માણસોની ખોટ દુનિયાને ક્યારે ય પડતી નથી એ ન્યાયે કોઈ કોઈ શિક્ષણકારે નાનાભાઈ ભટ્ટને મનુભાઈ પંચોળીનો હવાલો આપી સંવાદ ભૂમિકાએ આ પુસ્તક પ્રવેશ પરત્વે અનુમોદના પણ દાખવી હતી. અલબત્ત, સારા બત્રા સાહિત્યમાંથી પસાર થવું જરૂરી નહીં હોય – બાકી, આ બત્રા સાહિત્યમાં સારા વિદ્યાર્થીની વ્યાખ્યા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય હોય એવી બેધડક અપાઈ હતી.

શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના લગભગ મુખ્ય ટ્રસ્ટીવત આજકાલ (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ સચિવ) અતુલ કોઠારી જણાય છે. સરસંઘચાલક ભાગવતે સંઘની પ્રતિનિધિ સભામાં વિધિસર જાહેરાતભેર કોઠારીને ન્યાસની જવાબદારી ભળાવ્યાના હેવાલો આ લખતાં સાંભરે છે. બીજી બાજુ, કોઠારીએ હમણાં બત્રાને અંજલિ આપતાં ખાસ કહ્યું હતું કે એન.ઈ.પી. કહેતાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળમાં બત્રાની કામગીરી રહી છે.

આ ન્યાસકથા જોતાં વિદ્યાપીઠનો, ‘કર્ણાવતી’ એ સરનામાસંકેત ખરેખર તો હિમદુર્ગનું એકદશાંસમું ટોચકું જ માત્ર વરતાય છે. ન્યાસે, કર્ણાવતી કુંભ સારુ વિદ્યાપીઠથી સારી પસંદગી બીજી હોઈ જ ન શકે એમ કહેવા સાથે જોતરેલું કારણ એ છે કે મેકોલેની શિક્ષણ પ્રથા સામેનો આ અનેરો વિકલ્પ હતો. જો કે, ન્યાસવીરોને તેમ હવે તો કદાચ વિદ્યાપીઠના વાસ્તવિક ધુરીણોને પણ ગાંધીએ 1920માં વિદ્યાપીઠનો પ્રારંભ કરતાં સરકારથી પરહેજ કરવાપણું જોયું હતું એ ઇતિહાસવસ્તુ બાબતે જાણેત છતે ઓસાણ નયે હોયે. 

મદનમોહન માલવીયની જેમ બનારસ હિંદુ યુનિવર્સિટી સારુ બ્રિટિશ સરકારનું ચાર્ટર લેવાની જરૂરત ગાંધીએ જોઈ નહોતી એનું મહત્ત્વ આજે કદાચ કોઈને પણ વસે છે કે કેમ તે આપણે જાણતા નથી. સ્વરાજ પછી, 1963માં, વિદ્યાપીઠે સરકાર સાથે યુ.જી.સી. રાહે સંધાન કર્યું ત્યારે પણ એણે તે પોતાની સ્વાયત્તતાને ધોરણે કર્યું હતું. પણ, હવે તો, ટ્રસ્ટીમંડળની બહુમતી પોતે સામે ચાલીને શાસકીય સત્તાકીય વરણી ભણી જાય – નારાયણ દેસાઈ અને ઈલા ભટ્ટનાં 14 વરસની ગરિમા ભૂલીને સ્વાયત્તતાનું અંજીરપાંદ પણ રેઢું મેલે, શું કહીશું એને.

ન્યાસ ભારતીય જ્ઞાન પરંપરાની આધુનિકતા અને વૈજ્ઞાનિકતા પર ભાર મૂકવા માગે છે. બત્રાએ પુષ્પક વિમાનનો જે મહિમા કર્યો હતો એમાં આ બેમાંથી એકે વાનું નથી.

હશે, લાંબે નહીં જતાં થોડી કર્ણાવતી-ચર્ચા કરી લઈએ એ ઠીક રહેશે. અમદાવાદને અંગે બીજાઓએ પણ કરી હશે, પણ વિદ્યાપીઠ પરિવારને, પોતાને ત્યાં સુદીર્ઘ સેવા આપનાર ઇતિહાસવિદ રસેશ જમીનદારે આ અંગે કરેલી વિશદ ચર્ચાની તો ખબર હોવી જ જોઈએ ને. નામાંતરની ચર્ચા ઊપડી ત્યારે જમીનદારે પ્રમાણપૂર્વક જણાવ્યું હતું કે અહમદાબાદ જે અહમદશાહે વસાવ્યું એની પૂર્વાવૃત્તિ નક્કી જ કરવી હોય તો તે આશાવલ (આશાપલ્લી) હોઈ શકે.

આઠમીથી અગિયારમી સદીના ગાળામાં એ ભીલી હકૂમત હતી. પાટણના સોલંકીઓ અને લાટના ચાલુક્યો વચ્ચે બફર તરીકે આશાવલની કામગીરી હતી. આગળ ચાલતાં સોલંકીએ આશાવલ કબજે કર્યું ત્યારે લાટના ચાલુક્યો સામે સીમાન્ત રક્ષાવ્યૂહની જરૂરતને ધોરણે આશાવલ પાસે હાલના બહેરામપુરા-દાણી લીમડા (સપ્તર્ષિના આરેથી ગંગનાથ) વિસ્તારમાં કર્ણદેવ સોલંકીએ પૂરા કદના નગર તરીકે નહીં, પણ લશ્કરી છાવણી તરીકે કર્ણાવતી ઊભું કર્યું. તે બાદ સત્તા વિસ્તરી એટલે છાવણીની જરૂર ન રહી. લશ્કરી જરૂરત માટે બજાર સહિતના વહેવારમાં પડેલાઓ પડખેના આશાવલમાં ગોઠવાઈ ગયા કે બીજે ચાલ્યા ગયા. તે પછી અહમદશાહે, પડોશમાં અન્યત્ર અહમદાબાદ વસાવ્યું. એટલે કોઈ કર્ણાવતી નગર ધ્વસ્ત કરીને અહમદાબાદ વસ્યાનો ઇતિહાસ નથી. આજે તો જો કે આશાવલ, કર્ણાવતી છાવણી વિસ્તાર, કોટમાંનું અહમદાબાદ આ બધું સમાવીને ઉત્તરોત્તર વિકસતું કે વકરી શકતું મહાનગર અમદાવાદ જ એક વાસ્તવિકતા છે. મૂળ નામનો મહિમા કરવો હોય તો કળશ આશાવલ પર ઢોળવો પડે. ગમે તેમ પણ, આપણે સંમત થઈશું જમીનદાર સાથે કે નામોના અણઘડ ફેરફારથી તો ઇતિહાસ નાશ પામે છે.

કાશ, વિદ્યાપીઠ-ધુરીણોને પોતાના ઇતિહાસનીયે સ્મૃતિ હોય!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 ડિસેમ્બર 2024

Loading

દેશ મહાન બને છે માત્રને માત્ર શિક્ષણ અને શિસ્તબદ્ધ નાગરિકોથી !

રમેશ સવાણી|Opinion - Opinion|10 December 2024

આપણી બધી જ સમસ્યાઓનું મૂળ અજ્ઞાનતા છે. ભણેલો અને પીએચ.ડી. થયેલો માણસ પણ અજ્ઞાની હોઈ શકે છે. અજ્ઞાનતા એટલે સમજણનો અભાવ. દુ:ખનું કારણ પણ અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને દૂર કરવા શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે. શિક્ષણ પાયાની જરૂરિયાત છે. મારે મન શિક્ષણનું બહુ મોટું મહત્ત્વ છે. આમ તો સારું છે કે લોકો પરદેશ જાય છે. આપણું બુદ્ધિધન બહાર જાય છે, એમ કહેવાય છે. પણ ત્યાં જઈને પણ તેમના હ્રદયમાં ભારત ધબકતું હોય છે. આપણા આઝાદીના લડવૈયાઓ વિદેશમાં ભણ્યા હતા અને દેશની સેવા કરી હતી.

જગદીશ બારોટ

એવું કહેવાય છે કે ગુજરાતીઓને ચોપડી નહીં, પણ ચોપડામાં વધુ રસ હોય છે. ભણવામાં રસ નથી, વેપારમાં વધારે રસ છે. આપણે શિક્ષણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અમેરિકા સમૃદ્ધિમાં / તાકાતમાં આગળ છે, તેનું કારણ શું છે? શિક્ષણ ! અમેરિકા / કેનેડામાં 80% ચર્ચ બંધ છે. 20% ચર્ચ ચાલુ છે તે રવિવારે માત્ર બે કલાક માટે ખૂલે છે. માત્ર વૃદ્ધ લોકો જાય છે. સેવાના કાર્યો કરે છે, ભજન કરતા નથી ! અમેરિકા વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આગળ છે, તેનું કારણ છે શિક્ષણ. 

ભારત અને અમેરિકા / કેનેડાના શિક્ષણ વચ્ચે શું તફાવત છે? ભારતમાં શિક્ષણ પાછળ બજેટના 6% ખર્ચ કરવો તેવી નીતિ નક્કી થઈ છે. પરંતુ 6%ની જગ્યાએ માત્ર 0.6% ખર્ચ કરવામાં આવે છે. અમેરિકામાં મારી દીકરીનો દીકરો 9માં ધોરણમાં ભણે છે, એક વખત હું તેની સ્કૂલ જોવા ગયો. સરકાર એક વિદ્યાર્થી દીઠ 1,200 ડોલરનો ખર્ચ કરે છે. માત્ર 6,000ની વસ્તી છે તેવા ગામમાં શાળા ભવ્ય છે. શાળામાં બહુ મોટા મેદાનો છે. બધી સગવડો છે.

શા માટે આપણા યુવાનો વિદેશ જાય છે? સારું શિક્ષણ મેળવવા. સારી જિંદગી જીવવા. સારી જોબ માટે. આપણે ગૌરવ લઈએ છીએ, અમારી ગીતાએ દુનિયાને કર્મયોગનો સંદેશો આપ્યો. પરંતુ સૌથી વધુ કામચોરી આ દેશમાં થાય છે. કામમાં વેઠ કાઢવી / ગાપચી મારવી એ સામાન્ય છે. વેઠ શબ્દ અમેરિકા / કેનેડામાં નથી. આપણે ત્યાં સરકારી કર્મચારીઓ CL-કેઝ્યુઅલ લીવ રીપોર્ટ મૂકીને ગાપચી મારે છે. ઉપરી અધિકારી તપાસ કરે તો રીપોર્ટ આપવાનો, નહિતર ફાડી નાખવાનો ! ગાપચી પણ અંબાજી યાત્રા માટે મારે છે ! આ કામચોરી માટે આપણી દશા ખરાબ છે. વિદેશમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવી વ્યવસ્થા છે, આપણે ત્યાં ગોખણપટ્ટી છે. પરીક્ષા પાસ કરી એટલે પતી ગ્યું ! 

મારે બે દોહિત્ર છે. મોટો દોહિત્ર 12 સાયન્સમાં, આખા ઓન્ટારિયો રાજ્યમાં 1થી 10માં આવ્યો, 95% સાથે. મેં એને પૂછ્યું કે ‘હવે આગળ શું કરીશ?’ મને કહે કે ‘દાદાજી હું કોમર્સ લઈશ.’ ત્યાં બાળકોને કોઈ ફોર્સ કરતા નથી. તેણે કોમર્સ લીધું. 24 વર્ષની ઉંમરે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો. તે હાલ 25માં વર્ષે કંપનીમાં સીનિયર મેનેજર છે. હવે તે થોડા સમયમાં નોકરી છોડી પોતાની ફર્મ ઊભી કરવાનું આયોજન કરે છે. વિદેશમાં કોઈ માબાપ પોતાના બાળકને ફરજ નથી પાડતા કે ડોક્ટર થવાનું છે કે એન્જિનિયર થવાનું છે. ડોક્ટર / એન્જિનિયર કેમ બનાવવા છે? વધારે માલ મલીદા મળે એટલે ! નાનો દોહિત્ર 14 વર્ષનો છે. 10માં ધોરણમાં આવ્યો. મેં એને પૂછ્યું કે ‘ભવિષ્યમાં તું શું થવા ઈચ્છે છે?’ તે કહે : ‘દાદાજી હું મરીન બાયોલોજિસ્ટ થવા માગું છું.’ અહીં 9માં ધોરણમાં ભણતા બાળકને પૂછજો, મરીન બાયોલોજી એટલે શું? એને ખબર નહીં હોય ! આ ત્યાંના બાળકોની સ્વતંત્રતા છે. આ કારણે પણ આપણા વિદ્યાર્થીઓ અમેરિકા જતા હોય છે.  ત્યાં 12 ધોરણ સુધી કોઈ ફી નહીં / કોઈ ખર્ચ નહીં / કોઈ ચોપડી લેવાની નહીં / પેન્સિલ નહીં લેવાની / યુનિફોર્મ નહીં. ત્યાંના બાળમંદિરમાં ફાઈવસ્ટાર સગવડો હોય છે. એટલી બાળકોની કાળજી લે છે. એટલી જ સ્વચ્છતાની કાળજી લેવાય છે. કોલેજમાં ફી છે. લગભગ 60% વિદ્યાર્થીઓને સ્કોલરશિપ / ફ્રીશિપ / લોન મળે છે. જેથી તે ભણી શકે. મેં 63 વર્ષે સેફ્ટી એન્જિનિયરિંગ કર્યું. ત્યારે મને કોલેજે પૂછેલ કે તમારે ફ્રીશિપ જોઈએ છે? હું ત્યારે કમાતો ન હતો. મેં ફોર્મ ભર્યું. મેં ત્યારે 2,200 ડોલર ભરેલાં. વરસ પૂરું થયું એટલે કોલેજે મને 2,600 ડોલરનો ચેક આપ્યો. મેં કહ્યું કે ‘મેં તો 2,200 ડોલર આપ્યા હતા, 2,600 નહીં.’ મને જવાબ મળ્યો કે ‘200 ડોલર બસ પાસના છે અને 200 ડોલર અન્ય ખર્ચના છે !’ હું તો ત્યાંનો નાગરિક પણ ન હતો છતાં આ સવલત મને મળી હતી.

ત્યાં એક સારી બાબત એ છે કે કોલેજમાં ભણવાની સાથે 16 વરસ પછી જોબ પણ મળે, એમાં એનો ખર્ચો નીકળી જાય. જોબની વ્યવસ્થા પણ કોલેજ કરી આપે. ઉત્તમ શિક્ષણ અમેરિકા / કેનેડામાં મળે છે. દુનિયાની 10 શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં અમેરિકાની 6 છે અને ઇંગ્લેન્ડની 4 છે. ભારતની 1થી 350માં એક પણ યુનિવર્સિટી નથી ! આપણે વિશ્વગુરુનો ડોળ કરીએ છીએ ! કોઈ ડંકો વાગતો નથી ! ત્યાં બેસ્ટ શિક્ષણ મળે છે, ક્રિએટિવ થીંકિંગ મળે છે. ત્યાં વાર્ષિક પરીક્ષા હોતી નથી, બાળકોનું દર પંદર દિવસે એસેસમેન્ટ થાય. એટલે ગોખણપટ્ટી પણ નહીં. એક વખત, અમારે ત્યાં એક સંપ્રદાયના પ્રચારક આવ્યા. તેણે મારા ચાર વર્ષના દોહિત્રને પૂછ્યું કે ‘રાવણની પત્નીનું નામ શું હતું?’ મેં કહ્યું કે ‘એ રહેવા દો. કેનેડાની કોઈ પરીક્ષામાં રાવણની પત્નીનું નામ નહીં પૂછાય. પરંતુ ધર્મ અને રાજકારણ સિવાય કોઈ પણ વિષયના પ્રશ્નો પૂછો તે જવાબ આપશે.’ પ્રચારકે ચાર પ્રશ્નો પૂછ્યા, તેના જવાબો બરાબર આપ્યા. મેં કેનેડાની કોલેજમાં 11 વરસ સુધી ભણાવ્યું. મેં કદી કોઈ છોકરાંને છોકરીની ગંદી હરકત કરતો જોયો નથી. ત્યાં સમૃદ્ધિ છે તેથી દૂષણો પણ છે. પરંતુ મેં રોડ પર લથડિયાં ખાતો કે કોઈના ગજવામાં હાથ નાખતો કોઈને નથી જોયો. એ લોકો શિસ્તમાં માને છે, રીસ્પેક્ટમાં માને છે. મારા ક્લાસમાં કોઈ છોકરી કે છોકરો લેઈટ આવ્યો નથી. એક વખત પરીક્ષામાં, મને એક છોકરીએ પૂછી લીધું કે ‘સર, આ ચેપ્ટર તમે ચલાવ્યું ત્યારે હું બીમાર હતી. મને આ પ્રશ્ન સમજાતો નથી.’ એટલે મેં એને ચેપ્ટરની સમજણ આપી, જેમાં પ્રશ્નનો જવાબ વણી લીધો હતો. પરંતુ એ છોકરીએ જવાબ લખ્યો જ નહીં ! મેં એને પૂછ્યું કે ‘તેં જવાબ કેમ લખ્યો નહીં?’ ત્યારે એ છોકરીએ કહ્યું કે ‘સર, મને આપે સમજ કરી. પણ તે પહેલાં મને જવાબ આવડતો ન હતો એટલે મેં લખ્યો નથી !’ આ ઓનેસ્ટિ છે ! 

ત્યાં બાળકો કોઈ દિવસ જૂઠું ન બોલે. કદી મંદિરે જતા નથી, કદી ગીતાપાઠ કરતા નથી ! ભાગવત વાંચતાં નથી ! અહીં ગલીએ ગલીએ પારાયણો થાય છે. છતાં આપણે જૂઠું બોલીએ છીએ અને બહાદુરી સમજીએ છીએ કે મેં કેવો ઉલ્લુ બનાવ્યો ! કદી કોઈ બાળક જૂઠું ન બોલે. ત્યાં કોઈ સોગંદ ન ખાય. સોગંદ તો જૂઠ્ઠો માણસ ખાય ! સાચો માણસ સોગંદ ન ખાય. આ શિસ્ત છે ત્યાંની, એટલે એ લોકો દુનિયાની ટોચ પર છે. કોઈ દેશ તેની ભવ્ય સંસ્કૃતિથી મહાન નથી બનતો, ભવ્ય ઈમારતોથી મહાન નથી બનતો, ભવ્ય મંદિરથી મહાન નથી બનતો. દેશ મહાન બને છે માત્રને માત્ર શિક્ષણ અને શિસ્તબદ્ધ નાગરિકોથી ! અમેરિકા / કેનેડા / યુરોપના લોકો મહાન એટલે છે કે તે બહુ શિસ્તબદ્ધ છે. ન્યૂસન્સ વેલ્યુ નહીં, નહીં અને નહીં. એક વખત હું કોલેજમાં ભણાવવા જતો હતો અને બસમાં મારો મોબાઈલ સીટમાં ભૂલી ગયો. સાંજે પરત ફર્યો ત્યારે અનાયાસ સવાર વાળી બસ મળી. હું સવારે જે સીટમાં બેઠો હતો ત્યાં ગયો તો ત્યાં મોબાઈલ પડ્યો હતો ! કેટલાં ય લોકો આ સીટ પર બેઠાં હશે ! એક વખત શુક્રવારે, હું રેલવે સ્ટેશને મહેમાન લેવા ગયો. વરસાદની શક્યતા હતી તેથી છત્રી લીધી હતી. મહેમાન આવ્યા અને હું હરખમાંને હરખમાં છત્રી બાંકડા પર ભૂલી ગયો. સોમવારે વરસાદ આવ્યો ત્યારે છત્રી યાદ આવી. ચોથે દિવસે હું એ બાંકડા પર ગયો, છત્રી ત્યાં પડી હતી ! આટલી ઓનેસ્ટિ છે ત્યાં. એટલે તે લોકો મહાન છે. ટીલાંટપકાં કરવાથી મહાન નથી થવાતું ! 

કેનેડામાં વોર્ડ વાઈઝ સરકારી સમૃદ્ધ લાઈબ્રેરી છે. ત્યાં કોમ્પ્યુટર છે. વિદ્યાર્થીને એક સાથે 15 પુસ્તકો આપવામાં આવે છે. કોઈ પણ અખબારની પ્રિન્ટ આઉટ મળે. આપણે ત્યાં નવા મકાનો બને તો મંદિર કેટલું નજીક છે તેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. પણ કોઈ જગ્યાએ લાઈબ્રેરી નજીક છે તેવો ઉલ્લેખ જોવા નહીં મળે. આપણે ત્યાં વિદ્વાન પ્રોફેસર બાબુ સુથાર અને હેમંતકુમાર શાહના વ્યાખ્યાન માટે ફાળવેલ હોલ પણ કેન્સલ કરવામાં આવે છે. અમેરિકા / કેનેડામાં આવું કદી ન બને. ત્યાં તો સામેથી વિદ્વાનોને બોલાવે. હું ભણવા ગયો હતો અને મને પ્રાધ્યાપક બનાવી દીધો ! આવો ચમત્કાર ત્યાં બને ! 

[સૌજન્ય : જગદીશ બારોટ, પર્યાવરણ વૈજ્ઞાનિક, કેનેડા, 8 ડિસેમ્બર 2024, સુરત]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...417418419420...430440450...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved