Opinion Magazine
Number of visits: 9522191
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તકોનાં વાર્ષિક સરવૈયાંની પરંપરા

દીપક મહેતા|Opinion - Literature|19 March 2013

‘આવો લેખ લખવાનાં સાધનો મેળવવાની ઘણી મુશ્કેલી છે. વખતોવખત થતી સાહિત્યપ્રસિદ્ધિની સંપૂર્ણ માહિતી આપે એવું મંડળ યા પુસ્તકાલય યા માસિક ગુજરાતમાં નથી …. મુદ્રાયન્ત્રોના માલિકોને, ગ્રંથ પ્રસારક મંડળોના મંત્રીઓને અને ગ્રંથ વિક્રેતાઓને પત્રો લખ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર ચારના જવાબ આવ્યા …. એટલે આ લેખ સર્વતઃ સંપૂર્ણ લખી ન શકાયો હોય તો દરગુજર કરવા વિનંતી છે.’

આજની સરવૈયાની બે બેઠકોમાંના અગિયાર વક્તાઓમાંના કોઈના લખેલા શબ્દો હું આપની આગળ વાંચી રહ્યો નથી. આ શબ્દો તો છે સુરત જેમની જન્મભૂમિ હતું, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના જેમને આભારી છે તે રણજિતરામ વાવાભાઈ મહેતાના. આ શબ્દો લખાયા હતા ઇ.સ. ૧૯૦૯માં. પણ રણજિતરામભાઈએ આજથી ૧૦૩ વર્ષ પહેલાં લખેલા આ શબ્દો નીચે સહી કરવા માટે આજના અગિયારે અગિયાર વક્તાઓ સ્વેચ્છાએ તૈયાર થશે. લાગે છે કે આટલાં વર્ષોમાં કશું જ બદલાયું નથી. સાધનોની મુશ્કેલી આજે પણ એટલી જ છે, બલકે વધી છે. વર્ષ દરમ્યાન પ્રગટ થતાં બધાં જ પુસ્તકોની માહિતી મળી રહે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાની અને તેને ધગશ અને કુશળતાથી નિયમિત રીતે ચલાવવાની જરૂર આજે પણ આપણને વર્તાતી નથી. એવી માહિતી મેળવવા પત્રો લખીએ તો આજે ચાર જવાબ પણ કદાચ ન મળે.

ક્યારે, શા માટે, લખ્યા હતા રણજિતરામભાઈએ આ શબ્દો? ‘જ્ઞાનસુધા’ માસિકના એપ્રિલ ૧૯૦૯ના અંકમાં પ્રગટ થયેલા ‘ઇસુનું વર્ષ ૧૯૦૮’ નામના ખાસ્સા લાંબા લેખના આરંભે તેમણે આ શબ્દો લખ્યા હતા. આજે જે કામ કરવા માટે અગિયાર જણની જરૂર પડે છે તે કામ તે વખતે રણજિતરામભાઈએ એકલે હાથે કર્યું હતું – ૧૯૦૮ના વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોનું સરવૈયું રજૂ કર્યું હતું. અને તેમાં તેમણે માત્ર ‘સાહિત્ય’નાં પુસ્તકોની જ વાત નહોતી કરી. ધર્મ, ઇતિહાસ, સમાજ, રાજકારણ, કેળવણી, વગેરે વિશેનાં પુસ્તકોની પણ વાત કરી હતી. પણ માત્ર પુસ્તકોની જ વાત નહોતી કરી. વર્ષભરનાં સામયિકો અને અખબારોની વાત પણ કરી હતી. પણ માત્ર મુદ્રિત શબ્દની જ વાત નહોતી કરી. ધર્મ, સમાજ, રાજકારણ, કેળવણી, જુદી જુદી જ્ઞાતિઓ, વગેરેની સંસ્થાઓની અને તેમની પ્રવૃત્તિઓની પણ વાત કરી હતી. કારણ? કારણ એમણે જ કહ્યું તે આ પ્રમાણે હતું : ‘જેવું જીવન તેવું સાહિત્ય, જીવનમાં વહેતાં બળોનો પ્રભાવ સાહિત્યમાં અંકાય છે. એટલે એ બળો વિશે કંઇક જાણવું આવશ્યક છે…. ધર્મ, સંસાર, રાજય આદિ પરત્વે થતી પ્રક્ષોભણા – મંથનના પડઘા સાહિત્યમાં સંભળાય છે યા તો તેમનો પટ સાહિત્યને બેસે છે.’

‘જ્ઞાનસુધા’ પછી બીજો પ્રયત્ન કર્યો વિજયરાય વૈદ્યે, તેમના ‘કૌમુદી’ ત્રૈમાસિકમાં. હકીકતમાં તેઓ તો વાર્ષિક કરતાં પણ આગળ વધીને ત્રિમાસિક સરવૈયું રજૂ કરવા મથી રહ્યા હતા. ૧૯૨૪માં પ્રગટ થયેલા ‘કૌમુદી’ના પહેલા જ અંકથી તેમણે ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’ શીર્ષક નીચે પુસ્તકોનુ સરવૈયું પ્રગટ કરવાનું શરૂ કરેલું. વિલક્ષણ અને વિચક્ષણ વિવેચક વિજયરાય ચીલાચાલુ રીતે તો આવાં કામ કરે જ શાના? પહેલા અંકમાં આગલા ત્રણ મહિનામાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશે લંબાણથી લખેલું. તો બીજા અંકમાં ‘૧૯૮૦નું વાઙમય’ નામનો લાંબો લેખ એક મિત્રને પત્ર રૂપે લખેલો. તેની શરૂઅતમાં તેમણે મિત્રને ઉદ્દેશીને લખેલું : ‘ગઈ પચ્ચીસીનું યુરોપી સાહિત્ય તમે ઘણું વાંચ્યું છે પણ આજના અગ્રણી ગુજરાતી લેખકોને તો સાભિમાન ઉવેખવામાં જ મહત્તા ને શોભા માની છે. નવાં નવાં પુસ્તકો કેવાં ને કેટલાં બહાર પડે છે તેની અધૂરી જાણ પણ તમને નથી. તમે કોઈ પણ માસિક નિયમિતપણે વાંચીને આજના લેખકવર્ગના બલાબલનો ક્યાસ કાઢતા નથી.’ આજે પણ આવા ‘મિત્રો’ આપણી વચ્ચે ક્યાં નથી? એ જ અંકમાં ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’માં ૧૯૨૪ના ‘ત્રીજા ચરણનું વાઙમય’ની વિસ્તૃત સમાલોચના તો આપી જ છે. પણ તેમણે તેમાં માત્ર પુસ્તકોનાં લખાણની જ વાત નથી કરી. રૂપરંગને આધારે પુસ્તકોને પદ્મિની, હસ્તીની, ચિત્રીણી, અને શંખિની, એવા ચાર વિભાગોમાં વહેંચ્યાં છે અને દરેક પુસ્તકને પોતે અમુક વર્ગમાં શા માટે મૂક્યું છે તે સમજાવવા પુસ્તકોનાં રૂપરંગની ચર્ચા કરી છે. જો કે વાર્ષિક સમીક્ષાનું આ કામ ‘કૌમુદી’નાં પહેલાં બે વર્ષ સુધી જ ચાલુ રહ્યું હતું.

‘કૌમુદી’ પછી વાર્ષિક સમીક્ષાનો પ્રયત્ન ફરી એક વાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) તરફથી થયો. ૧૯૩૦માં ‘ગ્રંથ અને ગ્રંથકાર’નો પહેલો ભાગ પ્રગટ થયો તેમાં ‘ગ્રંથકાર ચરિત્રાવળી’ની સાથે ‘સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન’ નામથી સરવૈયું રજૂ થયું હતું. બીજું એક કરવા જેવું કામ સાથોસાથ થયું તે એ વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી પ્રગટ કરવાનું. આખું પુસ્તક ‘તૈયાર કરનાર’ તરીકે જેમનું નામ છપાયું છે તે હીરાલાલ પારેખ જ તેના કર્તા હતા. ૧૯૩૮ સુધી ‘ગ્રંથ અને ગ્રંથકાર’નું પ્રકાશન દર વર્ષે નિયમિત રીતે થતું રહ્યું અને એ આઠે ભાગમાં પુસ્તકોની વર્ગીકૃત યાદી છપાતી રહી. જો કે કેટલાક ભાગમાં વાર્ષિક ગ્રંથસમીક્ષા જોવા મળતી નથી. ત્યાર બાદ ૧૯૪૪માં પ્રગટ થયેલા નવમા ભાગમાં ‘પાંચ વર્ષના સાહિત્ય ઉપર દૃષ્ટિપાત’ નામનો સુદીર્ઘ લેખ છે, પણ તેના કર્તાનો નિર્દેશ એ પુસ્તકમાં ક્યાંય નથી. તે પછી ૧૦મો ભાગ પ્રગટ થાય છે છેક ૧૯૫૨માં. તેમાં ૧૦૦ પાનાંનો પહેલો વિભાગ છે ‘ગયા દાયકાના વાઙમય પર દૃષ્ટિપાત.’ ૧૯૬૬માં પ્રગટ થયેલા ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના ૧૧મા અને છેલ્લા ભાગમાં ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના સાહિત્યનું પ્રવાહ દર્શન ૧૧૮ પાનાંમાં રજૂ થયું છે.

‘ગ્રંથ અને ગ્રંથકાર’નો ૮મો ભાગ ૧૯૩૭માં પ્રગટ થયો તે જ વર્ષે ગુજરાત સાહિત્ય સભાએ દર વર્ષે ‘ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી’ના એક ભાગ રૂપે ‘ગ્રંથસ્થ વાઙમય’ પ્રગટ કરવાનું શરૂ કરી દીધું હતું. વાર્ષિક પુસ્તક સમીક્ષાનો સૌથી વધુ વ્યવસ્થિત અને સાતત્યભર્યો પ્રયત્ન પણ ગુજરાત સાહિત્ય સભાએ જ કર્યો. ૧૯૮૩ સુધી – પૂરાં ૪૬ વર્ષ સુધી – તેણે આ કામ કર્યું. શરૂઆતનાં વર્ષોમાં આપણા ઘણા અગ્રણી વિવેચકોને તેણે આ કામ સોપ્યું. ડોલરરાય માંકડ, અનંતરાય રાવળ, મંજુલાલ મજમુદાર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જેવાનો સહકાર શરૂઅતાનાં વર્ષોમાં તેને મળ્યો. પણ પછી ધીમે ધીમે વિવેચકોનો ઉત્સાહ ઓસરતો ગયો. પણ ત્યારે હતોત્સાહ થયા વગર પિતાને પગલે ચાલીને  મધુસૂદન હીરાલાલ પારેખે થોડાં વર્ષો એ જવાબદારી એકલે હાથે પાર પાડી. પણ પછી આ જવાબદારી ઉપાડી લે એવી વ્યક્તિઓ ન મળતાં ૧૯૮૩ પછી ‘ગ્રંથસ્થ વાઙમય’ની આ પ્રવૃત્તિ બંધ પડી.

ગુજરાત વિદ્યા સભાએ શરૂ કરેલું કામ ગુજરાત સાહિત્ય સભાએ ઉપાડી લીધું તેમ ગુજરાત સાહિત્ય સભાનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદે તેનાં જ્ઞાનસત્રોમાંની ‘સરવૈયું’ની બેઠકો દ્વારા ઉપાડી લીધું. અલબત્ત, જે કામ રણજિતરામ મહેતા, હીરાલાલ પારેખ, કે મધુસૂદન પારેખ એકલે હાથે કરતા એ કામ માટે ઉત્તરોત્તર વધુ ને વધુ મોટી વિવેચકોની ટીમ મેદાનમાં ઉતારવી પડે છે. પણ આ બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોને પ્રગટ કરવા અંગે આટલાં વર્ષોમાં કોઈ કાયમી અને નિયમિત વ્યવસ્થા ઊભી કરી શકાઈ નથી. ક્યારેક બધાં વક્તવ્યો ‘પરબ’માં છપાય છે, ક્યારેક અમુક થોડાં જ છપાય છે, ક્યારેક એક પણ નથી છપાતું. કેટલાક સમીક્ષકો પોતાનુ વક્તવ્ય અન્ય કોઈ સામયિકમાં છપાવવાની વ્યવસ્થા કરી લે છે, કેટલાક નથી કરતા તેમનાં વક્તવ્યો બોલાયા પછી હવામાં ઊડી જાય છે. આવી સ્થિતિને કારણે સરવૈયાની પ્રવૃત્તિ ભવિષ્યના અભ્યાસીઓ માટે બહુ ઉપયોગી બની ન શકે તેમ બને. પરિષદે સરવૈયાની બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોના નિયમિત પ્રકાશનની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડી લેવી જોઈએ. વાતની શરૂઆત ૧૯૦૯માં લખાયેલા રણજિતરામભાઈના શબ્દોથી કરી હતી. વાત પૂરી કરતાં પણ એ જ રણજિતરામભાઈના, એ જ લેખમાંના આ શબ્દો યાદ આવે છે : ‘આપણી પાસે પૈસો છે, યૌવન છે, બુદ્ધિ છે, ફક્ત તેનો સદુપયોગ કરવાની જરૂર છે.’*
____________________________________________
ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૭મા જ્ઞાનસત્રની ‘બે વર્ષના સાહિત્યનું સરવૈયું’ બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આપેલું વક્તવ્ય

e.mail : deepakbmehta@gmail.com

("અોપિનિયન", 26 માર્ચ 2013)

Loading

કોમાગાટા મારુ −

વિપુલ કલ્યાણી|Opinion - Photo Stories|19 March 2013

કોમાગાટા મારુ. − કૅનેડાના પશ્ચિમ કિનારે, ઇંગ્લિશ ઉપસાગરમાં, બ્રિટિશ કોલમ્બીઅા પ્રાંતના, વૅનકૂવર નામે બંદરી નગરની ગોદીમાં, નાંગરેલા જહાજનું અા એક દૃશ્ય. એ સાલ હતી 1914. ઠીક એક સૈકા પહેલાંનું અા ચિત્ર ચાડી ખાય છે તેમ, અહીં, સૌ કોઈ પાઘડીધારી હિન્દવી જમાતની જ નસ્સલ છે.

એક જપાની વહાણવટા પેઢીનું જ અા જહાજ. હૉન્ગ કૉન્ગથી ચીનમાં સાંઘાઈ થઈ, જપાનના યોકોહામા વાટે, તે વૅનકૂવર જવા રવાના થયેલું. અા કોમાગાટા મારુ જહાજમાં પંજાબથી ગયેલા 376 ઊતારુઅો હતા. તેમાંના 20 જ ઊતારુઅોને કૅનેડામાં પ્રવેશવા પરવાનગી અપાયેલી અને બાકીના 356 લોકોને ઊતરવા દેવાયા નહોતા અને હિંદ ભણી જહાજને હંકારી જવાનું દબાણ કરવામાં અાવેલું. તે ઊતારુઅોમાં 340 શીખ, 24 મુસ્લિમ અને 12 હિન્દુઅો હતા.

‘અાપ્રવાસ’, ‘દેશાંતર’, ‘અધિવાસ’ [immigration] — અા શબ્દને સૈકાથી ગંદો, ભદ્દો તેમ જ ઉપેક્ષિત ચિતરવામાં અાવી રહ્યો છે. પૂર્વગ્રંથિઅો અને અધકચરી વિગતમાહિતીઅો દેશાંતર તો શું, પરંતુ પ્રાંતાંતર પણ મુશ્કેલી સર્જે છે. દૂર ક્યાં જઈએ, ભારતનો દાખલો લઈએ તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયેલા લોકોને કેવા કેવા હડસેલા લેવા પડે છે તેની સિલસિલાભરી વિગતો સમૂહમાધ્યમોમાં ભરી પડી છે. … ખેર !

હિન્દુસ્તાનમાંથી લોકો દેશાંતર કરીને કૅનેડામાં પ્રવેશે નહીં તેને સારુ 1908ના અરસામાં પ્રતિબંધ મૂકવામાં અાવેલો. … તે દિવસોમાં સિંગાપોરમાં સરહાલીના ગુરદીતસિંહ ઢીલોન વસતા હતા. તે સિંગાપોરના જાણીતા માછીમાર હતા. તે કહેતા : ‘પ્રવાસ વાટે માણસોની દૃષ્ટિ વિશાળ બને છે. અાઝાદ મુલકોના નાગરિકો સાથેના અાદાનપ્રદાનને કારણે તેમનામાં સ્વતંત્રતાની લાગણીઅો ઊતરી અાવે છે. અને વળી, પરદેશી શાસકોને કારણે કમજોર બનેલી પ્રજાના માનસમાં અાવા પ્રવાસને લીધે અાઝાદીની હવા ફૂંકાવી શરૂ થાય છે.’ કૅનેડાએ દાખલ કરેલા અંકુશોનો તાગ તેમને અાગોતરો મળી ગયેલો. કૅનેડા-પ્રવેશ માટે પંજાબીઅોને જે હાલાકી નડતી તેની તેમને સમજણ પણ હતી. અાથી, વાડમાં છીંડા શોધવાનું તેણે રાખ્યું. અાવી છટકબારી હાથ લાગતા તેમણે જ અા કોમાગાટા મારુ જહાજ ભાડે કરવા મનસૂબો કર્યો. અામ, ગુરદીતસિંહે સાહસનો અા કેડો લીધેલો.

તે દિવસોમાં કૅનેડામાં એક બીજા ગુરદીતસિંહ હતા, જે ગુરદીતસિંહ જવાન્ડા તરીકે જાણીતા હતા. મૂળ હરિપુર ખાલસાના રહેવાસી અા પંજાબી સજ્જન 1906માં કૅનેડામાં સ્થાયી થયેલા પંજાબીઅોમાંના સૌ પ્રથમ પૂરોગામી હતા, તેમ ઇતિહાસ નોંધે છે.

બીજી તરફ, કહે છે કે, ગુરદીતસિંહ ઢીલોને હૉન્ગ કૉન્ગમાંથી, અા જ અરસે, એટલે કે જાન્યુઅારી 1914 વેળા, ‘ગદ્દર’ અાંદોલનનો પરચમ લહેરાવી જાણ્યો. કૅનેડા તેમ જ યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમી વિસ્તારોમાં જૂન 1913ના અરસામાં ‘ગદ્દર’ અાંદોલનનો બૂંગ્યો ફૂંકવામાં અાવેલો. હિંદમાં અંગ્રેજી શાસકોને તગેડી મૂકવાનો મૂળ અાશય અા અાંદોલનનો હતો. 

કોમાગાટુ મારુ ઘટનાને નામે તે દિવસોમાં સંઘર્ષ પણ થયાનું કહેવાય છે. હસ્સન રહીમ તથા સોહનલાલ પાઠક સરીખા અાગેવાનોએ ઠેર ઠેર સભા ભરી લોકો પાસેથી સહાય પેઠે ભંડોળ પણ એકઠું કરેલું. બરકતુલ્લા, તારકનાથ દાસ તેમ જ સોહન સિંહ જેવા ગદ્દર અાગેવાનો ય પોતાના અાંદોલનને સારુ જોમવંત પ્રચાર કર્યો અને લોકોને ગદ્દર તરફી કર્યાના હેવાલ મળે છે.

ભારત સ્વતંત્ર થયું, તે પછી, 1989ના અરસામાં વૅનકૂવરના શીખ ગુરુદ્વારામાં કોમાગાટા મારુ ઘટનાની યાદમાં એક સ્મારક તક્તિ જડવામાં અાવી હતી. તે પછી,સન 1994 દરમિયાન, વૅનકૂવર બંદરના વિસ્તારમાં ય એક અધિકૃત સ્મારક તક્તિ જડવામાં અાવી છે.  

Loading

‘… તમારી સાથે જ છું; પણ હવે જરા ત્યાં.’

વિપુલ કલ્યાણી|Opinion - Opinion|18 March 2013

મુઠ્ઠી ઊંચેરા એક અાદર્શ, મહેન્દ્ર મેઘાણીએ, અબીહાલ, ફેર સંભારી અાપેલું, ઉમાશંકર જોશીનું એક અવતરણ, અામ, બોલે છે : –

‘કેટલા બધા માણસો એવા છે જેઓ માત્ર ચૂપચાપ વાંચે છે. તેઓ કહેવા આવવાના નથી કે આ બરાબર લખ્યું છે કે બરાબર લખ્યું નથી; પણ બેઠાબેઠા એ આપણો તોલ કરે છે. એ લોકો સંકોચથી પોતાનો અભિપ્રાય પ્રગટ કરવાના નથી. પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે કાંઈ બોલ્યા, જે કાંઈ લખ્યું તે બધાનું જેઓમાં જોવાની શક્તિ છે તેવા વિચક્ષણ માણસો અવલોકન કરી રહ્યા છે. આપણી તેમની પ્રત્યે જવાબદારી છે.’

°
અા યાત્રાને અઢાર વર્ષ થયા. અને સહસા, દલપતરામ સાંભરે છે. એ કહે જ છે ને : ‘અન્યનું તો એક વાંકું અાપનાં અઢાર છે.’ ! … અા અઢાર શબ્દ મહત્ત્વનો છે. ભગવદ્ગોમંડલ અનુસાર, સંસ્કૃત સાહિત્યમાં 18ની સંખ્યા બહુ ઠેકાણે છે. મહાભારતનાં 18 પર્વ; મહાભારતમાં 18 અક્ષૌહિણી સૈન્ય; 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું; ગીતાના 18 અધ્યાય; 18 પુરાણ; 18 સ્મૃિત …  અારંભથી કેટલાક ‘અઢાર બાબુઅો’ પોતાના ‘અઢાર વાંકા …’ છતા કરતા રહ્યા; પણ તેમને ચાતરતાં રહી, પોતાને કેડે હીંડતા રહેવાને કારણે, માંહ્યલો સતત મગન રહ્યો. ટૂંકમાં, અા જાતરા સુખરૂપ રહી.

વારુ, પહેલાં પંદર વરસ મુદ્રણ અવસ્થામાં ગયા, તે પછીના ત્રણ વરસ ડિજિટલ અવતારે વિસ્તાર પથરાયો, અને હવે, વેબપેઇજ ક્ષેત્રે પ્રવેશી જઈએ છીએ. અા એક નવો ઉઘાડ હશે. વિશાળ પટ અને અનેકાનેક અજબગજબના પડકારો. તેનું સ્વાગત જ હોય. દરમિયાન, નિજી પરિવારવૃંદ સમેત, અારંભથી કેટકેટલાં સાથીસહોદરો, લેખકગણ, અને તેમાં ય ગુજરાતીલેક્સિકૉનના સરસેનાપતિથી માંડીને તેની સેનાએ મનસા-વાચા-કર્મણા હૂંફ અાપ્યા કરી છે. અને તેને કારણે અત્યાર સુધીનો અા પ્રવાસ સુખાન્ત જ અનુભવે છે. ધન્યતા અનુભવાય છે.

અા પ્રવાસ બીજી ઘણી રીતે મીઠો લાગ્યો છે : જૂઅો ને, કેટકેટલાં પુસ્તકો અા સામયિક વાટે પ્રગટ થયાં. દેશપરદેશના કેટકેટલાં કલમીઅોએ પોતાની ધાર સજીને કલમ મજબૂત કરી જાણી છે. તેમાંના અાજે મજબૂતપણે પોતાની ગતે માનભેર હીંડ્યા જ કરે છે. અાનંદની જ અવધિ.

ભલે, કનૈયાલાલ મુનશીએ કહ્યું હોય, ‘પણ ગુજરાતને સીમાડા નથી. … ‘ હકીકતે, સાંપ્રત ગુજરાતે પોતાના સીમાડા જડબેસલાક જ કર્યા છે. તેની સંસ્થાઅોએ, તેના વિદ્યાધામોએ, તેના અાગેવાનોએ એકાંતિક વલણ જ અાગળ કર્યું છે. અા નિષિદ્ધભાવને સતત પડકારવાનું કામ “અોપિનિયન” કરતું અાવ્યું છે. મુનશી કેવી ગરવાઈથી, 1937માં, કરાચી સાહિત્ય પરિષદમાં, અાપણને કહેતા હતા : ‘ગુજરાત અાજે જીવંત વ્યક્તિ છે કારણ કે અાપણા અાચાર ને વિચારો ‘ગુજરાતીતા’ની ભાવનાથી પ્રેરાયા અાવે છે. જ્યાં જ્યાં ગુજરાતીઅો વસે છે ત્યાં ત્યાં ભાવનાના નિર્ણયાત્મક પ્રાબાલ્યથી પ્રેરાઈ તેઅો બુદ્ધિપૂર્વક ભેગા મળે છે અને અામ ભવિષ્યનું સંકલ્પજન્ય ગુજરાત જન્મે છે.’ અા મુનશી સવાશતાબ્દીનું વરસ છે. અાપણે તો, ભઈલા, પોપટવાણીમાં પારવધા છીએ. તેમાં રાતદી રત રહી, ક્રિયાકાંડરૂપે અા મુનશી દીધું, લખ્યું બધું જપમાળે રટણ કરવાના જ છીએ; પણ, હકીકતમાં, છેવટે, સઘળું ખંખેરી કાઢી, ફરી પાછા, ખુદને જ કેન્દ્રમાં માણેકથંભની જેમ અારોપી, પોતાના ખેલમાં ગરકાવ થઈ જવાના !

જગતના વિવિધ ડાયસ્પોરાઅોમાં, ગુજરાતીઅોનો ય એક મોટોમસ્સ ડાયસ્પોરા છે. અા જમાતને ય પોતાના અનુભવો છે, પોતાનો ઇતિહાસ છે, પોતાની નબળાઈ-સબળાઈ પણ છે. તેના વિધવિધ પાસાઅોની સબળ વાત “અોપિનિયને” તેનાં પાનાંઅોમાં સતત કીધી છે. હજુ કહેતું રહેશે. ભીખુ પારેખ, ચંદ્રકાન્ત બક્ષી પછી, અા ક્ષેત્રે, “અોપિનિયન”નાં કામો ગૂંજે છે. અા તેની મહદ્દ દેણગી બની છે. ઇતિહાસ તેની ગવાહી પૂરશે.

26 માર્ચ 2013 "અોપિનિયન" અંકના 32-33 પાન પર, અબીહાલ, ફેઇસબુકના પાના પર ‘ડાયસ્પોરા’ અંગે જે ચર્ચા ચાલી તે શબ્દસહ લીધી છે. તેમાં જોડણી, વાક્યરચના કે વ્યાકરણ બાબત મીનમેખ કોઈ ફેરફાર કર્યો જ નથી. વાંચજો. વિચારજો. વાગોળજો. અાપણા એક અગ્ર કવિ, અનિલ જોશીએ, ચર્ચામાં સામેલ બની, કહ્યું છે : ‘ડાયસ્પોરા સાહિત્ય એ તૂત છે. ગુજરાતીના અધ્યાપકોની નવરાશની પ્રોડકટ છે. આપણે સહુ પૃથ્વીના ગ્રહ ઉપર માઈગ્રેટ થયેલા વસાહતીઓ જ છીએ. અમેરિકા હોય કે પછી યુરોપનો કોઈ પણ દેશ હોય એમાં રહેતો કવિસર્જક વિદેશી હોતો નથી, જેને ઘરઝુરાપો લાગતો હોય તો ભલે લાગે. સંતરાને સફરજન ન હોવા બદલ ઠપકો અપાય નહિ.’

અનિલ સાહેબને પૂછવા મન છે : તમે કયા અાધારે કહો છો કે ‘ડાયસ્પોરા સાહિત્ય એ તૂત છે’ ? કઈ શાસ્ત્રીય રીતરસમ, ભલા, તમે અાધારે લીધી છે ? કહેશો ? ‘તૂત’ માટે સાર્થ ગૂજરાતી જોડણીકોશ ‘બનાવટી વાત; જૂઠાણું; ગપ. (૨) તરકટ; પ્રપંચ; જાળ (૩) ચેષ્ટા; નખરાં’ અર્થ અાપે છે. એમને કયો અર્થ અભિપ્રેત હશે ? કોણ કહેશે ? એમણે અને એમના સરીખાએ કયું ‘ડાયસ્પોરિક‘ સાહિત્ય વાંચ્યું ? તેનો કેવો અભ્યાસ કર્યો ? ક્યાં છે તારણ ? કે પછી દેખીતા કોઈ કારણે, સાહેબ, તમે પૂર્વગ્રંથિને ઊલેચવાનો અાદર કર્યો છે ? ગુજરાતીઅો વિવેકબૃહસ્પતિ હોવાનું કહેવાય છે. તેથી, મશાલ લઈ ઘૂમતાફરતા અનિલ જોશી જેવા સાહિત્યકાર પાસે અાવી અપેક્ષા ન જ હોય. ‘જેને ઘરઝુરાપો લાગતો હોય તો ભલે લાગે’ જેવી વાત પણ તેમનાં લખાણમાં લગીર શોભતી નથી.

ભરત ત્રિવેદી, સંજુ વાળા, ચિંતન શેલત જેવાઅોએ જે દલીલ માંડી છે તેમાં ક્યાંક ઇશારો સૌરાષ્ટૃ યુનિવર્સીટીના ગુજરાતી વિભાગ સામે અને ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યને નામ પાટલો નાંખતા બળવંત જાની સામે હોય તો ય નવાઈ નહીં. એમણે કરેલાં અા સંપાદનો શાસ્ત્રીય ઢબે તપાસીએ તો દીવા સમ દેખાશે કે મહદ્દ કામ ડાયસ્પોરિક નથી જ નથી. પરંતુ એ માણસે કંઈક તો કર્યું છે ! … કાશ ! અા ચર્ચામાં સામેલ લોકોએ ઋતુલ જોશી અને પંચમ શુક્લે અાપી વિગતો ધ્યાને જોઈવાંચી હોત, તો … વૃદ્ધિ થવા પામી હોત !

દલિત સાહિત્યને, નારીવાદી સાહિત્યને, અનામત સાહિત્યને, અાદિવાસી સાહિત્યને, ડાયસ્પોરિક સાહિત્યને મુખ્ય પ્રવાહમાં એકરૂપ બની વહેવું જ છે. પરંતુ તે માટેનો માર્ગ ‘અૅસિમિલેશન’નો નહીં હોય; વિવિધતા સાથે એકતાનો હોય. અા અંકમાં દીપક મહેતાના અભ્યાસ અાધારિત લેખો સામેલ છે. સાહિત્યના ધૂરિણોએ ત્યારે ય વહેરોવંચો રાખ્યો જ હતો ને. તો અાજે ય તે ઘરેડમાં ધપતા રહેતા અા મામકા: પોતાની નાતમાં અન્યને સામેલ કરે, તે કામ કેવી રીતે બનશે ? હજુ ઘમંડ રાસડા લે છે.

મુનશી સવાશતાબ્દી અવસરે, મુનશીના લખાણો પકડીને એમણે સ્થાપી સંસ્થામાં અા વિશે વિષદ વાદ-સંવાદ અાદરી શકાય. એમણે શરૂ કરેલા “સમર્પણ”માં, ભૂલ્યો, અાજના “નવનીત – સમર્પણ”માં ય, અા બાબત ઘટતું પ્રગટ કરી શકાય. અનિલ જોશી અને મંડળીએ અાવું અાવું કામ કરવું રહ્યું.  

અાપણા એક શિરમોર નર્યા કવિ રાજેન્દ્ર શાહની એક કવિતા છે : ‘શોધ’.

કવિની પેઠે અાપણી ય શોધ જારી છે :   

હું જેની કરું શોધ આ લોકમેળે,

ન ક્યાંયે હજી એની ઝાંખી જણાતી.

જરા કૈંક આભાસ હો બોલચાલે,

નજર આ નિકટ દૂર રહેતી તણાતી.

અહીં હોય ના એવું યે શક્ય છે ના,

ઉરે તોય શંકા-કુશંકા વણાતી.

સમી સાંજની આ પ્રલંબાય છાયા,

લહું મેદનીને બધેથી છણાતી.

પગે ભાર, બેસું જઈ એક ધારે,

કરે અંધકારે ગ્રહી એ અણાતી.

દરમિયાન, અાપણા એક વિચારશીલ સંપાદક અને કવિ, યોગેશ વૈદ્યે, 1 માર્ચ 2013ના “નિસ્યંદન”માં લખ્યું છે, તેમાં, વાચક દોસ્ત, તમને દરેકને ભાગિયા કરવા મનસૂબો રાખ્યો છે. લો, વાંચો, વાગોળો :

‘હમણાં 21મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસ આવ્યો અને ગયો. આ નિમિત્તે કેટલાક વિચારો આવ્યા, પ્રશ્નો ઉદ્દભવ્યા આપણી માતૃભાષા વિશે, આપણા સાહિત્ય વિષે – તે અહીં ઉતારું છું.

‘કવિ સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ દ્વારા જાણ્યું કે બંગાળમાં આજે પણ રવીન્દ્રકવિતાની કોઈ સભા ભરાય છે ત્યારે કવિવર ત્યાં સાક્ષાત્ હાજર છે તેવી ભાવના સાથે મંચ પર એક સ્થાન ખાલી રાખવામાં આવે છે. એટલું જ નહીં કવિવર માટે વાણીકુમાર રચિત ત્રણ ગાન – રવીન્દ્રવંદના, રવીન્દ્રસ્તુિત અને રવીન્દ્રપ્રશસ્તિ ગાવાનો પણ ત્યાં રિવાજ છે. આપણે ત્યાં કોઈ કવિને આ સન્માન ક્યારે મળશે ? જાહેર સ્થળો, સંસ્થાઓમાં કવિઓના ફોટા નજરે ચડે છે ક્યાં ય ?

‘આપણે સહુ જાણીએ છીએ કે માત્ર કવિતા જ તેની લયાત્મકતા અને વ્યંજનાત્મક લાઘવને લઈને કોઈપણ ભાષાના વહન–વિસ્તરણ માટેનું એક પ્રબળ માધ્યમ બની રહેવાની શક્યતા ધરાવે છે. તે હાલરડું હોય કે પછી ખંડકાવ્ય હોય. તો, પ્રશ્ન થાય કે આપણી ગુજરાતી કવિતાનો વાચકવર્ગ કેવડોક છે ? જવાબ કડવો છે … કુલ ગુજરાતીભાષીઓનો માત્ર 3.5 % થી લઈને 5% સુધીનો વર્ગ જ તેની માતૃભાષાની કવિતા વાંચે છે ! અને તે પણ સત્તર વાડાઓમાંથી ટિપાઈને, વટલીને આવતી કવિતા ! આ અતિ પાતળા વાચકવર્ગમાં જ ઢબઢબીને રહી ગઈ છે આપણી સાહિત્યિક દુનિયા. સહુને પોતપોતાના પના પ્રમાણે વર્તુળો છે, પ્રકાશકો છે, વિવેચકો છે, વાહ વાહ છે, ભયોભયો છે ! આ ખોખલો વૈભવ આપણને કેમ કરીને પાલવે છે ? આપણા વાચકની ટકાવારી વધારવા આપણે કશું કરીએ છીએ ખરા ? ઊગી રહેલ વાચકપેઢીની રુચિ ઘડવા માટે પણ કંઈક વિચારવું ન જોઈએ ?

‘બદલી રહેલાં પ્રકાશન માધ્યમો પણ આપણાં ઘર સુધી આવી પહોંચ્યાં છે. આ નવાં માધ્યમોની સારી-માઠી અસરો વિષે પણ આ તકે સતર્ક થઈ જવું રહ્યું. આંખો બંધ કરી દેવાથી આવનાર આંધી ટળી જવાની નથી.

‘જ્યાં સુધી આપણાં ઘરોમાં આ ભાષા બોલાય છે, આ ભાષામાં સપનાં આવે છે, આ ભાષામાં હાલરડાં ગવાય છે, લગ્નગીતો, ભજનો, ગરબા ગવાય છે, આ ભાષા જીવતી તો રહેશે; પણ તેને ખરા અર્થમાં જીવંત, પરિવર્તનશીલ અને કાળજયી બનાવી રાખવા એક યોજનાબદ્ધ, વૈજ્ઞાનિક, વ્યાપક અને સર્વસ્વીકૃત અભિગમ સાથે કામ કરવાની જરૂરત છે જ છે.

‘અહીં પ્રશ્ન આવડતનો કે સાધનસંપન્નતાનો નથી; પ્રશ્ન સાચુકલા ભાષાપ્રેમનો અને તેની ખેવનાનો છે. અને આપણાં સાહિત્યિક પારિતોષિકોની સૂચિમાં ખેવના માટે કોઈ વિભાગ હોવાનું અમારી જાણમાં નથી.’

અાપણે, અાંતરમુખ બની ક્યારે ખુદને સવાલશું ? ક્યારે કરવટ બદલીશું ?


પાનબીડું :

ગઝલ                       • અનિલ ચાવડા



જ્યારથી એ જણ કશાની શોધમાં છે,


ત્યારથી આખું જગત વિરોધમાં છે.



ચાહું છું એને વધારે તીવ્રતાથી,


વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.



માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?


એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.



હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,


મારું એ મારી કથાના બોધમાં છે.



કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,


સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.



કવિની વેબસાઈટ : http://www.anilchavda.com/

("અોપિનિયન", 26 માર્ચ 2013)

Loading

...102030...4,1014,1024,1034,104...4,1104,1204,130...

Search by

Opinion

  • આર્ષદૃષ્ટા નેહરુનું ઇતિહાસદર્શન
  • અફઘાન સ્ત્રીઓના અંધકારમય-અનિશ્ચિત ભવિષ્યની પાછળ શું હશે?  
  • અદનો કર્ણ
  • નહેરુ સાથે તમે સંમત થાઓ કે ન થાઓ …
  • લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે …

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved