Opinion Magazine
Number of visits: 9697063
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વેડિંગ એનિવર્સરી

ગુણવંત વૈદ્ય|Opinion - Short Stories|7 April 2014

વર્ષપર્યંત જીવેલી પ્રત્યેક પશ્ચાતાપી ક્ષણ પછી એને માટે આવેલ એ દિવસ હતો … માફીનામું ફરી માગવાનો દિવસ.

'મેં આપને બેહદ સંતાપ આપ્યા છે, દર્પણ, ડેડી, મમ્મી મને માફ કરો .. હું પાપી છું …' એટલું કહેતા તો એ હિબકે જ ચડી. રૂબરૂમાં માફી માગવાની તો એનામાં હવે હિંમત જ ક્યાં રહી હતી? 

સ્વસ્થ થવા એણે ચહેરે પાણી છાંટ્યું. કપાળે લાલચટ્ટક ચાંદલો કરતી વખતે એના  બંને કાન પાછળ ફેલાતી જતી વાળની સફેદી એને સ્પષ્ટ દેખાઈ. કેટલાં બધાં વર્ષો વીતી ગયાં હતાં, એની છોકરમતમાં જ. પરંતુ  એ વાત સમજવાની અક્કલ કેટલી મોડી એને આવી હતી ? 

વિશુદ્ધ નિષ્પક્ષતાથી એની પોતાની વીતેલી જિંદગી એણે તપાસવાનું અભિયાન પછી તો શરૂ કર્યું …. માનસપટ ઉપર ચલચિત્રની જેમ ચિત્રો એક પછી એક ઉપસવા  માંડ્યા. 

જન્મથી જ એ ખૂબ જ જીદ્દી છોકરી હતી.  ગુસ્સો તો એનો એવો કે સાત આસમાન સુધી પહોંચે.  જૂઠાબોલી અને અવ્યવહારુ પણ એટલી જ.  છતાં મુખવટો તો  એ એવો હંમેશાં ચડાવેલો રાખે કે કોઈને તો એની આશંકા તલભાર પણ ન જ આવે. જબરું નાટક … અને સુધરેલી ભાષામાં એને ટેલંટ કહેતા નજદીકી મૂર્ખાઓ !!! એમના ઉત્સાહને પરિણામે જ તો એ લોકોને ઉલ્લુ બનાવવાનું ખૂબ જ સફળતાથી કરતી હતી ને? 

માબાપનું પ્રથમ સંતાન બાળમૃત્યુનો ભોગ બન્યા પછી એ જન્મી હતી એટલે લાડકોડ તો એને અતિશય મળ્યા, પણ એની જોડે જે શિખામણ પણ  મળવી જરૂરી હતી એ જરાયે ના જ મળી અને પરિણામે કોઈ અનિયંત્રિત નદીના વેગીલા પ્રવાહની જેમ એના મારગમાં આવનાર તમામનો સંહાર કરતી એ ધસમસતી જ રહી, ફાવે તેમ. એ ગાળામાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલ તેમ જ  સ્વભાવ અને સ્થિતિસંપન્ન એવા દર્પણની સાથે એના લગ્ન પણ થયા. પરંતુ ….. જીદ, ગુસ્સો, અપમાન કરવાની વૃત્તિ તેમ જ સ્વાર્થવૃત્તિ જેવા ઘણા અસુરો એનામાં ટોળે વળ્યા હતા.  …. દર્પણ, એના માતાપિતા અને  સહુ સંબંધીઓ એના મુખવટે જ છેતરાયા અને તે સૌને કેવળ મૂક પ્રેક્ષક જ કરી દીધાં.  તમામ અસુરોના એક જ સ્થળના સંગઠનનો પ્રત્યેક પગલે વિજય થતો જ રહ્યો. 

'હું બહુ જ જીદ્દી છું, મારા મનનું ધારેલું જ બધું કરું છું અને મારા માબાપે મને અત્યાર સુધીમાં કોઈ દિવસ કશું જ કહ્યું નથી કે કોઈ કામ સોપ્યું નથી.' લગ્ન બાદ પોતે આગળ પડીને  સાસુ સસરાને એણે રોકડું સંભળાવી જ દીધું. જાણે સંબંધની લાઈનદોરી જ બાંધી દીધી !!! 

જનેતાએ આપેલી શિખામણ  મુજબ જ એ વાક્યની સાથે જ સાસરિયા સામે વિના કારણ  યુધ્ધનું  જાણે કે એક રણશિંગુ જ એણે તો ફૂંકી દીધું હતું. પરંતુ એની ઊંડી ચાલનો ખ્યાલ તો દર્પણના સદ્દગુણી પરિવારના સરળ લોકોને તે વખતે ન જ આવ્યો. 

ત્યારબાદ પિયરથી દૂર થવાની પીડાએ તો સાસરામાં સહુને ત્રાસ દેવાની માત્રા એનામાં હજાર ગણી વધારી દેવાનું જ કામ કર્યું હતું. માન મર્યાદા બધું જ સદંતર ભૂલાયું. 

બિચારો દર્પણ અને એનાં માતાપિતા તો અચાનક ફાટેલા ન્ફ્ફ્ટાઈના વાદળોથી અધમૂઆં અને અવાચક જ રહી ગયાં. અમાનવીય વર્તાવના ધોધમારી વાવાઝોડાં અને ઉપરાછાપરી અગણિત પ્રલયકારી તોફાનોનો પછી તો રીતસરનો સુઆયોજિત મારો જ વૈદેહીએ શરૂ કર્યો. 

એમાં દર્પણ સહિત ત્રણ જીવન ઘસડાતા હતાં, ટકી રહેવા મથતા હતાં … બે વૃદ્ધ કાયા સમેત.

વૈદેહીને સમજાવવાના  એમના તમામ ઉપાય કારગર ન જ નીવડ્યા. એવા પ્રયાસોએ  વેદના વધારે જ આપી. 

આટલું બધું વીતતું હતું છતાં 'ક્યારેક તો એને એની ભૂલ સમજાશે, ક્યારેક તો એને એના કરતૂતો બદલ પસ્તાવો થશે જ'ની એક નાનકડી આશા દર્પણનામાં હજી જીવંત હતી અને એ જ એને દુ:ખો સામે ટકવા મનોબળ પૂરું પાડતી રહી.

પોતાના પતિ અને સાસુ સસરા ઉપર ગુજારેલા આવા અનેક સીતમો યાદ કરી કરીને વૈદેહી રડતી જ રહી, આ બધા જ પ્રસંગોની યાદ એને પ્રત્યેક ક્ષણે મારતી જ હતી. એને હવે એમ જ લાગ્યું કે એને પોતાને જીવવાનો જરા પણ અધિકાર નથી જ. પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ખોટેખોટી વાતો પિયરમાં કરતાં રહીને એમની વિરુદ્ધના જ અભિપ્રાય સતત ઊભા કરતા રહી, તેઓની નઠારી છાપ ઊભી કરવામાં એ આટલાં વરસોમાં સફળ રહી હતી, અને એ છાપની જ આડશમાં એમને વૈદેહીએ આપેલી પારાવાર યાતનાઓને યાદ કરી કરીને આજે પણ વૈદેહી ખૂબ જ દુ:ખી થતી હતી. 

એને થયું કે દેહત્યાગ કરવા દ્વારા તો એને પાપમાંથી મુક્તિ નથી જ મળવાની. જીવતા જીવ જ પસ્તાવો કરીને, ક્ષમા માંગતા રહીને પાપનો ભાર થોડો ઓછો કરવા સિવાય બીજો કોઈ જ ઉચિત રસ્તો એની સામે હવે બાકી રહ્યો હતો જ નહીં …….

એ વિચારે એણે સ્કાફમાં પોતાનું મો છુપાવી જ દીધું … હીબકા ચાલુ રહ્યા ….

સામે બિછાવેલી જાજમ ઉપર બીરાજેલો ટોમી બારણું ખૂલવાનો અવાજ સંભળાતાં ઊંચા કાન કરીને ભસવા માંડ્યો. એ પણ સફાળી ઊભી થઈ ગઈ અને ચહેરો સાફ કર્યો. 

'હેપી  એનિવર્સરી' ક્હેતો રાબેતા મુજબ ખુશહાલ ચહેરે દર્પણ દાખલ થયો. વૈદેહી દોડતી જઈને એને વળગી જ ગઈ. 

'એન્ડ ટુ યુ …' કહીને એણે દર્પણને પ્રેમનું પ્રતિક એવું સુંદર લાલ ગુલાબ આપ્યું અને મીઠું પ્રાયશ્ચિતી ચુંબન. 

જવાબમાં દર્પણે પણ પીઠ પાછળથી લાલ ગુલાબનો મઘમઘતો ગુલદસ્તો એને આપ્યો, અને દીર્ઘ ચુંબન. 

અહીં પણ દર્પણ આગળ જ નીકળી ગયો હતો ….. વૈદેહીનાં એક ફૂલની સરખામણીમાં આખો ગુલદસ્તો આપીને.

                   *                                    *                                     * 

'હજી તૈયાર નથી થયો?' બારી પાસે વિચારોમાં ખોવાયેલા દર્પણને રૂમમાં દાખલ થતા જ ઘાંટો પાડીને વૈદેહીએ વિચારોમાંથી જગાડ્યો. …. અને દર્પણનું રોમેન્ટિક દિવાસ્વપ્ન પણ તૂટ્યું … એક જ અવાજે એ વર્તમાનમાં આવી ગયો !!!

વૈદેહી સદેહે ત્યાં વાયુવેગે આવી પહોંચી હતી.

'ડાન્સમાં જવાનું મોડું થાય છે …. ચાલ, જલદી કર' એના બોલવામાં ગુસ્સો એ તો સામાન્ય વાત બની ચુકી હતી.  

'પણ ….'

'પણ શું ..?' એ દર્પણની એકદમ નજીક ધસી જ આવી, બનેના ઊના ઊના ઉચ્છવાસો અથડાયા, 'બરણીમાં સેવ ચેવડો છે જ એમને માટે ….' એની લાલઘૂમ  ફાટેલી આંખોમાંથી વરસતા અંગારાએ તો માનો બર્ફીલા સ્વભાવના દર્પણનામાં પણ આગ જ લગાડી દીધી. 

'પણ એમને બોખા મોંએ એ નહીં ફાવે ….' દર્પણે કહેવા ઈચ્છ્યું, પરંતુ …..

'… અને ટોમીને તો આજનો દિવસ નીતાબહેન જમાડી દેશે' કહેતી વૈદેહી તો ઓરડાની તરત જ બહાર પણ નીકળી ચૂકી હતી. 

કૈંક વિચારીને દર્પણ પણ એની પાછળ જ ગયો. 

અને પછી ……

બે વૃદ્ધોએ સટાક કરતો એક અવાજ પોતાની ઓરડીની દીવાલની બીજી બાજુએ થયેલો સાંભળ્યો  …

દશ દશ વરસથી મળતા રહેલા અમાનુષી ત્રાસથી દર્પણ હવે ત્રાહિમામ થઈ ગયો ….. અને પરિણામે …..

… પોતે સાચો હોવા છતાં આજે અંદર હતો.

વૈદેહીના જીદ, ગુસ્સો જેવા દુર્ગુણોને દર્પણે આખરે જીતાડી જ દીધા !!!! અને …

દિવાસ્વપ્નમાં સુધારાને રસ્તે પહોંચી ચૂકેલ વૈદેહી હકીકતમાં તો પહેલાં હતી ત્યાંને ત્યાં જ અડીખમ ઊભી જ હતી.

'વૃદ્ધ માટે જરાયે દિલ નથી પણ પાલતુ કૂતરા માટે એ હરામજાદીને ચિંતા હતી ……?' બસ, આ એક જ વિચારે  દર્પણનો અત્યાર સુધી જાળવેલો અમાપ ધીરજસ્ટોક ખત્મ કરી દીધો હતો. 

તોફાની દરિયો પાર કરીને કિનારા સુધી હેમખેમ પહોચવા આવેલું વહાણ આખરે એણે જાતે ડુબાડી જ દીધું …. એક ક્ષણનો ગુસ્સો કરીને  !!!

આગળનો હિસાબ બધો જ દર્પણે આ એક ક્ષણમાં જ ધોઈને સફાચટ કરી દીધો હતો, વૈદેહી માટે …!!!  

… અને પોતાનો બેદાગ ચહેરો કેવળ એક જ ક્ષણનો ગુસ્સો કરીને પૂરેપૂરો કલંકિત કરી દીધો !!! 

સળિયા પાછળથી જ સઘળા બનાવનું સરવૈયું કાઢવાનો પ્રયાસ કરતાં દર્પણને  'બે વૃધ્ધો પહેલાં કરતાં પણ વધુ દુ:ખી જણાયાં …….' ….. એ પોતે જ તો જવાબદાર હતો, એ માટે. 

પરદેશીઓના કયદાઓ સમજવામાં એણે જબરી ભૂલ કરી દીધી ….

ગુસ્સાની એ એક ક્ષણ જ જો એણે સાચવી લીધી હોત તો? 

e.mail : gunvantvaidya@outlook.com

Loading

ચીસો

વિજય શાહ|Opinion - Short Stories|7 April 2014

ફોન ઉપર ગાંધી સાહેબ ભારે હૃદયે કહેતા હતા કે ‘ભગવાન કરે ને મારી દશા પેલા લલિતભાઈ જેવી ના થાય.’

‘શું થયું જરા માંડીને વાત તો કરો?’

‘કેટલી માનસિક વિડંબના થાય, જ્યારે ડોક્ટર તમને યમરાજા થવાનું કહે?’

‘હેં? મોણ નાખ્યાં વિના કહો કે થયું શું?’ ગાંધી સાહેબે ખોંખારો ખાઈને શરૂ કર્યું.

‘મયૂરીબે’નની તબિયત બગડી એટલે લલિતભાઈ અને તેમનો દીકરો મૃગાંગ તેમને ઇમર્જન્સીમાં હ્યુસ્ટનની સાઉથ વેસ્ટ મેમોરિયલ હોસ્પિટલ લઈ ગયા. આમ તો તેમણે ભાન ગુમાવી દીધું હતું. તાબડતોબ તેમના બધા ટેસ્ટ લેવાયા અને ખબર પડી કે તેઓની સુગર ખૂબ વધેલી હતી અને ‘કોમા’માં જતા રહ્યા હતા. તેમનું કોલેસ્ટેરોલ અને આલ્બ્યુમીન પણ ઘણું ઊંચું હતું.

લલિતભાઈ નાસીપાસ થયા હતા. તેમાં કોમાનું નામ સાંભળ્યું એટલે એકદમ હક્કાબક્કા થઈ ગયા. મૃગાંગ વાતો બધી સમજતો હતો અને તેથી ડૉક્ટરને પૂછતો હતો, તરત સારવાર મળી ગઈ છે તે તબક્કામાં મમ્મી બચી જશે ને?

ડોક્ટર નિરાશામાં માથું હલાવતા બોલ્યા, જોઇએ શરીર કેટલો ટેકો આપે, તેના ઉપર બધો જ મદાર. બ્રેઈન ડેડ છે. મયૂરીબહેનની આંખો ખુલ્લી હતી પણ હલન ચલન બીલકુલ નહતું. ડોક્ટર જે કહેતા હતા તે બધુ તેમને સંભળાતું હતું.

ડૉક્ટર કહે, ‘કોમામાં જવું તે શરીરની સંરક્ષણ પ્રક્રિયા છે અને જવલ્લે જ કોઈ પાછું વળે છે.’

મૃગાંગ કહે, ‘એવું ના કહો, ડૉક્ટર સાહેબ.’

‘જુઓ ચમત્કાર થાય છે. પણ હજારે એકાદ બે દર્દીઓમાં, ખાસ કરીને જેમનું મનોબળ મક્કમ હોય તેમનામાં.’

‘મયૂરી તો સખત મનોબળ વાળી છે. તે જરૂર પાછી આવશે જ.’ લલિતભાઈએ આશાવાદ રજૂ કર્યો.

ડૉ.રોબ જોનાથન ગયા.નર્સને દવાના ડોઝ લખી આપ્યા. સ્ટરાઇલ વૉટર સાથે ઇન્સ્યુિલન અને અન્ય દવા જતી હતી.

લલિતભાઈ હોસ્પિટલે રોકાયા અને મૃગાંગ ઘરે ગયો. લલિતભાઈએ ઇમર્જન્સીનું બીલ ક્રેડીટ કાર્ડથી ચૂકવ્યું. હજી દવાઓ તો મૃગાંગ લઈને આવવાનો હતો.

મયૂરીબહેન સ્થિર આંખે છતને જોઈ રહ્યાં હતાં. તેમનું મન લલિતને ઝંખતું હતું. લલિત તેમના સ્થૂળ હાથને મૃદુતાથી પંપાળતો બાજુમાં બેઠો બેઠો રડતો હતો.

અમેરિકાનું આ દુઃખ ! આવે સમયે તમે કાયમ એકલા જ હો !

મયૂરીબહેન અંતરથી ઇચ્છતાં નહતાં કે લલિત રડે. તેઓ તો અંદરથી ઊભા થઈને કહેતાં હતાં.  ના, લલિત, હું કંઈ અધવચ્ચે છોડીને જવાની નથી. મારી દવાઓ તો તેં ચાલુ કરાવી દીધી છે ને? મને સારું થઇ જશે! મયૂરી ઝઝુમતી રહી. તેણે મક્કમતાથી પોતાની જાતને કહ્યું, તે તો હજી ૬૭ની છે. તેના ઘરનાં બધા વડીલોએ આઠ દાયકા તો જોયા છે. 'હું કંઈ વહેલી નહીં જઉં'. મૃગાંગનો મૌલિન તો મને શ્વાસ પ્રાણ વહાલો છે. તેને ગ્રેજ્યુએટ થતો જોવાનો બાકી છે. તેને ઘોડે બેસતો જોવાનો બાકી છે!

રાત વહેતી જતી હતી આખા દિવસનો થાકેલ, લલિતની આંખ મળી ગઈ અને તે ઝોકે ચઢી ગયો. તેની તંદ્રામાં તે મયૂરીને રીબાતી અને પીડાતી જોઈ રહ્યો હતો. આમે ય ભારેખમ ટુનટુન જેવું શરીર અને વકીલ એટલે વહેવાર કે વહાલ તો સમજે નહીં ફક્ત દલીલ વાંધા અને વચકા. તેને કેટલી ય વાર ના કહી હતી કે આમ લચકે લોળ ઘી ના ખા. તારે માટે સારું નથી પણ લલિત! 'થોડું ખાઈશ તો મરી નહીં જઉં', ત્યારે ધુંધવાઈને લલિત બોલતો,' કે મરી જવાય તો તો ઠીક પણ ક્યાંક અધવચ્ચે લટકી ગઈ તો ઇંજેક્શન ખાશે તું અને ગજવા ખાલી મારા થશે'.

અને જો એવું જ થયું ને? એક રાતનાં ૧,૫૦૦ ડોલર ચાર્જ થયો અને દવાઓનું બીલ બીજું ૨,૦૦૦ ડોલર જેવું થશે. આ તો મેડીકેર છે તેથી આટલું જ બીલ થયું! જો મેડીકેર ના હોત તો પચ્ચીસ ત્રીસ હજાર તો ફેંકી દેતા થઈ જતે.

નર્સ આવીને ફરી લોહી લઈ ગઈ. ખખડાટ થયો એટલે લલિત ઝબકી ને જાગી ગયો. નર્સે તેમને શાંતિથી રેસ્ટ ચેરમાં લંબાવવા સૂચવ્યું. લલિત કહે, ‘ના, મને રીપોર્ટ્માં સુગર વિશે જણાવજો, હું જાગું છું.”

તેનું આંતર મન વારંવાર એની જાતને એ જ પ્રશ્ન પૂછી રહ્યું હતું. 'શું કરીશ? જો એ કોમામાંથી પાછી ન ફરી તો? આખરે તો હું ય માણસ છું ને? ખોટ જવાની નક્કી જ હોય તો ઓછી ખોટ કેવી રીતે લેવાય તે જ વિચારવું રહ્યું ને?’

હૃદયે ટહુકો કર્યો ‘પણ લલિત આ મયૂરીની વાત છે. દ્રઢ મનોબળવાળી તો તે છે, પાછી આવી જશે!’

મને પ્રતિપ્રશ્ન કર્યો ‘પણ ક્યારે?’ હૃદય પાસે કોઈ જવાબ નહતો.

નર્સ કહે, અત્યારે લોહી જે રીતે ઘટ્ટ થઈ રહ્યું છે તે મુજબ તો હજી આશા નથી, પણ ડોક્ટર રીપોર્ટ જોઈને વધુ વાત કરશે.

મયૂરી આ સાંભળતી હતી અને તે ગુસ્સે થતી બોલી, ‘નર્સ! તારું ડહાપણ ના ડહોળ. તારા પર મોટો કેસ ના ઠોકી દઉં તો કહેજે મને!’ પણ તેના ગળામાંથી અવાજ નીકળતો તેણે અને કોઈએ ના સાંભળ્યો. લલિતને આર્દ્ર થતો વિચારી તે પણ નિરાશા અનુભવતી હતી. તે મનમાં ને મનમાં બોલતી હતી. લલિત, મને માફ કરજે. મેં તને બહુ જ દુભવ્યો છે. એક વખત આ હુમલામાંથી જો બહાર આવીશ તો બધું વ્યાજ સાથે પાછું વાળી દઈશ. મને ખબર છે, મને તારે માટે પ્રેમ બહુ છે પણ માન બીલકુલ જ નથી. તું એન્જીનિયર તેથી કમાયો ઘણું પણ આ તારી આવડત તેં તારા માટે, તારા પોતાના ધંધામાં વાપરી હોત તો કદાચ આનાથી પણ વધુ સમૃધ્ધ તું હોત!

નર્સે આવીને રીપોર્ટ આપતા કહ્યું, ‘દવાની બીલકુલ જ અસર થતી નથી. તેઓ વેજીટેટિવ અવસ્થામાં છે. ડોક્ટરનું માનવું છે કે કાગળિયા પર સહી કરી આપો, જેથી બેડ ખાલી કરાય.’

‘શું?’ મયૂરીથી રાડ પડાઈ ગઈ.

લલિત ફરીથી આંસુઓમાં ઘેરાઇ ગયો. રાતનાં બાર વાગ્યા હતા મૃગાંગને ફોન કર્યો અને ડોક્ટર જોનાથને ટ્યુબ કાઢી નાખવાની વાત કરી છે તેવું રડતાં રડતાં જણાવ્યું. મૃગાંગ કહે ‘પપ્પા! હું આવું છું.’

‘જો બેટા, તારે આવવાની જરૂર નથી. આ તો તને જણાવવાની જરૂર લાગી એટલે જણાવ્યું. આમે ય તારી મમ્મી અને મેં સુખી દાંપત્યજીવનનાં ૪૨ વર્ષો તો સાથે કાઢ્યાં છે હવે તેને કોમામાં પીડાતી રાખવી અને પૈસાનું પાણી કરવું એ ના પોષાય તેથી હું બહુ વિચારીને એ જ નિર્ણય ઉપર આવ્યો છું કે ડોક્ટરની વાત માનીને કાગળિયા પર સહી કરી દઈશ.

મયૂરી ચીસો પાડી પાડીને કહેતી હતી, ‘લલિત, તું મારું ખૂન કરે છે. આવું ના કર,' પણ તેની ચીસો ક્યાં કોઇને સંભળાતી હતી ?

13727 Eldridge Springs way Houston TX 77083 USA

Loading

અંદાઝે બયાં અૌર – 3

દીપક બારડોલીકર|Opinion - Literature|6 April 2014

ઉર્દૂ કાવ્યસાહિત્યમાં એક શેર એવો છે, જે દરેક યુગમાં તાજો, તર, પ્રફુલ્લ – fresh રહેવાને સર્જાયેલો છે. કાળનો સ્પર્શ એને મ્લાન કરી શકતો નથી, કરી શક્યો નથી. વળી, એ શેર સાદી ભાષામાં કહેવાયો છે. ભાષાની ભભક સાથે એને સંબંધ નથી. બે ચોપડી ભણેલા ય જાણી – માણી શકે એવો છે એ શેર :

તુમ મેરે પાસ હોતે હો ગોયા
જબ કોઈ દૂસરા નહીં હોતા !

‘ગોયા’ શબ્દ અા શેરનો પ્રાણ છે. અગર એ શબ્દ ખસેડી દેવામાં અાવે તો, બેટરી વગરના ખિલોણા જેવો, સ્થૂળ – નિશ્ચેતન અા શેર બની જાય. ગોયા શબ્દના અર્થ છે : બોલનાર, ઉમદા વાતચીત કરનાર, હૂબહૂ, ના જેવું, હમ શિકલ જાણે. હવે અા અર્થને લક્ષમાં રાખીને અા શેરને પુન: પુન: વાંચો, મન વાહ વાહ કરી ઊઠશે.

અા શેરના રચયિતાનું નામ છે મોમિન ખાન મોમિન. જન્મ ઇ.સ. 1800માં – દિલ્હીમાં. પિતા ગુલામનબીખાઁ હકીમ હતા. મોમિન પણ હકીમ. પ્રતિષ્ઠ શાયર હોવા સાથે જ્યોતિષવિદ્યાના પણ સારા જાણકાર હતા. યાદદાસ્ત એટલી સારી કે એક વાર વાંચેલું, સાંભળેલું ભૂલતા ન હતા. વટના કટકા એવા કે કોઈનું એહસાન લેતા ન હતા. ગઝલના ઉસ્તાદ હતા. એ સિવાય મસનવી પણ લખતા. અાશિક મિજાજ ને ઉમદા લિબાસ પરિધાન કરનારા અાદમી હતા. ખાસા વિવેકી પણ ખરા. નવાબ અસગરઅલીખાઁ નસીમ, શાહઝાદા ખુદાબક્ષ ક્યસર, હકીમ મુનવ્વરઅલી અાશિક્તા વગેરે તેમના શિષ્યો હતા. શતરંજના એક અચ્છા ખેલાડી હતા. 1852માં અવસાન થયું હતું.

ઈશ્ક એક ઉમદા લાગણીનું, સુકોમળ મનોભાવ, વૃત્તિનું નામ છે. મનુષ્ય એ રીતે જ એને અપનાવે છે. પરંતુ જીવનમાં કેટલીકવાર એવા સંયોગો, એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે, જ્યારે તે પોતાની માન્યતાથી વિપરીત વાત પણ કરે છે. ઈશ્ક મિજાજ કવિ મોમિનને કદાચ એવો જ કોઈક ધક્કો લાગ્યો હશે અને એથી તેમણે અામ કહ્યું હશે :

કહેર હય, મૌત હય, કઝા હય ઈશ્ક
સચ તો યે હય, બૂરી બલા હય ઈશ્ક

દેખિયે કિસ જગહ ડૂબો દેગા
મેરી કશ્તી કા નાખુદા હય ઈશ્ક

ખુદા જાણે ઈશ્કથી, સાચું કહીએ તો પ્રિયતમાથી, તેના અસહ્ય એવા નાઝનખરાથી કેવા કંટાળ્યા હશે કે ઈશ્કને મૌત, કહેર ને બૂરી બલા કહી ગયા ! વળી કહે છે કે અા ઈશ્ક મારા વહાણનો નાવિક છે − એ અહીં નહીં તો અન્યત્રે, પણ ડૂબાડશે જરૂર ! … 

ગમે એમ, પણ પ્રેમી, શાયર અામ સહેલાઈથી ડૂબી જાય એવા નથી હોતા. ઈશ્કની, પ્રિયતમાની બેવફાઈ સામે તરેહવાર યુક્તિ અજમાવે છે; ચેતવણી અાપે છે :

અબ અૌર સે લો લગાયેં ગે હમ
જૂં શમ્અ તુઝે જલાયેં ગે હમ

‘તૂ નહીં અૌર સહી !’ ક્યાંક બીજે દિલ લગાવીશું અને તમને બાળીશું, દીવો બળે છે એ રીતે નખશિખ બાળીશું, ચેનથી રહેવા દેશું નહીં !

બરબાદ ન જાયે ગી કદૂરત
કયા ક્યા તેરી ખાક ઉડાયેં ગે હમ

તેં અમને બર્બાદ કરવા ઇચ્છ્યું છે ને વેર બાંધ્યું છે તો અમારો જવાબ પણ મોં તોડ હશે. કીના – કપટને, વેરઝેરને અમે વ્યર્થ જવા દેશું નહીં. બરાબર, તારી ખાક ઉડાવીશું. તને રૂસ્વા કરીશું, બર્બાદ કરી દેશું, − પરંતુ સૌંદર્ય એક અજબ તાસીર રાખે છે. પથ્થરને ય પાણી કરી નાખે છે. એનો એક ઈશારો, એક અંગવિક્ષેપ કેટલા ય કરડા નરોને ચરણોમાં બેસાડી દે છે :

નાવક અંદાઝ જિધર દીદએ જાનાં હોં ગે
નીમ બિસ્મિલ કઈ હોં ગે, કઈ બેજાં હોં ગે

સૌંદર્યની, સુંદરીની તીરછી નજર કયામતથી કમ નથી હોતી. કોઈ નરદમ, નિરોગી સૌંદર્યની તીરંદાજ દૃષ્ટિ જ્યાં પડે છે ત્યાં એક અાફત ઊતરી અાવે છે. કેટલા ય સૌંદર્યપ્રેમીઅો બિસ્મિલ થઈ તરફડવા લાગે છે. તો કેટલા ય પોતાના પ્રાણથી હાથ ધોઈ નાખે છે !

અા દુનિયા છે અને અહીં ઘણું ઘણું થાતું રહે છે. સતત થાય છે. ન થવા જેવું પણ થાય છે. મોમિન અા પ્રક્રિયાનો લાભ લઈ કહે છે :

તુમ હમારે કિસી તરહ ન હુએ
વરના દુનિયા મેં ક્યા નહીં હોતા !

પરંતુ સનમ, પ્રિયતમા તો અાખરે પ્રિયતમા હોય છે ને ! એના નખરાનો પાર હોતો નથી. વળી સનમનો એક બીજો અર્થ પથ્થરની પ્રતિમા થાય છે. સનમના અા શબ્દાર્થોને લક્ષમાં રાખીને કવિ મકતામાં કહે છે :

ક્યું સુને અર્ઝે મુઝતર અય ‘મોમિન’
સનમ અાખિર ખુદા નહીં હોતા

મઝતર એટલે નુકસાનગ્રસ્ત, બેબસ, નિ:સહાય. મોમિન કહે છે કે હાનિ પામેલા – બેબસ અાદમીની ફરિયાદ તો સર્જનહાર સાંભળે છે. તે જ બેબસની વહારે અાવે છે. અા સનમ તો સનમ છે. સર્જનહાર નથી. એ અાપણી ફરિયાદ શા માટે સાંભળે ? એની સામે ફરિયાદ કરવી વ્યર્થ છે. એ પથ્થર છે પથ્થર કદી કોઈનું સાંભળતા હશે ?

અામ છતાં લોકો પ્રેમ કરે છે. પ્રિયતમાથી ઘણી અાશાઅો રાખે છે. અાવી અાશા રાખનારા કેટલાક સફળ પણ થતા હશે. પણ ઘણા તો નિષ્ફળ જ જતા હોય છે. દુ:ખી થાય છે. પસ્તાવો કરે છે. મોમિન એ સંદર્ભે કહે છે કે :

ઈક હમ હંય કે હુએ ઐસેં પશેમાન કે બસ
ઈક વહ હય કે જિન્હેં ચાહ કે અરમાન હોં ગે

અમે તો ખરેખરા પસ્તાયા છીએ, પ્રેમ કરીને. એ ભાઈ, તમે એના અરમાન ન રાખો નહીં તો પસ્તાશો. વેરણછેરણ થઈ જશો. − પરંતુ જેનું સમગ્ર જીવન ઈશ્કે બુતાં પ્રિયમાના નાઝનખરા ઊઠાવવામાં વીત્યું હોય તેવા અાદમી પર અાવી સુફિયાણી સલાહથી કોઈ અસર થાતી નથી. પાડાની પીઠ ઉપર પાણી :

ઉમ્ર સારી તો કટી ઈશ્કે-બુતાં મૈં ‘મોમિન’
અાખરી વક્ત મેં ક્યા ખાક મુસલમાં હોં ગે !

શાયરે અા શેરમાં પ્રતિમાપ્રેમનો લાભ લીધો છે અને પ્રતિમાપરસ્તી અને ખુદાપરસ્તીને સામસામે ગોઠવી શેરને અત્યન્ત સુંદર અને અર્થપૂર્ણ બનાવી દીધો છે. − જેણે જીવનભર બુતપરસ્તી કરી હોય તે અંતિમ કાળે શું ખાક મુસલમાન થવાનો હતો !

અને મોમિનની અા ગઝલ તો માસ્ટરપીસ છે. એ ન વાંચી તો મોમિનનું કંઈ વાંચ્યું નહીં. ‘તુમ્હેં યાદ હો કે ન યાદ હો’. − થોડા અશઅાર :

વહ જો હમ મેં તુમ મેં કરાર થા, તુમ્હેં યાદ હો કે ન યાદ હો
વહી યઅની વઅદહ નિબાહ કા તુમ્હેં યાદ હો કે ન યાદ હો

વહ જો લુત્ફ મુઝ પે થે પેશતર વહ કરમ કે થા મેરે હાલ પર
મુઝે સબ હય યાદ ઝરા ઝરા તુમ્હેં યાદ હો કે ન યાદ હો

કભી હમ મેં તુમ મેં ભી ચાહ થી કભી હમ સે તુમ સે ભી રાહ થી
કભી હમ ભી તુમ ભી થે અાશના તુમ્હેં યાદ હો કે ન યાદ હો

જિસે અાપ ગિનતે થે અાશના જિસે અાપ કહતે થે બાવફા
મૈં વહી હું મોમિને મુબતલા તુમ્હેં યાદ હો કે ન યાદ હો

અઘરા શબ્દોના અર્થ :

પેશતર = પહેલાં, પૂર્વે. રાહ = પંથ, કેડી ગરજ, મેળમિલાપ, મૈત્રી. અાશના = પરિચિત, મિત્ર, યાર, પ્રેમી. મુબતલા = ગિરફતાર, ફસેલો, પકડાયેલો, ઉલઝેલો, અાશિક.

કવિ ‘તુમ્હેં યાદ હો કે ન યાદ હો’ કર્યા કરે છે. કદાચ એટલા માટે કે એ જાણતો હશે કે સુંદરીઅોની, પ્રિયતમાઅોની યાદદાસ્ત નબળી હોય છે. તેમને યાદ રાખવા જેવી ઘણી વાતો યાદ રહેતી નથી. ખાસ કરીને મિલનના વાયદા તો યાદ રહેતા જ નથી. કદાચ એ કારણ હશે કે પ્રેમીઅો અકસર કકળાત કરતા રહે છે.

રોયા કરેં ગે અાપ ભી પહરોં ઈસી તરહ
અટકા કહીં જો અાપ કા દિલ ભી મેરી તરહ

મારી માફક અગર તમારું હૃદય જો ક્યાંક ભેરવાયું તો પછી જો જો ! પહોરોપહેર, ઘરને ખૂણે અશ્રુ સારતાં પાર નહીં અાવે. પરંતુ પ્રેમી કોને કહ્યા ! તે ક્યાં તકલીફની પરવા કરે છે. પ્રિયતમા ઘાસ ન નાખે, અાગતાસ્વાગતા ન કરે તો પણ તેની મહેફિલમાં જવાનું ચૂકતા નથી. જુઅો, મોમિન શું કહે છે :

ન જાયે વાં બને હય, ન બિન જાયે ચૈન હય
ક્યા કીજિયે, હમેં તો હય મુશ્કિલ સભી તરહ

તેની મહેફિલમાં ન જવાનું શક્ય નથી ને ન જવા ઇચ્છીએ તો બેચેની રહે છે. જીવ ફફડે છે ! − અમારે તો દરેક રીતે મુશ્કેલી છે. મુસીબત છે ! કહો, શું કરીએ ! છે કોઈ ઉપાય ?

[136 Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR. U.K.]

Loading

...102030...4,0244,0254,0264,027...4,0304,0404,050...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved