Opinion Magazine
Number of visits: 9664844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આકાશદર્શન 

નવીન ગાંધી|Gandhiana|5 February 2025

નીચેના ૫ત્ર પરથી બાપુજી આકાશદર્શનમાં કેટલો ઊંડો રસ લઈ રહ્યા છે અને બીજાંઓને પણ એ રસમાં ભાગ લેવા કેવા આકર્ષી રહ્યા છે એનો ખ્યાલ આવશે :

ચિ. રમા,

તારાનો નકશો ઘણે ભાગે આ સાથે હશે. તે ઉપરથી ખબર પડશે.

આઠ વાગે સૂતાં સૂતાં માથા ઉપર પણ જરા પશ્ચિમે ને દક્ષિણે ચાર સુંદર તારા ને તેની વચ્ચે ત્રણ એવું નક્ષત્ર દેખાશે. તેનું નામ મૃગ. એની પૂર્વે ને દક્ષિણે બહુ ચળકતો તારો દેખાશે તે વ્યાધ છે. એને મોટો કૂતરો પણ કહે છે. એની જ લીટીમાં પણ ઉત્તરે નાનો કૂતરો છે, તે ઓછો ચળકે છે. મૃગની ઉત્તરે (આકૃતિ) આવું નક્ષત્ર છે તે મિથુન. તેની ઉપર (આકૃતિ) આવું છે. એને વેલનો અગ્ર ભાગ કહે છે. એમાં એક સુંદર લાલ તારો છે. તેની જ પડખે કૃતિકા નક્ષત્ર છે તે લોલક જેવું ઝગમગે છે. લંકા જેવો તેનો ઘાટ છે. વેલના અગ્ર ભાગની પૂર્વે બ્રહ્મહૃદય છે. આટલું ઓળખો પછી બીજું લખીશ આ તો સહેલું છે. તેમાં જેટલો રસ પૂરીએ તેટલો રસ પૂરાય. પણ આજે તો આટલો જ પૂરાય એમ છે.

26-3-33

બાપુના આશીર્વાદ.

અન્યત્ર બાપુ લખે છે :

આકાશનું સામાન્ય જ્ઞાન મેળવવાની ઊંડે ઊંડે ઈચ્છા તો ઘણી વાર થયેલી, પણ પાસે પડેલી પ્રવૃત્તિ મને એમાં ન ખૂંચવા દે એમ માન લીધું. એ માન્યતા વસ્તુત: ભલે ને ખોટી હોય, પણ મારું મન ભૂલ ન જુએ ત્યાં લગી મને તો તે માન્યતા પ્રતિબંધ કરે જ. 

’31ની સાલના જેલના છેલ્લા માસમાં એકાએક ધગશ થઈ. બાહ્યદૃષ્ટિએ જ્યાં સહેજે ઈશ્વર છે તેનું નિરીક્ષણ હું કેમ ન કરું? પશુની જેમ આંખ માત્ર જુએ, પણ જે જુએ તે વિશાળ દૃશ્ય જ્ઞાનતંતુ લગી ન પહોંચે એ કેવું દયાજનક? ઈશ્વરની મહાન લીલા નીરખવાની આ તક કેમ જવા દેવાય ? આમ આકાશની ઓળખ કરવાની જે તરસ લાગી તે હવે છિપાવી રહ્યો છું, અને એટલે લગી આવ્યો છું કે આશ્રમવાસીઓને મારા મનમાં ઊડતાં તરંગોના ભાગીદાર બનાવ્યા વિના ન જ ચાલે.

આપણને બચપણથી શીખવવામાં આવે છે કે આપણાં શરીર પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ નામનાં પંચમહાભૂતનાં બનેલાં છે. આ બધાં વિશે આપણને કંઈક જ્ઞાન તો હોવું જ જોઈએ. છતાં આ તત્ત્વો વિશે આપણને બહુ ઓછું જ્ઞાન હોય છે. અત્યારે તો આપણે આકાશ વિશે વિચારવાનું છે.

03 ફેબ્રુઆરી 2025

°°°

બાપુ આગળ લખે છે :

આકાશ એટલે અવકાશ. આપણા શરીરમાં અવકાશ ન હોય તો આપણે એક ક્ષણ પણ ન જીવી શકીએ. જેમ શરીરને વિષે તેમ જ જગતને વિષે સમજવું. પૃથ્વી અનંત આકાશથી વીંટળાયેલી છે. પૃથ્વીને છેડા છે. તે નક્કર ગોળો છે. તેની ધરી 7,900 માઈલ લાંબી છે. પણ આકાશ પોલું છે. તેની ધરી માનીએ તો તેને અંત નથી. આ અનંત અવકાશમાં પૃથ્વી એક રજકણસમ છે, ને તે રજકણ ઉપર આપણે તો તે રજકણનું પણ એવું એક તુચ્છ રજકણ છીએ કે તેની ગણતરી જ ન થઈ શકે. આમ શરીરરૂપે આપણે શૂન્ય છીએ એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ કે અલ્પોક્તિ નથી. આપણા શરીરની સાથે સરખાવતાં કીડી-શરીર જેટલું તુચ્છ લાગે છે તેથી હજારોગણું પૃથ્વીની સાથે સરખાવતાં આપણું શરીર તુચ્છ છે. તેનો મોહ શો? તે પડે તો શોક શો?

આ શરીર આમ તુચ્છ હોવા છતાં તેની મોટી કિંમત છે; કેમ કે તે આત્માનું, અને સમજીએ તો પરમાત્માનું – સત્યનારાયણનું – નિવાસસ્થાન છે.

આ વિચાર જો આપણા હૃદયમાં ઘર કરે તો આપણે શરીરને વિકારનું ભાજન બનાવવાનુ ભૂલી જઈએ. પણ જો આકાશની સાથે આપણે ઓતપ્રોત થઈએ અને તેનો મહિમા સમજી આપણી અધિકાધિક તુચ્છતા સમજી લઈએ તો આપણો બધો મદ ઊતરી જાય. આકાશમાં જોવામાં આવતા અસંખ્ય દિવ્ય ગણો ન હોય તો આપણે ન હોઈએ.

ખગોળવેત્તાઓએ ઘણી શોધો કરી છે. છતાં આકાશ વિષેનું આપણું જ્ઞાન નહીંવત્ છે. જેટલું છે તે આ૫ણને સ્પષ્ટ રીતે બતાવે છે કે આકાશમાં સૂર્યનારાયણ એક દિવસને સારુ પણ પોતાની અતંદ્રિત તપશ્ચર્યા બંધ કરે તો આપણો નાશ થાય. તેમ જ ચંદ્ર પોતાનાં શીત કિરણો ખેંચી લે તો પણ આપણા એ જ હાલ થાય. અને અનુમાનથી આપણે કહી શકીએ છીએ કે રાત્રિના આકાશમાં જે અસંખ્ય તારાગણ આપણે જોઈએ છીએ તે બધાને આ જગતને નિભાવવામાં સ્થાન છે. એમ આપણો આ વિશ્વમાં બધા જીવોની સાથે, બધા દેખાવો(દૃશ્યો)ની સાથે બહુ ગાઢ સંબંધ છે, ને એકબીજાના આશ્રયે આપણે ટકીએ છીએ. એટલે આપણે આપણું આશ્રયદાતા-આકાશમાં વિચરતા આ દિવ્યગણો-નો થોડોઘણો પરિચય કરવો જ જોઈએ.

04 ફેબ્રુઆરી 2025

°°°

બાપુ આગળ લખે છે :

“આ પરિચયનું એક વિશેષ કારણ પણ છે. આપણામાં કહેવત છેઃ ‘ડુંગરા દૂરથી રળિયામણા.’ આમાં બહુ તથ્ય છે. જે સૂર્ય આપણે દૂર હોઈએ ને આપણું રક્ષણ કરે છે તે જ સૂર્યની પાસે જઈને આપણે બેસીએ તો તે જ ક્ષણે ભસ્મ થઈ જઈએ. તેમ જ આકાશમા વસતા બીજા ગણોનું છે. આપણી પાસે રહેલી અનેક વસ્તુના ગુણદોષ આપણે જાણતા હોવાથી આપણને કોઈ વેળા કંટાળો આવે, દોષોના સ્પર્શથી આપણે દોષિત પણ થઈએ. આકાશસ્થ દેવગણોના આપણે ગુણો જ જાણીએ છીએ. તેમને નિહાળતાં આપણે થાકતા જ નથી; તેમનો પરિચય આપણને હાનિકર થઈ જ ન શકે; અને આ દેવોનું ધ્યાન ધરતાં આપણી કલ્પનાશક્તિને નીતિ-પોષક વિચારો દ્વારા જેટલે દૂર લઈ જવી હોય તેટલે દૂર લઈ જઈ શકીએ છીએ.

એમાં તો શંકા જ નથી કે આકાશ અને આપણી વચ્ચે જેટલા અંતરાય આપણે મૂકીએ છીએ તેટલે અંશે આપણે શરીરને, મનને અને આત્માને હાનિ પહોંચાડીએ છીએ. આપણે સ્વાભાવિક રીતે રહેતા હોઈએ તો ચોવીસે કલાક આકાશ નીચે જ રહીએ. તેમ ન થઈ શકે તો જેટલો સમય તેમ કરી શકાય તેટલો સમય રહીએ. આકાશદર્શન એટલે કે તારાદર્શન તો રાત્રિના જ થાય. અને વધારે સારામાં સારું તે સૂતાં થઈ શકે છે. એટલે આ દર્શનનો જે પૂરો લાભ ઉઠાવવા માગે તેણે તો સીધા આકાશ નીચે જ સૂવું જોઈએ. આસપાસ ઊંચાં મકાનો કે ઝાડ હોય તો તે વિઘ્ન કરે છે.

બાળકોને અને મોટાને પણ નાટકો અને તેમા થતા દેખાવો બહુ ગમે છે. પણ જે નાટક કુદરતે આપણે સારુ આકાશમાં ગોઠવ્યું છે તેને એકે મનુષ્યકૃત નાટક પહોંચે તેમ નથી. વળી નાટકશાળામાં આંખ બગડે, ફેફસાંમાં મલિન હવા જાય, ને નીતિ બગડવાનો પણ ઘણો સંભવ. આ કુદરતી નાટકમાં તો લાભ જ છે આકાશ નિહાળતાં આંખને શાંતિ થાય છે. આકાશ નિહાળવા બહાર રહેવું જ જોઈએ, તેથી ફેફસાંને શુદ્ધ હવા મળે; ને આકાશ નિહાળતાં નીતિ બગડ્યાનું આજ લગી સાંભળ્યુ નથી. જેમ જેમ આ ઈશ્વરી ચમત્કારનું ધ્યાન ધરીએ તેમ તેમ આત્માનો વિકાસ જ થાય. જેને રોજ મેલા વિચારો, સ્વપ્નાં રાત્રિનાં આવતાં હોય તે બહાર સૂઈ આકાશદર્શનમાં લીન થવાનો પ્રયત્ન કરી જુએ. તેને તુરત નિર્દોષ નિદ્રાનો અનુભવ થશે. આકાશમાં રહેલા ગણો કેમ જાણે ઈશ્વરનુ મૂકસ્તવન કરતા ન હોય, એમ આપણે જ્યારે એ મહાદર્શનમાં ઓતપ્રોત થઈએ ત્યારે (તે સ્તવન) આપણે સાંભળતા જણાઈએ છીએ. જેને આંખ હોય તે આ નિત્યનવો નાચ જુએ. જેને કાન છે તે આ અસંખ્ય ગાંધર્વોનું મૂકગાન સાંભળે.”

05 ફેબ્રુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 230, 231 તેમ જ 232

Loading

પાપ કોણે કર્યા છે, ઝાકિયા જાફરીએ કે બીજાએ?

રમેશ સવાણી|Opinion - Opinion|5 February 2025

ઝાકિયા જાફરી

પોતાના પતિ સહિત 69 લોકોની સામૂહિક હત્યાઓ માટે ન્યાય મેળવવા સંઘર્ષશીલ ઝાકિયા જાફરીનું અવસાન 1 ફેબ્રુઆરી 2025ના રોજ થયું, તેમની દફનવિધિ થઈ ન હતી ત્યાં ગોદી પત્રકાર / લેખકે કહ્યું કે ‘હાશ, પૃથ્વી પરથી પાપ ઓછું થયું !’

કોઈ પણ ગુનેગારે ગુનો કર્યો છે કે નહીં તે નક્કી કરવા ન્યાયશાસ્ત્ર મુજબ ત્રણ બાબતો જોવાય છે : [1] ગુનો કરતા પહેલાનું વર્તન / ગુનાની તૈયારી. [2] ગુના દરમિયાનનું વર્તન. [3] ગુના પછીનું વર્તન.

28 ફેબ્રુઆરી 2002ના રોજ, અમદાવાદમાં બનેલી કોમી હિંસાને આ રીતે જૂઓ : [1] ગુનો કરતા પહેલાનું વર્તન / ગુનાની તૈયારી : વિક્ટિમની લાશોનું અમદાવાદમાં સરઘસ કાઢી હિન્દુઓને ઉશ્કેર્યા. હિંસા નહીં કરવા મુખ્ય મંત્રીએ અપીલ કરવાનું ટાળ્યું. [2.] ગુના દરમિયાનનું વર્તન : અહેસાન જાફરીએ ફોન કરવા છતાં મદદ ન કરી. [3] ગુના પછીનું વર્તન : ગુનેગારોને છાવર્યા તેમને સજા કરવાને બદલે 2014 પછી મલાઈદાર પોસ્ટિંગ આપ્યા !

SIT-સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્યો : [1] Y.C. મોદી. તત્કાલિન IPS અધિકારી, CBI સાથે કામ કર્યું (2002-10) બાદમાં NIA (2017-21) ના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા. [2] કે વેંકટેશમ્‌. તત્કાલિન IPS અધિકારીને નાગપુરમાં પોલીસ કમિશનર (2016-20) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. [3] આર.કે. રાઘવન. IPS અધિકારી કે જેમણે CBI(1999-01)ના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી, 2008માં SITના વડા તરીકે નિમણૂક કરવામાં આવી. તેમને 2017માં સાયપ્રસના ઉચ્ચ કમિશનર તરીકે નિમણૂક કરી. રાજદૂતની જગ્યાઓ સામાન્ય રીતે IFSના સભ્યો માટે આરક્ષિત હોય છે IPS માટે નહીં ! 

અન્ય અધિકારીઓ : 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાંજે હિંસાની શરૂઆત થઈ હતી ત્યારે મુખ્ય મંત્રી મોદીજીના નિવાસસ્થાને મિટિંગ મળી હતી અને મોદીજીએ ‘હિન્દુઓને આક્રોશ વ્યક્ત કરવા દેવો’ તે મતલબની સૂચના આપેલ. તેમાંના કેટલાંક અધિકારીઓને મલાઈદાર પોસ્ટિંગ આપવામાં આવ્યા. 

[1] અશોક નારાયણ  IAS. ગૃહ બાબતોના મુખ્ય સચિવ બાદમાં તેમને 2003માં રાજ્યના તકેદારી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ 2004માં નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા છતાં, 2008 સુધી તેમને 5 એક્સટેન્શન આપ્યા. 

[2] પી.સી. પાંડે IPS. પાંડેને 27 ફેબ્રુઆરી 2002ના રોજની મિટિંગ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે ‘હિંદુ ટોળાને આક્રોશ વ્યક્ત કરવા દેવો તેવું મોદીજીએ કહ્યું ન હતું.’ 2006માં, પાંડેને ગુજરાતના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમને ચૂંટણીપંચે DGPના હોદ્દા પરથી દૂર કર્યા હતા. પરંતુ મોદીજીએ જાન્યુઆરી 2008માં પાંડેને ફરી DGP તરીકે મૂકી દીધા ! તેમની નિવૃત્તિ પછી, 2012 સુધી GPHC-ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. તેમાંથી નિવૃત્ત થયા પછી, તેઓ અદાણી જૂથમાં સુરક્ષા અધિકારી તરીકે જોડાયા. 

[3] કે. નિત્યાનંદમ્‌ IPS. તત્કાલિન ગૃહ સચિવ. તેમણે મોદીની મિટિંગમાં મોદીજીના નિવેદન અંગેના આરોપોને નકારી કાઢ્યા હતા. 2005માં, તેઓ રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા. 2008માં, તેમની GPHCના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી. 

[4] પી.કે. મિશ્રા IAS. 2002માં મુખ્યમંત્રી મોદીના મુખ્ય સચિવ હતા.તેમને 2014માં મોદીના વધારાના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

[5] અનિલ મુકિમ IAS. જેમણે CMOમાં મોદી સાથે નજીકથી કામ કર્યું હતું. 2013માં, તેમને ગુજરાત સરકારના નાણાં વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2016માં, તેમને GSPL – રાજ્યની માલિકીની કુદરતી ગેસ ટ્રાન્સમિશન કંપનીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2018માં, તેમને ખાણ મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બાદમાં ACS ફાઇનાન્સ તરીકે નિમણૂક કરવામાં આવી. 2020માં તેઓ નિવૃત્ત થવાના હતા પરંતુ તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું. તે પછી તેમને 2021માં 6 મહિનાના વિસ્તરણ સાથે ગુજરાતના મુખ્ય સચિવ બનાવ્યા. 

[6] જી. સુબ્બારાવ IAS. તત્કાલિન મુખ્ય સચિવ. તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને મે 2003થી 6 વર્ષ માટે નિયત કાર્યકાળ સાથે Gujarat Electricity Regulatory Commissionના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. તેમની નિવૃત્તિ પછી GSPCAના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. આક્ષેપ છે કે ‘સુબ્બારાવે નીચેના અધિકારીઓને મોદી સરકારની ગેરકાનૂની નીતિઓને સમર્થન આપવા દબાણ કર્યું હતું. નિર્ણાયક કેસોમાં પુરાવાને નષ્ટ કરવા સૂચનાઓ આપી.’ 

[7] G.C. Raiger IPS. રમખાણોના નિર્ણાયક સમયગાળા દરમિયાન 27મી ફેબ્રુઆરી 2002 થી 9મી એપ્રિલ, 2002 સુધી ADGP – ઇન્ટેલિજન્સ. 2009માં નિવૃત્તિ પછી તેમને લઠ્ઠાકાંડની તપાસપંચમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ADGP ક્રાઈમ તરીકે પણ તેમણે ફેઈક એન્કાઉન્ટરને ઢાંકવા મદદ કરી. તેઓ ADGP ઇન્ટેલિજન્સ હતા છતાં તેમણે નાણાવટી-મહેતા કમિશન સમક્ષ એફિડેવિટ ફાઇલ ન કરી. 

[8] રાકેશ અસ્થાના IPS. એપ્રિલ 2003માં વડોદરા રેન્જના IGPના પદ પર નિમણૂક કરવામાં આવી. ગોધરાની ઘટનામાં કાવતરું ઘૂસાડ્યું. તેથી તેમને વડોદરા શહેરના તથા સુરત શહેરના પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા. તેમને CBIમાં મૂક્યા. ત્યાં વિવાદ કર્યો. 2021માં, તેમને નિવૃત્તિ મહિને જ દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા.

નાણાવટી-મહેતા કમિશન : જી.ટી. નાણાવટી નિવૃત્ત હાઈકોર્ટ જજ. હુલ્લડોની તપાસ માટેના કમિશનના અધ્યક્ષ તરીકે નિમ્યા. 3 વર્ષ પછી 2005માં, તેમના પુત્ર એડવોકેટ મૌલિક નાણાવટીને ગુજરાતના વધારાના સરકારી વકીલ (AAP) તરીકે નિયુક્ત કર્યા.

IPS ગીથા જોહરી. સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની (2006) તપાસ CBIએ હાથમાં લીધી, તે પહેલાં આ કેસની દેખરેખ તેમણે રાખી હતી, રેકોર્ડ સાથે ચેડાં કર્યા. 2017માં  તેણીને ગુજરાતના DGP-પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. નિવૃત્તિ પછી, તે કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં જોડાયાં. કેડિલા કંપની રાજીવ આઈ. મોદીની છે. 

જ્યાં રાજ્યના IAS/ IPS અધિકારીઓ તથા કોર્ટના ન્યાયાધીશો જ પોતાની બંધારણીય ફરજ ન બજાવે તો ઝાકિયા જાફરીને ન્યાય મળે? SIT-સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા આર.કે. રાઘવને તપાસમાં ઢાંકોઢૂંબો કર્યો હોય ત્યાં મોદીજીને ક્લીન ચિટ જ મળે ને? ગુજરાતના પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર કહે છે કે SITએ ‘સત્ય પર ઢાંકપિછોડો કર્યો.’ એટલે જ આર.કે. રાઘવનને 2017માં સાયપ્રસના ઉચ્ચ કમિશનર તરીકે મૂક્યા હશે ને? ન્યાયાધીશોને ગુના પહેલાનું / ગુના દરમિયાનનું અને ગુના પછીનું વર્તન કેમ દેખાયું નહીં હોય? સૌથી મોટો સવાલ એ છે કે પાપ કોણે કર્યા છે, ઝાકિયા જાફરીએ કે બીજાએ?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સુભાષચંદ્ર બોઝ : અસ્થિરૂપે ક્યારે આવશે દેશના આ પનોતા પુત્ર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 February 2025

2 માર્ચ, 1938માં હરિપુરામાં સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી

એક રાજકીય વ્યૂહ તરીકે નેતાજી સામેના ષડયંત્રનો ઉકળતો ચરુ ચાલુ રાખવાનું હવે પૂર્વવત્ શક્ય નથી. શોભીતું એ છે કે નેતાજીની વતનવાપસી માટે સત્તાવાર પહેલ થકી એક નિર્ણાયક કદમ ભરાય

પ્રજાસત્તાકના અમૃતપ્રવેશના પાંચ-સાત દિવસો પછી લખી રહ્યો છું ત્યારે હજુ થોડા દિવસ પર જ ગયેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જયંતી આસપાસ હાલના સત્તાવિમર્શ વિશે થોડા સ્ફુટ વિચારો ચાલતા અનુભવું છું.

પ્રકાશ ન. શાહ

સાંભ‌ળું છું કે તામિલનાડુના રાજ્યપાલ રવિ આઝાદ હિંદ ફોજના હયાત સૈનિકોને સન્માને છે. એમાં રાજીપાનો ભાવ, જેઓ વતનની આઝાદી વાસ્તે લડ્યા એમને અંગે કૃતજ્ઞતાપૂર્વક ઉમેરાતો પણ અનુભવું છું. પણ ત્યાં સહસા એક થડકો વાગે છે. રવિજી કહે છે કે આઝાદી મળી એ કંઈ સન બયાલીસની ઑગસ્ટ ક્રાંતિથી નહોતી મળી. એ તો આઝાદ હિંદ ફોજ અને નૌસેનાના બળવાને આભારી છે.

રવિજીનું કહેવું કોઈ એકલસૂર નથી. નવી દિલ્હીના હાલના હુકમરાનોના વૃંદવાદનનો એ કંઈક પ્રત્યક્ષ, કંઈક પરોક્ષ હિસ્સો છે. વરસેક પહેલાં દિલ્હીના ઇતિહાસપ્રતિષ્ઠ લાલ કિલ્લામાં ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમનું સત્તાવાર નવઆયોજન થયું એમાં આઝાદ હિંદ ફોજના ત્રણ સેનાનીઓ પર દેશના બ્રિટિશ શાસને માંડેલા ખટલા સામે બચાવ પક્ષે વરિષ્ઠ કાઁગ્રેસમેન ભુલાભાઈ દેસાઈની આગેવાનીમાં જવાહરલાલ નેહરુ સહિતના ધારાશાસ્ત્રીઓ સામેલ હતા. પણ નવા ધ્વનિ-પ્રકાશ કાર્યક્રમમાં નેહરુનું નામ કમી થયું છે. ગાંધીજી ક્યાંક આવે છે તે અનેકમાંના એક તરીકે, આઝાદીની 1857થી 1947ની લડતમાં કેમ જાણે એટસેટરા!

ભાઈ, નેતાજીએ જુદો રાહ લીધો તે પછી એમણે પરદેશથી કરેલાં રેડિયો વક્તવ્યોમાં 6 જુલાઈ, 1944ના રોજ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. ‘મહાત્મા’ સિવાયની એ પહેલી જાહેર ઓળખ હતી. ફોજની જે ટુકડીઓ હતી એમાં ગાંધી બ્રિગેડ ને નેહરુ બ્રિગેટ પણ હતી. ઑગસ્ટ ક્રાંતિને નિષ્ફળ લેખતી હાલની મંડળીને ઇતિહાસવસ્તુ તરીકે ખબર હોવી જોઈએ કે નેતાજીએ એને ‘મહાકાવ્યોનો સંગ્રામ’ (‘એપિક સ્ટ્રગલ’) તરીકે ઓળખાવેલ છે. 

એક વાત અલબત્ત સાચી કે 1947 સુધી પહોંચતા આપણી સેનાના જવાનોનો મિજાજ સ્વાભાવિક જ બ્રિટિશ શાસનથી ફંટાવા લાગ્યો હતો. જાપાને યુદ્ધકેદી બનાવેલ બ્રિટિશ ભારતીય સૈનિકો, નેતાજી સાથે (જાપાનના સત્તાધીશોની અનુકૂળતાથી) આઝાદ હિંદ ફોજ રૂપે જરૂર ગઠિત થયા હતા અને ‘ચલો દિલ્હી’ના નારા સાથે એમણે ઐતિહાસિક કૂચ કરી હતી. આંદામાન-નિકોબારનાં નવાં નામ ‘શહીદ’ને ‘સ્વરાજ’ એ પાડી શક્યા હતા. પણ ફતેહ તો ઢુંકડી નહોતી. જે મહિમા છે તે એમની કુરબાનીનો છે, અને હંમેશ રહેવાનો છે.

નેતાજીના યોગદાનની કદર તેને ઠેકાણે વાજબી જ છે, પણ એથી ગાંધી ને કાઁગ્રેસની સ્વરાજલડતને તથ્યનિરપેક્ષ રીતે ભોંઠી પાડવાની શી જરૂર છે, સમજાતું નથી. હાલના સત્તામંડળના ને હિંદુત્વ રાજનીતિમાં આ મુદ્દે જે દ્વૈધી ભાવ રહ્યો છે તે જરૂર તપાસલાયક છે. સાવરકર એમના સારુ સવિશેષ સન્માન્ય છે, અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા ચોક્કસ જ એમનું મહદ્‌ અર્પણ છે. પણ 1942ના ‘હિંદ છોડો’થી માંડી તે પછીનાં વર્ષોમાં નેતાજીના ‘દિલ્હી ચલો’ની રણભેરીના ગાળામાં સાવરકર અને હિંદુ મહાસભાની સતત હાકલ હિંદુ યુવકોને બ્રિટિશ હિંદની સેનામાં ભરતી થવાની હતી. 

1941માં હિંદુ મહાસભાના ભાગલપુર અધિવેશનથી શરૂ થયેલી આ ઝુંબેશ પછીનાં વર્ષોમાં મદુરા અધિવેશન સુધી પહોંચતા 1 લાખ જેટલી ભરતીએ પહોંચ્યાનો એમનો જાહેર દાવો ઇતિહાસદર્જ છે. જાપાન આપણી સીમાએ ત્રાટકે ત્યારે સાબદા રહી કચ્ચરઘાણ વાળવાનો છે – અને, જુઓ કે, જાપાન-દીધા સહયોગથી આઝાદ હિંદ ફોજ આવી રહી હતી! સાવરકર મહિમા મંડન અને હિંદુત્વ રાજનીતિનો આ આંતરવિરોધ સમજાય છે? સ્વરાજલડત અંગ્રેજોથી ભારતની મુક્તિ સારુ છે કે હિંદુઓથી મુસ્લિમોની અને મુસ્લિમોથી હિંદુઓની મુક્તિ સારુ? દઈ જાણે. 

ઇતિહાસમાં નોંધાયું છે તે તો એ જ છે કે ભારતની અંગ્રેજી હકૂમતમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સરકારી રક્ષા સમિતિ પર હિંદુ મહાસભા ને મુસ્લિમ લીગના સમર્થનપ્રાપ્ત સભ્યો હોંશે હોંશે સહભાગી હતા.

નેતાજીનાં પુત્રી અનીતાએ આ દિવસોમાં ભારત સરકાર જોગ જાહેર ગુહાર પેઠે ધા નાખી છે કે હવે આટલે વરસે તો ભારતમાતાના પનોતા પુત્રને અસ્થિરૂપે વતન આવવા દો. ઉપરાઉપરી રચાયેલ એકાધિક તપાસ પંચોએ નેતાજીની મૃત્યુ-વિગતને સાચી ઠરાવી હતી. નરસિંહ રાવની સરકારે તે લક્ષમાં લઈ નેતાજીનો અસ્થિકુંભ ભારત આણવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પણ તે પૂરી થાય એ પૂર્વે એમની મુદ્દત પૂરી થઈ ગઈ. આગલા બધા તપાસ અહેવાલો વેગળા મૂકી 1999માં વાજપેયી સરકારે મુખર્જી પંચ નીમ્યું. મુદ્દતો પાડતા રહી પંચે અનુત્તર તરેહનો હેવાલ 2005માં આપ્યો. નેતાજીના પરિવાર સાથેની ચર્ચામાં એમણે સ્વીકાર્યું પણ છે કે અમે અમુક ખુલાસા ટાળ્યા છે, પણ તે કેમ એનો ખુલાસો એમણે આપ્યો નથી.

2014માં કંગના રાણાવતના મૌલિક સંશોધન મુજબ આપણે ‘આઝાદ’ થયા તે પછી મોદી સરકારે અને પશ્ચિમ બંગાળની મમતા સરકારે આ પ્રશ્ને બધી જ ક્લાસિફાઈડ ફાઈલો ખુલ્લી કરી છે. વડા પ્રધાન મોદીના નિમંત્રણથી નેતાજી પરિવારે સત્તાવાર સત્કાર પણ ઝીલ્યો … પણ મુઈ ફાઈલોમાંથી કશું નેહરુ સરકાર સામું નીકળ્યું નહીં તે ન જ નીકળ્યું. એક રાજકીય વ્યૂહ તરીકે નેતાજી સામેની કથિત કોન્સ્પિરસીનો ઉકળતો ચરુ ચાલુ રાખવાનું હવે પૂર્વવત્ શક્ય નથી.

શોભીતું એ છે કે અનીતાજીએ સૂચવ્યું છે તેમ નેતાજીની વતનવાપસી માટે સત્તાવાર પહેલ થકી ઇતિહાસન્યાયનું નિર્ણાયક કદમ ભરાય. ક્યાં સુધી એ ઈમ્ફાલે ઊભા આપણા દિલને દરવાજે દસ્તક દેતા રહેશે … છતે વતન, જલાવતન!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 ફેબ્રુઆરી 2025

Loading

...102030...395396397398...410420430...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved