Opinion Magazine
Number of visits: 9871350
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીટો ઢોલ … અહીં બધુંયે છે લોલમલોલ!

મેહુલ મંગુબહેન|Samantar Gujarat - Samantar|3 December 2014

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય, યોજનાઓ હોય, બજાર હોય કે રાજકીય પક્ષો : આપણા દેશમાં સઘળું લોલમલોલ ચાલે છે અને અરાજકતા સતત વધી રહી છે. ૬૦ના દાયકામાં ભારતમાં અમેરિકી રાજદૂત રહેલા જ્હોન કેનેથ ગાલબ્રેથે 'ભારત કાર્યરત અરાજકતા છે' તેમ કહેલું તે વાત આજે ય સાચી પડે છે

આપણો દેશ અનેક પ્રકારની સામાજિક-ધાર્મિક-રાજકીય-સાંસ્કૃિતક વિવિધતાઓથી ભરેલો છે. જો કે, સૌથી મોટું અચરજ તો આપણો દેશ હજીયે લોકશાહી પ્રણાલી ધરાવે છે એ જ ગણી શકાય. આજકાલ ઘટી રહેલી ઘટનાઓ અને રોજેરોજ ઠલવાતા સમાચારો જાણે કે એ જ જૂની વાત તરફ લઈ જાય છે. કાં તો દેશ આખો રામ ભરોસે (અથવા તો અલ્લાહ ભરોસે) ચાલે છે અથવા તો એમ પણ કહી શકાય કે ઈશ્વર-અલ્લાહ કે રામ-રહીમ જે હોય તે આપણા આ દેશને ભરોસે ચાલે છે! દેશનું લિખિત બંધારણ છે, લિખિત કાયદાઓ છે, કાયદાના અમલ માટે તંત્ર છે, અક્કલ ગિરવે ન મૂકી હોય તેવા જૂજ માણસો પણ છે દેશમાં, છતાંયે સમગ્ર રીતે જોઈએ તો અરાજકતા સતત ચાલ્યા જ કરે છે અને દિનપ્રતિદિન વધતી જાય છે. ૧૯૬૧થી ૧૯૬૩ વચ્ચે ભારત ખાતેના અમેરિકી રાજદૂત જ્હોન કેનેથ ગાલબ્રેથે એક વાર કહેલું કે, ભારત એ કાર્યરત અરાજકતા છે. આ એક વાક્યમાં રજૂ થયેલું સત્ય જાણે આજે પણ આપણો પીછો છોડતું નથી. આજે પણ પ્રતિદિન ગાલબ્રેથની વાત સાચી જ પડતી જણાય છે. તમે માનવા તૈયાર નથી? આવો, જરા તાજેતરની ઘટનાઓ તરફ નજર નાખીએ.

ઉત્તર પ્રદેશમાં સ.પા.ના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના મતક્ષેત્ર તથા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત ક્ષેત્રમાં બોગસ મતદારો વિશે તાજેતરમાં ખુલાસો આવ્યો. ઉત્તર પ્રદેશમાં ૩ કરોડ ૮૭ હજાર ૧૩૫ બોગસ મતદારોની સંખ્યા બહાર આવી છે. આ આંકડો લોકસભાની ચૂંટણીને પછી બાહર આવ્યો છે તે જણાવવાની જરૂર નથી. આ ત્રણ કરોડ મતોએ પરિણામ પર કેવી અસર કરી હશે તેનો વિચાર જવા દઈએ પણ એ સવાલ તો રહે જ કે ચૂંટણીમાં બધું લોલમલોલ ચાલે છે. જે મત ક્ષેત્ર પરથી દેશના વડા પ્રધાન ચૂંટાયા હોય એ જ મત ક્ષેત્રમાં ૩ લાખ બોગસ વોટર જાહેર થતાં હોય તો લોકશાહીની પાયારૂપ એવી ચૂંટણી પ્રથાની વિશ્વસનીયતા વિશે કેવડો મોટો સવાલ ખડો કરી શકાય? હશે, આવો સવાલ કોણ કરે, વારાણસીના લોકોને કે આખા ઉત્તર પ્રદેશના લોકોને બીજા કાંઈ કામધંધા તો હોયને! વાત લોકતંત્રની પ્રારંભિક બાબત એવી મતની પ્રામાણિકતાની છે પણ આ ૩ કરોડ બોગસ મતદારો કાંઈ રાતોરાત નહીં બન્યા હોય. એમનું સર્જન કરવામાં બીજા ત્રણ કરોડ લોકો સામેલ હશે. આ સામેલ લોકો એટલે બાબુઓ યાને કે અફસરો. આ ઘટના બંધારણીય સંસ્થાઓ કે પછી સામાજિક સંસ્થાઓમાં વ્યાપ્ત ઘોર અરાજકતાની દ્યોતક છે.

આવી જ અન્ય એક વાત જોઈએ. આપણા જૂનાગઢમાં થેલેસિમિયા પીડિત બાળકોને એચ.આઈ.વી.નો ચેપ અને તેને પગલે ૬ બાળકોનાં મોતની ઘટના એ આવા જ લોલમલોલનું જ પરિણામ નથી શું? બાળકોને ચેપ લાગે, તપાસ સરખી ન થાય, અદાલત સી.બી.આઈ.ને તપાસ સોંપે અને સી.બી.આઈ.નો અહેવાલ શું કહે છે ? બ્લડબેંકનું વ્યવસ્થાપન અતિ અરાજકતાભર્યું હોવાથી આ કેસમાં તેમની ભૂમિકા સાબિત કરી શકાય તેમ નથી. દરેક કેસ અદાલતમાં સાબિત ન પણ થઈ શકે તે કબૂલ પણ આ ઘટનામાં નીતિનિયમો કે કાયદાઓની ઐસીતૈસી કરવાની હદ સુધી કોઈ પણ તંત્ર ગયું તો છે જ એ વાત સ્વીકારવી જ પડે. જીવનની રક્ષા માટે ઘડવામાં આવેલી માર્ગર્દિશકાઓ જીવનની રક્ષા કરનારા ડોક્ટર્સ કે અસ્પતાલના સ્ટાફ પણ માળિયે ચડાવી દે તે દર્શાવે છે કે ન તો દેશમાં કાયદાનું શાસન છે ન તો નાગરિકોમાં પોતીકી અંગત પ્રામાણિકતા કે નૈતિક જવાબદારીનો અહેસાસ. સરકારી દવાખાનાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વ્યાપેલી અરાજકતા, અસંવેદનશીલતા જોઈએ તો માણસને માંદા પડવા કરતાં મરી જવું બહેતર લાગે તેવો માહોલ છે. ઉપર આપ્યાં છે તેવાં અને તેથી વધારે યોગ્ય ગણાય તેવાં અનેક ઉદાહરણો આપી શકાય આ બાબતે.

સામાજિક સંસ્થાઓ, રાજકીય પરિબળો, વહીવટીય તંત્ર અને આર્થિક બાબતોને સુશાસન સાથે સીધી લેવાદેવા હોય છે. આ ચારે ય અરાજકતાના માહોલમાંથી દેશને સ્થિર સુશાસન આપી શકે છે. આ બાબતોમાં જરીક તરીકે પ્રગતિ તો થઈ છે પણ તો ય ગાલબ્રેથના વચનને નાબૂદ કરી શકાય એવી સ્થિતિ નથી. પહેલાં વાત કરીએ રાજકીય પરિબળોની. દેશની દોરવણી કરનારા વિવિધ રાજકીય પક્ષના નેતાઓમાં વિચારધારાઓની ભેળસેળ એવી તો જટિલ થઈ પડી છે કે એકેયમાં તાત્ત્વિક ભેદ કાઢવો મુશ્કેલ છે. કદાચ જૂજ નેતાઓમાં જરીક સમજણ અને નાગરિક નિસબત હશે પણ તેમના પક્ષીય રાજકારણમાં તો કોઈ ભેદ નજરે પડતો નથી એટલે એક પ્રકારની અરાજકતા ઊભી થાય છે અને વકર્યા કરે છે. પક્ષ જયારે સત્તામાં હોય ત્યારે જે કરવા માગતો હોય એ જ વાતનો તે વિપક્ષમાં બેસીને વિરોધ કરે છે. આ બાબતે કાળાં નાણાંથી લઈને અનેક પ્રકારના મુદ્દાઓ બાબતે વિવિધ રાજકીય પક્ષોનાં વલણો સાક્ષી છે. સત્તા અને વિરોધ જાણે કે બેઉ ટાઈમ પાસ બનીને રહી જાય છે અને સરવાળે સુશાસન નામનું ગાડું કોઈ પણ દિશા-દર્શન વગર આમ તેમ ગબડયા કરે છે.

રાજકીય અરાજકતા સીધી વહીવટી ય અરાજકતાને અસર કરે છે અથવા તો બેઉ એકમેકને અસર કરે છે. એક સડક તરફ ટ્રાફિકના નિયમન માટે ઊભેલા કોન્સ્ટેબલને કોઈ ગણકારતું નથી અને ઠોકીને નીકળી જાય છે અને બીજી સડક પર બીજો કોન્સ્ટેબલ સાહેબે આપેલો ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત છે. રાજકીય આશ્રય હેઠળ જીવતું વહીવટીતંત્ર પોતાની મૂળભૂત જવાબદારી વિસરીને એન્કાઉન્ટરથી લઈને પોતપોતાના સાહેબોનાં સેટિંગ પાર પાડવા સુધીનાં કાર્યોમાં વ્યસ્ત રહે છે. સિટીઝન ચાર્ટર જેવી વાતને લોકો ઘોળીને પી જાય છે.

હવે સમાજની અને સામાજિક સંસ્થાની વાત. પગથી ગળા સુધી નક્કર નાગરિક નિસબત અને માનવીય ધોરણોને અનુસરતી સામાજિક સંસ્થાઓની સંખ્યા અને તેમની પહોંચ બેઉ મર્યાદિત થઈ રહી છે. સમાજ યાને કે લોકો કે વ્યક્તિને દેશના બંધારણ કે કાયદા સાથે નહીં પણ પોતાના ખિસ્સામાંથી શું જશે અને શું આવશે તેની સાથે જ લેવાદેવા છે. પ્રામાણિક અને કાયદાના શાસનને માનનારને ડફોળ ગણવામાં આવે છે.

અરાજકતાના માહોલમાંથી આર્થિક બાબતોને બાદ કેવી રીતે કરી શકાય? તકનીકી પ્રસાર થતા આ બાબતે ઘણી રાહત થઈ છે પણ નીતિઓ તો એની એ જ રહી છે. એક તરફ માલેતુજાર ઉદ્યોગગૃહો પાસે બેંકોના કરોડો રૂપિયા બાકી નીકળે છે અને બીજી તરફ સામાન્ય માણસ પાસે કડક ઉઘરાણીઓ ચાલે છે. સબસિડીનું પોલિટિક્સ એવું તો જોરદાર છે કે ભલભલા ખેરખાં તેનો પાર ન પામી શકે. ખોટ ખાનારને મોટી સબસિડી આપવાની ભલામણ કરનાર લોકો પાછા કલ્યાણ યોજનાઓમાં નાણાંના વેડફાટની બૂમો પાડે છે. લક્ષ્મી લક્ષ્મીને ખેંચે એ ન્યાયે ધનિકોના ધનમાં તોતિંગ વધારો થાય છે પણ તેના થકી ધારણા મુજબ ગરીબોના જીવનમાં પરિવર્તન આવતું નથી. સરકાર તરફથી ધનિકોને મળતી રાહતો ગરીબોને મળતી રાહતો કરતાં અનેક ગણી વધારે છે તેવું વરિષ્ઠ ગ્રામીણ પત્રકાર પી. સાંઈનાથ અનેક દાખલા દલીલ સાથે નોંધે છે. આર્થિક સાહસો પ્રથમ તો સરકારી અંકુશમાં રુંધાય છે અને પછી તે અંકુશમાંથી નીકળવા પોલિટિક્સ-માર્કેટનું મિશ્રણ તૈયાર થાય છે જે આર્થિક અસમાનતાઓને વકરાવે છે.

કુલ મિલાકર, દેશમાં આજે એકે ય ક્ષેત્ર એવું નથી જેમાં અરાજકતા નથી. શિક્ષણથી લઈને નોકરી સુધી અને બજારથી લઈને કાયદા-કાનૂનો સુધી અફરાતફરી ચાલ્યા જ કરે છે. હવે સવાલ એ રહે છે કે આ લોલમલોલને રોકશે કોણ? જે સવાલ પૂછશે એ જ રોકી શકશે, એ સવાલનો જવાબ છે.

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 03 ડિસેમ્બર 2014

http://www.sandesh.com/article.aspx?newsid=3016418

Loading

દર્શક-જન્મશતાબ્દી સાહિત્યમિલન

'કૃષ્ણાદિત્ય'|Opinion - Literature|2 December 2014

શિક્ષણની અને અધ્યાપનની દૃષ્ટિએ હું વિજ્ઞાનનો અભ્યાસી કહેવાઉં. મેં કોઈ વિધિવત્‌ સાહિત્યનું શિક્ષણ મેળવ્યું નથી, એટલે સાહિત્ય વિશે હું જે કાંઈ શીખ્યો છું, તેનો એક સ્રોત તો વિવિધ સાહિત્યના અનુશીલનનો રહ્યો છે અને બીજો જે અત્યંત અગત્યનો સ્રોત છે, તે મારા સદ્દ‌ભાગ્યે ગુજરાત ભારતના કેટલાક પ્રમુખ સાહિત્યસર્જકોના સંપર્કમાંથી પ્રાપ્ત થયેલો છે. આવા જે સાહિત્યસર્જકો, જેમની પાસેથી મને કાંઈ શીખવા મળ્યું છે તેમાં એક અગત્યનું નામ છે, દર્શક.

કેટલાક દસકાઓ પહેલાંની વાત છે. અમદાવાદમાં એક સાહિત્યકારમિત્રને ત્યાં હું એક રવિવારે બપોર પછીના ચાના સમયે ગયો હતો. દર્શક પણ ત્યાં હતા. દેશવિદેશની સામાજિક-રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચાનો દોર ચાલતો હતો. ત્યારે હજુ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિથી ચાલતી હકૂમત હતી. ભેદભાવ અને ધિક્કારના પાયા પર ચાલતી કોઈ હકૂમત ઇતિહાસમાં ઝાઝું ટકી નથી જાણી એવો સૂર દર્શકનો હતો. સંજોગોવશાત્‌ મારા થેલામાં ત્યારે મારી પાસે કમ્પ્યુટર નહોતું પણ થેલો તો હતો. દક્ષિણ આફ્રિકા વિશેની સુપ્રસિદ્ધ નવલકથા  Cry the Beloved Countryના લેખક એલન પેટનનું એક પુસ્તક હતું. દર્શકે એ વાંચવાની ઇચ્છા બતાવી અને વાંચવા માટે લઈ ગયા. અભ્યાસ માટેનો એક ગ્રંથ હોય એવી દૃષ્ટિથી એ પુસ્તક એમણે લીધું હતું. નોંધપાત્ર વાત એ છે કે ત્યારે દર્શક એક સિદ્ધહસ્ત નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠિત હતા. અન્ય કારીગરે તૈયાર કરેલી જણસને કોઈ કારીગર ઝીણવટથી જોવા માટે કેમ લઈ જાય, એવી જિજ્ઞાસાથી, દૂરના કોઈ ખૂણેથી સામાજિક રાજકીય વિષમતા સામે માનવતાનો બોધ કરતી એ કૃતિને દર્શક લઈ ગયા હતા. સારો કલમકાર ગમે તેટલો પીઢ હોય પણ નવો કસબ શીખવાની પળ ઝડપી લેતો હોય છે. તેવા કલાકારનું નામ દેતાં દર્શકનું ચિત્ર મારા માનસપટ પર આજે દેખાય છે.

એક બીજું સ્મૃિતચિત્ર. બોસ્ટન પાસેના એક ગામમાં ઘેર અમે સાંજે નિરાંતે બેઠા છીએ. હજુ સાંજના વાળુને થોડી વાર છે. દેશવિદેશના સમાજનીતિના, રાજનીતિના, તત્ત્વદર્શનના એમ વિવિધ વિષયો ઉપર અમે વાતો કરતા હતા. તે વખતે એમના સાથે લોકભારતીમાંથી અન્ય એક અધ્યાપક અને બીજા પણ એક ગ્રામસેવામાં કાર્ય કરતા મોટા ગજાના સમાજસેવક હતા, તે પણ આવ્યા હતા. ત્યાં દર્શકે જોયું કે બેઠકખંડમાં બે કન્યાઓ, બહેનો, હમણાં જ આવી છે. ત્યારે એ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં હશે. એટલે દર્શકે બીજી બધી વાત સમેટી લઈને એ બે દીકરીઓને પાસે બોલાવી પૂછ્યું. “વારતા સાંભળવી છે ?” એવું કયું બાળક હોય કે વારતા સાંભળવાની ના કહે. દર્શકે વારતા કહેવાનું શરૂ કર્યું. જાણે ગામને ચોતરે હકડેઠઠ દરબાર જામ્યો હોય અને કોઈ મેઘાણી કોઈ ગઢવીની કે ચારણની સૌરાષ્ટ્રની રસભીની બાનીથી શ્રોતાઓને ભીંજવતા હોય એમ વારતા ચાલી. નાનામોટા બધાએ મંત્રમુગ્ધ થઈને વારતા માણી. અને એમની વાણીનો જાદુ તો એવો હતો કે લગભગ વારતા અડધે સુધી આવી ત્યાં સુધી ક્યાંક સાંભળેલી હોય એવી લાગતી, એ વારતા હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસનની વારતાનું દર્શકે કરેલું શીઘ્ર રૂપાંતર છે, એ વાત મારા ધ્યાનમાં આવી નહોતી. સાહિત્યનો રસ દેશવિદેશનાં, વયનાં કે શિક્ષણનાં, ભૂગોળનાં કે ઇતિહાસનાં બધાં વિઘ્નો બોટીને કેવી સહજ રીતે વક્તા-શ્રોતાઓ વચ્ચે સેતુ સ્થાપી શકે છે, એનું આબેહૂબ જીવંત દૃષ્ટાંત એટલે દર્શક એમ કહી શકાય.

આપણે ઘણી વાર સાહિત્યના કે સંગીતના કાર્યક્રમોમાં જઈએ છીએ, ત્યારે જો શ્રોતાઓની હાજરી ઓછી હોય, તો કલાકારને ગોઠતું નથી હોતું. કહેવાય છે કે કલાકાર બરાબર ખીલતા નથી. પરંતુ એક પ્રસંગે ચારપાંચ શ્રોતાઓ સમક્ષ દર્શકે ‘અંતિમ અધ્યાય’નું નાટ્યપઠન કર્યું હતું, જાણે પ્રેક્ષકગૃહમાં સેંકડોની મેદની સમક્ષ વાંચતા હોય તેમ. તે દૃશ્ય વર્ષો પછી પણ હજુ મને બરાબર યાદ છે. વળી, બીજી એક વાર એમણે ‘કુરુક્ષેત્ર’ની હસ્તપ્રતમાંથી શરૂઆતનું પ્રકરણ વાંચ્યું હતું, ત્યારે તો વક્તાને ગણતાં ય ત્રણ જ શ્રોતાઓ હતા. પણ દર્શકે રસ એવો જમાવ્યો હતો જાણે વક્તા અને શ્રોતા સૌ કુરુક્ષેત્રની ભૂમિ પર પહોંચી ગયા હોઈએ. સાહિત્યના આહ્લાદનો આધાર શ્રોતાઓની સંખ્યા ઉપર નહીં, પરંતુ કૃતિના રસના અનુભૂતિ ઉપર હોય છે, એ વાત મને ત્યારે દર્શક પાસેથી શીખવા મળી હતી.

બોસ્ટન આવ્યા હતા, ત્યારેની એક બીજી વાત છે. થોડેક દૂર આવેલા લોવેલ શહેરમાં સાંજે એમનું પ્રવચન હતું. બેત્રણ દિવસથી અમારે વાત ચાલતી હતી, એમને ઇચ્છા હતી કે અબ્રાહમ લિંકન ઉપર એક ઐતિહાસિક નવલકથા લખવી. એમના માર્ગદર્શન મુજબ પુસ્તકાલયમાં પણ લિંકન વિશેનાં વિવિધ પ્રકારનાં પુસ્તકો, જીવનચરિત્રો, અમેરિકી આંતરવિગ્રહ વિશેના ઐતિહાસિક દસ્તાવેજો વગેરે વિશે અમે તપાસ કરી રાખી હતી. પછી બપોરે વહેલા નીકળી અમે હાર્વર્ડ વિશ્વવિદ્યાલય પાસેના ચોકમાં આવેલી પુસ્તકોની દુકાનોમાં જવાનો કાર્યક્રમ કર્યો. ત્યાં ચારેક મુખ્ય દુકાનો છે, એમાં અમે ફર્યા. કોઈ અનુસ્નાતક કક્ષાનો વિદ્યાર્થી હોય એટલા ઉત્સાહ અને જિજ્ઞાસાથી એમણે પુસ્તકો જોયાં અને ખરીદ્યાં. પ્રવચન માટે મોડા પડીશું એમ ઘડિયાળ બતાવી, માંડ એમને પુસ્તકભંડારમાંથી બહાર કાઢ્યા. ત્યાર પછીના થોડા દિવસો દરમિયાન એમની સૂચના મુજબ લિંકન વિશેનાં જે પુસ્તકો ભેગાં કર્યાં હતાં, તેનાથી ટપાલીનો સૌથી મોટો એવો એક થેલો ભરાઈ ગયો હતો. એક સિદ્ધહસ્ત નવલકથાકાર એમની પાકટવયે ઐતિહાસિક નવલકથા લખવા બેસે છે ત્યારે જાણે પહેલી જ વાર ઐતિહાસિક નવલકથા લખવાની હોય તેમ ચીવટ અને ચકાસણીપૂર્વક સંશોધન કરવાની એમની લગની હતી. આવા આજીવન અભ્યાસી હતા દર્શક.

એક દિવસની વાત છે. બોસ્ટન અને કૅમ્બ્રિજ નગરો વચ્ચે થઈ વહેતી ચાર્લ્સ નદી પર થઈને આવતો શીતમધુર પવન બપોર પછીના હૂંફાળા તડકામાં આહ્લાદક લાગતો હતો. કૅમ્બ્રિજમાં આવેલા હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં હજુ હમણાં જ પ્રવચન આપી આવેલા એવા, ખાદીનાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ એક અતિથિ, આઇન્સ્ટાઇનશાઇ વિખરાયેલા કેશકલાપ સાથે નદીકિનારે આવેલી સંસ્થા માસાચુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્‌નોલૉજી, એમ.આઈ.ટી.,ની ભવ્ય ઇમારતનાં પગથિયાં ચઢતા હતા. સવારથી શરૂ થયેલા કાર્યક્રમને લીધે ચહેરા પર ક્યાંક થાકની રેખા જણાય ન જણાય, ત્યાં તો ઉચ્ચશિક્ષણના વિષય ઉપરના પ્રવચન વિશે વાતચીત થાય અને તે ચર્ચાના તેજમાં જાણે આ દિવસનો તો શું કેટલાં ય વર્ષોનો થાક અંગ ઉપરથી ઓગળી જતો હોય એમ લાગે. કોઈ વિદ્યાર્થી પ્રથમ સત્રમાં અન્ય સહાધ્યાયીઓ સાથે જે ઉષ્માથી વાત કરતો હોય, એવા એમની ચર્ચાના દોર અને દમામ હતા.

આમ તો અમે એ સંસ્થાની ફક્ત મુલાકાત માટે આવ્યા હતા. સાથે હાર્વર્ડના એક પ્રાધ્યાપક હતા જે આ સંસ્થાના જુદા-જુદા વિભાગોમાં અમને લઈ જવાના હતા. કાર્યક્રમ પ્રમાણે બધું જોતાં જોતાં અમે એક પ્રયોગશાળાના વિભાગમાં આવી પહોંચ્યા. એકબે અધ્યાપકો અને એમના સ્નાતક કક્ષાના આઠદસ વિદ્યાર્થીઓ એ દિવસના પ્રયોગોનું એમનું કાર્ય પૂરું કરી ઘેર જવાની તૈયારી કરતા હતા. ત્યાં આ અતિથિની ઓળખ કરાવવામાં આવી. આ અતિથિની ભારતમાં આવેલી શિક્ષણસંસ્થા વિશે, વિદેશી હકૂમત સામેના એમના સંગ્રામ વિશે, એમના સાહિત્યસર્જન વિશે, મિતાક્ષરી પરિચય અપાયો. ત્યાં તો એક વિદ્યાર્થીએ અતિથિને કંઈક વક્તવ્ય આપવા વિનંતી કરી અને બીજા બધા વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ એમાં સાદ પુરાવ્યો. અને એ અતિથિએ આ મતલબનું કહ્યું કે, “મારું પોતાનું લખાણ તો મોટે ભાગે નવલકથા અને નિબંધના સ્વરૂપનું હોય છે, એટલે એમાંથી તો અત્યારે હું શું કહી શકું ? પરંતુ અમારા એક અગ્રગણ્ય કવિ છે નામે સુન્દરમ્‌, જો આપ સૌની સંમતિ હોય તો એમના એક કાવ્યનું પઠન કરી શકું. પ્રથમ હું એને અમારી ભાષામાં કહીશ અને પછી સાથે અંગ્રેજીમાં એનું ભાષાંતર આપતા જઈશું.” આ બધી વાતો અત્યાર સુધી અંગ્રેજીમાં થતી હતી. અધ્પાપકો અને વિદ્યાર્થીઓ બધા અમેરિકી હતા.

વક્તાએ કાવ્યપઠન શરૂ કર્યું.

બુદ્ધનાં ચક્ષુ

ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં,
ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી,
પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદ તણી,
હસી સૃષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં.

પ્રભો ! જન્મેજન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યાં,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત્ત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યા.

આમ કવિ સુન્દરમ્‌ના આ કાવ્યની પંક્તિઓ એક પછી એક આવતી જાય અને સાથે-સાથે એનું અંગ્રેજી ગદ્યમાં ભાષાંતર થતું જાય. એમની આજુબાજુ વીંટળાઈને વર્તુળમાં ઊભેલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ગુજરાતી પઠન દરમિયાન પણ લયલીન થતા જતા હતા.

હવે ના મીંચાશે નયન કદીયે જે ઊઘડિયાં,
દયાની ગંગા આ પરમ તપ અંતે ઊતરી, તે
અખંડા વહેતી રહો કઠણ તપના સિંચન થકી,
વહો ખંડેખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગતે.

કાવ્ય પૂરું થયું. હજુ જાણે બધા કાવ્યની અસર નીચે હતા. વિશ્વની એક આગલી હરોળની યંત્રજ્ઞાન અને ઇજનેરી વિજ્ઞાનની પ્રમુખ શિક્ષણ-સંસ્થામાં, પદાર્થવિજ્ઞાનની પ્રયોગશાળામાં આકસ્મિક રીતે અતિથિ તરીકે જઈ ચઢતાં આગ્રહ થતાં, ગુજરાતી કાવ્યપઠન કરી ગુજરાતી કાવ્યરસ દ્વારા ભારતીય સંસ્કૃિતની ઝલક આપી સુશિક્ષિત એવા અમેરિકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર એ અતિથિ હતા દર્શક.

એ એક શ્રેષ્ઠ આચાર્યોમાંના એક હતા, કારણકે એ સદૈવ જિજ્ઞાસુ સાધક હતા. એ સિદ્ધહસ્ત શબ્દશિલ્પી હતા, કારણકે પ્રત્યેક કૃતિ સાથે જાણે એક નવોદિત સર્જક હતા.

દર્શક વિદેશી હકૂમત સામે સ્વાતંત્ર્ય માટે ઝૂઝનારા જોદ્ધા હતા. તો રાજકીય સ્વાતંત્ર્ય મળ્યાથી ભયોભયો નથી થઈ જતું, એ તો સંવર્ધિત સ્વરાજ માટેનું પહેલું સોપાન માત્ર છે, એવી સ્પષ્ટ સમજ ધરાવતા સૈનિક સંયોજક પણ હતા. વતનથી હજારો જોજન દૂર એ પોતાની માતૃભાષાનો શબ્દ ભૂલ્યા નહોતા. પરંતુ એ શબ્દ જોજનો સુધી સંભળાય, સંભળાવી શકાય, એવો હોવો જોઈએ, એ વિશે પણ તેઓ અનાયાસે જ વિવેકશીલ હતા. પદાર્થવિજ્ઞાન પાસે પૂર્ણવિરામ મૂકી ઊભા રહે એવા એ ભૌતિકવાદી નહોતા. સાથે જ દેવલોક સામે મીટ માંડવામાં માટીનાં  માનવીઓની ઉપેક્ષા ખમી લે એવા પરલોકવાદી પણ એ નહોતા જ. બલકે, એમનાં અનેક પાત્રો સાક્ષી પૂરે છે કે નરનારીનાં હૃદયોની અનેકવિધ ભાષાના એ ભાષ્યકાર હતા, માનવ્યના મીમાંસક હતા.

એ હાડોહાડ ગુજરાતી હતા અને એટલે જ નખશિખ ભારતીય હતા અને એમની ભારતીયતા વિશ્વતોમુખી હતી. એ પોતાનું ગુજરાતીપણું કે ભારતીય હોવાપણું ભૂંસીને વૈશ્વિક થવા મથતા માણસ નહોતા. એ કોઈ વૈશ્વિક નામનું મહોરું પહેરી ઊભેલા માણસ નહોતા, પરંતુ માનવનું વિકાસશીલ અને વિકસિત હોવું એ જ સાચા અર્થમાં ભારતીય હોવું એ સૂઝ એમના વ્યક્તિત્વને વૈશ્વિક પરિમાણ આપતી હતી. એ ઇતિહાસવિદ્દ હતા. પરંપરાના અભ્યાસી હતા, અને આધુનિક હતા. એમની આધુનિકતા ઓળખવી ઘણી વાર મુશ્કેલ હતી. અને અભિવ્યક્તિના સ્તરે અદ્યતન કલાવિધાનના માપદંડથી માપી જોતાં કેટલાકને મતે વિવાદક્ષમ પણ હતી. અભિવ્યક્તિના સ્તરે કદાચ કેટલાક અંશે એમ હશે, પરંતુ વ્યક્તિત્વના સ્તરે એમની આધુનિકતા મૂલગામી હતી. એ પાંદડે પાણી પાયેલી આધુનિકતા નહોતી. એ ઊછીની કે અનુવાદિત આધુનિકતા નહોતી, પરંતુ અંતર્ગત અને સંવાદી આધુનિકતા હતી.

એમણે તત્ત્વનું જ્ઞાન કોઈ ટીપણાંમાંથી નહીં, પરંતુ લોકસમુદાય સંગાથે સૌની વ્યથાકથામાં સાથે રહીને ટીપાઈ-ટીપાઈને મેળવેલું તત્ત્વજ્ઞાન હતું. એમણે એમની પ્રજ્ઞા ઊંચા શાસ્ત્રાર્થના એકદંડી મહેલમાં રહીને નહીં, પરંતુ પ્રજા સાથે પગદંડીએ ચાલીને પ્રાપ્ત કરી હતી. એમની પીઠ કોઈ અનુગમ, અધિપતિ, મત, મઠ, પ્રચાર કે પંથનો પરોણો સહન કરે એવી નહોતી. એ પ્રથાના નહીં – પછી એ પૂર્વીય હોય કે પશ્ચિમી હોય – પરંતુ પરીક્ષણના હિમાયતી હતા. પૂર્વીય અંધશ્રદ્ધા ત્યજી પશ્ચિમી અંધશ્રદ્ધાના અંગીકારને પ્રગતિ માનવા એ તૈયાર નહોતા. એ કંઠીબદ્ધ આધુનિક નહોતા, મુક્તકંઠી કર્મશીલ વિચારક હતા. એ નવનવોન્મેષી હતા, એ અર્થમાં આધુનિક હતા. એ સર્જક, શિક્ષક, સામાજિક સમાલોચક, એમ ઘણું બધું હતા, ઘણાં પારિતોષિકોથી વિભૂષિત હતા. પરંતુ સૌથી મહત્ત્વની એમની ઓળખ તો એ હતી કે દર્શક પ્રજાસત્તાક નૂતન ભારતના એક પરમ નાગરિક હતા.

બોસ્ટન, અમેરિકા

૧. તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ના ઍક્ટન, માસાચુસેટ, અમેરિકામાં પલ્લવીબહેન ગાંધી સંયોજિત “દર્શક-જન્મશતાબ્દી સાહિત્ય- મિલન”માં અતિથિવિશેષ મનસુખ સલ્લાના મુખ્ય પ્રવચન પહેલાં આપેલા પ્રાસંગિક વક્તવ્યની નોંધને આધારે.

૨. આમાંના કેટલાક અંશો સપ્ટેમ્બર ૨૦૦૧ના ‘નિરીક્ષક’માં દર્શકને અપાયેલી સ્મરણાંજલિમાં પૂર્વે પ્રકાશિત થયા હતા.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 10-11

Loading

જમીન-આંદોલનોનો દાહક દસ્તાવેજ

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|2 December 2014

ગુજરાત સરકાર અને ઉદ્યોગગૃહોની સાઠગાંઠથી વિકાસના નામે ખેડૂતવર્ગનો કેવો વિનાશ થઈ રહ્યો છે તેનો આંખે દેખ્યો, પુરાવા સાથેનો, હચમચાવી દેનારો ચિતાર તળપદા કર્મશીલ સાગર રબારીના ‘ગુજરાતમાં ખેતી અને ખેડૂત : ટકી રહેવાની મથામણ’ નામના દસ્તાવેજી પુસ્તકમાંથી મળે છે.

વીતેલા એકાદ દાયકા દરમિયાન ગુજરાતના ખેડૂતોએ, તેમની જમીન સરકાર થકી ઉદ્યોગોના ભરડામાં ભરખાતી બચાવવા માટે, તંત્રની અમાનુષતા વેઠીને ચલાવેલાં જમીન-આંદોલનો વિશેની ચોંકાવનારી ઢગલાબંધ માહિતી યજ્ઞપ્રકાશને ધૈર્યથી પ્રસિદ્ધ કરેલા પુસ્તકના પહેલાં નવ પ્રકરણોમાં મળે છે. લેખકે નવ જેટલાં આંદોલનોમાં રગેરગ અને લગભગ ક્ષણેક્ષણ જોડાઈને સોંસરી રીતે લખેલા અહેવાલો અહીં છે. તેની સાથે વણાયેલા છે સમગ્ર ખેડૂતજીવનનો સ્વાનુભવ, ઊંડો અભ્યાસ, ભાવુકતા વિનાનું ચિંતન, હાકોટા-પડકારા વિનાની હિંમત, ધોરણસરનો આશાવાદ અને કાર્યકર્તાઓ-સાથીઓ માટે ભારોભાર કૃતજ્ઞતા. બસો બત્રીસ પાનાંના પુસ્તકનાં છેલ્લાં ત્રણ પ્રકરણોમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાત તેમ જ ખેતી માટે આપત્તિજનક દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર (ડી.એમ.આઇ.સી.) સહિત જળ-જંગલ-જમીનની સમસ્યાઓ અંગે લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો છે. પુસ્તકનાં બધાં લખાણો જમીન અધિકાર માટે, ભેખધારી ચુનીભાઈ વૈદ્યની આગેવાની હેઠળ, દાયકાઓથી લડનાર સંગઠન ‘ગુજરાત લોકસમિતિ’ના મુખપત્ર ‘લોકસ્વરાજ’ માં પ્રકાશિત થયેલાં છે.

ઊઘડતા પ્રકરણ ‘જામનગર : રિલાયન્સ’નાં ત્રીસ પાનાં આક્રોશ જન્માવનારાં છે. આ ઉદ્યોગજૂથને રિફાઇનરી માટે જમીન આપવાનો ખાવડી ગામમાં ખેતી પર સુખશાંતિથી જીવતા સત્તર પરિવારોએ ઇન્કાર કર્યો. તેમની જમીન બળપૂર્વક કબજે કરવામાં સરકારી અધિકારીઓ અને પોલીસે આ ભૂમિપુત્રોના જે ભૂંડા હાલ કર્યા છે, તેનું તમામ વિગતો સાથેનું બયાન લેખક આપે છે. તે નોંધે  છે : ‘જમીનનો કબજો લેવાઈ ગયો હતો, છતાં કંપની આગળ ન વધે, નવી જમીનો પર ડોળો ન નાખે એટલે આંદોલન થયું … ગામડાં માટે નખાયેલી પીવાના પાણીની પાઇપો ઉખાડી નાખવી, લાઇટના થાંભલા તોડી નાખવા અને પિયત માટેની નાની કેનાલો પૂરી દેવાં જેવાં અનેક દુષ્કૃત્યો પછી અનેક પરિવારોની હાય લઈને પેટ્રોલિયમ રિફાઇનરી ત્યાં ઊભી છે.’ કંપનીના જુલમો અંગે લેખક મહિતી આપે છે : ‘કંપનીને કારણે આજુબાજુનાં વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય છે.પન્ના ડેમમાં કંપનીની કોલસી ધોવાઈને આવવાથી ડેમ ભરાતો જાય છે. આજુબાજુનાં ગામોના કૂવાઓનાં પાણીમાં પણ પ્રદૂષણ આવ્યું છે. જૂના રસ્તા બંધ કરી દીધા છે. વીજળીની લાઇનો ઉખાડી નાખી છે અને ગામડામાં પીવાના પાણી માટે જે વ્યવસ્થા હતી તે પણ બંધ થઈ ગઈ છે … પહેલાં જ્યાં ખેડૂતોની વાડીઓ હતી અને એના માટે સરકારી ચૅકડૅમ બનાવ્યા હતા તે જમીન હવે કંપનીની હદમાં આવી જતાં ત્રણ ચૅકડૅમ કંપનીએ તોડી નાખ્યા છે … કંપનીની સામે અવાજ ઉઠાવનાર આંદોલન યેનકેનપ્રકારેણ તોડી નાખવામાં આવ્યું છે. જીવલેણ હુમલાઓ પણ થયા છે.’ 

સરકારે સોમનાથ પાસેના દરિયાકાંઠાના વડોદરા ઝાલા ગામના ગૌચરની ૬૮૮ એકર જમીનમાંથી ૬૫૦ એકર જમીન લાર્સન ઍન્ડ ટોબ્રો કંપનીને જેટી બનાવવા માટે ફાળવી. સરકારી બાબુઓ પોલીસ સાથે જમીનની માપણી કરવા ગયા. ગામલોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું. મોખરાની બહેનો સહિત દોઢસોએ ધરપકડ વહોરી ત્યારથી લોકસમિતિના મજબૂત ટેકાથી લડત ચાલુ થઈ. ‘કદાચ, પહેલી વાર કંપનીએ સરકાર દ્વારા ફાળવાયેલી જમીન છોડી દીધી. પ્રોજેક્ટ પડતો મૂક્યો. લોકશક્તિનો સીધો વિજય થયો.’

કચ્છમાં અદાણી પૉર્ટ ઍન્ડ સેઝ માટે સરકારે મુન્દ્રા તાલુકામાં, ૮૮૭૩ દુધાળાં ઢોર ધરાવતાં દસ ગામોની ગોચરની જે ૩૧૯૦ એકર જમીન નજીવા ભાવે આપી, તેનું આખું કોષ્ટક લેખક આપે છે. તેમાંથી ઝરપરા  ગામે વિરોધ કર્યો. ‘અનેક પ્રયત્નો છતાં આજે પણ ગામે ગોચરનું પઝેશન કંપનીને લેવા દીધું નથી’. આગળ ઉપર લેખક નોંધે છે : ‘પૉર્ટથી અદાણીનો વિકાસ થશે એ બેલાશક, પણ આસપાસનાં ગામોનાં ખેડૂતો, માછીમારો, પશુધન પર નભતાં માલધારીઓ તો વિનાશ ભણી ધકેલાશે, એવું નિશ્ચિત દેખાય છે.એટલે જ ગામલોકો વિરોધ કરી રહ્યા છે.’

જાણીતા મહુવા લોકઆંદોલનની આખ ય તવારીખ સહુથી લાંબાં ચાળીસેક પાનાંના પ્રકરણમાં  છે. સભાઓ, ધરણાં, દેખાવ, પદયાત્રા, કૂચ જેવા કાર્યક્રમોનાં વર્ણન છે. લેખકે સમજાવેલી પાયાની હકીકત તો એ છે કે સરકારે નવ ગામની સત્યાવીસ હજાર વીઘાં ફળદ્રુપ જમીન નિરમા કંપનીને સિમેન્ટ-પ્લાન્ટ બનાવવા માટે ફાળવી. કાનૂની આંટીઘૂંટી, કંપનીએ આગેવાનો પર કરાવેલા હુમલા, સરકારી દમન અને અહિંસક વિરોધ કરનાર જનતા પર પોલીસના જુલમોની ઘટનાઓ છે. જેમ કે એક રેલીમાં આંદોલનના દુધેરી ગામનાં વીરાંગના કડવીબહેનને ‘બે પુરુષ પોલીસોએ પકડી રાખ્યાં અને ત્રીજાએ લાઠીઓ મારી … એમના ઘા કમકમા ઉપજાવે તેવા હતા, દવાખાનામાં દાખલ થવું પડ્યું .. પોલીસ પર કોઈ પગલાં લેવાયાં નથી.’ કંપનીએ ભાડૂતી માણસો થકી કરાવેલા હુમલાના અને રાજ્યે પોલીસ થકી આંદોલનના દરેક તબક્કે કરેલા જુલમની યાદી લેખક આપે છે. તે એ પણ નોંધે છે કે ‘નિરમાને મળેલી પર્યાવરણીય મંજૂરી રદ થઈ, કામ રોકાયું. ચિંતા એટલી છે કે (૧) ગુજરાત સરકારે નિરમા કંપનીને ફાળવેલી જમીનનો સોદો રદ નથી કર્યો, જમીન નિરમા પાસે જ છે (૨) સમઢિયાળા બંધારો નોટિફાય નથી કર્યો. બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં રખેને વળી પાછું ભૂત ધૂણી ઊઠે !’ 

અલંગ પાસેના મીઠી વીરડી મુકામે અણુવિદ્યુતમથકની યોજના છે. આ વિસ્તાર નંદનવન છે. લોકશાહીમાં લોકોની સંમતિ વિના લેવામાં આવેલા વિવાદાસ્પદ નિર્ણયથી જે ગામના તમામ ખેડૂતોની સમૃદ્ધ જમીન જવાની  છે, તે જસપરાના તમામ ૨૬૮ ખાતેદાર ખેડૂતોએ જમીન નહીં આપવાનાં સોગંદનામાં કર્યાં છે, વિરોધ પ્રદર્શન થતું રહે છે. લેખક જણાવે છે : ‘અણુઊર્જાની ઘેલછામાં સરકાર દેશભરમાં કર્મશીલો સાથે આકરો વ્યવહાર કરી રહી છે, ત્યારે આગળ ઉપર આ લડત કપરી લાગે છે.’

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાંચ હજારની વસ્તી ધરાવતા લવાડ ગામના ‘ગૌચરને સરકારની નજર લાગી’. તેણે રક્ષાશક્તિ યુનિવર્સિટીને ૨૩૫ એકર જમીન ફાળવી. ‘ગામ થયું ગૌચર વિનાનું’. વિરોધ શરૂ થયો. એક વિરોધ કાર્યક્રમમાં ભૂલ થઈ, યુવાનોએ તોડફોડ કરી. સ્વીકાર કરતું અખબારી નિવેદન પણ અપાયું. લેખક નોંધે છે : ‘લવાડનો આ કાર્યક્રમ કેટલીક શિખામણ આપતો ગયો, કેટલુંક શીખવાનું હજુ બાકી છે.’

રાજ્ય સરકારે ઉદ્યોગોને જમીનની લહાણી કરવા સ્પેિશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (સર) ઍક્ટ નામના બિનલોકશાહી ખેડૂતવિરોધી કાયદા હેઠળ ચૌદ વિસ્તારોમાં જમીન-સંપાદનનું આયોજન કર્યું છે. લેખક ‘વિકાસને નામે ગામડાં ઉજાડવાના સરકારી ષડયંત્ર’ એવા જુલમી ધારાની સમજ આપે છે. પછી તે વિરમગામ પંથકના માંડલ-બેચરાજી વિસ્તારનાં ૪૪ ગામોના ‘સર’ સામેના સફળ આંદોલનની તબક્કાવાર માહિતી આપે છે. જો કે ધોલેરા વિસ્તારનાં બાવીસ ગામો સરમાંથી મુક્ત થવા અને નર્મદાનાં પાણી મેળવવા ભાલ બચાઓ સમિતિના નેજા હેઠળ લડી રહ્યાં છે. આ વિસ્તારની જમીનોમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે સરકારે ઊભી કરેલી જમીનની ગુણવત્તાના અભાવ, પર્યાવરણીય મંજૂરી, પાણીની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય વિમાનમથક જેવી ભ્રમજાળનો લેખક મુદ્દાસર પર્દાફાશ કરે છે. બહારથી ધોલેરાની છાપ ખારાપાટ ઉજ્જડ વિસ્તારની. જ્યાં સુધી અંદરથી જોઈએ – સમજીએ નહીં. ત્યાં સુધી ખબર ન પડે કે આ ખારો પાટ નહીં પણ કુદરતની મહેરથી સમૃદ્ધ વિસ્તાર છે. સરસ ઘઉં, જીરુ, ચણા અને શાકભાજી પાકે છે. દસમી જાન્યુઆરીએ ધોલેરા ‘સર’ના ખેડૂતોએ અમદાવાદમાં અખબારી પ્રતિનિધિઓને સંબોધન કર્યું. ‘એમની જમીન, ઉપજ અને સરકાર દ્વારા ચલાવાઈ રહેલાં જૂઠાણાંની વાતો સાંભળી પ્રેસના મિત્રો દંગ રહી ગયા !’ 

સાંથણીની જમીન માટેની ચળવળ વિશેના નવમા પ્રકરણમાં લેખક માહિતી આપે છે કે ભૂમિહીનોને જમીન આપવાની સાંથણીની નીતિ નિષ્ફળ ગઈ હોવાની સરકારે જાહેરાત કરી. તેની સામે ગુજરાત લોકસમિતિના નેજા હેઠળ અનેક સંસ્થાઓએ ઉપાડેલી લડત  મે-૨૦૦૫માં સફળ થઈ અને સાતેક હજાર પરિવારોને વીસેક હજાર એકર જમીન ફાળવવામાં આવી. લેખક નોંધે છેઃ ‘એ મેળવવામાં કેવી અડચણો આજે પણ નડી રહી છે, તે જાણવું ખૂબ પીડાકારક છે. એ આખું કામ પૂરું થયું નથી. આદરણીય ચુનીભાઈ વૈદ્ય સત્તાણું વર્ષની વયે પણ એ લાભાર્થીઓ માટે અથાગ પરિશ્રમ ઉઠાવી રહ્યા છે.’ સાગરભાઈ રબારી ચુનીકાકાની તાલીમમાં તૈયાર થયેલા છે. 

‘ખેડૂતો’ નામના દસમા પ્રકરણની પ્રાસ્તાવિક નોંધમાં સાગરભાઈ લખે છે : ‘દાયકાઓથી અન્યાયનો ભોગ બનેલા ખેડૂત, આદિવાસી, દલિત, માલધારીઓને ન્યાયની આશા જગવતો નવો જમીન-સંપાદન કાયદો ૨૦૧૩માં બન્યો, એ પણ ઉદ્યોગ જગતથી ન ખમાયો. મૂડીના જોરે બળવાન આ બોલકો વર્ગ એમાં પણ  સરકાર  પાસે ધાર્યા ફેરફાર કરાવવા જઈ રહ્યો છે.’

ડી.એમ.આઇ.સી. અંગે લેખક માહિતી આપે છે કે તેનો ૩૮% હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે. તેમાં ગુજરાતની સાત હજાર હેક્ટર જમીન જશે. લેખક આ સંદર્ભે મહત્ત્વનો સવાલ કરે છે : ‘આ ઉપરાંત હાલના હયાત ઉદ્યોગો, સેઝને નામે ૨૦૦૫ પછી ઉદ્યોગોને આડેધડ ફાળવાયેલી હજારો એકર જમીનો, નવા મંજૂર થયેલા સેઝમાં અપાયેલી જમીનોનો સરવાળો કરીએ, તો સવાલ થાય કે ગુજરાતમાં ખેતી માટે કોઈ જમીન બચશે ખરી ? વળી, પાયાની વાત એ છે કે આ બધા ઉદ્યોગો ફળદ્રૂપ ખેતીલાયક જમીનોમાં જ આવી રહ્યા છે ! કચ્છના રણનો વિસ્તાર અને દરિયાકાંઠે આગળ વધતી ખારાશનો વિસ્તાર, રક્ષિત જંગલો અને પર્વતીય વિસ્તાર એ બધું બાદ કરીએ, એમાંથી ઉદ્યોગોએ પડાવેલી જમીનો બાદ કરીએ, તો ગુજરાતમાં ખેતીલાયક જમીન કેટલી બચશે ?’ જૂનાગઢ જિલ્લાના ભીમદેવળ ગામની પંચાયતે વડી અદાલતમાં અરજી કરી છે કે ગામના ગૌચરની જમીન ગુજરાત હેવી કૅમિકલ્સને ફાળવી દેવામાં આવી છે. ખેડૂતોની ઘટતી સંખ્યા, જમીન-સંપાદન અને પાણીની ખેંચ, કેવડિયા એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (કાડા) અને ગરુડેશ્વર વિઅરને કારણે થનારું વિસ્થાપન જેવા મુદ્દા વિશે પણ વાંચવા મળે છે.

‘વિકાસ : ચહેરો રૂપાળો ને વાંસો વિકરાળ’ પ્રકરણમાં ભૂકંપ પછી કચ્છના પુનર્વસનની સરકારની યોજનાઓના ભાગ રૂપે કચ્છમાં જમીન મેળવીને આવેલા ઉદ્યોગોની અપાર વિપરીત અસર વિશેની વિગતો છે. આ વિગતો પર્યાવરણસુરક્ષા સમિતિની ટુકડીએ કચ્છની જાતમુલાકાત દ્વારા મેળવી છે. ખાવડા, પાન્ધ્રો, જખૌ, ભદ્રેશ્વર અને મુન્દ્રા પાસે સમાગોગા ગામોમાં જળ-જમીન-વાયુ-પ્રદૂષણ અને બેરોજગારી જેવી સમસ્યાઓ ખડકાઈ છે. અદાણીએ બેથી બાર ફૂટ ઊંચાઈનાં અઢીસોથી ત્રણસો વર્ષ જૂનાં ચેરિયાં – એશિયામાં ક્યાં ય નથી કપાયાં એટલાં – સાડા ત્રણ કરોડ કાપ્યાં છે ! શબ્દશઃ વાંચવા જેવા પ્રકરણને અંતે લેખક કહે છે : ‘આ ઉદ્યોગોનો ખેલ છે – નકશા પર ચહેરો રૂપાળો બતાવે છે પણ વાંસો તો પ્રદૂષણ અને બેરોજગારીથી વિકરાળ છે.’ અગિયારમા પ્રકરણમાં જમીન – આંદોલનનાં કામોમાં લેખકે કરેલા અનેક પ્રવાસોની માહિતી છે.

પુસ્તકના છેલ્લા પ્રકરણ ‘કાયદાની ભ્રમજાળ’માં કેન્દ્ર સરકારના જમીન અધિગ્રહણ વખતે યોગ્ય વળતરનો અધિકાર અને પુનર્વસવાટ અને પુનઃસ્થાપનનો કાયદો – ૨૦૧૩’ અને તેને લગતાં આપણાં સૂચનો વિશે વાંચવા મળે છે. તદુપરાંત સર ઍક્ટની  સમજ  આપવામાં આવી છે. તે  આ પુસ્તકની પુરવણી જેવી બત્રીસ પાનાંની પુસ્તિકા ‘ગુજરાત સરકારના કાયદા અને ગામડાં’માં પણ છે. સાથે તેમાં ‘ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલવ્યવસ્થા વિધેયક’ની સમજૂતી છે. પુસ્તિકાના પહેલા પ્રકરણ ‘ખેડૂતો સાબદા રે’જો … નહીંતર જમીન ગુમાવવા તૈયાર રહેજો’માં ખેડૂતોને થોડોક ન્યાય મળી રહે તેવા જમીન-સંપાદન કાયદામાં બહુ ઝડપથી આવી રહેલા ખેડૂત વિરોધી ફેરફાર અંગે લેખકે ચેતવણી આપી છે. અન્ય એક નોંધમાં સરકારે ૭૦૩૭૧ હૅક્ટર જમીનને નર્મદા યોજનાના પાણીમાંથી બાકાત રાખીને કરેલા વચનભંગની સાફ વાત છે. સર અને સિંચાઈને લગતા કાયદા વાંચીને વિશ્વાસ નથી આવતો કે લોકશાહી દેશના રાજ્યે ઘડેલા આ કાયદા છે.

આ લેખ પુસ્તકની માત્ર એક અસ્વસ્થકારક ઝલક જ છે. પુસ્તકની મહત્તા અહીં સૂચવાઈ છે, તેનાથી ઘણી વધુ છે. સાગર રબારીનું આ પુસ્તક મોટા ભાગના લોકો જેને વિકાસ માને છે, તે કોને ભોગે અને કોને માટે થઈ રહ્યો છે, તેનો સામાન્ય નાગરિકને સમજાય તેવી ભાષામાં આપેલો લાજવાબ જવાબ છે. ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા સહુને આ પુસ્તકમાંથી પસાર થવા નમ્ર અરજ છે. ગુજરાતીમાં તેનો બહોળો  ફેલાવો થાય, એટલું જ નહીં પણ બીજી ભાષાઓમાં તેનો અનુવાદ થાય, તો કર્મશીલ લેખકની મહેનત અને નિસબતનાં પરિણામ અનેક લોકો સુધી પહોંચે.

૬ નવેમ્બર, ૨૦૧૪      

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 12-14

Loading

...102030...3,9403,9413,9423,943...3,9503,9603,970...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved