Opinion Magazine
Number of visits: 9871886
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આતંકવાદના ઢોલ સામે શાંતિપ્રિયની પિપૂડી વાગે, કોને સાંભળશું …..

આશા બૂચ|Opinion - Opinion|26 January 2015

સવારના પહોરથી માંડીને રાત્રે સુવા ટાણા સુધીમાં છાપું વાંચો કે સ્માર્ટ ફોન પર whats આપ તપાસો, ટેલીવિઝન પર સમાચાર જુઓ કે ફેઇસ બુક પર નજર નાખો, ઈ.મેઈલ ખોલો કે કોઈ કુટુંબી-મિત્રો સાથે વાત કરો, જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે બસ અમુક જગ્યાએ બોમ્બ ફૂટ્યો, અમુક દેશમાં ફલાણી સંખ્યામાં યુવાન સ્ત્રીઓને પકડીને લઈ ગયા, કોઈ ઓફિસમાં ગન  ફાયરથી આટલી લાશો ઢળી, કોઈ કબ્રસ્તાનમાં કેટલીક કબરો ખોદીને ભાંગફોડ કરવામાં આવી, ક્રોધે ભરાયેલા યુવાનો બીજી કોમ વિરુદ્ધ સૂત્રો પોકારે અને દીવાલો પર તેનું વરવું ચિત્રણ કરે છે, આટલાં એરોપ્લેન તૂટી પાડવામાં આવ્યાં, મોટા મોટા શોપિંગ મોલમાં બંદૂકની અણીએ કેર વર્તાવ્યો અને આટલા લોકોએ જાન ગુમાવ્યા, એવા એવા સમાચારોનો સતત મારો ચાલ્યા કરે છે. થાય છે કે એવા ગ્રહ ઉપર રહેવા જઈએ જ્યાં માનવ માનવ બનીને શાંતિથી જીવતા હોય અને જીવવા દેતા હોય !

હાલની પરિસ્થિતિથી વ્યથિત થયેલ એક સજ્જનની હૃદયવ્યથા મારા વાંચવામાં આવી. જર્મનીના એક જાણીતા પ્રતિષ્ઠિત માનસ ચિકિત્સક કે જેમના પૂર્વજો બીજા વિશ્વ યુદ્ધ પહેલાં અનેક ઉદ્યોગો અને જાગીરના માલિક હતા. તેમના કુટુંબ પર વીતેલી યાતનાઓ યાદ કરતાં તેઓ કહે છે કે ‘અમે તો એમ ધારેલું કે નાઝી એ તો થોડા મૂર્ખ લોકોનું જૂથ છે, એટલે અમે તેના પર કંઈ ધ્યાન ન આપ્યું અને તેઓએ જે કેર વર્તાવ્યો તે જોયા કર્યું. અમે એ ભયાનક પરિસ્થિતિથી સજાગ થઈએ તે પહેલાં તેમણે અમારા પર માલિકી જમાવી, અમે અમારા ઉપરનો કાબૂ ગુમાવ્યો અને અમારા વિશ્વનો જાણે અંત આવ્યો. મારા કુટુંબે બધી માલમત્તા ગુમાવી અને હું કોન્સન્ટ્રેશન કેમ્પમાં પુરાયો.’

હાલની સ્ફોટક પરિસ્થિતિના અનુસંધાનમાં તેઓ કહે છે કે આપણે હવે ગફલતમાં રહેવું પોસાય તેમ નથી. એમણે એમ પણ કહ્યું કે, ‘નિષ્ણાતો કહે છે કે ઇસ્લામ એક શાંતિપ્રિય ધર્મ છે, જે હકીકત કદાચ સાચી હોય તો પણ અત્યારે એ અર્થવિહીન સાબિત થઈ રહી છે. તેનાથી અત્યારે ઈસ્લામને નામે થતી ખાનાખરાબીનો જવાબ નહીં મળે. હકીકત એ છે કે એ મુઠ્ઠીભર આતંકવાદીઓ જ પોતાના ધર્મ પર રાજ કરે છે, ઠેક ઠેકાણે કૂચ કરી દેખાવો કરે છે, દુનિયાના ખૂણે ખૂણે લડાઈઓ છેડે છે, આફ્રિકાના નિર્દોષ ક્રિશ્ચિયન અને આદિવાસી લોકોની પધ્ધતિસર હત્યા કરીને આખા ખંડને ઇસ્લામિક મોજા નીચે તાણી લેવા પ્રયત્નશીલ છે, અને એ લોકો જ બોમ્બ ફેંકે છે, શિરચ્છેદ કરે છે અને ધર્મની કહેવાતી રક્ષા માટે હત્યા કરે છે. એ આતંકવાદીઓ જ મસ્જિદોનો કબજો લઈ લે છે, બળાત્કારનો ભોગ બનેલા અને હોમોસેક્સુઅલને પથ્થરમારો કરીને મારી નાખે છે, અને એ લોકો જ પોતાની જ કોમના નાના કૂમળાં બાળકોને સ્યુસાઈડ બોમ્બર બનાવી મોતને ઘાટ ઉતારે છે.’

આ લેખકના આક્રોશ સાથે ઘણા વાચકો સહમત થશે. એમણે આપણું એ હકીકત તરફ ધ્યાન દોર્યું છે કે મોટા ભાગના રશિયન શાંતિપ્રિય હોવા છતાં સામ્યવાદી શાસન દરમ્યાન 20 મીલિયન રશિયનો માર્યા ગયા, ચીનમાં પણ સામ્યવાદી સરકારે જ 70 મીલિયન ચાઈનીઝ્ના જાન લીધા. એવું જ દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાના જાપાનીઝ લોકો કંઈ લડાકુ કે ખુન્નસ માનસ વાળા નહોતા, છતાં લગભગ 12 મીલિયન ચાઇનીઝને તલવાર, પાવડા ને બંદૂકની બેયોનેટથી મોતને ઘાટ ઉતાર્યા. વળી રુઆન્ડાનો મહાસંહાર કેમ ભૂલાય? ઇતિહાસના પાઠ ઘણી વખત સાવ સીધા અને સમજવા સહેલા હોય છે. ઉપર કહેલા બધા દેશોમાં બહુમતી પ્રજા તદ્દન શાંતિપ્રિય હતી છતાં તેમનો અવાજ ન સંભળાયો અને એ લોકો જ નિર્દય સંહારનો ભોગ બન્યા. એવું પણ બની શકે કે શાંતિપ્રિય મુસ્લિમ લોકો જ આપણા દુશ્મન બની જાય કેમ કે જે દિવસે તેઓ આ સ્થિતિથી જાગશે ત્યારે ભાન થશે કે તેમની ચોટલી તો આ અંતિમવાદીઓના હાથમાં છે અને ત્યારે પેલા જર્મન સજ્જન સાથે બન્યું તેમ તેમનો અને જગતનો અંત થવાની શરૂઆત થઈ ચુકી હશે. શાંતિપ્રિય જર્મન, ચાઇનીઝ, રશિયન, રુઆંડન્સ, સર્બિયનન્સ, અફઘાન્સ, ઈરાકી, પેલેસ્તેિનયન્સ, સોમાલી, નાઈજીરિયન્સ, અલ્જીિરયન્સ અને અન્ય લાખો કરોડો જાન ગુમાવી બેઠા હશે કેમ કે એ શાંતિપ્રિય લોકો આતંકના વિરોધમાં અવાજ ઉઠાવવામાં મોડા પડ્યા.  

આ લેખ વાંચતાં વિચાર જરૂર આવ્યો કે ખરેખર દુનિયામાં સામાન્ય પ્રજાને આ ધર્માંધ હિંસક લડાઈ સાથે સીધી કોઈ લેવા દેવા નથી, તેમાંના મોટાભાગના શિક્ષિત છે અને વગ ધરાવતા સ્થાનો પર નોકરી કરે છે અને ખાનગી વાતચિત  દરમ્યાન ‘આ બહુ ખોટું થાય છે, અટકાવવું જોઈએ’ એમ કહે છે પણ ખરા, પણ સંયુક્તપણે કોઈ અસરકારક પગલાં લઈ નથી શકતા અને પરિણામે હિંસાનું તાંડવ અવિરોધ ચાલ્યા કરે છે. એવા જાગૃત લોકોએ ધર્મને નામે પ્રજાની સમજશક્તિનું ધોવાણ કરનારા તત્ત્વોથી પણ સજાગ રહેવું જોઇશે.

ભારત ઉપર ઉલ્લેખ કર્યો છે તે દેશોની સરખામણીએ શાંતિ અને સલામતી જાળવી શક્યો છે તેમ કહી શકાય, પરંતુ તેના પાડોશી દેશો સાથેના તંગદીલીભર્યા સંબંધો અને ત્યાંથી ઢોળાઈને આવતો આતંકવાદ અને દાયકાઓ જૂના કોમી વિખવાદને કોમી એખાલાસમાં પરિવર્તિત કરવાને અશક્ત એવા રાષ્ટ્રના બુદ્ધિજીવીઓ અને દેશના ઘડવૈયાઓએ આ મુદ્દો ધ્યાનમાં લઈને સક્રિય પગલાં લેવાની તાત્કાલિક જરૂર છે. નહીં તો કહેવાતા ‘બાપુ’ અને ધર્મોપદેશકો પોતાના સંકુચિત વિચારોને પોતાના સ્થાનના બળ ઉપર લોકોને ગળે ઉતરાવવા પૂરા સક્રિય બનેલા જ છે તેમને સફળતા મળી જશે. તેનું એક ઉદાહરણ આપું. કચ્છના સ્વામીનારાયણ સંપ્રદાયના એક ‘સ્વામી’ (???) પોતાના ભક્તજનો(???)ને એક મહામૂલ્ય સંદેશ આપતા હતા તે યુ ટ્યુબ પર મુકેલું મને કોઈ એક બહેને ‘ફોરવર્ડ’ કર્યું. એ સાંભળ્યા પછી એ મોકલનાર બહેન, એ સંદેશ આપનાર સ્વામી અને એ ચેતવણી સાંભળનાર શ્રોતાઓ કેટલા ફોરવર્ડ છે તેનો ખ્યાલ આવ્યો. અહીં તેનો સારાંશ આપું છું :

‘જેની પાસે મોટર બાઈક કે ગાડી ન હોય તેવા લોકો કોની રિક્સા કે છકડામાં બેસે છે તેનો ખ્યાલ કરે. માઈલો દૂર ચાલીને જવું પડે તો ભલે પણ કોઈ મુસલમાનની રિક્સા કે છકડામાં બેસશો તો તમારી બહેન-દીકરીની લાજ જોખમમાં મુકશો. એટલું જ નહીં કેટલાક ખેડૂતો પોતાના ખેતર પાસે ‘વિધર્મીઓ’ને ગાય કે ભેંસનો તબેલો કરવા દે છે. એ ચોપગાંનાં ખાતર એ લોકો વિધર્મીઓને પોતાની બાજુમાં આવવા દે છે અને પોતાની દીકરીઓને ગીરવી મૂકે છે. તમે સ્વામીનારાયણના પૂજક હો તો આવા વાડાને બહાર કરી મુકજો. ગામની ગોશાળામાં કે પાંજરાપોળમાં ગાયો માટે દાન દેજો પણ કોઈ મુસલમાનની ગાયોને દાન ન દેતા. વાડીમાં કામ કરતી તમારી દીકરીઓ ઉપર એ વિધર્મી બૂરી નજર નાખે એટલે એને ભગાડી મુકજો. દરેકને પગે લાગીને કહું છું કે હિન્દુની રિક્સામાં બેસવાનો વાંધો નથી પણ મુસલમાનની રિક્સામાં બેસતા નહીં.’

હવે આ સ્વામીની વાતો કેવી વાહિયાત છે? છતાં સેંકડો-હજારો સ્વામીનારાયણના ભક્તો આ સાંભળશે અને કદાચ તેને અનુસરશે પણ ખરા. આવા કૂપમંડૂક વિચારો અને કોમવાદી માનસ ધરાવનારાઓને કહેવા ઈચ્છું છું કે મેં ભારતમાં એક સંસ્થામાં કામ કરેલું છે જ્યાં અનેક સ્ત્રીઓ અને બાળાઓ બળાત્કાર, ઘરેલુ હિંસા અને શારીરિક-માનસિક ત્રાસનો ભોગ બનીને આશ્રય શોધવા આવતી. એ બધી બદનસીબ બહેનો હિંદુ હતી અને તેમના પર થતો અત્યાચાર તેમના જ કુટુંબીઓ અને સમાજના લોકો તરફથી થતો. તેઓ અનેક રિક્સાચાલકો અને ખેતરમાં વાડાઓમાં કામ કરતા પિશાચોના શિકાર બનતાં તેના અમે સાક્ષી હતા અને તેઓ બધા હિંદુ હતા. એટલું જ નહીં, મેં એવા બે કેઈસ પર કામ કરેલું જેમાં મારે સ્વામીનારાયણ મંદિરોમાં ચાલતી ગેરરીતિઓ પર લડવું પડેલું.

અહીં એક વાત નોંધવી રહી કે સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનો પરવાનો માત્ર એક ધર્મના લોકો પાસે નથી, તેમ જ બીજા ધર્મ વિરુદ્ધ ઝેર ઓકવાનું વલણ પણ કોઈ એક કોમના લોકોનું નથી હોતું એ સૂચિત ક્લીપથી સાબિત થયું. દુખની વાત તો એ છે કે આવા ‘ધર્માત્માઓ’ને ઘણા લોકો સાંભળવા જાય, આવી ક્લીપ્સનો પ્રચાર-પ્રસાર થાય અને પોતાના જ દેશબાંધવો વિરુદ્ધ લાગણી ફેલાવવાનું કામ કહેવાતા ભણેલા લોકો કરે. મને તો એવા લોકો અને જેમના પર બ્રિટન-અમેરિકાની સરકારો દ્વારા પ્રજાની શાંતિ અને એકતાને જોખમમાં લાવવા બદલ કાયદાથી કામ લેવામાં આવી રહ્યું છે તેમનામાં કોઈ ફરક નથી જણાતો. બહેતર તો એ છે કે આવી વાતો પર ધ્યાન દેવામાં ન આવે, અને તેનો પ્રસાર કરવામાં ન આવે. દુ:ખની વાત તો એ છે કે કચ્છના લોકો એ વાતનું ગૌરવ લઈ શકે તેમ હતા કે એ પ્રદેશમાં સદીઓથી વિવિધ જાતિઓ અને ધર્મના લોકો આવીને વસ્યા અને તેમની સાથે કળા, ભાષા, સંસ્કૃિત, પોશાક, ધાર્મિક તહેવારો અને ખોરાકની આપ-લે થતી અને એખલાસભર્યા વાતાવરણમાં પેઢીઓ ઉછરી. દેશમાં અન્ય સ્થળે કોમી રમખાણોનો દાવાનળ સળગ્યો હોય ત્યારે કચ્છી માડુ શાંતિથી જીવ્યે જતો હતો. એ ભૂમિમાં આવા કોમવાદનાં બીજ રોપનારને કદી સફળ નહીં થવા દેવાનો નિર્ણય ત્યાના રહેવાસીઓ કરે તેવી પ્રાર્થના.

ભારતમાં ઉપર કહ્યા તેવા કોમવાદનું ઝેર ફેલાવનાર વ્યક્તિઓ અને સંગઠનોની ખોટ નથી. તેવે વખતે અબુ ધાબીના ટેલીવિઝન પર 2006માં એક બુધ્ધીજીવી મી. મુસાવીની મુલાકાત પ્રસારિત થયેલી જે તાજેતરમાં જોવા મળી એ વિષે જાણવું રસપ્રદ થશે. સૌ પ્રથમ તો ભારતીય ‘સંત’ એટલે ઉદાર વિચારો ધરાવતો અને કોમવાદી ઝેર ઓક્નારો ન હોય અને અબુ ધાબીનો બુદ્ધિજીવી એટલે આખર તો મુસલમાન એટલે અંતિમ ધાર્મિક વિચારો ધરાવનારો અને ખુન્નસ ભરેલા વિચારો ફેલાવનારો જ હશે એવી સર્વ સામાન્ય છાપ સરેરાશ માણસ ધરાવે છે. મી. મુસાવીના વિચારો જાણ્યા પછી વાચકો જાતે નિર્ણય લઈ શકશે. ભાઈ મુસાવીને આરબ જગતમાં સામાજિક વિશ્વાસઘાતના આરોપો મુકીને કોઈને કોઈ બુદ્ધિવાન જાગૃત નાગરિક, વિચારક કે કવિને એક નહીં ને બીજા ગાળિયામાં ફાંસી આપવામાં આવે છે જેનું દુ:ખ છે અને આવાં કૃત્ય સંસ્કૃિત અને તેની ક્રિયાત્મક શક્તિની વિરુદ્ધ છે એમ લાગે છે. તેમને આરબ લોકોમાં આવી પછાત વિચારધારા રૂપી કોલેસ્ટ્રોલ કે જે લોકોના મસ્તિષ્ક અને ધોરી નસોમાં જમા થતું જાય છે તેને  દૂર કરવાની હિંમત હોવી જોઈએ . મી. મુસાવી સ્પષ્ટ પણે માને છે કે ભૂતકાળમાં આરબ સંસ્કૃિત આંડાલુસિયા(દક્ષિણ સ્પેઇન)થી માંડીને ઘણા દેશોમાં વિકસી હતી પણ આજે એ અધોગતિ તરફ વળી રહી છે. પોતાની જ કોમ આજે હિંસાનો નિકાસ કરે છે, સમગ્ર દેશને આતંકથી ભયભીત કરી મૂકે છે અને અન્ય દેશોની સલામતીને જોખમમાં મૂકી રહ્યા છે એ વિષે તેઓ ઘણો રંજ અનુભવે છે. મસ્જીદનો તખ્ત હવે જનતાને હિંસાના મુખમાં ધકેલી રહ્યો છે, એમને ‘બીજાઓ’ પ્રત્યે નફરત કરવા પ્રેરીને booby trap કરે છે માટે આપણે આપણી ધાર્મિક વિચારધારાને તપાસીને સુધારવીજોઈશે તેમ કહેનાર ઘણો હિંમતવાન હોવો જોઈએ. એ મુલાકાતમાં મી. મુસાવીએ ધર્મ ઉપર રાજકારણનો દબાવ, શહીદ થયેલાઓ માટે સ્વર્ગમાં અપ્સરાઓ રાહ જોતી હશે તેવો ધર્મને નામે થતો પ્રચાર વગેરે જેવાં પરિબળોને કારણે નિર્દોષ પ્રજા, યુવાનો, સ્ત્રીઓ અને બાળકો જાન ગુમાવે છે તેનો ઉલ્લેખ કર્યો. આ મૃત્યુની ભાષા છે, આપણે આવી રીતે મૃત્યુ પામવા કે બીજાને એ રીતે મારવા નથી જન્મ લેતા પરંતુ માનવ જીવનનું સાર્થક્ય પોતાની માતૃભૂમિને ખાતર સુંદર જીવન જીવવામાં છે એવું દ્રઢપણે મી. મુસાવી માને છે. ધાર્મિક વૃત્તિ ધરાવનાર મુસ્લિમ, બીજાને સત્કારતો બંધ થાય, કયામતને દિવસે સતત નરકનો ભય બતાવતો ફરે, જ્ઞાનની મશાલ ધરવાને બદલે શિક્ષણ અને સુંદર વાચનથી દૂર ભાગે તે ઇસ્લામ ધર્મનો અનર્થ કરે છે જેથી કરીને એનું પોતાનું મન કેટલાક આદર્શો અને સિદ્ધાંતોની ખાઈઓમાં અપહૃત થઈ જાય છે અને તેનો પ્રચાર કરીને બીજાને પણ એ ખાઈમાં લઈ જાય છે. આ યુવાન ગાંધીના એકાદ બે જીન્સ આરબ પ્રજાને મળે તો દરેક યુવાનમાં રોપવા માંગે છે. ઘરમાં જીસસ, ગાંધી અને માર્ટીન લ્યુથર કિંગની તસ્વીરોમાંથી પ્રેરણા લેનારો, શાસ્ત્રીય સંગીત માનવીના આત્માને ખીલવનાર અને નમ્ર બનાવનાર ઉત્તમ સાધન ગણનાર કેવો ઉદારમત ધરાવનાર હશે? તેમણે 70 મીલિયન જેટલા અશિક્ષિત આરબ બંધુઓને શિક્ષણ મેળવીને ઉત્કૃષ્ટ વાંચનની ટેવ કેળવવા અનુરોધ કરીને મુલાકાત પૂરી કરી.

આજે ભારતમાં પેલા સ્વામીનારાયણ પંથી સ્વામી જેવી મનોવૃત્તિ ધરાવનાર નહીં પરંતુ અબુ ધાબીના આ બુદ્ધિજીવી જેવા યુવક-યુવતીઓની બનેલ સેનાની તાતી જરૂર છે કે જેઓ પોતાના અને પોતાના દેશબંધુઓની શાંતિપ્રિયતાનો વિચાર બુલંદપણે માત્ર ઘોષિત જ કરે તેટલું પૂરતું નથી પણ એમની પિપૂડી એવી સક્ષમ બને કે આતંકવાદના ઢોલના અવાજને પાતાળમાં ધરબીને શાંતિ અને અમન ભર્યું ચમન બનાવી શકે.  

e.mail : 71abuch@gmail.com

Loading

જ્યારે જ્યારે સતનું સ્વાગત થાય છે ત્યારે …

ચંદ્રકાન્ત શેઠ|Poetry|26 January 2015

જ્યારે જ્યારે સતનું સ્વાગત થાય છે ત્યારે …               • ચંદ્રકાન્ત શેઠ


જ્યારે જ્યારે સતનું સ્વાગત થાય છે ત્યારે ત્યારે
         મનેય લાગે છે મારું સ્વાગત થતું !
ક્યાંય પણ કોઈનીયે સ્નેહવર્ષા દ્વેષાગ્નિને ઠારે છે ત્યારે,
         મને લાગે મારી ભીતર કશુંક શીળું મીઠું વિસ્તરતું !

નિંદા ને નફરતના ખીલા કોઈના હાથપગમાં ભોંકાય છે ત્યારે
         મારાયે ઘરના થાંભલા ને મોભ થાય છે લોહિયાળ;
જુઠ્ઠી ને દંભી ગાજવીજ નિર્મળ આકાશને ઘેરી વળે છે ત્યારે,
         મારી અંદરનું સોનપંખી કરી ઊઠે છે ચિત્કાર;
જ્યારે કોઈની ભલી ને ભાવભરી ઉપસ્થિતિ
         બની રહે છે અનાથની ઓથ,
         ત્યારે કંઈક ઠરીઠામ થયાની રાહત અનુભવાય છે મને !

સાંકડી ને આંધળી ગલીની
         સ્વાર્થી ને સત્તાની હવસખોર ડમરીઓ,
         જ્યારે લપેટમાં લે છે ભલી ભદ્રિક્તાને પદભ્રષ્ટ કરવા,
         ત્યારે મારામાં ફાટું ફાટું થાય છે એક જ્વાલામુખી,
ભય ને લાલચની ભુતાવળ
         શેરડીના સાંઠાની જેમ ધરતીનાં રસકસ ખેંચી લેવા
         જ્યારે ઝનૂનપૂર્વક ચઢી છે ચકરાવે ત્યારે,
કોઈની દિલાવરીનો હાથ જ
         બની રહે છે બધી રીતે નિઃસહાયનો સધિયારો
         અને ત્યારે જ મજબૂત થાય છે મારી હસ્તી થડ-મૂળથી, ફૂલ-ફળથી.

વળી કોઈની અમીનજરના સંસ્પર્શે
        મારામાં કોઈ લીલાછમ ઉઘાડની રૂડપ ઊભરાઈને ફરી વળતી માણું છું.
शुभની આંખ જ્યારે ખૂલ છે
        ત્યારે જ लाभનાં બારણાં ઊઘડે છે
         ને ત્યારે જ ભીતરની ભોંયમાંથી ઝળહળતા પ્રગટ થાય છે પ્રસન્નતાના હિરણ્યમય ચરુ !

૧-૧૨-૨૦૧૪ની આ કૃતિ, કવિનું જિગરનામું, ૨૦૧૫માં પ્રવેશતાં, વાચકોની સેવામાં –

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પહેલું પાન

Loading

બહુમુખી પ્રતિભા ધરાવતા યુગપુરુષ

દિનેશ શુક્લ|Opinion - Opinion|26 January 2015

ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની મુખ્ય ત્રિપુટી, ગાંધી, સરદાર અને નેહરુને આપણે આજે વિવિધ કારણોસર યાદ કરીએ છીએ. ગાંધીજીને તેમના ઉદાત્ત આદર્શો અને તેમના પારદર્શક જીવન અને તેમાંથી પ્રગટ થતા સંદેશ માટે યાદ કરીએ છીએ. નેહરુને તેમનાં વિચારો, આધુનિક મૂલ્યો જેવાં કે સેક્યુલારિઝમ, રેશનાલિઝમ અને વૈજ્ઞાનિક અભિગમના આગ્રહ માટે યાદ કરીએ છીએ. તો સરદારને તેમણે કરેલ અનેક કાર્યો, એવા કાર્યો, જે તેમના સિવાય બીજું કોઈ કરી શક્યું ન હોત, તે માટે યાદ કરીએ છીએ.

૧૯૪૬થી ૧૯૫૦ સુધીનાં પાંચ વર્ષનો સમયગાળોનો ભારતના આધુનિક ઇતિહાસમાં સૌથી કઠિન અને નિર્ણાયક રહ્યો છે. એક નવા રાષ્ટ્ર-રાજ્યના જન્મસમયની બધી પ્રસૂતિ પીડાઓનો સામનો મુખ્યત્વે સરદાર અને નેહરુને કરવો પડ્યો હતો. આ સંધિકાળમાં આ ત્રણે નેતાઓની હાજરી અને તેમની દોરવણી પાછળ ભારત ભાગ્યવિધાતાનો કોઈ સંકેત હોવો જોઈએ !

નેહરુ સ્વાતંત્ર્યસંગ્રામના એક અગ્રણી લડવૈયા તો હતા જ. ઉપરાંત, તેઓ એક મહાન લેખક અને ખાસ તો ઇતિહાસના અભ્યાસી હતા. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘Glimpses of World History’, ‘Discovery of India અને ‘Autobiography’ વગેરેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તે વખતના નેતાઓમાં જગતના ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય રાજકારણનો તેમણે જે ઊંડાણથી અભ્યાસ કર્યો હતો, એટલો બીજા કોઈ નેતાએ કર્યો ન હતો.

તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. વચગાળાની સરકારમાં વડાપ્રધાન(૧૯૪૬)થી ૧૯૬૪માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી દેશનું સુકાન સંભાળનાર અને આધુનિક ભારતનો પાયો નાંખનાર મુઠ્ઠી ઊંચેરા રાજપુરુષ હતા. નેહરુ જેમ અચ્છા લેખક અને અભ્યાસી હતા, તેટલા જ પ્રભાવશાળી વક્તા પણ હતા. ૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ની મધ્યરાત્રિએ જ્યારે બ્રિટિશ સામ્રાજ્યના પ્રતીક સમો ‘યુનિયન જેક’ (ધ્વજ) નીચે ઉતારવામાં આવ્યો અને આઝાદ ભારતનો તિરંગો ફરકાવવામાં આવ્યો ત્યારે તેમણે જે પ્રવચન આપેલ ‘Tryst with Destiny’ તે અવિસ્મરણીય છે. વિશ્વનાં યાદગાર પ્રવચનોમાં તેનું વિશિષ્ટ સ્થાન છે. નેહરુ જ્યારે બોલતા ત્યારે તેમાં કવિતાનો રણકો સંભળાતો હતો. અંગ્રેજી ભાષા પરનો તેમનો કાબૂ, શબ્દોની પસંદગી અને તેના ઉચ્ચાર ભલભલા અંગ્રેજને પણ શરમાવે તેવા હતા.

ભારતના બંધારણના ઘડવૈયાઓમાં તેઓ મોખરે હતા. બંધારણઘડતરમાં તેમનો ફાળો અમૂલ્ય હતો. બંધારણસભાની બેઠકોની શરૂઆતમાં તેમણે ‘Objective resolution’ રજૂ કરેલું, તેમાં દેશનું નવું બંધારણ ઘડવા પાછળ આપણા મુખ્ય ઉદ્દેશો કયા છે, તેની સ્પષ્ટતા કરવામાં આવેલી. તેમાં જે મુખ્ય મુદ્દાઓ રજૂ કરવામાં આવેલા, તે બધાનો સમાવેશ ભારતના બંધારણના આરંભમાં મૂકવામાં આવેલ ‘આમુખ’માં થાય છે. બંધારણનાં આમુખ(બીજા શબ્દોમાં પ્રસ્તાવના)માં આપણે સ્વતંત્ર થયા પછી એક રાષ્ટ્ર-રાજ્ય તરીકે કયા ઉદ્દેશો અને આદર્શો ચરિતાર્થ કરવા માંગીએ છીએ, તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રસિદ્ધ રાજ્યશાસ્ત્રી અર્નેસ્ટ બાર્કરે જમાવ્યું છે કે ‘ઉદારમતવાદી લોકશાહીનાં મૂલ્યો અને આદર્શોની આટલી સચોટ અભિવ્યક્તિ તમને બીજે ક્યાં ય જોવા નહીં મળે’. બંધારણના આમુખને આપણે ‘Mission statement’ પણ કહી શકીએ.

નેહરુ એક અભ્યાસી લેખક અને પ્રભાવશાળી વક્તા તરીકે તે વખતના નેતાઓમાં આગવી ભાત પાડે છે, તેમ એક વિચારક તરીકે પણ અલગ તરી આવે છે. આપણે તેમને ‘માનવવાદી-રેશનાલિસ્ટ વિચારક’ કહી શકીએ. તેમની દાર્શનિક ભૂમિકા ‘અજ્ઞેયવાદી’ની હતી. અગાઉ ઉલ્લેખ કર્યો તે અનુસાર તેઓ જગતના ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ પુસ્તકમાં ઇતિહાસ વિશેની તેમની વિભાવનાનો પરિચય મળે છે. તેઓ માનતા કે ઇતિહાસ મુખ્યત્વે વસ્તુલક્ષી પરિબળોથી સંચાલિત થાય છે. છતાં ઇતિહાસને ચાલના આપનારાં પરિબળોમાં વ્યક્તિવિશેષના ફાળાનો ઇન્કાર કરતા નથી. ઇતિહાસના ‘વીરપુરુષો’ જેવા કે નેપોલિયન, ચંગીઝખાનના વ્યક્તિવિશેષોનો ઇતિહાસ ઘાટ આપવામાં જે ફાળો છે, તેનો પણ તેઓ સ્વીકાર કરે છે. કૉંગ્રેસ મહાસમિતિની બેઠકોમાં તે સમયના આંતરરાષ્ટ્રીય રાજકારણ વિશે એક ખાસ ઠરાવ રજૂ કરવામાં આવતો અને ચર્ચા-વિચારણા બાદ તે પસાર કરવામાં આવતો. તે ઠરાવનો મુસદ્દો ઘડવાનું કામ નેહરુ કરતા. અને તે પરની ચર્ચામાં તેમનો મુખ્ય ફાળો રહેતો.

૧૯૨૭માં તેમણે સોવિયેત યુનિયનની મુલાકાત લીધેલી. તેનાથી તેઓ ઠીકઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા. તે વખતે સોવિયેત યુનિયનમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજિત અર્થતંત્રનો સ્વીકાર કરવામાં આવેલો, તેમાંથી પ્રેરણા લઈને આગળ જતાં સ્વાતંત્ર્ય મળ્યા બાદ આપણે ત્યાં આયોજન પંચની રચના કરવામાં આવેલી, જેનું મુખ્ય કામ પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરવાનું હતું.

નેહરુ માર્ક્સવાદ અને સામ્યવાદી વિચારોથી પ્રભાવિત થયેલા પણ માર્ક્સવાદ-સામ્યવાદની કંઠી નહીં બાંધેલી. તેમના આર્થિક વિચારો મહદંશે સમાજવાદી વિચારધારાથી પ્રભાવિત થયેલા, જેનો મુખ્ય સિદ્ધાંત છે કે ઉત્પાદનનાં સાધનોની ખાનગી માલિકીને બદલે સમાજની માલિકી હોવી જોઈએ. સાથે-સાથે નેહરુ સામાજિક-આર્થિક ન્યાયમાં માનતા હતા. આર્થિક વૃદ્ધિ સાથે સામાજિક-આર્થિક ન્યાયનો જો સ્વીકાર કરવામાં ન આવે અને તેને ચરિતાર્થ કરતી નીતિઓ અમલમાં મૂકવામાં ન આવે, તો સમાજમાં મોટા પ્રમાણમાં બેદિલી અને અન્યાયની લાગણી ઊભી થયા વિના રહે નહીં.

આઝાદીનાં આરંભિક વર્ષોમાં જુદાં-જુદાં રાજ્યોએ જમીનદારી નાબૂદીને લગતા કાયદાઓ પસાર કરેલા. આ કાયદાઓ મિલકતના મૂળભૂત અધિકારનો ભંગ કરે છે, એમ જણાવી જુદી-જુદી વડી અદાલતોએ એ કાયદાઓને ગેરબંધારણીય અને રદબાતલ જાહેર કરેલા. એ બધા કાયદાઓ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલો થઈ. સર્વોચ્ચ અદાલત પણ વડી અદાલતો જેવું વલણ લે તો જમીનદારી નાબૂદીને લગતા કાયદાનો અમલ થઈ શકે નહીં. સ્વાતંત્ર્ય આંદોલન વખતે અમે સત્તા પર આવીશું, તો જમીનદારી નાબૂદ કરીશું, એવાં વચનો કૉંગ્રેસે આવેલાં. હવે શું કરવું. ત્યારે નેહરુએ રસ્તો કાઢ્યો કે જમીનદારી નાબૂદીને લગતા બધા કાયદાઓને બંધારણના નવમા પરિશિષ્ટમાં જ સ્થાન આપવામાં આવે, એવી જોગવાઈ સાથે કે આ પરિશિષ્ટમાં કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેને ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાશે નહીં ! ટૂંકમાં નેહરુની દીર્ઘદૃષ્ટિને કારણે જમીનદારી નાબૂદીને લગતા પ્રગતિશીલ કાયદાઓને આ રીતે અદાલતી સમીક્ષાથી પર બનાવી દેવામાં આવ્યા.

ત્યાર બાદ ૧૯૫૫માં અવાડી ખાતે મળેલ કૉંગ્રેસના અધિવેશનમાં દેશમાં ‘સમાજવાદી ઢબની સમાજરચના’ સ્થાપિત કરવા સંબંધી ઠરાવ પસાર કરવામાં આવ્યો.

જો એક દેશ તરીકે અને સમાજ તરીકે ઝડપથી વિકાસ સાધવા ઇચ્છતા હોઈએ તો ‘રાજ્ય’ની ભૂમિકા નિર્ણાયક હોવી જોઈએ. તે સંદર્ભમાં બંધારણમાં ‘રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’નો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં રાજ્યે કઈ નીતિ ઘડવી તેનું માર્ગદર્શન આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. આ કામ ‘રાજ્યે’ કરવાનું છે, તે પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ સિદ્ધાંતોમાં કેટલાક ‘સમાજવાદી સિદ્ધાંતો’નો સમાવેશ થાય છે. તે પરની ચર્ચામાં નહેરુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે કેવો ભાવિ સમાજ સ્થાપવા માંગીએ છીએ, તેનું ‘માર્ગદર્શન’ આપે છે. એ અર્થમાં તે સિદ્ધાંતો ભારતીય સમાજના પરિવર્તનનો એજન્ડા છે. ઇચ્છિત દિશામાં પરિવર્તન સંબંધી માર્ગદર્શન આપતા આ સિદ્ધાંતો છે. ડૉ. આંબેડકરના શબ્દોમાં દેશના શાસનમાં આ સિદ્ધાંતો પાયારૂપ છે. ભલે અદાલતો દ્વારા તેમનો અમલ ન કરાવી શકાય.

નેહરુ માનતા હતા કે ભારત જેવા ‘ગરીબ’ અને પછાત દેશના અર્થતંત્રને મજબૂત પાયા પર સ્થાપિત કરવામાં ‘રાજ્યે’ નિર્ણાયક ભૂમિકા ભજવવી જોઈએ. અને તેથી કરીને દેશના ચાવીરૂપ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો ખાનગી વ્યક્તિઓના હાથમાં નહીં, પણ રાજ્ય હસ્તક હોવા જોઈએ અને તેથી નહેરુના શાસનકાળમાં જેને જાહેર ક્ષેત્ર (પબ્લિક સેક્ટર) કહેવામાં આવે છે તેનો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ થયો. બીજા શબ્દોમાં ખેતીપ્રધાન દેશમાં તેમણે ઔદ્યોગિક ભારતનો પાયો નાંખ્યો. સાથે સાથે, તેમના સમયમાં મોટા બંધો બાંધવામાં આવ્યા, લોખંડ-પોલાદનાં કારખાનાં, રાસાયણિક ખાતરનાં કારખાનાં નાંખવામાં આવ્યાં. આ બધાંને તેઓ ‘modern temples of  India’ કહેતા.

નેહરુ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના પ્રખર વિરોધી હતા. સાથે-સાથે વિશ્વભરમાં તે સમયે ચાલતી રાષ્ટ્રવાદી ચળવળોના સમર્થક હતા. દરેક રાષ્ટ્રીયતાને આત્મનિર્ણયનો હક હોવો જોઈએ, એવું માનતા હતા. રાષ્ટ્રીય એકીકરણ અને રાષ્ટ્રીય એકતાના તેઓ પુરસ્કર્તા હતા.

ભારતમાં સંસદીય લોકશાહીનો પાયો નાંખનાર નેહરુ હતા. સંસદીય પ્રણાલીઓ અને સંસદીય ગરિમાના તેઓ ચુસ્ત આગ્રહી હતા. ભારતમાં ઉદારમતવાદી-સંસદીય લોકશાહીનો મજબૂત પાયો નાખનાર તરીકે નહેરુનું યોગદાન કદાચ અદ્વિતીય હતું, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. શક્ય હોય ત્યાં સુધી નેહરુ સંસદમાં હાજર રહેતા. ખાસ તો વિરોધપક્ષના નેતા જ્યારે સંબોધન કરતા હોય ત્યારે શાંતિથી સાંભળતા અને તેમણે ઊભા કરેલા મુદ્દાઓનો તર્કબદ્ધ, પદ્ધતિસર જવાબ આપતા.

અગાઉ જણાવ્યું તેમ નેહરુ વિશ્વરાજકારણના ઊંડા અભ્યાસી હતા. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું. પશ્ચિમ પણ ખાસ તો અમેરિકાના નેતૃત્વ હેઠળનું એક જૂથ તો સામે પક્ષે સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળનું બીજું જૂથ. બંને જૂથોએ લશ્કરી કરારો દ્વારા પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયાસ કર્યો. આવાં લશ્કરી જોડાણોનું અભિપ્રેત એક લક્ષણ એ હતું કે એક દેશ પર આક્રમણ થાય, તો તેની સાથે જૂથમાં જોડાયેલા દેશો પરનું આક્રમણ ગણાય. બંને જૂથો વચ્ચે એક પ્રકારનું ‘ઠંડું યુદ્ધ’ ચાલતું હતું.

નેહરુના માર્ગદર્શન હેઠળ ભારતે કોઈ પણ લશ્કરી જૂથમાં નહીં જોડાવાની – બિનજોડાણની નીતિ અપનાવી. ઘણા વિવેચકો માનતા હતા કે નેહરુ આદર્શવાદી હોવાથી તેણે કોઈ પણ જૂથમાં નહીં જોડાવાની બિનજોડાણની નીતિ અપનાવેલી. ખરેખર તો એ વાસ્તવદર્શી નીતિ હતી. ૧૯૪૭માં આપણે સ્વતંત્ર થયા, તે સમયનું વિશ્વરાજકારણ-શરૂ થયેલી અણુશાસ્ત્રોની સ્પર્ધા, સ્પર્ધાત્મક દ્વિધ્રુવી વિશ્વરાજકારણે, આ બધાં પરિબળોનાં લેખાંજોખાં લઈને નેહરુએ બિનજોડાણની વિદેશનીતિ  અપનાવી. બિનજોડાણની નીતિના મુખ્ય ઘટકો આ પ્રમાણે હતા : (૧) ઠંડા યુદ્ધ અને જૂથબંધીથી અળગા રહેવું. (૨) બંને મહાસત્તાઓ (અમેરિકા અને સોવિયત યુનિયન) સાથે સારા સંબંધો કેળવવા, લશ્કરી જોડાણોમાં સામેલ થવું નહીં. એટલું જ નહીં પણ કોઈ પણ મહાસત્તાને લશ્કરી થાણાં સ્થાપવા દેવાં નહીં. (૩) આર્થિક વિકાસ માટે બંને પાસેથી આર્થિક મદદ મેળવવી. (૪) કોઈ પણ મહાસત્તા પાસેથી લશ્કરી મદદ સ્વીકારવી નહીં. (૫) વિદેશનીતિના સંચાલનમાં લશ્કરી કે સત્તા-પ્રભાવના રાજકારણને સ્થાને શાંતિ અને સમાધાનના અભિગમને વધારે મહત્ત્વ આપવું. ટૂંકમાં, બેમાંથી એક પણ સત્તાજૂથ(લશ્કરી જૂથ)માં નહીં જોડાનાર રાષ્ટ્રોનું એક ત્રીજું જૂથ અથવા ત્રીજું બળ ઊભું કરવાનો તેમણે પ્રયાસ કર્યો અને તેમાં તેમને ઠીકઠીક પ્રમાણમાં સફળતા પણ મળી. બિનજોડાણવાદના મુખ્ય ઘટકોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ઠંડા યુદ્ધનો વિરોધ, લશ્કરી જૂથોથી અલિપ્ત રહેવું, લશ્કરી ઉપાયોને બદેલ શાંતિમય વાટાઘાટો દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવા પર ખાસ ભાર મૂકવો, વગેરે.

બિનજોડાણનો અર્થ ‘તટસ્થતા’ થતો નથી એવી સ્પષ્ટતા ખુદ નેહરુએ કરી છે. જ્યાં એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર પર પ્રભુત્વ જમાવવા આક્રમણ કરતું હોય, ત્યાં આપણે તટસ્થ કેવી રીતે રહી શકીએ. જ્યાં મોટા પ્રમાણમાં માનવહકોનું હનન થતું હોય, ત્યાં પણ તટસ્થ રહી શકીએ નહીં. ‘બિનજોડાણનો અર્થ છે કોઈ પણ લશ્કરી જોડાણમાં નહીં જોડાવું.’

બિનજોડાણની નીતિનો એક લાભ એ મળ્યો કે બંને સત્તાજૂથો અને તેમનાં મુખ્ય રાષ્ટ્રો તરફથી આપણને ઠીક ઠીક પ્રમાણમાં આર્થિક મદદ મળી. બંને સત્તાજૂથો ભારત જેવા મોટા ‘બિનજોડાયેલ’ રાષ્ટ્રને પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યાં, જેનો આપણને લાભ મળ્યો. એક સમયે તો નેહરુની ગણના વિશ્વસ્તરીય ત્રીજા રાજપુરુષ તરીકે થવા લાગી. બંને સત્તાજૂથોનાં મુખ્ય રાષ્ટ્રોના નેતાઓ – અમેરિકી પ્રમુખ, તો બીજી બાજુ સોવિયેત યુનિયનના સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી પોતપોતાના વિચારો નેહરુ મારફત સામેના નેતાને પહોંચાડતા.

રાષ્ટ્રો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો સ્થપાય અને તેનું જતન થાય તે માટે ‘પંચશીલના સિદ્ધાંતો’ ઘડવામાં અને તેને વાચા આપવામાં નેહરુનો ફાળો સૌથી મહત્ત્વનો છે. આ સિદ્ધાંતોમાં, પ્રાદેશિક અખંડિતતા, પરસ્પરના સાર્વભૌમત્વનો આદર, એકબીજા પર આક્રમણ ન કરવું, બીજા શબ્દોમાં બિનઆક્રમણ, એકબીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી, શાંતિમય સહઅસ્તિત્વ અને પરસ્પર આર્થિક સહકાર વગેરેનો સમાવેશ થાય છે.

નેહરુની વિદેશનીતિ અને તેના સંચાલનમાં બે-ત્રણ મુદ્દાઓની બાબતમાં તેમની ટીકા કરવામાં આવે છે, તેનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. એક ટીકા એ કરવામાં આવે છે કે નેહરુ ચીનને ઓળખવામાં થાપ થઈ ગયા. ૧૯૬૨માં ચીન ભારત પર શા માટે આક્રમણ કર્યું અને થોડા સમય બાદ ‘એકપક્ષીય યુદ્ધવિરામ’ જાહેર કરીને તેણે પોતાનાં દળો શા માટે પાછા ખેંચી લીધાં એ આજે પણ અણઉકેલ્યો કોયડો છે. આપણી લશ્કરી સજ્જતા કેટલી કાચી અથવા પોકળ હતી, તે પણ તેનાથી સ્પષ્ટ થયું. આજે પણ ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો જ પ્રદેશ માને છે. ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’નાં સૂત્રોમાં ચીનના ખરા ઇરાદા કયા હતા, તે આપણે જાણી શક્યા નહીં.

બીજી ટીકા કાશ્મીરના સંદર્ભમાં કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરનું જોડાણ રાજા હરિસિંહે ભારતીય સંઘ સાથે કર્યું, તેના થોડા જ સમયનાં જમ્મુ-કાશ્મીર પર કબાઇલીઓના વેશ પહેરીને પાકિસ્તાનના સૈનિકોએ હુમલો કર્યો. એ હુમલાને ખાળવા માટે તરત લશ્કર મોકલવાને બદલે નેહરુએ યુનાઈટેડ નેશન્સનો આશરો લીધો અને ત્યાં સલામતી સમિતિએ યુદ્ધવિરામ જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીરના પશ્ચિમ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પશ્ચિમ ભાગ ઉપર પાકિસ્તાનના લશ્કરે કબજો જમાવી દીધો હતો. આ બાબતે નેહરુ અને સરદાર વચ્ચે ઠીકઠીક પ્રમાણમાં મતભેદો ઊભા થયેલા.

એ જ રીતે તિબેટની બાબતમાં નેહરુએ ચીન ઉપર દબાણ લાવવા જેવું હતું. તિબેટ ચીનનો સ્વાયત્ત પ્રદેશ હતો, અને તેને પોતાનામાં ભેળવી દેવાનો પ્રયાસ કર્યો, તે વખતે ભારતે આગ્રહ રાખાવો જોઈતો હતો કે ભારત-તિબેટ વચ્ચેની સરહદોની સ્પષ્ટતા કરવામાં આવે ! સરદાર પટેલે આ સંદર્ભમાં નેહરુનું ધ્યાન પણ દોર્યું હતું. જ્યારે નેહરુ અને સરદારની તુલના કરવામાં આવે છે, ત્યારે એક એવું વિધાન કરવામાં આવે છે કે ‘આદર્શવાદી નેહરુ હવામાં ઉડનાર નેતા હતા’, જ્યારે સરદારના પગ નક્કર ધરતી પર રહેલા હતા.

નેહરુએ દેશમાં વૈજ્ઞાનિક સંશોધનસંસ્થાઓ, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ વગેરેની સ્થાપના કરી અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપ્યું, તેની ખાસ નોંધ લેવી જોઈએ. અણુશક્તિના શાંતિમય ઉપયોગ માટેની સંસ્થાઓ સ્થાપીને, વૈજ્ઞાનિકોને ઘણું પ્રોત્સાહન પૂરું પાડ્યું. અવકાશ ક્ષેત્રે આપણે જે સિદ્ધિઓ મેળવી છે અને મેળવતા રહીએ છીએ, તેનો પાયો નેહરુએ નાખેલો.

ટૂંકમાં, ઉદારમતવાદી, પ્રાતિનિધિક સંસ્થાઓનાં નિર્માણ, જતન અને સંગોપન, આયોજન દ્વારા દેશના આર્થિક-સામાજિક વિકાસ પર ભાર, સિદ્ધાંતચુસ્ત સમાજવાદને બદલે લોકશાહી સમાજવાદનાં પુરસ્કાર વગેરે ક્ષેત્રોમાં તેમનો ફાળો અમૂલ્ય છે. ભાવિ ભારતનું એક દર્શન, તેમના વિચારોમાં પ્રતિબિંબિત થાય છે. એ અર્થમાં નહેરુને એક દૃષ્ટિવંત, રાજપુરુષ તરીકે વર્ણવી શકીએ. તેઓ એક બહુમુખી પ્રતિભા અને ભાતીગળ વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 4 – 6

Loading

...102030...3,9313,9323,9333,934...3,9403,9503,960...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved