અટલબિહારી વાજપેયી
23 માર્ચ : પાકિસ્તાન દિન, શહીદ સ્મૃિત, લોહિયા જયંતી … બધું આવ્યું એવું ગયું અને વી.કે. સિંહનાં ટિ્વટરિયાંમાં ડૂબી ગયું
પાકિસ્તાન દિવસ, અને તે પણ બરાબર એની પંચોતેરીનો દિવસ (23 માર્ચ, 1940 : 23 માર્ચ, 2015) આવ્યો અને ગયો! દેશજનતાને એનાં ઓસાણ કેવાં ને કેટલાં હશે એ તપાસનો વિષય છે. અલબત્ત, કેવાંક હોવાં જોઈએ એ સમજની બાબત છે. આમ જનતા તો ખેર છોડો, હાલનો જે રાજકીય-શાસકીય અગ્રવર્ગ છે એની કને પણ પરિપ્રેક્ષ્યને મોરચે કેવોક પુખ્ત અભિગમ છે એની કોઈ પતીજ આજની તારીખે તો નથી. જે ઊહાપોહ થયો હમણાં, વિદેશ રાજ્ય મંત્રી પૂર્વ જનરલ વી.કે. સિંહે પાકિસ્તાન દિવસ નિમિત્તે પાક હાઇ કમિશનની પાર્ટીમાં ભાગ લીધા સબબ, તે આનું જ એક ઉદાહરણ છે. બચાડા સિંહ જતાં શું ગયા, પણ ટીકાભાજન બન્યા એટલે ઉપરાછાપરી ટિ્વટર્યા : પહેલું ટિ્વટ કીધું, ‘ડ્યુટી’ શું કરીએ ભાઈ, ફરજના માર્યા પાર્ટીમાં મુઆ’તા. પણ પેલો ઊહાપોહ તો જારી હતો એટલે વળી બીજું ટિ્વટ કીધું, “ડિઝાસ્ટર”. શું કરીએ ભાઈ, અકારું લાગે છે ને બકારી છૂટે છે, એવું જ કાંક ને. (જો કે, નિર્ણય તો વિદેશ મંત્રાલયનો જ હતો કે પાર્ટીમાં સામેલ થવું જોઈએ.)
મુદ્દે, પાકિસ્તાનના અસ્તિત્વ સાથે વાસ્તવિકતાના સ્વીકારને ધોરણે જે ‘સમાધાન’ સધાવું જોઈએ તે અખંડ ભારતની હિન્દુત્વ સ્કૂલને સારુ સહજ સાધ્ય નથી. ધરમમજહબને ધોરણે દેશની વ્યાખ્યા કરીએ ત્યારે એક પા ‘અખંડ ભારત’ તો બીજી પા ઝીણાનો 1947નો ‘સેક્યુલરવાદ’, બેઉ ઓછાં ને પાછાં પડે છે એ ઈતિહાસવસ્તુ હિન્દુત્વ સ્કૂલે લક્ષમાં લીધી નથી. જવાહરલાલ નેહરુએ પાકિસ્તાનને ‘ફેકટ ઓફ લાઈફ’ કહીને જે નીતિ વિકસાવવા ચાહી એની સળંગ ટીકા પર જનસંઘ વિકસ્યો. જો કે, જ્યારે 1998-1999માં ભાજપી વડપણ હેઠળ એન.ડી.એ. સરકારને સત્તાયોગ થયો, ત્યારે વાજપેયીએ આ અભિગમની મર્યાદા સમજી એમાં સંસ્કરણની કોશિશ ચોક્કસ જ કરી હતી. પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત દરમિયાન વડાપ્રધાન વાજપેયીએ ચહીને, ‘મિનારે પાકિસ્તાન’ જવું સ્વીકાર્યું હતું.
બેલાશક, વાજપેયીને પક્ષે આ નિર્ણય એમના નીંભાડા અને સંઘાડાનાં ઉછેરગત કારણોસર મનોવૈજ્ઞાનિક રીતે અઘરો હતો. પણ એમણે વાસ્તવિકતા પ્રીછી, અને એમની લોકપ્રિયતા ને સ્વીકૃતિ જોતાં સંઘશ્રેષ્ઠીઓએ ખમી ખાધું. બાકી, સમજ તો સ્થગિત જ હતી એ, પછીથી, અડવાણીના ઝીણાયન વખતે એકદમ સાફ થઈને સામે આવ્યું. ગમે તેમ પણ, પાકિસ્તાન દિવસની વાત કરતે કરતે વાજપેયી સાંભરી આવવા પાછળનો તત્કાળ ધક્કો ‘ભારતરત્ન’ના અર્પણનો પણ છે. પ્રશ્ન એ છે કે વાજપેયીને ‘ભારતરત્ન’ વતી પોંખ્યાથી પોતે કોઈક રાજકીય સ્કોર હાંસલ કર્યા માત્રની ભા.જ.પ.ની સમજ છે, કે પછી આ સીમિત સમજને વટીને વાજપેયીના વ્યાપક હોઈ શકતા અભિગમને અંગે કશીક કદરબૂજ(અને એ ધોરણે કથિત સંઘપરંપરા પરત્વે પુનર્વિચાર)ની યે ગુંજાશ છે? અહીં પાકિસ્તાનની છેક કાશ્મીર પરના કથિત કબાઈલી આક્રમણથી માંડીને કારગિલ કાંડ અગર આતંકવાદને પનાહની ચેષ્ટાઓનો કોઈ બચાવ અલબત્ત અભિપ્રેત નથી. રાજ્યે, રાજ્ય તરીકે આવે પ્રસંગે પ્રતિકાર- જરૂર પડ્યે પહેલ પ્રતિકાર-ના પ્રસંગો નિપટાવવા રહે છે. શુચિર્દક્ષ શાસનનો એ તકાજો પણ છે કે તમે હિંદુરાષ્ટ્ર વિ. મુસ્લિમ વતનની માનસિકતાથી ઊંચે ઊઠીને કેટલું જોઈ શકો છો, કેટલે જઈ શકો છો.
આ જ 23 માર્ચ, અને તો, ભગતસિંહની શહાદતનોયે દિવસ છે, અને વડાપ્રધાન મોદી તે નિમિત્તે ખાસ કાર્યક્રમમાં સામેલ પણ થયા હતા. ભગતસિંહની જન્મભૂમિ તો પાકિસ્તાનમાં લાયલપુર પંથકના બંગા ગામમાં છે, અને એમને દેહાંત દંડની સજા જેને આગળ કરીને કરાઈ તે એફ.આઈ.આર. લાહોરના અનારકલી પોલીસ થાણામાં દર્જ થઈ હતી. પણ વાત આપણે પાકિસ્તાન દિવસ અને શહાદત દિવસ એક જ તારીખે (ભલે અલગ અલગ સાલમાં) હોવાના જોગાનુજોગની કરતા હતા. તમે જુઓ કે આ જ તારીખે પાકિસ્તાનમાં શાંતિ ને પ્રગતિ ચાહતા ઈન્કિલાબી તરુણોએ એકત્ર થઈ ભગતસિંહને વિશેષરૂપે સંભાર્યા હતા. સરહદોને વટી જતી માનવીય ક્રાંતિભૂમિકા એમની હતી. હમણાં જે એફ.આઈ.આર.ની જિકર કરી તેમાં સાન્ડર્સની હત્યાનો (જેને નામે ભગતસિંહને ફાંસી થઈ હતી, એનો) ઉલ્લેખ જ નથી એટલે આખો ખટલો ખોટે પાયે હતો એ પણ આ તરુણોનું કહેવું છે. ભગતસિંહને ‘શીખ’ જેવી સીમિત ઓળખમાં ખતવી નાખવા બાબતે પણ તેઓ સચેત અને સંચિત છે.
અને હા, 23 માર્ચ એટલે લોહિયાનો જન્મદિવસ! એ લોહિયા જેમણે દીનદયાલને સમજાવીને ‘ભારત-પાક અર્ધ સમવાય’નો ખયાલ સંયુક્ત નિવેદનરૂપે આગળ કર્યો હતો … સમજાય છે? ન અખંડ ભારત, ન હિંદુ રાષ્ટ્ર, પણ અર્ધ સમવાય. ભારતની જેમ સેક્યુલર વલણ નહીં લઈ શકવાથી પાકિસ્તાને કેટલું વેઠવું પડ્યું એનો પાઠ આપણી નજર સામે હોવો જોઈશે. પાકિસ્તાનનાં જાગ્રત બૌદ્ધિક-નાગરિક વર્તુળો જ્યારે પથસંસ્કરણ અને દોષદુરસ્તીને ધોરણે આગળ જઈ રહ્યાં છે ત્યારે ‘અચ્છે દિન’ સ્કૂલ જો પ્રતિગામી માનસિકતાથી ચાલશે તો તે મે 2014ના ચુકાદા સામે આપણા પ્રજાસત્તાક સ્વરાજને હાણ પહોંચાડતો કમનસીબ કિસ્સો બની રહેશે.
લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 28 માર્ચ 2015