Opinion Magazine
Number of visits: 9871989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એન.આર.આઈ. ભારતીયોને બોબી જિન્દાલનો ડાબા હાથનો તમાચો

જેકબ ડેવિસ|Opinion - Opinion|1 February 2015

ભારત-ભારત કરીને કૂદાકૂદ કરતા એન.આર.આઈ.ઓને એવા જ એક એન.આર.આઈ. બોબી જિન્દાલે પાંચ આંગળાંની છાપ ગાલ ઉપર ઊપસી આવે એવો જોરદાર તમાચો ઠોક્યો છે.

અમેરિકાના લુસિયાના રાજ્યના ગવર્નર અને ભવિષ્યમાં અમેરિકાના પ્રેસિડન્ટ બનવાની ભરીભરી શક્યતા ધરાવનાર બોબી જિન્દાલે ભારતીય ઓળખ બાબત અણગમો વ્યક્ત કરી જણાવ્યું કે ‘મારાં માતાપિતા ૪૦ વર્ષ પહેલાં ‘ભારતીય અમેરિકન’ બનવા નહિ, પણ ‘અમેરિકન’ બનવા ભારત છોડીને આવ્યાં હતાં. અમેરિકા દેશ નહિ, સ્વપ્ન છે.’

અહીં એક નુક્તેચીની કરી લઉં કે કોઈએ એક-બે વર્ષ પહેલાં એક સરસ કૉમેન્ટ કરી હતી કે ‘જો અમેરિકા દરવાજા ખોલી નાખે, તો ભારતના અડધા કરતાં વધારે ભારતીય રીતસર અમેરિકા તરફ દોટ મૂકે !’ અમેરિકાને એમની મરજી વિરુદ્ધ ફરજિયાત દરવાજા બંધ કરવા પડે એવી પરિસ્થિતિ પેદા થાય. અર્થાત્‌ ‘અમેરિકા સ્વપ્ન’ છે, એ હકીકત સ્વીકારીને ચાલવામાં વાંધો નથી.

જિન્દાલે એ પણ કહ્યું કે ‘જે લોકો પોતાની જૂની સંસ્કૃિતને વળગી રહેવા માગે છે કે નવી સંસ્કૃિત ઊભી કરવા માગે છે કે અન્ય સંસ્કૃિત સાથે ભળી જવા માગે છે, તે અંગે જે ભેદભાવ છે, તે સ્વાયત્ત રાષ્ટ્ર માટે વાજબી છે !’ એટલે પોતે સ્વીકારેલા દેશમાં તમામ ભેદભાવ વાજબી રીતે સ્વીકારવા તે સંમત છે. જ્યારે આપણે એક રાષ્ટ્ર, એક સંસ્કૃિત, એક ભાષા, એક ધર્મ, અને એક વોટ નોટ-કરીને લડવામાંથી ઊંચા આવતા નથી. બોબી જિન્દાલ ગર્વનર બને કે એક નાના ગામડાગામમાં મેયર બને તો પણ અહીં પતાસાં વહેંચાય છે. પણ અહીંની નાગરિક બનેલી બાઈ વડાંપ્રધાન ના બની બેસે એ માટે ચોટલો જ નહિ, ડોકાં કાપવા પણ તૈયાર છીએ ! જેના પિતા ભારતીય હતા, એ સિવાય કશું ભારતીય નથી, ન ભાષા, ન માતા, ન પતિ, ન કુટુંબ, છતાં વિલિયમ્સ ઘર-ઘરનું લાડકું નામ બની ગયું ! આપણને પરાયાં આપણાં લાગે છે ને આપણા પરાયાં !

આ એન.આર.આઈ. (મને ખબર નથી કે પરદેશના નાગરિક થઈ ગયા છે, તેઓ પણ એન.આર.આઈ. ગણાય કે નહિ!) પરદેશમાં લઘુમતી તરીકે મળતા ભરપૂર લાભ મેળવે છે. માનવ-અધિકાર આગળ ધરી સમાન હક્કો મેળવે છે. તે પોતાના પિતૃઓના દેશને આ બાબતથી વંચિત રાખવા માગે છે ! હું હમણાં જ પરદેશમાં ગયો હતો. ત્યાં પુષ્ટિમાર્ગના એક મંદિરનું ઉદ્દઘાટન હતું. અને અમને પણ આમંત્રણ હતું. એક યજમાન મિત્ર કહે : ‘અહીંની સરકાર આપણી લઘુમતી માટે ખૂબ સારી છે. અમને આ મંદિરના ઉદ્દઘાટન (પ્રાણપ્રતિષ્ઠા) માટે ૪૦,૦૦૦/- ડૉલર આપ્યા છે. એટલે અમારો જમણવાર સહિત તમામ ખર્ચ એમાંથી નીકળી જાશે.’ મેં કહ્યું : ‘તમારે જલસા છે !’

એ જ એન.આર.આઈ. ભારતમાં એકચક્રી રાજ્ય સ્થાપવા ગતિમાન છે ! જે લાભ પોતાને મળે છે, એ લાભ પોતાના પિતૃદેશમાં લઘુમતીઓ લઈ ન જાય તે માટે ખૂબ સતર્ક છે ! પરદેશના નાગરિક થઈ ગયેલા લોકોના ઘેરઘેર એક જ વાત થતી. ‘ભારતમાં આપણી સરકાર ક્યારે લાવીએ. અને આપણી સંસ્કૃિત ક્યારે બચાવીએ.’ કહેવાનું મન તો થયું કે ‘ભલા માણસ દેશ છોડી દીધા પછી તમારાં છોકરાંને બચાવો તો ય ઘણું છે !’

એક-બે જગ્યાએ મેં જીભાજોડી પણ કરી. પછી હકીકત સ્વીકારી લીધી. એક જગ્યા પર જમવા ગયા. યજમાન યુવાનને તો આવા રાજકારણમાં રસ નહોતો. પણ તે ઘરના વડીલે મને પૂછ્યું : ‘આ વખતની ચૂંટણીમાં આપણી સરકાર નક્કી જ છે. તમને શું લાગે છે ?’ જીભાજોડી કરી મારે જમવાનો મૂડ બગાડવો નહોતો, છતાં મેં તેમને કહ્યું : ‘જો ચાલે તો આજે જ તમારા નેતાની તાજપોશી કરી આવો.’

મને કહે ‘હા, આ લઘુમતીને પાઠ શીખવે એવી સરકારની જરૂર છે.’ જો કે વાતનો ત્યાં અંત આવ્યો અને સુખેથી જમવાનું પત્યું. પરદેશમાં પોતાને જે લાભ મળે છે, તે પોતાના દેશમાં બીજાને ન મળે તે જોવા આકાશપાતાળ એક કરતી આ લાગણી કયા કારણે બળવતર બને છે, મારા માટે તેની મૂંઝવણ હજી જેમની તેમ છે !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 04-06

Loading

રજનીભાઈને અંતિમ : આવજો

અચ્યુત યાજ્ઞિક|Profile|1 February 2015

રજનીભાઈને અંતિમ ‘આવજો’ 

રજનીભાઈ કોઠારીની અંતિમ વિદાય સાથે ભારતના અને વિશ્વના રાજપથ તથા જનપથના મર્મજ્ઞ અને મીમાંસકે વિદાય લીધી. વિદ્યાપુરુષ લેખે વિચારવિશ્વમાં વિહરવાની સાથોસાથે સર્વજન હિતાયની ભાવના સદાય તેઓના હૈયે વસી હતી તથા ભારતની લોકશાહીના કેન્દ્રમાં અદના માણસને સ્થાપવા તેઓ જીવનભર કટિબદ્ધ રહ્યા હતા.

પાલનપુરના જૈન ઝવેરી પરિવારનું એકનું એક સંતાન. પરિવારની ઇચ્છા તો પરંપરા પ્રમાણે વેપાર ધંધામાં જોડાય તેવી જ રહી, પરંતુ રજનીભાઈને નાનપણથી વાંચવા-લખવાની લગની. પરિણામે ઉચ્ચ અભ્યાસ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પૂર્ણ કર્યા પછી તેઓ સન ૧૯૫૭માં વડોદરામાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં જોડાયા અને ત્યારથી શરૂ કરી આજીવન શિક્ષણ સાથે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે જોડાયેલા રહ્યા. વડોદરામાં તેઓએ રાવજીભાઈ ‘મોટા’ દ્વારા પ્રવર્તિત ‘રેનેસાં ક્લબ’ના વિચાર-મંથનને વેગીલું બનાવવામાં ફાળો આપ્યો અને ત્યારે જે નવી પેઢી આ મંથનમાં સામેલ હતી તેની સાથે તેઓનો જીવનભરનો નાતો રહ્યો. આ નાતાને પરિણામે ગુજરાતને સમર્થ સમાજવિજ્ઞાનીઓ સાંપડ્યા એ વિસરી શકાય તેમ નથી.

રજનીભાઈના જીવનમાં નવો અધ્યાય પણ વડોદરામાં હતા ત્યારે શરૂ થયો. આ નવો અધ્યાય એટલે વાસ્તવિક રાજકારણ સાથે સંપર્ક, જે ગહન સંશોધનની દિશા તરફ દોરી ગયો. આ સંપર્ક એટલે સન ૧૯૬૧ના આરંભે ભાવનગરમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે કૉંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો સાથેની અંતરંગ લાંબી વાતચીત. આ પછી રાજકારણના વિવિધ પરિમાણોનું સંશોધન પાંગરતું ગયું અને દશકા પછી ‘પૉલિટિક્સ ઇન ઇન્ડિયા’ લેખે પુસ્તકકારે પ્રગટ થઈ રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં સીમાસ્થંભ બની રહ્યું. પછી આ પુસ્તક માત્ર ભારતના જ નહીં ત્રીજી દુનિયાના રાજકીય પ્રવાહો અંગે તેમ જ વિશ્વશાંતિ તથા સહકારની ભાવના વિકસે તે દિશામાં સંખ્યાબંધ પુસ્તકોનું આલેખન વણથંભ્યું રહ્યું.

પોતાના સંસ્મરણોનું આલેખન કરતાં ‘મેમોયર્સ’ નામના પુસ્તકમાં તેઓએ તેમના જીવનના ત્રણ ઉત્કટ અનુરાગને વર્ણવ્યાં છે – પ્રથમ સ્થાને વિચારવિશ્વ તથા વિચારધારા, બીજા સ્થાને સંસ્થાનિર્માણ તથા ત્રીજા સ્થાને રાજકારણ. આ સંસ્થાનિર્માણનો યશસ્વી આરંભ એટલે ‘સેન્ટર ફોર ધી સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’. સન ૧૯૬૩માં તેઓ દ્વારા સ્થાપિત આ સંસ્થા ઉત્તરોત્તર વિકસતી ગઈ અને સમાજવિદ્યા ક્ષેત્રે સૈદ્ધાંતિક તેમ જ સર્વેક્ષણાત્મક અભ્યાસો દ્વારા નવી દિશાઓ ખોલતી ગઈ. ચૂંટણીઓનો અભ્યાસની પહેલ ઠેઠ સાતમા દાયકાથી શરૂ થયેલી જે સતત ચાલતી રહી. નિયમોની જંજાળ પહેલેથી ઓછી રાખી એટલે સેન્ટરમાં ‘બૌદ્ધિક અડ્ડા’નું વાતાવરણ ધબકતું રહ્યું અને મક્ત વિચારણાનું બીજું નામ આ સંસ્થા બની રહી.

જેમ રજનીભાઈએ પોતે જણાવ્યું છે તેમ રાજકારણ સાથેનો તેમનો અમીટ સંબંધ પહેલેથી જોડાયેલો રહ્યો. આઠમા દાયકાના આરંભથી ઇન્દિરા ગાંધીના સલાહકાર તરીકેની ઓળખ ઉપસી જે કટોકટી લાદવામાં આવી ત્યારે દૂર થઈ. તેઓ કટોકટીના મુખર ટીકાકાર બનીને દેશ છોડી અમેરિકામાં રહી નાગરિક અધિકારોના પ્રવક્તા બન્યા. લોકોના મૂળભૂત અધિકારોનું જતન તેમના હૈયે વસ્યું હતું અને એટલે જ ‘પી.યુ.સી.એલ.’ના પ્રમુખ બની નવમા દાયકાના મધ્યમાં તેઓએ નાગરિક અધિકારોનો અવાજ ગુંજતો રાખ્યો.

રાજકારણ સાથેનો અતૂટ સંબંધને કારણે જ્યારે વી.પી. સિંહ વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેઓએ સક્રિય રહીને ‘આયોજન પંચ’ના સભ્ય લેખે પ્રદાન કર્યું. વિશેષમાં વી.પી. સિંહની સરકાર દ્વારા અન્ય પછાત વર્ગો માટે અનામતનો આરંભ થયો તેની પછીતે પણ તેઓની સબળ ભૂમિકા હતી જે બહુ જાણીતી વાત નથી.

લોકશાહીની સુરક્ષા અને સંવર્ધન કેવળ રાજકારણથી નથી થઈ શકતું તેમ જ સમાજવિદ્યા ધરાતલના સંપર્ક અને સંસર્ગ વિના અધૂરી રહે છે તેવી પ્રતીતિ તેમને પહેલેથી હતી એટલે નવમા દાયકાના આરંભે તેઓએ ‘લોકાયન’ની યાત્રા શરૂ કરી. મૂળે આ લોકાયન એટલે કે લોકયાત્રા સી.એસ.ડી.એસ. સંસ્થાનો પ્રકલ્પ હતો. આ પ્રકલ્પમાં બુદ્ધિશીલો સાથે કર્મશીલોનો સંવાદ સાધવાનો સંકલ્પ હતો જે અનેક રીતે સિદ્ધ થયો. પ્રકલ્પ પૂરો થયા પછી પણ લોકાયન સ્વતંત્ર રીતે સક્રિય રહ્યું તથા દેશમાં પદ્દલિતોના પ્રશ્નોને વાચા આપતું રહ્યું.

નવમા દાયકાના મધ્યથી રામજન્મભૂમિ નામે કોમી પરિબળોને હરણફાળ ભરવા માંડી ત્યારે રજનીભાઈએ સાંપ્રદાયિકતા સામે અવાજ બુલંદ કરવા માંડ્યો હતો. તેઓ માનતા હતા કે ભારતીય જનતા સાંપ્રદાયિક્તાને જાકારો આપશે પરંતુ આજે જ્યારે આ પરિબળ રાજપથ ઉપર કૂચકદમ માંડી રહ્યાં છે ત્યારે જનપથ ઉપર કદમ માંડતા સૌની સામે નવો પડકાર ખડો થયો છે. આશા રાખીએ કે રજનીભાઈએ સામાજિક વિદ્યા અને કર્મને સાંકળીને જે માર્ગ પ્રશસ્ત કર્યો તે માર્ગે નવા પડકારોનો સામનો બળવત્તર બનતો રહેશે.

e.mail : setumail@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 10

Loading

ઓબામા આવ્યા અને ગયા

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|31 January 2015

ચીનને જરી સમાલી લેવા વાસ્તે રૂબરૂ જઈ રહેલાં વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને કાળાં નાણાંથી માંડીને જનલોકપાલ મુદ્દે પોતાને છેતરાયેલા સમજી બાંયો ચડાવવા તૈયાર થઈ રહેલા અણ્ણા હજારે : પ્રમુખ ઓબામાની મુલાકાતે કરીને પોતાને આશ્વસ્ત અને આહ્લાદિત સમજતું નમો મંડળ આ ઘટનાક્રમને કેવી રીતે જોશે વારુ ? ગમે તેમ પણ, વડોદરાના મેયર ભરત શાહ અને દિલ્હીનાં થાઉં થાઉં મુખ્યમંત્રી કિરણ બેદીએ જે બાલોત્સાહથી “જુઓ, નમોએ ઓબામાને કેવા હાજર કરી દીધા અને ‘સબકા સાથ, સબકા વિકાસ’નો મોદીમંત્ર રટતા કરી મૂક્યા” એવો ધન્યોદ્દગાર કાઢ્યો છે એના જેટલું સરળ ને સપાટ ચિત્ર આ નથી એટલું તો દેશના શીર્ષ નેતૃત્વને સમજાતું હોવું જોઈએ.

રહો, આપણે શીર્ષ નેતૃત્વની સમજના મુદ્દે ચર્ચામાં ઊતર્યા વગર આ નેતૃત્વ પરત્વે ઓળઘોળ આશાતુર જે વ્યાપક વર્ગ છે, એની જરી ચિંતા કરીએ અને ઓબામા યાત્રાનું કંઈક ઉતાવળું પણ અવલોકન નજીકથી કરવાની કોશિશ કરીએ. ભાઈ, એક તો એ કે ઓબામાની કંઈ આ પહેલી સત્તાવાર મુલાકાત નથી. ૨૦૧૦માં મનમોહન સિંહના વડાપ્રધાનકાળમાં એ આવ્યા હતા. અને હા, ત્યારે પણ એ પાકિસ્તાન ગયા નહોતા. આ વખતે ભારતની હારોહાર એમણે પાકિસ્તાનની મુલાકાત ન લીધી એમાં એક હદથી વધુ વાંચવું ન જોઈએ; કેમ કે ૨૦૧૦માં પણ એમણે એમ જ કર્યું હતું. વળી, પ્રમુખ ઓબામાની ભારત મુલાકાત દરમ્યાન કોઈ આતંકવાદી ઘટના ન થવી જોઈએ એમ પાકિસ્તાન જોગ અમેરિકી ચેતવણીમાં પણ એક હદથી વધુ વાંચી શકાય એમ નથી. કારણ, અમેરિકા ‘આ મુલાકાત દરમ્યાન’થી વધુ સમય પળાવવાની સ્થિતિમાં નથી, અગર તો એથી વધુ કદાચ ઇચ્છતું નયે હોય.

પ્રમુખ ઓબામાની મુલાકાતને પરમાણુ મામલે કોઈ ગુણાત્મક સહયોગ સંવર્ધનની રીતે ઘટાવવાનું સત્તાવાર વલણ પણ વસ્તુતઃ બાવાહિંદીથી વિશેષ નથી. બુશ – મનમોહન પ્રક્રિયાનો એ કાળક્રમે મળેલ પરિપાક છે. બુશ તંત્ર સહીબદ્ધ થવા બાબતે આઘુંપાછું થતું હતું પણ પૂરાં ત્રણ વરસના આગ્રહી અભિગમ પછી મનમોહન સિંહે ધાર્યું કરાવ્યું હતું.

જો નક્કર લબ્ધિની રીતે વિચારીએ – અને વિચારવું પણ જોઈએ – તો સમજાઈ રહેતું વાનું એ છે કે આપણા વિદેશવ્યૂહમાં અમેરિકા સાથે સારા સંબંધો એક અગત્યની વાત છે, અને વિપક્ષને નાતે વખત છે ને હાકોટાછીંકોટાવાળી ચાલી હોય તો પણ મૈત્રી જરૂરી છે તે માટે ભારતછેડેથી જાગૃતિ દાખવાઈ છે. (અલબત્ત, અમેરિકાએ પણ શસ્ત્રસોદાગરી પાર પાડી ‘બજાર’ સાચવી જાણ્યું છે.)

પ્રતીકાત્મક પણ જે સંબંધ બંને નેતાઓ વચ્ચે બની આવ્યો જણાય છે એથી, કેમ કે એમાં બંને દેશોની સગવડ રહેલી છે, આપણે એક હદ સુધી રાજીપો જરૂર અનુભવી શકીએ. બાકી, ‘બરાક, બરાક’ એમ દોસ્તાના અંદાજમાં રટવાની ‘ચબરાક’ મુદ્રા છતાં બેઉ દેશોના વિશ્વવ્યૂહમાં જે અંતર હોવાનું છે તે હોવાનું જ છે.

બલકે, ખરું પૂછો તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ કમાલ હોય તો તે હંમેશની સ્ફૂિર્તથી તંતોતંત ‘ઇવેન્ટ મેનેજમેન્ટ’ની છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામાંકન સાથેનો સુટ ધારણ કરવા સહિતની કાળજી તો કોઈ નમો કને જ શીખે ! એક વર્ણન પ્રમાણે પ્રમુખપત્ની મિશેલને પણ વિપળવાર ઝાંખાં પાડી દેતી સાજસજ્જા એમની હતી. હશે ભાઈ, મયૂર સંસ્કૃિતનો જય હો !

અમેરિકી છેડેથી થયેલું કોઈ અજબગજબનું ‘ઇવેન્ટ મેનેજમેન્ટ’ હોય તો તે સીરી ફોર્ટ ખાતે પીઆર તામઝામભેર હતી. ૨૦૧૦ની યાત્રા દરમિયાન જેમને મળવાનું થયેલું તે શ્રમિકસંતાન વિશાલ અને ખુશબૂ સાથે ઉષ્માભર્યો મૃદુ સ્નેહોપચાર, બંધારણની ૨૫મી કલમ ટાંકી મહાત્મા ગાંધીના વિશેષ સ્મરણપૂર્વક ધર્મસ્વાતંત્ર્યની જિકર, એક સાથે શાહરૂખ ખાન – મેરી કોમ – મિલખા સિંહ એમ મુસ્લિમખ્રિસ્તીશીખ સહિત ભારતીય સમાજને અંગે સર્વસમાવેશી મુદ્રા, જેમ ચાવાળો તેમ પોતે (એક આફ્રિકી રસોયાનો પૌત્ર) સર્વોચ્ચ સત્તાસ્થાને પહોંચી શકે તેમાં રહેલું લોકશાહીનું ગૌરવ, નમસ્તે-બહૂત ધન્યવાદ-જયહિંદ સાથે સમાપન : ઓબામાના પરફોરમન્સ વિશે શું કહેવું … અને તે પછી ભરત શાહ ને કિરણ બેદીની બચકાના કિલકારીઓ વિશે તો ન બોલ્યામાં જ સાર, કે બીજું કૈ ? કહો જોઉં.

હશે ભાઈ, બેઉ છેડેની અદાકારી અને પ્રસંગપ્રાયોજના પછી સોયના નાકામાંથી પસાર થઈ ગયેલું કોઈ ઊંટ હોય તો તે રાબેતા મુજબની અમેરિકી શસ્ત્રસોદાગરીનું છે. અને અંકલ સામ જેનું નામ તે અહીંથી પરબારા સંચર્યા સાઉદી અરેબિયે : સત્તાવાર ખરખરો … અને તેલબજારી, જય હો !

જે જોવાનું રહેશે હવેના દિવસોમાં તે તો એ કે પાકિસ્તાન સાથે ધારાધોરણસર કેમનું ગોઠવાય છે. જે જોવાનું રહેશે હવેના દિવસોમાં તે તો એ કે ભારત-અમેરિકી સંબંધો સંદર્ભે ચીનને કેવી રીતે સમાલી શકાય છે. જે જોવાનું રહેશે હવેના દિવસોમાં ઘરઆંગણે તે તો એ કે ક્યારેક પોતે જેને આખ્ખેઆખ્ખું ઓળવી લેવાના મનસૂબા સેવ્યા હતા તે અણ્ણા હજારેનાં આંદોલનનાં મૂલ્યો અને માંગ બાબતે બાંધી મુદતમાં વિધાયક પ્રતિસાદ આપવાના ચૂંટણીઝુંબેશ બોલ વાસ્તવમાં કેવા ચરિતાર્થ થાય છે. જે જોવાનું રહેશે હવેના દિવસોમાં ઘરઆંગણે તે તો એ કે આંદોલનની અગનભઠ્ઠીમાંથી નીકળેલ હોઈ શકતી યાજ્ઞસેની શી આમ આદમી પાર્ટી સાથેનો દિલ્હી મુકાબલો કેવુંક કાઠું કાઢે છે; અને આ સંદર્ભે કિરણ બેદીનો કોઈ હક્કદાવો ગ્રાહ્ય બને છે કે કેમ.

અમેરિકી શસ્ત્રસોદાગરી અને તેલબજારીનો ઉલ્લેખ કર્યાથી અમેરિકી લોકશાહીમાં ઓબામાના ઉદય પાછળ રહેલ સમતા અને પરિવર્તનનાં જે પણ બળો યત્કિંચિત્‌ હોય એના અનાદરનો અગર અવમૂલ્યનનો આશય અલબત્ત નથી. માત્ર, આ કે તે છેડેથી આંખ આંજી દેતું ઇવેન્ટ મેનેજરું તે મૂળભૂત કારભારું કૂટ્યા બરોબર નથી એટલું કોઈકે તો કહેવું જોઈશે ને.

દેશના શીર્ષ નેતૃત્વ પર ઓળઘોળ આશાસમાજ દિલ્હીના ચૂંટણીજંગને ઓબામાશાઈ ચકાચૌંધથી હટીને જોઈ શકે તો આપણે જરૂર રાજી થઈશું. પરિણામનિરપેક્ષપણે પણ યથાસ્થિતિનાં બળો અને પરિવર્તનનાં બળો વચ્ચેના મુકાબલાની અસલિયત કંઈકે સમજાય તો ૨૦૧૫ના ગણેશ ઠીક જ બેઠા એમ કહીશું.

જાન્યુઆરી ૨૯, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 01-02

Loading

...102030...3,9233,9243,9253,926...3,9303,9403,950...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved