Opinion Magazine
Number of visits: 9695005
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બહુમુખી પ્રતિભા ધરાવતા યુગપુરુષ

દિનેશ શુક્લ|Opinion - Opinion|26 January 2015

ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની મુખ્ય ત્રિપુટી, ગાંધી, સરદાર અને નેહરુને આપણે આજે વિવિધ કારણોસર યાદ કરીએ છીએ. ગાંધીજીને તેમના ઉદાત્ત આદર્શો અને તેમના પારદર્શક જીવન અને તેમાંથી પ્રગટ થતા સંદેશ માટે યાદ કરીએ છીએ. નેહરુને તેમનાં વિચારો, આધુનિક મૂલ્યો જેવાં કે સેક્યુલારિઝમ, રેશનાલિઝમ અને વૈજ્ઞાનિક અભિગમના આગ્રહ માટે યાદ કરીએ છીએ. તો સરદારને તેમણે કરેલ અનેક કાર્યો, એવા કાર્યો, જે તેમના સિવાય બીજું કોઈ કરી શક્યું ન હોત, તે માટે યાદ કરીએ છીએ.

૧૯૪૬થી ૧૯૫૦ સુધીનાં પાંચ વર્ષનો સમયગાળોનો ભારતના આધુનિક ઇતિહાસમાં સૌથી કઠિન અને નિર્ણાયક રહ્યો છે. એક નવા રાષ્ટ્ર-રાજ્યના જન્મસમયની બધી પ્રસૂતિ પીડાઓનો સામનો મુખ્યત્વે સરદાર અને નેહરુને કરવો પડ્યો હતો. આ સંધિકાળમાં આ ત્રણે નેતાઓની હાજરી અને તેમની દોરવણી પાછળ ભારત ભાગ્યવિધાતાનો કોઈ સંકેત હોવો જોઈએ !

નેહરુ સ્વાતંત્ર્યસંગ્રામના એક અગ્રણી લડવૈયા તો હતા જ. ઉપરાંત, તેઓ એક મહાન લેખક અને ખાસ તો ઇતિહાસના અભ્યાસી હતા. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘Glimpses of World History’, ‘Discovery of India અને ‘Autobiography’ વગેરેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તે વખતના નેતાઓમાં જગતના ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય રાજકારણનો તેમણે જે ઊંડાણથી અભ્યાસ કર્યો હતો, એટલો બીજા કોઈ નેતાએ કર્યો ન હતો.

તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. વચગાળાની સરકારમાં વડાપ્રધાન(૧૯૪૬)થી ૧૯૬૪માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી દેશનું સુકાન સંભાળનાર અને આધુનિક ભારતનો પાયો નાંખનાર મુઠ્ઠી ઊંચેરા રાજપુરુષ હતા. નેહરુ જેમ અચ્છા લેખક અને અભ્યાસી હતા, તેટલા જ પ્રભાવશાળી વક્તા પણ હતા. ૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ની મધ્યરાત્રિએ જ્યારે બ્રિટિશ સામ્રાજ્યના પ્રતીક સમો ‘યુનિયન જેક’ (ધ્વજ) નીચે ઉતારવામાં આવ્યો અને આઝાદ ભારતનો તિરંગો ફરકાવવામાં આવ્યો ત્યારે તેમણે જે પ્રવચન આપેલ ‘Tryst with Destiny’ તે અવિસ્મરણીય છે. વિશ્વનાં યાદગાર પ્રવચનોમાં તેનું વિશિષ્ટ સ્થાન છે. નેહરુ જ્યારે બોલતા ત્યારે તેમાં કવિતાનો રણકો સંભળાતો હતો. અંગ્રેજી ભાષા પરનો તેમનો કાબૂ, શબ્દોની પસંદગી અને તેના ઉચ્ચાર ભલભલા અંગ્રેજને પણ શરમાવે તેવા હતા.

ભારતના બંધારણના ઘડવૈયાઓમાં તેઓ મોખરે હતા. બંધારણઘડતરમાં તેમનો ફાળો અમૂલ્ય હતો. બંધારણસભાની બેઠકોની શરૂઆતમાં તેમણે ‘Objective resolution’ રજૂ કરેલું, તેમાં દેશનું નવું બંધારણ ઘડવા પાછળ આપણા મુખ્ય ઉદ્દેશો કયા છે, તેની સ્પષ્ટતા કરવામાં આવેલી. તેમાં જે મુખ્ય મુદ્દાઓ રજૂ કરવામાં આવેલા, તે બધાનો સમાવેશ ભારતના બંધારણના આરંભમાં મૂકવામાં આવેલ ‘આમુખ’માં થાય છે. બંધારણનાં આમુખ(બીજા શબ્દોમાં પ્રસ્તાવના)માં આપણે સ્વતંત્ર થયા પછી એક રાષ્ટ્ર-રાજ્ય તરીકે કયા ઉદ્દેશો અને આદર્શો ચરિતાર્થ કરવા માંગીએ છીએ, તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રસિદ્ધ રાજ્યશાસ્ત્રી અર્નેસ્ટ બાર્કરે જમાવ્યું છે કે ‘ઉદારમતવાદી લોકશાહીનાં મૂલ્યો અને આદર્શોની આટલી સચોટ અભિવ્યક્તિ તમને બીજે ક્યાં ય જોવા નહીં મળે’. બંધારણના આમુખને આપણે ‘Mission statement’ પણ કહી શકીએ.

નેહરુ એક અભ્યાસી લેખક અને પ્રભાવશાળી વક્તા તરીકે તે વખતના નેતાઓમાં આગવી ભાત પાડે છે, તેમ એક વિચારક તરીકે પણ અલગ તરી આવે છે. આપણે તેમને ‘માનવવાદી-રેશનાલિસ્ટ વિચારક’ કહી શકીએ. તેમની દાર્શનિક ભૂમિકા ‘અજ્ઞેયવાદી’ની હતી. અગાઉ ઉલ્લેખ કર્યો તે અનુસાર તેઓ જગતના ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ પુસ્તકમાં ઇતિહાસ વિશેની તેમની વિભાવનાનો પરિચય મળે છે. તેઓ માનતા કે ઇતિહાસ મુખ્યત્વે વસ્તુલક્ષી પરિબળોથી સંચાલિત થાય છે. છતાં ઇતિહાસને ચાલના આપનારાં પરિબળોમાં વ્યક્તિવિશેષના ફાળાનો ઇન્કાર કરતા નથી. ઇતિહાસના ‘વીરપુરુષો’ જેવા કે નેપોલિયન, ચંગીઝખાનના વ્યક્તિવિશેષોનો ઇતિહાસ ઘાટ આપવામાં જે ફાળો છે, તેનો પણ તેઓ સ્વીકાર કરે છે. કૉંગ્રેસ મહાસમિતિની બેઠકોમાં તે સમયના આંતરરાષ્ટ્રીય રાજકારણ વિશે એક ખાસ ઠરાવ રજૂ કરવામાં આવતો અને ચર્ચા-વિચારણા બાદ તે પસાર કરવામાં આવતો. તે ઠરાવનો મુસદ્દો ઘડવાનું કામ નેહરુ કરતા. અને તે પરની ચર્ચામાં તેમનો મુખ્ય ફાળો રહેતો.

૧૯૨૭માં તેમણે સોવિયેત યુનિયનની મુલાકાત લીધેલી. તેનાથી તેઓ ઠીકઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા. તે વખતે સોવિયેત યુનિયનમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજિત અર્થતંત્રનો સ્વીકાર કરવામાં આવેલો, તેમાંથી પ્રેરણા લઈને આગળ જતાં સ્વાતંત્ર્ય મળ્યા બાદ આપણે ત્યાં આયોજન પંચની રચના કરવામાં આવેલી, જેનું મુખ્ય કામ પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરવાનું હતું.

નેહરુ માર્ક્સવાદ અને સામ્યવાદી વિચારોથી પ્રભાવિત થયેલા પણ માર્ક્સવાદ-સામ્યવાદની કંઠી નહીં બાંધેલી. તેમના આર્થિક વિચારો મહદંશે સમાજવાદી વિચારધારાથી પ્રભાવિત થયેલા, જેનો મુખ્ય સિદ્ધાંત છે કે ઉત્પાદનનાં સાધનોની ખાનગી માલિકીને બદલે સમાજની માલિકી હોવી જોઈએ. સાથે-સાથે નેહરુ સામાજિક-આર્થિક ન્યાયમાં માનતા હતા. આર્થિક વૃદ્ધિ સાથે સામાજિક-આર્થિક ન્યાયનો જો સ્વીકાર કરવામાં ન આવે અને તેને ચરિતાર્થ કરતી નીતિઓ અમલમાં મૂકવામાં ન આવે, તો સમાજમાં મોટા પ્રમાણમાં બેદિલી અને અન્યાયની લાગણી ઊભી થયા વિના રહે નહીં.

આઝાદીનાં આરંભિક વર્ષોમાં જુદાં-જુદાં રાજ્યોએ જમીનદારી નાબૂદીને લગતા કાયદાઓ પસાર કરેલા. આ કાયદાઓ મિલકતના મૂળભૂત અધિકારનો ભંગ કરે છે, એમ જણાવી જુદી-જુદી વડી અદાલતોએ એ કાયદાઓને ગેરબંધારણીય અને રદબાતલ જાહેર કરેલા. એ બધા કાયદાઓ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલો થઈ. સર્વોચ્ચ અદાલત પણ વડી અદાલતો જેવું વલણ લે તો જમીનદારી નાબૂદીને લગતા કાયદાનો અમલ થઈ શકે નહીં. સ્વાતંત્ર્ય આંદોલન વખતે અમે સત્તા પર આવીશું, તો જમીનદારી નાબૂદ કરીશું, એવાં વચનો કૉંગ્રેસે આવેલાં. હવે શું કરવું. ત્યારે નેહરુએ રસ્તો કાઢ્યો કે જમીનદારી નાબૂદીને લગતા બધા કાયદાઓને બંધારણના નવમા પરિશિષ્ટમાં જ સ્થાન આપવામાં આવે, એવી જોગવાઈ સાથે કે આ પરિશિષ્ટમાં કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેને ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાશે નહીં ! ટૂંકમાં નેહરુની દીર્ઘદૃષ્ટિને કારણે જમીનદારી નાબૂદીને લગતા પ્રગતિશીલ કાયદાઓને આ રીતે અદાલતી સમીક્ષાથી પર બનાવી દેવામાં આવ્યા.

ત્યાર બાદ ૧૯૫૫માં અવાડી ખાતે મળેલ કૉંગ્રેસના અધિવેશનમાં દેશમાં ‘સમાજવાદી ઢબની સમાજરચના’ સ્થાપિત કરવા સંબંધી ઠરાવ પસાર કરવામાં આવ્યો.

જો એક દેશ તરીકે અને સમાજ તરીકે ઝડપથી વિકાસ સાધવા ઇચ્છતા હોઈએ તો ‘રાજ્ય’ની ભૂમિકા નિર્ણાયક હોવી જોઈએ. તે સંદર્ભમાં બંધારણમાં ‘રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’નો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં રાજ્યે કઈ નીતિ ઘડવી તેનું માર્ગદર્શન આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. આ કામ ‘રાજ્યે’ કરવાનું છે, તે પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ સિદ્ધાંતોમાં કેટલાક ‘સમાજવાદી સિદ્ધાંતો’નો સમાવેશ થાય છે. તે પરની ચર્ચામાં નહેરુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે કેવો ભાવિ સમાજ સ્થાપવા માંગીએ છીએ, તેનું ‘માર્ગદર્શન’ આપે છે. એ અર્થમાં તે સિદ્ધાંતો ભારતીય સમાજના પરિવર્તનનો એજન્ડા છે. ઇચ્છિત દિશામાં પરિવર્તન સંબંધી માર્ગદર્શન આપતા આ સિદ્ધાંતો છે. ડૉ. આંબેડકરના શબ્દોમાં દેશના શાસનમાં આ સિદ્ધાંતો પાયારૂપ છે. ભલે અદાલતો દ્વારા તેમનો અમલ ન કરાવી શકાય.

નેહરુ માનતા હતા કે ભારત જેવા ‘ગરીબ’ અને પછાત દેશના અર્થતંત્રને મજબૂત પાયા પર સ્થાપિત કરવામાં ‘રાજ્યે’ નિર્ણાયક ભૂમિકા ભજવવી જોઈએ. અને તેથી કરીને દેશના ચાવીરૂપ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો ખાનગી વ્યક્તિઓના હાથમાં નહીં, પણ રાજ્ય હસ્તક હોવા જોઈએ અને તેથી નહેરુના શાસનકાળમાં જેને જાહેર ક્ષેત્ર (પબ્લિક સેક્ટર) કહેવામાં આવે છે તેનો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ થયો. બીજા શબ્દોમાં ખેતીપ્રધાન દેશમાં તેમણે ઔદ્યોગિક ભારતનો પાયો નાંખ્યો. સાથે સાથે, તેમના સમયમાં મોટા બંધો બાંધવામાં આવ્યા, લોખંડ-પોલાદનાં કારખાનાં, રાસાયણિક ખાતરનાં કારખાનાં નાંખવામાં આવ્યાં. આ બધાંને તેઓ ‘modern temples of  India’ કહેતા.

નેહરુ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના પ્રખર વિરોધી હતા. સાથે-સાથે વિશ્વભરમાં તે સમયે ચાલતી રાષ્ટ્રવાદી ચળવળોના સમર્થક હતા. દરેક રાષ્ટ્રીયતાને આત્મનિર્ણયનો હક હોવો જોઈએ, એવું માનતા હતા. રાષ્ટ્રીય એકીકરણ અને રાષ્ટ્રીય એકતાના તેઓ પુરસ્કર્તા હતા.

ભારતમાં સંસદીય લોકશાહીનો પાયો નાંખનાર નેહરુ હતા. સંસદીય પ્રણાલીઓ અને સંસદીય ગરિમાના તેઓ ચુસ્ત આગ્રહી હતા. ભારતમાં ઉદારમતવાદી-સંસદીય લોકશાહીનો મજબૂત પાયો નાખનાર તરીકે નહેરુનું યોગદાન કદાચ અદ્વિતીય હતું, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. શક્ય હોય ત્યાં સુધી નેહરુ સંસદમાં હાજર રહેતા. ખાસ તો વિરોધપક્ષના નેતા જ્યારે સંબોધન કરતા હોય ત્યારે શાંતિથી સાંભળતા અને તેમણે ઊભા કરેલા મુદ્દાઓનો તર્કબદ્ધ, પદ્ધતિસર જવાબ આપતા.

અગાઉ જણાવ્યું તેમ નેહરુ વિશ્વરાજકારણના ઊંડા અભ્યાસી હતા. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું. પશ્ચિમ પણ ખાસ તો અમેરિકાના નેતૃત્વ હેઠળનું એક જૂથ તો સામે પક્ષે સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળનું બીજું જૂથ. બંને જૂથોએ લશ્કરી કરારો દ્વારા પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયાસ કર્યો. આવાં લશ્કરી જોડાણોનું અભિપ્રેત એક લક્ષણ એ હતું કે એક દેશ પર આક્રમણ થાય, તો તેની સાથે જૂથમાં જોડાયેલા દેશો પરનું આક્રમણ ગણાય. બંને જૂથો વચ્ચે એક પ્રકારનું ‘ઠંડું યુદ્ધ’ ચાલતું હતું.

નેહરુના માર્ગદર્શન હેઠળ ભારતે કોઈ પણ લશ્કરી જૂથમાં નહીં જોડાવાની – બિનજોડાણની નીતિ અપનાવી. ઘણા વિવેચકો માનતા હતા કે નેહરુ આદર્શવાદી હોવાથી તેણે કોઈ પણ જૂથમાં નહીં જોડાવાની બિનજોડાણની નીતિ અપનાવેલી. ખરેખર તો એ વાસ્તવદર્શી નીતિ હતી. ૧૯૪૭માં આપણે સ્વતંત્ર થયા, તે સમયનું વિશ્વરાજકારણ-શરૂ થયેલી અણુશાસ્ત્રોની સ્પર્ધા, સ્પર્ધાત્મક દ્વિધ્રુવી વિશ્વરાજકારણે, આ બધાં પરિબળોનાં લેખાંજોખાં લઈને નેહરુએ બિનજોડાણની વિદેશનીતિ  અપનાવી. બિનજોડાણની નીતિના મુખ્ય ઘટકો આ પ્રમાણે હતા : (૧) ઠંડા યુદ્ધ અને જૂથબંધીથી અળગા રહેવું. (૨) બંને મહાસત્તાઓ (અમેરિકા અને સોવિયત યુનિયન) સાથે સારા સંબંધો કેળવવા, લશ્કરી જોડાણોમાં સામેલ થવું નહીં. એટલું જ નહીં પણ કોઈ પણ મહાસત્તાને લશ્કરી થાણાં સ્થાપવા દેવાં નહીં. (૩) આર્થિક વિકાસ માટે બંને પાસેથી આર્થિક મદદ મેળવવી. (૪) કોઈ પણ મહાસત્તા પાસેથી લશ્કરી મદદ સ્વીકારવી નહીં. (૫) વિદેશનીતિના સંચાલનમાં લશ્કરી કે સત્તા-પ્રભાવના રાજકારણને સ્થાને શાંતિ અને સમાધાનના અભિગમને વધારે મહત્ત્વ આપવું. ટૂંકમાં, બેમાંથી એક પણ સત્તાજૂથ(લશ્કરી જૂથ)માં નહીં જોડાનાર રાષ્ટ્રોનું એક ત્રીજું જૂથ અથવા ત્રીજું બળ ઊભું કરવાનો તેમણે પ્રયાસ કર્યો અને તેમાં તેમને ઠીકઠીક પ્રમાણમાં સફળતા પણ મળી. બિનજોડાણવાદના મુખ્ય ઘટકોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ઠંડા યુદ્ધનો વિરોધ, લશ્કરી જૂથોથી અલિપ્ત રહેવું, લશ્કરી ઉપાયોને બદેલ શાંતિમય વાટાઘાટો દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવા પર ખાસ ભાર મૂકવો, વગેરે.

બિનજોડાણનો અર્થ ‘તટસ્થતા’ થતો નથી એવી સ્પષ્ટતા ખુદ નેહરુએ કરી છે. જ્યાં એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર પર પ્રભુત્વ જમાવવા આક્રમણ કરતું હોય, ત્યાં આપણે તટસ્થ કેવી રીતે રહી શકીએ. જ્યાં મોટા પ્રમાણમાં માનવહકોનું હનન થતું હોય, ત્યાં પણ તટસ્થ રહી શકીએ નહીં. ‘બિનજોડાણનો અર્થ છે કોઈ પણ લશ્કરી જોડાણમાં નહીં જોડાવું.’

બિનજોડાણની નીતિનો એક લાભ એ મળ્યો કે બંને સત્તાજૂથો અને તેમનાં મુખ્ય રાષ્ટ્રો તરફથી આપણને ઠીક ઠીક પ્રમાણમાં આર્થિક મદદ મળી. બંને સત્તાજૂથો ભારત જેવા મોટા ‘બિનજોડાયેલ’ રાષ્ટ્રને પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યાં, જેનો આપણને લાભ મળ્યો. એક સમયે તો નેહરુની ગણના વિશ્વસ્તરીય ત્રીજા રાજપુરુષ તરીકે થવા લાગી. બંને સત્તાજૂથોનાં મુખ્ય રાષ્ટ્રોના નેતાઓ – અમેરિકી પ્રમુખ, તો બીજી બાજુ સોવિયેત યુનિયનના સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી પોતપોતાના વિચારો નેહરુ મારફત સામેના નેતાને પહોંચાડતા.

રાષ્ટ્રો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો સ્થપાય અને તેનું જતન થાય તે માટે ‘પંચશીલના સિદ્ધાંતો’ ઘડવામાં અને તેને વાચા આપવામાં નેહરુનો ફાળો સૌથી મહત્ત્વનો છે. આ સિદ્ધાંતોમાં, પ્રાદેશિક અખંડિતતા, પરસ્પરના સાર્વભૌમત્વનો આદર, એકબીજા પર આક્રમણ ન કરવું, બીજા શબ્દોમાં બિનઆક્રમણ, એકબીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી, શાંતિમય સહઅસ્તિત્વ અને પરસ્પર આર્થિક સહકાર વગેરેનો સમાવેશ થાય છે.

નેહરુની વિદેશનીતિ અને તેના સંચાલનમાં બે-ત્રણ મુદ્દાઓની બાબતમાં તેમની ટીકા કરવામાં આવે છે, તેનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. એક ટીકા એ કરવામાં આવે છે કે નેહરુ ચીનને ઓળખવામાં થાપ થઈ ગયા. ૧૯૬૨માં ચીન ભારત પર શા માટે આક્રમણ કર્યું અને થોડા સમય બાદ ‘એકપક્ષીય યુદ્ધવિરામ’ જાહેર કરીને તેણે પોતાનાં દળો શા માટે પાછા ખેંચી લીધાં એ આજે પણ અણઉકેલ્યો કોયડો છે. આપણી લશ્કરી સજ્જતા કેટલી કાચી અથવા પોકળ હતી, તે પણ તેનાથી સ્પષ્ટ થયું. આજે પણ ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો જ પ્રદેશ માને છે. ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’નાં સૂત્રોમાં ચીનના ખરા ઇરાદા કયા હતા, તે આપણે જાણી શક્યા નહીં.

બીજી ટીકા કાશ્મીરના સંદર્ભમાં કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરનું જોડાણ રાજા હરિસિંહે ભારતીય સંઘ સાથે કર્યું, તેના થોડા જ સમયનાં જમ્મુ-કાશ્મીર પર કબાઇલીઓના વેશ પહેરીને પાકિસ્તાનના સૈનિકોએ હુમલો કર્યો. એ હુમલાને ખાળવા માટે તરત લશ્કર મોકલવાને બદલે નેહરુએ યુનાઈટેડ નેશન્સનો આશરો લીધો અને ત્યાં સલામતી સમિતિએ યુદ્ધવિરામ જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીરના પશ્ચિમ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પશ્ચિમ ભાગ ઉપર પાકિસ્તાનના લશ્કરે કબજો જમાવી દીધો હતો. આ બાબતે નેહરુ અને સરદાર વચ્ચે ઠીકઠીક પ્રમાણમાં મતભેદો ઊભા થયેલા.

એ જ રીતે તિબેટની બાબતમાં નેહરુએ ચીન ઉપર દબાણ લાવવા જેવું હતું. તિબેટ ચીનનો સ્વાયત્ત પ્રદેશ હતો, અને તેને પોતાનામાં ભેળવી દેવાનો પ્રયાસ કર્યો, તે વખતે ભારતે આગ્રહ રાખાવો જોઈતો હતો કે ભારત-તિબેટ વચ્ચેની સરહદોની સ્પષ્ટતા કરવામાં આવે ! સરદાર પટેલે આ સંદર્ભમાં નેહરુનું ધ્યાન પણ દોર્યું હતું. જ્યારે નેહરુ અને સરદારની તુલના કરવામાં આવે છે, ત્યારે એક એવું વિધાન કરવામાં આવે છે કે ‘આદર્શવાદી નેહરુ હવામાં ઉડનાર નેતા હતા’, જ્યારે સરદારના પગ નક્કર ધરતી પર રહેલા હતા.

નેહરુએ દેશમાં વૈજ્ઞાનિક સંશોધનસંસ્થાઓ, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ વગેરેની સ્થાપના કરી અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપ્યું, તેની ખાસ નોંધ લેવી જોઈએ. અણુશક્તિના શાંતિમય ઉપયોગ માટેની સંસ્થાઓ સ્થાપીને, વૈજ્ઞાનિકોને ઘણું પ્રોત્સાહન પૂરું પાડ્યું. અવકાશ ક્ષેત્રે આપણે જે સિદ્ધિઓ મેળવી છે અને મેળવતા રહીએ છીએ, તેનો પાયો નેહરુએ નાખેલો.

ટૂંકમાં, ઉદારમતવાદી, પ્રાતિનિધિક સંસ્થાઓનાં નિર્માણ, જતન અને સંગોપન, આયોજન દ્વારા દેશના આર્થિક-સામાજિક વિકાસ પર ભાર, સિદ્ધાંતચુસ્ત સમાજવાદને બદલે લોકશાહી સમાજવાદનાં પુરસ્કાર વગેરે ક્ષેત્રોમાં તેમનો ફાળો અમૂલ્ય છે. ભાવિ ભારતનું એક દર્શન, તેમના વિચારોમાં પ્રતિબિંબિત થાય છે. એ અર્થમાં નહેરુને એક દૃષ્ટિવંત, રાજપુરુષ તરીકે વર્ણવી શકીએ. તેઓ એક બહુમુખી પ્રતિભા અને ભાતીગળ વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 4 – 6

Loading

ના, હું તો મારા બાળકને ગુજરાતી માધ્યમની શાળામાં જ ભણાવીશ !

આશા બૂચ|Opinion - Opinion|25 January 2015

ઉપરોક્ત વિધાન મેં ગુજરાતમાં ત્રણ માતા-પિતાને મુખે સાંભળ્યું, એમ કહું તો વાચકો માની શકશે? હા, આ હકીકત છે અને તે પણ 2014ના નવેમ્બર માસની મારી ગુજરાતની મુલાકાત દરમ્યાન થયેલ આ સુખદ અનુભૂતિ માન્યામાં ન આવે એવી છે ને? ખરું કહું છું, મને પણ સુખદ આશ્ચર્ય થયેલું એ યુવાન પેઢીના આવો નિર્ણય સાંભળીને અને એથી જ તો મેં એમની સાથે લંબાણથી ચર્ચા કરી અને ખાતરી કરી કે તેઓ પૂરેપૂરા હોશમાં છે અને ઊંડું સમજી વિચારીને બોલે છે.

વાત એમ છે કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાં જન્મેલા આપણા વડવાઓ ગમ ગચ્છ = to go એવી રીતે ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ તો શું પણ પોતાની માતૃભાષા અને ખુદ સંસ્કૃત પણ અંગ્રેજી માધ્યમ દ્વારા જ શીખેલા. બ્રિટિશ શાસકોની મૂળ ભારતીયોને શિક્ષણ આપવા પાછળની એક માત્ર નીતિ હતી કારકુન વર્ગ પેદા કરવાની, જે એમના હુકમ મુજબ દેશનો વહીવટ સંભાળે. કોઈ પણ પ્રજાનું હીર ચૂસી લેવું હોય તો તેની માતૃભાષા ઝુંટવી લેવી એ કીમિયો બરાબર જાણતા હોવાને લીધે તત્કાલીન શાસકોએ તમામ શાળાઓમાં શિક્ષણનું માધ્યમ ઇંગ્લિશ રાખ્યું અને તેમનો હેતુ સર્યો. ગુલામ પ્રજાને પોતાના હિત માટે કોઈ પણ નિર્ણય લેવા જેટલી મુક્તિ નથી હોતી અને બે સદીના ગાળામાં તો ભારતીય પ્રજા પોતાની ઓળખ, સંસ્કૃિત અને અસ્મિતા સારી પેઠે ગુમાવી બેઠેલી. પરિણામે જે કેટલાક જાગૃત અને સ્વાભિમાની આગેવાનો ઇંગ્લિશ માધ્યમથી અપાતા શિક્ષણનો વિરોધ કરવા પ્રયત્નશીલ હતા તેમને નમાલી પ્રજાનો સાથ ન મળી શક્યો.

સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન અસહકાર આંદોલનના ભાગરૂપે રાષ્ટ્રીય શાળાઓ ખૂલી જેમાં માતૃભાષાએ શિક્ષણના માધ્યમનું માનભર્યું સ્થાન મેળવ્યું. પહેલાં દસેક વર્ષ એ જુવાળ ઠીક ઠીક ટકી રહ્યો. કમનસીબે વિશ્વના તખ્તા પર પોતાની પ્રતિમા ઊભરી આવે તેવા અબળખા સેવતું ભારત એમ માનવા લાગ્યું કે માત્ર ઇંગ્લિશ ભાષા સારી રીતે શીખવાથી આપણું દળદર નહીં ફીટે, એ માટે તો શિક્ષણનું માધ્યમ જ ઇંગ્લિશ હોવું ઘટે જેથી કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કૂદકે ને ભૂસકે આગળ વધતી પશ્ચિમી દુનિયાને આંબી જઈ શકાય. આ વિચારથી ભ્રમિત થયેલ કેટલાક દાનેશ્વરી દાતાઓ અને શિક્ષકોએ ઇંગ્લિશ માધ્યમની શાળાઓ ખોલી અને પછી તો ઘેટાંની આપણા દેશમાં ક્યાં ત્રુટી છે? બ્રિટિશ રાજ સમયની મિશન સ્કૂલો અને સેન્ટ મેરી તથા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલો તો હજુ હતી જ તેમાં ઇંગ્લિશ માધ્યમની ખાનગી શાળાઓ ખુલવા લાગી. પ્રખર ગાંધીવાદી અને સારા કેળવણીકાર મગનભાઈ દેસાઈએ લોકોની ઇંગ્લિશ માટેની ઘેલછાને સરકાર ટેકો ન આપે તે માટે ખૂબ પ્રયાસ કરેલા, જેને મગન માધ્યમ તરીકે ખ્યાતિ મળેલી. સરકારની ઉત્તમ શિક્ષકો રોકીને સાત ધોરણ સુધીના ફરજિયાત શિક્ષણને સુધારવાના પોતાના કાર્યને પ્રાથમિકતા આપવા બાબતની ઉદાસીનતાનો લાભ વેપારીઓ અને ઉદ્યોપતિઓએ લીધો અને શિક્ષકોને ઇંગ્લિશ માધ્યમની શાળાઓ શરૂ કરવા ઉદારતાથી દાન આપવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે છેલ્લા પાંચ દાયકામાં તો બિલાડીના ટોપની માફક ગામે ગામ નહીં, શેરીએ શેરીએ ઇંગ્લિશ માધ્યમની શાળાઓ ખુલવા લાગી.

શિક્ષણનું માધ્યમ ઇંગ્લિશ હોવું જોઈએ તેવી ઘેલછાનું પરિણામ શું આવ્યું? શું ભારતમાં શિક્ષણનો પ્રસાર વધ્યો? શું તેની ગુણવત્તા સુધરી? શું એ પ્રથાને કારણે ભણીને ઉતરેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વિશ્વના તખ્તા પર નામ કમાનારની સંખ્યા વધી? શું તેનાથી ભારતને દુનિયાના બીજા દેશોએ શાબાશી આપી? હકીકત તપાસતાં માલુમ પડશે કે ઇંગ્લિશ માધ્યમ વાળી નિશાળો મુખ્યત્વે ખાનગી ધોરણે જ સ્થપાઈ અને તેના વહીવટમાં નફાખોરી ઘુસી ગઈ એટલું જ નહીં, બાળકોને શારીરિક શિક્ષા થતી હોવાના પુરાવા છે, એવી શાળાઓમાં શિક્ષણના ધોરણ માટે પ્રશ્નો ઉઠાવી શકાય તેમ છે, ત્યાં શિક્ષકોને પૂરતા પગાર ન મળે, વેકેશનમાં છુટ્ટા કરી દેવામાં આવે એ હકીકત પણ સર્વ વિદિત છે. અલબત્ત, અહીં એમ કેવાનો આશય બિલકુલ નથી કે તમામ ઇંગ્લિશ માધ્યની શાળાઓમાં આવી ગેરરીતી પ્રવર્તતી જોવા મળે છે. પરંતુ પોતાની આવક અને બચતમાંથી ખાસ્સી રકમ ફાળવીને કે કેટલાક કિસ્સાઓમાં ઉધાર લઈને પણ ઇંગ્લિશ માધ્યની શાળાઓમાં પ્રવેશ આપવા માટે માગવામાં આવતા ‘દાન’ની મસ મોટી રકમ ભરનારા મા-બાપ એવા ભ્રમમાં રહ્યા કે મારા સંતાનને હું ‘ઉત્તમ’ શિક્ષણ આપું છું જેને પરિણામે તેને ભારતમાં ઊંચા પગારની નોકરી મળશે અને નસીબ પાધરું હશે તો વિદેશ જવા મળશે અને એ માલામાલ થશે અને અમારા આખા કુળને નીચલા મધ્યમ વર્ગના શાપિત કળણમાંથી ઉઠાવીને સીધા ઉચ્ચ વર્ગના સિંહાસને બેસાડી દેશે એટલે પોષક ખોરાક ન ખાઈ-ખવડાવીને કે જરૂરી દવા ન કરી-કરાવીને આપેલ ભોગ લેખે લાગશે.

પણ પરિણામ ધાર્યા કરતાં જુદું આવ્યું. એવી શાળાઓમાં નિમણુક પામેલા ઘણા ભાગના શિક્ષકો નથી તો પોતાના વિષયમાં નિષ્ણાત હોતા, નથી ઇંગ્લિશ ભાષાને કુશળતાથી ભણાવી શકતા. એટલે એવી શાળાઓના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દસમાં સ્થાન મેળવે એવી કોઈ ખાતરી નથી હોતી. વળી તેમાંના જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજનું શિક્ષણ લેવા નસીબદાર નીવડ્યા તેમને ભાગે રોજગારીને બદલે બે-રોજગારી આવી અને વિદેશ જવાનું સ્વપ્ન તો હજુ પણ મુઠ્ઠીભર ધનિકોના કે રાજકીય લાગવગ ધરાવનારના સંતાનોને જ ફાળે આવ્યું. પછી બાપનો ધીકતો ખેતી, કાપડનો કે કરિયાણાનો ધંધો છોડીને કોઈ કોલ સેન્ટરમાં ‘હલ્લો, આઈ એમ પીટર સ્પીકિંગ, મોમ’ એમ બોલતો પ્રવીણ એક સામાન્ય નોકર તરીકે બે છેડા ભેગા કરવા જિંદગીભર આધુનિક સ્વરૂપની ગુલામી કરવા ઘાણીના બળદની માફક આંખ મીંચીને મચી પડે, તેમાં શી નવાઈ?

આ તો થયો શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાલતનો ચિતાર। આપણો સમાજ તેની બીજી આડ અસરનો પણ સ્વાદ ચાખી ચુક્યો છે. મા-બાપ પોતાનાં બાળકોનાં શિક્ષણમાં રસ લઈ ન શક્યાં, માત્ર પોતાનો દીકરો કે દીકરી ઇંગ્લિશમાં ગોટપીટ કરે ત્યારે સમજ્યા વિના બસ ગૌરવ અનુભવ કરતા રહ્યાં. બાળકો ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર’ ગાતાં ગાતાં ક્યારે પોતાની ભાષા સાથે પોતાની સંસ્કૃિતથી દૂર થઈ ગયા તેનું ઓસાણ પણ ન રહ્યું.

રહી વાત ઇંગ્લિશ ભાષી દેશો તરફથી શાબાશી મળવાની વાત. વિદેશ જઈને અભ્યાસ કરવા કે સ્થાઈ થવા નસીબદાર નીવડેલા લોકોને અનુભવ થયો કે દુનિયામાં ભારત એક માત્ર એવો દેશ છે કે ગુલામીમાંથી મુક્ત થયા પછી પણ પોતાના ભૂતપૂર્વ શાસક દેશની માતૃભાષાના માધ્યમથી પોતાની નવી પેઢીને શિક્ષણ આપે છે. અરે મેં તો એક કુટુંબીને ઘેર તેમની પૌત્રી અને દોહિત્રાઓ ઇંગ્લિશ માધ્યમની શાળામાં ભણે છે તેના નર્સરીમાંથી પહેલા ધોરણ – ના સોરી હોં, first standardમાં જતી વખતના graduation કાર્યક્રમની સી.ડી. જોતાં જાણ્યું કે એ શાળામાં ભણતાં તમામ ભુલકાંઓને કહેવામાં આવે છે કે તેમણે માત્ર ઇંગ્લિશમાં જ વાતચીત કરવી અને જ્યાં ઇંગ્લિશ શબ્દ ન આવડે ત્યાં ન છૂટકે હિન્દી શબ્દ વાપરવો. હવે આવા નિયમો બનાવનારની શિક્ષણ અને બાળ માનસ વિશેની સમજણ માટે શું કહેવું? તેઓ આ બાળકો પાસેથી શું બનવાની અપેક્ષા રાખતા હશે? આવો નિયમ ઘડતાં પહેલાં વિચાર નહીં આવ્યો હોય કે અમે કે અમારાં સંતાનો તો આવી નિશાળમાં નહોતાં ભણ્યાં, તો આજે એવું શું બન્યું કે ગુજરાતમાં જન્મેલ બાળકો પોતાની માતૃભાષા બોલી ન શકે? અને તે પણ જે ઉંમરે તેમની ભાષાનો સહુથી વધુ વિકાસ થાય. કલ્પના શક્તિ ખીલે અને અભિવ્યક્તિ માટે મોકળાશ મળે તે સમયે જ તેને માના ધાવણ સમી માતૃભાષાથી વેગળાં કરવામાં કયું ડહાપણ બતાવવા માંગતા હશે?

અમારા એક કુટુંબીને બે દીકરા. હવે તેમને ઘેર પાંચ-સાત વર્ષનાં સંતાનો છે. તેમાં એક દીકરાએ પોતાના દીકરાને ઇંગ્લિશ માધ્યમની શાળામાં દાખલ કર્યો કેમ કે એનું માનવું છે કે ગુજરાતી માધ્યમની શાળામાં શિક્ષણનું ધોરણ સારું નથી. અને મજાની વાત તો એ છે કે એક જ ગામમાં રહેતા તેના સગા ભાઈએ પોતાના બંને સંતાનોને ગુજરાતી માધ્યમની શાળામાં ભરતી કર્યા, છે ને તાજુબની વાત? કહે છે, એક વેલનાં બે તુંબડા સરખા ન પણ હોય તે ખરું છે. બીજી એક મા જે પોતે ગણિત સાથે એમ.એ.ની ડિગ્રી અને તેમાં ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે તેનો આગ્રહ છે કે પોતાની દીકરી તો ગુજરાતી માધ્યમમાં જ ભણશે કેમ કે તે પોતે તેના ઉછેર, શિક્ષણ અને કેળવણીમાં પૂરો હિસ્સો લેવા માંગે છે. ત્રીજા મા-બાપને તો પોતાનાં ત્રણેય સંતાનો ગુજરાતી માધ્યમની શાળામાં ભણીને ઉત્તમોત્તમ ઉપાધિઓ મેળવશે અને ઇંગ્લિશ માધ્યમમાં ભણેલ લોકો કરતાં પણ વધુ સારી નોકરી મેળવશે એવી ખાતરી છે. અને એ વાત પોતાના  કુટુંબીઓ અને પડોશીઓ પાસે સાબિત કરવા માંગે છે.

મને લાગ્યું કે એ પેઢીને આપણે ઇંગ્લિશ માધ્યમમાં ભણાવ્યા તેમની આંખ સામેથી પડદો હઠી ગયો છે અને તેઓ પોતાના બાળકોનાં શિક્ષણની દિશા અને દશા જે સ્વાતંત્ર્ય બાદ હોવી જોઈતી હતી તે જ નક્કી કરવા માગે છે. દિલ તો કહેવા લાગ્યું કે એ મા-બાપ અને તેમના જેવા બીજાં મા-બાપને જાહેરમાં અભિનંદન આપવાનો કાર્યક્રમ કરું અને તેમના ગળે ‘માતૃભાષામાં શિક્ષણ આપીશું, તમે પણ સાથે જોડાઓ’ એવું લખીને ઇંગ્લિશ માધ્યમની શાળાઓના દરવાજે લઈ જાઉં.

e.mail : 71abuch@gmail.com

Loading

રજની કોઠારી નામે એક તારો ખર્યો !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|24 January 2015

રજની કોઠારી નામે એક તારો ખર્યો !

દિલ્હી 2015. જામીનધન્ય પક્ષપ્રમુખ અને તેજતર્રાર પોલીસ અફસર, બેઉ અડખેપડખે …

વોટ અ ફ્રેમ, માય ડિયર સર !

દેશની રાજધાનીમાં વિધાનસભાનો જંગ જામવો અને રાજ્યશાસ્ત્રી રજની કોઠારીનું જવું  : અનાયાસ બની આવેલો આ જોગાનુજોગ જાન્યુઆરી 2015માં ઊભીને નાગરિક સહચિંતનનો એક અચ્છો અવસર પૂરો પાડે છે.

કિરણ બેદી અને શાઝિયા ઇલ્મી વગેરે ભા.જ.પ.માં પ્રવેશ્યાં એ સાથે, એક અર્થમાં દિલ્હીનું ચૂંટણી યુદ્ધ કેમ જાણે આપની જ ‘એ’ અને ‘બી’ ટીમો વચ્ચે લડાઈ રહ્યું લાગે છે. દસમી ફેબ્રુઆરીએ પરિણામ જે પણ આવવાનું હોય, હાલની પ્રચારઝુંબેશમાં અને સાતમી ફેબ્રુઆરીના મતદાનમાં મોખરાનો મુદ્દો પૂર્વે કદાચ કદાપિ નહીં એ રીતે રાજકારણમાં નાગરિક સંડોવણીનો છે. પરંપરાગત રાજયશાસ્ત્રને રાજ્યકેન્દ્રીમાંથી આજના પ્રજાપરક મુકામ લગી લઈ આવવાની જે સંક્રાતિ, રજની કોઠારી એના અગ્રચિંતક રહ્યા. માત્ર વિચારક જ નહીં પણ એક પ્રકારે કર્મશીલ ઝુકાવ સુદ્ધાં એમનો રહ્યો તે એ અર્થમાં કે પરિબળો અને પ્રવાહને સમજવાના તબક્કે ન અટકતાં એને અંગે રચનાત્મક મોડ અને મરોડનીયે  કોશિશ એમની રહી.

પાલનપુરના ઝવેરી પરિવારનું એ સંતાન. દોમદોમ સાહ્યબીભર્યા વેપારધંધાની કારકિર્દી સહજ હશે, પણ એ વિરમ્યા વિદ્યાવ્યાસંગમાં વડોદરે. રાવજી મોટા ફરતે જે વિચારમંડળી જામી એનો પણ એમના ઘડતરમાં ચોક્કસ ફાળો. દેશે એમને ઓળખ્યા પિસ્તાળીસેક વરસ પહેલાં, ‘પોલિટિક્સ ઇન ઇન્ડિયા’ એ કલાસિક કિતાબથી સ્વરાજના પહેલા બે દાયકા, કોઠારીની નિરીક્ષા અને નુક્તચેની મુજબ, ‘કોંગ્રેસ પ્રથા’એ સાચવી લીધા. સબળ વિરોધપક્ષ ન હોય, દ્વિપક્ષ પ્રથા નાખી નજરે જણાતી ન હોય તો પણ ભિન્ન મતોને સમાવતી કોંગ્રેસ પ્રથામાં લોકશાહી સંતુલનની કાર્યગુંજાશ હતી. કોંગ્રેસ તૂટી ત્યારે ઇંદિરા ગાંધી ગરીબી હટાઓ અપીલ સાથે એક નવા વર્ગને સક્રિય રીતે જોડવામાં સફળ રહ્યાં.

એમનું આ ‘નવું રાજકારણ’ કારણગતપણે આગળ ચાલી શકે તે માટે કોઠારી વગેરેએ ત્યારે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી જુદી પાડવાનું સૂચન કર્યું હતું. જે 1971ની મધ્યસત્ર ચૂંટણી સાથે અમલમાં મૂકાયું અને ઇંદિરાજીને ફળ્યું. તે પછી ત્રણચાર વરસે છાત્રયુવા નાગરિક શક્તિને ધોરણે જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે, બને કે રજનીભાઈ વગેરે એક સંમિશ્ર પ્રકાશમાંથી પસાર થયા હશે. રાજ્ય મારફતે આમ નાગરિક તરફે કામની પરિપાટીને બદલે એમાં રાજ્ય સમક્ષ પડકાર હતો તે બાબતે કઈ હદે આગળ વધવું ન વધવું એવી ભાવદ્વિધા પણ હશે. પણ કટોકટીરાજ સાથે સાફ થઈ ગયું કે રાજયકેન્દ્રી નહીં તો પણ નકરો રાજ્ય આધારિત અભિગમ પ્રજાપરક પુનર્વિચાર માગે છે. કટોકટી વચ્ચે કોઠારી આ મુદ્દે નિર્ભીકપણે સક્રિય રહ્યા અને જનતા પક્ષમાં જોડાયા વગર 1977નો એનો ઢંઢેરો ઘડવામાં એમના અને તારકુંડે જેવા બિનપક્ષીય બૌદ્ધિકોનો સિંહફાળો રહ્યો.લોકશાહી પુન:પ્રતિષ્ઠા તે અલબત્ત એક મોટી વાત હતી અને ટૂંકજીવી જનતા પ્રયોગ તૂટ્યો ત્યારે સમજાઈ રહેલું વાનું એ હતું કે પરંપરાગત રાજનીતિમાંથી નવો વિકલ્પ ઉપજાવવા સારુ ઘણુબધું નવયોજવું રહે છે. જયપ્રકાશે છતે જનતાપક્ષે લોકસમિતિ અને છાત્રયુવા સંઘર્ષ વાહિની જેવાં સંગઠનો વિકસાવવાપણું જોયું – અને જનતંત્ર સમાજ તેમ જ પિ.યુ.સિ.એલ. તો હતાં જ – એનું રહસ્ય આ સમજમાં હતું. એ જ અરસામાં દેશમાં એન.જી.ઓ.નું નવુ પરિબળ ઉભર્યું ત્યારે એક તબક્કે કોઠારીનું આકલન એ હતું કે એમાંથી નવી રાજકીય પ્રક્રિયા શરૂ થઈ વિકલ્પની ભોં ભાગશે. અલબત્ત, તે શકય ન બન્યું પણ જયપ્રકાશના આંદોલનથી ઉપસી રહેલી એક વાત જનતા પ્રયોગ તેમ એન.જી.ઓ. ઘટનાક્રમમાં અંકે થઈને રહી કે સ્થાપિત પક્ષોના હાડમાં પડેલ યથાસ્થિતિ(સ્ટેટસ કો)વાદ સામે નાગરિક સહભાગિતા જેવું પ્રજાસૂય રાજકારણ અનિવાર્ય છે.

અણ્ણા આંદોલન અને નિર્ભયા જાગૃતિની અગનભઠ્ઠીમાંથી યાજ્ઞસેની દ્રૌપદીની જેમ આપ ઘટનાનો ઉદય થયો તેનો સંદર્ભ આ છે. કિરણ બેદીનો (જેમ અણ્ણાની કોર કમિટી માંહેલા જિંદાલનો) ઝુકાવ શરૂથી ભા.જ.પ. તરફ હતો એ વિગત ભલે નોંધીએ, પણ એની ગલીકૂંચીમાં નહીં જતાં અહીં એટલું અવશ્ય કહીએ કે અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદીની તાજેતરનાં વર્ષોની રાષ્ટ્રીય સ્વીકૃતિની પૃષ્ઠભૂ પ્રધાનપણે અણ્ણા આંદોલનની છે. તેથી ભા.જ.પ. જયારે કિરણ બેદીને આગળ કરે છે ત્યારે એનો મનોવૈજ્ઞાનિક બેત સ્વાભાવિક જ અણ્ણા આંદોલનના લાભાર્થીરૂપે ઉભરવાનો અને એટલે અંશે આપની અપીલને ઘટાડવાનો છે. ન.મો. ભા.જ.પ.ની કિરણગતિને કઈ રીતે જોઈ શકાય?

એક બાજુ, એમાં પોતાની ધાટીની રાજનીતિ અધૂરી છે અને પરંપરાબાહ્ય કશુંક જરૂરી છે એવી ભા.જ.પી. સમજ કામ કરી રહી છે. બીજી બાજુ, કિરણ બેદીની ભા.જ.પ.ગતિમાં જે પરિબળ પરિવર્તનનું હોઈ શકતું હતું તે યથાસ્થિતિને શરણે ગયાનું ચિત્ર ઉપસે છે : જામીનધન્ય પક્ષપ્રમુખ અને તેજતર્રાર પોલીસ અધિકારી, આ ફ્રેમ પોતે જ કેટલું બધી કહી દે છે !

રજનીભાઈ એના મોકે ગયા. પણ ખરેખર તો, આપના પૂર્વરંગરૂપ અણ્ણા આંદોલન અગાઉથી એ આજાર ચાલતા જ હતા. અહીં જે સામ્પ્રતને સમજવાની ચર્ચા કરી છે એનો આધાર વસ્તુત : જેમ એમની સ્કૂલના છેલ્લા દાયકાઓના ચિંતનનો છે તેમ આ ગાળામાં દેશના રાજકારણ ને જાહેર જીવનમાં સક્રિય સૌની સાહેદીનોયે છે .. 

… ઓવર ટુ દિલ્હી !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 24 જાન્યુઆરી 2015

Loading

...102030...3,8803,8813,8823,883...3,8903,9003,910...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved