તમે કલ્પી શકો છો કે તમે, છત પરની ગરોળીથી ડરી ડરીને, સંડાસમાં કમોડ પર સીસી કરી રહ્યા હો, અને અચાનક લાઈટ ગૂલ થઈ જાય, અને પૂરા બે કલાક સુધી એ અંધકારમાં, ગરોળીના ડર વચ્ચે, અસહાય પુરાઈ રહો તો તમારી શું વલે થાય ?
શાંતિકાકાનો આ અનુભવ જાણવા જેવો છે.
આ શાંતિકાકા ૭૪ વર્ષના વયોવૃધ્ધ સજ્જન છે. સજ્જન તો ના કહેવાય, કારણ કે જુવાનીના દિવસોમાં, સંજીવકુમારના વહેમમાં કંઈ કેટલા ય ખેલ કરી ચુક્યા છે, પણ પાછલી ઉંમરે, પ્રોસ્ટેટની તકલીફો પછી, હિલોળા લેતા સમુદ્રનાં મોજાંઓ, ઠરીને શાંત થઈ ગયાં છે અને તેમની સમવયસ્ક બહેરી બૈરી શાંતા સાથે શેષ જીવન વ્યતિત કરી રહ્યા છે.
હાં … તો, આ શાંતિકાકાને કેન્સરનું ડાયગ્નોસિસ થયું છે. રેડીએશન અને સર્જરીમાંથી પસાર થઈ ચુક્યા છે. બાવન વર્ષના લગ્નજીવન પછી, તેમની નિઃસંતાન પત્ની માટે ભવિષ્યની આર્થિક વ્યવસ્થા કરવા માટે, અમેરિકાથી અમદાવાદ આવ્યા છે. એક જમાનામાં જ્યાં ખુલ્લા ખેતરો હતા અને આંબાનાં વૃક્ષોથી વનરાજી મહેંકતી હતી, એવા સ્થળે તેમણે એક નાનકડું ૬૪ વારનું ઘર બાંધ્યું હતું, અને ભવિષ્યમાં, પોતે રિટાયર થયા પછી, આ ઘરની પછવાડે ખુલ્લા ખેતરમાં, આંબાના ઝાડ નીચે ખાટલો ઢાળીને, પુસ્તકો વાંચતાં વાંચતાં, શેષ જીવન વ્યતિત કરવાના સ્વપ્નો સેવ્યા હતા.
એ ઘરનું રિનોવેશન કરાવીને, પંદરેક દિવસથી રહેવા માંડ્યું હતું. હવે સ્વપ્નો સેવેલાં એ ખેતરો અને આંબાનાં ઝાડ તો રહ્યાં નથી. એની જગ્યાએ ઊંચા બહુમાળી મકાનો ઊભા થઈ ગયા છે. આમ તો શાંતાબહેન અને શાંતિકાકા શેષજીવન શાંતિપૂર્વક હ્યુસ્ટનમાં વિતાવી શકે તેમ છે, પરંતુ હવે, કેન્સરના નિદાન પછી, નિઃસંતાન શાંતિકાકાને પોતાની પત્ની શાંતાના ભવિષ્યની ચિંતા થાય છે, કે અરેરે ! એ બિચારી અંગ્રેજી જાણતી નથી, કાને સાંભળતી નથી, ગાડી ડ્રાઇવ કરતી નથી. અરે ! ચેકમાં સહી કરીને પૈસા ઉપાડતા પણ એને આવડતું નથી, ત્યાં એ એકલી આ દેશમાં કેવી રીતે રહેશે ? એટલે અત્યારથી જ ઇન્ડિયાની નેશનાલાઇઝ્ડ બેન્કોમાં, દર ત્રણ મહિને એના સેવિંગ્ઝ ખાતામાં વ્યાજ જમા થઈ જાય અને અમેરિકાની સોશ્યલ સિક્યોરિટીના પૈસા પણ જમા થતા રહે એવી વ્યવસ્થા કરવા, એ અમદાવાદ આવ્યા હતા.
આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત પર આવીએ.
મેનોપોઝની પીડા અને પ્રોસ્ટેટની તકલીફો પછી, ઘણાં સમયથી પતિ-પત્ની સીંગલ બેડમાં, વચ્ચે ટીપોય પર દવાઓની શીશીઓ ગોઠવીને અલગ અલગ જ સૂતાં હતાં જેથી ઓઢવાનાની ખેંચાખેંચ એવોઇડ કરીને શાંતિથી ઊંઘી શકાય.
એ રાત્રે … લગભગ ત્રણ વાગ્યે, પહેલા શાંતાબહેન બાથરૂમ જવા ઊઠ્યાં. બાથરૂમમાંથી પાછા ફરતાં, રસોડામાં પાણી પીવા ગયાં. પછી તરત જ શાંતિકાકા ઊઠ્યા અને સંડાસમાં ઘુસ્યા અને કમોડ પર પીપી કરવું શરૂ કર્યું. રસોડામાં ગયેલા શાંતાબહેને સંડાસની લાઈટ ચાલુ જોઈ, એટલે એમને થયું કે પોતે લાઈટ બંધ કરવાનું ભૂલી ગયાં હશે, તેથી એમણે સંડાસની લાઈટ બહારથી ઓફ કરી નાંખી, અને સંડાસના દરવાજાને સાંકળ વાસી દીધી, અને જઈને પોતાના પલંગ પર, ગોદડુ ઓઢીને સૂઈ ગયાં.
લાઈટ ઓફ થતાં જ, શાંતિકાકા બૂમ પાડી ઊઠ્યા કે ‘અલી શોંતા, … હું બાથરૂમમાં છું. લાઈટ કર અને સાંકળ ખોલ.’…. પણ બહેરી શાંતા ક્યાંથી સાંભળે ?
શાંતિકાકાએ પીપી કરતાં પહેલાં જોયેલું કે એક જાડી મદમસ્ત લીલીછમ ગરોળી કમોડની બરાબર ઉપર, છત પર, વળગેલી હતી. શાંતિકાકાને નાનપણથી ગરોળીની બહુ બીક લાગે એટલે આ મદમસ્ત ગરોળીને જોતાં જોતાં જ એમણે હોસપાઈપ પકડી રાખેલો પણ પ્રોસ્ટેટને કારણે અતિ મંદ ગતિથી …. યુ નો વોટ આઈ મીન !
૭૪ વર્ષના પ્રોસ્ટેટ અને કેન્સર પેશન્ટ એવા શાંતિકાકા જોર જોરથી ‘શોંતા … શોંતાડી, દરવાજો ખોલ’ની બૂમો પાડતા જાય અને જોરજોરથી દરવાજાને ધધડાવતા જાય, પણ બહેરી બૈરી ક્યાંથી સાંભળે ? પાછળની સોસાઇટી ‘કામજ્યોતએપાર્ટમેન્ટ’ના રહીશો, ચોકીદાર બધા જાગી ગયા. શાંતિલાલની સોસાઈટીના પાડોશીઓ પણ રાત્રે ત્રણ વાગ્યે જાગી ગયા.
‘અરે … અમને તો રાત્રે ત્રણ વાગ્યે ઊંઘવા દો’ … સંડાસના કમોડની ઉપરના વેન્ટીલેટરના કાચમાંથી શાંતિકાકા જવાબ આપે …
પૂરા એકાદ કલાક સુધી આ તાયફો ચાલ્યો … એક બાજુ પેલી ગરોળીની બીક .. સાલી ગરોળી ફર્શ પર પડી હશે તો? ટૂંકી ચડ્ડી પહેરેલા શાંતિકાકા પેલી ગરોળી એમની લાજ લૂંટવાની હોય એમ બે ય હાથે ચડ્ડીને પકડી રાખે અને બૂમો તો પાડતા જ જાય … ક્યાંક ગરોળીને એની સહિયર ના મળી જાય !
શાંતિલાલની સોસાઈટીના પડોશીઓ આગળના દરવાજેથી ‘શાંતામાસી .. શાંતામાસી’ના પોકારો પાડે. પાછળની સોસાઈટીના રહીશો શાંતિલાલને ભાંડે … એમ ચાલ્યા કર્યું અને શાંતામાસી સુખપૂર્વક ઘસઘસાટ ઊંઘતાં રહ્યાં ….
હારી, થાકીને શાંતિલાલે છેવટે પોતાના હથિયારો હેઠા મૂકી દીધા, અને છેલ્લે છેલ્લે કમોડના વેન્ટીલેટર પાસે જઈને પાછળની સોસાઈટીના રહીશોને કહ્યું :
‘મારા અજાણ્યા દોસ્તો … તમે તો કોઈએ મને જોયો નથી કે ઓળખતા નથી. હવે મને લાગે છે કે મારું મોત જ મને છેક અમેરિકાથી અમદાવાદના આ અંધારિયા, ગંધાતા સંડાસમાં મરવા માટે ખેંચી લાવ્યું છે. જેના ભવિષ્યની સલામતીને ખાતર હું અહીં આવ્યો, એ મારી બાવન વર્ષના લગ્નજીવનની સંગિની પણ આ છેલ્લી ઘડીએ મારો અવાજ સાંભળી શકતી નથી. હું એને અલવિદા પણ કહી શકતો નથી. પેલી ગરોળી ગમે તે ઘડીએ મારા આ પાર્થિવ શરીરને સ્પર્શી લેશે અને મારું શરીર લીલુછમ થવા માંડશે. હું મોતને મારી સમક્ષ જોતો રહીશ અને આટઆટલા પૈસા હોવા છતાં, મેડિકલ સહાય વગર હું મોતને ભેટીશ. હું બાથરૂમના દરવાજા પાસે જ સૂઈ જાઉં છું. અને મોતની પ્રતિક્ષા કરું છું.
હવે કોઈ બારણાં ખખડાવીને કોઈની ઊંઘ ના બગાડશો. ફરી જ્યારે મારી પત્નીને બાથરૂમ જવાની ચળ ઉપડશે અને એ બાથરૂમ ખોલશે, ત્યારે એને મારો મૃતદેહ જોવા મળશે. શાંતાનો કોઈ દોષ નથી. એ બિચારી બહેરી છે. એણે જાણી જોઈને થોડો મને પૂરી દીધો છે ? આ તો મારી નિયતિ હતી. દોસ્તો … મારું મરણ એક વાત કહી જાય છે .. આખી જિન્દગી તમે પૈસા બચાવો, ગણ ગણ કરો, એની વ્યવસ્થા કર્યા કરો પણ નિયતિએ એ પૈસાની વ્યવસ્થા એની રીતે જ કરી રાખી છે. તમે તો એ પૈસાના વ્યવસ્થાપક જ હતા … એમ.ડી. એન્ડર્સન કેન્સર હોસ્પિટલ તમારું દુઃખ થોડું હળવું કરી શકે છે, પણ પાંચમની છઠ્ઠ નથી કરી શકતી.’
શાંતિલાલ શાંતિપૂર્વક સંડાસના દરવાજે બેસી પડ્યા. હવે એને પેલી ગરોળીની બીક નહોતી લાગતી. મૃત્યુને ભેટવાની તૈયારી કરી લીધા પછી કોઈ ડર નથી રહેતો.
સવારે પાંચ વાગ્યે, શાંતામાસી ઊઠ્યાં, સંડાસનું બારણું ખોલ્યું અને ઝોકું ખાઈ ગયેલા શાંતિકાકાને જોઈને હેબતાઈ જ ગયાં.
હવે ચીસ પાડવાનો વારો એમનો હતો.
આમ તો આટલેથી આ વાર્તા પૂરી કરી શકાય. વિવેચકો કહે કે ચોટદાર અંત સાથે વાર્તા પૂરી થઈ. પણ ના …
મારી વાર્તાનો અંત આ નથી. શાંતિકાકા ઊંઘમાંથી જાગ્યા હોય એમ ઊભા થયા. બહેરી પત્નીને વળગીને ખૂબ રડ્યા. ઘરની બહાર નીકળીને ખુલ્લા આસમાન સામે જોઈને ઊંડા ઊંડા શ્વાસ લીધા. ફરી સંડાસમાં જઈને પેલી છત પર વળગીને ચૉટેલી ગરોળીને જોઈ. ગરોળી આટઆટલી ધમાલ, બૂમાબૂમ વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ શી એમ જ છતને વળગેલી હતી. એ શાંતિકાકાનું મોત બનવા નહોતી આવી.
શાંતિકાકાએ એ ગરોળીને બે હાથ જોડીને પ્રણામ કર્યા.
લખ્યા તારીખ – ૨૮ માર્ચ ૨૦૧૫
e.mail : navinbanker@yahoo.com
![]()



Might Atal Behari Vajpyaee be the best Congressman we never had? Given the company he has kept all his political life, he remains amazingly untainted by the vices of the family from which he has emerged – the Sangh Parivar. It was Govindacharya who chanced on this revelation when he called him a 'mukhauta'. Although it was Vajpayee who had coined the notorious equivalence between 'Hindutva' and 'Bharatiyata', it is hard to find in his words or action any extremism of the RSS kind. He seems to have instinctively learned that the exclusivism of his peers ill-suited an aspirant for the office of Prime Minister. He, therefore, kept away from Advani's Rath Yatra and the movement to demolish the Babri Masjid.