Opinion Magazine
Number of visits: 9555553
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે તો લોકશાહી એ જ કલ્યાણ!

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|6 October 2014

હોંગ કોંગમાં ચાલી રહેલા આંદોલને ચીનની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી કરી નાખી છે. આપણે સૌ જાણીએ છીએ કે ચીનને જેટલો ડર કટ્ટર દુશ્મન જાપાન કે અમેરિકા-રશિયા જેવી મહાસત્તાથી નથી એટલો ડર 'લોકશાહી' નામના એક શબ્દથી છે!

હોંગ કોંગમાં ૨૪ સપ્ટેમ્બરથી મુક્ત ચૂંટણી અને પૂર્ણ લોકશાહીની માગણી સાથે વિરોધ પ્રદર્શન-આંદોલન શરૂ થયું છે. ૧૯૯૭માં બ્રિટને જ્યારે હોંગ કોંગનો કબજો ચીનને સોંપ્યો ત્યારે વિસ્તારવાદી ચીન બહુ ખુશ થયું હતું, પરંતુ તાજા આંદોલનને જોતાં ચીન છાના ખૂણે પસ્તાતું પણ હશે, કારણ કે હોંગ કોંગના લોકશાહી માટેના આંદોલને ચીનના સામાન્ય લોકોમાં પણ લોકશાહી માટેની ઝંખનાને ફરી જગાવી દીધી છે.

હોંગ કોંગનું આંદોલન તાઇનામેન સ્ક્વેર હત્યાંકાંડની (૧૯૮૯) રજત જયંતી વર્ષમાં શરૂ થયું છે, એ ભલે યોગાનુયોગ હશે, છતાં હોંગ કોંગના આંદોલને ચીનના લોકોને તાઇનામેન ચોકના લોકશાહી માટેના આંદોલન અને ચીની સરકારે ગુજારેલા અમાનુષી અત્યાચારની કડવી યાદ તારી કરાવી દીધી છે. હોંગ કોંગના આંદોલનને 'તાઇનામેન-ટુ' નામ પણ અપાયું છે. ચીન સહિત આખી દુનિયાના લોકો એવી ચિંતા પણ સતાવે છે કે ચીની સરકારે તાઇનામેનમાં જે લશ્કરી પગલાં લીધેલાં એવું અહીં તો નહીં કરેને? જો કે, ગયા રવિવારે હોંગ કોંગના આંદોલનકારીઓનાં ટોળાં વિખેરવા માટે અશ્રુવાયુના ગોળા છોડાયા હતા અને વધુમાં મરી-મસાલાના ફુવારા છાંટવામાં આવેલા, પરંતુ એ પછી આ લખાય છે ત્યાં સુધી ચીની સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા અન્ય કોઈ દમન આચરાયું નહોતું, એ રાહતના સમાચાર છે.

આર્થિક અને લશ્કરી મહાસત્તા તરીકે મહાલતા ચીને એક દેશ તરીકે અનેક વિરાટ સિદ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ લોકશાહી અને મુક્ત માહોલ વિના ત્યાંનો નાગરિક ગૂંગળામણ અનુભવે છે. અભિવ્યક્તિની આઝાદીથી વંચિત ચીનના લોકોમાં હોંગ કોંગના આંદોલનકારીઓએ નવી આશાનો સંચાર કર્યો છે અને એટલે જ ચીનની સરકાર સફાળી જાગી છે અને ધૂંધવાઈ ઊઠી છે. હોંગ કોંગ આંદોલનના પડઘા ચીનમાં ન પડે એ માટે ઇન્ટાગ્રામ સહિતની સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ બ્લોક કરી દેવામાં આવી છે અને હોંગ કોંગ આંદોલનને સમર્થન આપનારા ચીનના લોકશાહી કર્મશીલોની ધરપકડ કરી લેવામાં આવી છે. હોંગ કોંગ જતી ટૂર રાતોરાત કેન્સલ કરાવી દેવામાં આવી છે.

ચીનની સરકારનો જીવ અધ્ધર કરનાર હોંગ કોંગના ઓક્યુપાય સેન્ટ્રલ આંદોલન પાછળનો ઉદ્દેશ અને આંદોલનકારીઓની માગણીને ટૂંકમાં જાણીએ. આપણને ખ્યાલ છે કે હોંગ કોંગ ૧૫૫ વર્ષ સુધી બ્રિટનના કબજા હેઠળ હતું. ચીન અને બ્રિટન વચ્ચેની સમજૂતી થયા પછી ૧ જુલાઈ, ૧૯૯૭ના રોજ બ્રિટને હોંગ કોંગનો કબજો ચીનને સોંપી દીધો હતો. બ્રિટને હોંગ કોંગનો કબજો સોંપ્યો ત્યારે ચીને 'એક દેશ, બે વ્યવસ્થા'નો સિદ્ધાંત સ્વીકાર્યો હતો અને હોંગ કોંગને ભવિષ્યમાં લોકશાહી વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી આપેલી. 'એક દેશ, બે વ્યવસ્થા'ના સિદ્ધાંત મુજબ હોંગ કોંગમાં આજે પણ ચીનથી અલગ ન્યાય તંત્ર અને કાયદાઓ અસ્તિત્વમાં છે. લોકોને અભિવ્યક્તિની આઝાદી તેમ જ વિરોધ પ્રદર્શનની આઝાદી પ્રાપ્ત છે. ચીને હોંગ કોંગને ૨૦૧૭માં મુક્ત ચૂંટણી કરવાની ખાતરી આપી હતી. જો કે, ચીને હવે ચૂંટણીમાં એવી જોગવાઈ કરી છે કે તેમણે નીમેલી સમિતિ જે ઉમેદવારને મંજૂરી આપે તે જ ચૂંટણી લડી શકશે. મતલબ કે ચીનના માનીતાઓ જ ચૂંટણી લડી શકશે. હોંગ કોંગના લોકો આને નકલી લોકશાહી કે લોકશાહીના નામે છેતરપિંડી માની રહ્યા છે. આંદોલનકારીઓ ૨૦૧૭ની ચૂંટણીની આ યોજનાને પડતી મૂકીને મુક્ત ચૂંટણીની માગ કરી રહ્યા છે. સાથે સાથે તેઓ ચીને નીમેલા હાલના ચીફ એક્ઝિક્યુટિવ લ્યુંગ ચુન-યિંગના રાજીનામાની પણ માગ કરી રહ્યા છે.

વૈશ્વિક માહોલ જોતાં ચીન કોઈ હિંસક કાર્યવાહી કરી શકશે નહીં પણ ત્યાંના ચીફ એક્ઝિક્યુટિવ અત્યારે આંદોલનકારીઓને કોઠું આપી રહ્યા નથી. તેમની ગણતરી છે કે આંદોલકારી યુવાનો બૂમબરાડા કરીને દસ-પંદર દિવસમાં થાકી જશે અને તેઓ નહીં થાકે તો લોકો ચક્કાજામ-ઘેરાવાથી કંટાળીને તેમનો વિરોધ કરવા લાગશે એટલે આંદોલનની હવા નીકળી જશે. હવે જોવાનું એ રહેશે કે હોંગ કોંગના યુવાનો ચીનની જોહુકમી સામે ઝૂકી જશે કે ચીનને લોકશાહીના પાઠ ભણાવી શકશે?

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કટાર, “સંદેશ”, 05 અૉક્ટોબર 2014

Loading

ટાઈપ ગયા, લીસોટા રહી ગયા

દીપક મહેતા|Opinion - Opinion|6 October 2014

ઓગણીસમી સદીમાં મુંબઈ ઈલાકામાં ગુજરાતી મુદ્રણનો આરંભ થયો ત્યારે છાપખાનાનું બધું કામ હાથ વડે કરવું પડતું. હાથ વડે ચાલતા યંત્ર પર એક કલાકમાં ૨૪૦ થી ૪૮૦ નકલ છાપી શકાતી, કાગળની એક બાજુએ. આ નકલો પરની શાહી સૂકાઈ જાય પછી જ કાગળની બીજી બાજુ પર છાપકામ થઈ શકતું. યુરોપ અને બ્રિટનમાં પણ ૧૮૧૨ સુધી હાથ વડે ચાલતા મશીન પર જ છાપકામ થતું. ૧૮૧૨ના અરસામાં તેને બદલે સ્ટીમ પ્રેસ પ્રચલિત બનવા લાગ્યાં. જેમાં મશીન શરૂઆતમાં કલાકની ૮૦૦ નકલ છાપી શકતાં પણ ૧૮૧૮ સુધીમાં તે ઝડપ વધીને ૨૪૦૦ પાનાં જેટલી થઈ. આ જ અરસામાં અગાઉ વપરાતાં ફલેટબેડ મશીનને બદલે રોટરી સિલિન્ડરવાળાં મશીન કામ કરતાં થયાં. તેના પર કાગળની બંને બાજુ એક સાથે છાપી શકાતું. જો કે આવાં મશીન અખબારો છાપવા માટે જ વપરાતાં. પુસ્તકો છાપવા માટે તો ફલેટબેડ કે પછીથી આવેલાં પગથી ચલાવાતાં ટ્રેડલ મશીન જ વપરાતાં. જો કે મુંબઈ ઈલાકામાં સ્ટીમ પ્રેસ, રોટરી સિલિન્ડર પ્રેસ, ટ્રેડલ મશીન કયારથી વપરાતાં  થયાં તેની માહિતી મળતી નથી. પણ ૧૯મી સદીની છેલ્લી પચીસીમાં આ પ્રકારનાં કેટલાંક છાપખાનાં મુંબઈ શહેરમાં તો હતાં જ. ૧૯૧૧થી મુંબઇ શહેરમાં વીજળીનો ઔદ્યોગિક વપરાશ શરૂ થયો. પણ શરૂઆતમાં તો સુતરાઉ કાપડની મિલ જેવા મોટા ઉદ્યોગો જ વીજળી વાપરતા થયા. મુદ્રણ જેવા લઘુ ઉદ્યોગોમાં તો વીજળીનો વપરાશ ઘણો મોડો શરૂ થયો.

છાપવા માટેનાં મશીન બદલાયાં, તેમની ઝડપ વધી, પણ ૧૭૯૭થી માંડીને ૨૦મી સદીનાં છેલ્લાં વર્ષો સુધી ગુજરાતી પુસ્તકોનું મોટા ભાગનું છાપકામ હેન્ડ કમ્પોઝ વડે થતું. તેમાં એક એક અક્ષરનું બીબું હાથ વડે ગોઠવવું પડતું જે કામ કમ્પોઝિટરો કરતા. હેન્ડ કમ્પોઝમાં વપરાતાં બીંબા વધુ સુઘડ અને સુડોળ થયાં, તેનું ટાઇપ ફાઉન્ડ્રીઓમાં મોટે પાયે ઉત્પાદન થવા લાગ્યું, છતાં એક અક્ષર માટે એક બીબું એ મૂળભૂત વાત તો જેમની તેમ રહી.

આમાં આમૂલ પરિવર્તન આવ્યું છેલ્લાં કેટલાંક વર્ષોમાં કમ્પ્યુટરના ઉપયોગને કારણે. જો કે દેશની બીજી કેટલીક ભાષાઓની સરખામણીમાં આપણે આ સગવડ જરા મોડેથી અપનાવી. હવે ધાતુનાં બીબાં જ રહ્યાં નથી એટલે તેની સાથેનો સરંજામ પણ રહ્યો નથી. હવે નથી તો મૂળ લખાણના કાગળ પર શાહીના ડાઘ પડતા. અક્ષરોના વળાંક તો જેવા હતા તેવા જ રહ્યા છે, થોડાક નજીવા ફેરફારને બાદ કરતાં – પણ હવે લખાણ કમ્પોઝ કરવાને બદલે ડેટા એન્ટ્રી વડે કમ્પ્યુટર પર તૈયાર થાય છે. ભાંગેલા, ઘસાયેલા, ખોટા માપના ટાઇપ બદલવા પડે એવું હવે રહ્યું જ નથી. એકંદરે છાપકામની સમગ્ર પ્રક્રિયા વધુ સહેલી, ઝડપી, સ્વચ્છ-સુઘડ અને ઓછી ખર્ચાળ બની છે. અખબારો અને સામયિકો માટે જ નહીં, પુસ્તકો છાપવા માટે પણ આ નવી પદ્ધતિ ઝડપથી પ્રચલિત બની છે.

આજે મુંબઈ જેવાં શહેરમાં ગુજરાતી લેટર પ્રેસ ભાગ્યે જ જોવા મળે. વળી કમ્પોઝ કામ અને મુદ્રણ એક જ સ્થળે થાય એ પણ હવે જરૂરી રહ્યું નથી. ડેટા એન્ટ્રી એક શહેરમાં થાય, તૈયાર થયેલાં પાનાં ઇમેલથી મોકલાવાય અને છાપકામ સેંકડોં માઇલ દૂરના શહેરમાં થાય એ હવે સ્વાભાવિક વાત બનવા લાગી છે.

જો કોઈ મોટો અવરોધ હોય તો તે એ છે કે મોટાભાગના ગુજરાતી ફોન્ટ (ટાઇપ) યુનિકોડ – આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ધોરણ – પ્રમાણેના નથી. તેથી એક ફોન્ટ વાપરીને તૈયાર કરેલું લખાણ બીજા ફોન્ટમાં બદલવાનું કે છાપવાનું મુશ્કેલ છે. આથી ઘણીવાર એક કરતાં વધારે વાર ડેટા એન્ટ્રી કરવી પડે છે. તેથી સમય, શ્રમ અને પૈસાનો બગાડ થાય છે. વખત જતાં આવી મુશ્કેલીઓ દૂર થશે એવી આશા રાખી શકાય. નોન-યુનિકોડ ફોન્ટનું યુનિકોડ ફોન્ટમાં રૂપાંતર કરવા માટેની સગવડ એ આ દિશાનું પહેલું પગલું છે, પણ ખરી જરૂર નોન-યુનિકોડ ફોન્ટનો ઉપયોગ કરવાનું ટાળવાની છે. આજે હવે હેન્ડ કમ્પોઝ માટે ધાતુના ટાઈપ વાપરીને લેટર પ્રેસથી છાપકામ કરવાનું લગભગ બંધ થઈ ગયું છે. પણ કમ્પ્યુટરના સ્ક્રીન પર તેના લીસોટા તો રહી ગયા છે. 

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફલેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 06 અૉક્ટોબર 2014

Loading

સુચરિતાનું વીણાવાદન

દીપક મહેતા|Opinion - Literature|6 October 2014

(૧૯૧૪ના ઓક્ટોબરની પંદરમી તારીખે જન્મેલા મનુભાઈ પંચોળી ‘દર્શક એટલે આપણા એક મોટા ગજાના સર્જક, મૌલિક ચિંતક, સંનિષ્ઠ શિક્ષક, અને જાહેર જીવનના સદા જાગૃત રખેવાળ. દર્શકની દીપનિર્વાણ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની નવલકથા પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાંના ભારતને પાર્શ્વભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ અહીં આલેખ્યો છે. આ નવલકથાના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાની વાત તેની જ એકોક્તિ રૂપે સાંભળીએ, દર્શકની જન્મ શતાબ્દી નિમિત્તે)

મારું નામ સુચરિતા. હું દ્વિજન્મા છું. આ સાંભળી ચોંકી ગયા ને? સ્ત્રીને તો યજ્ઞોપવિતનો અધિકાર હોય નહિ, પછી તે દ્વિજન્મા કઈ રીતે હોઈ શકે, એમ પૂછશો નહિ. મારો પહેલો જન્મ થયો આજથી અઢી હજાર વર્ષ પહેલાં. મહામના મહાકાશ્યપ મારા પિતા. મારો બીજો જન્મ થયો, આજથી સિત્તેર વર્ષ પહેલાં, તમારી ગણતરીની રીતે ગણતાં ઇ.સ. ૧૯૪૪માં. ત્યારે હું બની મનુદાદાની માનસપુત્રી. કોણ મનુદાદા? તમે સૌ તેમને મનુભાઈ પંચોળીના નામથી, કે પછી ‘દર્શક’ના ઉપનામથી ઓળખો છો. પણ મારે માટે તો એ ‘મનુદાદા.’ અઢી હજાર વર્ષ પહેલાં જીવીને મેં જે જે જીરવ્યું તેની વાત તેમણે ‘દીપનિર્વાણ’ નામની નવલકથામાં લખી છે. મનુદાદાએ ૧૯૪૨ની હિન્દ છોડોની લડતમાં ભાગ લીધેલો અને અગિયાર મહિના જેલમાં રહેલા. જેલમાં બેઠાં બેઠાં એમણે આ નવલકથા લખેલી. તમે કહેશો : ઓહો, એમની પેલી જાણીતી ઐતિહાસિક નવલકથાની વાત કરો છો? પણ ના. મારી વાત કહેતી ‘દીપનિર્વાણ’ બીજી કેટલીક નવલકથાઓ જેવી ચીલાચાલુ ઐતિહાસિક નવલકથા નથી હોં. ઇતિહાસની ચોપડીઓમાં જોઈ જોઈને તેમાંથી ઉતારા નથી કર્યા મનુદાદાએ. તેમણે તો પોતાની કલ્પનાથી ભૂતકાળની એક આખી સૃષ્ટિ ઊભી કરી છે. આ નવલકથા લખવા પાછળ તેમનાં ત્રણ પ્રયોજન હતાં. પહેલું, પ્રાચીન ભારતના ગણતંત્રના સ્વપ્નને અંજલિ આપવી. બીજું, એ વખતે પરાધીન હતું તેવા ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપવી. અને ત્રીજું, આંતરિક સત્તાલાલસા સામે લાલ બત્તી ધરવી. મારી, આનંદની, કે સુદત્તના જીવનની વાત કરવી એ તો એમનો ગૌણ હેતુ હતો. છતાં એમણે અમારાં જીવનની વાતો લખી છે. એવી રીતે કે અઢી હજાર વર્ષ પહેલાંનો જમાનો તમારી આંખ આગળ ઊભો થઈ જાય. પણ આજે તો હું પોતે જ તમારી આંખ સામે આવીને ઊભી છું અને તમને મારી વાત કહેવાની છું. અને હા, અત્યારે હું નથી મહાકાશ્યપની પુત્રી, કે નથી મનુદાદાની માનસ પુત્રી. અત્યારે તો હું છું કેવળ એક સ્ત્રી. તો સાંભળો મારી વાત.

ઉતાવળમાં થઈ ગયેલું એકાદ કામ પણ માણસના આખા જીવનમાં કેટકેટલો પલટો લાવી દી છે! હું સુદત્તની શિલ્પકલા પર મુગ્ધ હતી. તેની પદ્મપાણિની મૂર્તિ સર્વોત્તમ બને એ જોવાની મને હોંશ હતી. એ હોંશમાં અને મુગ્ધતાના ઘેનમાં હું એને વચન આપી બેઠી એટલું જ નહિ, પણ મારી અંગૂઠી પણ મેં તેને આપી. કલાનું સન્માન કરવાને બદલે મેં કલાકારનું સન્માન કરવાનો પ્રયત્ન કર્યો. મેં સુદત્તને વચન આપ્યું ત્યારે એ મારી પાસે શું માગશે એની મને ખબર નહોતી એમ તો કેમ કહેવાય? કદાચ મારા મનમાં પણ ઊંડે ઊંડે એ એ જ માગે તો સારું એમ હશે. કારણ હું તેની કલાથી અંજાઈ ગઈ હતી. કલા અને કલાકાર, બંનેને અહોભાવથી હું જોતી હતી. પણ એ અહોભાવને જ પ્રેમ માની લેવાની ભૂલ મેં કરી.

પ્રેમ એટલે શું એ તો મને આનંદનો મેળાપ થયો તે પછી જ સમજાયું. હું આશ્રમમાં વીણા વગાડતી બેઠી હતી ત્યાં આનંદ આવ્યો, અને મને ‘ભગવતી’ કહી બોલાવી એ ક્ષણથી મારા જીવનના વહેણે દિશા બદલી. જે સ્થાન સુદત્તનું છે એમ મારા મનને મનાવવાનો હું પ્રયત્ન કરતી હતી તે સ્થાન આનંદે આપોઆપ, સહજ રીતે લઈ લીધું. પણ એક વાત કહું? સુદત્ત કે આનંદ જ નહિ, હર કોઈ પુરુષ કોઈ સ્ત્રીને જુએ છે ત્યારે પહેલાં તો એના બાહ્ય રૂપને જ જુએ છે. સુદત્ત મારા રૂપ પર જ મોહ્યો હતો. તો આનંદની આંખમાં પણ સૌથી પહેલાં તો મારું રૂપ જ વસ્યું હતું. પણ કેટલાક પુરુષો રૂપ ઉપરાંત સ્ત્રીની અંદર રહેલું બીજું કશુંક પણ જોઈ શકે છે, અને આનંદ તેમાંનો એક હતો. એટલે તો મને જોયા પછી તેણે આંખો બંધ કરી દીધી, કારણ મારું રૂપ મારું સંગીત સાંભળવાની આડે આવતું હતું તેમ તેને લાગ્યું. પુરુષદેહના સૌન્દર્યની બાબતમાં તો આનંદ સુદત્તની કોઈ રીતે બરોબરી કરી શકે તેવો નહોતો. વળી આનંદ સુદત્ત જેટલો ધનવાન પણ નહોતો. પણ આનંદ ધનવાન ભલે ન હોય, સમૃદ્ધ હતો, ખૂબ સમૃદ્ધ હતો. એટલે જ તે મારું વીણાવાદન સાંભળવામાં મારું રૂપ અંતરાય ન બને એટલા ખાતર આંખો મીંચી ગયો. અને તેની આ સંસ્કારસમૃદ્ધિ પર જ હું વારી ગઈ. પરીક્ષા વખતે હું પિતાજી મહાકાશ્યપની અને સુદત્તની હાજરીમાં આનંદને પ્રશ્નો પૂછતી હતી. ત્યાં મેં તેને અચાનક પૂછેલું : “સૂર્યનાં કિરણ કેવાં મનોહર છે?” અને આનંદે કશા સંકોચ વગર જવાબ આપ્યો : “તમારી વેણીના વાળ જેવાં.” એ સાંભળીને મારા તો કાન લાલ થઈ ગયેલા, પણ સુદત્તની આંખો લાલ થઈ ગઈ હતી.

અને કેમ ન થાય? એણે માની લીધેલું કે હું તેની જ છું. એ વચનમાં માગશે, અને હું તેની બની જઈશ. પોતાની માનેલી સુચીને આનંદ ઉપાડી જાય એ સુદત્ત કેમ સહન કરી શકે? જો કે મને લાગે છે કે સુદત્ત શિલ્પકલામાં જેટલો મહાન હતો તેટલો જો જીવનકલામાં મહાન હોત તો હું અને આનંદ એકબીજા પ્રત્યે ઢળ્યાં છીએ એ જાણ્યા પછી ઉદારતાપૂર્વક અમારી વચ્ચેથી ખસી ગયો હોત. એક વાર આનંદે સુદત્તને કહેલું પણ ખરું : ‘જો વસ્તુ મારી છે કે કેમ તેની મને શંકા રહે તો હું તો એ વસ્તુ સામે પણ ન જોઉં.’ પણ સુદત્ત તો ઉલટાનો હઠે ચડ્યો. આનંદને રથ સ્પર્ધામાં હરાવવા માટે તેણે દગો કર્યો. તેમાં ન ફાવતાં આનંદના જન્મ અંગેની ગુપ્ત ઘટના છતી કરીને તેને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં ય ન ફાવ્યો ત્યારે મગધરાજ સાથે મળી જઈને મારા પરનું વેર આખા નંદીગ્રામ પર વાળ્યું.

જ્યારે બીજી બાજુ આનંદ? મને હૃદયથી ચાહતો હતો છતાં સુદત્તનો હક્ક પહેલો છે એ વાત સતત સ્વીકારતો હતો. આથી જ આનંદે કહેલું : ‘સુદત્તની જોડે કદિ કૂડ નહિ કરું.’ તેણે સુદત્તને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા. એક વર્ષ નંદીગ્રામની બહાર રહેવા પણ તૈયાર થયો. તેના મનમાં મને ક્યારે ય સુદત્ત માટે દ્વેષની લાગણી જોવા મળી નથી. કારણ પિતાજીએ એક વાર કહેલા શબ્દો આનંદના મનમાં જડાઈ ગયા હતા : “લોકોત્તર પ્રેમ કદી ખેંચતાણ કરતો નથી. જે પોતીકું છે તે યુગયુગાંતરોના વિયોગ પછી પણ પોતીકું મટતું નથી. ને જે પારકું છે તેને ગમે તેટલું નિકટ ખેંચો તો ય પોતીકું થવાનું નથી.” હું જેમ જેમ આનંદને ઓળખતી ગઈ તેમ તેમ મને સમજાતું ગયું કે સુદત્ત પથ્થરની મૂર્તિનો વિધાયક ભલે બની શકે, મારા જેવી જીવતી જાગતી સ્ત્રીના જીવનનો વિધાયક તે બની શકે તેમ નથી. એ વિધાયક તો આનંદ જ બની શકે, અને તેથી જ મેં મનોમન નક્કી કર્યું : “સુદત્તને જણાવી દઈશ કે એની કલાને હું અભિનંદુ છું, પણ એને ચાહી શકતી નથી, ચાહી શકવાની પણ નથી, કારણ કે સુચરિતા આનંદની થઈ ગઈ છે.” પણ એ વખતે સુદત્ત એ વાત સ્વીકારી ન શક્યો.

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 06 અૉક્ટોબર 2014

Loading

...102030...3,8683,8693,8703,871...3,8803,8903,900...

Search by

Opinion

  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
  • સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved