Opinion Magazine
Number of visits: 9695078
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૉટ્સ-અપની ચરી …

મહેન્દ્ર શાહ|Opinion - Cartoon|26 February 2015

રિયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી ઃ

આ કાર્ટૂન મારી ૫૦ વર્ષ જૂની મેમરી લેનમાં લઈ જાય છે ! …

નાનપણથી જ ડ્રૉઈંગનો શોખ, અને એ શોખના લીધે સ્કૂલમાં રેસિડન્ટ આર્ટીસ્ટનું બિરુદ મળ્યું ! સ્કૂલના કોઈ પણ આર્ટ પ્રોજેક્ટ, મેળાવડાની સાઈનો, ડેકોરેશન વગેરે વગેરેની જવાબદારી અમારા ડ્રૉઈંગ શિક્ષકની આગેવાની હેઠળ મારી રહેતી, બદલામાં મને વ્યાયામ ક્લાસમાંથી હંમેશની છુટ્ટી ! એ વખતે તો આ ડીલ ..," Deal of the century !' જેવું ઘણું સરસ લાગેલું, પણ એના લીધે સ્પોર્ટસમાં રુચિ નહીં કેળવ્યાનો વસવસો પાછળનાં વર્ષો દરમ્યાન હંમેશાં રહ્યા કર્યો.
મૂળ વાત પર .., સ્કૂલેથી ઘરે જતાં મને ડાફેળાં મારવાની ટેવ. ખાસ તો રસ્તા પરની દુકાનોનાં સાઈન બૉર્ડઝ, લેટરીંગઝ, ટ્રક, રિક્સા પાછળની સાઈનો, સિનેમાનાં પોસ્ટરો વગેરે જોવાનો, માણવાનો બહુ શોખ. સિનેમાનાં પોસ્ટરો પેઇન્ટ કરતા, નાટકોના પોસ્ટર્સ બનાવતા પેઇન્ટર્સને જ્યારે, જ્યાં તક મળે ત્યાં જોયા જ કરું !

એક દિવસ આમ જ સ્કૂલેથી ઘરે જતાં રસ્તામાં સ્ટોર ફ્રન્ટની સાઈનો, સિનેમાનાં પોસ્ટરો જોતાં જોતાં પસાર થઈ રહ્યો હતો. એકલવ્યની માફક મને એ સાઈનો, પોસ્ટરો સિવાય કંઈ જ દેખાતું હતું નહીં .., અને એ ધ્યાનને ડિસ્ટર્બ કરતો એકાએક ધડામ કરતો અવાજ, કંઈક ઢળવાનો, કંઈક ફૂટવાનો ને કંઈક દાઝવાનો બધી જ ક્રિયાઓનો એક સાથે આવ્યો. ચાની કીટલી અને કપરકાબી સાથે કોઈ દુકાનમાં ચા ડિલિવર કરવા જતા ચાવાળા છોકરા સાથે હું અથડાયો ! એની બધી ચા મારાં કપડાં પર, કીટલી છટકીને કપ રકાબી સાથે રોડ પર પડી ગઈ, કપ રકાબીઓ ફૂટી ગઈ ! દાઝવાનું દુ:ખ, પેઈન તો એક બાજુ રહ્યું .., ચાવાળા છોકરાએ બૂમાબૂમમ કરી દીધી, ખેંચીને મને સામે ચાની દુકાન પર એના શેઠ પાસે લઈ ગયો. "You break it .., you buy it!" દુકાનની પોલિસી ! છોકરાના શેઠે એને મારી સાથે ફૂટેલા કપરકાબીના ટુકડાઓ સાથે મારા ઘરે મોકલી, ચા તથા કપરકાબીના પૈસા વસૂલ કર્યા !

વૉટ્સ અપ ચેક કરતાં કરતાં બત્તીના થાંભલા જોડે, કોઈ લારીવાળા જોડે અગર કોઈ બે’ન જોડે અથડાઈ જવું, એ નવું નથી !

− મહેન્દ્ર શાહ

e.mail : mahendraaruna1@gmail.com

Loading

બદામી : ગુફાસ્થાપત્યો

કનુ સૂચક|Opinion - Opinion|26 February 2015

બદામીમાં આવેલ ગુફા સ્થાપત્યો પર્વતના ઢાળે ઢાળે રેતિયા પથ્થરોમાં કોરાયેલી કવિતા છે. શ્રમ લઈ ચઢાણ ચઢવાં પડે અને તે પછી છઠ્ઠી સદી અને સાતમી સદીની આ ગુફાઓ જોતાં આંખોમાં ભરી લેવાનું મન થાય. પથથરના સ્તંભો અને દીવાલોમાં દ્વારપાળથી માંડી, કથાનકોમાંનાં દેવદેવીઓનાં શિલ્પો જોઈ, તેને બનાવનાર શિલ્પકારોને નમન થઈ જાય. ૧લી ગુફામાં શિવ, ૨જી અને ૩જી ગુફામાં વિષ્ણુ, ૪થી ગુફામાં મહાવીર બિરાજે છે. અત્યંત મહત્ત્વ ધરાવતી વાત એ છે કે એક શિલા પર કન્નડ લિપિમાં નાનકડો ઇતિહાસ કોરાયેલો છે. પ્રાકૃતિક રીતે જ બનેલી એક પાંચમી ગુફામાં ચાર પગે અંદર જાઓ તો બુદ્ધ દર્શન થશે. આપણા પૂર્વજો (વાંદરાઓ) નીચેથી ઉપર સુધી મોટી સંખ્યામાં આધિપત્ય જમાવી બેઠાં છે; તેમની પાસેથી આવું ચાલવું શીખી શકાશે. પૂર્વજ સમજી માન આપવાની કાળજી નહીં રાખો, તો તમારા હાથમાંથી સામાન છિનવાઈ જાય તેવું પણ બને ! 

કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લા સ્થિત બદામી શહેરના એક છેવાડે બદામી-રેતિયા પહાડ પર આવેલ ગુફાઓ, પર્વતો કોરી બનાવેલ, ગુફા સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ સ્થાપત્યો છે. લગભગ છઠ્ઠી સદીમાં બનેલા આ સ્થાપત્યો ચાલુક્ય વંશના રાજાઓના સ્થાપત્ય પ્રેમ અને તે સમયમાં પ્રવર્તતા સ્થાપત્યજ્ઞાનનાં સૂચક છે. લગભગ બસો વર્ષ સુધીના આ વંશના રાજાઓના શાસન સમયમાં બનેલાં સ્થાપત્યો કળા અને કળાકારોની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. બદામી પર્વત ચઢતાં જઈએ અને સ્થાપત્યોનાં શિખરોને આંખથી હૃદયમાં ભરતાં જઈએ. જ્યારે ટોચ પર પહોંચીએ ત્યારે શાંતિના મહાદૂત અને અવતાર ભગવાન મહાવીરને પ્રણામ કરીએ. અહીં ગુફાના પ્રાંગણમાંથી બહાર નજર ફેરવીએ ત્યાં નીચે રેવીન નદીના મુખમાંથી સરી આવતાં જળથી બનેલાં સુંદર સરોવરનાં દર્શન થાય છે. આ સરોવર અગત્સ્યતીર્થ સરોવર તરીકે ઓળખાય છે.

પહેલી ગુફા શિવ મંદિર છે. આ શિવમંદિરના પ્રવેશદ્વાર પર બન્ને બાજુ દ્વારપાળો આપણી ઓળખ પૂછવા ઊભાં છે. તેમને આપણે ધ્યાનથી અવલોકીશું કે અવગણી આગળ વધીશું તો તેઓ જાણી જવાના કે આપણે કયા પ્રકારના મહેમાન છીએ. તેમને અવલોકવા એ સ્વયં અદ્દભુત અનુભવ છે. જે સ્થાપત્યોની આપણે મુલાકાતે આવ્યાં છીએ, તેનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. અવહેલાં નહીં, સન્માનના તેઓ અધિકારી છે. આપણે જેમને ઇષ્ટ માનીએ છીએ તેની તેઓ રક્ષા કરે છે. આયુધો અને આભૂષણોથી સજ્જ દ્વારપાળોના મુખ પર સચેત ભાવ છે. તેમની રજા લઈ આગળ વધીએ એટલે જમણી બાજુએ તાંડવનૃત્ય મુદ્રામાં અઢાર ભુજાઓ, ભુજાઓ દ્વારા અભિનીત નૃત્યસંજ્ઞાઓ દાખવતી આ કળામય પ્રતિમા પાંચ ફૂટ ઊંચી છે. બે બાજુ ફેલાયેલી ભુજાઓની ભાવભંગી અને તેની વિભાવના કોઈ કુશળ નૃત્યકાર સમજાવી શકે. ત્યાંના માર્ગદર્શકે તે સમજાવવાની કોશિશ તો કરી, પરંતુ આપણી સમજક્ષિતિજની સીમા ટૂંકી પડતી લાગે. તેમ છતાં આ દ્વિપાર્શ્વ પ્રતિમાનું લાલિત્ય એટલું આકર્ષક છે, ત્યાંથી હઠવાનું મન ન થાય પરંતુ ઉભરાતાં મુલાકાતીઓનો ધક્કો કે આપણે કેટલાં મૂર્ખ છીએ તે અંગેનો ગણગણાટ સાંભળી આગળ વધવું પડે. આ શિવપ્રતિમા ઉપરાંત  નંદી, નૃત્ય કરતાં ગણપતિ, દીવાલો પર નાનાં નાનાં અનેક ગણ શિલ્પો, નાગરાજ, છત પર સ્પષ્ટ અને વિલય થયેલ શિલ્પોના અંશો જોવા મળે છે. શિવપ્રતિમા જેમ જ અત્યંત ધ્યાનાકર્ષક પ્રતિમા મહિષાસુરમર્દિનીની છે. આટલી સદીઓ પછી પણ અક્ષુણ્ણ રહેલી આ પ્રતિમાના દરેક અંગઉપાંગ અને અભિવ્યક્ત મુખભાવ દર્શનીય છે. ગાંધર્વ, વિદ્યાધરો અને દેવપ્રતિમાઓને નામથી ઓળખવા વેદપુરાણની જાણકારી જોઈએ. નાગરી અને દ્રવિડયન સ્થાપત્ય રચનારીતિથી બનેલાં આ ગુફા મંદિરો વાસ્તુશાસ્ત્રને અનુસરે છે. પ્રવેશમંડપ, મહામંડપ, અને ગર્ભગૃહ છે. આ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ છે. ગર્ભગૃહ સ્વાભાવિક રીતે જ ગુફાના અંતભાગમાં હોવાથી અંધારિયા છે. પરંતુ આંખો ટેવાઈ જાય પછી ઇષ્ટદેવની પ્રતિમા જોઈ ભાવકોમાં ભક્તિની સરવાણી વહે.

 

જે જોયું તે વાગોળવા ગુફાની બહારના ઓટલે વિરામ લઈ વધુ ઊંચે જવાનું છે.

જ્યાં જતાં દેહ થાકે, પરંતુ તેને જોતાં આંખ ન થાકે તેવાં આ શિલ્પો જોવા, બીજી ગુફાના દ્વારે પહોંચીએ. દ્વારપાળોનાં શિલ્પો આપનું સ્વાગત કરવા હાથમાં કમળ લઈ ઊભાં છે. અહીં તમે તો ‘આવ્યાં હરિને દ્વાર’. દ્વારપાળની ભૂમિકા રક્ષણની છે એટલે તેમની આંખોમાં સચેત ભાવ દર્શાવ્યો છે. ગુફાની અંદર પૂર્વ અને પશ્ચિમ દીવાલો પર ભાવરથ અને ત્રિવિક્રમના વિશાળકદનાં શિલ્પો છે. છત ઉપર બ્રહ્મા, અનંતશાયી વિષ્ણુ અને મહેશ કોતરાયેલા છે. આઠ ખૂણે અષ્ઠ દિગ્પાલોનાં શિલ્પો છે. ગુફા પ્રમાણમાં નાની, પરંતુ મુલાકાતીઓ વધારે એટલે અંધારામાં જોવા આંખો કેળવવી પડે.

મંદિરોનાં સ્થાપત્યો જોવાં સમયે આપણે પુરાણો, મહાભારત, રામાયણ વગેરેમાં કથિત વાર્તાઓની જાણકારી ધરાવતાં હોઈએ તો શિલ્પોની પરખ વધુ રસદાયક બને. તેવું ન પણ હોય તો એ રસક્ષતિ નહીં થાય તેની તમને ખાતરી આપું છું. શિલ્પો જોવાની અને તેને માણવાની રીતો અનેક છે, પરંતુ સાદી અને સીધી સમજ સાથે આ શિલ્પોનું સૌન્દર્ય જરૂર જ માણી શકાય. સૌન્દર્યનું પરિમાણ આંખોથી ઊતરી હૃદયને સ્પર્શે અને મનને પ્રસન્ન કરે તેથી અધિક શું ! પ્રતિમાનિર્માણનું શાસ્ત્ર ભલે આપણે જાણતા ન હોઈએ પરંતુ પ્રતિમાને જોતાં જ જે ભાવનિર્માણ થાય તે તો જરૂર અનુભવી શકીએ. આ ગુફામાં, આ ગુફા ક્યારે નિર્માણ થઈ એનો સમય ૫૭૮ સાલનો દર્શાવતો શિલાલેખ કોરાયેલો છે. નિર્માણ સમયનો આ ઐતિહાસિક પુરાવો છે.

આ ગુફામાં વિષ્ણુનાં રૂપોનાં ખૂબ જ સુંદર શિલ્પો છે. જેમાં પરાવાસુદેવ, ભૂવરથ, હરિહરા અને નરસિંહના વિશાળકદનાં અદ્દભુત શિલ્પો છે. આ ઉપરાંત સ્તંભો, સ્તંભોની નીચેની કુંભી અને ઉપરની કુંભી (breket) પરની કોતરણી આકર્ષક અને મનોહર છે. શિલ્પોને સ્પર્શી તેની પર હાથ ફેરવવાની લાલચ રોકી ન શકનારા મુલાકાતીઓને લીધે શિલ્પો ઘસાયા છે અને ખંડિત પણ થયા છે. અહીં છત પર, કોઈક સમયે ચમકતા રંગો સાથેનું ચિત્રકામ ઝાંખું પડી ગયું છે તો પણ હજુ ‘ભાંગ્યું તોએ ભરુચ’ની કહેવત સત્યાર્થ કરતું ટક્યું છે.

જે પ્રમાણે પુરાતત્ત્વવાળાએ ક્રમ આપ્યો છે તે મુજબ ચોથી ગુફા પર્વતની ટોચ પર આવેલી છે, જેનું સપાટ અને વિશાળ પટાંગણ ખૂબ સુંદર છે. તેને રક્ષણ આપવા પથ્થરોમાં જ કુદરતી બનેલી પાળી પાસે ઊભા રહી જોઈએ તો નીચે અગત્સ્યતીર્થ તળાવ અને સૌન્દર્યમંડિત પરિસરનાં દર્શન થાય છે. આ ગુફામાં જવા થોડાં પગથિયાં ચઢવાનાં છે, પરંતુ નીચેથી જ જોતાં પણ તેમાં બનેલાં શિલ્પોની વિશાળતા અને ભવ્યતાથી પ્રભાવિત થવાય છે. આ જૈન ગુફા છે. એક શિલા પર આ ગુફા નિર્માણને ૧૨મી સદીની તવારીખ આપે છે, પરંતુ ઘણાં આ શિલા પાછળથી મૂકેલી હોય તેવું ધારે છે; અને ગુફા આઠમી સદીમાં બની છે તેવું અનુમાન કરે છે. આ ગુફાના દરેક સ્તંભ પર અને દીવાલો પર જૈન તીર્થંકરોનાં શિલ્પો કોતરાયેલાં છે. આ ઉપરાંત ગુફાના પ્રવેશદ્વારની બન્ને બાજુએ અને સામે ગવાક્ષોમાં જાતકકથાઓનાં શિલ્પો તેમ જ યક્ષ, યક્ષિણી વગેરેનાં શિલ્પો છે. આ ઉપરાંત બાહુબલીના વિશાળકદનાં શિલ્પો છે. ગર્ભગૃહમાં જવા થોડાં વધુ પગથિયાં ચઢી ગયાં પછી અંધારાંને ઓછો કરતા દીવાના પ્રકાશમાં મહાવીર સ્વામીની પ્રતિમાનું શિલ્પ છે.

આમ તો આ ગુફા પછી પાંચમી ગુફા જોવા નીચે ઉતરવાનું છે અને થોડાં જતનપૂર્વક બાજુએ આવેલી ગુફા કરતાં પ્રાકૃતિક રીતે જ બનેલી બખોલમાં ચાર પગે અંદર જવું પડે. શાંતિથી વિરાજમાન બુદ્ધની નાનકડી પ્રતિમા કોરાયેલી જોવા મળશે. બુદ્ધનો સંદેશ છે કે શાંતિ મેળવવા ક્યાં ય જવાની જરૂર નથી આપણે આપણા સ્વયંના અંતર સુધીનું જ અંતર કાપવાનું રહે છે.

નીચે ઊતરી આવીએ એટલે આ બદામી પર્વતની સામે જ એક મસ્જિદ પણ આવેલી છે. એ જૂની હોવાની શક્યતા છે, પરંતુ એ સમયે પ્રવેશ ન હતો. રામાયણના હનુમાન સૂરજને આંબવા ઊડેલા, અહીંના હનુમાનજી મુલાકાતીઓનાં હાથમાં કે બસની ઉપર બાંધેલા સામાનને લક્ષ્ય બનાવી ઉપાડી જાય કે ફાડી પણ નાખે. કૃપા કરી પ્રણામ કરવાની ધૃષ્ટતા કરશો નહીં !

ભાતીગળ ભારતની ઓળખ અહીં વસતાં માણસોમાં છે, પરંતુ તેમની સંસ્કૃિતને પોતાનામાં સાચવી બેઠાં છે આ મૌન સ્થાપત્યો. ઇતિહાસની નાનકડી યાત્રા કરી આપણે તેમની સમક્ષ ઊભાં રહીએ તો તેમની એ મૌન વાણી આપણામાં ‘આપણે આવાં છીએ’નું ગૌરવ –અસ્મિતાની ઓળખથી પ્રસન્નતા ભરી દેશે.

અસ્તુ.

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ

અશ્વિનકુમાર|Gandhiana|25 February 2015


કસ્તૂરબા મહાત્માથી આશરે છ મહિના મોટાં હતા ! ઇ.સ.૧૮૬૯માં જન્મેલાં અને ઇ.સ.૧૮૮૨માં તેર વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયેલાં, બા-બાપુનું દાંપત્ય-જીવન બાસઠ વર્ષનું હતું. જેલનિવાસી કસ્તૂરબાનું અવસાન આગાખાન મહેલ, પૂના મુકામે ૨૨-૦૨-૧૯૪૪ના રોજ સંધ્યા-સમયે ૭-૩૫ કલાકે થયું. તેઓ લગભગ પંચોતેર વર્ષની વયે, મહાશિવરાત્રીની પાવન તિથિએ, જેલમાંથી અને મહેલમાંથી મહાનિર્વાણ પામ્યાં! મનુબહેન ગાંધી દ્વારા લખાયેલા અને નવજીવન પ્રકાશન મંદિર દ્વારા ઇ.સ. ૧૯૫૨માં પ્રગટ થયેલા, ‘બા બાપુની શીળી છાયામાં’ નામના પુસ્તકમાં કસ્તૂરબાના ઓલવાતા જીવનદીપનું જીવંત વર્ણન છે. લેખિકા મનુબહેન એટલે ગાંધીજીના પિતરાઈ ભાઈના દીકરા જયસુખલાલનાં દીકરી.

જીવનના આખરી દિવસની સવારે કસ્તૂરબાનું પહેલું વાક્ય હતું : ‘મને બાપુજીના ઓરડામાં લઈ જાઓ.’ પોતાની તબિયતને ગમે તેટલું અસુખ હોય તો પણ, ગાંધીજીને દરરોજ ફરવા જવાની કસ્તૂરબા ક્યારે ય ના કહેતાં નહીં. પરંતુ આજે ગાંધીજીએ પોતે ફરવા જવાની વાત કરી કે તરત કસ્તૂરબાએ ના કહી. આથી ગાંધીજી ત્યાં બેઠા. રામધૂન ઇત્યાદિની વચ્ચે પણ કસ્તૂરબાએ ગાંધીજીના ખોળામાં થોડી વાર શાંતિ લીધી. છેવટે દસેક વાગ્યે ગાંધીજીને ફરવાની રજા મળી. ગાંધીજીએ કહ્યું કે, ‘સાવ નહીં ફરું તો માંદો પડીશ, એટલે થોડુંક ફરવું જરૂરી છે.’


મનુબહેનના જણાવ્યા અનુસાર, ફરતી વખતે બાપુએ કહ્યું : “‘બા હવે થોડા વખતની મહેમાન છે. માંડ ચોવીસ કલાક કાઢે તો. કોના ખોળામાં એની આખરી નિદ્રા થશે તે જોવાનું છે.’ દાક્તર ગિલ્ડર થોડી થોડી વારે આવીને કસ્તૂરબાને જોઈ-તપાસી જતા હતા. ગાંધીજી સાડા બાર વાગ્યે કસ્તૂરબા પાસે ગયા. દેવદાસ ગાંધી, જયસુખલાલ ગાંધી ઉપરાંત હરિલાલ ગાંધીની દીકરીઓનું પણ આગમન થયું. દોઢેક વાગ્યે કનુ ગાંધીએ કસ્તૂરબાની કેટલીક તસવીરો લીધી. દેવદાસ ગાંધીએ ગીતાપાઠ કર્યો. સાડા ત્રણે દેવદાસ ગાંધી ગંગાજળ અને તુળસીપત્ર લઈ આવ્યા. તેમણે અને ગાંધીજીએ કસ્તૂરબાને થોડું ગંગાજળ પાયું. લગભગ સાડા ચાર વાગ્યે, બાપુ તરફ જોઈને બા બોલ્યાં : ‘મારી પાછળ તો લાડવા ઉડાડવાના હોય. દુઃખ હોય? હે ઈશ્વર, મને માફ કરજે; તારી ભક્તિ આપજે.’ આવેલાં અન્ય સગાંઓને પણ કસ્તૂરબાએ કહ્યું : ‘કોઈ દુઃખ ન કરશો.’


સાંજના પાંચેક વાગ્યા પછી બાએ મનુને બાપુ માટે ગોળ કરવા કહ્યું. કારણ કે ગાંધીજી માટે બાટલીમાં રાખેલો ગોળ થઈ રહ્યો છે એ બાબત કસ્તૂરબાની નજરમાંથી કેવી રીતે છટકી શકે! વળી, તેમણે મનુને બાપુના ભોજન સારુ દૂધ-ગોળ બરાબર આપવાનું અને મનુને પણ જમી લેવા કહ્યું. આ ઘટના અંગે મનુબહેન નોંધે છે : ‘આખી જિંદગી પૂજ્ય બાપુજીની બધી સેવામાં રહેવાનું અને મુખ્યત્વે એમના બંને વખતના ભોજનની બારીક તપાસ રાખવાનું એમણે કદી નહોતું છોડ્યું. આજે છેલ્લે દિવસે પણ દર્દની ને ભગવાનની સામે યુદ્ધ કરતાં કરતાં ય એમણે એકાએક મને ચેતાવી.’

ગાંધીજી, તેમનાં કુટુંબીજનો અને સહકાર્યકરો, દાક્તરો અને જેલ-અધિકારીઓ ખાસ વિમાન મારફતે આવેલું પેનિસિલિનનું ઇન્જેક્શન કસ્તૂરબાને આપવું કે નહીં એની ચર્ચા કરતાં હતાં. જેમને જમવાનું હતું તે લોકોએ લગભગ સાડા છ સુધીમાં ખીચડી, કઢી, રોટલી વગેરેનું વાળુ કર્યું તો શિવરાત્રીના ઉપવાસીઓએ ફરાળ કર્યું. જમતાં જમતાં પણ એ જ વાતો ચાલી કે પેનિસિલિનથી કદાચ ફાયદો થઈ જાય. અંતે આશરે સાતેક વાગ્યે દાક્તર સુશીલાબહેન નય્યરે મનુબહેન ગાંધીને ઇન્જેક્શનની સોયો ઉકાળવા આપી. મનુએ ઇલેક્ટ્રિક ચૂલા ઉપર વાસણમાં તે ગરમ કરવા મૂકી. જો કે, ઇન્જેક્શન દેવાની ગાંધીજીએ ના કહી એટલે સુશીલાબહેને ઇલેક્ટ્રિક ચૂલો ઠારી નાખ્યો. દરમ્યાનમાં મનુના કાને ગાંધીજીના આટલા જ શબ્દો પડ્યા કે, ‘હવે તારી મરતી માતાને શા માટે સોંય ભોંકવી?’ આ શબ્દો કાને સાંભળ્યા ન સાંભળ્યા અને મનુબહેન સંધ્યાટાણે તુળસીજી આગળ ધૂપ-દીવો કરવાની ઉતાવળમાં ત્યાંથી ચાલ્યાં ગયાં.


મનુબહેને દીવો કર્યો. કસ્તૂરબાએ સહુને ‘જયશ્રીકૃષ્ણ’ કહ્યા. એવામાં કસ્તૂરબાના ભાઈ માધવદાસ આવ્યા. તેમને જોયા છતાં કસ્તૂરબા કંઈ બોલી ન શક્યાં. એકાએક તેમણે કહ્યું : ‘બાપુજી!’ એટલામાં ગાંધીજી હસતા હસતા આવ્યા. તેમણે કહ્યું : ‘તને એમ થાય છે ને આટલાં બધાં સગાંઓ આવ્યાં એટલે મેં તને છોડી દીધી?’ એમ કહીને ગાંધીજી ત્યાં બેઠા. જીવનની આખરી ક્ષણો વખતે કસ્તૂરબાનું ખોળિયું ગાંધીબાપુના ખોળામાં હતું. બાપુએ બાના માથે હાથ ફેરવ્યો ત્યારે બાએ બાપુને કહ્યું : ‘હવે હું જાઉં છું. આપણે ઘણાં સુખદુઃખ ભોગવ્યાં. મારી પાછળ કોઈ રડશો મા. હવે મને શાંતિ છે.’ આટલું બોલ્યાં ત્યાં તો બાનો શ્વાસ રૂંધાયો. કસ્તૂરબાની તસવીરો લઈ રહેલા કનુ ગાંધીને બાપુએ અટકાવ્યા અને રામધૂન ગાવા કહ્યું. સહુ લોકો ‘રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ’ ગાવા લાગ્યાં. મનુબહેન લખે છે : ‘એ રામનામના છેલ્લા સ્વરો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો બે મિનિટમાં બાપુજીના ખભા ઉપર મોટીબાએ માથું મૂકી કાયમની નિદ્રા લીધી!’ મનુએ વધુમાં નોધ્યું છે તે મુજબ, ગાંધીજીની આંખમાંથી આંસુનાં બે ટીપાં પડી ગયાં. તેમણે ચશ્માં કાઢી નાખ્યાં. તેઓ બે જ મિનિટમાં સ્વસ્થ થઈ ગયા, પરંતુ પુત્ર દેવદાસ સદ્દગત માતાના પગ પકડીને કરુણ આક્રંદ કરવા લાગ્યા.


મનુબહેનની રોજનીશીના આધારે રાષ્ટ્રમાતા કસ્તૂરબાના જીવનના અંતિમ દિવસનો ઘટનાક્રમ જોઈ શકાય છે. વળી, બદલાતાં દૃશ્યો સાથે કસ્તૂરબાના ગાંધીજી સાથેના સંવાદો સાંભળી શકાય છે. આ વિગતોથી તેમની વચ્ચેના સંબંધોની અનુભૂતિ થાય છે. પતિ મોહનદાસના ખભા ઉપર માથું મૂકીને કાયમ માટે સૂઈ જવાનું અહોભાગ્ય પત્ની કસ્તૂરને મળ્યું. કારણ કે ગાંધીજી સદ્દભાગી હતા કે, તેમને જીવનસાથી સ્વરૂપે કસ્તૂરબા મળ્યાં હતાં. કાં પતિ આદર્શ હોઈ શકે, કાં પત્ની આદર્શ હોઈ શકે. પતિ-પત્ની બન્ને આદર્શ હોઈ શકે અને તેમનું દાંપત્ય-જીવન પણ આદર્શ હોઈ શકે, એવું જોડું તો આપણાં સૌનાં બા-બાપુનું જ !


e.mail : ashwinkumar.phd@gmail.com

સૌજન્ય : ‘રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ‘; વિગત-વિશેષ; “દિવ્ય ભાસ્કર” દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

Blog-link : http://ashwinningstroke.blogspot.in

Loading

...102030...3,8573,8583,8593,860...3,8703,8803,890...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved