
રિયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી ઃ
આ કાર્ટૂન મારી ૫૦ વર્ષ જૂની મેમરી લેનમાં લઈ જાય છે ! …
નાનપણથી જ ડ્રૉઈંગનો શોખ, અને એ શોખના લીધે સ્કૂલમાં રેસિડન્ટ આર્ટીસ્ટનું બિરુદ મળ્યું ! સ્કૂલના કોઈ પણ આર્ટ પ્રોજેક્ટ, મેળાવડાની સાઈનો, ડેકોરેશન વગેરે વગેરેની જવાબદારી અમારા ડ્રૉઈંગ શિક્ષકની આગેવાની હેઠળ મારી રહેતી, બદલામાં મને વ્યાયામ ક્લાસમાંથી હંમેશની છુટ્ટી ! એ વખતે તો આ ડીલ ..," Deal of the century !' જેવું ઘણું સરસ લાગેલું, પણ એના લીધે સ્પોર્ટસમાં રુચિ નહીં કેળવ્યાનો વસવસો પાછળનાં વર્ષો દરમ્યાન હંમેશાં રહ્યા કર્યો. મૂળ વાત પર .., સ્કૂલેથી ઘરે જતાં મને ડાફેળાં મારવાની ટેવ. ખાસ તો રસ્તા પરની દુકાનોનાં સાઈન બૉર્ડઝ, લેટરીંગઝ, ટ્રક, રિક્સા પાછળની સાઈનો, સિનેમાનાં પોસ્ટરો વગેરે જોવાનો, માણવાનો બહુ શોખ. સિનેમાનાં પોસ્ટરો પેઇન્ટ કરતા, નાટકોના પોસ્ટર્સ બનાવતા પેઇન્ટર્સને જ્યારે, જ્યાં તક મળે ત્યાં જોયા જ કરું !
એક દિવસ આમ જ સ્કૂલેથી ઘરે જતાં રસ્તામાં સ્ટોર ફ્રન્ટની સાઈનો, સિનેમાનાં પોસ્ટરો જોતાં જોતાં પસાર થઈ રહ્યો હતો. એકલવ્યની માફક મને એ સાઈનો, પોસ્ટરો સિવાય કંઈ જ દેખાતું હતું નહીં .., અને એ ધ્યાનને ડિસ્ટર્બ કરતો એકાએક ધડામ કરતો અવાજ, કંઈક ઢળવાનો, કંઈક ફૂટવાનો ને કંઈક દાઝવાનો બધી જ ક્રિયાઓનો એક સાથે આવ્યો. ચાની કીટલી અને કપરકાબી સાથે કોઈ દુકાનમાં ચા ડિલિવર કરવા જતા ચાવાળા છોકરા સાથે હું અથડાયો ! એની બધી ચા મારાં કપડાં પર, કીટલી છટકીને કપ રકાબી સાથે રોડ પર પડી ગઈ, કપ રકાબીઓ ફૂટી ગઈ ! દાઝવાનું દુ:ખ, પેઈન તો એક બાજુ રહ્યું .., ચાવાળા છોકરાએ બૂમાબૂમમ કરી દીધી, ખેંચીને મને સામે ચાની દુકાન પર એના શેઠ પાસે લઈ ગયો. "You break it .., you buy it!" દુકાનની પોલિસી ! છોકરાના શેઠે એને મારી સાથે ફૂટેલા કપરકાબીના ટુકડાઓ સાથે મારા ઘરે મોકલી, ચા તથા કપરકાબીના પૈસા વસૂલ કર્યા !
વૉટ્સ અપ ચેક કરતાં કરતાં બત્તીના થાંભલા જોડે, કોઈ લારીવાળા જોડે અગર કોઈ બે’ન જોડે અથડાઈ જવું, એ નવું નથી !
− મહેન્દ્ર શાહ
e.mail : mahendraaruna1@gmail.com
![]()









જીવનના આખરી દિવસની સવારે કસ્તૂરબાનું પહેલું વાક્ય હતું : ‘મને બાપુજીના ઓરડામાં લઈ જાઓ.’ પોતાની તબિયતને ગમે તેટલું અસુખ હોય તો પણ, ગાંધીજીને દરરોજ ફરવા જવાની કસ્તૂરબા ક્યારે ય ના કહેતાં નહીં. પરંતુ આજે ગાંધીજીએ પોતે ફરવા જવાની વાત કરી કે તરત કસ્તૂરબાએ ના કહી. આથી ગાંધીજી ત્યાં બેઠા. રામધૂન ઇત્યાદિની વચ્ચે પણ કસ્તૂરબાએ ગાંધીજીના ખોળામાં થોડી વાર શાંતિ લીધી. છેવટે દસેક વાગ્યે ગાંધીજીને ફરવાની રજા મળી. ગાંધીજીએ કહ્યું કે, ‘સાવ નહીં ફરું તો માંદો પડીશ, એટલે થોડુંક ફરવું જરૂરી છે.’
ગાંધીજી, તેમનાં કુટુંબીજનો અને સહકાર્યકરો, દાક્તરો અને જેલ-અધિકારીઓ ખાસ વિમાન મારફતે આવેલું પેનિસિલિનનું ઇન્જેક્શન કસ્તૂરબાને આપવું કે નહીં એની ચર્ચા કરતાં હતાં. જેમને જમવાનું હતું તે લોકોએ લગભગ સાડા છ સુધીમાં ખીચડી, કઢી, રોટલી વગેરેનું વાળુ કર્યું તો શિવરાત્રીના ઉપવાસીઓએ ફરાળ કર્યું. જમતાં જમતાં પણ એ જ વાતો ચાલી કે પેનિસિલિનથી કદાચ ફાયદો થઈ જાય. અંતે આશરે સાતેક વાગ્યે દાક્તર સુશીલાબહેન નય્યરે મનુબહેન ગાંધીને ઇન્જેક્શનની સોયો ઉકાળવા આપી. મનુએ ઇલેક્ટ્રિક ચૂલા ઉપર વાસણમાં તે ગરમ કરવા મૂકી. જો કે, ઇન્જેક્શન દેવાની ગાંધીજીએ ના કહી એટલે સુશીલાબહેને ઇલેક્ટ્રિક ચૂલો ઠારી નાખ્યો. દરમ્યાનમાં મનુના કાને ગાંધીજીના આટલા જ શબ્દો પડ્યા કે, ‘હવે તારી મરતી માતાને શા માટે સોંય ભોંકવી?’ આ શબ્દો કાને સાંભળ્યા ન સાંભળ્યા અને મનુબહેન સંધ્યાટાણે તુળસીજી આગળ ધૂપ-દીવો કરવાની ઉતાવળમાં ત્યાંથી ચાલ્યાં ગયાં.
મનુબહેને દીવો કર્યો. કસ્તૂરબાએ સહુને ‘જયશ્રીકૃષ્ણ’ કહ્યા. એવામાં કસ્તૂરબાના ભાઈ માધવદાસ આવ્યા. તેમને જોયા છતાં કસ્તૂરબા કંઈ બોલી ન શક્યાં. એકાએક તેમણે કહ્યું : ‘બાપુજી!’ એટલામાં ગાંધીજી હસતા હસતા આવ્યા. તેમણે કહ્યું : ‘તને એમ થાય છે ને આટલાં બધાં સગાંઓ આવ્યાં એટલે મેં તને છોડી દીધી?’ એમ કહીને ગાંધીજી ત્યાં બેઠા. જીવનની આખરી ક્ષણો વખતે કસ્તૂરબાનું ખોળિયું ગાંધીબાપુના ખોળામાં હતું. બાપુએ બાના માથે હાથ ફેરવ્યો ત્યારે બાએ બાપુને કહ્યું : ‘હવે હું જાઉં છું. આપણે ઘણાં સુખદુઃખ ભોગવ્યાં. મારી પાછળ કોઈ રડશો મા. હવે મને શાંતિ છે.’ આટલું બોલ્યાં ત્યાં તો બાનો શ્વાસ રૂંધાયો. કસ્તૂરબાની તસવીરો લઈ રહેલા કનુ ગાંધીને બાપુએ અટકાવ્યા અને રામધૂન ગાવા કહ્યું. સહુ લોકો ‘રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ’ ગાવા લાગ્યાં. મનુબહેન લખે છે : ‘એ રામનામના છેલ્લા સ્વરો સાંભળ્યા ન સાંભળ્યા ત્યાં તો બે મિનિટમાં બાપુજીના ખભા ઉપર મોટીબાએ માથું મૂકી કાયમની નિદ્રા લીધી!’ મનુએ વધુમાં નોધ્યું છે તે મુજબ, ગાંધીજીની આંખમાંથી આંસુનાં બે ટીપાં પડી ગયાં. તેમણે ચશ્માં કાઢી નાખ્યાં. તેઓ બે જ મિનિટમાં સ્વસ્થ થઈ ગયા, પરંતુ પુત્ર દેવદાસ સદ્દગત માતાના પગ પકડીને કરુણ આક્રંદ કરવા લાગ્યા.