Opinion Magazine
Number of visits: 9456810
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાનતાની ગુલબાંગ હાંકવાનો કોઈ અર્થ નથી જ્યારે વાસ્તવિકતા લજાવનારતી હોય.

રમેશ ઓઝા|Opinion - Opinion|20 October 2024

રમેશ ઓઝા

૨૦૨૪ના વર્લ્ડ હંગર ઇન્ડેક્સ (ડબલ્યુ.એચ.આઈ.) મુજબ જગતમાં કુલ ૧૨૭ દેશોમાં ભૂખની સમસ્યા છે અથવા પૂરતું પોષણ મળે એટલો ખોરાક મળતો નથી. જે બાળકો જન્મે છે તે કુપોષણનાં કારણે તન્દુરસ્તી ભોગવતાં નથી અને કેટલાંક કમનસીબ બાળકો પાંચ વરસની ઉંમર ભાળતાં નથી. ડબલ્યુ.એચ.આઈ.એ ભૂખથી લઈને અપૂરતા પોષણ સુધીના કેટલાક માપદંડો વિકસાવ્યા છે અને તેને આધારે ગુણાંક આપે છે અને ગુણાંકના આધારે ઇન્ડેક્સમાં સ્થાન આપે છે. ભારતનું સ્થાન ૧૨૭ દેશોમાં ૧૦૫મું છે અને તેને મળેલા ગુણાંક ૨૭.૩ છે. ૨૦૦૦ની સાલમાં ભારતનાં ગુણાંક ૩૮.૪ હતા. ૨૦૦૮માં ૩૫.૨ હતાં અને ૨૦૧૬માં ૨૯.૩ હતા. ૧૨૭ દેશોમાં ૧૦૫મું સ્થાન એ શરમની વાત છે.

જો ગુણાંક ઘટાડવા હોય અને ઈન્ડેક્સમાં ઉપરના ક્રમે જવું હોય તો સારું હંગર મેનેજમેન્ટ જરૂરી છે. ભારતને ૨૦૦૦ની સાલમાં હંગર મેનેજમેન્ટમાં જે ગુણાંક મળ્યા હતા તેમાં ૧૧નો ઘટાડો કરવામાં ૨૪ વરસ લાગ્યાં. હજુ તો આપણે ૨૭ પર છીએ. શૂન્ય પર પહોંચતા કેટલાં વરસ લાગશે એનો અડસટ્ટો તમે માંડી લો. મને નથી લાગતું કે આપણે આપણી આઝાદીની શતાબ્દી ભૂખ વિના ઉજવી શકીશું. હજુ એક હકીકત નોંધવા જેવી છે. ગુણાંકમાં જે ૧૧નો ઘટાડો થયો છે તેમાં ત્રણનો ઘટાડો ૨૦૦૦થી ૨૦૦૮ સુધીનાં વર્ષોમાં થયો હતો. છનો ઘટાડો ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં થયો છે અને ૨૦૧૬થી ૨૦૨૪ સુધીનાં આઠ વરસમાં માત્ર બેનો ઘટાડો થયો છે. છની જગ્યાએ માત્ર બે. ભારત રફતાર પણ જાળવી નથી શક્યું. સ્થિતિમાં સુધારો થવાની જગ્યાએ બગડી રહી છે. જો આ રફતારે આપણે ભૂખનો સામનો કરીશું તો શૂન્ય પર પહોંચતા આખી ૨૧મી સદી વીતી જશે અને બાવીસમી સદીમાં આપણે કેટલાક લોકોને ભૂખ્યા સુવડાવીને પ્રવેશીએ તો આશ્ચર્ય નહીં!

૨૦૦૦ની સાલમાં ચીનના ગુણાંક ૧૩.૪ હતા જે અત્યારે પાંચની અંદર છે. શ્રીલંકાનાં ગુણાંકમાં ૨૪ વરસમાં દસ(૨૧.૭થી ૧૦.૯)નો ઘટાડો થયો છે અને ડબલ્યુ.એચ.આઈ. ઈન્ડેક્સમાં ભારતથી ક્યાં ય ઉપર ૫૬માં ક્રમે છે. નેપાળનાં ગુણાકમાં ૨૩(૩૭.૧થી ૧૪.૭)નો ઘટાડો થયો છે. હંગર મેનેજમેન્ટમાં નેપાળ પાસેથી ધડો લેવા જેવું છે. નેપાળનો ક્રમ ૬૮મો છે. આવું જ મ્યાનમારનું. ૨૦૦૦ની સાલમાં મ્યાનમાર ૪૦.૨ ગુણાંક ધરાવતું હતું જે અત્યારે નીચે આવીને ૧૫.૭ ધરાવે છે. નેપાળના ગુણાંકમાં ૨૩નો ઘટાડો થયો તો મ્યાનમારના ગુણાંકમાં ૨૫નો. મ્યાનમાર હંગર ઇન્ડેક્સમાં ૭૪મા ક્રમે છે. ૨૦૦૦ની સાલમાં બંગલાદેશ ૩૩.૮ ગુણાંક ધરાવતું હતું જે આજે ૧૯.૯ સુધી નીચે આવી ગયું છે અને ડબલ્યુ.એચ.આઈ.ના હંગર ઈન્ડેક્સમાં ૮૪માં ક્રમે છે. અંદાજે ૧૫નો ઘટાડો બંગલાદેશ કરી શક્યું છે. પાકિસ્તાન આપણી પાછળ ૧૦૯માં ક્રમે છે અને એનો રાજીપો જો કોઈએ અનુભવવો હોય તો અનુભવી શકે છે. પાકિસ્તાનની હંગર મેનેજમેન્ટની યાત્રા તો આપણા કરતાં પણ બદતર છે. ૨૦૦૦થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં ૧૨(૩૬.૬થી ૨૪.૬)નો ઘટાડો, પણ ૨૦૧૬થી ૨૦૨૪નાં વર્ષોમાં ત્રણ(૨૪.૬થી ૨૭.૯)નો વધારો થયો. આપણે માત્ર બેનો ઘટાડો કર્યો અને પાકિસ્તાને ત્રણનો વધારો કર્યો. અફગાનિસ્તાન ૧૧૬માં ક્રમે છે અને તેણે પણ ૨૪ વરસમાં ૪૯.૯થી ૩૦.૮ એમ લગભગ વીસ ગુણાંકનો ઘટાડો કર્યો છે.

તમારા મનમાં કદાચ પ્રશ્ન થતો હશે કે આ ગુણાંક શું સૂચવે છે? ડબલ્યુ.એચ.આઈ.ના અહેવાલ મુજબ જો ગુણાંક ૫૦ કરતાં વધુ હોય તો તેવા દેશોની સ્થિતિ અત્યંત ચિંતાજનક (એક્સ્ટ્રીમલી એલાર્મિંગ) ગણાય. જો ગુણાક ૩૫થી ૫૦ની વચ્ચે હોય તો એ ચિંતાજનક (એલાર્મિંગ) ગણાય. જો ગુણાક ૨૦થી ૩૫ની વચ્ચે હોય તો તેને ગંભીર સ્થિતિ ગણાય. જો ગુણાંક ૧૦થી ૨૦ની વચ્ચે હોય તો તેને બહુ ગંભીર નહીં એવી હળવી (મોડરેટ) સ્થિતિ ગણાય. અને જો દસની અંદર હોય તો રાહતરૂપ કહેવાય. હવે તમે જોઈ શકો છો કે ભારત ભૂખની ગંભીર સ્થિતિ ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે, તથા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને છોડીને ભારતના પાડોશી દેશોમાંથી કોઈ દેશ આપણી સાથે નથી, ઘણા આગળ નીકળી ગયા છે. ભારત અને પાકિસ્તાન જ એવા દેશો છે જે હંગર મેનેજમેન્ટમાં આગળ જવાની જગ્યાએ પાછળ ગયા છે. ભારતે ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં છનો ઘટાડો કર્યો હતો અને તેની તુલનામાં ૨૦૧૬થી ૨૦૨૪નાં વર્ષોમાં માત્ર બેનો ઘટાડો કર્યો.

આવું કેમ બન્યું? જગતમાં ૧૨૭ દેશોમાંથી માત્ર દસ દેશો એવા છે જેનું હંગર મેનેજમેન્ટ નબળું છે. કાં તો તેની સ્થિતિ વણસી છે, અથવા યથાવત્ છે અથવા નહીંવત ઘટાડો થયો છે. આવા દેશોમાં પાકિસ્તાન અને ભારતનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં સ્થિતિ વણસી છે અને ભારતમાં નહીંવત સુધારો થયો છે. પણ સવાલ એ છે કે આવું કેમ બન્યું?

આનું કારણ છે વિકાસલક્ષી ધોરણસરના શાસનનો અભાવ અને ધર્મ અને ધર્મ આધારિત રાજકારણનો અતિરેક. બન્ને દેશોમાં આવું થઈ રહ્યું છે. હિંદુ-મુસલમાન અને ભારત-પાકિસ્તાન સિવાય કોઈ બીજી ચર્ચા જ નથી થતી. વિકાસનો વિમર્શ તો હવે મુઠ્ઠીભર સરોકાર ધરાવતા માણસો સુધી સમિત થઈ ગયો છે. દેશની સૌથી મોટી સમસ્યા ભૂખ નથી, મુસલમાન છે. જ્યાં પ્રાથમિકતા બદલાય ત્યાં પરિણામ બદલાય. એટલે તો ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં છનો ઘટાડો કરનાર દેશ એ પછીનાં આઠ વર્ષમાં માત્ર બેનો ઘટાડો કરી શક્યો છે. પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. અને એ પણ ત્યારે જ્યારે વર્લ્ડ ફૂડ ઓર્ગેનાઈઝેશન કહે છે કે આ ધરતી અને આ ધરતી પર ખેતી કરતા ખેડૂતો એટલું ધાન ઉગાડે છે જેટલી જગતને આજે જરૂર છે. ઉત્પાદન પૂરતું છે, પુરવઠાની અને ક્રયશક્તિની સમસ્યા છે. ૧૬મી ઓક્ટોબરે વર્લ્ડ ફૂડ ડે ઉજવવામાં આવે છે અને એ નિમિત્તે આ વાત તમારા વાંચવામાં આવી હશે. ભારત પણ અન્નની બાબતે આત્મનિર્ભર છે. જે સમસ્યા છે એ ગરીબીની છે અને પુરવઠાની છે. એક તો લોકો સુધી અન્ન પહોંચતું નથી અને પહોંચે છે તો લોકો પાસે ખરીદવા માટે પૈસા નથી.

મહાનતાની ગુલબાંગ હાંકવાનો કોઈ અર્થ નથી જ્યારે વાસ્તવિકતા લજાવનારતી હોય.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 20 ઑક્ટોબર 2024

Loading

ઈલોન મસ્કનું મેકાઝિલા; રચનાત્મકતા કેમ પ્રગતિનો પાયો છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 October 2024

રાજ ગોસ્વામી

વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે, આપણું જીવન બહેતર ત્યારે જ થાય છે જ્યારે આપણે નવું વિચારતા રહીએ અને તેના પર અમલ કરતા રહીએ. એક સફળ વ્યક્તિ અને એક સફળ દેશનો તમે જો અભ્યાસ કરો, તો દેખાશે કે તેણે હંમેશાં જીવનને બહેતર બનાવવા માટે પ્રયાસો કર્યા છે.

13મી ઓક્ટોબરે, ભારતમાં લોકો બાબા સિદીક્કી અને લોરેન્સ બિસ્નોઈની ચર્ચામાં વ્યસ્ત હતા, ત્યારે દૂર અમેરિકામાં એક એવો ઇતિહાસ આકાર લઇ રહ્યો હતો, જે સ્પેસ ટેકનોલોજીના (અને વળતામાં માનવજાતિના) ભાવિને કાયમ માટે બદલી નાખવાનો હતો.

તે દિવસે, અમેરિકામાં ખાનગી સ્પેસ ટુરિઝમના પ્રણેતા અને 21મી સદીના સૌથી સાહસિક ઉદ્યમી ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીના ઈજનેરોએ સેટેલાઈટ છોડીને જમીન પર પાછા ફરતા બૂસ્ટરને હવામાં જ પકડી લીધું. જે ટાવર પરથી તેને છોડવામાં આવ્યું હતું, તે ટાવરમાં ઈજનેરો એવી ભૂજાઓ વિકસાવી હતી, જેમાં એ બૂસ્ટર પાછું આવીને બેસી જાય.

સાદી રીતે સમજવું હોય તો દિવાળીનું ઉદાહરણ લો. તમે નવા વર્ષનાં વધામણાં માટે તે દિવસે કાચની શીશીમાં હવાઈ મૂકીને સળગાવો છો, તે શીશીમાંથી આકાશમાં છૂટીને ધૂમધડાકા કરે છે અને પછી તેની દંડી પાછી નીચે આવીને શીશીમાં જ ઉતરી જાય તો કેવું?  

ઈલોન મસ્કે આવું જ કર્યું છે. પંદર માળની ઈમારત જેટલું વિશાળ બૂસ્ટર, જે ટાવર પરથી ઉડ્યું હતું, ત્યાં જ પાછુ આવીને ગોઠવાઈ ગયું! આમાં મોટી વાત એ છે કે એકવાર રોકેટ લોન્ચ કર્યા પછી, તેને પાછું લાવવું શક્ય નથી. એટલે કે, એક જ પ્રક્ષેપણમાં એક જ રોકેટનો ઉપયોગ કરી શકાય છે. આ અતિશય ખર્ચાળ છે અને સમય પણ ઘણો જાય છે. મસ્કે આમાં રિયુઝેબલ (ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા) રોકેટનું ઇનોવેશન કર્યું છે. તેણે સાબિત કરી બતાવ્યું છે કે એક રોકેટને હેમખેમ પાછું લાવીને ફરીથી છોડી શકાય છે.

ઈલોનને 2020માં પહેલીવાર આનો વિચાર આવ્યો હતો. તેનો કંપની સ્પેસએક્સની ટીમ સ્ટારશિપ માટે લેન્ડિંગ લેગ્સની ચર્ચા કરી રહી હતી. ઈલોન માનતો હતો કે માનવ સભ્યતાને અવકાશ-ઉડ્ડયન કરતી સંસ્કૃતિ બનાવવી હોય, તો એવાં રોકેટ બનાવવાં જોઈએ જે વિમાન જેવાં હોય; તે ટેક-ઓફ કરે, લેન્ડ કરે અને પછી શક્ય તેટલી વહેલી તકે ફરીથી ટેક-ઓફ કરે.

“તેને પકડવા માટે આપણે ટાવરનો ઉપયોગ કેમ કરી ના શકીએ?” ઈલોને તે મિટિંગમાં ઈજનેરોને પૂછ્યું હતું. તે વખતે ટાવર રોકેટને પકડી રાખીને તેનું પ્રક્ષેપણ કરવાનું કામ કરતાં હતાં. ઈલોને એમાં નવું સૂચવ્યું હતું : એ જ ટાવર રોકેટ પાછું આવે તો કેમ પકડી ન શકે?

તે એક વિચિત્ર વિચાર હતો. રૂમમાં લોકો હેબતાઈ ગયા. બિલ રિલ નામનો એક ઈજનેર કહે છે, “જો બૂસ્ટર ટાવર પર પાછું આવીને તૂટી પડે છે, તો બહુ લાંબા સમય સુધી આગામી રોકેટ લોન્ચ વગર રહી જવાય તેમ હતું, પરંતુ અમે એના પર વિચાર કરવા સંમત થયા હતા.”

જેવો તેણે આ નિર્ણય લીધો કે તે સાથે જ ઈલોન મજાક-મસ્તીના મૂડમાં આવી ગયો. તે ‘ધ કરાટે કિડ’ ફિલ્મના એક દૃશ્યનો ઉલ્લેખ કરીને હસવા લાગ્યો. ફિલ્મમાં કરાટે માસ્ટર મિયાગી એક માખીને પકડવા માટે ચૉપસ્ટિકનો ઉપયોગ કરે છે. ઈલોને કહ્યું હતું કે ટાવરની ભૂજાઓને ચૉપસ્ટિક્સ કહેવામાં આવશે, અને તેણે આખા ટાવરને “મેકાઝિલા” નામ આપ્યું હતું. તે ગોડઝિલા ફિલ્મ પરથી હતું.

તેણે એક ટ્વીટ મારફતે ખુશી વ્યક્ત કરી : “અમે લોન્ચિંગ ટાવરની ભૂજામાં બૂસ્ટરને પકડવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ!” એક ફોલોઅરે જ્યારે પૂછ્યું કે તેઓ શા માટે લેન્ડિંગ લેગ્સનો ઉપયોગ નથી કરતા, ત્યારે ઈલોને જવાબ આપ્યો હતો, “આમાં લેગ્સ ચોક્કસપણે કામ કરે, પણ કાયમ થતું હોય તેવું જ શા માટે કરવું જોઈએ!”

જુલાઈ 2021ના અંતમાં બુધવારે બપોરે, બોકા ચીકા લોન્ચ સાઇટ પર જંગમ ચૉપસ્ટિક ભૂજાઓ સાથે મેકાઝિલાનો અંતિમ ભાગ પૂરો કરવામાં આવ્યો. જ્યારે તેની ટીમે તેને ઉપકરણનું એનિમેશન બતાવ્યું, ત્યારે ઈલોન ઉત્સાહિત થઈ ગયો. તેણે બૂમો પાડી, “જોરદાર! આને તો લાખો લોકો જોશે.” તેને ‘ધ કરાટે કિડ”માંથી બે મિનિટની ક્લિપ મળી અને તેણે તેને પોતાના આઇફોન પરથી ટ્વિટ કરી હતી. તેણે કહ્યું હતું, “સ્પેસએક્સ કંપની તેના રોબોટિક ચૉપસ્ટિક્સ વડે અત્યાર સુધીની સૌથી મોટી ઉડતી વસ્તુને પકડવાનો પ્રયાસ કરશે. સફળતાની બાંયધરી નથી, પરંતુ ઉત્સાહ છે!”

કટ ટુ 13 ઓક્ટોબર, 2024. તે દિવસે દુનિયાના કરોડો લોકોએ એ વીડિયો જોયો, જ્યારે સ્પેસએક્સનું રોકેટ હવામાં ઉડ્યું અને પછી પાછું નીચે ઉતરીને એ જ ટાવરની ભૂજાઓમાં એવી રીતે બેસી ગયું, જેવી રીતે તમારી હવાઈ દંડી શીશીમાં પાછી ગોઠવાઈ જાય.

મૂળ વાત છે પરંપરામાંથી હટીને વિચારવું. આજના સમયમાં જો તમારે સફળ થવું હોય અને કંઇક ખાસ કરવું હોય, તો તમારે કંઇક નવું વિચારવું જોઈએ. સપનું જોવું અને હાંસલ કરવાનો પ્રયાસ કરવો એ બે અલગ બાબતો છે. જો તમારે કંઇક અલગ કરવું હોય, તો તમારી પાસે નવા વિચારોનો ભંડાર હોવો જોઈએ. 

વૈજ્ઞાનિકો માને છે કે આપણે મગજના માત્ર 10 ટકા ભાગનો જ ઉપયોગ કરીએ છીએ. જો માનવ મગજની પૂરી તાકાતનો ઉપયોગ કરતાં આવડે, જો દરેક વ્યક્તિમાં કંઇક નવું કરવાની ભાવના હોય હોય, તો વિચાર કરો જીવન કેટલું શાનદાર બને!

આપણી વિચારવાની રીત આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે, આપણે આપણી આસપાસના વાતાવરણમાંથી શું અને કેટલું ગ્રહણ કરીએ છીએ અને કઈ રીતે તેને આત્મસાત કરીએ છીએ તેનું પરિણામ આપણા વિચારોની ગુણવત્તામાં આવે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, અલગ રીતે વિચારવું એટલે આપણી રચનાત્મક રીતે વિચારવાની ક્ષમતામાં વધારો કરવો તે. દરેક વ્યક્તિમાં વિચારવાની ક્ષમતા હોય છે, પણ જે અલગ વિચારે છે તે અન્ય લોકોથી પડે છે. માનવ જાતિનો વિકાસ તેની રચનાત્મક વિચારસરણીમાં આવ્યો છે.

આપણે જ્યારે જંગલમાં રહેતા હતા, ત્યારે ખોરાક શોધવા માટે દૂર દૂર જવું પડતું હતું, અને ઘણી વાર એક-બે દિવસ પછી ખોરાક ઉપલબ્ધ થતો હતો. પછી ધીમે ધીમે મનુષ્યો જ્યાં ફળો અને શાકભાજી હતાં ત્યાં સ્થાયી થવા લાગ્યા. એમાં તેમને બીજી વસ્તુઓ વિશે વિચારવાનો સમય મળ્યો. 

તેમાંના કેટલાક એવા મનુષ્યો હતા જેઓ વધારે વિચારતા ન હતા. સૌથી વિચારશીલ વ્યક્તિને તે સમયનો આગેવાન કહેવામાં આવતો હતો. કારણ કે પોતાના વિચારોની શક્તિથી તે આગ લગાડવા, માંસ કાપવા માટેનાં હથિયાર બનાવવા, વરસાદમાં પોતાનાં ઝૂંપડાંને પાણીથી બચાવવા જેવા નવા ચમત્કારો કરતા હતા, અને બાકીના લોકો તેમનું જોઈ જોઇને નકલ કરતા હતા. 

તેવા આગેવાનો તે સમયના સેલિબ્રિટીઓ હતા, પરંતુ આજે તેમના એ ચમત્કારો આખી દુનિયા કરે છે એટલે તેનું મહત્ત્વ રહ્યું નથી. આજે ઈલોન મસ્ક સેલિબ્રિટી છે કારણ તે જે કરે છે તેવું કોઈ નથી કરતું. કદાચ આજથી સો-બસો વર્ષ પછી આખી દુનિયા રોકેટમાં બેસીને એવી રીતે સ્પેસમાં જતી હશે, જેવી રીતે આપણે વિમાનમાં બેસીને દિલ્હી કે ડેનવર જઈએ છીએ. આને રચનાત્મક વિચાર કહે છે.

(પ્રગટ : “ગુજરાતમિત્ર”, “મુંબઈ સમાચાર”, “ગુજરાત મેઈલ”; 20 ઑક્ટોબર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જસ્ટીન ટ્રુડોના સ્વાર્થી રાજકારણે ભારત સાથેના રાજદ્વારી સંબંધોનો દાટ વાળ્યો?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 October 2024

જો આંતરરાષ્ટ્રીય વિવાદ ખડો કરી દેવાય તો સ્થાનિક કટોકટી પરથી લોકોનું ધ્યાન ખસી જાય અને પોતાની સત્તા બચી જાય એવી ટ્રુડોની ગણતરી હોઇ શકે છે

ચિરંતના ભટ્ટ

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારતને સળી કરીને રાજદ્વારી સબંધો બગાડવાની ચળ ઊપડતી હોય એમ લાગે છે. કેનેડામાં રહેનારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી છે, એટલું જ નહીં, પણ ભારતીય રાજદ્વારીઓ તેમાં સામેલ છે એવા આક્ષેપ કેનેડાએ કર્યા અને ભારતે તેને આકરી રીતે નકારીને કહ્યું કે આવું કંઇ હોય તો કેનેડાએ પુરાવા આપવા જોઇએ. લોરેન્સ બિશ્નોઇ જેવી ગેંગની મદદ લઇને ભારતીય એજન્ટો કેનેડામાં રહેતા ખાલિસ્તાની ટેકેદારોને ટ્રેક કરીને તેમની હત્યા કરાવે, તેમને ટાર્ગેટ કરે છે એવા આરોપ એક દેશના વડા, બીજા દેશ પર મૂકે એટલે સ્વાભાવિક છે આ હોબાળામાંથી હોળી જ થાય. જસ્ટિન ટ્રૂડોના વાણી વિલાસને પગલે કેન્દ્ર સરકારે સોમવારે છ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢીને કેનેડાથી ભારતીય હાઇ કમિશનરને પાછા બોલાવવાની જાહેરાત કરી. આ બધી રાજકીય વિધાનોની અફરાતફરી વચ્ચે જસ્ટિન ટ્રુડોએ બુધવારે એમ સ્વીકાર્યું કે નિજ્જરની હત્યાના વાસ્તવિક પુરાવા કેનેડાની સરકારે ભારતને નથી આપ્યા, માત્ર અમુક ગુપ્ત માહિતી જ આપી હતી.

આટલું ઓછું હોય એમ શીખ ફોર જસ્ટિસ, ખાલિસ્તાની આતંકવાદી સંગઠનના વડા ગુરપતવંત સિંહ પન્નુ, જે પોતે યુ.એસ.એ.માં છે તેણે કેનેડાના મીડિયામાં એમ કહ્યું છે કે તે પોતે બે-ત્રણ વર્ષથી કેનેડાના વડા પ્રધાનના કાર્યાલયના સંપર્કમાં છે અને ટ્રુડોની ઑફિસને ભારતીય ગુપ્તચર એજન્ટ વિશે તેણે માહિતી આપી છે. વળી પન્નુએ તો છાતી ઠોકીને એવું ય કહ્યું કે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાથી જાસૂસી નેટવર્ક અટકવાનું નથી. પન્નુએ કેનેડામાં રહેતા ભારતીયોની ભારત પ્રત્યેની વફાદારીની ટીકા કરી અને એવા અર્થનું વિધાન કર્યું કે કેનેડામાં રહેતા ભારતીયોએ ત્યાંના બંધારણને વફાદાર રહેવું જોઇએ, ભારતના નહીં.

જસ્ટીન ટ્રુડો

ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબધોની હોળીની ઝાળ આસમાને ચઢી છે ત્યારે બે દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોથી માંડીને ત્યાં ભણનારા લાખો છોકરાંઓનાં ભવિષ્ય પર તલવાર તોળાઇ રહી છે.  કેનેડાએ અધિકૃત અને અનાધિકૃત રીતે અમુક બાબતો જાહેર કરી છે, અમુક નામો જાહેર કર્યા છે જે કેનેડામાં અરાજકતા ફેલાવે છે, ગેરકાયદે કામગીરી કરે છે. આ યાદીમાં આપણા ડિપ્લોમેટ્સ, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સાથે સાથે ગૃહ મંત્રી અમિત શાહનું પણ નામ છે.  કેનેડા અને ભારતના સંબંધોમાં ‘રિશ્તોમેં દરાર આઇ’ વાળો તબક્કો આવી ગયો છે ત્યારે આપણે અમુક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ; જેમ કે કોને લીધે કેનેડા અને ભારતના સંબંધો વણસ્યા?, ટ્રુડોને ફટકાર પડે છે છતાં પણ ભારત સામેનું તેનું વલણ વારંવાર ઉગ્ર કેમ થઇ જાય છે? શું કેનેડાના દાવાઓમાં જરા સરખું પણ સત્ય છે? આવા આક્ષેપો તો અમેરિકાએ પણ ભારત પર કર્યા છે તો ત્યારે આપણે કેમ ચૂપ રહીએ છીએ?

ભારત સરકારનું કહેવું છે કે કેનેડાના વડા પ્રધાન આ રીતે મત ભેગા કરવાની ફિરાકમાં છે. એટલું જ નહીં જો કેનેડિયન સરકાર ભારત વિરોધી અલગાવવાદીઓ અને કટ્ટરપંથીઓને મદદ કરવાનું ચાલું રાખશે તો ભારતે આકરા પગલાં લેવા પડશે.  આ કટ્ટરવાદીઓ એટલે ખાલિસ્તાનીઓ. ખાલિસ્તાની ચળવળ ભારતમાં તો દાયકાઓ પહેલાં ખતમ થઇ ગઇ છે પણ કેનેડાના રાજકીય વર્તુળમાં હજી તેનો પ્રભાવ છે, ત્યાંના કેટલાક શીખો હજી તેની તરફેણમાં છે. આ વર્ગના મત ટ્રુડોની સત્તા ટકાવી રાખવા માટે અનિવાર્ય છે અને માટે કેનેડામાં રહેતા કટ્ટરવાદી શીખ, જે ભારતના વિરોધીઓ છે તેમને ગમતા અને ગોઠતા નેરેટિવ્ઝ ટ્રુડો ચલાવે છે. ટ્રુડોની સત્તાનું સિંહાસન ડગમગી રહ્યું છે એટલે તેણે આ નેરેટિવનું તરણું ઝાલ્યું છે. અનિયંત્રિત ઇમિગ્રેશન, સત્તામાં રહેવાનો મોહ, ફુગાવો અને સંદિગ્ધ બનતી ઓળખ – આ ચારેય મુદ્દા ટ્રુડોની સત્તાને હચમચાવી રહ્યા છે. હવે ઘરમાં જ્યારે આટલી બધી હાંડલા-કુસ્તી ચાલતી હોય ત્યારે જો આંતરરાષ્ટ્રીય વિવાદ ખડો કરી દેવાય તો સ્થાનિક કટોકટી પરથી લોકોનું ધ્યાન ખસી જાય અને પોતાની સત્તા બચી જાય એવી ટ્રુડોની ગણતરી હોઇ શકે છે. કેનેડાની ચૂંટણીમાં ચીને કરેલો ચંચુપાત સંભાળવામાં ટ્રુડોને સરિયામ નિષ્ફળતા મળી છે ત્યારે ખાલિસ્તાની મુદ્દાને ઉછાળવું ટ્રુડોને સહેલું લાગે છે. ચીન સાથે ઝિંક ઝીલવા કરતાં ભારત પર દોષારોપણ એ ટ્રુડો માટે સહેલું હથિયાર બની ગયું છે એમ કહી શકાય. ચીન અને યુ.એસ.એ. સચવાય એ ટ્રુડોને માટે વધારે અગત્યનું છે. ટ્રુડો આ બધો હોબાળો કરીને ચીન સાથે સંબંધો સુધારવા માગે છે જેથી ઘર આંગણે આવી પડેલા રાજકીય પડકારોમાં તે સંતુલન મેળવી શકે. વળી જગમીત સિંઘની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીનો ટેકો મળે તો ટ્રુડોની સત્તા કેનેડામાં સચવાઇ જાય. કેનેડાએ ભૂતકાળમાં પણ રાજકીય દબાણને કારણે ક્યારે ય કટ્ટરવાદને નાથ્યો નથી, ખાસ કરીને ખાલિસ્તાની તત્ત્વોને (જે કેમ ખાલિસ્તાનના નામની માળા જપે છે એ સમજાતું નથી કારણ કે એ ચળવળનો અંત વર્ષો પહેલાં આવી ગયો છે) અને હવે એ સત્તા સાચવવા માટે અનિવાર્ય અનિષ્ટ બની ગયા છે. કેનેડાનું અર્થતંત્ર એક બહુ મોટું પાસું છે જે પાખું થઇ રહ્યું છે. 2008ની વૈશ્વિક મંદીમાંથી સફળતાપૂર્વક માર્ગ કાઢનારા દેશોની વાત થાય ત્યારે કેનેડાના વખાણ થતા. જો કે ‘બિગ ટેક’ની રેસમાં કેનેડા પાછળ રહી ગયું અને કોરોનાવાઇરસ રોગચાળા પછી કેનેડાનો GDP સંકોચાતો રહ્યો છે. અત્યારે પણ કેનેડા પાસે ન તો કોઇ મોટી ટેક કંપની છે કે ન કોઇ મોટા બિઝનેસ છે. માત્ર રિયલ એસ્ટેટ પર અર્થતંત્ર ન ચાલે, ખાનગી ક્ષેત્રોમાં વ્યવસાય કે ઉદ્યોગનાં ઠેકાણાં નથી. ગણીગાંઠી સરકારી રોજગારીને આધારે અર્થતંત્ર મજબૂત છે એવું ન કહેવાય. લોકો ટ્રુડોથી નારાજ છે અને માટે જ મતદાતાઓનું ધ્યાન બીજે દોરવા આંતરરાષ્ટ્રીય મુદ્દો ઉખેળવાની જૂની અને જાણીતી તરકીબ ટ્રુડોએ વાપરી છે.

આ તરફ કેનેડાની પોલીસે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં ભારતીય સરકારી અધિકારીઓની સંડોવણી ખંડણી અને હત્યાની ઘટનાઓમાં હોવાની વાત કરાઇ અને ટ્રુડોએ પણ એ બાબતે હકાર કર્યો. વળી આ બધું દેખાય છે એટલું સહેલું નથી. તમે રાજદ્વારી પદ પર હો ત્યારે તમને સુરક્ષા કવચ મળ્યા હોય, કેનેડા સરકાર ચાહે એટલે પૂછપરછ કરીને આક્ષેપો ન મૂકી શકે. સ્વાભાવિક છે કે ભારત સરકારે પોતાના અધિકારીઓને સલામત રાખ્યા અને એટલે ‘પર્સન્સ ઑફ ઇન્ટરેસ્ટ’ની યાદીમાં કેનેડાએ ભારતીય રાજદ્વારીઓનાં નામ જાહેર કર્યા જેને કારણે મામલો બિચક્યો. કેનેડાએ ભારતને એવી ધમકી પણ આપી કે જો તપાસમાં મદદ નહીં કરે તો તે G7 અને 5Ys સંગઠનના સાથીઓને ભારત વિરુદ્ધ કરી દેશે. ભારત અને કેનેડા વચ્ચેના વહેવારો પર પ્રતિબંધ આવી જવાની પણ વકી છે.

ભારત સ્વાભાવિક રીતે એમ ઇચ્છે કે ભારત વિરોધી નાગરિકો અને આતંકવાદી કે કટ્ટરવાદીઓને કેનેડાએ ભારતને સોંપી દેવા જોઇએ, તેમને માથે ન ચઢાવવા જોઇએ. પણ કેનેડાની સરકાર ત્યાની નાગરિક્તા ધરાવતા દરેકની રક્ષા કરવા માગે છે, કારણ કે એ તેમની વોટબેંક છે. આ તરફ ‘ગાર્ડીયન’ના રિપોર્ટ અનુસાર  2020થી વીસથી વધુ લોકો જે ભારત વિરોધી હતા તે અલગ અલગ દેશોમાં ભેદી રીતે માર્યા ગયા છે. આમાંથી ઘણાં લોકો પાકિસ્તાનના જુદા જુદા આતંકી જૂથ સાથે જોડાયેલા હતા અને તેમની હત્યા પછી પુલવામા હુમલા વગેરેમાં તેમની સંડોવણી હોવાની વાત કરી તેમના મોતને યોગ્ય ઠેરવાયા છે. બીજી બાજુ  ખેડૂત આંદોલન પછી ખાલિસ્તાનીઓને ટાર્ગેટ કરાયા. એમાં સૌથી પહેલો ભોગ લેવાયો પરમજીત સિંઘ પંજવારનો જે ગયા વર્ષે લાહોરમાં માર્યા ગયા. એ પછી યુનાઇટેડ કિંગ્ડમમાં રહેનારા ખાલિસ્તાનીઓને ધમકીઓ મળવા માંડી અને નિજ્જર તથા સુખદૂલને કેનેડામાં મોતને ઘાટ ઉતારાયા. વિદેશી અખબારના રિપોર્ટ અનુસાર આ હત્યામાં ઉચ્ચ સ્તરીય ભારતીય એજન્ટોનો અંગુલી નિર્દેશ હતો. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના રિપોર્ટમાં તો અમિત શાહનું જ નામ લખાયું છે. હવે જ્યારે કેનેડા અમેરિકી અખબારને આવી માહિતી આપવામાં ખચકાય નહીં ત્યારે એ સાબિત થઇ જાય છે કે કેનેડા અને ભારતના સંબંધો હવે સુધરે એવી શક્યતાઓ નહીં જેવી છે.

યુ.એસ.એ. ભારત સાથે માહિતી વહેંચે છે પણ કેનેડાએ આવું કંઇ કરવાની તસ્દી નથી લીધી એવું તો તેઓ કબૂલ પણ કરી ચૂક્યા છે. નિજ્જર કેસને મામલે ભારતે કેનેડા સાથે આકરો વહેવાર કર્યો એવું જ્યારે પન્નુના કેસમાં અમેરિકા સાથે કરવાનું આવ્યું તો ભારતનું વલણ જુદું જ હતું. આ તરફ અમેરિકાએ પણ આ મુદ્દાને જાહેર કૌભાંડ ન બનાવતાં નક્કર પુરાવાની વાતને આગળ કરી અને રાજદ્વારી ઢબે તેનું સંબોધન ક્રયું. અમેરિકાએ પણ પન્નુ કેસમાં ભારત પર આવા જ આક્ષેપો કર્યા છે પણ ભારતે ત્યાં આડોડાઇ નથી બલ્કે સ્વીકાર્યું છે કે એવા એક અધિકારી હતા જે અમેરિકાના એક નાગરિકને પતાવી દેવા માગતા હતા પણ તેમને હવે પદ પરથી ખસેડી લેવાયા છે. એટલે કે પન્નુના મામલે અમેરિકા અને ભારતનો અભિગમ વ્યવસાયી અને વહેવારુ છે, પણ ટ્રુડોએ પોતાના સ્વાર્થ માટે આંતરરાષ્ટ્રીય સંબંધો અસ્તવ્યસ્ત કરી નાખ્યા. એક સમયે કેનેડામાં ‘યર ઑફ ઇન્ડિયા’ની ઉજવણી કરાઇ હતી અને હવે બન્ને દેશોના સંબંધો એવા ત્રિભેટે આવ્યા છે કે ત્યાંથી કશું રાતોરાત સુધરી જશે એમ માનવું ભૂલ ભરેલું હશે.

બાય ધી વેઃ

કેનેડાના રાજકારણમાં જે ટ્રુડોના વિરોધીઓ છે તે પણ કેનેડાના નાગરિકોની સલામતીને અગ્રિમતા આપે છે એટલે કેનેડા સાથેના આ બગડેલા સંબંધો ટ્રુડોના હોવા કે ન હોવાથી સુધરશે ખરા? આમ જોઇએ તો ઇઝરાયલ અને અમેરિકા પણ પોતાના દુ:શ્મનોને શોધી શોધીને તેમનો ખાત્મો બોલાવે છે પણ એમની પર આંગળી ચિંધવાની હિંમત કોઇ નથી કરતું. યુ.એસ.એ. પણ કદાચ કેનેડાની આડોડાઇને માધ્યમ બનાવીને ભારતને સંદેશ આપવા માગતો હોય કે તમે વૈશ્વિક સ્તરે જાતને શક્તિશાળી સાબિત કરવા  માટે થનગનતા હશો, પણ મર્યાદામાં રહેજો. હજી સમય છે કે સઘળું સચવાઇ જાય પણ એ માટે બન્ને દેશમાંથી કોઇ એકે પોતાની ભૂલ માની લઇને રાજનૈતિક શાલીનતાથી વાટાઘાટ કરીને મામલો થાળે પાડી લેવો જોઇએ. કેનેડા ભારતીય ગુનેગારો અને માફિયાઓ માટે જાણે એક ‘સેફ હેવન’ બની ગયું છે, ભારત સરકારને લાગે છે કે ફાસ્ટ ટ્રેકિંગ વિઝા અને નાગરિક્તા આપવાની કેનેડાની નીતિનો આ ગુનાઈત તત્ત્વો લાભ ઉઠાવે છે અને બન્ને રાષ્ટ્રોમાં પોતાની કામગીરી ચલાવે છે. જસ્ટિન ટ્રુડો માટે ‘ઘો મરવાની થાય’ વાળી કહેવત વાપરવી જોઇએ? પોતાની નિષ્ફળતાની વાતો મીડિયામાં ચર્ચાવા માંડી ત્યાં તેમણે ભારત સાથે રાજદ્વારી કટોકટી ખડી કરીને માહોલ ફેરવી નાખ્યો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑક્ટોબર 2024

Loading

...102030...383384385386...390400410...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved