Opinion Magazine
Number of visits: 9664631
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભ્રષ્ટાચાર અને દેશની સંપત્તિની લૂંટ ‘વ્યક્તિગત બાબત’ છે?

રમેશ સવાણી|Opinion - Opinion|16 February 2025

ભારતના વડા પ્રધાન મોદીજીની એક જ લાયકાત છે કે તેઓ કોર્પોરેટ કંપનીઓની ચોકીદારી ઉત્તમ રીતે કરી શકે છે ! એટલે જ અદાણી / અંબાણીની માલિકીના મીડિયા મોદીજીની સતત સ્તુતિ કર્યા કરે છે. જ્યાં પણ આલોચના કરવાની ફરજ પડે ત્યાં ‘તંત્ર’ પર દોષનો ટોપલો ઢોળીને મોદીજીને દેવદૂત સાબિત કરે છે ! આ કોર્પોરેટ મીડિયા તથા ગોદી મીડિયા મોદીજીને દેશની સમસ્યાઓ અંગે પ્રશ્નો પૂછવાને બદલે ‘તમે ખિસ્સામાં પાકીટ રાખો છો કે નહીં? કેરી કાપીને ખાવ છો, કે ચૂસીને? આટલી ઊર્જા ક્યાંથી મેળવો છો?’ એવા એવા સાવ વાહિયાત સવાલો પૂછે છે. દેશની આર્થિક કમ્મર તોડનાર નોટબંધી હોય કે કોરોના દરમિયાન 40 લાખથી વધુ મોત થયા હોય, એક સાદી પ્રેસ કોન્ફરન્સ કરી નથી, એક તરફી મન કી બાત જ કરી છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડા પત્રકારોથી ડરે છે કેમ? 

‘મોદી હૈ તો મુમકિન હૈ / નોન બાયોલોજીકલ / અવતારી / વિશ્વના સૌથી લોકપ્રિય નેતા’ વગેરેની છાપ કોર્પોરેટ મીડિયાએ બનાવી છે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની હાજરીમાં અમેરિકન પત્રકારે ‘અદાણી સામે શું પગલાં લીધાં?’ આ પ્રશ્ન પૂછતાં કોર્પોરેટ મીડિયાએ બનાવેલ વડા પ્રધાનની કલઈ જ ઊખડી ગઈ !

‘અદાણી સામે શું પગલાં લીધાં’ આ પ્રશ્નનો જવાબ મોદીજીએ આપ્યો : ‘અમારા સંસ્કાર અને સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમ્‌ની છે. અમે આખા વિશ્વને પોતાનો પરિવાર માનીએ છીએ. દરેક ભારતીયને હું મારા પોતાના માનું છું. બીજું કે આવી વ્યક્તિગત બાબતો માટે બે દેશના વડા ન મળે છે, ન બેસે છે, ન તો વાત કરે છે !’

સવાલ એ છે કે અદાણી સામે શું પગલાં લીધાં તેમાં વસુધૈવ કુટુમ્બકમ્‌ કઈ રીતે આવે? સંસ્કાર અને સંસ્કૃતિ કેમ ઘૂસાડી દીધા હશે? અને વાસ્તવમાં ‘દરેક ભારતીયને પોતાના’ માનતા હોય તો સીધા પ્રશ્નનો જવાબ અસંબંધિત આપે? વિદ્યાર્થીઓને પરીક્ષા કેમ આપવી તેના ઉપદેશો આપનાર વડા પ્રધાન પોતે પ્રશ્નોના જવાબ કઈ રીતે ટાળે છે, એનું ઉદાહરણ પૂરું પાડતા નથી? અદાણી અંગેનો પ્રશ્ન કઈ રીતે ‘વ્યક્તિગત બાબત’ કહેવાય? એક જ પ્રશ્નએ, મોદીજીની લેંગ્વેજ અને બોડી લેંગ્વેજ બદલી નાખી ! ત્રણ ત્રણ ટર્મના શાસન છતાં મોદીજીને આ પ્રકારના સવાલનો સામનો કરવાની કોઈ પ્રેક્ટિસ જ નથી; કેમ કે ગોદી મીડિયાની સ્તુતિએ મોદીજીને દિવ્યાંગ બનાવી દીધા છે ! પત્રકાર તુષાર દવે કહે છે : ‘પત્રકારોએ કરોડરજ્જુ ભંગાવીને બંગલા બાંધ્યા છે, એન્કર્સ કરતાં સારા સવાલો કૉમેડિયનો ઉઠાવે છે !’

14 ફેબ્રુઆરી 2025ના રોજ, રાહુલ ગાંધીએ કહ્યું છે : “દેશમાં સવાલ પૂછો તો મૌન ! સવાલ પૂછનારને હેરાનગતિ / જેલ ! વિદેશમાં સવાલ પૂછો તો ‘વ્યક્તિગત બાબત’ ! મોદીજીએ અમેરિકામાં પણ અદાણીના ભ્રષ્ટાચારને ‘વસુધૈવ કુટુમ્બકમ્‌’ના પડદા હેઠળ ઢાંકી દીધો ! જ્યારે મિત્રનું ખિસ્સું ભરવું તે મોદીજી માટે રાષ્ટ્રનિર્માણ હોય ત્યારે ભ્રષ્ટાચાર અને દેશની સંપત્તિની લૂંટ ‘વ્યક્તિગત બાબત’ બની જાય છે !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમારાં બા

ઉમાશંકર જોશી (સંકલન : ભદ્રા-વિક્રમ સવાઈ)|Gandhiana|16 February 2025

૨૨ ફેબ્રુઆરી, કસ્તૂરબાની પુણ્યતિથિ. ‘બા’ અંગે આમ તો ઠીક ઠીક લખાયું છે. પણ ગાંધીજીની સરખામણીએ ‘બા’ અંગેનાં પુસ્તકો ઓછાં છે. ‘બા’ને સમજવા માટે પણ ગાંધીજીએ ક્યાંક લખ્યું છે એનો જ આધાર લેવો જરૂરી બન્યો છે.

આ નિમિત્તે વનમાળાબહેન પરીખ અને સુશીલાબહેન નય્યરના પુસ્તક ‘અમારાં બા'(નવજીવન પ્રકાશન)ને લઈને થોડી વાતો જણાવવી છે. આ પુસ્તક અંગે ‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી માર્ચ, ૧૯૪૬માં ઉમાશંકરભાઈ જોશીએ કેટલુંક પુસ્તકપરિચય અંગે જણાવ્યું છે તે જોઈએ.

•

‘ગાંધીજી જેવા દુરારાધ્ય પતિને બા શી રીતે રીઝવી શક્યાં ? ‘કેવળ સ્વેચ્છા’ના બળથી. જેમ જેમ બા ગાંધીજીને સેવાકાર્યમાં સમાતા જુએ છે, તેમ તેમ ગાંધીજીમાં – એટલે કે એમણે આંકેલા સેવાકાર્યમાં પોતે પણ સમાતાં જાય છે. પણ એ નક્કી કર્યું એમણે પોતે. એ સંકલ્પબળ અને સંકલ્પને જીવનભર જીરવવાનો પ્રયત્ન – એમાં બાની ખરી સિદ્ધિ છે. આખી પ્રક્રિયા બાના જ એક ઉદ્ગારમાં સ્પષ્ટ થાય છે : ‘તમારું મન જાણી લીધા પછી આપણે તો આપણું મન વાળી લીધું.’

બાનું આવું વલણ તે ગાંધીજીના પોતાના જ શુભ નિર્ણયનો મંગલ પ્રતિધ્વનિ છે. પણ તેઓશ્રી એનું બધું જ શ્રેય આપણી સંસ્કૃતિને આપે છે : ‘આ ગુણ હિંદુસ્તાનની ભૂમિને કદાચ વધુમાં વધુ ભાવે છે.’ આ જ વાત એમણે અન્ય પ્રસંગે પણ ભારપૂર્વક કહી છે : ‘મારી પત્ની વિશેનો મારો પ્રેમ અને મારી લાગણી હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ વિશેનો મારો પ્રેમ અને મારી લાગણીઓ હું વર્ણવી શકું.’ અને તેથી લોર્ડ વેવલને જવાબ આપતાં પોતાને સત્યાગ્રહનો પ્રથમ પાઠ આપનાર ગુરુ તરીકે બાને તેઓ ઓળખાવે છે ત્યારે નવાઈ લાગતી નથી. આવો એક પાઠ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે બાને જેલ પછીની ભારે માંદગીમાં સારવાર કરતાં કઠોળ-મીઠું છોડાવવા પોતે પણ છોડ્યાં એ છે.

બાએ ગાંધીજીને તેમના કડક આત્મનિરીક્ષણનું એક વધુ દૃષ્ટિબિંદુ સતત પૂરું પાડ્યા કર્યું હશે. વસુધૈવ કુટુંબકમ્‌ની સ્થિતિએ પહોંચતાં પહેલાંની શિથિલતાની પળો વખતે, પોતે જેનું સંકુચિત કુટુમ્બસુખ ઉખેડી નાખ્યું તે બાનું ‘બસ, થાક્યા ?’ એવું વહાલસોયા ઠપકાભર્યું ચિત્ર જરૂર ગાંધીજીને પ્રેરણાદાયક નીવડી રહ્યું હશે. અને પોતાના પગલામાં પગ મૂકી પાછળ ચાલી આવતી તપસ્વિનીને જોઈ ઘણી વાર એમણે પગમાં નવું જોમ અનુભવ્યું હશે.

બંને વચ્ચેના અતૂટ મેળનું તો એક અંગ્રેજનું અવલોકન મર્મગ્રાહી છે : ‘મેં એ દંપતીને એક વાર પણ એકબીજાંની સામે નજર માંડતાં ન જોયાં. પણ મારી ખાતરી છે કે એકબીજાંના મનમાં શું ચાલી રહ્યું છે તે બંને જાણતાં હતાં.’

પતિપત્ની જીવનરથનાં બે ચક્ર જેવાં ગણાય. ગાંધીજી જેવા ધર્મવીરને લગ્નજીવન નિર્મિત જ હતું તો એકંદરે આથી વધારે સુભગ યોગ ભાગ્યે જ કલ્પી શકાય. એક ચક્રના હકથી બીજાની ગતિ કદી ખોટકાઈ પડી ન હતી, હંમેશ અનુકૂળતા જ સાંપડી હતી. બાનો અંત જ જુઓ. ક્યાં એમનો જન્મ ? ક્યાં ક્યાં ને કેવું કેવું જીવન ? અને આખરે મૃત્યુ ક્યાં ? જેલખાનામાં ! પતિની ધર્મપ્રવૃત્તિને ઈષ્ટ એવું પોતા તરફથી એ છેલ્લું અને સૌથી મહાન અર્પણ.

[14 ફેબ્રુઆરી 2025]

•

લેખિકા બહેનો(વનમાળાબેન‌ પરીખ અને ડૉ. સુશીલા નૈયર)એ આપેલી હકીકતો જોતાં પણ સ્પષ્ટ થાય છે કે બાના આત્મવિકાસમાં ગાંધીજીએ કદી કોઈ જાતની ચોરી કરી નથી. પોતાનો રાગરહિત સદ્ભાવ જે સૌ જીવો ઉપર અનાયાસે વરસ્યા કરે તેમાં બાને પણ ભાગીદાર જરૂર ગણ્યાં હતાં. 1938ના એક પત્રમાં બાપુ લખે છે : ‘મેં તારા માથા ઉપર જતાં હાથ પણ ન મૂક્યો, મોટર ચાલી ને મને પણ લાગ્યું. પણ તું દૂર હતી. હવે તને બહારની નિશાની જોઈએ કે? ….’

બીજા કોઈ પણ માણસની બાબતમાં જે વ્યવહાર ક્યારેક હાસ્યાસ્પદ બની રહે તે ગાંધીજીમાં માણસાઈની પતાકારૂપ શોભી ઊઠે છે. કારણ કે વ્યવહારના એમના ઝીણા ઉકેલો પાછળ નિર્ભેળ કારુણ્યની જ પ્રવૃત્તિ હોય છે. ’42માં બારડોલીમાં બા બીમાર હાલતમાં ‘આટલે વર્ષ મને વિજોગ પડે ને ?’ એમ કરતાં આવી પહોંચે છે ત્યારે, બા નહિ તો દાદર ચડી ઉપર આવશે એમ ખાતરી હોઈ, તે શ્રમમાંથી તેમને બચાવવા ગાંધીજી નીચે ઊતરી આવે છે અને કોડીલા કંથની જેમ સામે જઈ ગાડીમાંથી બાને ઉતારે છે. 

છેલ્લા દિવસોમાં બા ગાંધીજી પાસે ગીતા શીખતાં, પંજાબી નદીઓનાં નામ ગોખતાં, ગુજરાતીનો અભ્યાસ વધારતાં ત્યારે ગાંધીજી નદીઓનાં નામ ગોખતાં, ગુજરાતીનો અભ્યાસ વધારતાં, ત્યારે ગાંધીજી ગુજરાતી વાચનમાળાની કવિતાઓના રાગ ગાઈ બતાવતા. સાંજને વખતે વૃદ્ધ પતિપત્ની સાથેસાથે કવિતાઓ ગાતાં હોય એ દૃશ્ય ઉપર તો સારું હતું કે સરોજિનીદેવી જેવાં હસનાર ત્યાં હતાં … પણ બધા જ પ્રસંગ હસવાના નથી હોતા.

એક પ્રસંગ તો એવો કરુણ છે કે કવિઓની કલ્પનામાં પણ એવા પ્રસંગ બહુ નહિ આવ્યા હોય. દંડકારણ્યમાં રાક્ષસી લીલાથી ક્ષણભર ત્રાસેલાં સીતાને ‘તમે કહો તો આપણે અયોધ્યા પાછાં જઈએ,’ એમ રામ કહે એવા પ્રસંગની જરી કલ્પના કરી જુઓ. સીતા હા પાડે જ નહિ, પણ એક વાર વચન નીકળી ગયા પછી એ પ્રમાણે રામ વર્તે નહિ એ તો ન જ બને. બાનું મન આ વખતે ગાંધીજીને સરકારે પકડ્યા તે પરથી ખાટું થઈ ગયું હતું એમ ગાંધીજીએ જ નોંધ્યું છે, પણ તેનું પરિણામ ક્યારે ય પણ એક ક્ષણાર્ધ માટે પણ ગાંધીજીને હસવામાં ય ‘તું કહે તો હું માફી માગું’ એવું કહેવામાં આવે એ ઘટના મનુષ્યજીવનમાં કેવી પારાવાર કરુણતા વણાયેલી છે એનો જ ઈશારો છે.

પૂ. બાના ચરણે શત શત નમન.

[15 ફેબ્રુઆરી 2025]
ઉમાશંકર જોશીકૃત ‘જીવનનો કલાધર’
[‘ભૂમિપુત્ર’માંથી સાભાર]
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 241 − 242

Loading

ચલ મન મુંબઈ નગરી—276

દીપક મહેતા|Opinion - Opinion|15 February 2025

બાંધ ગઠરિયાં મૈ તો ચલી : ગાંધીરંગે રંગાયેલાં મીઠુબહેન પિતિત         

એક હતી છોકરી. હોશિયાર, ચાલાક, મીઠડી. અરે! એનું નામ જ હતું મીઠુ. ઘરમાં પૈસાની રેલમછેલ. મીઠુ અને ઘરનાં બીજાં બાળકો જે માગે તે તેમને મળે. અઠવાડિયામાં બે-ચાર વાર બે ઘોડાની, પડદાવાળી બગીમાં બેસીને મીઠુ ખરીદી કરવા બજાર જાય. જે જણસ નજરમાં વસે, તે ખરીદી લેવાની. ના, પોતાને માટે નહિ. સ્કૂલમાં સાથે ભણતાં છોકરા-છોકરીઓ માટે. કોઈની પાસે નોટ બૂક નથી, કોઈને પેન્સિલની જરૂર છે. કોઈનાં કપડાં અભોટાં થઈ ગયાં છે. કોઈ ફાટેલાં તૂટેલાં પગરખાં પહેરીને આવે છે – આવી એકેએક વાત મીઠુના મનમાં નોંધાઈ ગઈ હોય. અને પછીની ખેપમાં એ બધું ખરીદી લે, અને જરૂરતમંદને પહોંચાડી દે. અલબત્ત, પોતે તો કાયમ વિલાયતી કપડાંમાં ફૂલફટાક થઈને જ ફરે. 

માતા પીરોજબાઈ અને પિતા હોરમસજી સાથે બાળક મીઠુ

પછી ઊગ્યો ૧૯૧૫ના જાન્યુઆરીની ૧૪મી તારીખનો દિવસ. મકર સંક્રાંતિનો દિવસ. તે દિવસે હવાની રૂખ બદલાય. જહાંગીર પિતિતના વિશાલ બંગલામાં સવારથી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સાંજે મોટી ગાર્ડન પાર્ટી હતી. નામદારો અને આમદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, નેતાઓ અને નામાંકિત નાગરિકો – કંઈ કેટલા ય લોકોને આગમ ચ નોતરાં મોકલાઈ ગયાં હતાં : ‘દક્ષિણ આફ્રિકાથી આવેલાં મિસ્ટર અને મિસિસ ગાંધીને મળવા અમારે બંગલે ગાર્ડન પાર્ટી રાખી છે. જરૂરથી આવજો જ.’ 

સાંજ પડી. એક પછી એક મહેમાનો આવવા લાગે છે. અને આવી પહોંચે છે મિસ્ટર અને મિસિસ ગાંધી. થોડે દૂર ઊભેલી પેલી મીઠુ બંનેને તાકી તાકીને જોઈ રહે છે. બંનેનો પહેરવેશ સાવ સાદો, સફેદ. પુરુષને માથે સફેદ કાઠિયાવાડી ફેંટો. સફેદ અંગરખા પર સફેદ ખેસ. સફેદ ધોતિયું. તેની પત્નીએ પહેર્યાં છે બંધ ગળાનું, લાંબી બાયનું સફેદ બ્લાઉઝ અને આછા બુટ્ટાવાળી સફેદ સાદી. હાથમાં બંગડીઓ. મીઠુનું મન વિચારે ચડે છે : આવા, સાવ સાદા વર-વહુને મળવા કેટલા અને કેવા કેવા લોકો આવ્યા છે! માણસની સાચી ઓળખ એનાં કપડાં કે ઘરેણાં નહિ, એની સાદાઈ અને સારપ છે. મન તો થાય છે પાસે જઈને વાત કરવાનું. પણ એમ કાંઈ જવાય? કેવા કેવા મોટા માણસો આ બે મહેમાનો સાથે બેઠા છે! સર ફિરોજશાહ મહેતા, મહંમદ અલી ઝીણા, કનૈયાલાલ મુનશી, અરે! નામ ગણતાં પણ થાકી જવાય!

 

જહાંગીર પિતિતનો વિશાળ બંગલો

બાવા અને મમ્મા પૂરેપૂરાં અંગ્રેજ-ભક્ત. પણ કુટુંબના બીજા કેટલાક ધીમે ધીમે અલગ પડીને આ દક્ષિણ આફ્રિકાથી આવેલા પતિ-પત્ની સાથે હળવા-ભળવા લાગ્યા. તેમને મદદ કરવા લાગ્યા. મીઠુ પણ પોતાનાથી બને તેટલી મદદ કરવા લાગી. અને એક દિવસ એ વાત બાવા હોરમસજીને કાને પડી. હોરમસજી પૂરેપૂરા તાજના રાજના ભક્ત. નોકરોને હુકમ છૂટ્યો : અત્તર ઘરી મીઠુને હાજર કરો. મીઠુ આવી. 

‘આય બધું સુ ચાલે છે? પેલા આફ્રિકાથી આવેલા મોહનદાસને અને તેના અંગ્રેજવિરોધી સાગરિતોને ટુ મદદ કરે છે? પૈસા આપે છે?’ 

પહેલાં કોઈ દિવસ કર્યું નહોતું તે આજે દીકરી મીઠુએ કર્યું : ડેડીની આંખમાં આંખ મેળવીને ધીમે પણ મક્કમ અવાજે બોલી. 

‘તમારું કામ સરકારની સાથે ઊભા રહેવાનું છે. મારું કામ લોકોની સાથે ઊભા રહેવાનું છે. તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો.’ 

‘હું મારું કામ કરસ ને, તે દહારે તારી આંખે ધોળે દિવસે તારા દેખાશે, તારા.’ 

‘મને મારો તારક મળી ગયો છે, મોહનદાસ કરમચંદ ગાંધી. હવે તમારી જાહોજલાલી તો મારે મન તણખા જેવી છે. આજે હોય, કાલે ન હોય.’ 

બીજે જ દિવસે હોરમસજી શેઠે વકીલને ઘરે બોલાવ્યા. સહી સિક્કા કરેલા ખતપત્ર તૈયાર કરાવ્યા. “હું, હોરમસજી પિતિત, શુદ્ધ બુદ્ધિથી અને સ્વસ્થ મનથી લખી જણાવું છ કે મારી પછી, મારી સ્થાવર-જંગમ મિલકતમાં મારી દીકરી મીઠુનો એક કાની કોડીનો બી ભાગ રહેશે નહિ.” બે દિવસ પછી પિતિત શેઠનાં ધણિયાણી પીરોજબાઈએ પોતાના વકીલને બોલાવી કાગળપત્ર તૈયાર કરાવ્યા : “મારી પછી, મારાં સોના, રૂપાનાં તથા બીજાં બધ્દ્ધાં જ ઘરેણાં મારી દીકરી મીઠુને ભાગે જશે. બીજા કોઈનો તેમાં ભાગ રહેશે નહિ.” 

પણ મીઠુના મનની સ્થિતિ તો ત્યારે કૈક આવી હતી :

બાંધ ગઠરિયાં મૈં તો ચલી

સુન્ના ન લીયા, રૂપા ન લીયા,

ન લીયા સંગ જવાહર રી,

ખાખ ભભૂતકી છોટી સરિખી

બાંધ ગઠરિયાં મૈં તો ચલી

માયજીએ ભલે પોતાનાં બધ્ધાં ઘરેણાં આપી દીધાં, પણ મીઠુએ તો ઘરેણાં પહેરવાનું જ છોડ્યું. આજ સુધી તેના અંગ પર મોંઘા દાટ પરદેશી પોષાક શોભતા હતા તે છોડ્યા. તેની જગ્યા લીધી સાદી સફેદ સાડીએ. ગાંધીજીની પ્રેરણાથી સરોજિની નાયડુ અને પેરીન નવરોજીએ રાષ્ટ્રીય સ્ત્રી સભાની સ્થાપના કરી હતી. આ સંસ્થાની બહેનો ઘરે ઘરે ફરીને ખાદી વેચવાનું કામ કરતી. પહેલાં તો બહાર જતી વખતે મીઠુના હાથમાં રૂમાલ મૂકવા માટે બે-ત્રણ નોકરો ખડે પગે ઊભા રહેતા. પણ હવે એ જ મીઠુ ખાદીનાં પોટલાં ખભા પર મૂકીને રોજ કેટલાયે મકાનના દાદરા ચડ-ઊતર કરતી થઈ ગઈ! પણ હા! હજી પેલાં વિલાયતી કપડાં ઘરને કોક ખૂણે સાચવી રાખેલાં ખરાં!

પણ પછી … પરદેશી રાજ સામેની લડતના ભાગ રૂપે ગાંધીજીએ લોકોને વિલાયતી કાપડનો બહિષ્કાર કરવાની હાકલ કરી અને વિલાયતી કાપડની જાહેરમાં હોળી કરવાનું આવાહન કર્યું. એની શરૂઆત મુંબઈથી કરવાનું ઠરાવ્યું. તારીખ ૩૧ જુલાઈ ૧૯૨૧. સ્થળ પરળમાં આવેલી એલ્ફિન્સ્ટન મિલ સામેનું કંપાઉંડ. સહેજ કંપતા હાથે મીઠુએ પોતાનાં વિલાયતી કપડાં ભેગાં કર્યા. ખાદીની ચાદરમાં બાંધ્યાં. અને પછી … પરળ જઈને એ પોટલું અગ્નયે સ્વાહા!

પછી ખેડા જિલ્લામાં ભયંકર પૂર આવ્યું ત્યારે મીઠુબહેન ત્યાં ઉપડ્યાં. વિઠ્ઠલભાઈ પટેલની આગેવાની નીચે આખો જિલ્લો ખૂંદી વળ્યાં. ગરીબી એટલે શું, એ વાતનો હવે ખરો ખ્યાલ આવ્યો. વલ્લભભાઈ પટેલ અને ઠક્કરબાપાનો પરિચય થયો. બારડોલીની લડત વખતે ઘરે ઘરે ફરીને ‘આ લડત શા માટે’ એ સ્ત્રીઓને સમજાવ્યું મીઠુંબહેને. ૧૯૨૯માં દારૂનાં પીઠાંનો બહિષ્કાર કરવાની હાકલ ગાંધીજીએ કરી. ત્યારે મીઠુબહેન તેમાં જોડાયાં અને ધરપકડ થઈ. એ તેમની પહેલી ધરપકડ. જેલમાંથી છૂટ્યા પછી આદિવાસીઓ અને ગામડાના લોકો માટે સતત કામ કરતાં રહ્યાં. સરદાર પટેલ તેમના આ કામથી એટલા તો પ્રભાવિત થયા કે મીઠુબહેનને ‘દીનભગિની’નું બિરુદ આપ્યું. તો ગામડાના લોકો તેમને ‘માઈજી’ તરીકે ઓળખતા થયા. અને મીઠુબહેને નક્કી કર્યું : બાકીની બધી જિંદગી ગામડામાં. મુંબઈના મહેલ જેવા ઘરને હવે રામ, રામ. અને પછી જીવનભર મીઠુબહેને મુંબઈના ઘરમાં પગ ન મૂક્યો!

દાંડી યાત્રામાં મીઠું ઉપાડતા ગાંધીજીની બાજુમાં ઊભેલાં મીઠુબહેન

૧૯૩૦, માર્ચ મહિનો. આઝાદીની લડતના ભાગ રૂપે ગાંધીજીએ નમકનો કાનૂન તોડવા માટે ‘દાંડી યાત્રા’નું આયોજન કર્યું. આ યાત્રા માટે તેમણે જે ૭૮ સાથીઓની પસંદગી કરી તેમાં એક પણ સ્ત્રીનો સમાવેશ કર્યો નહોતો. પણ એટલે કોઈ સ્ત્રી તેમાં ભાગ ન લે એવું બને? ગાંધીજી જે દિવસે કાનૂનભંગ કરે તે જ દિવસે મોટર દ્વારા દાંડી પહોંચવાનું સરોજિની નાયડુએ નક્કી કર્યું. તેમના સાથી હતાં મીઠુબહેન. ગાંધીજી વાંકા વળીને મીઠું ઉપાડે છે એ ક્ષણનો ફોટો આજે પણ ખૂબ જાણીતો છે. એ ફોટામાં સફેદ સાડી પહેરેલી જે સ્ત્રી ગાંધીજીની બાજુમાં ઊભી છે તે જ મીઠુબહેન. 

પાકટ વયે મીઠુબહેન 

બીજે વરસે ગાંધીજી અને સરદાર પટેલની પ્રેરણાથી મીઠુબહેને ગામડાના લોકો અને આદિવાસીઓની સેવા કરવાના ઈરાદે ગુજરાતમાં મરોલી ખાતે કસ્તૂરબા સેવાશ્રમની સ્થાપના કરી. ૧૯૩૧ના જૂનની ૧૨મી તારીખે ગાંધીજીને હાથે તેનું ખાતમૂરત મીઠુબહેને કરાવ્યું. એ વખતે ગાંધીજીએ પૂછ્યું : “મીઠુબહેન! મારે હાથે પાયો નખાવો છો એની જવાબદારી સમજો છો?” તરત જવાબ મળ્યો : “હા બાપુ! હું અહીં જ દટાવાની છું.” અને પછી ખરેખર, એ આશ્રમ છોડીને બીજે ક્યાં ય ગયાં નહિ. આઝાદી પછી ભારત અરકારે ૧૯૬૧મા મીઠુબહેનને ‘પદ્મશ્રી’ના સન્માનથી નવાજ્યાં. ૧૯૭૩ના જુલાઈની ૧૬મી તારીખે મીઠુબહેનનો દેહાંત થયો. તેમના અંતિમ સંસ્કાર પણ આશ્રમમાં જ થયા. 

પિતિત ખાનદાનની બે દીકરીઓ. એક હતી રતન. પરધર્મી પ્રેમી ખાતર ઘરબાર, માબાપ, કુટુંબ, ધનદોલત, બધું છોડ્યું. બીજી હતી મીઠુ. તેણે પણ એ બધું જ છોડ્યું, પોતાના દેશને ખાતર. મહાત્માને ખાતર. બંનેના મૂળમાં હતો પ્રેમ. એકમાં વ્યક્તિ માટેનો. બીજીના મનમાં દેશ માટેનો. બંનેના મનમાં છેવટે તો કદાચ આ પંક્તિ ગુંજતી હશે :

છોડ મુસાફિર માયાનગર,

અબ પ્રેમનગર કો જાના હૈ. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 15 ફેબ્રુઆરી 2025

Loading

...102030...383384385386...390400410...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved