Opinion Magazine
Number of visits: 9871762
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંગલ પાંડેની શહીદી Vs ટેલિગ્રાફની શક્તિ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|19 July 2015

ડિજિટલ ઇન્ડિયાની વાતો આજકાલ બહુ સાંભળવા મળી રહી છે. આપણે હવે એવા સમયમાં પ્રવેશી ચૂક્યા છીએ, જેમાં કોઈ પણ દેશ માટે ડિજિટલના રંગે રંગાયા વિના છૂટકો જ નથી. ઇન્ફર્મેશન ટેક્નોલોજીના યુગમાં માહિતી અને માધ્યમ જ સાચી મૂડી અને તાકાત પુરવાર થઈ રહ્યાં છે. જો કે, માધ્યમોનો પ્રભાવ એ કંઈ આજકાલની વાત નથી, પણ જૂના જમાનામાં ટેક્નોલોજી આટલી વિકસી ન હોવાથી તેનો પ્રભાવ અન્ય પરિબળોમાં ઢંકાઈ જતો હતો. આજે ઇતિહાસ તરફ નજર કરવામાં આવે છે ત્યારે એવા કેટલાક પુરાવા સાંપડે છે, જેના આધારે માધ્યમોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પુરવાર થાય છે.

ભારતનો જ દાખલો લઈએ. શું કોઈ માની શકે કે બ્રિટિશરો સામેનો પ્રથમ સશસ્ત્ર સ્વાતંત્ર્યસંગ્રામ સફળ રહ્યો નહોતો, કારણ કે બ્રિટિશર્સ પાસે ટેલિગ્રાફની સેવા હતી?! હા, આ હકીકત છે. ટેલિગ્રાફનાં દોરડાંઓએ જ દેશના પહેલા આઝાદી આંદોલનને ગૂંગળાવી નાખ્યું હતું. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ પછી બ્રિટિશ ઇન્ડિયાના એડમિનિસ્ટ્રેટર સર રોબર્ટ મોન્ટગોમેરીએ નોંધેલું, 'ધ ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ હેઝ સેવ્ડ ઇન્ડિયા' મતલબ કે ટેલિગ્રાફને કારણે જ બ્રિટિશરો ભારત પરનો કબજો જાળવી શક્યા હતા. કદાચ ટેલિગ્રાફ ન હોત તો ૧૮૫૭ની સશસ્ત્ર લડતને કારણે અંગ્રેજોએ મુઠ્ઠીઓ વાળીને ભાગી જવું પડયું હોત. આ વાત માન્યામાં ન આવતી હોય તો જૂની દિલ્હીમાં આવેલા કાશ્મીરી ગેટની ટેલિગ્રાફ ઓફિસમાં લાગેલા ૨૦ ફૂટ ઊંચા ચોરસ સ્તંભ પરનું લખાણ વાંચી લેવું. આ લખાણમાં લશ્કરી બળવાને ડામવામાં ટેલિગ્રાફ ઓફિસના બ્રિટિશ કાર્યકરોની ભૂમિકાની વિસ્તૃત વાત રજૂ કરવામાં આવી છે. દિલ્હી એ સમયે મોગલ સામ્રાજ્યની રાજધાની હતી અને છેલ્લા મોગલ સમ્રાટ બહાદુરશાહ ઝફરના શાસનનો અસ્ત થવામાં હતો, કારણ કે દિલ્હીમાં પણ અંગ્રેજોનો પ્રભાવ વધતો જતો હતો. એ વખતે ૧૮૫૭માં અંગ્રેજોના લશ્કરમાં જોડાયેલા ભારતીય સૈનિકો અને નાનાં-મોટાં રજવાડાંઓ રાજવીઓએ અંગ્રેજો સામે લડતનું બ્યુગલ વગાડયું હતું. મેરઠ અને દિલ્હીના સૈનિકોએ અંગ્રેજો સામે બળવો કરીને દિલ્હી પર કબજો જમાવી દીધો હતો. એ વખતે દિલ્હીમાં બાવન બ્રિટિશરોની હત્યા થયેલી. એ વખતે સમગ્ર દેશમાં ફેલાયેલાં બ્રિટિશ થાણાંઓ અને કચેરીઓને તાત્કાલિક જાણ કરીને સાવધ કરવામાં ટેલિગ્રાફે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. લશ્કરી તાકાત કરતાં પણ સંદેશાવ્યવહારની આ તાકાતે બ્રિટિશરોને સ્થિતિ પર કાબૂ મેળવવામાં બહુ મદદ કરી હતી.

આજે ૧૮૫૭ના દેશના સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના પહેલા શહીદ મંગલ પાંડેનો જન્મદિવસ છે. મંગલ પાંડેની શહીદીએ જ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ છેડવાનો જુસ્સો પૂરો પાડયો હતો. આઝાદી આંદોલનના પહેલા શહીદ મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામે ૧૯ જુલાઈ, ૧૮૨૭ના રોજ થયો હતો. મંગલ પાંડે માત્ર ૨૨ વર્ષની વયે ૧૮૪૯માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાયો હતો અને બેંગાલ નેટિવ ઇન્ફન્ટ્રીનો સૈનિક બન્યો હતો. ગાય અને સૂવરની ચરબીવાળી રાઇફલનો ઉપયોગ કરવાની ના પાડીને તેણે અંગ્રેજ અફસરનો સામી છાતીએ વિરોધ કર્યો હતો અને તેના પર હુમલો પણ કર્યો હતો. આ માટે મંગલ પાંડેને ફાંસીની સજા કરવામાં આવી અને ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ તેને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો. ૨૯ વર્ષના યુવાન મંગલ પાંડેની શહીદી એળે નહોતી ગઈ, તેણે દેશવાસીઓને અંગ્રેજોનો બહાદુરીપૂર્વક વિરોધ-સામનો કરવા માટે પ્રેર્યા હતા.

જો કે, ૧૮૫૭માં ટેલિગ્રાફની ભૂમિકાએ માધ્યમની તાકાતનો પરચો આપ્યો હતો. આજનો યુગ જ જ્યારે માહિતી યુગ ગણાય છે ત્યારે માધ્યમો અને માહિતીની બોલબાલા છે. દેશના પ્રથમ વડાપ્રધાન અને વિઝનરી નેતા જવાહરલાલે સાચું જ કહ્યું હતું, "કોઈ પણ રાજ્ય કે લોકશાહી દેશમાં જો આ (પ્રસાર માધ્યમો) વિકસિત હોય કે જનકલ્યાણકારી વિકાસકાર્યો તરફ અગ્રેસર હોય તો લોકો વચ્ચે તમામ અવરોધ સમાપ્ત થઈ જવા જોઈએ અને આ કાર્ય માત્ર જનસંપર્ક-પ્રચારપ્રસાર દ્વારા જ શક્ય છે." આશા રાખીએ ડિજિટલ ઇન્ડિયામાં સામાન્ય નાગરિકો સુધી વધારે સુવિધાઓ પહોંચશે.

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : સમય સંકેત’ નામે લેખકની કૉલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જુલાઈ 2015

Loading

યશવંતભાઈ ત્રિવેદીને સ્મરણાંજલિ

રતિભાઈ પંડ્યા|Opinion - Opinion|18 July 2015

લોકભારતી – સણોસરા, ભાવનગરના પૂર્વઅધ્યાપક – કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની એવા યશવંતભાઈ ત્રિવેદીનું ૯૨ વર્ષની જૈફ ઉંમરે તાજેતરમાં અવસાન થયું. તેઓ નોંધ લેવા જેવા માણસ હતા, તેવું તેમની સાથેના મારા પંચાવન વર્ષના નિકટના સહવાસથી બેધડક કહી શકાય તેમ છે.

અમેરિકન પૂર્વ પ્રમુખ કૅનેડીનું એક વાક્ય યાદ આવે છે : ‘કોઈ પણ દેશ કે પ્રદેશમાં મોટા કે મહાન કહી શકાય એવા માણસો કેટલી સંખ્યામાં અને કેવા થઈ ગયા તે મહત્ત્વનું નથી, પરંતુ આવા માણસોની ગેરહાજરીમાં, તેમને પરિચિતો કે અપરિચિત લોકો કેટલા અને કેવી રીતે યાદ કરે છે અને માન આપે છે, તે મહત્ત્વનું છે.’ આને માટે તેમણે અંગ્રેજીમાં ‘remember’ અને ‘respect’ એવા બે શબ્દો વાપરેલા છે. યશવંતભાઈ મારા માટે અને તેમના ચાહકો-સ્નેહીઓ અને વિદ્યાર્થીઓ માટે યાદ રાખવા જેવા અને માન આપવા જેવા માણસ હતા, તેમ ખાતરીપૂર્વક કહી શકાય છે.

મનુભાઈ પંચોળી(દર્શક)ના તેઓ પ્રીતિપાત્ર હતા. એટલું જ નહીં, પરંતુ ‘દર્શક’સેનાના તેઓ આગલી હરોળના સૈનિક પણ હતા. મનુભાઈએ પાછલાં વર્ષોમાં પાલિતાણા પાસેના ઊંડાણના ગામ માયધારમાં અવિધિસરના શિક્ષણની સંસ્થા શરૂ કરી, તેમાં મોટી ઉંમરે પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં યશવંતભાઈ મનુભાઈ સાથે જોડાયા અને ત્યાં સહકુટુંબ રહેવા પણ ગયા. ત્યારે મેં તેમને પૂછેલું કે ‘લોકભારતી’ છોડી તમે પ્રતિકૂળ પરિસ્થિતિમાં માયધાર કેમ જવા વિચારેલ છે, ત્યારે તેમણે આપેલો જવાબ આ હતો : ‘જીવનમાં કેટલાક માણસો સાથે સ્વર્ગમાં રહેવા જવાને બદલે, મને પસંદ માણસો સાથે નરકમાં પણ રહેવા જવાનું કરું. મનુભાઈ મારા મનપસંદ માણસ છે. તેમની ઇચ્છાને હું આજ્ઞાસમાન ગણું છું આમ છતાં, સ્પષ્ટ વક્તા યશવંતભાઈ મનુભાઈની વાત સાથે અસંમત હોય, તો પણ મુક્ત મને વ્યક્ત કરતા મેં જોયા છે.

મનુભાઈની ઇચ્છાને માન આપી તેઓ મહુવા પાસેની કળસાર સંસ્થાના નિયામક તરીકે પણ ગયેલા. મૂળે તેઓ હિન્દી વિષયના અધ્યાપક, પરંતુ મુખ્ય ગૃહપતિ ઉપરાંત તેઓએ ‘લોકભારતી’ના ઉપ-નિયામક તરીકે ફરજ બજાવેલી. મૂળશંકરભાઈ ભટ્ટ ‘લોકભારતી’ છોડી, ભાવનગર રહેવા જતા રહ્યા, ત્યારે યશવંતભાઈ, તે ભાઈવાળા મકાનમાં રહેવા ગયેલા અને નિવૃત્તિ સુધી તે મકાનમાં રહ્યા. ભાઈના વિચારોને તેઓ વ્યવહાર તેમ જ વહીવટમાં યથાશક્તિ અમલમાં મૂકતા રહ્યા. સંસ્થા-વહીવટમાં મહત્ત્વના પ્રશ્નોમાં પોતાનો અભિપ્રાય કે નિર્ણય લેતાં પહેલાં મૂળશંકરભાઈને યાદ કરી તે મુજબ નિર્ણય લેતા.

૧૯૭૧માં હું અને યશવંતભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં સેનેટ સભ્ય તરીકે સાથે જતા, ત્યારે રાષ્ટ્રીય શાળામાં વજુભાઈ શાહ અને જયાબહેનને અવશ્ય મળવા જતા અને દોઢ-બે કલાક દેશ-દુનિયાના સાંપ્રત પ્રશ્નોની બુદ્ધિગમ્ય ચર્ચાઓ થતી, તેમાં યશવંતભાઈનાં વાચન અને વિચારોનાં ઊંડાણના દર્શન થતાં. એક વખતે રાજકોટમાં મારા સસરાને ઘરે રાત્રિરોકાણ કરવાનું થયું. મારા વૃદ્ધ સસરાએ યશવંતભાઈની પથારી પાસે પીવાનું પાણી અને સવાર માટે દાતણ મૂક્યાં, ત્યારે યશવંતભાઈએ પ્રતિભાવ આપેલ કે એક અજાણ્યા અતિથિ માટે આટલી ઝીણવટભરી કાળજી અને ચિંતા કરનાર માણસો હવેની પેઢીમાં જોવા મળશે કે કેમ ?

૧૯૭૮માં હું મુંબઈ કાંદિવલી ગૌશાળામાં લોનસર્વિસ પર ગયેલો, તે વખતે યશવંતભાઈએ દસેક વિદ્યાર્થીઓ સાથે શ્રીલંકાના પ્રવાસે જવાનું ગોઠવેલું. તે બધાના વિઝા તેમ જ દરિયાઈ સફરની ટિકિટ વગેરેની બધી જ જવાબદારી હક્કપૂર્વક મને સોંપી, તેનો મને ખૂબ આનંદ થયો અને સાત-આઠ ધક્કા પછી એ જવાબદારી પાર પાડ્યાનો આનંદ થયો. યશવંતભાઈએ આભાર સાથે અભિનંદન તો આપ્યા, પરંતુ ત્યાર પછી પણ કહેતા રહ્યા કે ‘જો પંડ્યાભાઈ મુંબઈ ન હોત, તો અમે સિલોન – પ્રવાસ કરી ન શકત સિલોનમાં તેઓ આર્યરત્ન આર્યનાટયકમ્’ની ગાંધીવિચારની સંસ્થામાં અઠવાડિયું રોકાયા હતા અને તે સંસ્થાના ત્રણ યુવાન કાર્યકરોને પશુપાલનની વૈજ્ઞાનિક તાલીમ લેવા સણોસરા આવવાનું આમંત્રણ આપી આવેલા. તે મુજબ ત્રણ યુવાનો એક વર્ષ માટે સણોસરા ગૌશાળામાં પ્રત્યક્ષ તાલીમ માટે આવેલા. તેના બૌદ્ધિક વર્ગોમાં રોજ બે કલાક અંગ્રેજી ભાષામાં ભણાવવાની જવાબદારી મને યશવંતભાઈએ સોંપેલી અને તે મેં સહર્ષ પૂરી કર્યાનો આનંદ છે. મને એ તક મળી, તે યશના ભાગીદાર યશવંતભાઈ જ હતા.

યશવંતભાઈના અવસાનના સમાચાર સાંભળી તેમને યાદ કરતાં તેમના પુત્ર નિખિલને કહ્યું,’Oh, Yeshvantbhai ! This world would be a better place to live in, if there were few more persons like you.’. ‘અરે ! યશવંતભાઈ ! તમારા જેવા થોડાક વધુ માણસો જો આ દુનિયામાં હોત, તો આ દુનિયા રહેવા માટે વધુ સારું સ્થળ બની શકે.’

વસ્ત્રાપુર, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 17

Loading

વર્ષારંભે અનુત્તરે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|17 July 2015

વર્ષા સત્રના ચોઘડિયા બજતા સંભળાય છે ત્યારે જ તાકડે રાહુલ ગાંધી દિલ્હીમાં ‘ફોટો ઑપ’ની લાયમાં ફેરિયાઓ અને પાથરણાં બજારની જાહેર ભાળસંભાળ સારુ નીસરી પડ્યા છે એવું કેમ, એવી એક ટિપ્પણી ભા.જ.પ. પ્રવક્તાએ કરી છે. કૉંગ્રેસ અને ભા.જ.પ. બેઉ એકબીજા બાબતે આમ કૌતુક કરવાને હકદાર હોઈ શકે છે, પણ નાગરિક છેડેથી આપણે જેમ કૉંગ્રેસના એક આખા દસકા વિશે પૂછવાપણું છે તેમ ભા.જ.પ.ને પણ કહેવું રહે છે કે દિલ્હીમાં એટલે કે કેન્દ્રીય સ્તરે તમે હવે પૂરા એક વરસથી આરૂઢ છો એટલે ફેરિયાઓને લગતા કાયદાની અમલબજાવણી બાબતે તમે જવાબ-દાર તો છો જ.

વર્ષા સત્રમાં તેમ આવતે મહિને પંદરમી ઑગસ્ટના લાલ કિલ્લા સંબોધનમાં સરકારે, ખાસ તો વડાપ્રધાન મોદીએ હવેનાં સપનાં વેચવે માત્ર નહીં અટકતાં વરસનો ધોરણસરનો હિસાબ પણ આપવો રહેશે. લોકસભાની ચૂંટણી આગમચ કેટલાક મહિનાઓમાં નમોએ ડેમેગોગી અને સોફિસ્ટ્રીનો અજબ જેવો મેળ પાડીને વક્તૃત્વકૌશલપૂર્વક ધડબડાટી બેલાશક બોલાવી દીધી હતી. સામે પક્ષે, એમને મૌનમોહનસિંહનો મુદ્દો પણ હંમેશની શબ્દરમત સાથે મળી રહ્યો હતો. આ પૃષ્ઠભૂમાં વિચારીએ ત્યારે પોતાના શાસનકાળના વાસ્તવિક પ્રશ્નો બાબત મોદીનું મૌન એમને એક સવાલિયા દાયરામાં મૂકી આપે છે. સ્વચ્છતા અભિયાનથી માંડીને વિશ્વ યોગ દિવસ તરેહની તંતોતંત ‘ઈવેન્ટ મેનેજમેન્ટ’, પ્રશ્નો ચાતરી ઉફરાટે ચાલતી ‘મન કી બાત’, પ્રચારદિવસો પછી પ્રત્યક્ષ શાસનકાળની તક ને તકાજા સામે ઊણાં એટલે કે બેહદ ઊણાં ઉતરે છે. પ્રચારમાં પરફોર્મન્સથી નભી ગયું પણ શાસનમાં તો કંઠકૌવતથી હેઠે કેડે કાંકરે મેલી ખરેખાત પરફોર્મ કરવું રહે.

આ અગ્રનોંધ લખાઈ રહી છે ત્યારે લખવી મુદ્દે પાક ઠાગાઠૈયાના હેવાલો સાથે રશિયામાં ભારત-પાક. વડાપ્રધાનોની બેઠકમાં દેખાયેલી ઉઘાડ સંભાવના પાછી પડતી જણાય છે. આમ પણ, મે ૨૦૧૪ પછીનાં મોદી વચનોમાં એવાં પણ ઇંગિતો મળતાં રહ્યાં છે જે કૉંગ્રેસ કે અન્ય સ્રોતથી આવ્યાં હોત તો ભા.જ.પ .શ્રેષ્ઠીઓના વૃંદવાદને એને ઝૂડવામાં કશી કસર રાખી ન હોત. પાકિસ્તાન સાથે અગાઉની સરકારની હર વિનયઅનુનય ચેષ્ટા વખતના એકંદર ભાજપી પ્રતિભાવો આ સંદર્ભમાં સંભારવા જોગ છે. પાકિસ્તાનની આઘાપાછી બાબતે દો ટૂક વલણ બેલાશક અપેક્ષિત છે. પણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અને પડોશીઓ સાથેની નીતિમાં ખાસ તરેહના રાષ્ટ્રવાદ કરતાં વધુ તો રાજકીય પ્રૌઢિ અને રાજનયિક (ડિપ્લોમેટિક) સૂઝબૂઝની જરૂરત હોય છે એ દૃષ્ટિએ પક્ષે વિચારધારાકીય શોધન અને સંસ્કરણનો અહેસાસ કરાવવો રહે છે. ૨૦૧૪ પહેલાં ભા.જ.પ.ની રાષ્ટ્રવાદી રણનીતિમાં આજના એના પી.ડી.પી. સંધાનની કોઈ સંભાવના નહોતી, એ પણ આવું જ એક બુનિયાદી વાનું છે.

૨૦૦૮માં અગમના એંધાણ બોલી જાણનાર રઘુરામ રાજનને હવેનાં વરસોમાં મંદી આવતી વંચાય છે એનો ઉકેલ કંઈ કોર્પોરેટતરફી ઘાંઘાઈમાં કે ડેમેગોગી અને સોફિસ્ટ્રીની તરાહમાં તો હોવાનો નથી. ખબર નથી, પાર્ટી ઑફ ગવર્નન્સ તરીકે ભા.જ.પ. શ્રેષ્ઠીઓ એકંદરે વિચારધારાકીય અભિગમ વિશે આમૂલ પુનર્વિચારને ધોરણે કોઈ ચિંતન બેઠકના મિજાજમાં છે કે નહીં. ૧૯૯૧ની નરસિંહ રાવ – મનમોહન ટીમે જે અર્થનીતિ વિષયક ફેરફારો શરૂ કર્યા તે યુ.પી.એ.-એન.ડી.એ.ના વારામાં કોઈ જ દિલખુલાસ બહસ વગર બરકરાર રહ્યા છે.

સુષમા સ્વરાજ, વસુંધરા રાજે અને શિવરાજસિંહ ચૌહાણ (પક્ષના ત્રણે મોદીસ્પર્ધીઓ, જોગાનુજોગ?) વિવાદના દાયરામાં છે. ત્યારે એની એ જીરણ ગંધારી ક્રિકેટ રાજનીતિ અને બેભથ્થુ, નાણાસ્રોતનો છે કોઈ ઉત્તર મોદી કને, વર્ષારંભે ?                                                 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 01

Loading

...102030...3,8333,8343,8353,836...3,8403,8503,860...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved