Opinion Magazine
Number of visits: 9771932
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશ ઇમર્જન્સી-પ્રૂફ નથી થયો અને નેતાઓનું કદ નાનું થતું જ જાય છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|26 June 2015

ઇમર્જન્સી એ સમયની ઘટના છે જ્યારે ભારતના જાહેર જીવનમાં દિગ્ગજો હયાત હતા, જેમણે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો અને ભાગ નહોતો લીધો તેમણે લડતને નજીકથી જોઈ હતી. મોટા ભાગના જજો, વરિષ્ઠ પત્રકારો અને બુદ્ધિજીવીઓ ખરા અર્થમાં બહુશ્રુત હતા. નૈતિકતાનું અને મૂલ્યોનું આજે જેટલું ધોવાણ થયું છે એટલું ત્યારે નહોતું થયું

૧૯૭૫ની ૨૫ જૂનની મધરાતે પશ્ચિમ બંગના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રાય અને કેન્દ્રના કાયદાપ્રધાન એચ. આર. ગોખલે રાષ્ટ્રપતિભવન ગયા હતા. રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદને ઊંઘમાંથી જગાડીને એક દસ્તાવેજ આપ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન ઇચ્છે છે કે અત્યારે જ આના પર સહી કરવામાં આવે. રાષ્ટ્રપતિ આગળ પ્રશ્ન પૂછે એ પહેલાં તેમને જણાવી દેવામાં આવ્યું કે વડા પ્રધાન આવતી કાલે સવારે કૅબિનેટની બેઠક બોલાવવાના છે અને એમાં આ નિર્ણય પર મંજૂરી લઈ લેવામાં આવશે. રાષ્ટ્રપતિએ ચુપચાપ એક પણ પ્રશ્ન કે શંકા કર્યા વિના એ દસ્તાવેજ પર સહી કરી આપી હતી.

એ દસ્તાવેજ ઇમર્જન્સીનો હતો. દેશમાં અસાધારણ સંજોગો હોય, કહો કે કટોકટીની સ્થિતિ હોય ત્યારે આંતરિક સુરક્ષા માટે નાગરિકોના નાગરિક અધિકારો પર કાપ મૂકવાની કે જરૂર પડે તો છીનવી લેવાની બંધારણમાં જોગવાઈ છે. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચાલતું હતું, ઇન્દિરા ગાંધી સામે પ્રચંડ અસંતોષ હતો, નવનિર્માણ આંદોલન પછી ગુજરાતમાં હજી મહિના પહેલાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો પરાજય થયો હતો; પરંતુ આ બધી સામાન્ય રાજકીય ઘટનાઓ હતી, જેને રાષ્ટ્રીય સંકટ કહેવાય એવી કોઈ ઇમર્જન્સી નહોતી. હા, બે અઠવાડિયાં પહેલાં ઇન્દિરા ગાંધી માટે અંગત સંકટ પેદા થયું હતું. ૧૨ જૂને અલાહાબાદની વડી અદાલતે લોકસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરવા બદલ ઇન્દિરા ગાંધીને ના-લાયક ઠરાવ્યાં હતાં અને તેમનું લોકસભાનું સભ્યપદ રદ કર્યું હતું. એ વાત તો ઇન્દિરા ગાંધીના દુશ્મનો પણ સ્વીકારે છે કે ઇન્દિરા ગાંધીના મામૂલી અને એ પણ ટેક્નિકલ ગુનાઓ માટે અલાહાબાદની વડી અદાલતે વધુ પડતી સજા કરી હતી. ઇન્દિરા ગાંધી સર્વોચ્ચ અદાલતમાં ગયાં હતાં, તેમને સ્ટે પણ મળ્યો હતો અને સર્વોચ્ચ અદાલતમાં તેઓ નિર્દોષ સાબિત થાય એવી પૂરેપૂરી શક્યતા હતી. ઇન્દિરા ગાંધી માટે અંગત સંકટ એ હતું કે ત્યાં સુધી તેઓ વડા પ્રધાનપદેથી રાજીનામું નહોતાં આપવા માગતાં.

સર્વસાધારણ માન્યતા એવી છે કે ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપવાની માનસિક તૈયારી કરી લીધી હતી, પરંતુ તેમના પુત્ર સંજય ગાંધીએ તેમને વાર્યા હતાં અને સિદ્ધાર્થ શંકર રાયે ઇમર્જન્સી લાદવાનો બંધારણીય ઉપાય શોધી કાઢ્યો હતો. એ વાત સાચી પણ હોઈ શકે છે. એ કદાચ ઇન્દિરા ગાંધીને ઊજળાં બતાવવા માટે ઊભી કરવામાં આવી હોય એવું પણ બને. એક વાત નક્કી છે કે ઇન્દિરા ગાંધી દેશની પાંચ કલંકિત ઘટનાઓમાંથી એક માટે જવાબદાર હતાં. દેશની પાંચ કલંકિત ઘટનાઓમાં મહાત્મા ગાંધીની હત્યા, ઇમર્જન્સી, દિલ્હીમાં સિખોનો નરસંહાર, બાબરી મસ્જિદનો ધ્વંસ અને ગુજરાતમાં મુસ્લિમોના નરસંહારનો સમાવેશ છે. ઇતિહાસ ઇન્દિરા ગાંધીને ઇમર્જન્સી માટે ક્યારે ય માફ નહીં કરે.

બંધારણમાં ઇમર્જન્સી લાગુ કરવાની જે જોગવાઈ છે એનો ઇન્દિરા ગાંધીએ અંગત લાભ માટે દુરુપયોગ કર્યો હતો. બીજું, બંધારણ મુજબ રાષ્ટ્રપતિએ કોઈ પણ દસ્તાવેજ પર ત્યારે જ સહી કરવી જોઈએ જ્યારે પ્રસ્તાવને કેન્દ્રની કૅબિનેટે મંજૂરી આપી હોય. ફખરુદ્દીન અલી અહમદે જે જાહેરનામા પર સહી કરી આપી હતી એને હજી કૅબિનેટની મંજૂરી નહોતી મળી. ત્રીજું, બીજા દિવસે સવારે જ્યારે કૅબિનેટની બેઠક મળી ત્યારે એમાં કોઈ પણ પ્રધાને ઇમર્જન્સી લાગુ કરવાની શી જરૂર હતી એવો સવાલ નહોતો કર્યો કે નહોતો એમાંના કોઈએ પ્રશ્ન કર્યો હતો કે પ્રસ્તાવ રાષ્ટ્રપતિભવન મોકલતાં પહેલાં કૅબિનેટની મંજૂરી કેમ લેવામાં ન આવી? ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળના સભ્યો ૨૬ જૂને સવારે જાગ્યા એ પહેલાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી ચૂકી હતી અને જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ તથા બીજા અનેક નેતાઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આનાથી પણ વધારે ગંભીર બાબત એ હતી કે મોટા ભાગના જજોએ, મોટા ભાગનાં અખબારોએ, મોટા ભાગના બુદ્ધિજીવીઓએ (પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સ), મોટા ભાગના નેતાઓએ, મોટા ભાગનાં રાજકીય પણ નિર્દલીય સંગઠનોએ અને આજકાલ જેને નાગરિક સમાજ કહેવામાં આવે છે એણે એમ કોઈએ ઇમર્જન્સીનો પ્રતિકાર નહોતો કર્યો.

ઊલટું કેટલાક વિદ્વાનો અને સાહિત્યકારોએ ઇમર્જન્સીનું સમર્થન કર્યું હતું અને કેટલાકોએ તો રેડિયો અને ટીવી પર ભાટાઈ કરી હતી. તાજેતરમાં પ્રકાશિત થયેલું વરિષ્ઠ પત્રકાર કુમી કપૂરનું પુસ્તક ‘ધ ઇમર્જન્સી : અ પર્સનલ ડાયરી’ ચર્ચામાં છે. કુમી કપૂરે પ્રમાણો સાથે બતાવ્યું છે કે કેવી રીતે એ સમયના મોટા અને આદરણીય કહેવાતા નેતાઓ જેલમાંથી છૂટવા માટે રસ્તાઓ શોધતા હતા અને ઇન્દિરા ગાંધીની કૃપા મેળવવાના પ્રયાસો કરતા હતા. અટલ બિહારી વાજપેયી એક કે બીજા બહાને પરોલ પર છૂટીને જેલની બહાર રહેતા હતા. તેઓ કટોકટીના ૨૧ મહિનામાંથી લગભગ ૧૮ મહિના જેલની બહાર પોતાના ઘરમાં નજરકેદ હતા. ચૌધરી ચરણસિંહે જેલમાંથી છૂટવાની તજવીજ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે પોતાને મહાન હિન્દુત્વવાદી સંગઠન તરીકે ઓળખાવે છે અને જે રોજ સવારે શાખાઓમાં બાળકોને લાઠી સાથે બીજાના શૌર્યના પાઠ ભણાવે છે એ ઘૂંટણિયે પડી ગયો હતો.

સંઘના એ સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે ઇન્દિરા ગાંધીના નેતૃત્વનાં વખાણ કરતા પત્રો લખ્યા હતા અને ઇન્દિરા ગાંધીના પ્રજાલક્ષી ૨૦ મુદ્દાના કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવા માટે સંઘના સ્વયંસેવકો કામ કરશે એવી ખાતરી આપી હતી. ૧૯૭૬ના ડિસેમ્બર મહિનામાં ઇન્દિરા ગાંધીએ જો રાજકીય ગણતરીમાં થાપ ન ખાધી હોત અને તેમણે લોકસભાની ચૂંટણી જાહેર ન કરી હોત તો ખબર નહીં દેશમાં લોકતંત્ર પુન: સ્થાપિત ક્યારે થયું હોત. ભારતમાં લોકતંત્રને પુન: સ્થાપિત કરવામાં સામાન્ય પ્રજાનો હાથ છે. બાકી રાજકીય પક્ષો, નેતાઓ, સંગઠનો, જજો, પત્રકારો અને બુદ્ધિજીવીઓ તો થોડા અપવાદ બાદ કરતાં ઘૂંટણિયે પડી ગયાં હતાં. આ એ સમયની વાત છે જ્યારે ભારતના જાહેર જીવનમાં દિગ્ગજો હજી હયાત હતા, જેમણે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો અને ભાગ નહોતો લીધો તો લડતને નજીકથી જોઈ હતી. મોટા ભાગના જજો, વરિષ્ઠ પત્રકારો અને બુદ્ધિજીવીઓ ખરા અર્થમાં બહુશ્રુત હતા. હજી નૈતિકતાનું અને મૂલ્યોનું આજે જેટલું ધોવાણ થયું છે એટલું હજી ત્યારે નહોતું થયું. એટલે જ લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે આપણે હજી ઇમર્જન્સી-પ્રૂફ નથી થયા.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 26 જૂન 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-26-6-2015-5

Loading

ક્ષણિક

યોગેશ પટેલ|Poetry|26 June 2015

 

સારું છે કે આપણે

સંબંધોની ભૂગોળમાં 

ક્ષણેક, ક્યારેક ક્યારેક

સાન્નિધ્યના ગુલાબમાં   

સાથે સાથે સુગંધ છીએ

 

ક્ષણે ક્ષણે મળું છું

ક્ષણે ક્ષણે અલગ થવા

તેથી જ તો બીજી ક્ષણે 

મિત્રો, ફરી ફરી 

મળવાનો આનંદ છે !

Loading

ગુજરાતી કમ્પ્યૂટરની દુનિયામાં

મીરાં ભટ્ટ|Opinion - Opinion|26 June 2015

કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. માણસ જ્યાં જાય છે ત્યાં પોતાનાં મૂળિયાં સાથે લઈને જાય છે. વર્તમાન પેઢી પોતાની માતૃભાષાથી આઘે ને આઘે ઢસડાઈ રહી છે તે જોઈ એ લોકો કેટલું બધું ગુમાવી રહ્યાં છે, એની વેદના થાય છે. ભાષા માત્ર વાણી નથી. ભાષા એક સંસ્કૃિત છે, એક પરંપરા છે, એક વિકાસગાથા છે. એક એવું વહેતું ઝરણું, જેના કાંઠે- કાંઠે અનેક તીર્થધામો રચાયાં છે. ભાષા એ મનુષ્યોની વિશિષ્ટ સંપદા છે. પ્રાણી જગત પાસે ધ્વનિ છે, શબ્દ છે, પણ ભાષા નથી. માણસને ધાવણ પૂરું પાડનારી જન્મદાતા મા છે, એ જ રીતે પરસ્પર–સંવાદનું માધ્યમ ભેટમાં આપનારી માતૃભાષા પણ છે. આ બંને માતા થકી માનવજીવનનો ઉઘાડ થાય છે.

માતૃભાષાથી જે લોકો વંચિત રહી જાય છે તેમની વાત છોડીએ, પણ જે લોકો માટે ગુજરાતી હજુ માતૃભાષા બનીને સંસ્કૃિતના ધાવણ પાઈ રહી છે તેમના માટે ગુજરાતી ભાષાની આસપાસ રહેવું અનિવાર્ય છે. વિજ્ઞાનને પરિણામે ધીરે ધીરે અનેક માધ્યમો કાળબાહ્ય સાબિત થઈ રહ્યાં છે. તે રીતે કદાચ ધીરે ધીરે મુદ્રણકળા પણ સંકેલાતી જશે, પરંતુ ત્યારે પણ કશુંક નવું સંપર્ક માધ્યમ તો આવશે જ અને આવી રહ્યું પણ છે. એ ઈલેક્ટ્રોનિક માધ્યમ આજે ‘પાંચમી જાગીર’ રૂપે પ્રગટ થઈ રહ્યું છે.

થોડા સમય પહેલાં … અમદાવાદથી પ્રગટ થયેલા ‘વિશ્વકોશ’ની માહિતી પીરસાયેલી. એના અનુસંધાને ઘણા વાચકોની પૃચ્છા પણ થતી રહી. પરંતુ એ જ લેખે બીજી અનેક આનુષાંગિક જાણકારી પણ મેળવી આપી. સુરતના ઉત્તમભાઈ ગજ્જરે તરત જ ગુજરાતી લેક્સિકૉન ડોટકોમ અને લોકકોશની માહિતી મોકલી આપી, જેમાંથી સાર રૂપે થોડીક પ્રસાદી ગુર્જરી પ્રેમી માટે! દેશવિદેશમાં વસતા ગુજરાતી બાંધવો માટે ગુજરાતી ભાષાનું ઉત્તમોત્તમ સાહિત્ય હાથવગું રહે તે માટે વડોદરાના મૃગેશ શાહની ‘રીડ ગુજરાતી’ વેબસાઇટની વાત તો અગાઉ લખાઈ જ ચૂકી છે.

આપણી ભાષા અને આપણું સાહિત્ય એ આપણો અણમોલ વારસો છે. ધનદોલતના ખજાના લૂંટાઈ જાય તો પાછા ભરી શકાય પરંતુ વાણીમાંનો એક શબ્દ ગુમનામ થઈ જાય તો એની સાથે ઘણુંબધું ગુમ થઈ જાય છે. મહારાષ્ટ્રના સંત તુકારામે ગાયું છે કે आम्हा घरी शब्दांचे चन आणि शब्दांचे  રતન ! શબ્દ એ શંકાનું રતન છે. યોગ્ય સમયે યોગ્ય રીતે વપરાયેલો શબ્દ માણસ માટે તારકસિદ્ધ થાય છે.

અગાઉ નર્મકોશ, સાર્થ ગુજરાતી જોડણી કોશ, બૃહદ્દ ગુજરાતી કોશ, વિરુદ્ધાર્થ કોશ જેવા અનેકાનેક શબ્દકોશો પ્રગટ થઈ ચૂક્યા છે અને હવે આ એકવીસમી સદીના ઉઘડતા દાયકે ઇન્ફોરમેશન ટેકનૉલૉજીના સથવારે ‘ગુજરાતી ડિજિટલ ડિક્શનરી’ પણ લોકાર્પિત થઈ ચૂકી છે. માસ મીડિયાના આ નવાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી નિર્માણ થયેલા આ અદ્દભુત પ્રકલ્પના વિશ્વકર્મા પુરુષ છે – રતિલાલ ચંદરયા.

આરંભના વર્ષો આફ્રિકામાં ગાળી 1965ના અરસામાં રતિભાઈએ યુરોપને પોતાનું ઉદ્યોગ ક્ષેત્ર જ ન બનાવ્યું, અદ્યતન ટેક્નૉલૉજી દ્વારા ગુજરાતી કોશોનું કૉમ્પ્યુટરીકરણ ઉપરાંત ‘ગુજરાતી સ્પેલચેકર’ પણ ઉપલબ્ધ કરાવી આપ્યું, બે દાયકાના અથાક પુરુષાર્થનું આ સુવર્ણફળ છે. પોતાના વ્યવસાય અને ધંધા – ઉદ્યોગની પ્રવૃત્તિ સાથોસાથ તેઓ વિવિધ સામાજિક સેવા સંસ્થાઓ સાથે જોડાઈ આફ્રિકા, એશિયા, દૂર પૂર્વના દેશો, યુ.કે., કેનેડાની પણ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓ વિશ્વપ્રવાસી છે, છતાં માતૃભૂમિ અને માતૃભાષાને ભૂલ્યા નથી. કવિ દલપતરામે પ્રત્યેક ગુજરાતીને ‘રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ’ બનવા આહ્વાન કરેલું. એ આહ્વાન રતિભાઈએ યથાર્થ રીતે ઝીલી જાણ્યું છે.

રતિભાઈની ‘ગુજરાતી લેક્સિકૉન’ની આ વેબસાઇટને સુસજ્જ અને ઉપયોગી બનાવવામાં ગુજરાતી ભાષાના અસંખ્ય ચાહકોના સાથ સહકાર સાંપડ્યા છે. જેવી રીતે ઓક્સફોર્ડ્ના અંગ્રેજી શબ્દકોશમાં વચ્ચે-વચ્ચે વપરાશમાં આવતા નવા શબ્દોની ઉમેરણી નવી આવૃત્તિમાં સતત થતી રહે છે. જે કોઈ નવો શબ્દ અંગ્રેજીમાં પ્રગટ થતા લખાણમાં પાંચ વાર વપરાયો હોય તેને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં ઉમેરવામાં આવે છે. આવું જ  કાંઈ ગુજરાતી કોશમાં કરવા આ મંડળી ઉત્સુક છે. હવે તો રતિભાઈએ ભગવદ્દ્ગોમંડળને પણ ડિજિટ્લાઇઝ કરવાનું બીડું ઝડપ્યું છે અને તેમાં ઝડપભેર આગળ વધી રહ્યા છે.

‘ગુજરાતી લેક્સિકૉન સાઇટ’માં તો માન્ય શબ્દકોશના જ શબ્દોનો સમાવેશ થયો છે.  પરંતુ લોકવાણીમાં તો અનેક શબ્દો એવા વપરાય છે જે આ બધા કોશોમાં જડતા નથી. આવા લોકવાણીના શબ્દો વણનોંધાયેલા ન રહી જાય તે માટે આવા શબ્દોને ભેગા કરી, ચકાસણી કરી, નવો ‘લોકકોશ’ રચવાની યોજના પણ આવી રહી છે. આ કોશ લોકો દ્વારા, લોકો માટે લોકોનો નવનીતમ શબ્દભંડાર નીવડશે. તે માટે લોકો પાસેથી એમની બોલીમાં વપરાતા શબ્દોની માગણી પણ કરાઈ રહી છે. સમયાંતરે શબ્દ સૂચવવા માટેની સ્પર્ધા પણ યોજાતી રહે છે. ‘લોકકોશ’ની વેબસાઇટ સંપૂર્ણપણે યુનિકૉડમાં જ રહેશે. આ કોશમાં વિવિધ ભાષાથી પ્રચલિત થયેલા શબ્દો પણ સમાવાશે. જેવા કે ‘ઓ.કે’., “યા’, ‘પ્લીઝ’, ‘સૉરી’ વગેરે.

ભલે આપણે એક પ્રદેશમાં રહેતા હોઈએ, છતાં ય ક્યારેક અંદરના ગામડામાં જવાનું થાય ત્યારે કેટલા ય શબ્દો એવા સાંભળવા મળે છે જે આપણે બધાની જેમ સાંભળી લેવાના જ હોય ! જાણીતા સાહિત્યકાર  ધીરુબહેન પટેલ લખે છે તેમ આપણે અજ્ઞાની અને ભોટ પણ સાબિત થઈએ. એમને લગ્નપ્રસંગે વતનમાં જવાનું થયું.

પૂરીઓ વણતી વખતે ફોઈએ ટકોર કરી – ‘જરા સદડી રાખ’. હવે ‘સદડી’ નો અર્થ તો ખબર નહીં પણ માની લીધું કે ઉતાવળ કરવાનું કહેતાં હશે. ઝડપ વધારી ત્યાં ફરી ટકોર થઈ – ઊઠ બેટા, તને પૂરી સદડી રાખતા નહીં ફાવે. અને હાથમાંથી વેલણ ખેંચાઈ ગયું ! આ તો ઘોર અપમાન! કહેવાઈ ગયું- આટલું તો જલદી વણું છું. પછી કેટલીક સદડી રાખું! – અને  ફોઈ હસી પડ્યાં. કહે, ‘બેટા, સદડી એટલે જાડી. તને એટલું ય ગુજરાતી નથી આવડતું?’ લો, મોટા સાહિત્યકારને મળ્યો ફોઈબાનો એવૉર્ડ !

એક્વાર મારે પણ આવું થયેલું. ગામડામાં ઘણી વાર કૂવે જ નહાવા જવાનું થાય. એકવાર કોઈથી ડોલ કૂવામાં પડી ગઈ. તરત બૂમ પડી – ‘લી, ઘેર જઈને મીંદડી લઇ આવ. એના વગર ડોલ બહાર નહીં નીકળે!’… અને મારા અંતરમાં ચીરાડો પડ્યો … અરેરે! એક ડોલ માટે બિચારી બિલાડીને કૂવામાં ઉતારશે! … તે દિવસે મને નવું જ્ઞાન લાધ્યું કે ‘ બિલાડી’ નામનું કોઈ સાધન પણ હોય છે જેનાથી કૂવામાં પડેલી વસ્તુ બહાર કાઢી શકાય છે.

આવું તો ઘણું બધું! બાર ગાઉ બોલી બદલાય. પરણીને નવી નવી સાસરે ગઈ. બા કથરોટ મગાવે અને હું તબાકડું લઈને ઊભી રહું. બા ‘લાપસી’ રાંધવા કહે અને હું કરી મૂકું કંસાર! એકવાર તો નૅશનલ બુક ટ્ર્સ્ટના એક હિન્દી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવા માટે બે દિવસ ગામડામાં રહેવું પડેલું. ગામડાના ગમાણ અને ખેતરની દુનિયા જ સાવ જુદી! સાધનો પણ જુદાં, પ્રક્રિયાઓ પણ અજાણી! આપણા માટે તો સવારનો નાસ્તો અને બપોરનું ભોજન આ બે શબ્દોમાં પેટ ભરાઈ જાય, પણ સૌરાષ્ટ્રમાં રહીએ ત્યારે ખબર પડે કે સવારે શીરામણ હોય, બપોરે ‘બપોરા’ હોય, અપરાહને “રોંઢો’ હોય અને સાંજે ‘વાળુ’ હોય. અમારા જયેન્દ્ર ત્રિવેદીએ સૂત્ર આપેલું – ‘સાંજનું વાળુ સાથે.’ અંગ્રેજીમાં પણ બ્રેકફાસ્ટ, ‘લંચ’ ‘ડિનર’, ‘સપર’ જેવા ખાસ શબ્દો છે ને! આ બધી ભાષાસમૃદ્ધિ છે! શબ્દભંડાર જેટલો સમૃદ્ધ, એટલો સંવાદ વધુ સઘન અને સાર્થક. તેમાં ય સંસ્કૃત શબ્દો તો આપણી સાથે વાતો કરે! પૃથ્વી જે પૃથક્ થઈ છે તે. વસુંધરા વિવિધ વસુને ધારણ કરે છે તે! ધરા – ધરતી, ધીરજપૂર્વક જે ધારણ કરે છે તે! વ્યોમ – વ્યાપ્ત છે તે! ચરણ વિચરે છે તે, ફરે છે તે! સરિતા – જે સર સર સર સરે છે તે! પંકજ જન્મે છે તે કમળ. સરોદ – પાણીમાં ઉદ્દ્ભવે છે તે! દીપક – દીપ્તિમાન છે તે. જે ખવાય છે તે. – વિગેરે વિગેરે શબ્દોનો વિશાળ સાગર ભરેલો છે, જેમાં શબ્દો પોતે જ બોલે છે.

ભાષાને કદી પૂર્ણવિરામ નથી હોતું. સાગરની જેમ એ અગાધ છે, અસીમ છે. એમાં નીતનવાં પાણી ઉમેરાતાં રહેવાનાં અને માણસ સમૃદ્ધ થતો જવાનો. કૉમ્પ્યુટર જગતે આ વિરાટ સાગરને ખિસ્સામાં રાખી શકાય એવો કીમિયો શોધી આપ્યો છે. વિજ્ઞાનયુગમાં દુનિયાભરની ભાષાઓની લેવડદેવડ વધતી જવાની. માણસે હવે પોતાની જાતને વિશ્વસંસ્કૃિત માટે તૈયારી કરવાની છે. રતિભાઈએ ગુજરાતી લેક્સિકોન સી.ડી. નિર્માણ કરીને આ દિશાના દરવાજા ખોલી આપ્યા છે. તેમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. આ સોફ્ટવેર સી.ડી. રૂપે તૈયાર થયો છે. જેમાં યુનિકૉડ પદ્ધતિ વાપરવામાં આવી છે. સાથે સ્પેલચેકર પણ છે, જેથી સાચી જોડણી જાળવી શકાય. ભાષા સાથે કામ કરનારા અસંખ્ય લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ નીવડી રહી છે.

હવે ‘લોકકોશ’ આવી રહ્યો છે. આ યુગ જ લોકોનો ‘લોકયુગ’ છે. જેમાં  સર્વોપરી શક્તિ લોકશક્તિ સિદ્ધ થવાની છે. ‘લોકકોશ’ દ્વારા સમાજ સમક્ષ એવા આધારખંડની દુનિયા પ્રગટ થવાની છે જે ઘણી બધી નવી ક્ષિતિજો ખોલી આપશે. આ લોકકોશના શબ્દોની પસંદગી માટે માપદંડ પણ નક્કી કરાયા છે. જેમ કે – સાર્થ, બૃહદ્દ, ભગવદ્દ્ગોમંડળ. આ ત્રણેય કોશમાં ન હોય તેવા છતાં ગુજરાતી ભાષામાં લખાતા – બોલાતા હોય તેવા શબ્દો આવકાર્યા છે.

શબ્દની સાથોસાથ અર્થ પણ જણાવવા જરૂરી છે અને શક્ય બને તો એ શબ્દો ક્યાં બોલાય-સંભળાય છે તે પણ જણાવવું.

અન્ય ભાષાનો શબ્દ હોય તો જે-તે ભાષા પણ જણાવવી.

અસંસ્કૃત, અપમાનજનક, જાહેરમાં ન બોલાય અને માત્ર ખાનગીમાં જ બોલાય તેવા ગંદા, શિષ્ટ ભાષામાં અમાન્ય શબ્દો ન હોવા જોઈએ.

લોકકોશમાં શબ્દ આ રીતે ઉમેરવાના રહેશે.

સાઇટની મુલકાત, – નોંધણી કરાવો – શબ્દોની નોંધ – નિષ્ણાતોની કમિટી દ્વારા શબ્દની ચકાસણી – શબ્દદાતાને ઇ-મેઈલ – સ્વીકારાયેલા શબ્દોનો લોકકોશ સાઇટ પર સમાવેશ.

e.mail_ info@gujaratilexicon.com

www.gujaratilexicon.com

www.bhagwadgomandal.com

ગુજરાતી ભાષાની આ કૉમ્પ્યુટર સેવાની પ્રસિદ્ધિ માટે બળવંતભાઈ પટેલ તથા ઉત્તમ ગજ્જર પ્રવૃત્ત છે. એમણે ‘કૉમ્પ્યુટર ક્લિકે’ પુસ્તિકા દ્વારા વિગતવાર માહિતી પીરસી છે.

ભાષાની શોધ અરસપરસનો સંવાદ સ્થાપવા રચાઈ છે. ભાષાની સેવા એ સંવાદને વધુ સંગીન કરવા માટેનું આયામ છે. આપણે સૌ પોતપોતાની રીતે આપણી માતૃભાષાનું ઋણ અદા કરીએ.

***

[73, Rajsthambh Society, Near Polo Ground, Rajmahel Road, VADODARA – 390 001, India]

(સૌજન્ય : “જન્મભૂમિ-પ્રવાસી”, 5 ડિસેમ્બર 2011)

મુદ્રાંકન સદ્દભાવ : વલ્લભ નાંઢા

સૌજન્ય : “ઓપિનિયન”, 26 જાન્યુઆરી 2012; પૃ. 08-09

Loading

...102030...3,8263,8273,8283,829...3,8403,8503,860...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved