Opinion Magazine
Number of visits: 9770722
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Janataani PrivacymaM DNAnI Daraa

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 August 2015

જનતાની પ્રાઇવસીમાં DNAની દરાર

જંગલી જીવનમાં આ જ તફાવત છે. જંગલમાં બધું જ સાર્વજનિક હોય છે. નિજતા, ગોપનીયતા અથવા પ્રાઇવસી એ સામાજિકતાની નિશાની છે.

આધાર યોજના હેઠળ દેશના તમામ નાગરિકોનો જે બાયોમેટ્રિક્સ ડેટા એકઠો કરવામાં આવશે તેમાં સંવૈધાનિક નિજતા અધિકાર(ફંડામેન્ટલ રાઇટ ટુુ પ્રાઇવસી)નો ભંગ થાય છે કે નહીં તે અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા કેસમાં બાયોમેટ્રિક્સ યોજનાનો બચાવ કરતા નરેન્દ્ર મોદીની સરકારે તાજેતરમાં અદાલતને એવું કહ્યું હતું કે સંવિધાનના મૂળભૂત અધિકારોમાં પ્રાઇવસીના અધિકારનો સમાવેશ થતો નથી.

આધાર બાયોમેટ્રિક્સ યોજનાની કાનૂની યોગ્યતાને પડકારતી અરજીઓની સામૂહિક સુનાવણી દરમિયાન દેશના એટર્ની જનરલ મુકુલ રોહતગીએ 1950માં સર્વોચ્ચ અદાલતનો એક આદેશ ટાંક્યો હતો જેમાં નિજતાનો અધિકાર એ સંવૈધાનિક મૂળભૂત અધિકાર નથી એવું ઠરાવવામાં આવ્યું હતું.

સંવિધાનમાં નિજતાના અધિકાર(રાઇટ ટુ પ્રાઇવસી)નો કોઇ ઉલ્લેખ નથી તે વાત સાચી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા, જીવન, દેશની અંદર સ્થળાંતર, ધાર્મિક માન્યતા વગેરે જેવા મૂળભૂત અધિકારો જેમ અમુક મર્યાદાઓને અધીન હોય છે તેવી જ રીતે રાઇટ ટુ પ્રાઇવસી પણ અમુક દાયરાઓને અધીન છે એવી સરકારની દલીલ છે. સર્વોચ્ચ અદાલતના છેલ્લા બે દાયકાના (1950ના પેલા ચુકાદા પછીના) અનેક ચુકાદાઓ કે તારણોમાં રાઇટ ટુ પ્રાઇવસીને મૂળભૂત અધિકાર માનવામાં આવ્યો છે. સરકારે આ તમામ નિષ્કર્ષ પર પુન:વિચારણા કરવાની પણ માગણી કરી છે.

કર્ણાટકની ઉચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ કે.એસ. તુદ્રાસ્વામી અને સિટિઝન્સ ફોરમ ફોર સિવિલ લિબર્ટીસ જેવા અરજદારોએ આધાર યોજનાની કાનૂની વૈધતાને સર્વોચ્ચ અદાલતમાં પડકારીને કહ્યું કે બાયોમેટ્રિક્સ ડેટા એકઠો કરવાનું કામ નાગરિકોની પ્રાઇવસીમાં દખલઅંદાજી કરવા સમાન છે. બાયોમેટ્રિક્સ યોજના સામે એવો ડર વ્યક્ત થઈ રહ્યો છે કે લોકોનો વ્યક્તિગત ડેટા સરકારના અમુક વિભાગો અને પ્રાઇવેટ સેક્ટર પાસે જઈ રહ્યો છે. આ ડેટા પર કોઈ નિગરાની નથી અને એના ગેરઉપયોગની સંભાવના છે.

આધાર યોજના આમ તો સ્વૈચ્છિક છે પરંતુ સરકારની ઘણી યોજનાઓમાં આધાર નંબર ફરજિયાત છે જેથી આધાર કાર્ડ મેળવવું એક રીતે ફરજિયાત બની ગયું છે. આ કાર્ડ માટે માહિતી એકઠી કરવા એન.જી.ઓ., પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ રોકવામાં આવી છે. આ ડેટા કોઈના પણ હાથમાં જઈ શકે છે. ટેક્નોલોજીના વિકાસ અને વહીવટી અડચણોને લઈને સરકાર એની યોજનાઓ અને કાર્યક્રમો માટે ઇન્ટરનેટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. નાગરિકોનો અંગત કહી શકાય એવો વિશાળ ડેટા આવા પ્લેટફોર્મ પર પડેલો હોય છે. જન્મતિથિથી લઈને બ્લડ ગ્રૂપ જેવી અંગત માહિતીની પ્રાઇવસીનો નાગરિકને અધિકાર નથી એવી મોદી સરકારની દલીલ જોખમી એટલા માટે છે કે સરકાર હ્યુમન ડી.એન.એ. પ્રોફાઇલિંગ બિલ પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. અદાલતી અને પોલીસની કાર્યવાહીમાં ઓળખ સાબિત કરવા માટે આ હ્યુમન પ્રોફાઇલિંગ એક સશસ્ત્ર ટેક્નોલોજી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગત રસ લઈને આ બિલને કાનૂની સ્વરૂપ આપવા પ્રયાસ કરી રહ્યા છે.

ક્રિમિનલ ફોરેન્સિક અને બિન ફોરેન્સિક કાર્યવાહીમાં સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓનો ડેટા સરકારી એજન્સીઓ માટે ખાસ્સો હાથવગો સાબિત થાય તેમ છે. સરકાર આ બિલ મારફતે નેશનલ ડી.એન.એ. ડેટાબેંક ઊભી કરવા માગે છે. અકસ્માત કે દુર્ઘટનાનો શિકાર થયેલા કે ખોવાઈ ગયેલા લોકોની ઓળખાણ, અદાલતમાં ચાલતા વિવિધ દાવાઓ, વાલી-વારસદાર વિવાદ, સ્થળાંતરને લગતા મુદ્દાઓ, વસ્તીના આંકડા કે આઇડેન્ટિફિકેશન રિસર્ચ જેવી બાબતોમાં આ ડેટાબેંકની મદદ લેવાનો સરકારનો હેતુ છે. આ ડેટાબેંકના સેમ્પલમાં વ્યક્તિનાં જનનાંગોના ટિસ્યુથી લઈને વિડિયોફોટોગ્રાફી જેવા ડેટા પણ હશે.

આધાર કાર્ડ, ડી.એન.એ. પ્રોફાઇલિંગ અને સરકારની ત્રીજી એક મહત્ત્વાકાંક્ષી યોજના નેશનલ ઇન્ટેિલજેન્સી ગ્રીડને તમે જો સરકારની દલીલ ‘રાઇટ ટુ પ્રાઇવસી એ સંવૈધાનિક અધિકાર નથી’ સાથે જોડો તો દાખલો એવો બેસે કે તમારી આંખના રંગથી લઈને તમારા શરીરમાં કેવા પ્રકારના જીન્સ છે તે તમામ માહિતી સરકારની 11 જેટલી એજન્સીઓ, જેવી કે રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ, ઇન્ટેિલજન્સ બ્યુરો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, નેશનલ ઇન્વેિસ્ટગેશન એજન્સી, સી.બી.આઇ., ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેિલજન્સ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો પાસે હશે.

એટલે તમે રેલ કે હવાઈ મુસાફરી કરો, ઇન્કમટેક્સ ભરો, ફોન કોલ્સ કરો, બેંક ટ્રાન્ઝેક્શન કરો, ક્રેડિટ કાર્ડ વાપરો, સંપત્તિની આપ-લે કરો, ઇમિગ્રેશન પેપર્સ ભરો કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો તે તમામ ગતિવિધિ આમાંની કોઈપણ એજન્સીની નજરમાં હશે. નાગરિકોની તમામ ગતિવિધિઓ પર નિગરાની રાખતી આ એજન્સીઓ કોને અને કેવી રીતે જવાબદેહ હશે એની કોઈ સ્પષ્ટતા નથી. 2010માં નેશનલ ગ્રીડની યોજના માટે કેબિનેટની સિક્યુરિટી કમિટીની બેઠક મળી ત્યારે તેમાં આ માહિતીઓનો રાજકીય હેતુસર ગેરઉપયોગ થવાનો ભય વ્યક્ત કરાયો હતો. તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહે ત્યારે નાગરિકોની પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે પૂરતો બંદોબસ્ત કરવાનું સૂચન કર્યું હતું.

ત્યારથી લઈને આજ સુધી લોકોના સંવેદનશીલ ડેટાની ગુપ્તતા અને સુરક્ષા અંગેના સવાલો અનુત્તર રહ્યા છે. ચિંતા એ વાતની છે કે ટેક્નોલોજિકલ પ્લેટફોર્મ પર પડેલી માહિતી ક્યારે ય નાબૂદ થતી નથી એટલે તમે 25 વર્ષની ઉંમરે કોઈક ખોડ ખાંપણથી પીડાયેલા હો (અને તમે 50 વર્ષની ઉંમરે સંપૂર્ણપણે ફિટ હો) તો એ વાત ‘મેરા બાપ ચોર હૈ’ની જેમ કાયમ માટે જડાયેલી રહે. તમે ભૂતકાળમાં સાઇક્યિાટ્રિક સારવાર લીધી હોય કે એક્સ્ટ્રા મેરિટલ સંબંધ માટે કોર્ટનાં ચક્કર કાપી આવ્યા હો તો એ માહિતી પણ એજન્સીઓના ખિસ્સામાં હશે.

તમારી અને સરકાર વચ્ચે આ પ્રકારનો સંબંધ હોય, જ્યાં તમારી તમામ ગોપનીય માહિતી એજન્સી પાસે હોય અને તમને એના ઉપયોગ (કે ગેરઉપયોગ) અંગે કશી જ ખબર ન હોય, એ હકીકત જ અકળાવનારી છે. આ યોજના પર સરખી ચર્ચા થાય તે પહેલાં સરકારે આ ડી.એન.એ. ડેટા વિશ્લેષણ માટે અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેિસ્ટગેશન પાસેથી એક વિશેષ પ્રકારનું સોફ્ટવેર ખરીદવાની સમજૂતી પણ કરી લીધી છે.

ડી.એન.એ. ટેક્નોલોજીના વિશેષજ્ઞ, વૈજ્ઞાનિક અને કાનૂની નિષ્ણાતો ડી.એન.એ. સેમ્પલની સચ્ચાઈ વિશે પણ સંદેહ વ્યક્ત કરી રહ્યા છે. આમાં સૌથી મોટું ઉદાહરણ દિલ્હીનો આરુષિ હત્યાકાંડ છે જેમાં ડી.એન.એ. સેમ્પલ લેતી વખતે થયેલી ગરબડના કારણે પૂરી તપાસ અધ્ધર લટકી ગઈ હતી. અમેરિકા અને બ્રિટનમાં ડી.એન.એ. પ્રોફાઇલિંગની ગોપનીયતા અને સચ્ચાઈને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. ભારતમાં એને લઇને ઢંગની ચર્ચા પણ થઈ નથી.

આમાં ગોપનીયતા ઉપરાંત પૂરી યોજનાનું બજેટ કેટલું છે અને એમાં કેટલી અને કેવી ટેક્નોલોજીનો ઉપયોગ થશે તે પણ સ્પષ્ટ નથી. આધાર કાર્ડની યોજનાના ચાર વર્ષ પછી પણ એના બજેટથી લઈને એની વ્યવસ્થા સંબંધી કેટલા ય સવાલો અનુત્તર છે. દુનિયાભરમાં આવી યોજનાઓ પર બહુ વિરોધ અને વિવાદ થયા છે. માનવાધિકાર સંગઠનો આને લોકતંત્ર માટે જોખમી માને છે. અમેરિકાએ સુરક્ષા માટે થઈને આવી સખત યોજનાઓ બનાવી તે પછી પણ આતંકવાદ પર નિયંત્રણ આવી શક્યું નથી. સુરક્ષાનાં કારણોને આગળ ધરીને સરકાર પોતાના જ લોકોની જાસૂસી કરે એવી વ્યવસ્થા જ લોકોમાં અસુરક્ષા અને ભય પેદા કરવા પૂરતી છે. ભારતમાં રાજનૈતિક હેતુઓ માટે વિરોધીઓના ફોન ટેપ કરવાની ‘ગૌરવશાળી’ પરંપરા બહુ જૂની છે. તેવા સંજોગોમાં સત્તાધારી સરકાર ડી.એન.એ. પ્રોફાઇલિંગ હેઠળના વિશાળ ડેટાબેંકનો રાજકીય આશયથી ઉપયોગ કરે તેવી સંભાવના અસ્થાને નથી.

ભારતમાં આઇ.ટી. એક્ટ, 2008 હેઠળ શંકાના આધારે કોઈ પણ વ્યક્તિના ફોનને સીમિત સમય સુધી ટેપ કરી શકાય છે. મઝાની વાત એ છે કે બ્રિટિશ શાસનના સમયમાં બનાવાયેલા ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટમાં આમ લોકોની પ્રાઇવસીની પૂરતી તકેદારી રખાઈ હતી. એ કાનૂન પ્રમાણે સુરક્ષા અથવા તો કટોકટી જેવી સ્થિતિમાં જ ફોનથી જાસૂસી કરી શકાતી હતી. 2008માં સુધારિત એક્ટ પ્રમાણે સરકાર હવે કોઈ પણ બાબતની તપાસમાં શંકા પડે તો ફોન ટેપ કરાવી શકે છે.

મશહૂર અમેરિકન લેખક એન રેન્ડે કહ્યું હતું કે સમાજ જ્યારે પ્રાઇવસી તરફ પ્રગતિ કરે ત્યારે એની સભ્યતા વધુ ઘનિષ્ઠ થતી જાય. સંગઠિત સમાજ અને જંગલી જીવનમાં આ જ તફાવત છે. જંગલમાં બધું જ સાર્વજનિક હોય છે. નિજતા, ગોપનીયતા અથવા પ્રાઇવસી એ સામાજિકતાની નિશાની છે. સરકાર, પછી તે ગમે તે પક્ષની હોય, હંમેશાં પોલીસ સ્ટેટના પક્ષમાં હોય છે જેમાં આમ લોકોની તમામ બાબતો પર સરકારની નજર કે નિયંત્રણ હોય. પ્રાઇવસીનો મતલબ એ કે વ્યક્તિ ખુદ નક્કી કરે કે કેટલી હદ સુધી એ પોતાને બીજી વ્યક્તિ સાથે વહેંચે અથવા શેર કરે. સરકારને જે રીતે લોકોના ડી.એન.એ.થી લઈને પરિવાર સુધીની માહિતી પોતાના નિયંત્રણમાં લેવા માગે છે તેમાં આપણે સાર્વજનિક, જંગલ જીવન તરફ આગળ વધતા હોઈએ તેવું લાગે છે.

e.mail : rj.goswami007@gmail.com

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5092262-NOR.html

Loading

Aadhunik Moodivaad : Saidhantik Dhaaranao ane Vaastav

રોહિત શુક્લ|Samantar Gujarat - Samantar|25 August 2015

આધુનિક મૂડીવાદ : સૈદ્ધાંતિક ધારણાઓ અને વાસ્તવ

——————————————————————————

અર્થશાસ્ત્ર મૂડીવાદ અને બજાર બાબતે કેટલીક ધારણાઓ ધરાવે છે. આ ધારણાઓ પરસ્પર ગુંથાયેલી છે અને તેથી એક ‘મોડલ’નું સ્વરૂપ ધારણ કરે છે. ટૂંકમાં આ મોડલ આ પ્રમાણે છે :

તમામ વ્યક્તિ સ્વાર્થ પ્રેરિત હોય છે. આથી કોઈ કોઈને છેતરી શકતું નથી. ગ્રાહક વધુ ભાવ આપશે નહીં અને વેચનાર ખોટ ખાશે નહીં. વેચનાર અસામાન્ય નફો મેળવવાનો પ્રયાસ કરશે તો ગ્રાહકો તેને છોડીને અન્ય પાસે જતા રહેશે.

આ પ્રક્રિયા બરાબર ચાલે તે વાસ્તે વેચનારા વચ્ચે હરીફાઈ હોવી જોઈએ અને વેચનારા ઓછામાં ઓછી કિંમતે વેચાણ કરી શકે એ વાસ્તે તેમણે અત્યંત કાર્યક્ષમ બની રહેવું પડશે. મૂડીને ઓછામાં ઓછું વ્યાજ, શ્રમને ઓછામાં ઓછું વેતન તથા જમીનને ઓછામાં ઓછું ભાડું આપે ત્યારે જ ઉત્પાદક પણ – ઓછામાં ઓછો -નફો રળી શકશે.

આ બંને બાબતો; બજારમાં ગ્રાહક અને વેચનારનું મિલન તથા ઉત્પાદનમાં સાધન સંયોજન ઇષ્ટતમ રહે, તે વાસ્તે લોકશાહી વ્યવસ્થા જોઈશે. સરકારે આર્થિક ક્ષેત્રે દખલબાજી કરવાની નથી. જો બધાં જ પરિબળો યોગ્ય રીતે કામ કરે તો બધાને આપોઆપ જ; જાણે કે કોઈક ‘અદૃશ્ય હાથ’ વડે, સુખ મળી રહેશે.

અર્થશાસ્ત્રે છેલ્લાં અઢીસો વર્ષથી આ રટ લગાવે રાખી છે. પણ તે પછી વોલ્ગાથી ગંગા અને મિસિસિપીથી સાબરમતીમાંથી પાર વગરનાં પાણી વહી ગયાં છે. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઝડપી આર્થિક વૃદ્ધિ, ગરીબી નિવારણ કે માનવ વિકાસ અને લોકશાહી જેવી તમામ રચનાઓ વાસ્તે પોતે જ સક્ષમ છે એમ કહેનારો મૂડીવાદ ખરેખર તો નાયક નહીં પણ ખલનાયક છે.

મૂડીવાદી રચનાઓના ઉપર કથિત મોડલમાં વાસ્તવિક જગતનો સહેજ જ અર્ક ઉમેરીએ તો ખબર પડશે કે ખરેખર તો આ વૈશ્વિક મૂડીવાદ માત્ર બે-ચાર દેશોને જ નહીં પણ સમગ્ર વિશ્વને તબાહ કરવાના કાવત્રાંબાજીના પેંતરા ભરી રહ્યો છે. આથી જ નવા મૂડીવાદને ‘ક્રોની કેપીટાલીઝમ’ – ‘ગઠિયો મૂડીવાદ’ કહેવામાં આવે છે. આ ગઠિયો મૂડીવાદ રાજસત્તા, ધર્મસત્તા અને ન્યાયસત્તા સાથે જાતભાતના ખેલ રચે છે. તેનો ઇરાદો માત્ર નફો મેળવવાનો હોય છે અને આ માટે તે કોઈ પણ હદે જઈ શકે છે.

આ વિચારણાને સમજવાનું પ્રારંભબિંદુ એ છે કે આ ગઠિયા મૂડીવાદમાં નફો, સંબંધો, લાગવગ, ભ્રષ્ટાચાર વગેરેનાં પરિણામે અને નહીં કે બજારના મુક્ત હોવાના કારણે નીપજે છે. પેલા સૈદ્ધાંતિક અને પુસ્તકિયા અર્થશાસ્ત્રમાં નફો ‘જોખમ ખેડવાનો’ બદલો ગણાય છે. પણ વૈશ્વિક કોર્પોરેટ જગતમાં નફો મેળવવા માટે જોખમ ઉઠાવવાનું પરવડે તેમ હોતું નથી.

અમેરિકામાં વીસમી સદીમાં થયેલા ઉદ્યોગીકરણની તરાહનો ઉલ્લેખ પણ અહીં પ્રાસંગિક બને છે. અમેરિકન ઉદ્યોગોએ પરસ્પર હરીફાઈ કરવાને બદલે ઈજારો સ્થાપવાના અનેક પ્રકારના પેંતરા ચલાવ્યા. આ પ્રક્રિયા સામે ઝૂકી જવાને બદલે અમેરિકન સરકારે લોકહિતનું રક્ષણ કરવા સંખ્યાબંધ કાનૂનો ઘડ્યાં. આ કાયદાઓ એન્ટી ટ્રસ્ટ એક્ટ્રસ તરીકે ઓળખાયા.

આ બાબત સ્પષ્ટ થાય તે વાસ્તે વાસ્તવિક જગતની એક ‘કેસ સ્ટડી’નો સહારો લઈએ. આ કેસ સ્ટડી પોલેન્ડમાં સ્થપાયેલી દાએવુ નામની કોરિયાની મોટરકાર કંપનીનો છે. આ કંપનીએ પોલેન્ડમાં પોતાની ફેક્ટરી નાંખી અને લગભગ બે અબજ ડૉલર(લગભગ સવાસો અબજ રૂપિયા)નું રોકાણ કર્યું. જોખમના વાતાવરણમાં આવી વિશાળકાય કંપની પ્રવેશી જ ન શકે. જો અન્ય કંપનીઓ સાથે તીવ્ર હરીફાઈ થાય તો આટલું બધું મૂડીરોકાણ ધોવાઈ જાય. તેને કરજ આપનારી બૅંકો કે શૅર ખરીદનારા રોકાણકારોએ રોવાનો વારો આવે. કંપનીની શાખ ડૂબે અને ભવિષ્યમાં પણ તેને મુશ્કેલી પડે.

આ લેખના પ્રારંભે ગ્રાહકની જે ‘સ્વાર્થબુદ્ધિ’(રેશનલ બિહેવિયર)ની વાત કરી તે ઉત્પાદક કંપની કે વેચાણકાર પેઢીને પણ લાગુ પડે છે. આ દાએવુ કંપની પણ રેશનલ બિહેવિયર ધરાવે છે અને તેથી નફો કમાવા વાસ્તે જોખમ ઉઠાવવાને બદલે રાજકારણીઓ અને સત્તાધીશોને રાજી રાખવામાં તેમને સહેલો, સારો અને ભરોસાપાત્ર માર્ગ મળી આવે છે.

આથી આ દાએવુ કંપનીએ જાતજાતના કીમિયા અજમાવ્યા. આપણે ત્યાં પણ એક શબ્દપ્રયોગ ઘણો ફેશનેબલ છે, અને તે છે ‘લાએઝાં’. આને સહેજ બદલીને પી.આર. (પ્યાર ?) કહેવાય છે. લગભગ દરેક મોટા કોર્પોરેટ હાઉસમાં આ પી.આર. અને લાઍઝાં ચાલતા હોય છે. (રાજદ્વારી ક્ષેત્રમાં લાએઝાં વધુ પ્રચલિત છે) આપણે ત્યાં તાતા નેનોના પ્રારંભકાળમાં એક નામ-નીરા રાડીઅા-ખાસ્સું જાણીતું બનેલું.)

દાએવુ કંપનીના આવા લાએઝાં વિભાગના માણસો સરકારી તંત્ર સાથે ખાસ્સો ઘરોબો ધરાવતા હતા. આ માટે કંપની પોલેન્ડના અધિકારીઓ તથા રાજકારણીઓ સાથે એટલી નિકટ સરકી આવી હતી કે સરકારી નિર્ણયો ઉપર પણ તેમનો પ્રભાવ હતો. દા.ત. મોટરકારમાં વપરાતી સામગ્રી પૈકી એકેયની ઉપર જો બજેટ દ્વારા કરબોજ વધારાય તો કંપનીની નફાકારકતા ઉપર અસર પડે. આથી લાએઝાં, દ્વારા સરકારી બજેટ જાતિ ઉપર માફકસરનો પ્રભાવ પડતો રહેતો.

વળી, આ કંપનીએ પૉલેન્ડને ‘હબ’ બનાવી યુરોપના અન્ય દેશોમાં પણ પોતાનો નિકાસ વેપાર વધારવાનો હતો. સવાસો અબજ રૂપિયા ખર્ચીને જે જથ્થાબંધ ઉત્પાદન થાય તે વેચાઈ તો જવું જોઈએ ને ! આથી આ કંપની સરકારના નીતિનિયમોમાં થતા ફેરફારોની કોઈ અવળી અસર પોતાની ઉપર ન પડે તે વાસ્તે સાવધ હતી.

ઉત્પાદનનો પ્લાન્ટ નાંખવો (જમીન સંપાદન !) ઉપરાંત પાણી, વીજળી, રસ્તા વગેરે જેવી આંતર માળખાકીય સુવિધા તો રાજ્ય પેલા મેળાપીપણાના કારણે ગોઠવી આપે. આ પ્રકારના સંબંધોને કારણે ઉત્પાદન ખર્ચ નીચું રહે. ઉપરાંત, સરકારી નીતિઓને કારણે ઉદ્દભવવાપાત્ર જોખમોની સામે આ કંપનીને રક્ષણ પણ મળે. જો કંપની, સરકાર અને તેના તંત્રની વધુ નજીક હોય તો અન્ય કંપનીઓનો પ્રવેશને પણ તે અવરોધી શકે. જરૂર પડે ત્યારે હરીફ કંપનીઓને નુકસાન થાય તેવી નીતિઓ ઘડવાનું સરકારને ‘સમજાવી’ શકાય.

આ બધું કરવા છતાં બીજા બે પાસાં એવાં છે કે જેને વિશે કંપનીએ અલગ પ્રકારના પ્રયાસો કરવાના રહે છે. પહેલું તો એ કે નૂતન ટેક્‌નોલૉજીમાં શ્રમનો ઉપયોગ ગમે તેટલો ઘટે પણ તેને સાવ બંધ કરી શકાતો નથી. વળી પૉલેન્ડ તો અગાઉનો સામ્યવાદી દેશ હતો. આથી ત્યાં મજૂર મંડળોનું ‘જોર’ હોય તે સ્વાભાવિક જ ગણાય. આપણે ત્યાં પણ પાનેસરમાં કામદાર મંડળોની માંગણીઓથી ભાગી છૂટીને મારુતિ-સુઝુકીએ પોતાનો પ્લાન્ટ ગુજરાતમાં બહેચરાજી નજીક ખસેડ્યો છે. આ બાબતે આપણા દેશબંધુઓ એવા કામદારોના હિતને લક્ષમાં લઈને તેની તરફ સહાનુભૂતિ દર્શાવવાને બદલે સરકાર જુદી જ વાત કરે છે. આ બાબતને રાજ્યના ‘ગૌરવ’માં ખપાવી દેવાય છે; આપણે કોઈ મહાન સિદ્ધિ હાંસલ કરી છે અને આપણા ધનભાગ્ય કે મારુતિ જેવા મહેમાન આપણા જેવાના આંગણે પધાર્યા; હવે આપણે વિકાસની હરણફાળ ભરી છે અને હવે રાજ્ય ઓટો હબ બન્યું છે તેવી વાતોને આગળ કરવામાં આવે છે. આમાં મલ્ટીનેશનલ કોર્પોરેશનની ગઠિયાગીરી છે તે આપણી નજરે પણ ચઢતું નથી.

પણ દાએવુ કંપનીએ આ મુશ્કેલીનો એક આગવો રસ્તો શોધી કાઢ્યો છે. કંપની પોતાના કર્મચારીઓની ગતિવિધિ, પ્રભાવકતા વગેરેનો ખ્યાલ રાખે છે. ખાસ પ્રકારના કર્મચારીઓને પસંદ કરીને કોરીઅામાં ‘વધુ તાલીમ અર્થે’ મોકલીને ખુશ રખાય છે. કામદારોને પૂરતા વેતન આપવા કે તેમનો ગુસ્સો વહોરી લેવો તેના કરતાં આ ચાલાકી સસ્તી અને વધુ કારગત નીવડે છે.

પોતાના સંપૂર્ણ કાબૂમાં ન હોય તેવો બીજો મુદ્દો ગ્રાહકો દ્વારા થતી માંગનો છે. કંપની એક ઉત્પાદક તરીકે પોતાની પ્રોડક્ટ રજૂ કરે અને ઉત્પાદન સાથે સંકળાયેલાં જોખમોને મેનેજ કરી લે તે સમગ્ર વ્યવહારનું એક પાસું થયું. સામે છેડે, બીજું પાસું ગ્રાહકોના હાથમાં રહે છે. યાદ રાખવાનું છે કે એક અતિ વિશાળ કંપની દર વર્ષે પુષ્કળ ઉત્પાદન કરે તો જ ટકી શકે તેમ હોય છે. આથી તેનું માર્કેટિંગ પણ જબરદસ્ત રહેવું જોઈએ.

આપણે ત્યાં જેમ થાય છે તેમ પોલેન્ડમાં પણ કાર લોન, સરળ હપતા વગેરેના પેંતરા તો રચાય જ છે. પણ આ કંપની તો તેથી પણ સવિશેષ સક્રિય છે.

પોલૅન્ડમાં ખ્રિસ્તી ધર્મ પળાય છે. આથી ત્યાં દેવળોમાં લગ્ન થાય છે. આ લગ્ન વાસ્તે વર-વધૂ પોતપોતાના નિવાસસ્થાનેથી નીકળીને ચર્ચ સુધી કોઈ પગપાળા જવાના નથી. તેમને મોટરગાડીઓ તો જોઈશે જ ને ! કંપનીના ડીલરો પોતપોતાના વિસ્તારોમાં થનારા લગ્નોની માહિતી મેળવી વર-વધૂનો સંપર્ક કરી તેમને ગાડીની સગવડ ઓફર કરે છે. આ માટે પહેલાં તેમને પોતાના શો-રૂમમાં બોલાવી ગાડીઓની ખૂબીઓ અને વિશેષતાઓ સમજાવે છે. આમ કરીને નવાં પરણેલાંના મગજમાં એટલાં સ્વપ્નાં ભરી દેવાય છે કે તે પૈકી ઘણાં, નવા લગ્નના નશામાં, ગાડી ખરીદી જ લે છે. તેમાં પેલા કાર લોનવાળા પણ એટલા જ ઉત્કટ રીતે ભળેલા હોય છે તે ઉમેરવાની જરૂર પણ નથી.

હવે આપણી વાત :

આ કિસ્સો બતાવે છે કે વિશાળ કોર્પોરેટ હસ્તીઓ ઉત્પાદન કે વેચાણ અંગેના નિર્ણયો કરે ત્યારે શિષ્ટ અર્થશાસ્ત્રીની પોથી ખોલીને બેસતા હોતા નથી. ઉત્પાદન શરૂ કરવામાં કે તે પછી સરકારી નીતિઓ, અન્ય ઉત્પાદકોની હરીફાઈ, મજૂરોનાં આંદોલનો કે ગ્રાહકોની પસંદ કે નાપસંદ જેવા કાબૂ બહારના બનાવો તેમને નડે તેમ હોતા નથી.

આપણા વડા પ્રધાન વિદેશોમાં ‘મેક ઈન ઇન્ડિયા’ વિશે પ્રચાર કરે છે પરંતુ વિદેશી રોકાણકારો જોખમો ઉઠાવીને રોકાણ કરવા તૈયાર ન જ થાય. આથી ક્રોની કેપિટાલિઝમ, મેળાપીપણાવાળો – ગઠિયાગીરીનો મૂડીવાદ અનિવાર્ય બને છે.

વિકાસના નવા મોડલની તથા ગઠિયાગીરીવાળા મૂડીવાદની ચાવી આ બાબતમાં છુપાયેલી છે :

• સરકાર જો મફતના ભાવે જમીન ન આપે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?

• સરકાર જો મફતના ભાવે પાણી ન આપે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?

• સરકાર જો તેમને માટેના કરવેરા નીચા (કે શૂન્ય ?) ન રાખે તો ઉદ્યોગો અહીં શીદને આવે ?

જંગલ, શ્રમ, વ્યાજના દર વગેરે અનેક મુદ્દાઓની બાબતે પણ આ જ પ્રશ્નો વારંવાર ઊભા થાય છે. જો આટલી બાબતોની તાર્કિકતા સમજી લઈએ તો સાથોસાથ એ પણ સ્પષ્ટ થશે કે :

સામંતશાહીના જમાનાના દરબારો ભરવાથી મૂડીરોકાણ સંભવી ન શકે.

ઠાઠમાઠ કે દબદબા ઊભા કરવાથી અબજો રૂપિયા લઈને કોઈ દોડી ન આવે.

આ અર્થમાં (ક્યારેક ભારતમાં પણ રહેતા !) આપણા વડાપ્રધાનશ્રીના વિદેશ પ્રવાસોના કારણે કશું વિશેષ નીપજી ન શકે.

છતાં, જો વિદેશ પ્રવાસ દરમિયામ, કોર્પોરેટ હાઉસિઝને જોખમ સામે રક્ષણ પૂરું પડાય અને કુદરતી સંસાધનો તેમ જ માનવશ્રમ સસ્તા ભાવે પૂરો પાડવાની, પ્રત્યક્ષ કે પરોક્ષ આશા / ખાતરી અપાય તો આ મૂડીરોરાણ આવી શકે. અલબત્ત, આવી ખાતરી અન્ય દેશોની સગવડો કરતાં વિશિષ્ટ હોવી ઘટે.

આ સમગ્ર તર્કનો એક નવો ફાંટો પણ ફૂટવા માંડ્યો છે અને તે છે જાસૂસીનો. કોર્પોરેટ જગત એકબીજા ઉપર તેમ જ સરકારી તંત્ર અને વજનદાર વ્યક્તિઓની જાસૂસી કરે છે. તેના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જુલિયન અસાંજેનું ‘વિકીલિક્સ’, એડવર્ડ સ્નૉડનનો પર્દાફાસ તથા અનેક પ્રકારના સ્ટિંગ ઓપરેશનો આનાં ઉદાહરણો છે. એડવર્ડ સ્નોડને જે પર્દાફાસ કર્યો તેનાથી અમેરિકન સરકારનો પણ ગઠિયાગીરીનો ચહેરો ખુલ્લો થયો. અમેરિકન સરકાર, જર્મનીના ચાન્સેલરના મોબાઇલ ફોનની વાતચીત ઉપર જાસૂસી કરતી હતી. તથ્ય એવું બહાર આવ્યું કે અમેરિકન સરકારે, જર્મની દ્વારા થનારા વિદેશી મૂડીરોકાણની માહિતી મેળવી પોતાના ઉદ્યોગપતિઓ માટે જે તે દેશમાં મૂડીરોકાણની તકો ખોલી આપી હતી. જર્મન ઉદ્યોગપતિના સોદાની વિગતો જાણી અમેરિકન ઉદ્યોપગતિને અપાય તો પેલાને સોદા કરવામાં અનુકૂળતા ઊભી થાય. એડવર્ડ સ્નોડનના આ પર્દાફાસમાં દક્ષિણ અમેરિકાના એક દેશના પ્રમુખ એવા એક બહેનના પણ મોબાઈલ ફોનની જાસૂસી અમેરિકા કરતું એવું બહાર આવ્યું. તે અરસામાં તે બહેન અમેરિકા રાષ્ટ્રપતિ સાથે ડીનર લેવાના હતાં. આ પ્રોગ્રામ તે બહેને તાત્કાલિક રદ કર્યો.

આધુનિક મૂડીવાદ, લોકશાહી, હરીફાઈ, કાર્યક્ષમતા, બજાર, ગ્રાહક વગેરે અંગે અલગ પ્રકારનાં સમીકરણો ધરાવે છે. આથી, આર્થિક વૃદ્ધિ થવાથી વિકાસ થશે કે અદૃશ્ય હાથ બધું બરાબર કરી દેશે તેવી ભ્રમણામાંથી સવેળા બહાર આવવું રહ્યું.

લેખમાં ઉલ્લેખિત કેસસ્ટડીની વિગત : “The Socio-Political Behaviour of Multi-National Corporations in the Context of Business Networks – The case study of the Korean MNC in a European country”. Amjad Hadjikhani Pervez Ghauri and Joongwoo Lee. Department of Business Studies, Upsala University, School of Business Administration, Manchester University and Inje University, Korea.

‘નયા માર્ગ’, ૧૬-૬-૨૦૧૫

Loading

Greeceni Behaali : Aarthik-Rajkiya SammishranonuM Du:swapna

રોહિત શુક્લ|Opinion - Opinion|25 August 2015

ગ્રીસની બેહાલી : આર્થિક-રાજકીય સંમિશ્રણોનું દુઃસ્વપ્ન

——————————————————————————

પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ, સિકંદર વગેરે જેવાં કેટકેટલાં ભવ્ય નામો, વિચારો અને કર્મો ગ્રીસ સાથે સંકળાયેલા છે! ઈ.સ. પૂર્વે ચારેક હજાર વર્ષના કાળથી એથેન્સ, જગતના પ્રવાહોને ઓળખી અને નાણી રહ્યું છે. આ દેશના પાટનગર એથેન્સમાં ઈ.સ. પૂર્વે પાંચમા સૈકાનાં સ્થાપત્યો આજે પણ ઊભાં છે. ભારતની જેમ ગ્રીસમાં પણ અનેક દેવી-દેવતાને પૂજવામાં આવતા અને તેમનાં ચમત્કારોથી ભરપૂર અનેક કહાનીઓ છે. પરંતુ આ ગ્રીસ અકલ્પ્ય એવી આર્થિક તાણમાંથી ગુજરી રહ્યું છે. જ્યાં આર્થિક તાણ હોય ત્યાં રાજકીય અને સામાજિક પ્રતિભાવો જન્મે એ સાવ સ્વાભાવિક જ ગણાય.

૧૯૭૪માં ગ્રીસ લશ્કરી શાસનમાંથી મુક્ત બન્યું તે પછી તેનો આર્થિક વૃદ્ધિનો દર સારો એવો ઊંચો રહ્યો. ૧૯૯૯માં તે યુરોપિય સંઘનું સભ્ય બન્યું. તે પછી લગભગ એક દાયકા સુધી તેનો આર્થિક વૃદ્ધિનો દર ઊંચો જ રહ્યો.  છેક ૨૦૦૯ સુધી તે લગભગ ૪.૨ ટકાના દરે વધતું રહ્યું. યુરોઝોનના અન્ય સાથી દેશોની વૃદ્ધિ આટલી ઊંચી ન હતી.

આવા ગ્રીસમાં આજે અકલ્પ્ય હાલાકી પ્રવર્તે છે. તેના યુવાધનના લગભગ ૬૦ ટકા લોકો બેકાર છે. એથેન્સ જેવા ભવ્ય અને પૌરાણિક શહેરમાં દર અગિયારે એક વ્યક્તિ સદાવ્રત ઉપર નભે છે. બે લાખ લોકોના માથે છાપરું નથી. ૨૦૦૯થી ૨૦૧૫ સુધીમાં એઈડ્‌ઝના દરદીઓની સંખ્યામાં બસો ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ લગભગ ભાંગી પડી છે. ગ્રીસ જેવા યુરોપના એક વિકસિત દેશની આવી હાલત કેમ થઈ ? ૨૦૦૯ સુધી ઝડપથી વધતું અર્થતંત્ર આટલું બધું અને આટલી ઝડપથી કેમ કથળી ગયું તે પ્રશ્ન વિચારવાનો થાય છે.

છેક ૧૯૮૯માં મિલ્ટન ફ્રીડમેન અને પોલ ક્રુગમાન જેવા અર્થશાસ્ત્રીઓએ યુરોઝોનની રચના સામે ચેતવણી ઉચ્ચારી હતી. તેમનો મુદ્દો એ હતો કે વિવિધતા ધરાવતા યુરોપીય દેશોને યુરો જેવા એક જ ચલણમાં, સાંકળવાની નીતિ ભૂલભરેલી છે. મિલ્ટન ફ્રિડમેન તો તેમની શિકાગો સ્કૂલ દ્વારા નવ્ય મૂડીવાદના મુખ્ય મઠાધીશ તરીકે જાણીતા હતા. આમ છતાં, યુરોપમાં ઉભરેલા નવ્ય મૂડીવાદમાં પણ એક જ ચલણના વિચારનો તેમણે વિરોધ કર્યો હતો.

તાજેતરનાં કેટલાક બનાવો અંગે ઉપર ટપકે વિચાર કરવા જઈએ તો ગ્રીસની આ કમનસીબી નવ્યમૂડીવાદ – ખાસ કરીને વૈશ્વિકીકરણ સંદર્ભમાં એક જ ચલણ લાગુ કરવાના સંમિશ્રણનો એક બનાવ જણાય છે. આ બનાવને કારણે મૂડીવાદની ભવ્યતા ઝાંખી પડતી નથી એમ દલીલ થઈ શકે. પરંતુ આ તાત્ત્વિક ચર્ચા ઉપર આવતા પહેલા ગ્રીસમાં કટોકટી ઊભી કરનારા કેટલાક બનાવો ભણી નજર નાંખીએ :

ગોલ્ડનમેન સાખ્સ અમેરિકાના નાણાં વર્તુળોનું એક પ્રચંડ નામ છે. ૨૦૦૮ની અમેરિકન મંદીમાં આ કંપની તો ડૂબી જ પણ તેણે અન્ય અનેકને ડૂબાડ્યા પણ ખરા. પણ ગ્રીસ અને યુરોપના અન્ય કેટલાક દેશો જેવા કે સ્પેન, ઈટાલી, લેટીવિયા વગેરેમાં આ નામ એક જુદા જ કારણસર કુખ્યાત બન્યું છે. ગ્રીસને તેણે ખોટા હિસાબો કેવી રીતે રજૂ કરાય તે શીખવ્યું. (અન્ય કેટલા દેશોને આવું શીખવ્યું છે તે હજુ બહાર આવ્યું નથી.) આવા ખોટા હિસાબોને કારણે નાણાવર્તુળોમાં શરૂઆતમાં ગ્રીસની શાખ જળવાયેલી રહી. આ શાખને કારણે તે ઓછા વ્યાજે ધિરાણ પણ મેળવતું રહ્યું. યુરોપના અન્ય દેશોની તુલનાએ ગ્રીસમાં વ્યાજ વધારે હોવાથી યુરોપની અનેક નાણાં સંસ્થાઓએ ગ્રીસમાં પૈસા રોક્યા.

બીજી તરફ ગ્રીસમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક છે, જેને કારણે સરકારને કરવેરા દ્વારા જે આવક થવી જોઈતી હતી તે થતી નથી. ગ્રીસના ધનવાનોના સ્વીસ બૅંકોના ખાતાઓમાં કદાચ ૮૦ અબજ યુરો કે તેથી વધુ રકમ ધરબાયેલી પડી છે. (જો આ રકમ પાછી આવે તો દરેકના ખાતામાં પંદર લાખ યુરો જમા થાય કે નહીં તેની કોઈ ચર્ચા ત્યાં, ચૂંટણીઓમાં પણ થતી નથી. ગ્રીસની ‘બ્લેક ઇકોનામી’ – કાળાંનાણાંનું સમાંતર અર્થકારણ તેની જી.ડી.પી.ના ૨૪.૩ ટકા હોવાનો અંદાજ છે.) સરકારને કરવેરા દ્વારા પૂરતી આવક થતી ન હોવાથી બજેટમાં ખાધ રહે છે. આ ખાધનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. ૧૯૯૯માં ગ્રીસની બજેટ ખાધ તેની જી.ડી.પી.ના પાંચ ટકા હતી તે ૨૦૦૮-૦૯માં વધીને પંદર ટકા થઈ.

ત્રીજી બાબત એ બની કે યુરો જર્મની કે ફ્રાંસ જેવા દેશો માટે કદાચ ઉચિત આંતરરાષ્ટ્રીય મૂલ્ય ધરાવનારું ચલણ હશે પણ ગ્રીસ માટે તે અધિમૂલ્યિત છે. અર્થશાસ્ત્રના નિયમાનુસાર જ્યારે ચલણનું અવમૂલ્યન થાય ત્યારે નિકાસો વધતી હોય છે અને આયાતો ઘટતી હોય છે. ચીન જાણી જોઈને પોતાના ચલણનું મૂલ્ય નીચું રાખે છે જેથી તે વિદેશોમાં સસ્તા ભાવે વધુ નિકાસ કરી શકે. પણ ગ્રીસ માટે યુરો અધિમૂલ્યિત હોવાથી તેની નિકાસો ઓછી અને આયાતો વધુ રહેતી. આ વેપાર ખાધને પહોંચી વળવા વાસ્તે પણ ગ્રીસે દેવું કરવું પડ્યું. વિદેશી બૅંકોએ શરૂમાં આ નાણાં ધીર્યા.

ચોથું, ૨૦૦૭-૦૯ દરમિયાન અમેરિકામાં અને તેને પગલે યુરોપમાં પણ મંદી પ્રસરી. આ સંજોગોમાં ગ્રીસની નિકાસો વધે નહીં અને વેપારના ચાલુ ખાતાની ખાધ વધે તેવી સ્થિતિ સર્જાઈ. જો ગ્રીસ યુરો ચલણ સાથે સંકળાયેલું ન હોત તો તેની પાસે પોતાના ચલણના અવમૂલ્યનનો રસ્તો હતો. ગ્રીસે અવમૂલ્યન કર્યું હોય તો તેની નિકાસો વધી હોત અને એટલા પ્રમાણમાં દેવું ઘટ્યું હોત.

૨૦૦૯માં ગ્રીસના હિસાબોના ગોટાળા બહાર પડ્યા તેની સાથે જ તેની શાખ ઘટી ગઈ. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ગ્રીસના બોન્ડના રેટીંગનું ‘જન્ક’ – કચરો નામ પાડ્યું. આની સાથે જ લોકો બોન્ડ વેચવા દોડ્યા. ૨૦૦૭માં બોન્ડ ઉપરનું વ્યાજ ૪.૫૩ ટકા હતું તે ૨૦૦૯ સુધીમાં ૧.૭૮ ટકા થયું હતું. પરંતુ તે પછી શાખ ગુમાવવાને કારણે જાન્યુઆરી ૨૦૧૨માં ૧૨૯.૯૭ ટકા અને જુલાઈ, ૨૦૧૨માં ૧૭૭.૩૭ ટકાએ પહોંચ્યું. બોન્ડની કિંમત જેમ ઘટે તેમ વ્યાજનો દર વધારે થતો જાય છે. બોન્ડ એક કાગળ છે. દા.ત. ભારતમાં સો રૂપિયાનો બોન્ડ વર્ષે છ રૂપિયા વ્યાજ આપે તો તે છ ટકા વ્યાજ થયું. હવે જો આ જ કાગળિયું રૂ. ૧૦૦ને બદલે માત્ર રૂ. ૧૦માં મળતું થાય તો હવે દસ રૂપિયા ઉપર છ રૂપિયા એટલે કે સાઠ ટકા વ્યાજ બેસશે.

યુરોઝોનના આર્થિક ક્ષેમકુશળની ચિંતા કરનારી ત્રણ ત્રણ સંસ્થાઓ છે. તે છે યુરોપિયન સહિયારી બૅંક (ઈ.સી.બી.), યુરોપિયન કમિશન (ઈ.સી.) અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈ.એમ.એફ.). આ ત્રણે – ટ્રોઈકા કે ત્રેખડ – ગ્રીસની વહારે દોડી આવ્યા. તેમણે બેઈલ આઉટ પેકેજ જાહેર કર્યા. મે, ૨૦૧૦માં આ ત્રેખડે ૧૧૦ અબજ યુરોની લોન આપી. જો કે આ માટેનો વ્યાજનો દર, યુરોપના પ્રવર્તમાન દરોના પ્રમાણમાં ઘણો ઊંચો-સાડા પાંચ ટકા-રખાયો. આ ધિરાણની સાથે આ ત્રેખડે શરત મૂકી કે ગ્રીસે હવે કસર કરવી. આ કસરનો અર્થ પેન્શનમાં કાપ, વેતનમાં કાપ, સરકારી ખર્ચામાં કાપ ઉપરાંત જાહેર સંપત્તિનું ખાનગીકરણ કરવું એવો થતો હતો. આ તમામ પગલાં લોકવિરોધ હતા અને તેની સામે સમગ્ર દેશમાં વ્યાપક અને સજ્જડ હડતાળો પડી.

આ કરકસરના સખત પગલાંને લીધે વેતનોમાં ૨૦ ટકા સુધીનો કાપ આવ્યો. બજેટ ખાધ, જે ૨૦૦૯માં જી.ડી.પી.ના ૧૧ ટકાએ પહોંચી હતી તે ૨૦૧૧માં ઘટીને માત્ર ૨.૪ ટકાએ આવી ગઈ. પણ આટલી ઝડપથી આટલાં કડક પગલાં ભરાયાં તેથી મંદી ફરી વળી. ૨૦૧૧માં જી.ડી.પી. ૭.૧ ટકા ઘટી ગઈ. બે લાખ કારખાના બંધ થઈ ગયા. ૨૦૦૫ની તુલનાએ ઔદ્યોગિક ઉત્પાદન ૨૮.૪ ટકા ઘટી ગયું. ૧,૧૧,૦૦૦ કંપનીઓ નાદાર થઈ ગઈ. જે ૨૦૧૦ની તુલનાએ ૨૭ ટકા વધુ હતી.

આ મંદીમાં બેકારી પણ વધે જ. ૨૦૦૮ના સપ્ટેમ્બરમાં બેકારીનો દર ૭.૫ ટકા હતો; તે મે, ૨૦૧૨માં ૨૩.૧ ટકા થયો. યુવા બેકારીનો દર ૫૪.૯ ટકા થયો. ૨૦૧૫માં એકંદર બેકારીનો દર ૨૫ ટકાથી વધુ છે. અમેરિકામાં ૧૯૨૯માં શરૂ થયેલી વિશ્વમંદી વખતે પણ આવી જ બેકારી હતી. આજે એથેન્સ જેવાં શહેરોમાં ૨૦ ટકા દુકાનો ખાલી છે. બૅંકો બંધ છે અને એ.ટી.એમ.માંથી પણ માત્ર પેન્શનધારકોને દૈનિક ૬૦ યુરો જેટલી જ રકમ ઉપાડવાની છૂટ છે.

આ સ્થિતિમાં લોકજુવાળ ફાટી ન નીકળે તો જ નવાઈ કહેવાય. પરિણામે ૨૦૧૪ની આખરે ફરીથી ચૂંટણીઓ થઈ. ૨૦૧૫ના જાન્યુઆરીમાં ત્યાં સીરીઝા નામનો સામ્યવાદી પક્ષ સારી એવી બેઠકો મેળવી ગયો. તેના નેજા હેઠળની સંવિદ સરકાર હાલ ત્યાં સત્તા ઉપર છે.

આ ગાળા દરમિયાન પેલા ત્રેખડે ગ્રીસને બીજી ત્રણ વાર મોટી મોટી રકમોની લોનો આપી. આનું પરિણામ એ આવ્યું કે ગ્રીસની કથળતી હાલત જોઈ ચૂકેલી યુરોપિયન બૅંકોએ પોતાનાં ધિરાણો પાછાં મેળવી લીધાં. આમ ત્રેખડની લોન જાણે કે આ બૅંકો તથા અન્ય માલેતુજારોને બચાવી લેવા વાસ્તે અપાઈ હોય તેવું બન્યું. ત્યાંના સામાન્ય માણસના ભાગે તો બેકારી, વેતનકાપ, ભૂખમરો અને એઈડ્‌ઝ જ આવ્યા. બે લાખ લોકો ઘરવિહોણાં બન્યા અને માત્ર એથેન્સ શહેરમાં જ દસ ટકા વસતી અન્નક્ષેત્રો ઉપર ગુજારો કરનારી બની. આર્થિક નીતિની અસરો કોઈક યુદ્ધ કરતાં ઓછી ભયાનક નથી. આ પગલાંને લીધે ગ્રીસની જી.ડી.પી. ૨૫ ટકા ઘટી ગઈ છે.

૨૫મી જૂને જે હપતો પાકતો હતો તે ગ્રીસ ભરી શક્યું નહીં. પણ સામે તેણે એક રાજકીય પગલું ભર્યું. તેણે લોકો સમક્ષ આ મુદ્દો એક જનમત – રેફરન્ડમ – તરીકે રજૂ કર્યો. ગ્રીસની ૨૦૧૪ની આખરની ચૂંટણી પછી વડા પ્રધાન બનેલા સામ્યવાદી પક્ષના સિપ્રાઝ કહે છે કે યુરોપીય સંઘ અમને વારેવારે હલકા પાડે છે અને બ્લેકમેલ કરે છે. તે અમને વારેવારે ‘હજુ કસર કરો – હજુ કસર કરો’ એમ કહ્યા કરે છે. અમે જાણે કે યુરોપનું કોઈ ગુલામ રાજ્ય હોઈએ તેવો વર્તાવ કરે છે. આ યુરોપિય સંઘ કહે છે, હજુ વધુ કસર કરો તો વધુ ધિરાણ આપીએ. જનમત સંગ્રહમાં ૬૧ ટકા લોકોએ યુરોપિયન સંઘની આ માંગણીઓ વિરુદ્ધ મત આપ્યો. આટલા મોટા પ્રમાણમાં જનમત વિરુદ્ધમાં જશે તેવું  યુરોપે ધાર્યું ન હતું.

સવાલ એ છે કે હવે શું ? ૩૦મી જૂન ૨૦૧૫ સુધીમાં ગ્રીસનું દેવું ૩૨૩ અબજ યુરોએ પહોંચ્યું છે. ૨૦૦૮માં દેવા : જી.ડી.પી. ગુણોત્તર ૧૦૯ હતો તે ૨૦૧૦માં ૧૪૬ થયો છે. અત્યાર સુધી લીધેલા ધિરાણના વ્યાજ સહિતના હપતા પણ નજીકના ભવિષ્યમાં ભરતા જવાનું છે.

સમસ્યા એ પણ છે કે ગ્રીસના ભારે જનમતે વધુ કરકસરને જાકારો તો આપ્યો પણ હવે બધો વ્યવહાર ચાલશે કઈ રીતે? ભારત સહિતના અનેક દેશો નવું દેવું કરીને જૂનું ચૂકવતા હોય છે. પણ ગ્રીસ માટે આ માર્ગ હવે બંધ થાય છે. હપતા ભરી ન શકવાને કારણે તે નાદાર પણ જાહેર થશે. સંભવ છે કે તેને યુરોપીય સંઘમાંથી હાંકી પણ કઢાય. આમે ય તે નવ્ય મૂડીવાદના ગઢ સમાન યુરોપમાં ઉગ્ર ડાબેરી એવા સીરીઝા પક્ષનો ઉદય વેઠાતો નથી. આમ છતાં ગ્રીસે ત્રેખડની શરતો સ્વીકારી હજુ વધુ કરકસર કરવાનું કબુલ્યું છે. સિપ્રાઝને પોતાના સામ્યવાદી સાંસદોનો પણ પૂરતો ટેકો ન મળતા વિપક્ષોનો ટેકો મેળવ્યો. ગ્રીસને લગભગ ૯૮ અબજ ડોલરની સહાય ત્રણ હપ્તામાં આપવાનું નક્કી થયું. આ રકમનો પ્રથમ હપ્તો ૧૩ બિલિયન યુરોનો આપવામાં આવ્યો છે. તેમાંથી ૩.૨ અબજ યુરો તો ઈ.સી.બી.એ દેવા પેટે મેળવી લીધા છે. બાકીની રકમો પણ લેણદારો લઈ જશે અને નવા રોકાણ વાસ્તે કશું જ બચશે નહીં!

સિપ્રોઝે નવેસરથી ચૂંટણીની માગ કરી છે. એક મૂડીવાદી રચનાએ દેશના આમ આદમીનું જીવન તોફાનોથી ભરી દીધું છે.

• ગ્રીસની આ ટ્રેજડીમાંથી જગત માટે કોઈ બોધપાઠ ખરા ?

• ગ્રીસના જ્યારે ‘અચ્છે દિન’ હતા ત્યારે આ જ ફ્રાંસે તેને લલચાવીને શસ્ત્રો વેચ્યાં. (ભારતના વડાપ્રધાનશ્રીએ પણ તાજેતરના ફ્રાંસ પ્રવાસ દરમિયાન લડાકુ વિમાનોની ફોજ ખરીદીને પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો છે.) જર્મનીએ બિનજરૂરી સબમરિનો પધરાવી ગ્રીસ પાસેથી નાણાં ખંખેરી લીધા.

• નવ્ય મૂડીવાદને દેશોની અંદરના ‘નાના’ ભ્રષ્ટાચાર નહીં પણ ગોલ્ડમેન શાખ્સ જેવા દેશાંતરી ભ્રષ્ટાચારો ચાલે તેની ખબર રહેતી નથી.

• ગ્રીસને જો પોતાનું અલગ ચલણ મળે તો તે અવમૂલ્યન કરીને નિકાસો વધારવા પ્રયાસ કરશે.

• ગ્રીસની યુરોપીય સંઘમાંથી હાંકી કઢાયા બાદ અન્ય નબળાં અને દેવાદાર દેશો, જેવા કે ઇટલી, આયર્લૅન્ડ, પોર્તુગાલ, લેતવિયા વગેરે પણ ભાગ્યે જ ટકી શકે.

• ગ્રીસ આખરે અસ્થિર બનશે અને તેનું ભાવિ ધૂંધળું છે તેવો મત ઈકોનોમિસ્ટે વ્યક્ત કર્યો છે.

ભારતે આ ટ્રેજડીમાંથી ઘણું શીખવાનું છે. ફ્રાંસ, જર્મની વગેરે દેશો શસ્ત્ર સરંજામ, વિમાનો વગેરેની નિકાસ કરીને આપણા જેવા ગરીબ દેશોમાંથી અબજો ડૉલર પડાવી જવા આતુર છે. ફ્રાંસ પાસેથી લેવાયેલા વિમાનો તેનું તાજું ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે ભારતના એન્જિનિયરિંગ સામાન અને સોફ્ટવેરની નિકાસો ઉપર અસર પડશે. અલબત્ત ગ્રીસનું પતન અન્યત્ર કેટલું ફેલાય છે તેની ઉપર તેનો આધાર છે.

નવ્ય મૂડીવાદના વિમર્શમાં ઊતરીએ તો જણાય છે કે આ વિચાર કોઈક સૈદ્ધાંતિક અને પાઠ્યપુસ્તકો પ્રમાણે ચાલનારો નથી. મુક્ત વેપાર અને બજારવાદ કે હરીફાઈ અને કાર્યક્ષમતા જેવા શબ્દોને પૂરી શંકા સાથે એને ગ્રીસ જેવા દેશોના અનુભવોના સંદર્ભે જોવા જોઈએ. નવ્ય મૂડીવાદના પાઠ્ય પુસ્તકોમાં વર્ણવાએલી આ સ્પર્ધાત્મકતામાં તમામ દેશો એક સમાન શક્તિથી ભાગ ન લઈ શકે. રમતના બધા ખેલાડીઓને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ મળતું નથી. આથી દરેક દેશે પોતાના હિત સમજીને મેદાનમાં ઉતરવું રહ્યું. આ મુદ્દો જ બતાવે છે કે ‘બજાર’ની કામગીરી નિર્દોષ હોતી નથી. તેની અસરો કેવી વિઘાતક હોઈ શકે તેનો એક નમૂનો ગ્રીસે રજૂ કર્યો છે.

ગ્રીસના આ અનુભવથી વૈચારિક જગતમાં ખાસ કરીને નવ્ય મૂડીવાદની આગેકૂચ ઉપર કેવી અસરો પડશે તે વિચારવું રહ્યું :

• યુરોપિયન સંઘ વિવિધ દેશોમાં વડા પ્રધાનો અને ચૂંટાયેલી સરકારોના મતોને લક્ષમાં લીધા વગર સૈદ્ધાંતિક મૂડીવાદમાં શ્રદ્ધા ધરાવતા બાબુઓ દ્વારા ચાલે છે તે સાબિત થયું છે. મૂડીવાદ લોકશાહીથી વિખૂટો પડી ચૂક્યો છે.

• ગ્રીસના બનાવમાં જગતના માલેતુજારો, જેમ કે ગોલ્ડમેન સાખ્સ, લેહમાન બ્રધર્સ વગેરેના પણ મોટા કારસા ચાલ્યા છે. આ ગઠિયા મૂડીવાદને કારણે અતિ ધનિકો તથા ભ્રષ્ટાચારીઓ સિવાયનો સમગ્ર સમાજ ભારે હાલાકીમાં મુકાઈ ગયો છે.

• વૈશ્વિકીકરણને બદલે દેશના આંતરિક અર્થકારણનું અને તેમાં ય નાના અને લઘુ ઉદ્યોગો તથા ખેતીનું મહત્ત્વ વિશેષ છે. નિકાસો પાછળ દોડનારા દેશો પાયમાલી નોંતરી રહ્યાં છે.

નયા માર્ગ’, ૧૬-૭-૨૦૧૫

Loading

...102030...3,7883,7893,7903,791...3,8003,8103,820...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved