Opinion Magazine
Number of visits: 9552667
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સેતુબંધ તૂટી ગયો

કુમાર પ્રશાંત|Profile|3 April 2015

તારીખ પ્રમાણે, ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ વલસાડમાં જન્મેલા નારાયણ દેસાઈનું અવસાન ૧૫ માર્ચ, ૨૦૧૫ના રોજ સુરત નજીકના વેડછી ગામે સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલયમાં થયું. તો ઉંમર થઈ ૯૦ વર્ષની. એકદમ પાકી ઉંમર ! એ ઉંમરની કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન તો અકાળ માની શકાય ન તો એના મૃત્યુથી શોક થવો જોઈએ. એ જાણ્યા પછી તો બિલકુલ નહીં કે તેઓ મસ્તિષ્ક-આઘાત પછી ૧૦ ડિસેમ્બરથી લગભગ ચેતનાશૂન્ય જ હતા. આધુનિક ચિકિત્સાની તાકાત એમને ત્યારથી અત્યાર સુધી ખેંચી રહી હતી. સુરતની એક હૉસ્પિટલમાં ફરીથી ચેતનવંત થવાના તેમના પ્રયત્નોને મદદ કરવાનો ઉપક્રમ થઈ રહ્યો હતો, છેલ્લે તેમને હૉસ્પિટલથી વેડછી ઘરે પાછા લાવવામાં આવ્યા કે તરત તેમણે પાછા જવાનો નિર્ણય લીધો. નાકમાં લગાવેલી શ્વાસ અને ભોજનની નળીઓ તેમણે જાતે જ કાઢી નાખી અને જીવનસંસારને અલવિદા કરી.

આ તો વ્યક્તિની વાત થઈ. પણ જીવન એમનું એવું હતું જેવું વિરલાઓનું હોય છે અને જ્યારે એવું લાગે કે ભગવાનના કારખાનામાં આવા માણસ બનવાનું બંધ ભલે ન થયું હોય, ઓછું તો થઈ ગયું છે, ત્યારે આ અવસાનનો અવસાદ મન પર ભારી લાગવા માંડે છે. ઇતિહાસમાં મોટા શૂરવીરો, વિદ્વાનો અને વિરાટ હસ્તિઓની ખોટ નથી. ખોટ છે તો પુલોની, સેતુઓની. પુલો જે દિલોને, મનોને, પ્રવાહોને અને એકાધિક વાર ઇતિહાસના કાલખંડોને જોડે છે. નારાયણ દેસાઈ એવા જ એક પુલ હતા અને એમનું નિધન એવા જ એક પુલના તૂટવા જેવું છે. સ્વતંત્રતા-આંદોલનની કેટલી ય હસ્તિઓ વિશે આપણું એટલું લખવું પર્યાપ્ત હોય છે કે તેમના નિધનથી ગાંધીયુગનો એક સ્તંભ નથી રહ્યો. નારાયણ દેસાઈ વિશે એવું કાંઈ લખવું એમના વિશે આપણા અજ્ઞાનનો પરિચય આપવા જેવું હશે.

હકીકત તો એ છે કે તેઓ એ વિરલાઓમાંના હતા જે મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને લોકનાયક જયપ્રકાશ નારાયણ જેવી વિરાટ અને મૌલિક પ્રતિભાઓ વચ્ચે સેતુબંધનું કામ કરતા હતા. ગાંધીના પુત્રવત્ અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ ગાંધીનો ‘બાબલો’ હતા અને એમના ખોળામાં જ રહ્યા-ભણ્યા-ઊછર્યા હતા. ગાંધીને ત્યાં ભણતરનો અર્થ ચોપડી કે સ્કૂલનું ભણતર નહિ પણ જીવનનું જીવન દ્વારા ભણતર એવો હતો. નારાયણ દેસાઈ પણ એવી જ રીતે ભણ્યા – કોઈ ઔપચારિક શિક્ષણ સંસ્થામાં ગયા વગર જ તેઓ શિક્ષકોના શિક્ષક બન્યા. ગુજરાતી, હિંદી, ઊડિયા, બાંગ્લા અને અંગ્રેજી એમની પોતાની ભાષાઓ હતી અને એ તમામમાં તેમનું વિપુલ લેખન પણ રહ્યું છે. ગુજરાતી સાહિત્યના અત્યંત સમ્માનિત સર્જકોમાં એમની ગણતરી થતી હતી અને ગુજરાતી સાહિત્યનાં કેટલાં ય માન-સન્માન એમના નામે થયેલાં છે. સાહિત્ય અકાદમી, મૂર્તિદેવી વગેરે સાહિત્યિક પુરસ્કારોથી લઈને વિશ્વશાંતિના સક્રિય સેનાની તરીકે પણ તેઓ પુરસ્કૃત-સમ્માનિત થયા.

ગાંધીની હત્યા થઈ ત્યાં સુધીમાં તેમણે એ જીવનદિશા શોધી લીધી હતી, જેની તલાશમાં આપણે જીવનભર ભટકતા જ રહીએ છીએ. એટલે ગાંધી પછી, ગાંધીની અહિંસક ક્રાંતિની પરિકલ્પના લઈને જ્યારે વિનોબા ભાવેએ ભૂદાન-આંદોલન શરૂ કર્યું, તો નારાયણ દેસાઈ તેમાં એટલી જ સહજતાથી સમાઈ ગયા જેટલી સહજતાથી સાગરમાં નદી સમાઈ જાય છે. પાછળથી પોતાનો સમાજવાદી વેશ ઉતારીને ક્રાંતિના શોધક જયપ્રકાશ નારાયણ પણ ત્યાં જ પહોંચ્યા. ભૂદાન-ગ્રામદાન-ગ્રામસ્તરનાં પગથિયાં ચડતાં જ્યારે સર્વોદય આંદોલન સંપૂર્ણ ક્રાંતિના મુકામ સુધી પહોંચ્યું, ત્યારે એક મોટો વિભ્રમ ફેલાયો. જયપ્રકાશ નારાયણે ત્યારે સમયની ગતિ ન સમજી શકવાના કારણે લથડી રહેલા આંદોલનને એ દિશા આપી જેને આંદોલનના જનક વિનોબા પણ સમજી ના શક્યા. એક જ વાત ઘણી કરુણ રીતે સામે આવી કે ક્રાંતિ પર કોઈનો કૉપીરાઇટ નથી હોતો. જયપ્રકાશ તે સમયે જે લોકોનો અવિચલિત સાથ મળ્યો, તેમાં નારાયણ દેસાઈ સૌથી આગળ હતા. સેતુનો એ સ્વભાવ પણ હોય છે અને ધર્મ પણ કે એ જ્યાં અભાવ કે શૂન્ય જુએ છે, ત્યાં જોડાણ ઊભું કરી દે છે. આવી રીતે આઝાદી મેળવવાના અને આઝાદીને અધિકાધિક અર્થપૂર્ણ બનાવવાના ત્રણ સૌથી મોટા અને પૂરેપૂરા મૌલિક પ્રયાસોને જોડવાનો અવસર નારાયણ દેસાઈને મળ્યો અને તેમણે દરેકને પૂરો ન્યાય આપ્યો. જયપ્રકાશનો સાથ મળ્યો તો નારાયણ દેસાઈ ઘણા ખીલ્યા. દુનિયામાં શાંતિવાદીઓમાં એમનું આગળ પડતું સ્થાન બન્યું અને એમણે યુદ્ધવિરોધી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને માર્ગદર્શન પણ આપ્યું. જયપ્રકાશ નારાયણના દરેક રાજનીતિક-સામાજિક પ્રયાસની સાથે નારાયણ દેસાઈ સંકળાયેલા રહ્યા.

જયપ્રકાશ ગયા તો ગાંધી-ક્રાંતિની ધારા કંઈક હતપ્રભ પણ થઈ અને થોડી ભટકી પણ. એ સમયે જે થોડા લોકોએ આગળ આવીને તેને સંભાળવાનું અને તેને દિશા આપવાનું કામ કર્યું, તેમાં ઊડિશાના મનમોહન ચૌધરી, રાજસ્થાનના સિદ્ધરાજ ઢઢ્ઢા, મહારાષ્ટ્રના ઠાકુરદાસ બંગની સાથે નારાયણ દેસાઈ પણ હતા. સુરત નજીક વેડછી ગામમાં તેમણે સંપૂર્ણ ક્રાંતિની તાલીમ આપવાના હેતુથી એક વિદ્યાલયની સ્થાપના કરી – સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય! યુવાનોને અહિંસક ક્રાંતિથી પરિચિત કરાવવાની આ એમની યોજનાબદ્ધ કોશિશ હતી. પ્રકૃતિથી તેઓ શિક્ષક હતા, વૃત્તિથી શાંતિસૈનિક અને વિચારોથી ક્રાંતિકારી. પછીનાં કેટલાંક વર્ષોમાં દેશભરમાં એકઠાં થઈ રહેલાં પ્રતિક્રિયાવાદી બળોને જોઈને એનો અહિંસક સામનો કરવાના રસ્તા તેઓ શોધી રહ્યા હતા. આ ત્યારની વાત છે, જ્યારે નારાયણ દેસાઈના ગુજરાતને સાંપ્રદાયિક બળોએ પોતાની પ્રયોગશાળા બનાવવાનું નક્કી કર્યું હતું. તેઓ રામ જન્મભૂમિ વિવાદના સમયે પણ વિવેક માટે સાદ કરતા રહ્યા અને પછી અયોધ્યા પહોંચીને શાંતિપૂર્ણ ઉપવાસ-ધરણાના કાર્યક્રમમાં સામેલ થયા અને હિંસક હુમલા સહન કર્યા. પછી ૨૦૦૨માં ગુજરાતમાં નરસંહાર થયો. તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને લાગ્યું કે તેમના મુખ્યપ્રધાને રાજધર્મનું પાલન ન કર્યું, તો નારાયણ દેસાઈને લાગ્યું કે આપણાથી રાષ્ટ્રધર્મનું પાલન કરવામાં ચૂક થઈ. તો એનું પરિમાર્જન શું ? તેમને અંતરથી રસ્તો મળ્યો અને તેઓ ગાંધીકથા લઈને સમાજ આગળ ઉપસ્થિત થયા. એ કહેવા ખાતર તો ગાંધીની કથા હતી, પણ અસલમાં એક વ્યક્તિએ આદરેલું યુદ્ધ જ હતું.

ગાંધીને પણ ઇતિહાસના એક વળાંક પર વ્યક્તિગત સત્યાગ્રહનું હથિયાર સૂઝ્યું હતું. નારાયણ દેસાઈને ગાંધીની જીવનગાથામાં પણ એક હથિયાર દેખાયું અને તેઓ એ હથિયારને લઈને લોકોની વચ્ચે જવા લાગ્યા. કથાનો આ અભિક્રમ વિકસિત પણ થવા લાગ્યો અને આવશ્યક પણ બનતો ગયો. પછી તો પોતાની કથા લઈને તેઓ દેશભરમાં ગયા, દેશની બહાર પણ ગયા અને ભાષાઓની કેટલીય દીવાલો પણ પાર કરી એમણે. આ પહેલાં તેમણે પોતાના પિતા મહાદેવ દેસાઈની બૃહદ્દ જીવનકથા – અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – અને પછી ચાર ખંડોમાં ફેલાયેલી ગાંધીની જીવનગાથા – મારું જીવન એ જ મારી વાણી – સમાજને આપી દીધી હતી. લેખો-વ્યાખ્યાનોનો અતૂટ ક્રમ તો ચાલતો જ રહ્યો હતો. કસ્તૂરબા અને જયપ્રકાશના જીવનનાં વિવિધ પાસાંને સમેટતી એક નાટિકા પણ આ દરમિયાન આવી. તેમને હૃદયની બીમારી હતી. તેમની ઑપનહાર્ટ સર્જરી થઈ ચૂકી હતી. તેઓ પેસમેકરના આધારે જીવતા હતા. પણ પોતાનો ચરખો ઉઠાવીને અને પોતાનો ચરખો ચલાવીને તેઓ કેટલીય વાર સમયની ગતિને પાછળ છોડતા રહ્યા.

પણ દરેક સ્પર્ધાનો અંત આવે જ છે. સમયની સાથેની એમની સ્પર્ધા એમણે અંતે સમાપ્ત કરી દીધી. સંપૂર્ણ ક્રાંતિ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને જાણે રેખાંકિત કરતાં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં તેમણે અંતિમ વિશ્રામ લીધો. વેડછી ગામને અડીને વહેતી વાલ્મીકિ નદીના કિનારે સજાવેલી ચિતાના સહારે તેઓ પોતાના ગાંધી-વિનોબા-જયપ્રકાશની પાસે પહોંચી ગયા.

હિંદીમાંથી અનુવાદ : આશિષ મહેતા

e.mail : k.prashantji@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 02-03

Loading

જેમનામાં મેં ગાંધી જોયા

મણિલાલ હ. પટેલ|Gandhiana|3 April 2015

અમારી પેઢી(૧૯૪૮ પછી જન્મેલી)ને ગાંધીજી પ્રત્યક્ષ જોવા ન મળ્યા, પણ અમે ગાંધીજીને એમનાં જીવનકાર્યો, એમના જીવનવિચાર, જીવનરીતિ તથા એમનાં લખાણોના અભ્યાસ દ્વારા પામવા મથતા રહ્યા. છતાં એવી વિરલ વિશ્વવિભૂતિને પ્રત્યક્ષ નહીં જોઈ શક્યાનો અફસોસ રહ્યો જ હતો. ગાંધીજીના તમામ સાહિત્યમાં એમનું જીવનકાર્ય તથા એમની જીવનદૃષ્ટિનો પરિચય શબ્દે-શબ્દે પદે-પદે પ્રાપ્ત થાય છે … !

નારાયણ દેસાઈનું પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ (૧૯૬૧) વાંચતાં તરત જ લાગેલું કે આ લેખનમાં ગાંધીમુદ્રા અને ગાંધીચેતના પદે-પદે હાજર છે. આ ગ્રંથના લેખકને જોયા વિના, મળ્યા વિના નહિ રહેવાય, એવો પણ ભાવ ઊંડે-ઊંડે જાગેલો. અસલ જીવનની સહજ ગતિ, વિચારનું આચારમાં પ્રગટવું તથા ભાષાની સાદગી છતાં તેની બળકટતાનો સાર્થ અનુભવ થવો – આ ત્રણે વાનાંનો વિરલ સંયોગ; જે ગાંધીજીની ‘આત્મકથા’માં અનુભવાયો હતો તે અહીં અનુભવાય છે. પછી તો નારાયણ દેસાઈને હાથે લખાયેલી, એમના પિતાશ્રી મહાદેવ દેસાઈની જીવનકથા ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચવા સાથે જ એક જુદી ભાવસૃષ્ટિમાં એક નોખી જ વિચારધારાવાળી જીવનશૈલીના અનુભવમાં મુકાવાનું બનેલું. નારાયણ દેસાઈને મળવા માટે છેક વેડછી આશ્રમ સુધી પણ બબ્બે વાર ગયો હતો. એક વાર એ આગલી સાંજે જ કશેક જવા નીકળી ગયેલા, ને બીજી વાર પ્રવાસથાક બાદ આરામમાં (તબિયતને લીધે પણ) હોવાથી મળી નહોતું શકાયું!

ત્રીજી વાર વેડછી ગયો. ગૂજરાત વિદ્યાપીઠે યોજેલાં કોઈ કાર્યશિબિરમાં ‘સાહિત્ય અને સમાજશિક્ષણ’ વિશે વાત કરવાની હતી. આ વખતે નારાયણભાઈ એમના નિવાસમાં હાજર હતા … હાથ જોડીને, નમસ્કારની મુદ્રામાં – એમ જ હું તો ઊભો રહી ગયેલો, એમનો આછેરું મલકતો સ્વસ્થ ચહેરો હું ભાવપૂર્વક જોતો રહેલો … મનમાં થયેલું કે ગાંધીજી પણ આ રીતે જ સૌને મળતા હશે. સાદગીભર્યું ઘર, સદરો અને ખુલ્લી મોરીનો લેંઘો પહેરીને બેઠેલા એ પ્રસન્નવદન નારાયણ દેસાઈમાં મને ગાંધી જોયાનો અહેસાસ થતો હતો. ગાંધીજીના ખોળામાં રમીને, એમની સાથે વાર્તા કરતાં-કરતાં જીવનઘડતરના પાઠ શીખતાં શીખતાં ‘મોટો’ થયેલો આ એક જ એવો માણસ હતો, જેમને ભેટી પડવાનું મન થતું હતું અને એમનો હાથ જે ગાંધીજીના હાથોમાં રહેલો હતો કે તે હાથ – મારા હાથમાં પકડી લઈને આંખે અડકાડવા મન ઊછળતું હતું …. પણ હજી એવો અવસર આવવાની વાર હતી.

થોડીક વાતો પછી અમો વાર્તાલાપ માટેના ખંડમાં હતા. મને આનંદ અને સંકોચ બંને થતાં હતાં. કાંતતાં-કાંતતાં એ મારો વાર્તાલાપ સાંભળી રહેલા. પછી રસોડા બહારના ઘટાદાર ઝાડ (આંબો) નીચે ગોઠવેલાં ટેબલ-પાટલી પર એમની સાથે જમવા બેઠા, ત્યારે મને થયેલું કે ‘આજનો મારો દિવસ જ નહિ, હું પણ ખરેખર ધન્ય થઈ ગયો છું …’ હું અનુભવતો હતો કે ગાંધીજી મારાથી માત્ર એક વ્યક્તિ જેટલા જ દૂર છે. જમતાં-જમતાં એમણે મારા વાર્તાલાપ સંદર્ભે કહેલું : ‘તમારી સ્મરણશક્તિ સારી છે. કશા કાગળો વિના પણ તમે તમારી બધી વાતો બરાબર મૂકી શક્યા છો … સરસ !’ દુનિયા ફરેલો, અનેક મહાન દેશભક્તોને, નેતાઓને, ચિંતકો, સેવકોને તથા સર્જકોને મળેલો તથા સભાઓને પોતાની વાતો બરાબરની પહોંચાડી શકેલો માણસ આટલો સરળ, સાદો તથા સહજ લભ્ય હોઈ શકે ?! મારી સામે એના ઉત્તર રૂપે નારાયણ દેસાઈ હાજર હતા. ગાંધીજીને નહીં જોયાનો મારો અફસોસ ઘણો ઘટી ગયો હતો.

‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચતાં-વાંચતા અનેક રીતે સમૃદ્ધ થવા મળતું હતું. મહાદેવ દેસાઈના જીવનચરિત્રમાં ગાંધીજી તથા કસ્તૂરબાની જીવનછબી સાથે કઠોર આચરણોનો પરિચય તો થાય છે જ, પરંતુ એ સાથે આપણા સાંસ્કૃિતક જીવનની છબી પણ પ્રભાવકતાથી ઉપસેલી પમાય છે. મહાદેવભાઈનું મંત્રીકાર્ય કેવું તો સંનિષ્ઠ, ગૌરવ અને ગરિમાભર્યું હતું, એ તરત પમાય છે. વળી, એમનું સમર્પણ અને કડક જીવન-આચરણ પણ વાચકને વશ કરી લે એવું છે. નારાયણ દેસાઈ જીવનકથાકાર – જીવનકથાલેખક તરીકે મુઠ્ઠી ઊંચેરા લેખક છે, એની પ્રતીતિ તો ‘મારું જીવન એ જ મારી વાણી’(ગાંધીજીની જીવનકથા)ના ચાર ભાગ વાંચતાં થાય છે. સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર, ડાયરીના લેખક મહાદેવ દેસાઈ – જેવા ગાંધીયુગના બધા ગદ્યકારોમાં ખુદ ગાંધીજીને પણ મોટા ગદ્યકાર લેખવા જ પડે એવું એમનું ગદ્ય છે. આ બધા ગદ્યકારોની હરોળમાં નારાયણ દેસાઈનું ગદ્ય એની સમૃદ્ધિને બળે બેસવાનું સામર્થ્ય પ્રગટાવે છે. જેણે ઔપચારિક રીતે શાળા-કૉલેજમાં જઈને શિક્ષણ જ નથી લીધું, એવી વ્યક્તિનું આવું સમૃદ્ધ ગદ્યલેખન દેશદુનિયામાં વિરલ ઘટના હશે, એમાં શંકાને સ્થાન નથી.

જુગતરામ દવેની જન્મશતાબ્ધીના અવસરે લખતરમાં એમની નિશ્રામાં શિક્ષણ વિશે વિચારો વ્યક્ત કરવાની તક મળી હતી, ત્યારે એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે વરાયા હતા … ને ડિસેમ્બર અધિવેશનમાં ચાર્જ લેવાના હતા. કાર્યક્રમ પછી મને બેસાડીને પરિષદની રીતરસમો, પ્રવૃત્તિઓ, સમાજના પ્રતિભાવો વિશે પૂછતા હતા. કહે કે મારે બધી હકીકતો જાણવી જોઈએ ને, તો જ હું નવું કંઈક વિચારી શકું. એમની ‘ઘણું બધું’ જાણવાની અપેક્ષા ‘તટસ્થ’ રહીને સંતોષે એવી જાણકાર અને નિસબત સાથે સક્રિય વ્યક્તિની એમને જરૂર હતી. મેં રાજેન્દ્ર પટેલનું નામ સૂચવેલું … ને પછીનાં પરિષદકાર્યો તો જાણીતાં છે. છેક સુધી રાજેન્દ્ર પટેલ એમના વિશ્વાસુ તથા પ્રીતિપાત્ર રહ્યા. ગુજરાતમાં યોજાયેલી સાહિત્યયાત્રાઓ વડે એમણે પ્રજાજાગૃતિનું મહત્ત્વનું કાર્ય કરેલું, જે કાર્ય પાઠફેરે ‘ગુજરાતી ભાષાસંવર્ધન’ દ્વારા રાજેન્દ્ર પટેલ તથા અનેક મુરબ્બીઓ આજે પણ આગળ ધપાવી રહ્યા છે.

સાહિત્યયાત્રાઓમાં હું પણ શક્ય હોય ત્યાં-ત્યાં બધે હાજર રહું અને જોડાઉં એવી નારાયણભાઈની, રાજેન્દ્ર દ્વારા મને ખાસ દરખાસ્ત હતી. ને મેં એ તક ઝપડી લીધેલી. હાસ્તો, જેમનામાં મેં ગાંધીજીને જીવતા જોયા અને જેમના લેખન દ્વારા હું ગાંધીજીને થોડું ઘણું પણ-મારી શક્તિ મતિ પ્રમાણે – સમજવામાં સફળ રહ્યો, એવા ગાંધીજીના ‘પ્રિય બાબલા’ સાથે રહેવા મળે એ અમૂલ્ય અવસર કોણ જવા દે ભલા ! રાજકોટ – ભાવનગર – કચ્છ – ભરૂચ – અંકલેશ્વર – લુણાવાડા ઇત્યાદિ સ્થળે હું જોડાયો હતો.

આ દિવસોમાં એમની સાથે હાથ મેળવવાની (જે હાથને ગાંધીજીનો હાથ વારંવાર સ્પર્શ્યો હોય એવા હાથ સાથે હાથ મેળવવાની) મારી ઇચ્છા પૂરી થયેલી … રજા લઈને એમનો હાથ વધુ વખત પકડી પણ રાખેલો … એમણે કોઈ પરદેશીની આવી જ એષણાની વાત કહી હતી. અલાસ્કાના દૂર અંતરના પ્રવાસમાં જ્યારે ગાડી ચલાવનારને ખબર પડી કે નારાયણ દેસાઈ નામનો આ પ્રવાસી જણ તો ગાંધીજીના ખોળામાં રમીને મોટો થયેલો છે, ત્યારે એ ખુશીનો માર્યો ગાડી રોકીને નીચે ઊતરીને નાચી ઊઠતાં બોલેલો – ‘અરે ! ચમત્કારો તો આજે ય થાય છે.’ આપણે લોકો ‘દાંભિક વિદગ્ધતા’નો ડોળ કરવામાં રહીએ છીએ, એટલે આવા અવસરોમાં આવકાર્ય મુગ્ધતા કે રાચવા – નાચવાની વાતને અવગણી કાઢીએ છીએ. પરંતુ સરસ પ્રસંગોની વાર્તા કરતા નારાયણ દેસાઈ પોતે કેવા તો પ્રસન્ન થઈ ઊઠતા હતા, એ તો એમની ‘ગાંધીકથા’ના જિજ્ઞાસુ શ્રોતાઓને જ ખબર હોય તો હોય ! એમણે પૂરી ૧૧૮ ગાંધીકથાઓ દ્વારા દેશવિદેશમાં ગાંધીવિચાર વહેતો કર્યો …

સાહિત્યયાત્રાઓ દરમિયાન મેં વાર્તાલાપોમાં સાહિત્ય આપણને આનંદ સાથે કેવી રીતે શાણપણ તરફ દોરે છે, એ વાત પર ભાર મૂકેલો. નારાયણભાઈનું, આ પદ્ધતિને, અનુમોદન મળતું એટલે શાતા વળતી. આ દિવસોમાં નારાયણ દેસાઈને સાવ સમીપેથી –

• સવારે પ્રાર્થના કરતાં જોયા – સાંભળ્યા.

• સાંજે ભજન કહેતાં સાંભળ્યા. ગાવામાં તલ્લીન જોયા.

• એમને વખતનો સદ્દઉપયોગ કરતાં નીરખ્યા.

• એમના સાદગીનો – અલ્પ જરૂરિયાતોનો પરિચય થયો.

• એમને વાંચતાં અને સાથે આરામ કરતાં પણ જોયા.

• દેશવિદેશના અનુભવની વાતો કરતાં સાંભળ્યા!

• કપરા કડવા અનુભવોનું તટસ્થ બયાન કરતાં જોયા.

વલ્લભવિદ્યાનગરમાં એમણે ગાંધીકથા કરી, ત્યારે રોજ સવારે નિવાસ આસપાસમાંથી એ ચાલતા. હું એમની સાથે જોડાતો. એ વખતની વાતો પણ યાદગાર બની ગઈ છે.

ઇઝરાયેલના પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થિનીએ એમને પૂછેલું કે ‘તમે ગાંધીજીને જોયા હતા ?’ ત્યારે એમણે જવાબ આપેલો : ‘હું ગાંધીજીને જોઉં એ પહેલાં એમણે મને જોયો હતો.’ ને આ વાત પેલી બાળકીને ટૂંકી વિગતોમાં સચોટ ભાવે સમજાવેલી. આપણાં વિદ્યાર્થીઓ કદી ય કોઈ વાત આજે ય પૂછતાં કેમ નથી ?! ચિંતા થાય છે.

‘જિગરના ચીરા : હિંદના ભાગલા અને ગાંધીજી’ (૨૦૧૩) પુસ્તક આપણા કેટલાક ખ્યાલો / ખોટી ધારણાઓનું નિરસન કરે છે. આઝાદીની લડાઈ અને એમાં ગાંધીજી દ્વારા થયેલાં આંદોલનો કેમ ને કેટલાં, કેવી રીતે મહત્ત્વનાં હતાં એની ચર્ચાઓ નવી પેઢીને ઘણી જ માર્ગદર્શક નીવડે એવી છે.

ગુજરાતી-હિન્દી-અંગ્રેજી-બંગાળી-ઊડિયા જેવી ભાષાઓના જાણકાર આ બહુશ્રુત વિદ્વાને, ખાસ તો ગાંધીવાદને જીવી બતાવનાર તથા જીવન સાર્થક કરનાર આ માણસે પચાસ જેટલાં પુસ્તકોનું લેખન સંપાદન કર્યું છે. જે માણસે અનેક વિપરીત સ્થિતિઓમાં પણ પોતાનામાં ગાંધીજીને સહજ રીતે જીવી બતાવ્યા હોય એવી વ્યક્તિની ચિરવિદાયથી આપણે વધારે રાંક થયા છીએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 03-05

Loading

અંતરના આનંદને વહેંચવાનું કામ તે રાજકારણ : નારાયણ દેસાઈ

આશિષ મહેતા|Opinion - Opinion|3 April 2015

માણસ રાજકારણમાં શું કામ પડે છે ? રાજકારણ અહીં સમાજસેવાના અર્થમાં છે, જેને અગાઉના જમાનામાં ‘રાજકીય ક્ષેત્ર’ કહેતા. બહારની  દુનિયાનાં તો ઘણાં કારણો છે, પણ અંદરનાં કારણો કયાં ?

નારાયણભાઈ દેસાઈ એક સમયે વિનોબા ભાવેની જિદ્દુ કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત ગોઠવી રહ્યા હતા, ત્યારે આ પ્રશ્ન આવ્યો હતો. કૃષ્ણમૂર્તિએ નારાયણભાઈને પૂછ્યું કે તમે રાજકારણ અથવા સમાજસેવામાં કેમ છો ? આમ તો ગાંધીજીના અંતરંગ સાથીઓનાં સંતાનો માટે ધરણાં-ઉપવાસ સિવાય પણ કારકિર્દીનો બીજા વિકલ્પો હોઈ શકે. કૃષ્ણમૂર્તિનો પૂછવાનો ભાવ એવો હતો કે સમાજકારણમાં પાડવાનું અંદરનું કારણ અહંકાર કે અંદરની હતાશા કે પછી એવું કાંઈ નકારાત્મક તો નથી ને; નારાયણભાઈનો જવાબ હતો કે, “હું સમાજસેવા એટલા માટે કરું છું, કારણ કે હું મારી અંદરનો આનંદ સૌની સાથે વહેંચવા માંગું છું.”

પીડ પરાઈ માટેની સમવેદના હોય, તો તે આધ્યાત્મિક પ્રગતિનો એક તબક્કો થયો, પણ નિર્ભેળ આનંદ વહેંચવાની પ્રેરણા હોય, તો નારાયણભાઈનું આધ્યાત્મિક બંધારણ ગાંધી-મહાદેવની નિશ્રામાં ઘણું પાકું થયું હશે. કૃષ્ણમૂર્તિ સાથેના સંવાદની વાત એમણે નવેમ્બર ૨૦૧૦માં કરી હતી. દિલ્હીમાં ફરી એક વાર એમની ગાંધીકથાનું આયોજન થયું હતું. પણ દોઢ કરોડની વસતિના શહેરમાં મહાત્માને યાદ કરવા માંડ પચાસેક લોકો હતા. નારાયણભાઈ નાદુરસ્તીમાંથી બહાર આવ્યા હતા અને એમનાં પુત્રી સંઘમિત્રાબહેન એમની તબિયતની કાળજી લઈ રહ્યાં હતાં. તબિયતની કે પાંખી હાજરીની નોંધ લીધા વગર ૮૫ વર્ષની ઉંમરે પણ નારાયણભાઈ વ્યાસપીઠ પર બેસવા સાથે ‘અંદરના આનંદ’ને વહેંચવામાં મગ્ન થઈ જતા હતા.

સવારે એકાદ કલાક માટે તેમણે સમય આપ્યો, ત્યારે અખબારી મુલાકાત પ્રકારની પ્રશ્નોત્તરી થયેલી. ઉતાવળે લખેલી નોંધના અંશો આ પ્રમાણે છે :

પ્રશ્ન : તમે જૂન ૨૦૦૪માં કોમી રમખાણનાં બે વર્ષ પછી ગાંધીકથાનો આરંભ કર્યો. કોઈ ખાસ કારણ ?

ઉત્તર : એક નાગરિક તરીકે, આપણી આસપાસ થતા તમામ સામાજિક અન્યાય અથવા ધાર્મિક પરિભાષામાં કહીએ તો પાપ માટે હું મારી જાતને જવાબદાર ગણું છું. જો આજે ગાંધી હોત, તો એમણે કહ્યું હોત કે, ‘હું દોષી છું.’ મને લાગ્યું કે ‘ગાંધીના ગુજરાત’માં નહિ પણ મારા ગુજરાતમાં આવું કેવી રીતે બને ? મેં શાંતિયાત્રા કાઢી, (અસરગ્રસ્તોનાં) બે બાળકોને દત્તક લીધાં. એ પછી મેં પાપના પ્રાયશ્ચિત માટે કંઈક રચનાત્મક કાર્યક્રમ કરવાનું વિચાર્યું. મારા જીવનમાં રચનાત્મક કાર્યક્રમ માટે કોઈ સૌથી વધુ પ્રેરણાદાયી વ્યક્તિ મેં જોઈ હોય તો એ ગાંધી જ છે. વિનોબા પણ છે. પરંતુ ગાંધી સૌથી વધારે. તો હું ગાંધીનું થઈ શકે એટલું અર્થઘટન કરું છું. અને લોકોની સામે મારું અર્થઘટન મૂકું છું.

હું જ્યારે ‘મારું જીવન એ જ મારી વાણી’ની હસ્તપ્રતનો છેલ્લો હપ્તો પ્રેસે મોકલી રહ્યો હતો, ત્યારે મને થયું કે પુસ્તક ઘણું વિશાળ થઈ ગયું છે. કેટલા લોકો એ વાંચશે? હું એવા કોઈ લોકપ્રિય માધ્યમની શોધમાં હતો, જેનાથી ગાંધીની વાત વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. મને લાગ્યું કે મોટા ભાગનાં અખબાર, સામયિકો અને ટીવી ચૅનલો સીધી કે આડકતરી રીતે વિજ્ઞાપનકારોનું કહ્યું કરે છે. અંતે કથાના સ્વરૂપમાં મને જે માધ્યમ જોઈતું હતું, તે મળ્યું.

પ્રશ્ન : તમે ૮૮ કથા કરી છે. (૨૦૧૦ સુધીમાં) અને ૧૦૮ કથા કરવા માગો છો. આ ઉંમરે એટલો બધો શ્રમ ?

ઉત્તર : ઘણી વાર મને લાગે છે કે હું થોડું વધારે કામ કરું, આ કામમાં મારી તમામ શક્તિ રેડી દઉં, તો કોઈ વાંધો નથી. અલબત્ત, મારી તબિયતની કાળજી લેવા સાથે જો હું એમ કરી શકું, તો વધારે સારું. મહિનામાં બે કથાનું આયોજન થાય તો પણ ૨૦ મહિનામાં ૧૦૮નું લક્ષ્ય પૂરું થઈ જશે.

પ્રશ્ન : અત્યાર સુધી કથાને કેવો પ્રતિભાવ મળ્યો છે ?

ઉત્તર : વધુ ને વધુ યુવાનો આવી રહ્યા છે.

પ્રશ્ન : એનું શું કારણ હશે? તાજેતરનાં વર્ષોમાં ફિલ્મ ઇત્યાદિ રસ્તે ગાંધી ફરી લોકપ્રિય થઈ રહ્યા છે એટલે ?

ઉત્તર : જુઓ, જે લોકો ગાંધીનું નામ વાપરી ખાતા હતા. એમને તો હવે ગાંધીનું નામ લેવાની પણ જરૂર લાગતી નથી. કૉંગ્રેસ પાર્ટીને ગાંધીની જરૂર લાગતી નથી. વિદેશના નેતાઓ શસ્ત્રસરંજામના સોદા કરવા ભારત આવે, ત્યારે તેમને રાજઘાટ જવાની જરૂર નથી. પણ નવી પેઢીને ‘રાજકારણ’માં વિશ્વાસ નથી, તેમને આજના રાજકારણમાં કોઈ ઊંડાણ જણાતું નથી. તો થોડા યુવાનો ગાંધી તરફ વળી રહ્યા છે. વિવિધ શહેરોમાં લોકો જે રીતે ગાંધીકથાને પ્રતિસાદ આપે છે, તેનાથી મને સંતોષ થયો છે.                                                 

૨૨, શુભમ્ ઍપાર્ટમેન્ટ, ૩૭, આઈ.પી.ઍક્સ્ટેન્શન, પરિવારગંજ, નવી દિલ્હી – ૧૧૦ ૦૯૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 05

Loading

...102030...3,7773,7783,7793,780...3,7903,8003,810...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved