Opinion Magazine
Number of visits: 9694134
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

29 August : Darshak Samvatsari

'કૃષ્ણાદિત્ય'|Opinion - Literature|1 September 2015

૨૯ ઑગસ્ટ : દર્શક સંવત્સરી

દર્શકે ગુજરાત સાહિત્ય અકાદમીનું અધ્યક્ષપદ સંભાળ્યું એના પછીના વર્ષની વાત છે. ત્રણેક દાયકાના વ્યાપ ઉપર પથરાયેલાં દર્શક સાથેનાં સ્મરણોમાં આ પ્રસંગ જાણે હજુ ગઈ કાલે જ બન્યો હોય એમ જુદો તરી આવે છે.

સવારનાં ચાપાણી પતાવી અમે નિરાંતે બેઠા હતા. બીજો કાર્યક્રમ છેક સાંજે હતો. સામાજિક, શૈક્ષણિક, ઐતિહાસિક એમ ઘણાં બધાં ક્ષેત્રોની વાતોના દોર ગૂંથાતા જતા હતા અને વાતચીતનું પોત ઘટ્ટ થતું જતું હતું. ત્યાં અચાનક દર્શક તરફથી વાતમાં થોડીક ક્ષણોનો વિરામ આવ્યો અને એમણે વાતનો એક નવો જ દોર શરૂ કર્યો.

એમણે કહ્યું કે ગયા વરસ દરમિયાન મારે હાથે એક મોટું કામ સિદ્ધ થયું છે અને એ કામ હતું ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ ઘડવાનું. એમણે ફોડ પાડીને સમજાવ્યું કે આ કામ પોતે મોટું એટલા માટે માને છે કે બંધારણ ઘડવામાં ખાસ કાળજી લેવામાં આવી છે. આજ પછી શાસક કોઈ પણ આવે અને શાસનતંત્ર કોઈ પણ પ્રકારનું આવે તો પણ બંધારણમાં એટલી ચોકસાઈપૂર્વકની ગોઠવણી છે, જેને અનુસરતાં ભવિષ્યમાં કોઈ પણ સરકાર અકાદમીની સ્વાયત્તતા ઉપર પોતાનો પંજો પાડી શકશે નહીં. એમણે કહ્યું કે પોતે પોતાના આ કાર્યથી ખૂબ સંતોષ અનુભવે છે. વધુમાં, ગુજરાત સાહિત્ય અકાદમીનું આ બંધારણ દેશની અન્ય ભાષાઓના પ્રદેશોને પણ દાખલો પૂરો પાડી શકશે અને ગુજરાતમાં સાહિત્યેતેર સંસ્થાઓ સાથે શાસનતંત્રના સંબંધો માટે એક નૈતિક ભૂમિકા બાંધી આપી શકશે.

એમનું આ કથન પૂરું કરવામાં એમણે સમય ઝાઝો લીધો નહોતો. પરંતુ એમની દૃષ્ટિએ આ કાર્ય અત્યંત મહત્ત્વનું હતું, તેવી દૃઢ છાપ મારા મન ઉપર પડી હતી. તેનાં કારણોમાં તત્કાલીન મારા ધ્યાન ઉપર જે મુદ્દા આવેલા, અને મને આજે ય જે સ્પષ્ટ રીતે યાદ છે, તે આ પ્રમાણે છે.

દર્શક સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં એમના હાથે હાંસલ થયેલી સિદ્ધિઓ વિશે તથા એમની સાહિત્યકૃતિઓ વિશે એમના વિચારો સાંભળવાના અને એના અનુસંધાનમાં એમની સાથે ચર્ચા કરવાના સંજોગો મને મળ્યા છે. ગાંધીચિંધ્યા માર્ગે સ્વાતંત્ર્યસંગ્રામ વિશેનાં એમનાં સ્મરણોનું અનુશીલન કરવાની તક મળી છે. આવા અન્ય કોઈ પ્રસંગે ન જોયો હોય એવો આત્મસંતોષનો અને આત્મગૌરવનો ભાવ એમના મુખ ઉપર આ પ્રસંગે મેં જોયો હતો, એમની વાણીમાં મેં સાંભળ્યો હતો. આ કારણને લીધે મારી યાદમાં આ પ્રસંગ હજુ ય તાજો છે. મેં ત્યારે વિચાર કર્યો હતો કે સ્વાતંત્ર્યની લડત વિશે, સાહિત્યના સર્જન વિશે, શિક્ષણના પ્રણેતા તરીકે ‘પોતે જાતે’ કશુંક હાંસલ કર્યાનો દાવો કરતા મેં જેમને કદી સાંભળ્યા નથી, તેમણે સામે ચાલીને અકાદમીના બંધારણના ઘડતરમાં પોતાના પ્રદાન વિશે આટલા આત્મગૌરવપૂર્વક કેમ વાત કરી હશે! આ વાતચીત થઈ તે સમયે મારી સૂઝસમજ મુજબ મને જે ઉત્તર સાંપડ્યો હતો, અને જે ઉત્તર આજે ય મને ખરો લાગે છે, આ મુજબ છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ ઘડવામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ નામની વ્યક્તિએ સ્વાતંત્ર્યસૈનિક યુવાન મનુભાઈ, શિક્ષણવિદ્દ મનુભાઈ પંચોળી અને સાહિત્યસર્જક દર્શક, એ સૌના જીવનઅનુભવની સમૃદ્ધિનો, જીવંત અનુભવની સામગ્રીનો, વિનિયોગ કર્યો હતો. અર્થાત્‌ એક જાગરૂક નાગરિકની મનસા વાચા કર્મણા થકી મેળવેલી સમ્યક્‌જ્ઞાનની એક ઉપલબ્ધિ એટલે એ સંવિધાનનું ઘડતર, એવી છાપ મારા માનસપટ પર છે.

એક સાહિત્યસંસ્થાની સ્વાયત્તતાનું રક્ષણ કરતું બંધારણ ઘડવાનું  યશપ્રદ કાર્ય દર્શક તથા અન્ય વિધાયકોએ કર્યું હતું. પરંતુ કોઈ પણ બંધારણની રક્ષાનું ઉત્તરદાયિત્વ હંમેશાં અનુજોને માથે હોય છે.

બૉસ્ટન

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 01

Loading

Farbas, Tamaara Jevo Gujarat Pratyeno pfrem kyaMthi Laavavo?

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|30 August 2015

ફાર્બસ, તમારા જેવો ગુજરાત પ્રત્યેનો પ્રેમ ક્યાંથી લાવવો? 

ગુજરાત આજકાલ બહું અશાંત અને ઉચાટભરી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. જાતિવાદી આંદોલનોમાં આખું રાજ્ય ફસાઈ ગયું છે. હિંસક ઘટનાઓએ 'શાંતિપૂર્ણ રાજ્ય'ની ઇમેજને ખરડી નાખી છે. જનતા ધુંધવાઈ રહી છે. ગુજરાતીઓને આવી હિંસા નથી શોભતી એવું ભાન એક દાયકા કરતાં લાંબા સમય પછી લોકોને થઈ રહ્યું છે. આજકાલ બધાના મોઢે ગુજરાતના વિકાસની, દિમાગમાં ચોંટી ગયેલી રેકોર્ડ સાંભળવા મળી રહી છે. જો કે, લોકો હવે વધારે નિખાલસતાથી વિચારતા અને પોતાના વિચારો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરતા થયા છે, એ આનંદની વાત છે. સામાજિક-રાજકીય ઊથલપાથલના આ દોરમાં ફરી ગુજરાતની અસ્મિતા વિશે ચર્ચાઓના દોર શરૂ થયા છે, ફરી ગુજરાતી સંસ્કૃિતની દુહાઈઓ દેવાનું શરૂ થયું છે.

આ સમયે ગુજરાતને દિલોજાનથી ચાહનારા એક વિદેશી અને એમાં ય બ્રિટિશર એવા એક સજ્જનની યાદ આવી જાય છે. યાદ આવવાનું એક નિમિત્ત એ પણ છે કે આવતી કાલે ૩૧મી ઓગસ્ટે આ માનવરત્નની ૧૫૦મી પુણ્યતિથિ છે. આ સજ્જન એટલે એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ.

ફાર્બસસાહેબ એક બ્રિટિશર હતા, પરંતુ જરા જુદી માટીના એ માનવી હતા. હા, આ ફાર્બસસાહેબે જ ગુજરાતને દિલોજાનથી ચાહ્યું હતું. દીપક મહેતા લિખિત પુસ્તક 'ફાર્બસ સમ સાધન વિના ન ઉધ્ધરત ગુજરાત (એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ – જીવન અને કાર્ય)'માં ફાર્બસસાહેબના ગુજરાત પ્રત્યેના પ્રેમ અને પ્રતિબદ્ધતાના અનેક કિસ્સા નોંધાયેલા છે. માત્ર ૪૪ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવનારા ફાર્બસસાહેબે જિંદગીનાં લગભગ ૧૩ વર્ષો ગુજરાતની ભૂમિ પર ગાળ્યાં હતાં. આ ૧૩ વર્ષોમાં ફાર્બસસાહેબે બ્રિટિશ સરકારની સેવા કરતાં તો ગુજરાત અને ગુજરાતી ભાષા તથા સંસ્કૃિતની સેવા વધારે કરી હતી, એવું કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. અમસ્તું કંઈ નર્મદ જેવો વીર સાહિત્યકાર તેમના પર ઓવારી ન જાય. ફાર્બસસાહેબનું નિધન પૂના ખાતે ૧૫મી ઓગસ્ટ, ૧૮૬૫ના રોજ થયા પછી નર્મદે પોતાના 'ડાંડિયો' સામયિકના ૧૫મી સપ્ટેમ્બર, ૧૮૬૫ના અંકમાં તેમને અંજલિ આપતાં લખ્યું હતું, "ફક્ત એમણે સાહેબી ભોગવી જાણી નથી. એમણે તો ગુજરાત જ પોતાનું વતન જાણ્યું છે. ગુજરાતીઓને ઉત્તેજન આપવા પરિશ્રમ લેવામાં બાકી રાખી નથી … સ્વભાવે ઘણા મિલનસાર કહેવાતા હતા. મનમાં ફોંકિયત કે મોટાઈ નહોતી. બધ્ધા લોકોની પ્રીતિ સંપાદન કરવી એ જ એમનો પક્ષ હતો માટે એમનું નામ થાય જ એમાં નવાઈ નહીં. (દલપતરામને ટોણો મારતાં ઉમેરેલું) ગુજરાતી કેટલાએક ગ્રંથકારોને તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. (તે બિચાર અડવા થશે – તે પણ દિલગીરીની વાત છે.)"

ફાર્બસસાહેબનો ગુજરાત પ્રત્યેના પ્રેમનો એક બીજો દાખલો પણ છે. માર્ચ ૧૮૫૮માં ફાર્બસની બદલી ખાનદેશના જજ તરીકે થઈ, પણ પોતાની પ્રિય કર્મભૂમિ ગુજરાતથી દૂર જવું તેમને પસંદ નહોતું. તેમને ગુજરાતમાં વધારે રહેવું હતું કારણ કે તેમને લાગતું હતું કે હજુ કાઠિયાવાડના ઇતિહાસ અને સંસ્કૃિત વિશે ઘણું જાણવાનું બાકી રહી ગયું છે. એટલે તેમણે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની જગ્યાએ પોતાની બદલી કરવા માટે સરકારને વિનંતી કરી. એ વખતે પોલિટિકલ એજન્ટને જજ કરતાં ઓછો પગાર મળતો હતો, છતાં ફાર્બસસાહેબે ગુજરાત પ્રત્યેના પ્રેમને કારણે પૈસાની પરવા નહોતી કરી. જો કે, સરકારે તરત એ અરજી નહોતી માની પણ પછી થોડા સમય બાદ તેમને કાઠિયાવાડમાં પોલિટિકલ એજન્ટ તરીકે મોકલવામાં આવ્યા હતા.

ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃિત વિશે ફાર્બસસાહેબે ઊંડા અભ્યાસ અને વર્ષોની મહેનત થકી 'રાસમાળા' નામના બે ગ્રંથો લખ્યાં હતાં. આ પુસ્તક દેશ-દુનિયામાં બહુ વખણાયું હતું. આ ગ્રંથના અંગ્રેજી અનુવાદના પુસ્તકમાં એ.કે. નારીને નોંધ્યું છે, "ફાર્બસે જે લોકો વિશે લખ્યું છે, તે લોકોને તેઓ ખરેખર ચાહતા હતા. એ લોકોના પરાક્રમની ગાથા ગાતા કોઈ રાસની વાત કરતી વખતે તેમના મોઢા પર જે આનંદ છવાઈ જતો તેવો ભાગ્યે જ બીજા કોઈ વખતે જોવા મળતો." તો આવો હતો ફાર્બસસાહેબનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ!

ફાર્બસસાહેબના સીમાચિહ્નરૂપ પુસ્તક 'રાસમાળા'એ એ સમયના ગુજરાતના સાહિત્યકારો પર ખાસ્સો પ્રભાવ પાડયો હતો. ફાર્બસસાહેબે 'રત્નમાળા' અને 'પ્રબુદ્ધ ચિંતામણિ' જેવા ગુજરાતી ગ્રંથોનો અંગ્રેજી અનુવાદ કરવાનું મહાકાર્ય પણ કર્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાતી સભા જેવી સાહિત્યની સંસ્થાઓની સ્થાપનાથી માંડીને ગુજરાતમાં જાહેર પુસ્તકાલય, શાળા, અખબાર અને સામયિક શરૂ કરીને તેમણે મધ્યકાલીન ગુજરાતને અર્વાચીન ગુજરાતમાં પલટાવવામાં મહામૂલો ફાળો આપ્યો હતો.

ફાર્બસસાહેબના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગુજરાતી ભાષાના ગાઈડ એવા દલપતરામે તેમના નિધન પછી કોઈ સગો મર્યો હોય એમ સ્નાન કરેલું અને બાર મહિના શોક પણ પાળ્યો હતો. દલપતરામે તેમને અંજલિ આપતી લેખમાળામાં એક કિસ્સો વર્ણવ્યો છે કે ફાર્બસસાહેબ પોતાના નવ વર્ષના દીકરાને ઇંગ્લેંડ માટે વળાવવા સ્ટિમર પર તેમને સાથે લઈને ગયેલા. પાછા ફરતી વખતે ફાર્બસસાહેબે કહેલું, મને પણ સ્વદેશ પાછા જવાનું બહુ મન થાય છે, પણ પછી તરત ઉમેર્યું કે આ દેશમાંનું મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી હું આવો વિચાર પણ નહીં કરું."

કેવી પ્રતિબદ્ધતા! ફાર્બસસાહેબ જેવો ગુજરાત પ્રત્યે પ્રેમ અને પ્રતિબદ્ધતા આપણા સૌમાં આવશે ત્યારે ગુજરાત સળગશે નહીં પણ ઝળહળશે!

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 અૉગસ્ટ 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3117533

Loading

Darshak : Sankraanti ane Parivartannaa Ragpaarkhu

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 August 2015

દર્શક : સંક્રાંતિ અને પરિવર્તનના રગપારખુ

દર્શક જેનું નામ એ ઇતિહાસમાં રમ્યા પણ કોઈ રાજસામન્તી સપનાં જોતું ઝોકું એમણે કદાપિ ન ખાધું

બરાબર ચૌદ વરસ થયાં એને. બાર વરસને એક તપ કહેવાનો ચાલ છે એ હિસાબે તપ ઉપર બે વરસ કહો કે પછી ચૌદ ચૌદ વરસ અસાંગરાનાં કે વીસારાનાં : 2001ની 29મી ઓગસ્ટે દર્શક ગયા. આ લખું છું ત્યારે સાંભરે છે કે તિથિ પ્રમાણે એ દિવસ પરિવર્તિની એકાદશીનો હતો. દર્શક જેનું નામ એ ઇતિહાસમાં રમ્યા પણ કોઈ રાજસામન્તી સપનાં જોતું ઝોકું એમણે કદાપિ ન ખાધું. સંક્રાન્તિ અને પરિવર્તનની રગ જેને પકડાતી હતી એવા એ એક સિપાહી હતા, સમાજનવરચનાના સિપાહી.

દર્શકને કેવી રીતે ઓળખીશું આપણે. વિદ્યારણ્યમાં અકુતોભય વિહરનારા એક મોટા શિક્ષક તરીકે તે હંમેશ એ વાતે નિ:સંશય હતા કે સ્વર્ગ જેવું કશુંકે હશે તો અમારા વિદ્યાર્થીઓના પહેરણની ચાળ પકડીને ય અમારો પ્રવેશ તો હોવાનો જ છે. અવિદ્યાથી મૃત્યુને જીતીને વિદ્યાથી અમૃત મેળવવાની ઉપનિષદ પરંપરા અને આપણા સમયની કોઈક જોડકડી એમને જડી હતી, જે અલાદીનના જાદુઈ ચિરાગ કરતાં કમ નહોતી. જો કે ઘણો મોટો વર્ગ એમને ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ એ મનહર અને મનભર નવલકથાના સર્જક તરીકે જ જાણતો હોવાનો. આ નવલકથા, એક રીતે એમણે ઈચ્છેલ નવરચના સારું એક નિરલસ સ્વતંત્રતા સૈનિકની ચહુદિશ મથામણનું કથારૂપ છે, આજમાં ઊભી આવતીકાલને તાકતું.

ગુજરાતી અક્ષરઆલમમાં, આ દિવસોમાં તરતમાં પસાર થયેલી શતાબ્દિઓ ઉપરાંત એક વિશેષ સંદર્ભમાં દર્શક અને ઉમાશંકરનાં નામો લેવાતાં રહ્યા છે. ઉમાશંકર, કર્મ લગોલગ પહોંચવા કરતા શબ્દના – કહો કે જાહેર જીવનના કવિ હતા. તો, દર્શક ગોવર્ધનરામના કલ્યાણગ્રામની જેમ ગોપાળબાપાની વાડીના સ્રષ્ટા અને દૃષ્ટા હતા. સમાજજીવનમાં ઓતપ્રોત થવાનું, જાહેર જીવનમાં સંડોવાવાનું આવ્યું એમાં ઉમાશંકર પોતાની કવિતાનું સંબલ જોતા. દર્શકે એક અર્પણપત્રિકામાં એવો હૃદયભાવ પ્રગટ કરેલો છે કે મને સેવાની લાહ્ય ન હોતે અને સંસ્થાવસ્તાર ન થતે તો કવિતારસઆસ્વાદ કરતે ઉમાશંકર કને. રચનાકર્મી દર્શકનું ખેંચાણ એક એવા રચનાધર્મી માટે છે જેને જાહેર બાબતોમાં સંડોવાયા વિના સોરવાતું નથી.

2015ના ઓગસ્ટમાં આ બધું લપસીંદર માંડવાનો શો અર્થ, કોઈ પૂછી તો શકે. ભાઈ, ગુજરાતમાં આજે જેમને સારુ આમ સોરવાવું અને સંડોવાવું એ ખુશીનો સોદો હોય એવા બૌદ્ધિકોની – બુદ્ધિજીવીઓની નહીં પણ બૌદ્ધિકોની – ખોટ અનુભવાય છે, એથી સ્તો. જાહેર જીવનમાં જરૂર જણાયે રંગેચંગે રજોટાવું એમને મન મુબારક જ મુબારક હતું. દેખીતી રીતે જ, તીવ્રપણે ચાલી આવતી આ સાંભરણની પૂંઠે તત્કાળ ધક્કો સાહિત્ય અકાદમી પ્રકરણનો છે. પણ એક બૌદ્ધિકની ભૂમિકા તે શું એ ચર્ચતી વેળાએ આ જ ફ્રિકવન્સી પરની એક બીજી ઘટના સાંભરે છે એની ય વાત કરી લઈએ. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદ માટે મગનભાઈ પ્ર. દેસાઈ ઉમેદવાર હતા.

(ઉપકુલપતિઓ જ્યારે ઉપકુલપતિ હોઈ શકતા હતા તે દિવસોની આ દાસ્તાં છે.) મગનભાઈની સજ્જતા અને સાધના બંને અસાધારણ હતાં. પણ એમની ઉમેદવારીને ગુજરાત કોંગ્રેસે પક્ષીય પાસ આપવા ચાહ્યું ત્યારે ઉમાશંકરે શિક્ષણસંસ્થામાં શીર્ષસ્થાને બિનપક્ષીય ભૂમિકાને ધોરણે એમને પડકારવાપણું જોયું હતું. સ્વતંત્રતા સંગ્રામના સહજ અનુસંધાનરૂપે, લોકશાહી સમાજવાદની ભૂમિકાએ દર્શક ત્યારે હજુ કોંગ્રેસમેન હશે. પણ એમણે આ મુદ્દે ઉમાશંકરની તરફેણમાં સક્રિય થવું પસંદ કર્યું હતું. સાંભરે છે કે કવિ-શિક્ષણકાર સ્નેહરશ્મિ (સ્વતંત્રતા સંગ્રામમાં ક્યારેક સુરત કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહેલા ઝીણાભાઈ ર. દેસાઈ) પણ ઉમાશંકરના એવા જ ઝુંબેશકાર તરીકે બહાર આવ્યા હતા. ગુજરાતમાં વાઈસ ચાન્સેલરો બાબતે પક્ષીય ગણતરીવશ હાલ જે મનમુરાદ નિમણૂક દોર ધોરણનિરપેક્ષપણે ચાલી રહ્યો છે એને અંગે આપણે ત્યાં વિદ્યાસમાજ અને બૌદ્ધિકોની સક્રિયતા જેવું કાંક પણ હોય તો, શું કરવાપણું છે એ કદાચ જુદેસર ચર્ચવાપણું રહેતું નથી.

યાદ આવે છે, નાગરિકજાગૃતિના એક ઉપક્રમમાં ઉમાશંકરે લગીરે-લાઉડ-લાગશે-ની દરકાર વગર, ભરીબંદૂક ને ચિત્રાત્મક, કંઈક દૃશ્ય ને કંઈક શ્રાવ્ય શૈલીએ કહેલું કે તેઓ (સત્તાકારણીઓ) આપણા ખેતરમાં ઘૂસી જઈ તબિયતથી હોંચી હોંચી કરતા મહાલે છે અને માળા પાછા એમ માને છે કે આપણે એમને ઓળખતા નથી! ખરું જોતાં, રવીન્દ્રનાથે ઉત્તરવર્ષોમાં જે ઉત્કટતાથી સિવિલ લિબર્ટિઝ યુનિયનનું દાયિત્ય સાહ્યું હતું એ જ તરજ પરની ચર્ચા અને ચર્યા ઉમાશંકર-દર્શક જેવાની જણાતી રહી છે. દર્શકનું કોઈક પ્રસંગે સન્માન થયું – નિધિ તો અલબત્ત જાહેર કામોમાં જ જવાનો હતો – ત્યારે પ્રતિભાવમાં એમણે કહેલું કે માગી માગીને હું કેટલું માગું, સિવાય કે હું ભૂખ્યો ન રહું અને સાધુ પણ ભૂખ્યો ન જાય. પણ પછી અંગત વાતચીતમાં એમણે જ્યારે કહ્યું કે આ તો સાધુ ભૂખ્યો ન જાય એની વાત છે, કોઈ ભળતોસળતો માણસ માંહ્ય ગરી જાય એવું તો શેનું ચાલવા દેવાય ત્યારે સમજાઈ રહ્યું હતું કે એક સતર્ક સન્નદ્ધ બૌદ્ધિક હોવું તે શી વસ છે.

કલ્યાણગ્રામથી ગોપાળબાપાની વાડી લગીની મનહર-મનભર સંક્રાન્તિમાં તમને આ પ્રકારની નવયુગી નાગરિક સભાનતા જોવા મળશે. પડતર જમીન નવસાધ્ય કરી એક તોલ્સતોયી ખેડુ જેવું જીવન જીવવા ઈચ્છતા (શાહુકાર તરીકે સુખે જીવ્યામર્યા હોત એવા) ગોપાળબાપાને સયાજીરાવ ગાયકવાડ જમીન આપતાં પૂછે છે કે અહીં જંગલી જનાવરનો ભો નહીં લાગે. ગોપાળબાપા ટાઢે કોઠે કહે છે : તમારી પડખેના દીપડા ન રંજાડે તો પણ બસ. (કોઈ પાટેશ્વર રાષ્ટ્રવાદીને માટે તો બાપાને રાજદ્રોહી ઠરાવવા વાસ્તે આટલાં વચનો પૂરતાં થઈ પડે.)

‘પડખેના દીપડા’ના પ્રતિકાર સારુ વાડ જોઈએ – ‘એન ઈંગ્લિશમેન્સ હોમ ઈઝ હિઝ કેસલ’ એવો સુવાંગ પોતીકો ઈલાકો જોઈએ. આવી જે ઈલાકેબંદી, એનું બંધારણીય નામ અને કાનૂની ઓળખ તે સ્વાયત્તતા. સરકારી અકાદમી, ઉમાશંકર-દર્શક પ્રતાપે સ્વાયત્ત બની શકી એ આપણી સ્વરાજસાધનાનું એક નાનું પણ નરવુંનક્કુર સોપાન. કમનસીબે, છેલ્લાં બાર વરસ એનાં ઉત્તરોત્તર ધોવાણ અને ખવાણનાં છે … એટલે સ્તો અસાંગરો!

સદ્દભાગ્યે, હમણાંના મહિનાઓમાં આ અનવસ્થા સામે એક અવાજ ઊઠ્યો છે, અને તે પણ એ હદે કે સ્વાયત્તતાને મુદ્દે તમે કઈ બાજુએ છો એ સવાલ ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખીય ચૂંટણીમાં પણ જળથાળ શો નિર્ણાયક બની ઉભર્યો છે. કાલચક્ર જાણે કે સાઠે વરસે પાછું પાપપુણ્યની બારી લઈને સામે આવ્યું છે. 1955ના ગોવર્ધન શતાબ્દી વરસમાં કનૈયાલાલ મુનશીની એકહથ્થુશાહી સામે અવાજ ઉઠાવવામાં ઉમાશંકર મોખરે હતા. હવે 2015માં ઉમાશંકર-દર્શકનાં શતાબ્દી વર્ષોની વાંસોવાંસ સરકારી મનમુરાદવાદ સામેનો અવાજ ગઠિત અને ઉદ્યુક્ત થઈ રહ્યો છે. બરાબર છ દાયકે આવી મળેલી આ સ્વાતિક્ષણ ગુજરાતના અક્ષરકર્મીઓ અને સાહિત્યસંસ્થાઓના વજૂદની રીતે, તેમ લોકશાહી સરકાર પાસે અપેક્ષિત સંસ્કારિતાની રીતે નિર્ણયકારી હોવાની છે.

તમે કઈ બાજુએ છો, પરિવર્તિની એકાદશી પૂછે છે.

e.mail : prakash.nirikshak@gmail.com

સૌજન્ય :‘નવરચનાના સિપાહી’, “દિવ્ય ભાસ્કર”, 29 અૉગસ્ટ 2015

Loading

...102030...3,7563,7573,7583,759...3,7703,7803,790...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved