Opinion Magazine
Number of visits: 9771025
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સરસ્વતીચંદ્ર’નો અનુવાદ: ૧૨૮ વર્ષ પછી થયેલું મહાકાર્ય

વિશાલ શાહ|Opinion - Literature|2 November 2015

જે નવલકથા ગાંધીજીએ ધ્યાનથી વાંચીને છાતી ગજ ગજ ફૂલી જાય એવી નોંધ કરી હોય, જે નવલકથા વિશે 'દર્શક' મનુભાઈ પંચોળીએ કહ્યું હોય કે, ''ભારતના ઉજવણી પર્વમાં ગુજરાત પાસે આપવા જેવી બે ભેટ છે, એક મહાત્મા ગાંધી અને બીજી આ નવલકથા'', જે નવલકથાને ધુરંધર કવિ ન્હાનાલાલે વિશ્વ સાહિત્યની સર્વકાલીન મહાન વિભૂતીઓ જ્હોન વુલ્ફગાંગ વોન ગોથે (જર્મન કવિ) અને વિક્ટર હ્યુગો(ફ્રેંચ નવલકથાકાર, નાટયકાર અને કવિ)ની સાહિત્ય કૃતિઓ સાથે સરખાવી હોય, જે નવલકથા ૧૯મી સદીના ગુજરાતનો ઐતિહાસિક દસ્તાવેજ ગણાતી હોય, જે નવલકથા ગુજરાતના સર્વકાલીન એકથી દસ મહાન પુસ્તકોની યાદીમાં અચૂક સ્થાન પામતી હોય, જે નવલકથા ગુજરાતી સાહિત્યની પહેલી આધુનિક નવલકથા ગણાતી હોય, જે ગુજરાતી નવલકથાની ગણના ૧૯મી સદીના ભારતના કોઈ પણ ભાષામાં લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકમાં થતી હોય – એવી મહાન નવલકથા 'સરસ્વતીચંદ્ર'નો પહેલો 'સંપૂર્ણ અંગ્રેજી અનુવાદ' કરીને વિશ્વ સમક્ષ વહેંચવામાં 'ગુજરાતે' ૧૨૮ વર્ષ લાંબો સમય લઈ લીધો છે.

જાણીતા ગાંધીવાદી વિચારક અને સાબરમતી આશ્રમના ડિરેક્ટર ત્રિદિપ સુહૃદે આઠ વર્ષની સતત અને સખત મહેનત કરીને આ અત્યંત કપરું કામ પૂરું કર્યું છે. ‘સરસ્વતીચંદ્ર’ના અંગ્રેજી અનુવાદનો પહેલો ભાગ પ્રકાશિત થઈ ગયો છે, જ્યારે બાકીના ત્રણ ભાગ આગામી દોઢ વર્ષમાં વાચકોના હાથમાં પ્રકાશિત થશે. ૧૯મી સદીમાં લખાયેલી આ નવલકથામાં કુટુંબ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, જીવનમાં ધર્મનું મહત્ત્વ અને ધર્મ થકી વ્યક્તિગત-સામાજિક મુક્તિની વાત આલેખાઈ છે. ભારતમાં અસહિષ્ણુતા, વાડાબંધી, ભ્રષ્ટાચાર અને કુશાસન સતત વધી રહ્યું છે ત્યારે 'સરસ્વતીચંદ્ર'નો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયો એ અનોખો યોગાનુયોગ છે. હા, દરેક કાળમાં આ પ્રકારની મુશ્કેલીઓ હોય છે એ વાત ખરી પણ એની સામે બૌદ્ધિકોનો આક્રોશ 'ક્લાસિકલ ફોર્મ'માં પ્રગટ થવો જરૂરી છે. આ આક્રોશ લેખનથી લઈને ચિત્ર, નાટક અને ફિલ્મ સહિતની કોઈ પણ કળાના સ્વરૂપમાં હોઈ શકે છે. જો આક્રોશ પણ ‘ગણતરીપૂર્વક’ વ્યક્ત કરાય કે પછી આક્રોશના નામે પૂર્વગ્રહયુક્ત ઝેર જ ઓકવામાં આવે તો સમાજ પર તેની અસર નહીંવત થાય છે. જો કે, દીર્ઘદૃષ્ટા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ આવા તમામ નકારાત્મક પરિબળોથી સલામત અંતર રાખીને ઘૂઘવતો આક્રોશ વ્યક્ત કરવા કુલ ચાર ભાગમાં 'સરસ્વતીચંદ્ર' જેવી મહાનવલકથા લખી હતી.

‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ 'બુદ્ધિધનનો કારભાર' ઈસ. ૧૮૮૭માં પ્રગટ થયો ત્યારે ગોવર્ધનરામની ઉંમર હતી, ફક્ત ૩૨ વર્ષ. એ પછી ઈ.સ. ૧૮૯૩માં 'ગુણસુંદરીનું કુટુંબજાળ' (હા, ગુણસુંદરીનું-'ની' નહીં.), ૧૮૯૭માં 'રત્નનગરીનું રાજ્યતંત્ર' અને ૧૯૦૧માં 'સરસ્વતીનું મનોરાજ્ય' એમ દોઢ દાયકાના કાળખંડમાં ગોવર્ધનરામે એક ક્લાસિક ગુજરાતી નવલકથા પૂરી કરી. આ નવલકથા વિશે ખુદ ગોવર્ધનરામે એક રસપ્રદ વાત કરતા કહ્યું છે કે, હું તો ફક્ત નિબંધ લખવા માગતો હતો … જો  ગોવર્ધનરામ ફક્ત એક નિબંધ લખવા માગતા હતા તો આટલું બધું શું લખી નાંખ્યું? પહેલા ભાગની વાર્તા ઈ.સ. ૧૮૮૭ની આસપાસના કાળખંડમાં શરૂ થાય છે. એટલે કે, એ ગુજરાતી સમાજ ઈ.સ. ૧૮૫૭નું આઝાદીનું આંદોલન જોઈ ચૂક્યો હોય છે. રાજા-રજાવાડા ખતમ થઈ રહ્યા હોય છે અને યુનિવર્સિટી શિક્ષણની શરૂઆત થઈ ગઈ હોય છે. આ બધી જ વાત એક બ્રાહ્મણ પરિવારની આસપાસ ગૂંથાયેલી છે. આ ભાગમાં સત્તાનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ થાય ત્યારે મૂલ્યોનું સંપૂર્ણપણે ધોવાણ કેવી રીતે થાય છે એ વાત કહેવાઈ છે. બીજા ભાગની વાર્તા આધુનિક-શિક્ષિત ગુજરાતી પરિવારની આસપાસ ફરે છે, જેમાં શિક્ષિત દંપતીના વિચારો શિક્ષણના કારણે કેવી રીતે બદલાય છે એ વાત છે. આ ઉપરાંત તેમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં વ્યક્તિની અંગત આઝાદી છીનવાઈ જાય છે કે પછી વ્યક્તિને સુરક્ષા મળે છે? – એ મુદ્દો પણ છેડાયો છે. આ ભાગમાં ગોવર્ધનરામ આવી વાતો કરતા કરતા મોડર્ન-સ્ટાઈલિશ લાઈફ સ્ટાઈલ વિશે પણ ઘણું બધું કહેતા જાય છે.

આ નવલકથા ત્રીજા ભાગથી નવું રૂપ ધારણ કરે છે. અહીં ગોવર્ધનરામ રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ એની વાત કરીને 'રાજધર્મ'ની ઊંડી છણાવટ કરે છે. આ ભાગમાં વાચકને 'મહાભારત'નું પ્રતિબિંબ જોવા મળે છે. આટલું લખ્યા પછીયે ગોવર્ધનરામને ઘણું બધું કહેવું છે એટલે તેઓ ચોથો ભાગ પણ લખે છે. આ ભાગમાં તેઓ સમાજ માટે ધર્મની જરૂર કેટલી હોઈ શકે એ વાત કરે છે. અહીં તેઓ સમાજનો પુનરોદ્ધાર કરવા ધર્મ કેટલો ઉપયોગી નીવડી શકે? તેમ જ આધુનિક જીવનમાં સંન્યાસી જીવનનું મહત્ત્વ શું?- એવા સવાલો ઊભા કરીને તેના જવાબ આપે છે. આ ઉપરાંત તેઓ આધુનિક સાધુ જીવનની કલ્પના કરે છે, જેમાં સ્ત્રીઓની હાજરી સામે વાંધો નથી. આ ભાગમાં તેઓ સાબિત કરે છે કે, ધર્મની ગેરહાજરીમાં સમાજનો પુનરોદ્ધાર શક્ય નથી. આ સાથે જ ચોથો ભાગ અને 'સરસ્વતીચંદ્ર' નવલકથા પણ પૂરી થાય છે. ધર્મની હાજરીનો અર્થ અહીં ઘણો વિશાળ છે. સમાજમાં ધર્મની હાજરીનો અર્થ આખો સમાજ ધર્મભીરુ અને ચરિત્રવાન હોય – એવો પણ થાય છે. જો સમાજ જ ઉચ્ચ નીતિમૂલ્યો ધરાવતો હોય તો સત્તા પણ સતત સાવચેત રહે અને સત્તા પણ સુશાસન માટે સતત પ્રયત્નશીલ રહે. જો કે, નવલકથા વાંચતી વખતે દરેક વખતે નવા નવા અર્થો મળતા જાય છે. એટલે જ આનંદશંકર ધ્રૂવે 'સરસ્વતીચંદ્ર'ને 'કલિયુગનું પુરાણ' કહી છે.

આ નવલકથામાં ગોવર્ધનરામ આદર્શ કુટુંબ, સમાજ, રાજ્ય અને ધર્મ એમ ચારે ય વ્યવસ્થાની સમજ આપવા ભર્તુહરિ, કાલિદાસ, ભવભૂતિ, ભગવદ્દ ગીતા, મહાભારત, પંચતંત્રના સંસ્કૃતપ્રચુર અવતરણોની સાથે વિલિયમ શેક્સપિયર, ઓલિવર ગોલ્ડસ્મિથની નવલકથાઓ, નાટકો તેમ જ વિલિયમ વર્ડ્સવર્થ, જ્હોન કિટ્સ, વિલિયમ કૂપર અને પર્સી શેલીની કવિતાઓ જેવાં ક્લાસિક પશ્ચિમી સાહિત્યના પણ ઉલ્લેખો કરતા જાય છે. એ રીતે પશ્ચિમી સાહિત્યના તત્કાલીન ગુજરાતી સાહિત્ય પરના પ્રભાવને સમજવા પણ આ કૃતિ મહત્ત્વની છે. ૧૯મી સદીમાં જન્મેલી અને પશ્ચિમી સંસ્કૃિતથી વાકેફ ગાંધીજી સહિતના અનેક હસ્તીઓએ 'સરસ્વતીચંદ્ર' વિશે અભિપ્રાયો આપ્યા હતા. મહાદેવ દેસાઈની ૨૫મી માર્ચ, ૧૯૩૨ની ડાયરીમાં ગાંધીજીએ 'સરસ્વતીચંદ્ર' વિશે આપેલા અભિપ્રાયની નોંધ છે. ગાંધીજીએ નવલકથા વાંચીને કહ્યું હતું કે, ''પહેલા ભાગમાં એમણે પોતાની બધી જ કળા ઠાલવી દીધી છે. આ વાર્તા સૌંદર્યરસથી ભરપૂર છે. પાત્રાલેખન બેજોડ છે. બીજામાં હિંદુ સમાજ સરસ રીતે આલેખાયો છે, ત્રીજામાં એમની કળા વધુ ઊંડી ગઈ છે અને તેઓ વિશ્વને જે કંઈ આપવા માગતા હતા એ ચોથા ભાગમાં ઠાલવી દીધું છે.''

૧૯મી સદીના ગુજરાતી સમાજ પર 'સરસ્વતીચંદ્ર'એ ઘેરી છાપ છોડી હતી એ વાતમાં કોઈ શંકા નથી. આ કૃતિ અંગ્રેજીમાં નહીં હોવા છતાં વર્ષ ૧૯૬૮માં ગોવિંદ સરૈયાએ મનીષ અને નૂતનને લઈને 'સરસ્વતીચંદ્ર' ફિલ્મ બનાવી હતી, જેને બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ મ્યુિઝક ડિરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ કારણોસર 'સરસ્વતીચંદ્ર' નવલકથા ગુજરાત બહાર પણ થોડી ઘણી જાણીતી હશે એવું માની શકાય. ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં 'સરસ્વતીચંદ્ર'ના પાઠ આવે છે એવી જ રીતે, દિલ્હી અને કોલકાતામાં પણ તે ભણાવાઈ રહી છે. જો નવલકથા અંગ્રેજી કે બીજી ભાષામાં ભાષામાં અનુવાદિત નથી થઈ તો ભણાવાઈ છે કેવી રીતે? રસપ્રદ વાત એ છે કે, આ બંને રાજ્યોમાં 'સરસ્વતીચંદ્ર' ભણાવવા 'સ્ક્રેપ બુક્સ – ભાગ-૧,૨,૩'નો ઉપયોગ થઈ રહ્યો છે. આ સ્ક્રેપ બુક એટલે ગોવર્ધનરામે ઈ.સ. ૧૮૮૮થી ૧૯૦૬ દરમિયાન અંગ્રેજીમાં લખેલી રોજનીશી. આ સ્ક્રેપ બુકનો પહેલો ભાગ વર્ષ ૧૯૫૭માં અને બાકીના બે ભાગ ૧૯૫૯માં પ્રકાશિત થયા હતા.

જો કે, અત્યારના વિદ્યાર્થીઓ કે નવલકથા રસિયાઓને ૨,૨૦૦ પાનાંમાં ફેલાયેલી, ૧૫૦ પાત્રો ધરાવતી, સંસ્કૃતપ્રચુર ગુજરાતીમાં સામાજિક નિસબત સાથે લખાયેલી અને ક્લાસિક સંસ્કૃત-પશ્ચિમી સાહિત્યકૃતિઓનું શિક્ષણ આપતી જતી 'સરસ્વતીચંદ્ર' નવલકથા ધીમી અને કંટાળાજનક લાગી શકે છે! પરંતુ ૧૨૮ વર્ષ પહેલાં લખાયેલી આ કૃતિને એ જમાનાના ગુજરાતી, ભારતીય અને વિશ્વ સાહિત્યના સંદર્ભમાં મૂલવવાની હોય. વળી, આ કૃતિમાં ગોવર્ધનરામે સમાજની વિવિધ મુશ્કેલીઓને ઝીલીને એક 'આદર્શ સમાજ'ની રચના કેવી રીતે થઈ શકે એ કહેવાનો પ્રયાસ કર્યો છે. ઈ.સ. ૧૮૭૩માં ગોવર્ધનરામે માત્ર ૧૮ વર્ષની ઉંમરે અંગ્રેજીમાં ભાષણ આપવાના હેતુથી બે લેખ લખ્યા હતા. આ લેખના શીર્ષક હતાઃ 'ઈઝ ધેર એની ક્રિયેટર ઓફ ધ યુનિવર્સ?' અને 'ધ સ્ટેટ ઓફ હિંદુ સોસાયટી ઈન બોમ્બે પ્રેસિડેન્સી'. ગોવર્ધનરામની વિદ્વતાનો આ નાનકડો પુરાવો છે.

એ રીતે આ નવલકથા એક માઇલસ્ટોન છે, ગુજરાતની અંગ્રેજી માધ્યમમાં ભણતી નવી પેઢી અને વિશ્વભરના વાચકો સુધી ‘સરસ્વતીચંદ્ર’ને પહોંચાડવા અંગ્રેજી અનુવાદની અનિવાર્યતા વિશે હવે વધુ કહેવાની જરૂર ખરી?

સાહિત્ય પ્રજાથી જીવે છે, અકાદમીથી નહીં!

'સરસ્વતીચંદ્ર'નો અંગ્રેજીમાં અનુવાદ કરનારા ત્રિદિપ સુહૃદે આ પુસ્તક ફક્ત દસ વર્ષની ઉંમરે વાંચ્યું હતું. આ પુસ્તકનો અને ગુજરાતી સાહિત્યનો પરિચય તેમને તેમની માતાએ કરાવ્યો હતો. આ અનુવાદ કરતા પહેલાં પણ ત્રિદિપ સુહૃદ આ કૃતિ અનેકવાર વાંચી ચૂક્યા છે. આટલી મહાન કૃતિનો અત્યાર સુધી અનુવાદ કેમ ના થયો એ અંગે તેઓ કહે છે કે, ૧૨૮ વર્ષમાં 'સરસ્વતીચંદ્ર'ના પાંચેક વાર અનુવાદ થઈ જવા જોઈતા હતા. ગાંધી સાહિત્યનો અંગ્રેજીમાં ભરપૂર અનુવાદ થયો છે કારણ કે, ગાંધીની આસપાસ એવા પ્રતિબદ્ધ લોકો હતા, જેમને ગાંધીની વાત વિશ્વને પહોંચાડવી હતી. વળી, એ વખતના સાક્ષરો એકથી વધારે ભાષામાં ઊંડો રસ લેતા હતા. આજે હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ, મલયાલમ અને તમિલ જેવી ભાષાઓનું સાહિત્ય અંગ્રેજીમાં અનુવાદિત થઈને વિશ્વ સમક્ષ મૂકાય જ છે પણ ગુજરાતીમાં એવું થતું નથી. એ પ્રક્રિયા અટકી ગઈ છે એમાં કોઈ શંકા નથી. આપણી પાસે અખો, નરસિંહ મહેતા, મેઘાણી અને મુનશીનું ક્લાસિક સાહિત્ય છે પણ એનો ય અનુવાદ નથી થયો. મેઘાણીના ૮૮ સુંદર પુસ્તકો છે, જેમાંથી માંડ ત્રણેકનો અંગ્રેજી અનુવાદ થયો છે. ‘ભદ્રંભદ્ર’ જેવી સુંદર હાસ્ય નવલકથા પણ ગુજરાતીઓ પાસે છે પણ એનો ય અનુવાદ નથી થયો.

અત્યારે તો અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધી રહી છે. ગુજરાતી વિષય તરીકે પણ ભણાવવાનું ઘટી રહ્યું છે તો ભવિષ્યમાં ઉત્તમ ગુજરાતી સાહિત્ય લખાવાનું તો ઠીક એના અનુવાદનું કામ પણ અટકી નહીં જાય? એવી ચિંતાનો જવાબ આપતા ત્રિદિપ સુહૃદ કહે છે કે, અંગ્રેજી માધ્યમમાં ભણીને પણ ગુજરાતી ભાષામાં રસ લઈ શકાય છે. અત્યારે તો ઉત્તમ સાહિત્યના અનુવાદની બહુ જ મોટી તક છે કારણ કે, ગુજરાતનો બહુ જ મોટો વર્ગ વિદેશ જઈને વસ્યો છે અને હજુ થોડા વર્ષો પછી એ લોકોએ પોતાનાં મૂળિયાંને જોવાં-જાણવાં ઉત્તમ ગુજરાતી પુસ્તકોના અનુવાદનો જ સહારો લેવો પડશે. આજે ય બંગાળીઓ પોતાની પાસે જે કંઈ પણ સારું હોય એ તરત જ વિશ્વ સમક્ષ મૂકે છે, ઘણી ભાષાઓમાં આવું સતત થતું હોય છે પણ ગુજરાતીમાં એવું નથી કારણ કે, સાહિત્ય એ સંસ્થાઓ કે અકાદમીઓથી નહીં પણ પ્રજાથી જીવે છે.

e.mail : vishnubharatiya@gmail.com

http://vishnubharatiya.blogspot.in/2015/11/blog-post.html

Loading

સરદાર એટલે નો-નોનસેન્સ નિશ્ચયાત્મકતા

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|31 October 2015

આ માણસનું સરદારપણું એના સિપાઈ હોવામાં હતું; ટીમ બાંધવામાં હતું, બાકી સૌને ખસેડી ખદેડી છાઈ જવામાં નહોતું.

જેમ જેમ વરસો વીતતાં જાય છે, કેમ જાણે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મરણ ઉત્તરોતર ઉત્કટ થતું જાય છે! એક સ્વરાજ નિર્માતા તરીકે એમનું અસાધારાણ યોગદાન જોતાં આ ઉત્કટતા અસ્વાભાવિક નથી એ સાચું, પણ એને જરી વળ અને આમળો ચડતા હોય તો પાછલાં વરસોમાં દેશની કેટલીક નાજુક પળો જાળવી જાણે એવા નેતૃત્વની મનોવૈજ્ઞાનિક ખોટ અનુભવાતી રહી છે એ ય સાચું અને એક ખાસંખાસ મુદ્દો આ સાથે અંબોળી દેવો જોઇએ કે મે 2014થી પાટનગરીમાં જે નવસંવતનો થનગનાટ છે, એમાં કથિત નેહરુ વિમર્શને સ્થાને પટેલ વિમર્શની પ્રતિષ્ઠાનો મહિમા છે. જો કે, કથિત પટેલ વિમર્શનાં ધોરણો પણ તપાસલાયક છે. હવે તો સહેજે પંદરેક વરસ થયાં એ વાતને, પણ બિહારમાં કુર્મીઓએ સરઘસ કાઢ્યું ત્યારે મોખરે વલ્લભભાઈની તસવીર રાખ્યાના હેવાલો વાંચી હસવું કે રોવું એ નક્કી કરી શકાયું નહોતું. એવી જ એક મન:સ્થિતિ તાજેતરનાં અઠવાડિયાઓમાં, કદાચ વધુ તીવ્રતાથી અનુભવાઈ હતી જ્યારે સરદાર સરખી પુરુષાર્થી પ્રતિભાનો હવાલો આપીને પાટીદાર અનામતનું સમર્થન કરવાની ચેષ્ટા થઈ હતી.

ભાઈ, પાટીદાર તે કોણ, કેવો અને શું એ નવભારતના નાગરિક સંદર્ભમાં વલ્લભભાઈએ જે રીતે વ્યાખ્યાયિત કરી આપ્યું એમાં સ્તો એમનું સરદારપણું વિલસી ઊઠયું હતું. સ્વરાજની લડતમાં ચરોતરના પાટીદારોનો રૂડો હિસ્સો સૌ જાણે છે. મૂળે જમીનમાલિક એટલે શેહમાં નહીં આવવાની પ્રકૃતિ, અને સ્વરાજનો વાયરો, પછી બાકી શું રહે. પણ કેટલાક જાગ્રત પાટીદારોએ આત્મનિરીક્ષણરૂપે એક બીજી વાતે કરી છે : અમે જમીનમાલિકો એટલે છેવાડે રહેતા – ને ‘વહવાયું' કહેવાતા બીજા – ‘ગામ'ની અમારી વ્યાખ્યામાં નયે આવે. પણ પોતાને ખેડૂત અને વણકર તરીકે ઓળખાવવામાં મોક્ષ જોતા ગાંધીજી આવ્યા, અને શું થયું? પૂછો વલ્લભભાઈને. 1922માં અંત્યજ પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે જવાનું થયું ત્યારે આ ચાણાક્ષ એટલા જ સંવેદનશીલ પટેલે તત્કાળ નોંધ્યું કે જેમને સારુ મળ્યા છીએ તે તો છેવાડે અને છેટા બેઠા છે. વલ્લભભાઈએ નિયત મંચ ભણી નહીં જતાં પોતાની બેઠક આ છેવાડે અને છેટે બેઠેલ (કે બેસાડાયેલ) સમુદાય વચાળે જમાવી – અને પરિષદનું કેન્દ્ર જ બદલાઈ ગયું. કણબી કહેતાં કુટુમ્બીની વ્યાખ્યા લીલયા વિસ્તરી ગઈ ને નાગરિકતાના દફતરમાં હરિજન(દલિત)નું નામ ન હોય એ વાત ઇતિહાસવસ્તુ બનવાની શરૂ થઈ. હજુ બારડોલી થકી સરદાર બનવાનું અને દેશી રજવાડાંને નાથવા પરોવવાનું બાકી હતું, અને એમનું ‘સરદાર'પણું આમ ઝળકી ઊઠયું હતું.

જેઓ નેહરુ વિમર્શના વિકલ્પે પટેલ વિમર્શની જિકર કરે છે તેઓ – પછી તે હાર્દિક પટેલના છેડેથી હોય કે ભાજપ શ્રેષ્ઠીઓના છેડેથી – કાં તો અનામત નાબૂદી અગર તો પાટીદાર અનામત પ્રકારનો આલાપ છેડતા માલૂમ પડે છે. સરસંઘચાલક ભાગવતના ઉદ્દગારો પછી (રાબેતાશાઈ ‘સ્પષ્ટતા' છતાં) બિહારની ચૂંટણી ઝુંબેશમાં ભાજપ શ્રેષ્ઠીઓએ ‘ક્રાઇસિસ મેનેજમેન્ટ' કેમ કરવી પડી હશે? સામાજિક સમાનતા, ઊંચનીચ નાબૂદી એ પટેલને સારુ જે અર્થમાં અને જે હદે, કહો કે મજ્જાગત એવું પાયાનું મૂલ્ય હશે તે મતબેંકી ગણિતથી નિરપેક્ષપણે બાકી રાજનીતિમાં નહીં હોય, એથી સ્તો.

હશે, રઘવાયા બઘવાયા ચાલુ રાજકારણીઓને આ મુદ્દે જીવદયાને ધોરણે જતા કરીએ, પણ એક વાનું ચોક્કસ જ અધોરેખિતપણે નોંધીએ કે સ્વતંત્રતા અને સમતા પર અધિષ્ઠિત બંધારણના ઘડવૈયા તરીકે આંબેડકરને અગ્રપદે સંયોજવાનું યુગકાર્ય ગાંધી નેહરુ પટેલની સ્વરાજ ત્રિપુટીને ચોપડે જમે બોલે છે. નેહરુ પટેલના સરકાર સ્થિત સલાહકારો દેશ બહાર પ્રતિભાશોધ ચલાવી રહ્યા હતા -આઇવર જેનિંગ્ઝની હેડીના સજ્જ જણ કદાચ પસંદ પણ થઇ ગયા હોત – પણ ગાંધીજીએ સૂચવ્યું કે આંબેડકરને નિમંત્રો : એ ‘પંડિત' છે, અને જોડો ક્યાં ડંખે છે તે પણ જાણે છે. એકવાર આ સૂચન પકડાયું, પછી તો વ્યૂહકાર સરદાર આંબેડકરને ગૃહમાં લઈ પણ આવ્યા અને નેહરુએ એમને કેબિનેટમાંયે સમાવ્યા.

આઇસીએસ અધિકારીઓની સ્ટિલ ફ્રેમને આ લોહપુરુષે સાચવી લીધી અને એમની પાસેથી કામ પણ લઈ જાણ્યું. આ ક્ષણે આટલી એક વિગત સંભારી આપવાનો ધક્કો અરુણ શૌરિના એ તાજેતરના સચોટ નિરીક્ષણથી લાગ્યો છે. કે હાલની સરકાર એટલે કોંગ્રેસ વત્તા ગાય. બીજા શબ્દોમાં, શિથિલ તંત્ર અને કોમી ઉશ્કેરણી. નેહરુ પટેલની સરકાર શિથિલ તંત્રને ચલાવી લેનારી નહોતી. અને ગાય કહેતાં કોમી ઉશ્કેરણી? હરગિજ નહીં. તમે જુઓ પ્રભાસ પાટણની બિનતકરારી, રિપીટ, બિનતકરારી જમીન ઉપર અને જાહેર ટ્રસ્ટ, રિપીટ, જાહેર ટ્રસ્ટ હેઠળ સરકારે જે કર્યું તે અયોધ્યાની તકરારી ભૂમિ પર ધરાર ન કર્યું. અયોધ્યામાં ભેદી રીતે રામલલ્લા ‘પ્રગટ' થયા ત્યારે સરદારે મુખ્યમંત્રી ગોવિંદવલ્લભ પંતને આપેલી સલાહ તાળું મારી દેવાની હતી.

અહીં આશ્ચર્યકારણપણે ઊપસી રહેતો બુનિયાદી મુદ્દો કદાચ એ છે કે છતે ભાગલે જેમણે ‘હિંદુરાષ્ટ્ર નહીં પણ બિનસાંપ્રદાયિક ભારત'નો અભિગમ છોડયો નહીં, એ સ્વરાજ ઘડવૈઓની અગ્રપંક્તિમાં ગાંધી નેહરુ પટેલ જેવી નિર્ણાયક સ્વરાજ ત્રિપુટી હતી. એક તબક્કે ગાંધીજીને બાજુએ રાખીને જેમને ભાગલા અનિવાર્ય જણાયા તેમાં વાસ્તવવાદી સરદાર પહેલા અને ભાવવિહવળ નેહરુ લગોલગ છતાં લગરીક બીજા હતા. તેમ છતાં, ઇતિહાસની કપરી ઘડીમાં બિનસાંપ્રદાયિક બંધારણ ઘડતરની દ્રષ્ટિએ ત્રણે બરોબરના સાથે રહ્યા. નેહરુની ભાવનાત્મક અપીલ, પટેલની નો-નોન્સેન્સ નિશ્ચયાત્મકતાનો ડારો અને હૂંફ, ગાંધીની પ્રાર્થનામય તપસ્યા ત્રણે મળીને એની બધી મર્યાદાઓ સાથે અને છતાં રચાયેલું એ પ્રયાગ હતું.

વેંકય્યા નાયડુએ એકવાર ‘વિકાસપુરુષ' અને ‘લોહપુરુષ' એવા બે ભેદ પાડવાની ચેષ્ટા કરી હતી. કોને ખબર, નિત્ય બ્રીફ બહાદુર અરુણ જેટલી હવે વિકાસતત્ત્વ અને લોહતત્ત્વ જેમાં એકાકાર માલૂમ પડતાં હોય એવી શખ્સિયત બાબતે બ્લોગકારીમાં પડવામાં હોય. પણ પાકિસ્તાનની અનિવાર્યતા પ્રમાણવામાં સરદારે જે લોહપરચો આપ્યો તે દાયકાઓ પછી એનડીએ-1ના કાળમાં અટલબિહારી વાજપેયીએ આપ્યો હતો. અહીં તો એમની તારીફ ‘પંડિત અટલબિહારી નેહરુ' તરીકેની હતી, અને એમાં દમ પણ છે. પણ બસમાં બેસી એ લાહોર ગયા અને પાકિસ્તાન માટેના સંકલ્પ સ્થળ મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત લીધી એમાં ક્યારેક અહો રાત્ર અખંડ ભારત રટતા સંઘ પરિવારથી ઉફરાટે જતું સાહસ ખસૂસ હતું, જેમ નેહરુપટેલ તેમ વાજપેયી પણ ‘અ ફૅક્ટ ઓફ લાઇફ'ને સ્વીકારવાનું સાહસ ધરાવતા હતા એમ જ કહેવું જોઈએ.

જેમ ‘સ્ટિલ ફ્રેમ' થકી કામ લેવાનું તેમ, ઑલ ઇન્ડિયા રેડિયોમાં ઉર્દૂ સર્વિસ દાખલ કરવાનો ખયાલ હોય કે લઘુમતીના અધિકારોની વાત હોય. બંધારણીય સંસ્થાઓના સંગોપન-સમાર્જનનું કામ પણ એમણે રૂડી રીતે પાર પાડ્યું. તમે જુઓ, આ માણસનું સરદારપણું એના સિપાઈ હોવામાં હતું; ટીમ બાંધવામાં હતું, બાકી સૌને ખસેડી ખદેડી છાઈ જવામાં નહોતું. એ થઈ શક્યા એટલા સારા અને અસરકારક ‘નેકસ્ટ મેન' જવાહરલાલ થઈ શક્યા હોત? કદાચ નહીં.   

સૌજન્ય : ‘વિશિષ્ટતા’, “દિવ્ય ભાસ્કર”, 31 અૉક્ટોબર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-sardar-means-no-nonsense-determination-5156081-NOR.html

Loading

અસહકાર

પ્રવીણા કડકિયા|Opinion - Opinion|31 October 2015

ઘણી વખત વિચાર આવે, જ્યારે ભારત ગુલામીની જંજીરોમાં જકડાયેલું હતું, ત્યારે આ ‘અસહકાર’નું આંદોલન જન્મ પામ્યું. અંગ્રજોને ભારતમાંથી તગડી મૂકવા તેઓ જે પણ નવા કાયદા કરે, તેનો આપણે વિરોધ કરતા. અસહકારનું આંદોલન કરી તેમની નવી નીતિનો બહિષ્કાર કરતા. તેમની યોજનાઓ નિષ્ફળ બનાવવામાં આપણે મચી પડતા અને જ્યારે તે નિષ્ફળ નિવડે તો આનંદપૂર્વક ઉજવણી કરતા. યાદ આવે છે, ‘દાંડીકૂચ, મીઠાનો સત્યાગ્રહ’. ‘પરદેશી માલની હોળી’ ! આ બધા પ્રસંગો વખતે હું પોતે પણ હાજર ન હતી. આ લેખ વાંચનાર બુઝર્ગો સિવાય અન્ય જુવાન વર્ગ પણ ગેરહાજર હતો, આ બધું આપણે ભારતનો ઇતિહાસ ભણ્યા ત્યારે વાંચ્યું હતું. અમુક પ્રસંગો તે સમયની ફિલ્મો દ્વારા કચકડામાં મઢી લેવા આવી હતી.

૨૧મી સદીમાં અસહકાર રગરગમાં સમાયો છે. નાના બાળકને પણ કહીશું કે ‘ આ કપડાં પહેર, ના હું પેલા પહેરીશ’! જો કે અસહકાર શબ્દ નાનાં બાળક માટે ઉગ્ર છે. પણ શુભ શરૂઆત ત્યાંથી જ થાય છે. મોટા થાય એટલે પોતાનું મનમાન્યું કરવાના. તેમાં વળી લગ્ન થાય પછી ? કશું કહેવામાં માલ નથી. આ તો સામાન્ય સ્તર ઉપર ઘર ઘરની વાત થઈ. જાહેરમાં, સમાજમાં અને આગળ જ્તા દેશની ભક્તિ આ રીતે પ્રગટ કરીએ છીએ.

ભૂતકાળ ભૂલવાનો, ભવિષ્યની ખબર નથી. વર્તમાનમાં જીવનારા સામે આજે આ લેખ લખવાનો શો હેતૂ હશે? આપણે નહીં તો, આપણા માતા, પિતા યા સગાં સંબંધી એ સમયે જેલ ભેગા પણ થયાં હશે ! મતલબ સીધો છે. આપણામાં અસહકારનાં બીજ છે. જેને આપણે આજની ભાષામાં કહી શકીએ, આપણા ‘જીન્સ’માં છે. લાગે છે ને ભૂમિતિની કોઈ રાઈડર સૉલ્વ કરી હોય. જો કે રાઈડર સૉલ્વ કરવાનું તો શાળાકાળ દરમ્યાન પણ અઘરું લાગતું હતું! આજે ક્યાંથી આવડી ગયું ?

હવે મુદ્દા પર આવું. આપણે યા આપણાં ભાઈબહેનો અથવા આપણા દેશવાસીઓ સરકારે કાયદો કર્યો. ’આવકવેરો’ ભરવાનો. હવે જ્યારે આપણા જન્મજાત સંસ્કાર જ હોય કે સરકાર માઈ બાપ કાંઈ પણ કહે તેનો વિરોધ કરો. આપણે શા માટે આવકવેરો ભરીએ ? જેને કારણે કરચોરી એ આપણો જન્મ સિદ્ધ હક બને છે. ઉપરથી ફરિયાદ કરવાની, ‘ભરેલાં પૈસાથી આપણને શું ફાયદો થયો’ ?

સરકાર માઈ બાપે ભારતમાં બધે ટ્રાફિકનાં સિગ્નલ મૂક્યાં છે. અસહકાર કરો. કાયદાનો ભંગ કરો. સિગ્નલ તોડીને ગાડી પૂરપાટ ભગાવો. જો પાંડુ હવાલદાર પકડે ત્યારે ૧૦૦ કે ૨૦૦ રૂપિયા તેના ખિસામાં સેરવી દો. ગરીબ બિચારો પાંડુ હવાલદાર ‘બાર સાંધતા તેર ટૂટે’ એવી હાલત હોય. બે કડકડતી નોટો જોઈને તમને જવા દે. આપો તાળી !

આવકવેરો ભરવો નહીં અને પછી જ્યારે ઇનકમ ટેક્સવાળાની ધાડ પડે ત્યારે પસીનો છૂટી જાય. જો ઈમાનદાર ઓફિસર હોય તો આવી બન્યું. તેમની ધાડ ઘર, ઓફિસ, ફેક્ટરી, બેંકના ખાતાં અને લૉકર બધાં પર એકી સાથે પડે. કોઈને ગંધ પણ ન આવે. ક્યાં ય એક પૈસો ખસાડવાની જગ્યા ન રાખે. એવા કેટલાય કિસ્સા સાંભળ્યા છે. શેઠ આ આઘાત સહન ન કરી શક્યા અને ‘ રામ બોલો ભાઈ રામ’ થઈ ગયા.  જો વ્યવહાર અને હિસાબ કિતાબ ચોખ્‍ખા રાખ્યા હોય, તો આ દિવસ જોવાનું નસીબમાં ન આવે ! કરોડપતિને, રોડ પતિ થતાં વાર ન લાગી ! આ  થઈ પૈસાની વાત !

આખા શહેરમાં કચરા નાખવાના ડબ્બા રાખ્યા છે. પણ આપણે તો, ભાઈ, અસહકારના હિમાયતી. આ પડીકામાંથી ખાધું નથી ને ડૂચો ફેંક્યો રસ્તા પર. પછી ગરમી ખાવાની, સરકાર રસ્તા સાફ નથી રાખતી. શું સરકારને બીજો કોઈ ધંધો ખરો? જો આપણે સરકારને સાથ અને સહકાર આપીશું તો મને લાગે છે આપણા દેશમાંથી ગરીબીને પગ આવશે. જરા આપણી પ્રગતિ પર નજર નાખી વિચાર કરી જુઓ. ક્યાંથી ક્યાં આવી પહોંચ્યા છીએ. આપણા દેશનું યુવા ધન કેટલું હોશિયાર છે. તેમને જરા સાથ અને સહકાર આપી જુઓ. તેમનામાં આકાશને આંબવાની તમન્ના છે. આધુનિકતાના રંગે રગાયેલા યુવાનો ખૂબ ઊંચા વિચાર અને કામ કરવાની શક્તિ ધરાવે છે.

બે મહિના પહેલાં સૂરતથી મુંબઈ જઈ રહી હતી. ફ્લાઈંગ રાણીને આવવાની વાર હતી. મારી નજર સામે અદ્દભુત દૃશ્ય જોયું. પાણીની પઈપો વડે પ્લેટફૉર્મ ધોવાતું હતું. નીચે પાટા પરથી કચરો બધો સાફ થયો. ગાલે ચૂંટી ખણી, ખરેખર આ બની રહ્યું છે! ત્યાં સામેના પાટા પર લોકલ ગાડી આવી અને ઉપડી ગઈ. તમે નહીં માનો, ગાડી ગયા પછી, પાટા પર બેસૂમાર કચરો ખડકાયો હતો. બોલો આને શું કહું. અમે સહકાર આપવાના નથી. ‘ગંદકી કરવી અમારો જન્મ સિદ્ધ હક છે’ !

ઘણી વખત ભણેલાં કે અભણ બેમાં કોઈ ફરક જણાતો નથી. ખૂબ દુઃખ થાય એવી વાત છે. ગરીબ કે તવંગર કોઈ ફરક નહીં. જ્યાં એક જાતનું માનસિક વલણ ઘર કરી ગયું હોય ત્યાં બદલાવ કઈ રીતે લાવવો ? એક ઉપાય છે. જો આપણે બધા આચરણમાં મૂકીએ તો વાત સીધા પાટા પર આવે ખરી ! આજકાલ બધા એમ.બી.એ. છે. ‘મને બધું આવડે છે’. જેને કારણે અસહકાર દર્શાવવો એ એક રિવાજ થઈ ગયો છે. અરે ભાઈ, સહકાર આપવો એ ગુલામીની દશા નથી. એ તો છે ખુલ્લા દિલે અને મને નવિનતાને અપનાવવાની ઉત્કંઠા. સહકાર મળે તો આખું દૃશ્ય સુહાનું લાગે.

અમેરિકામાં બાળપણથી બાળકોને આ પ્રકારનું શિક્ષણ આપવાની આંખે ઊડીને વળગે એવી રીત છે. માતા અને પિતા બન્ને નોકરી કરતાં હોય. નાનું બાળક ‘ડે કેર’ અથવા ‘પ્લે સ્કૂલ’માં જતું હોય. જ્યારે બધાં બાળકોને ઘરે જવાનો સમય થાય એ પહેલાં ટીચર ગાવાનું શરૂ કરે.

”ક્લીન અપ. ક્લીન અપ એવરી બડી ક્લીન અપ”. શરૂઆત ટીચર કરે. નાની નાની વસ્તુઓ, રમકડાં ઊંચકીને તેની જગ્યા પર મૂકે. બાળકો ટીચર જે કરતાં હોય તે કરે, આવો સુંદર દાખલો બેસાડે. માતા અને પિતા ઘરે આ રીતે તેમને રમકડાં ઉપાડી ટોય બૉક્સમાં મૂકાવે. ધોવાનાં કપડાં લૉન્ડ્રી બાસ્કેટમાં મૂકતાં શિખવે. કેટલો સુંદર અભિગમ. આ બાળક મોટું થાય ત્યારે આવું વર્તન જ કરે ! ‘જે ગંદકી કરે તે સાફ કરે. (હુ એવેર મેક્સ મેસ, ક્લિન્સ ઈટ”) આ બીજો અકસિર ઈલાજ. અજમાવવા જેવો ! પરિણામ સારું આવશે એમાં બે મત નથી .. આ ગુણ જો બાળકમાં સંસ્કાર સાથે સિંચિત થયો હોય તો એ બાળક ખૂબ પ્રગતિ સાધે એમાં બે મત નથી !

ખબર નહીં કેમ જીવનના દરેક તબક્કામાં અસહકાર દર્શાવવાની આદત પડી ગઈ છે! ‘ઝાઝા હાથ રળિયામણા’, જો સહકાર આપીને કોઈ કાર્ય કરીશું તો તેનું પરિણામ સુંદર આવશે તેમાં બે મત નથી. કોઈ પણ વ્યક્તિને યા કુટુંબીજનને નવા પ્રયોગમાં સહકાર અને સાથ આપીએ તો તે સહુના લાભમાં છે. પૂરી જો મમ્મી યા સાસુ એકલાં બનાવતાં હોય તે સમયે સહકાર આપીએ તો બધી પૂરી ફૂલે, ગોળ વણાય અને જમનાર તેનો સ્વાદ માણી શકે ! ખોટી ‘હામાં  હા’ નહીં ભણવાની.’ કિંતુ જે યોગ્ય હોય તો અસહકાર બતાવી પોતાનું મહત્ત્વ સ્થાપવાની ખોટી રીત શોભાસ્પદ નથી.

અસહકાર ક્યાં દર્શાવવો એ અગત્યનું છે. અસત્યનું આચરણ થતું હોય. ખોટા સમાજના રિવાજો પ્રત્યે અણગમો હોય. બાળકોનું વર્તન અસભ્ય હોય ! ત્યાં અસહકાર વ્યાજબી છે. ઘણીવાર અસહકારને  બદલે ,”મૌનં પરં ભૂષણમ” યોગ્ય લાગે. જેનો મતલબ સંમતિ નથી. માત્ર તેના દ્વારા ઊભા થતા ઘર્ષણોથી છૂટકારો છે. બાકી સમજુ કો ઈશારા કાફી. વિવેકબુ્દ્ધિનો  ઉપયોગ એ તેનો સરળ ઉપાય છે.

e.mail : pravina_avinash@yahoo.com

Loading

...102030...3,7543,7553,7563,757...3,7603,7703,780...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved