Opinion Magazine
Number of visits: 9693886
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Hansgaan

સનત મહેતા|Opinion - Opinion|2 September 2015

હંસગાન

થોડું આશ્ચર્યજનક છે કે જગતમાં લોકો ઊગતાં સૂરજને પૂજે છે જ્યારે તમે અહીં ડૂબતા સૂરજને સન્માનવાનું નક્કી કર્યું લાગે છે !

કાનજીભાઈ એ હિતેન્દ્ર દેસાઈના પિતા એવું આજે કેટલા લોકોને ખબર હશે? એના જેવો સૌજન્યશીલ માણસ મેં બીજો જોયો નથી. એ સમય હતો જ્યારે એકબીજાનો વિરોધ કરવાનો થતો હતો પણ તે સૌજન્ય ગુમાવ્યા વિના! આજે તો એવું કંઈ રહ્યું જ નથી! અમે ઘણો વિરોધ કર્યો છે અને કરતા હતા પણ એકબીજાને માન આપતા અને આદર જાળવતા.

વળી, આજે આઠમી ઑગસ્ટ છે. આ દિવસનું ઘણું મહત્ત્વ છે. એક આઠમી ઑગસ્ટે મેં ઘર છોડેલું. ઘર છોડ્યા પછી કદી પાછો ફર્યો નહોતો. આઠમી ઑગસ્ટે મુંબઈમાં ગાંધીને સાંભળવા ગયેલો! અને આઠમી ઑગસ્ટ, મહાગુજરાત આંદોલનની પણ, આજે પણ આઠમી ઑગસ્ટ!

એ જમાનો જ જુદો હતો અને અમારો મિજાજ પણ જુદો હતો. લગ્ન કર્યા તો પિતાને કહેલું કે તમારે ધક્કો ખાવાની જરૂર નથી. આશીર્વાદ મોકલી આપશો તો ચાલશે. કોઈ ખર્ચ નહીં, કોઈ ધમાલ નહીં!

આજે પણ મને ઑફિસે નિયમિત પહોંચીને કામ કરવાની ટેવ પડી ગઈ છે. સવારે અગિયાર વાગે પહોંચી જાઉં છું. પછી એક વાગે જમવા આવું. જમીને થોડો આરામ કરીને ફરી ઑફિસ, તે સાંજે સાત વાગે પરત.

આ કાર્યક્રમનું આમંત્રણ મળ્યા પછી તબિયત બગડી. હૉસ્પિટલમાં દાખલ થયો. મેં શીતલને કહ્યું, દવાખાનેથી પાછા અવાશે કે કેમ તેની ખબર નહીં, પણ પાછો હેમખેમ આવી ગયો. ભગવાનને ત્યાં દસ્તક દઈને પાછો ફર્યો છું; પણ બારણું ઊઘડ્યું નહીં! અને આજે અહીં તમારી સમક્ષ હાજર છું.

અમારા સમયમાં અમે સનદી અધિકારીઓને પોતાના જે વિચારો રજૂ કરવા હોય તે કરવા દેતા. અમે નોટ ફાઇલ પર લખવાની ના નહોતા પાડતા. તેથી જ મારી સાથે આઈ.એ.એસ. અધિકારીઓને કામ કરવું ગમતું. મને કોઈ મુશ્કેલી નહોતી. પછી રાષ્ટ્રપતિશાસન આવ્યું, ત્યારે એક વખત હરિશ્ચંદ્ર સરીન નામના વરિષ્ઠ અધિકારીનો ફોન આવ્યો. મને થયું શું ય હશે! ફાઇલમાં કંઈ ભૂલ થઈ હશે, કોણ જાણે. વિચાર કરતો ત્યાં પહોંચી ગયો. સરીન કહે છે, સનતભાઈ, તમારા જેવા મંત્રી હોય, તો અમારી તો છુટ્ટી જ થઈ જાય! એમ કહીને મારી ફાઇલ પરની કોઈ લાંબી નોંધ વંચાવી! તમે આટલું લાંબું લખો, પછી અમારે શું કરવાનું?

હું જેટલો વખત મંત્રી રહ્યો ગાંધીનગરમાં, ત્યાં સુધી અરુણા અને બાળકો ત્યાં રહેવા આવ્યાં જ નહીં! શનિ-રવિ આવે અને પછી જતાં રહે. પછી દીકરી શ્યામલીનું લગ્ન લેવાનું આવ્યું. અમે લગ્ન તો વડોદરા કરવાનાં હતાં પણ અમારાં વેવાણ કહે ના, અમે તો ગાંધીનગરમાં જ જાન લઈને આવીશું! મંત્રીને ત્યાં લગ્ન થવાનાં છે, એ ખબર પડે ને!

આ ઇલાબહેન(ભટ્ટ)ને મજૂર મહાજનમાંથી કાઢી મૂક્યાં તો એમને પહેલો ફોન કરનાર હું, એમની પડખે ઊભા રહેવાનો આનંદ હતો. અલંઘ શીપયાર્ડનું નક્કી કર્યું તો બધા કહે : ‘સનતભાઈ, બધા તો વહાણ બાંધવાની વાત કરે, તમે આ વહાણ ભાંગવાનું ક્યાંથી લઈ આવ્યા ?’

તુષાર [ભટ્ટૃ] જોડે દોસ્તી થઈ. તેજસ્વી પત્રકાર. પણ બોલવામાં મારા જેવો. તે વખતે ઘણા તેને મારો conscience keeper કહેતા. એક વખત માધવસિંહભાઈએ એને કહેલું, અમને પણ એવી સેવા આપોને! એ કટાક્ષ કરતા હતા પણ તુષારે પરખાવેલું : પહેલા conscience તો હોવો જોઈને, તો એ પણ કરીએ!

કૃષ્ણકાન્ત વખારિયાએ કંઈ ૪૦૦-૫૦૦ પાનાં ભરીને પોતાની આત્મકથા લખી છે, એવું કહેતા હતા. મને યાદ આવે છે અને એમણે પણ યાદ કર્યું કે કૃષ્ણકાંત અને ધીરુભાઈ (અંબાણી) બંને તે વખતે વિદ્યાર્થીમંડળના આગેવાન અને મને ભાષણ કરવા બોલાવેલો. ધીરુભાઈ સાથે પણ દોસ્તી રહી. હમણાં રિલાયન્સના કોઈ મોટા નિવૃત્ત અધિકારી મને મળવા આવેલા. મેં એમને કહ્યું : મુકેશને કહેજો કે તું ધીરુભાઈ નહીં થઈ શકે! મને તો ટેવ છે કે બધા જોડે હું વાત કરી શકું. ટૉરેન્ટના સુધીર મહેતા (સામે બેઠેલા તે તરફ જોઈને) જોડે ય વાત કરું અને અમારા આંબાડુંગર – ભેખડિયાના રતન ભગત જોડે પણ વાત કરું! ઘણાં બધાં યુનિયનો છોડ્યાં, હજુ થોડાં છે, તેમાંથી નીકળવું છે, પણ માલિકો કે કામદાર એકે ય છોડવા દેતા નથી!

આ જે આપણે એચ.ટી. પારેખ હૉલમાં બેઠા છીએ, તે એચ.ટી. પારેખે બહુ બધા લોકોને હાઉસિંગ માટે ફાઇનાન્સ કર્યું, પરંતુ પોતે ભાડાના મકાનમાં રહ્યા. હું કહેતો, ’તમારા માટે તો એક ઘર બાંધો.’ પણ એ કહેતા, ’ભાડાનું શું ખોટું છે?!’ એવો એ જમાનો હતો. આજે આવા માણસ મળવા મુશ્કેલ છે.

વિશ્વ ગુજરાતી સમાજના ઉપક્રમે અમદાવાદના એ.એમ.એ. ખાતે એચ.ટી. પારેખ કન્વેન્શન હૉલમાં કાનજીભાઈ દેસાઈ અૅવૉર્ડ સ્વીકારતાં આપેલું છેલ્લું ઉદ્દબોધન સ્મૃિત ઉપરથી.

સંકલન : ડંકેશ ઓઝા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 10

છવિ સૌજન્ય : 'વિશ્વ ગુજરાતી સમાજ'

Loading

Raajkaarani Nahin, Raajneetigna

રતિભાઈ પંડ્યા|Opinion - Opinion|2 September 2015

રાજકારણી નહીં, રાજનીતિજ્ઞ

સનતભાઈ મહેતાને, એકાણું વર્ષનું આયખું ધરાવનાર સનતભાઈ મહેતાને, મેં અમરેલી મુકામે ૧૯૫૨ની સાલમાં તેમની ઉંમર ૨૭ વર્ષની હતી તે વખતે પ્રથમ વાર જોયેલા અને જાહેરસભાને સંબોધન કરતાં સાંભળેલા. તે વખતે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. તે વખતે તેમનાં વ્યક્તિત્વ અને વક્તવ્યથી ખૂબ પ્રભાવિત થયાનું સ્મરણ થઈ આવે છે. છેલ્લે ૨૦૧૪માં મહેસાણા મુકામે તેમની ૯૦ વર્ષની ઉંમરે દૂધ-ઉત્પાદકોની વિશાળ જાહેરસભામાં સાંભળેલા. વચ્ચે ૬૨ વર્ષનાં વહાણાં વીતી ગયાં હતાં, છતાં તેમના શારીરિક દેખાવ અને વક્તા તરીકેની છટા અને જોશમાં કોઈ ફેરફાર ન લાગ્યો, ઊલટાના ઉંમરમાં વૃદ્ધ સનતભાઈ દેખાવમાં અનો બોલવામાં વધુ જુવાન લાગ્યા. મહેસાણાની એ જાહેરસભામાં ‘દૂધની ખેતી-ચારાખેતી’ અંગે વાર્તાલાપ આપવા સનતભાઈએ મને ખાસ બોલાવેલો.

સનતભાઈ ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન હતા, તે વખતે મનુભાઈ પંચોળી (દર્શક) સાથે તેમના નિવાસસ્થાને મળવાનું બનેલું. બંને વચ્ચે ગુજરાતના અને રાષ્ટ્રનાં રાજકારણ અને જાહેરજીવનની રસપ્રદ ચર્ચાઓ સાંભળવાની મજા પડેલી. ઊઠતાં-ઊઠતાં મનુભાઈએ ટકોર કરી, “મારી દૃષ્ટિએ તો ગુજરાતનો મુખ્યપ્રધાન તું જ હોવો જોઈએ.” અને સનતભાઈએ હસતાં-હસતાં જવાબ આપેલો, “તમારા જેવા આદર્શવાદી લેખકોનો એ અભિપ્રાય-મંતવ્ય હોઈ શકે.”

સનતભાઈ સ્થાપિત અને સંચાલિત ‘શ્રમિક વિકાસ’ નામની સંસ્થા વલ્લભીપુર આસપાસનાં ૩૦-૩૫ ગામોમાં ગ્રામવિકાસની પ્રવૃત્તિ કરતી હતી. તેમાં ભાવનગરની લાયન્સ ક્લબનો સહકાર મળી શકે તે માટે એક દિવસની બેઠકનું આયોજન ભાવનગરમાં થયેલું. આ બેઠકમાં ભાલ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા શું-શું કરવું જોઈએ તે અંગે સંશોધનપત્રો તૈયાર કરવાનું કામ મને, સમાજશાસ્ત્રી વિદ્યુતભાઈ જોષી તથા રમણીકભાઈ ભટ્ટીને અલગ-અલગ રીતે સોંપેલું. મેં જણાવ્યું કે સંશોધનપત્ર રજૂ કરતાં પહેલાં મારે એ વિસ્તારનાં કેટલાંક ગામડાઓની રૂબરૂ મુલાકાત લેવી પડે. સનતભાઈએ તેમના કાર્યકર નાનકભાઈ ભટ્ટ દ્વારા મને એક જીપ અને ડ્રાઇવર મોકલી આપ્યાં. બે દિવસમાં ૮-૧૦ ગામોનો સોંપેલ સર્વે કરવાથી માલૂમ પડ્યું કે તે વિસ્તારમાં જમીનની ખારાશને કારણે માત્ર ચોમાસામાં જુવાર-કડબની ખેતી થાય છે. કુલે રૂપિયા એક કરોડની કિંમતની ચારા માટેની જુવાર વેચાય છે, જે ભાવનગર-રાજકોટ કે ગૌશાળા-પાંજરાપોળમાં જાય છે. અમે લોકભારતીની ગૌશાળા માટે પણ તે વિસ્તારની કડબ ખરીદતા હતા, આથી કેટલાંક ગામો અને ખેડૂતોનો પરિચય પણ હતો. મેં વિચારીને સંશોધનપત્ર તૈયાર કર્યું કે આ જુવારની રૂ. એક કરોડની કડબ-નીરણ ત્યાં સ્થાનિક ગાયો-ભેંસોને ખવડાવીને તેમાંથી દૂધ પેદા કરી ‘ભાવનગર-અમદાવાદમાં વેચવાનું આયોજન કરવામાં આવે’ તો ખેડૂતોને તેમાંથી ત્રણ કરોડ રૂપિયાની આવક થાય, ઉપરાંત પશુઓનાં છાણ-પેશાબનું સેન્દ્રિય ખાતર મળી રહેતા ઘાસચારાનું ઉત્પાદન પણ વધે. સનતભાઈને આ વિચાર એટલો બધો ગમી ગયો કે તેમણે ડેરીઓનો સંપર્ક સાધી તે વિસ્તારમાંથી દૂધ ભેગું કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. સનતભાઈ ભાવનગર-તળાજા-મહુવા બાજુ આવવાના હોય, તો સણોસરા મનુભાઈ પંચોળીને મળવા આવવાનું ખાસ ગોઠવે, મને ટેલિફોનથી અગાઉ જાણ કરી મનુભાઈ સંસ્થામાં તે તારીખે હાજર છે કે નહીં, તેની ખાતરી કરી વરસમાં એકાદ વાર આવવાનું ગોઠવે. કહે પણ ખરા કે ‘હું મનુભાઈ પાસે બૅટરી ચાર્જ કરવા આવ્યો છું.’

એક મુલાકાતમાં સનતભાઈને ગૌશાળા જોવા લઈ જવા મનુભાઈએ મને સૂચવ્યું. તેમણે ગૌશાળાની ગાયોની તંદુરસ્તી તથા તેનું ઉત્પાદન અને વ્યવસ્થા જોઈ ખુશી વ્યક્ત કરી અને અભિનંદન આપેલા. કોઈ પણ જાતનાં દાન, સહાય કે ખોટ ખાધા વિના સરભરના પાયા પર ગૌશાળા થકી સસ્તું દૂધ વિદ્યાર્થીઓ-કાર્યકરોને પૂરતા પ્રમાણમાં આપી શકીએ છીએ, તે જાણી તેમણે આનંદ વ્યક્ત કર્યો. સફળતાની ચાવીઓ અંગે પૂછ્યું, તો હું તેમને ચારાખેતીના પ્લૉટમાં નેપિયર ઘાસ જોવા લઈ ગયો. છ-સાત ફૂટ ઊંચું લીલુંછમ ઘાસ બતાવી તેનું ઉત્પાદન સાત-આઠ વાઢમાં એક એકર જમીનમાંથી વર્ષે દહાડે ૧૦૦ ટન લીલો ઘાસચારો મળે છે વગેરે માહિતી આપી મહાન વિચારક જૉનાથન સ્વિફ્ટનું એક સુવાક્ય ટાંક્યું : ‘He who arranges to grow two ear-heads or grain of two blades of grasses, where one grew before, his services to the nation and man-kind is more than whole race of politician put to-gather’. અર્થાત્‌ ‘જે માણસ એક અનાજના ડૂંડાની જગ્યાએ બે અથવા ઘાસના એક તણખલાની જગ્યાએ બે તણખલાં પેદા કરે છે, તેની રાષ્ટ્ર માટે તેમ જ માનવજાત માટેની સેવાઓ બધા રાજકારણીઓની સેવાના સરવાળા કરતાં વધુ છે.’ આ વાક્ય સાંભળીને સનતભાઈએ તરત જ કહેલું કે, મને આ વાક્ય મારી ડાયરીમાં લખી આપો.’ તેમણે ગાડીમાંથી ડાયરી મંગાવી, મેં તેમાં લખી આપ્યું. તેમણે હસતાં હસતાં કહ્યું, ‘આ વાક્ય મને સંભળાવવા તો તમે નથી કહ્યું ને!’ મેં કહ્યું, તમે આ સામાન્ય કોટીના રાજકારણી નથી, પરંતુ રાજનીતિજ્ઞ છો, ખૂબ જ અભ્યાસુ છો, એટલે તો તમે તમારી ડાયરીમાં આ સુવાક્ય લખાવી લીધું!’

આ પછી હું તેમને ગોચરમાં ઘાસની વીડી જોવા લઈ ગયો. એક હજાર વીઘાની વીડીમાં ૫૦૦ વીઘા જમીન ગાયોના ચરિયાણ માટે અને ૫૦૦ વીઘા જમીન ઘાસ વાઢવા અનામત રાખેલ છે. ડુંગરાળ-પથરાળ જમીન પર દોઢ-બે ફૂટ ઊંચું શણિયાર-રાતડ-ધરપડા વગેરે ઘાસ લીલુંછમ લહેરાતું જોઈ તેમણે પ્રસન્નતા અનુભવી. આસપાસના બીજા ડુંગરમાં વધુ પડતા ચરિયાણને કારણે ટાલિયા ડુંગર પર કશું ઘાસ ન હતું, રહસ્ય સમજાવતા મેં કહ્યું, અમે સારી જાતના ઘાસમાં બી એકઠાં કરી છાણ-માટીમાં નાની ગોળીઓ વાળી લાડુ પરના ખસખસ માફક બિયારણનો ચાંદલો કરી ચોમાસામાં છૂટી ગોળીઓ નાખીએ છીએ. આ રીતે ‘ખડની ખેતી’ કરીએ છીએ. ચરિયાણ વિસ્તારમાંથી છાણ કે પોદળા લોકોને લેવા દેતા નથી, જેથી કુદરતી ખાતર ઘાસને મળી રહે છે. આ બધું સાંભળી તેમણે પ્રતિભાવ આપેલો કે, ‘તમને મળવામાં હું મોડો પડ્યો છું, મારી પાસે સત્તા અને પૈસા હતા, તે વખતે જો આપણે મળ્યા હોત, તો સૌરાષ્ટ્રના ઘણા ડુંગરાઓ ઘાસથી હરિયાળા બનાવી શક્યા હોત. ૫૦૦ વીઘાને બદલે ૫૦,૦૦૦ વીઘામાં વધુ ઘાસ ઉગાડી શક્યા હોત.’ તેમણે કહ્યું, ‘તમારા જ્ઞાન-અનુભવનો લાભ અમે વહીવટકર્તાઓ વધુ લઈ શક્યા નહીં, તેનો મનમાં રંજ છે.’

સનતભાઈનો ભૌતિક દેહ તો આ પૃથ્વી પર રહ્યો નથી, પરંતુ તેમનાં લખાણો અને વિચારો તો આપણી પાસે છે, આપણે યથાશક્તિ તેનો અમલ આપણા સૌનાં જીવનમાં સમજવા અને ઉતારવા કોશિશ કરીએ.

વસ્ત્રાપુર, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 11

Loading

Anaamat ane Gnaatigat Ganit : Tyaare wne Atyaare

ગૌરાંગ જાની|Samantar Gujarat - Samantar|2 September 2015

અનામત અને જ્ઞાતિગત ગણિત : ત્યારે અને અત્યારે

વર્ષ ૧૯૮૧માં ચાર મહિના અને વર્ષ ૧૯૮૫માં પાંચ મહિના, એમ માત્ર પાંચ વર્ષના ગાળામાં કુલ નવ મહિના સુધી અનામત વ્યવસ્થાની સામે ગુજરાતના સવર્ણોએ આંદોલન કર્યું હતું. આ સમય દરમિયાન, ખાસ કરીને દલિતો અને આદિવાસીઓનું સતત અપમાન થતું રહ્યું, તેઓ પર હિંસક હુમલા થયા અને તેઓના બંધારણીય અધિકારોને છીનવી લેવાના પ્રયત્નો થયા. વર્ષ ૧૯૮૫માં બક્ષીપંચ કે અન્ય પછાત વર્ગ માટે વધારવામાં આવેલી ૧૮ ટકા બેઠકો દેશની સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન હેઠળ હતી, તેમ છતાં ગુજરાતની વસ્તીના માત્ર ૨૦ ટકા ધરાવતા સવર્ણોએ ૧૮ ટકાના વધારા સામે કાયદો હાથમાં લીધો અને કમનસીબે એ આંદોલન કોમી દાવાનળમાં તબદીલ થઈ જતાં ગાંધીના ગુજરાતમાં સામાજિક વૈમનસ્યનો મજબૂત પાયો નંખાયો. છેલ્લા એક મહિનાથી રાજ્યની સૌથી પ્રભાવી ગણાતી પાટીદાર જ્ઞાતિ અનામતને અધિકાર માની પોતાને અન્ય પછાતવર્ગમાં ધમપછાડા કરી રહી છે. પાટીદારોના સંખ્યાબળ અને આર્થિક રાજકીય પ્રભાવના પગલે બ્રાહ્મણો સહિત તમામ સવર્ણો અનામત મેળવવા અધીરા બન્યા છે.

અન્ય પછાત વર્ગ એટલે સામાજિક-શૈક્ષણિક પછાતપણું એનો સ્પષ્ટ બંધારણીય અર્થ અને જોગવાઈ હોવા છતાં સવર્ણો તેને ક્યાં તો સમજતા નથી અથવા ના સમજનો ડોળ કરે છે. ત્રણ દાયકા પૂર્વે મેરિટ કે ગુણવત્તાને આગળ ધરી હિન્દુ ધર્મની રૂઢિચુસ્ત જ્ઞાતિવ્યવસ્થાનો ભોગ બનેલા બહુજન સમાજના બંધારણીય અધિકારને છીનવતા અને ‘અનામત હટાઓ, ગુજરાત બચાઓ’ના ગગનભેદી નારા પોકારતા સવર્ણો, આજે પોતાને પછાત માને છે. ૩૦ વર્ષમાં તેઓનું સૂત્ર બદલાયું, ‘અનામત બઢાઓ ગુજરાત બચાઓ’.

ગુજરાતમાં સમાજશિક્ષણ શિક્ષણની મુખ્ય ધારામાં ભાગ્યે જ સામેલ થઈ શક્યું છે. તેને સમાંતર જ્ઞાતિ/ધર્મ શિક્ષણ દિનપ્રતિદિન બળવત્તર બનતું જાય છે. આ સ્થિતિમાં ગુજરાતમાં કોનું સંખ્યાબળ કેટલું છે? તેઓની લાક્ષણિકતાઓ કઈ છે? એ વિષે ગુગલના જમાનામાં પણ ભ્રામક્તા ફેલાયેલી છે તેનું ઉત્તમ ઉદાહરણ પોતાના સંખ્યાબળ વિશેના પાટીદારોના પોકળ દાવાઓ અને અન્યો વિશેનું છીછરું જ્ઞાન કે માહિતી.

આ સંદર્ભમાં વર્તમાન જ્ઞાતિ/ધર્મ વર્ગીકરણને અત્રે સમજીએ.

ગુજરાતમાં જ્ઞાતિ/ધર્મ વસ્તી પ્રમાણ (%)

કહેવાતી ઉપલી જ્ઞાતિઓ                         ૨૧ %
દલિતો                                              ૦૫ %
આદિવાસી                                         ૧૫ %
અન્ય પછાત વર્ગ (૧૪૬ સમૂહો)                ૪૦ %
મુસ્લિમ                                            ૦૯ %
અન્ય લઘુમતિ ધર્મ                                 ૦૩ %
અન્ય હિંદુ જ્ઞાતિઓ તેમ જ સ્થળાંતરીતો        ૦૭ %  
                                                   ———                  
                                                   ૧૦૦ %

ગુજરાતમાં જ્ઞાતિ/ધર્મના વર્ગીકરણને સમજતાં એ સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાતવર્ગના કુલ ૬૦ ટકા ગુજરાતીઓ સામે વીસ ટકા સવર્ણોએ અનામત વિરોધનું રણશિંગુ ફૂક્યું હતું. આજે દૃશ્ય બદલાયું છે. ૬૦ ટકા ગુજરાતીઓને પોતાની અનમાત બચાવવા ૨૦ ટકા પ્રભાવી ગુજરાતીઓ સામે મેદાને પડવું રહ્યું છે. આ સ્થિતિ રાજ્યમાં જ્ઞાતિ સઘર્ષનાં બી વાવી રહી છે એ સમજાય એવું છે. અહીં એ નોંધવું અનિવાર્ય છે કે પાટીદારોના અનામત આંદોલનને દોઢ મહિનો પૂર્ણ થયો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી મૌન તોડે છે. અખબારોમાં ઓ.બી.સી. અંગે  જાહેરાતો છપાય છે. એટલું જ નહીં છેલ્લા એક મહિનામાં પાટીદારોનાં પ્રદર્શનો, રેલીઓ અને પ્રચાર સામે સરકાર દ્વારા એક શબ્દ સુદ્ધાં ઉચ્ચારાતો નથી.

રાજ્યના પાટીદાર મુખ્યમંત્રીએ એક મહિના બાદ સ્પષ્ટ કર્યું કે પાટીદારોને બંધારણીય રીતે અન્ય પછાત વર્ગમાં સમાવી શકાય નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે સરદાર સાહેબના નામે પાટીદારોએ અનામતની માંગણી ના કરવી જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે પાટીદારોએ અન્ય પછાત વર્ગમાં આયોગમાં અરજી સુદ્ધાં નથી કરી અને રસ્તાઓ પર હજારોની સંખ્યામાં અનામતની માંગણી કરી રહ્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ અને તેના દ્વારા ફેલાતા ભ્રમને રોકવા સરકારે એક મહિના બાદ અખબારમાં જાહેરાત આપવાની તસ્દી લીધી. પરિણામે ગુજરાતમાં સામાજિક કટોકટી સપાટી પર આવી છે. અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર ભા.જ.પ. મોરચો છે. અને ઓ.બી.સી. ભા.જ.પ. મોરચો પણ છે હવે એ રસપ્રદ બની રહેશે કે આ બંને મોરચા પોતાની પાર્ટીને અથવા પાર્ટી આ બંને મોરચાને કેવી અને કેટલી વફાદાર રહે છે.

ભા.જ.પ.નો સામાજિક આધાર વ્યાપક સ્વરૂપે હિન્દુવાદી રહ્યો અથવા એમ રાખવામાં આવ્યો છે, પરંતુ પાટીદાર અનામત આંદાલને એ સાબિત કર્યું છે કે રાજ્યમાં ધર્મ ઉપરાંત જ્ઞાતિની વાસ્તવિકતા રાજકીય સ્થિરતા માટે જરૂરી છે. સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસના પ્રભાવી જ્ઞાતિના ખ્યાલને ગુજરાતના સમાજજીવન સાથે જોડીએ તો પાટીદારો એક મોટી પ્રભાવી જ્ઞાતિ તરીકે ઉભરી આવી છે. નરેન્દ્ર મોદીનો ગુજરાત વિકાસ મોડેલ વાસ્તવમાં બે સ્વરૂપે રાજ્યમાં દેખાય છે. એક પાટીદાર વિકાસ મોડેલ અને બીજો વંચિતોનો વિકાસ મોડેલ. રાજ્યમાં શિક્ષણ અને નોકરીના ક્ષેત્રે ફેલાયેલી અંધાધૂંધીના પરિણામે રાજ્યના યુવાનો માટે આજીવિકા અને કારકિર્દીના અનેક પ્રશ્નો સર્જાયા છે. આ પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાતના સવર્ણોએ મોદી શાસનમાં ના તો કોઈ વિરોધ કર્યો કે ના તેનું વિશ્લેષણ. પરિણામે વિકાસનો વન ડાયમેન્શન ઢોલ વાગતો રહ્યો. આ ઢોલના અવાજમાં રાજ્યના યુવાનોમાં રહેલો કચવાટ કે હતાશા દબાઈ ગયા. વળી જ્ઞાતિ આધારિત નેતૃત્વ પણ માત્ર પક્ષીય નેતૃત્વ બની જતાં આજે પાટીદાર આંદોલનનો વિરોધ કરવા ના તો જ્ઞાતિ આધારિત નેતૃત્વ ઉભરી શક્યું કે ના તો રાજ્યના બૌદ્ધિકોએ ચર્ચાનો દોર ચલાવ્યો.

પાટીદારો ઉપરાંત બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વાણિયાઓના સંગઠનો અનામત માંગવા દોડી આવ્યા છે ત્યારે એ સૌને એક સાદો સવાલ પૂછવો છે કે તમે કેવી રીતે સામાજિક-શૈક્ષણિક પછાત છો?

બક્ષીપંચમાં સામાજિક ૧૪૬ સમૂહોમાંથી લગભગ ૧૨૫ જેટલાં સમૂહો/જ્ઞાતિઓ એવાં હશે કે જેના નામ પણ સવર્ણોએ સાંભળ્યા નહીં હોય. સદીઓ સુધી શું ગામ કે શું શહેર બધે જ જ્ઞાતિ આધારિત પાડોશ વિકસ્યા હોય ત્યાં અન્ય સમાજો માટે સમજ અને સંવેદનશીલતા કેવી રીતે વિકસે ? મકાનો ચણતી વખતે પાણી છાંટતો ભિસ્તી કોણ છે કે અમદાવાદ શહેરમાં વસતો ‘છારા’ સમુદાય કેવા પ્રશ્નોનો સામનો કરે છે તે અંગે સાવ અજાણ સવર્ગોને સામાજિક પછાતપણું કેવી રીતે સમજાય?

અમદાવાદ સિવાય ગુજરાતના સાહિત્યકારોએ બહુજન સમાજને કદીયે સાહિત્યનું દર્પણ બનવા ના દીધુ. તેના પરિણામે શાળામાં ભાષાનાં પાઠ્યપુસ્તકો અને સમાજ વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકોમાં માત્રને માત્ર ખાસ ગુજરાતનું ચિત્રણ થયું. ભલું થજો અનામત વ્યવસ્થાનું કે તેના પરિણામે શાળા-કૉલેજના વર્ગખંડમાં વિવિધ જ્ઞાતિ સમૂહોના વિદ્યાર્થીઓ સાથે ભણતા થયા. પરંતુ આજે શિક્ષણના વ્યાપારી કરણને પરિણામે શ્રીમંતોને શાળાઓ અને મહાશાળાઓની હાટડીઓમાં સામાજિક વૈવિધ્ય અદૃશ્ય થવા માંડ્યું. વર્ષ ૧૯૮૫માં અન્ય પછાત વર્ગની અનામતનો વિરોધ રાજ્યના સવર્ણોએ કર્યો ત્યારે એન્જિનિયરીંગ અને મેડિકલમાં અનામત શ્રેણીના વિદ્યાર્થીઓ માત્ર ૧૧થી ૧૬ ટકા જેટલા અને બાકીના ૮૫ ટકાથી વધુ બિન અનામત શ્રેણીના વિદ્યાર્થીઓ હતા. અનામતનું મર્યાદિત પ્રમાણ હોવા છતાં અનામત વિરોધી આંદોલન આરંભાયું. આજે અનામત શ્રેણીના વિદ્યાર્થીઓમાં અંદરોઅંદરની હરીફાઈને પરિણામે પરીક્ષાની ટકાવારી વધતી જાય છે અને ક્યારેક અન્યોને બરોબર પહોંચી છે. આ પ્રક્રિયા એક તંદુરસ્ત વાતાવરણ સર્જે છે. સવાલ છે નોકરીની તકોનો. રાજ્યમાં સરકારી નોકરી માંડ આઠ ટકા જ છે. ૯૦ ટકા નોકરી ખાનગી ક્ષેત્રમાં હોય તો અનામતનો શો અર્થ!    

e.mail : gaurang_jani@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. -14-15

Loading

...102030...3,7543,7553,7563,757...3,7603,7703,780...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved