Opinion Magazine
Number of visits: 9692019
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રાહકોના માથે ચડી બેઠેલું બજાર

હિમાંશી શેલત|Opinion - Opinion|6 November 2015

બજારનું હોવું અનિવાર્ય છે એમ કબૂલ કરીએ તોયે એને માથે ચડવા દેવાય ત્યારે દાટ વળવાનો

થોડાંક વર્ષો પહેલાં માનવજાતના એક ઉત્તમ અને અજોડ પ્રતિનિધિએ બહુ શાણપણ ભરેલી વાત કરેલી: પ્રકૃતિ પાસે માણસની તમામ મૂળભૂત જરૂરિયાતો સંતોષાય એટલી સંપત્તિ છે, અને પ્રકૃતિ ઉદાર પણ છે. તકલીફ માણસની અમર્યાદ લાલસાની છે, જેને કારણે માણસ નથી સંતોષ અનુભવતો કે નથી જંપતો, અને જંપવા દેતો.

એ મહામાનવની પીઠ ફરી કે ગણતરીના સમયમાં બધું પલટાઈ ગયું. પાયાની જરૂરિયાતોની વ્યાખ્યા બદલાઈ ગઈ, સુખની સમજ પલટાઈ ગઈ, અને ‘સાદાઈ’ તથા ‘કરકસર’ જેવા શબ્દો અર્થ ગુમાવી બેઠા. પૃથ્વી પરનું સઘળું ભોગવી લેવાની, ઝૂંટાઝૂંટ કરીને જેટલું હાથ લાગે તેટલું અંકે કરી લેવાની બેફામ લાલચે માણસને છેક જ વામણો બનાવી દીધો છે, અને એને માથે ચડી બેઠું છે બજાર – લેવેચ, ભાવતાલ, નફાતોટાનું, દેખાદેખી અને હુંસાતુંસીનું, ખરીદો-ખરીદોની કર્કશ ઘાંટાઘાંટનું, જેની બિલકુલ જરૂર નથી એવી મોંઘાદાટ ચીજોના દેખાડાનું, માણસને માત્ર અને માત્ર ઉપભોક્તા બનાવી દેતા એક પાગલ ઝનૂનનું બજાર.

એમાં ય તહેવારો આવે ત્યારે તો આ ગાંડપણ માઝા મૂકે. બજાર માણસ પર રીતસર આક્રમણ કરે, એક્સચેન્જ ઓફર અને મહાએક્સચેન્જ ઓફર, જૂનું કાઢો, નવું લઈ લો! ઊભા થાવ, દોડો, અત્યારે લેશો તો ફલાણી સ્કીમનો લાભ મળશે, તક ચૂકશો નહીં, વિચાર શું કરો છો? તૂટી પડો પૂરી તાકાતથી, અને ઘર ભરી દો નવીનક્કોર, ઝળાંહળાં ચીજોથી. ઓનલાઇન, હાજર થશે કોઈપણ ચીજ, હુકમ મેરે આકા. બજાર દેખાય છે તો ગ્રાહકની સેવામાં, પણ હકીકતમાં એ ચડી બેઠું છે માણસને માથે! ચીજ-વસ્તુુઓઓનું પ્રલોભન ખાળી ન શકતાં, લાલચના પ્રેર્યાં સતત ધકેલાતાં, અને હાથ લંબાવી લંબાવી ઈચ્છેલું જકડવા ફાંફાં મારતાં અમૃતપુત્રો અને અમૃતપુત્રીઓ બજારના વિકરાળ જડબામાં આખેઆખાં હોમાઈ રહ્યાં છે.

અને આ બજાર કંઈ ભૌતિક ચીજો પૂરતું સીમિત નથી. અહીં તો નામો, આવડત અને હાજરી-બધું વેચાણક્ષમતા મુજબ. ખપનું હોય તે ‘ઇન’, અને જે ન હોય તે ‘આઉટ.’ ‘સ્ટાઇલ સ્ટેટમેન્ટ’ અને ‘સ્ટેટસ સિમ્બોલ’, ‘ટ્રેન્ડી’ અને ‘આઉટડેટેડ’, ‘અપ માર્કેટ’ અને ‘ડાઉન માર્કેટ’ જેવી ફેશનની સંજ્ઞાઓમાં માણસની મૂળ ધાતુ કઈ એ જ ભુલાઈ ગયું છે.

સંપત્તિ અને વૈભવશાળી જીવનશૈલીની ભ્રમજાળમાં જે ભસ્મ થઈ રહ્યું છે એનું ભાન પચીસમે માળે મોબાઇલ પડદે ખોવાયેલાં, વાસ્તવિક જીવનનો સ્પર્શ ખોઈ બેઠેલાઓને નહીં થાય. એમની પાસે સપનાં તો છે, પણ એ સ્વકેન્દ્રી છે. સંસ્કાર-સંસ્કૃિત જાળવવાની હાયવોય કરનારાંઓને કદાચ ખ્યાલ નથી કે જાતનો કેન્દ્રસ્થ રાખી જીવતી આ પેઢી એમની સાવ નજીકનાંઓને પણ પોતાનાં વર્તુળમાં સમાવી નથી શકતી, ત્યાં બૃહદ્દ પરિવારની, અને એથી આગળ વધી સમાજ સુધી જવાની કથા કેવી રીતે માંડવી?

પોતાની જાત પર પૈસા વેરવાની લાલચને સહેજ મર્યાદામાં રાખી શકાય તો જે કંઈ બચે તેને અન્ય કોઈની મૂળભૂત જરૂરિયાત માટે રાખી શકાય. આ ઉત્તમ ભાવને સેવનારા જીવો જ્યાં મળે ત્યાં તીર્થ. અમુકતમુક સગવડ કે વૈભવ જતાં કરવાથી આપણા પ્રાણ નહીં નીકળી જાય, પણ કોઈને એ બચેલી રકમમાંથી મોટો આધાર આપી શકાશે. આટલો વિચાર આવે એટલાં અપ્રદૂષિત ચિત્ત કેટલાં બચ્યાં છે એનો સર્વે અશક્ય છે. ક્યારેક આશ્ચર્ય થાય કે તગડી રકમ ખર્ચ્યા પછી આપણે એના બદલામાં મળનારી સવલતોની ગુણવત્તા વિશે જેટલો આગ્રહ સેવીએ છીએ, તેટલો આગ્રહ આપણે આપણી જાત પાસેથી શાલીન અને ટકોરાબંધ વર્તનનો સેવીએ છીએ ખરાં? આપણી પાછળ પણ તાલીમનો શ્રમ અને નાણું – બંને ખરચાયાં છે, તો બદલામાં ગુણવત્તાનો આગ્રહ કેમ નહીં? બેફામ વર્તતાં, બોલતાં, સ્વકેન્દ્રી બની જતાં આપણે જાત પરત્વે ઉદાર બનીને સતત બાંધછોડ કરતાં ફરીએ છીએ, અને સાથોસાથ પોતાને બચાવ કરવા સાવધાન રહીએ છીએ, એવું કેમ? ઉમદા વર્તનનો આગ્રહ પોતાની જાત પાસેથી કેમ નહીં રાખવાનો?

બજારનું હોવું અનિવાર્ય છે એમ કબૂલ કરીએ તોયે એને માથે ચડવા દેવાય ત્યારે દાટ વળવાનો. જરૂરિયાતો જેટલી વધારવી હોય તેટલી વધે, અને ઘટાડવી હોય તેટલી ઘટે. સંજોગો આવી પડે ત્યારે ફ્રીજ વગર, ટીવી વગર, મોબાઇલ વગર અને કાર વગર જીવી જ શકાય છે. ખુદ આપણે જ ક્યારેક એ રીતે જીવ્યાં છીએ. ફરિયાદ વગર અને મોજથી. આપણી પ્રાથમિક જરૂરિયાતોમાં વૈભવ કે એશઆરામની કોઈ ચીજ સામેલ કરવામાં નથી આવતી. પાયાની જરૂરિયાત સંતોષાયા પછીનું જે કંઈ છે એ વ્યક્તિની આવક અને એની જીવનશૈલી મુજબ આવતું જાય છે. જીવવાની ઢબને સાદી રાખવી કે ઝાકઝમાળ ભરેલી, એ જીવનારના અભિગમ અને વિચારસરણી પર આધાર રાખે છે.

વૈભવશાળી જીવનનાં સપનાં એક પેઢી બીજી પેઢીને આપે છે, જેમ સાદગીની પસંદગી, અને સમાજના ઉત્થાનનાં સપનાં આપી શકાય એ જ રીતે. આ વાક્યનો ઉત્તરાર્ધ હવે લગભગ અદૃશ્ય બન્યો છે. નવી પેઢીને સપનાં મળે છે પંચતારક હોટેલનાં, આરામદાયક જીવનનાં, અઢળક સુખસાધનોનાં, મોંઘાદાટ વસ્ત્રો અને ખર્ચાળ આદતોનાં. સાદાઈના અને અન્યોનાં દુ:ખોનો વિચાર કરવાના ઉચ્ચ આદર્શોની આ બંને પેઢીને જાણ છે, છતાં એની નજીક જતાં એ ડરે છે. એ માટે જે કંઈ જતું કરવું પડે કે છોડવું પડે એની તૈયારી એમની પાસે નથી. આ તૈયારી નથી કારણ કે જાતને મધ્યમાં સ્થાપીને જીવવાનું જ એમને ફાવે છે. એમનાં સ્વકેન્દ્રી વલણો એમને ફરીફરીને પોતાની તરફ જ જવા પ્રેરે છે.

બૂટની જોડ પસંદ કરવા કલાક ગાળતી અને મનપસંદ જોડા માટે કોઈ પણ કિંમત આપવા રાજી એવી વ્યક્તિને, કપાયેલા પગવાળી અને કૃત્રિમ પગની જોગવાઈ ન કરી શકતી સાધનવિહોણી વ્યક્તિનો વિચાર ભાગ્યે જ આવે, એના જેવી છે આ પરિસ્થિતિ. ઘણું બધું પોતાને માટે જ મેળવી લેવાની અંગત એષણાનો સરવાળો અંતે તો માનવ સમાજનું અપલક્ષણ બનીને રહે છે. પ્રકૃતિને ચુસી ચુસીને રસકસ વિનાની બનાવી દેવાનો મહાઅપરાધ પણ પછી સ્વીકૃત અને ક્ષમ્ય ગણાય છે. સમૃદ્ધ અને સંતુષ્ટ જીવો ખાતાપીતા હોય અને આસપાસ થોડાં અભાવગ્રસ્ત છોકરાં કે કૂતરાં ઊભાં ઊભાં એમને જોતાં હોય એવા દૃશ્યો આપણને પરિચિત છે.

એમની આંખોમાં ભય, ભોંઠપ અને અપેક્ષાનું હચમચાવી દેનારું મિશ્રણ દેખાશે, અલબત્ત, જોવાની તૈયારી હોય તો જ. નકારનો અને હડધૂત થવાનો આ સંકોચ જીતવાનું મન થાય તો લગાતાર પોતાના ભણી વળતા હાથને જરાક આજુબાજુએ જવા દઈએ. ક્ષણાર્ધ માટે ય જો જાતને કેન્દ્રમાંથી ખસેડી લેવાનું સુખ સાંપડે તો એ લેવા જેવું. પેલા મર્યાદિત વર્તુળમાંથી બહાર નીકળીને અન્ય સુધી પહોંચવાની આ ક્રિયા જેટલી ત્વરિત, અનાયાસ અને વ્યાપક, તેટલો વિકસિત મનુષ્યત્ત્વનો આંક. તમામ વિકાસગાથાઓની ઉપરનો નરી આંખે ન દેખાતો અને સરકારી દફતરે ન ચડેલો આ સાચુકલો વિકાસ.

એ ક્ષણે માથે ચડી બેઠેલું, અટ્ટહાસ્ય કરતું, અને માણસની સારપને દબાવી રાખવા મથતું બજાર નીચે પટકાઈ જવાનું. શુદ્ધ મનુષ્યત્વનો વિજય ઝંખવાના આ દિવસો છે, સાચવવા જેવું સપનુંયે એ જ છે ને!

(સૌજન્ય : ‘બેફામ લાલચનું પાગલ ઝનૂન’, “દિવ્ય ભાસ્કર”, 06 નવેમ્બર 2015)

http://www.divyabhaskar.co.in/news/ABH-mad-fanaticism-rampant-temptation-the-customer-seated-atop-embroiled-market-5161682-PHO.html?seq=2

Loading

ડીટનને ૨૦૧૫ના અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

ગૌરાંગ જ. યાજ્ઞિક|Opinion - Opinion|5 November 2015

તા. ૧૨ ઑક્ટોબર, ૨૦૧૫ના રોજ ધ રૉયલ સ્વિડિશ એકૅડેમી ઑફ સાયન્સિઝે એ આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરીઝ રીક્સબૅન્ક ઇનામ ૨૦૧૫, અર્થશાસ્ત્રી ઑન્ગસ ડીટનને તેમના ‘વપરાશ, ગરીબી અને કલ્યાણના વિશ્લેષણ’ માટે એનાયત કરવાનું નક્કી કર્યું.

ઍન્ગસ ડીટન અમેરિકા અને બ્રિટન એમ બે દિશોનું નાગરિકત્વ ધરાવે છે. તેમનો જન્મ ઇંગ્લૅન્ડના એડિનબરો ખાતે ઈ.સ. ૧૯૪૫માં થયો હતો. ઈ.સ. ૧૯૭૮માં તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડથી પીએચ.ડી.ની પદવી હાંસલ કરી. ત્યાર બાદ ૧૯૮૩થી તેઓ પ્રિન્સટન યુનિવર્સિટી, ન્યુ જર્સી, અમેરિકા ખાતે અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેમનું પ્રખ્યાત પુસ્તક The Great Escape : Health, Wealth and Origins of Inequality ૨૦૧૩માં પ્રસિદ્ધ થયું.

ઍન્ગસ ડીટનની પસંદગી સંદર્ભે નોબેલ પસંદગી-સમિતિએ જે વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિકા પ્રસિદ્ધ કરી તેમાં જણાવ્યા મુજબ :

‘વસ્તુઓ અને સેવાઓની વપરાશ એ માનવકલ્યાણને નક્કી કરનારું મૂળભૂત પરિબળ છે. વ્યક્તિઓ વચ્ચે વપરાશની વહેંચણી ઘણા અગત્યના મુદ્દાઓને અસર કરી શકે છે જેમાં, સમાજની આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રની અસમાનતા અને ગરીબીનો સમાવેશ થાય છે. મોટા ભાગના દેશોમાં, કુલ વપરાશ, કુલ માંગનો મોટો હિસ્સો છે અને આર્થિક પ્રવૃત્તિમાં આવતા મોટાભાગના સામયિક પરિવર્તનો માટે જવાબદાર પણ છે. આવકના કોઈ એક સ્તરે, વપરાશ, બચતો અને તેના કારણે મૂડીના પુરવઠા દ્વારા મૂડીરોકાણ નક્કી કરે છે. આથી જ, એ સ્વાભાવિક છે કે, વપરાશ, છેલ્લી સદીમાં આર્થિક સંશોધનના કેન્દ્રમાં રહ્યું છે.

‘છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન વપરાશનો અભ્યાસ ખૂબ જ વિકાસ પામ્યો છે. આ વિકાસમાં ઘણા વિદ્વાનોએ યોગદાન આપ્યું છે, પરંતુ તે તમામમાં ઍન્ગસ ડીટન ખાસ છે. તેમણે ઘણાં મૂળભૂત અને આંતરસંબંધિત યોગદાનો કર્યાં છે, જે વપરાશના માપન, સિદ્ધાંત અને આંકડાકીય વિશ્લેષણ વિશે સીધી વાત કરે છે.’

ધ રૉયલ સ્વિડિશ એકૅડેમીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ‘તેમના સંશોધને કુલ ઉત્પાદન અને વ્યક્તિગત પસંદગીઓને જોડીને, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને વિકાસના અર્થશાસ્ત્રમાં આવેલા પરિવર્તનમાં મદદ કરી છે. ડીટનના જે કામને સન્માનિત કરવામાં આવી રહ્યું છે, તે મુખ્યત્વે નીચેના ત્રણ પ્રશ્નો પર આધારિત છે :

(૧) ગ્રાહકો વિવિધ વસ્તુઓ પાછળ પોતાનો ખર્ચ કેવી રીતે વહેંચે છે? આ પ્રશ્નનો ઉત્તર વાસ્તવિક વપરાશ તરેહની સમજણ અને અનુમાન માટે આવશ્યક હોવા ઉપરાંત વપરાશવેરામાં પરિવર્તન જેવા નીતિવિષયક સુધારાઓ, જુદા-જુદા વર્ગોના કલ્યાણને કેવી રીતે અસર કરે છે, તેના મૂલ્યાંકન માટે નિર્ણાયક બની રહે છે. ઈ.સ. ૧૯૮૦ની આસપાસના પોતાના અગાઉના કાર્યના સંદર્ભમાં ડીટને દરેક વસ્તુની માંગ તમામ વસ્તુઓની કિંમતો અને વ્યક્તિગત આવક પર કેવી રીતે આધાર રાખે છે, તેના માપનની સરળ, પરિવર્તનશીલ એવી ‘લગભગ આદર્શ માગ પ્રણાલી’ (Almost Ideal Demand System) વિકસાવી. તેમનો અભિગમ અને પાછળથી તેમાં થયેલા સુધારાઓ, આજે શૈક્ષણિક તેમ જ વ્યાવહારિક નીતિમાપન માટેના આદર્શ સાધન તરીકે વપરાય છે.

(૨) સમાજની આવકનો કેટલો ભાગ ખર્ચાય છે અને કેટલો બચે છે? મૂડીનિર્માણ અને વ્યાપારચક્રના વિવિધ આયામો સમજાવવા, સમયગાળા દરમિયાન આવક અને વપરાશ વચ્ચેનો આંતરસંબંધ સમજવો જરૂરી છે. ૧૯૯૦ની આસપાસ કેટલાક સંશોધન-લેખોમાં ડીટને દર્શાવ્યું હતું કે જો કુલ આવક અને વપરાશને આરંભબિંદુ હોય, તો પ્રવર્તમાન વપરાશનો સિદ્ધાંત વાસ્તવિક સંબંધ સમજાવી શકતો નથી. એને બદલે, વ્યક્તિઓ પોતાના વપરાશને તેમની વ્યક્તિગત આવક સાથે કેવી રીતે જોડે છે કે જે કુલ આવકના સંદર્ભમાં જુદી જ રીતે બદલાતો રહે છે. તેના સંદર્ભમાં દરેકે અભિપ્રાય બનાવવો જોઈએ. વ્યક્તિગત માહિતી, કુલ માહિતીનાં વલણોને સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેવા આધુનિક સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વ્યાપક રીતે પ્રયોજાતા અભિગમને આ સંશોધને સરળતાથી રજૂ કર્યો છે.

(૩) આપણે કલ્યાણ અને ગરીબીનું ઉત્તમ માપન અને વિશ્લેષણ કેવી રીતે કરીએ છીએ ? તેમના તાજેતરનાં સંશોધનમાં ડીટને સમજાવ્યું કે વ્યક્તિગત ઘરેલુ વપરાશના સ્તરના આધારભૂત માપનના આર્થિક વિકાસ પાછળ રહેલી પ્રક્રિયાઓ સમજવામાં કેવી રીતે ઉપયોગ થઈ શકે છે, તેમના સંશોધને સમય અને સ્થળમાં પ્રવર્તતી ગરીબીની માત્રાની સરખામણીમાં રહેલી અગત્યની મર્યાદાઓને પણ ખુલ્લી પાડી દીધી. આ સંશોધને એ પણ સાબિત કર્યું કે ઘરેલુ માહિતીનો સમજણપૂર્વકનો ઉપયોગ આવક અને કૅલરી-વપરાશ અને કુટુંબમાં રહેલા લિંગ-ભેદભાવ(gender discrimination)ના પ્રમાણ વચ્ચેના સંબંધને લગતી સમસ્યાઓ પર પ્રકાશ પાડી શકે છે. વિકાસના અર્થશાસ્ત્રના, કુલ માહિતી પર આધાર રાખતા ક્ષેત્રમાંથી વિસ્તૃત વ્યક્તિગત માહિતી પર આધારિત અનુભવમૂલક ક્ષેત્રમાં થયેલા પરિવર્તનમાં ડીટનના ઘરેલુ મોજણીના આગ્રહે મદદ કરી છે.

આમ, ઍન્ગસ ડીટનનું સંશોધન વપરાશના વિવિધ આયામોને આવરી લેતાં વિશાળ ક્ષેત્રમાં વિસ્તર્યું છે. તેમના સંશોધનનો મૂળ હેતુ સિદ્ધાંત અને માહિતી તથા વ્યક્તિગત વર્તનો અને કુલ આર્થિક પરિણામો વચ્ચેનો સેતુ પૂરો પાડવાનો છે.

વિશ્વના તમામ દેશો માટે વિકાસની ‘સાચી માપણી’ અને આર્થિક નીતિઘડતરમાં ડીટનના સંશોધને એક સ્પષ્ટ, મહત્ત્વનો અને વ્યવહારુ આયામ ઊભો કર્યો છે.               

હાઇલેન્ડ પાર્ક, અમદાવાદ-૩૮૦ ૦૧૫

Web Resources : http://scholar.princeton.edu/deaton

                             http://kva.se and

                             http://nobleprize.org

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 17

Loading

પ્રગટ્યું પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’

અરુણ વાઘેલા|Opinion - Opinion|5 November 2015

પુસ્તકપરિચય પહેલાં લેખકનો પરિચય. ‘વિદ્યા વધે એવી આશે’ પુસ્તકના લેખક ડૉ. ગૌરાંગ જાનીથી ગુજરાત અજાણ્યું નથી. સમાજશાસ્ત્રના અધ્યાપક, વર્ષોથી સમાચારપત્રોમાં કટારલેખન, સેક્સવર્કર બહેનોની સમસ્યા મુદ્દે સક્રિય, એચ.આઈ.વી.ગ્રસ્ત દર્દીઓની તકલીફો હોય કે વર્ગખંડમાં – કાર્યક્રમોમાં સામાજિક મુદ્દે ચર્ચા કરતા હોય … ગૌરાંગભાઈનું કામ હંમેશાં પોંખાયું છે. તેનું કારણ, તેઓએ પોતાના વર્ગખંડને તો ખરો જ, સમાજ આખાને પોતાના સંશોધનની પ્રયોગશાળા તરીકે જોયો છે. બહુ ઓછા અધ્યાપકો તેમના જેટલી સંવેદનશીલતા અને લોકપ્રિયતા ધરાવે છે. હું તેમને ઊંઘવાના સમયને બાદ કરતાંના સમાજશાસ્ત્રી તરીકે ઓળખાવું છું.

મૂળ તો ગુજરાતી રાણી-વાણીના વકીલ કવિ દલપતરામે ૧૮૫૫માં રચેલી કવિતા :

‘જુઓ પુસ્તકસ્થાન જે ભદ્ર પાસે

રચ્યું રૂડું વિદ્યા વધે આવિ આશે’ના નીચેના બંધને સહેજ ફેરફાર સાથે લેખસંગ્રહનું શીર્ષક બનાવ્યું છે.

‘વિદ્યા વધે એવી આશે’ (દલપતરામે એ જમાનાની લેખનશૈલી મુજબ ‘આવિ’ શબ્દ વાપર્યો  હતો.)માં કુલ ૪૦ લેખો છે. તેનું વર્ગીકરણ કરીએ તો શિક્ષણ, નારી-અભ્યાસ અને સામાજિક ઇતિહાસની આસપાસ આ લેખો કેન્દ્રિત છે. વધુ અંદર ઊતરીએ તો પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ, સમયપત્રક, પરીક્ષા, દફતરો, વસતિ, જ્ઞાતિ, સામાજિક સંશોધન, ધર્મ, તહેવારો, આપઘાત, શોખ, હસ્તાક્ષર, વિજ્ઞાન, અંધશ્રદ્ધા અને તેમના માંહ્યલામાં જે બિરાજેલા છે, તે સમાજના નબળા સમુદાયોનું સમાજવિજ્ઞાનીય પરિપ્રેક્ષ્યમાં અહીં વિવેચન છે. કુલ ૧૫૫ પાનાં (છપાયેલાં ૧૬૦ છે, પણ તેમાં ૪ પાનાં પરિશિષ્ટનાં અને ૧ પાનું વાચકોની નોંધ માટે છે.)ના ગ્રંથમાં બહુવિદ્યાકીય, આંતરવિદ્યાકીય લેખો છે. અહીં ભૂતકાળ સાથે વર્તમાન સંકળાય છે, તો ભાવિનિર્દેશન પણ છે. આ દ્વારા ડૉ. જાનીએ સમાજશાસ્ત્રના સીમાડાઓ વિસ્તાર્યા છે. ઉદાહરણ તરીકે લેખ નં. ૯, ૧૩, ૧૪, ૧૬, ૨૨, ૩૩, ૩૮.

ડૉ. ગૌરાંગ જાનીનું ‘વિદ્યા વધે એવી આશે’ નિમિત્તે થયેલું સમાજદર્શન ભદ્રવર્ગીય કે શહેરી નથી. ‘હાંસિયાના ગુજરાત’, ભારતને તેમણે બારીકાઈથી આલેખ્યું છે. ‘આમ ભારત અને ખાસ ભારત’નું તેમનું નિરીક્ષણ જોઈએ : ‘પ્રાથમિક શિક્ષણમાં સમગ્ર દેશમાં આર્થિક આધાર પર એક ચોક્કસ વર્ગવ્યવસ્થા પણ દેખાય છે. મોટાં શહેરોમાં કેજી કે સિનિયર કેજીમાં વર્ષે એક લાખની ફી આપીને પોતાનાં સંતાનોને ભણાવતા પરિવારો છે, તો બીજી તરફ ખેતરમાં મજૂરીએ જવાને કારણે ઘરમાં નાનાં ભાઈ-બહેનોને સાચવવાં કે પછી બળતણનું લાકડું મેળવવા અને પાણી ભરવા જવાના કારણે શાળા નસીબમાં જ નથી, એવાં લાખો બાળકો છે. આ વાસ્તવિકતા એક જ દેશનાં બાળકો જ્યારે નાગરિક બને છે, ત્યારે આમ ભારત અને ખાસ ભારતનું નિર્માણ કરે છે.’ (પૃ.૧૯) આવાં તો અનેક સટીક નિરીક્ષણોથી ‘વિદ્યા વધે એવી આશે’ પુસ્તક હર્યુંભર્યું છે. વધુ બે નિરીક્ષણોઃ ‘સમાજમાં અનેકવિધ સમૂહો હોય છે તે સૌનો પરિચય સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને કરાવવો હોય તો વર્ગખંડના બ્લૅકબોર્ડ પર કે પ્રશ્નોના ઉત્તરો કે પછી પાઠ્યપુસ્તકોમાં શક્ય નથી. તે સમૂહો સાથે વાર્તાલાપ જરૂરી છે.’ (પૃ.૧૩૫)

“હું સમાજશાસ્ત્રનો અધ્યાપક ગુજરાતી સાહિત્યનો રસાસ્વાદ મેળવવા નવલકથા કે કવિતા વાંચું તો સાહિત્ય મારો શોખ ગણી શકાય, પરંતુ મને ‘વાંચવાનો શોખ છે’ એવું વિધાન કરતાં પૂર્વે મારા વ્યવસાયની અનિવાર્યતા તપાસવી રહી.” (પૃ.૧૩૯) આમ, સાંપ્રત વહીવટીતંત્ર, સમાજવિજ્ઞાનીઓ અને ખાસ તો ખાડે ગયેલા ‘મોટા માસ્તરો’(અધ્યાપકો)ને તેમણે જવાબદારી ચીંધી છે.

ભાષા અને શૈલીની દૃષ્ટિએ પણ પુસ્તક મજાનું છે, જે સામાન્ય રીતે સમાજવિજ્ઞાનનાં પુસ્તકોમાં હોતું નથી. (એક આડવાત. આજે તો અનિંદ્રાના દર્દીઓને દાક્તરો ઊંઘની ગોળીઓ કારગત ન નીવડે ત્યારે સમાજવિજ્ઞાનનાં પુસ્તકો પ્રિસ્ક્રાઇબ કરે છે.) ગૌરાંગ જાનીની ભાષા સાડાબારી રાખતી નથી. કેટલાંક ઉદાહરણો જોઈએ :

‘બાળકો બોલે અને આપણે સાંભળીએ.’

‘શાળા-પ્રવેશોત્સવની પ્રસ્તાવના પછીનાં પૃષ્ઠો ક્યાં છે ?’

‘હાજરીપત્રકનાં ખાનાં કે પરંપરાનાં ચોકઠાં ?’

‘પરીક્ષામાં મૂડીરોકાણ અને મૂડીરોકાણની પરીક્ષા’

‘કોણ જીતશે, વિજ્ઞાનનો આત્મવિશ્વાસ કે અંધશ્રદ્ધાનું અફીણ ?’

‘મધ્યાહ્નભોજનનું આમ ગુજરાત અને લંચબૉક્સનું ખાસ ગુજરાત’

‘દફતર છોડે ગુજરાત… ક્યારે ?’

‘ગુજરાત : શિક્ષણના વિચારબીજથી વેપારવૃક્ષ સુધી’

‘શોખની નવરાશ, નવરાશનો શોખ.’

આ ભાષા અને શૈલી વિષયવસ્તુ પર મજબૂત પકડ અને સંવેદના ન હોય તો આવી જ ન શકે. આવી ભાષાશૈલીમાં લખાય તો સમાજશાસ્ત્ર કે અન્ય સમાજવિદ્યાઓનાં પુસ્તકો વંચાય, સમજાય. બાકી આગળ કહ્યું તેમ ઊંઘની ગોળીઓનો વિકલ્પ.

સમગ્રતયા વિષયવસ્તુનું નાવીન્ય, રજૂઆતની શૈલી અને નિર્ભીક લખાણ વગેરેને લઈ આ પુસ્તક નવી ભાત પાડે છે. પુસ્તકનું પ્રોડક્શન, જોડણી, આયોજન વગેરેમાં લેખક, પ્રત-સંપાદક (કેતન રૂપેરા) અને પ્રકાશકની મહેનત દીપી ઊઠી છે. જોડણી, વાક્યરચનાના દોષો શોધવા અઘરા છે. મોટાભાગના લેખોના અંતે ચુનંદાં અવતરણો કે વિષયવસ્તુરૂપ ગદ્યખંડો અપાયાં છે, તે અને કેટલાક કોઠાઓ તથા પરિશિષ્ટ પુસ્તકનું સંદર્ભ-સાહિત્ય તરીકેનું મૂલ્ય ઊભું કરે છે. બીજી એક નવતર બાબત આ પુસ્તકના સંદર્ભમાં એ છે કે ગૌરાંગભાઈએ પુસ્તક તેમના વિદ્યાગુરુ ડૉ. તારાબહેન પટેલને અર્પણ કર્યું છે, જ્યારે આવકારવચન તેમનાં વિદ્યાર્થિની મિત્તલ પટેલે લખી છે. (મિત્તલબહેને આવકાર આખું પુસ્તક વાંચીને લખ્યું છે, જે સહેજ જાણ ખાતર) આમ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યરૂપી ત્રણ પેઢીઓનું અનુસંધાન આ પુસ્તકમાં થયું છે.

છેલ્લે, પુસ્તકની ઇતિશ્રી ખરીદવામાં કે વાંચવામાં નથી, ગૌરાંગભાઈએ અહીં શિક્ષણની ચિંતા અને તેના ઉકેલો આપ્યા છે, બાળકલ્યાણ અને નારીઉત્થાનના રસ્તા ચીંધ્યા છે, નબળા સમુદાયો પ્રત્યેની નિસબત દર્શાવી છે. આ બધાને કારણે સાંપ્રત વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓને નીતિનિર્ધારણમાં ચાવીરૂપ બની શકે તેમ છે.

એક આસ્વાદ તરીકે કહું તો ‘વિદ્યા વધે તેવી આશે’ પુસ્તક ગુજરાતનાં વિશ્વવિદ્યાલયોના સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓને તેમની સંવેદનશીલતા અને સંશોધનક્ષમતા વધે તે માટે ભણાવવું જ જોઈએ અને તો જ આવાં પુસ્તકો લખવાનો અને પ્રકાશિત કરવાનો શ્રમ સાર્થક થાય.

વિશેષ નોંધ : દોઢ મહિનાના ટૂંકા ગાળામાં પુસ્તકની ૪૦૦ નકલો વેચાઈ ચૂકી છે.

e.mail : arun.tribalhistory@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 18-19

Loading

...102030...3,7213,7223,7233,724...3,7303,7403,750...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved