Opinion Magazine
Number of visits: 9770139
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત-પાક.: ધાર્મિકતાના ‘અજવાળા’માં ખોવાયેલી ચાવી

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 January 2016

ભારત ધર્મનિરપેક્ષ અસ્તિત્વમાં માને છે અને પાકિસ્તાન ઇસ્લામિક પહેચાનના બલબૂતા પર ઊભેલું છે. ખયાલોનો આ તફાવત બંને દેશોને પૂરા સંસારમાં સૌથી જોખમી સરહદો તરીકેનો તાજ પહેરાવે છે

કોઇપણ ઇતિહાસને જો સાચી અને સરખી રીતે સમજવો હોય તો એને ફિલ્મોના હીરો અને વિલનની પરિભાષાથી અલગ થઈને વાંચવો જોઇએ. ઇતિહાસને આપણે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓના કુલ સરવાળા રૂપે જોઇએ છીએ જેમાં કાં તો નફો અને નુકસાન છે અથવા હાર અને જીત છે. ઇતિહાસને જોવાનો બીજો (અને બહેતર) રસ્તો ભૂતકાળમાં થયેલા માનવીય વ્યવહારનો અભ્યાસ છે. કાર્લ માર્ક્સે એટલા માટે જ કહેલું કે, ‘ઇતિહાસ પોતાને દોહરાવે છે’ કારણ કે ઇતિહાસમાંથી આપણે કશું શીખતા નથી અને ભૂતકાળના આચાર-વિચારને રિપીટ કરતા રહે છે. ગયા સપ્તાહે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનથી પાછા ફરતી વખતે વચ્ચે લાહોરમાં ઊતરીને પાકિસ્તાની પીએમ શરીફની નવાજિશ માણી આવ્યા, એની દુનિયાભરમાં એક સરખી તારીફ એટલા માટે જ થઈ કારણ કે ભારત-પાકિસ્તાનના સતત દોહરાતા જતા ઇતિહાસમાં આવી રીતે ‘અધવચ્ચે’ કોઇક દેશમાં ઊતરી જવાનો બીજો કોઈ સમાંતર કિસ્સો નથી.

આ એ જ નરેન્દ્ર મોદી છે જેમણે અંકુશરેખા પર સતત ગોળીબાર, સીમા પર ઘૂસણખોરી, કાશ્મીરી ભાગલાવાદીઓને પાકિસ્તાનના સમર્થન અને આતંકવાદને પાકિસ્તાની પ્રોત્સાહન જેવી બાબતો પર કોંગ્રેસ(અને પાકિસ્તાન)ને ભાંડવામાં કશું બાકી રાખ્યું ન હતું. ફર્ક એટલો જ છે કે ત્યારે એ વિરોધ પક્ષના નેતા હતા, બીજી રીતે કહીએ તો, કોંગ્રેસ ત્યારે હીરો હતી અને ‘વિલન’ મોદીને હીરોનો રોલ કરવો હતો. હવે, એ જ્યારે ડ્રાઇવિંગ સીટમાં છે એટલે આચાર-વિચાર બદલાઈ ગયા છે. આ સારું પણ છે. એટલીસ્ટ, પાકિસ્તાનના મોરચે આપણને ભૂતકાળની જંજીરમાં ઝકડાયેલા રહેવું પરવડે તેવું નથી.

એમ તો બ્રિટિશરાજના ‘વફાદાર સૈનિક’ તરીકે ગાંધીજીને 1915માં લોર્ડ હાર્ડિંગે કૈસર-એ-હિન્દ એવોર્ડથી નવાજ્યા હતા, જે એમણે જલિયાંવાલાં બાગમાં બ્રિટિશરોએ આચરેલા હત્યાકાંડના વિરોધમાં 1920માં પાછો આપી દીધો હતો. એવી જ રીતે, સુભાષચંદ્ર બોઝ 1920 સુધી અહિંસક ગાંધીના ભક્ત હતા પણ ગાંધીની ‘નિષ્ફળતા’ જોઇને લશ્કરી યુનિફોર્મ પહેરી લીધો અને લોહિયાળ ક્રાંતિની ઘોષણા કરી. પાકિસ્તાનના અધિનાયક મોહમ્મદ અલી ઝીણા કોંગ્રેસી હતા અને ભારતની એકતા, અખંડતા અને સ્વતંત્રતાના પૂજારી હતા પણ ગાંધીજીના ‘હિન્દુ રવૈયા’થી પરેશાન થઈને 1920માં અલગ પડી ગયા અને 30 જ વર્ષમાં સ્વતંત્ર ઇસ્લામિક રાષ્ટ્ર લઈને ઝંપ્યા.

કોઈ પણ દેશનું જીવન હીરો અને વિલનની બ્લેક એન્ડ વ્હાઇટ કહાનીઓ કરતાં વધુ જટિલ હોય છે. એમાં હીરો અને વિલન સમય-સંજોગ પ્રમાણે રોલ બદલતા રહે છે. એવું કરવું પડતું હોય છે, કારણ કે એમાં વ્યક્તિગત પસંદગી ઓછી અને રાષ્ટ્રની સામૂહિક ચેતના વધુ સક્રિય હોય છે.

નરેન્દ્ર મોદી પાકિસ્તાનને ભાંડતા હતા ત્યારે જ (તેમના ભક્તોને બાદ કરતાં) બધાને ખબર હતી કે એમાં વ્યાવહારિકતા ઓછી અને ડ્રામાબાજી વધારે છે. ભારત-પાકિસ્તાન સંબંધોની જટિલતા એટલા માટે નથી કે બંને સમાન સંસ્કૃિત, સમાન ઇતિહાસ, સમાન જબાન અને સમાન જમીન પરથી અલગ પડેલાં બે રાષ્ટ્રો છે. એ સમાનતા તો સંબંધોને સરળતા બક્ષે છે. જટિલતા તો બંનેના પરસ્પર વિરોધી ખયાલાતમાં છે. ભારત ધર્મનિરપેક્ષ અસ્તિત્વમાં માને છે (જે પાકિસ્તાનની નજરમાં દંભ છે) જ્યારે પાકિસ્તાન એની ઇસ્લામિક પહેચાનના બલબૂતા પર ઊભેલું છે. ખયાલોનો આ તફાવત બંને દેશોને પૂરા સંસારમાં સૌથી જોખમી સરહદો તરીકેનો તાજ પહેરાવે છે. બંને દેશો વચ્ચે એકબીજા પ્રત્યેની નફરત અને પરસ્પર ઝનૂન એકબીજાના ખયાલાતમાં અવિશ્વાસને કારણે છે. છેલ્લા બે દાયકાથી ભારતમાં જે લડાયક હિન્દુત્વનો આવિષ્કાર થયો છે તે ભારતમાં રહેતા મુસ્લિમોને લઈને નહીં, પરંતુ એમને બહેકાવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાનને લઈને છે.

બે દેશો વચ્ચે એના ઇમાન-ધર્મના આધાર પર નફરત અને અવિશ્વાસનો ઇતિહાસ રચાય ત્યારે તમામ પ્રકારની હિંસાને ઔચિત્ય મળી જાય છે. વ્યાવહારિક વિવાદો અને મતભેદોની સરખામણીમાં ધાર્મિક તકરારમાં બંને પક્ષ એકબીજાના આચાર અને વિચારમાં અસંદિગ્ધ અને જક્કી હોય છે. ધર્મ હંમેશાંથી નૈતિક સત્તા (મોરલ ઑથોરિટી) રહ્યો છે. એની અનુમતિ કે અનુમોદનથી માણસ એ બધું જ કરી શકે છે જે સામાન્ય અને વ્યાવહારિક જગતમાં અનુચિત કે અશક્ય હોય છે. આસ્તિક વ્યક્તિને પોતાની સચ્ચાઈ વિશે કોઈ શંકા નથી હોતી કારણ કે એનું ‘સત્ય’ એના ઇશ્વર (કે ખુદા) તરફથી આવેલું છે. પોતાના ‘સત્ય’માં નિર્વિવાદિત, અતૂટ શ્રદ્ધા જ ધાર્મિક માણસને બીજા ધર્મ પ્રત્યે અસહિષ્ણુ બનાવે છે. સાચા શ્રદ્ધાળુને નૈતિક સાહસની કમી નથી હોતી. આપણા જેવા નાસ્તિકોને જે સંદિગ્ધતા કમજોર બનાવે છે તેવી મુશ્કેલી આસ્તિકોને નડતી નથી.

2001માં ન્યૂ યૉર્કના ટ્વિન ટાવર્સ પર આતંકવાદીઓએ તેમનાં વિમાન અથડાવ્યાં ત્યારે તેમના અંતિમ શબ્દો ‘અલ્લાહુ અકબર’ (ખુદા મહાન છે) હતા. તેમની ચટ્ટાન જેવી શ્રદ્ધા આ નૈતિક સત્તાના અનુમોદનમાંથી આવી હતી. આ આતંક સામે વૉર ઓન ટેરર જાહેર કરનાર બુશ પણ એક વાર કહી ચૂક્યા હતા કે જે લોકો જીસસમાં શ્રદ્ધા રાખે છે તે જ સ્વર્ગમાં જાય છે. એકબીજાના ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધામાંથી જન્મેલા આતંક અને આતંકવિરોધી યુદ્ધમાં કોણ સાચું અને શું ઉચિત એ પ્રશ્ન જ અસ્થાને થઈ ગયો છે અને એના કારણે જ દુનિયા હતી તેના કરતાં વધુ અસલામત અને જોખમી બની ગઈ છે. પાકિસ્તાન અગાઉથી જ આ નૈતિક સાહસની છલનામાં ફસાયેલું છે. ભારતે પોતાનો પગ એમાં આવી ન જાય તે જોવાની જરૂર છે. પોતપોતાના ઇશ્વર અને ખુદાના આદેશની સચ્ચાઈમાં શ્રદ્ધા રાખતો એક હિન્દુ અને એક મુસલમાન કઈ હદ સુધી જઈ શકે છે તે સમજવું રોકેટ સાયન્સ નથી.

તકરારનો મતલબ મતભેદ થાય, પણ મોટા ભાગના લોકો માને છે તેમ, એનો મતલબ લડાઈ હરગિજ થતો નથી. વિવાદ સમાધાન(કોન્ફ્લિક્ટ રિસોલ્યુશન)નો પ્રથમ નિયમ સંવાદ છે, ખામોશી નહીં. ભારત-પાકિસ્તાન વચ્ચે સન્નાટા, ચુપકીદી અને ઉદાસીનો એક ઇતિહાસ છે અને એવું એકથી વધુ વખત સાબિત થયું છે કે વાતચીત વગર બીજો કોઈ ઉપાય પણ નથી. એક ઓછા ડાહ્યા માણસે કહેલું, ‘જેને તમારા મૌનની ભાષા સમજાવી ન હોય એને તમારા શબ્દો ય નહીં સમજાય.’ આ સાંભળીને ડાહ્યા માણસે કહ્યું, ‘જેને સંવાદની ઇચ્છા ન હોય એ લાંબો વખત મૌનને માણી ન શકે.’

ઇંટનો જવાબ પથ્થરથી આપવાની ભાષામાં વાતો કરનારા નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બન્યા પછી આ ડહાપણ સમજાયું છે. વિવાદ સમાધાનની દિશામાં સંવાદનો રસ્તો ખુલ્લો રાખ્યો છે તે નિશ્ચિતપણે ઉમદા પગલું છે. મોદી સંવાદના માણસ નથી એટલે એમના માટે આ કેટલું કઠિન હશે એ સમજી શકાય તેમ છે. પેલી જાણીતી કહાનીમાં એક બત્તી નીચે એક માણસ ચાવીઓ શોધતો હતો પણ મળતી ન હતી. એક બીજો માણસ આવ્યો અને પૂછ્યું, ‘ભાઈ, તને બરાબર ખબર છે કે ચાવીઓ અહીં જ ખોવાઈ ગઈ છે?’ પહેલાએ કહ્યું, ‘ના, ચાવીઓ તો હું એક માઈલ પાછળ ખોઈને આવ્યો.’ બીજા માણસે પૂછ્યું, ‘તો પછી અહીં કેમ શોધે છે?’ જવાબમાં પહેલો બોલ્યો, ‘કારણ અજવાળું તો અહીં જ છે.’

મુસીબતના સમયમાં આપણે સમાધાન ત્યાંથી શોધીએ છીએ જ્યાંથી એ સહેલાઈથી મળી જાય છે. નહીં કે એ સમાધાન વ્યાવહારિક રીતે જ્યાં છે ત્યાંથી. કોઈ પણ વિવાદના સમાપનમાં એનો ઉકેલ એ વિવાદમાં જ હોય છે, એની બહાર કે એનાથી દૂર નહીં. આપણે એની બહાર કે દૂર જતા રહીએ છીએ જેથી વિવાદની ગરમી આપણને અડતી નથી અને આપણને એવો અહેસાસ થાય છે કે મુસીબત દૂર થઈ રહી છે. અમેરિકાના (અને જગતના) તમામ મિલિટરી સમાધાનો નાકામ ગયાં છે (અને વધારાની મુસીબત લઈને આવ્યા છે) તેનું કારણ ચાવીને એની મૂળ જગ્યાએ નહીં પણ જ્યાં અજવાળું છે ત્યાં શોધવાની મૂર્ખામી છે. ભારત-પાકિસ્તાનની છ દાયકા જૂની તકરારમાં આપણે છ ઈંચ પણ સમાધાનની દિશામાં ચાલી શક્યા નથી, એનું કારણ એ છે કે બંને દેશ એના પરસ્પર વિરોધી ખયાલાતોમાં બંધક રહ્યા છે. આચાર અને વિચારોની વિક્ષિપ્તતાથી પાકિસ્તાન તો લડખડાતું રહ્યું જ છે, ભારત પણ એની નવી ‘આક્રમકતા’થી પેરાલિસિસમાં જકડાઈ રહ્યું છે.

કહાનીની આ સાતત્યતામાં જે હીરો છે તે સુપરહીરો અને વિલન છે તે પિશાચ સાબિત થશે, પણ એ ક્રોસ ફાયરમાં બંને સીમાઓની અંદર ‘ચરિત્ર કલાકારો’ કોઈ જિંદગી જીવવા સાબુત નહીં રહે. નરેન્દ્ર મોદી આ સ્ટ્રેટ જાકીટમાંથી બહાર નીકળીને અજવાળાને બદલે અંધારામાં ચાવી શોધી શકે તેમ છે. એમણે કશું ગુમાવવાનું નથી સિવાય કે હીરોગીરી (અથવા ખલનાયિકી).

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 04 જાન્યુઆરી 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-view-by-raj-goswami-in-sunday-bhaskar-5213915-NOR.html

Loading

૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીઓ : કૉર્પોરેશન એટલે કૉર્પોરેટ અને ગામડાં એટલે દેશી

સુદર્શન આયંગાર|Samantar Gujarat - Samantar|4 January 2016

૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીઓએ ગુજરાતના રાજનૈતિક વાતાવરણમાં એક નવી તાજગીનો સંચાર કર્યો છે. છેલ્લાં પંદર વરસમાં કોઈ નોંધપાત્ર પડકાર વગર ભાજપને સત્તામાં રહી એવો આભાસ થવા લાગેલો કે ગુજરાતની બહુમતી પ્રજા હવે એમના પક્ષ સાથે જ રહેશે, કારણ કે એકમાત્ર વિરોધ પક્ષ કૉંગ્રેસની લોકો  પરની પકડ શૂન્યપ્રાયઃ થઈ ગઈ છે, પરંતુ લાંબા સમય સુધી એક જ પક્ષ રાજ્ય કરે તેવી યથાવત્ સ્થિતિની સાક્ષી ઇતિહાસ પૂરતો નથી. દેશ હોય કે રાજ્ય, ભારતમાં આઝાદી પછીના લોકતંત્રમા કંઈક વખત એવું લાગ્યું છે કે સત્તારૂઢ પક્ષને સત્તા પરથી ખસેડી શકાશે નહીં, પરંતુ પ્રજાએ ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ’, ના ભાવે સત્તાનસિન પક્ષને ઝાટકાભેર ખસેડ્યો છે. ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકાપંચાયતોની ચૂંટણીઓમાં એક એવો જ ઝાટકો ભાજપને લાગ્યો છે. સાથે જ કૉંગ્રેસપક્ષને પ્રજાસમર્થન મળવાથી નવું બળ મળ્યું છે. કૉંગ્રેસના ખેમામાં પ્રસન્નતાની લહેર તો ફેલાઈ જ ગઈ હશે અને કેટલાક વળી આ ચમત્કાર કેમ કરીને થયો એવો સવાલ પણ જાતને કરતા હશે. રાજનીતિશાસ્ત્રની ભાષામાં સત્તાનસિન પક્ષ હારે, ત્યારે ઍન્ટિઇન્કંબેંસી કહેવામાં આવે છે, જેનો સાદો અર્થ એવો થાય કે સત્તાધારી પક્ષની કામગીરીથી પ્રજાને સંતોષ નથી તેથી તે તેને દૂર કરી બીજા પક્ષને તક આપે છે. આમ, કૉંગ્રેસ પક્ષના મોભીઓ અને વિચારકોએ સત્તારૂઢ થયા બાદ કઈ દિશામાં જવાનું છે, લોકોની અપેક્ષા શું છે અને તેને કઈ રીતે પાર પાડી શકાય તે જોવાનું છે. થયેલી જીત માટે તેમની યોગ્યતા પુરવાર કરવાની થાય છે. આ બધું નવું લાધેલું બ્રહ્મજ્ઞાન નથી પણ બેઉ પક્ષોને ઈવીએમ વાટે પ્રજા દ્વારા પાઠવવામાં આવેલો સ્મૃિતપત્ર છે.

લોકતંત્રની બહુમતીની રાજનીતિની મર્યાદાઓ પણ ઘણી છે. મનુષ્યસમાજના સ્વસ્થ વિકાસ માટે યોગ્ય શાસનતંત્ર એટલે લોકશાહી એવું નિર્વિવાદ સ્વીકારાયેલું હોવા છતાં બહુમતી પાસે હંમેશાં દર્શન અને દિશા સાચાં જ હશે, એવું માનવું ભૂલભરેલું છે. પરિણામે રાજનીતિ સાથે લોકનીતિની આગેકૂચ પણ ચાલુ જ રહેવી જોઈએ. ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓના સંદર્ભે અને તેનાં પરિણામોનાં પરિપ્રેક્ષ્યમાં કેટલાક મુદ્દાઓ વિચારણીય છે. બહુમત કે અલ્પમત-પણ મતદાર કેટલા એ જોઈએ. આજે ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા ચાર કરોડની નજીક પહોંચી છે, જેમાં ૧૦ લાખ જેટલા ૧૮થી ૧૯ વર્ષનાં તરુણ-તરુણીઓ છે. કુલ વસ્તીના આશરે ૬૦થી ૬૫ ટકા વસ્તી મતદારો છે. ૪૫ ટકાનું સરેરાશ મતદાન ગણીએ, તો એક કરોડ એંસી લાખ મતદાતાઓના નિર્ણયને આપણે જોઈએ છીએ, જે કુલ વસ્તીના આશરે ૨૮ ટકા થાય છે. પરિણામોની કેટલીક અગત્યની વિગતો જોઈએ.

૨૦૧૫ની નગરપાલિકાઓની ચૂંટણીમાં છ મહાનગરપાલિકાઓમાં વૉર્ડની સંખ્યામાં કરવામાં આવેલા ફેરફારની વિગતો પણ મળે છે. નવા સીમાંકનો અને વૉર્ડની સંખ્યામાં ફેરફાર કરવા પાછળ જ્ઞાતિ, ધર્મ અને મતની રાજનીતિ છે અને આ માટે સત્તા ભોગવતા પક્ષને વધુ લાભ કરાવવાની ચર્ચા છે. અહીં માત્ર તેની નોંધ લેવામાં આવે છે, વિવાદમાં ઊતરતા નથી. દરેક શહેરમાં વૉર્ડની સંખ્યા ઘટાડવામાં આવી છે, અલબત્ત, કાઉન્સિલર માટેની બેઠકોની સંખ્યામાં બહુ મોટો ફેરફાર નથી. ગુજરાતની બધી જ મહાનગરપાલિકાઓમાં ભાજપે સત્તા ટકાવી રાખી છે. અલબત્ત, તેમના કાઉન્સિલરોની કુલ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ૨૦૧૦માં કુલ ૫૫૮ બેઠકો પૈકી ભાજપને ૪૪૩ (૮૦ ટકા) અને કૉંગ્રેસને ૧૦૦ બેઠકો (૧૮ ટકા) મળી હતી. ૨૦૧૫માં કુલ ૫૭૨ બેઠકો પૈકી ભાજપને ૩૯૦ (૭૦ ટકા) અને કૉંગ્રેસને ૧૭૫ (૨૯ ટકા) બેઠકો મળી. સુરત, રાજકોટ અને જામનગરમાં કૉંગ્રેસની બેઠકો પ્રમાણમાં વધુ આવી, તેમાં પટેલ-બળવાનું કારણ સ્પષ્ટ થાય છે, પરંતુ પટેલો ગામડાના પ્રેમને લીધે દોરાઈને આમ કરી રહ્યા છે, તેવું માનવું ભૂલભરેલું થશે. તેઓ તો સત્તામાં બરાબરના હિસ્સેદાર નથી થઈ શક્યા, તે અંગેનો અસંતોષ હોઈ શકે અથવા ગુજરાતનું નેતૃત્વ ઇચ્છિત હાથોમાં નથી, એવું પણ હોય.

શહેરી વિસ્તારોને આવરી લેતી ૫૬ નગરપાલિકાઓનાં પરિણામ પણ ભાજપને પક્ષે ગયાં છે. નગરપાલિકાઓની કુલ ૨૦૮૮ બેઠકો પૈકી ભાજપે ૧૧૯૬ (૫૭ ટકા) અને કૉંગ્રેસે ૬૭૧ (૩૨ ટકા)  બેઠકો પર વિજય મેળવ્યો. ૪૨ નગરપાલિકાઓમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. આમ, મહાનગરપાલિકાઓની સરખામણીમાં નગરપાલિકાઓમાં ભાજપનું જોર પ્રમાણમાં આછું રહ્યું. વર્ષ ૨૦૦૯-૧૦માં નગરપાલિકાઓની કુલ ૧૮૯૦ બેઠકો પૈકી ભાજપને ૧૨૪૨ (૬૬ ટકા) અને કૉંગ્રેસને ૪૦૧ (૨૧ ટકા) બેઠકો મળી હતી. નગરપાલિકાઓમાં પણ ૨૦૦૯-૧૦ની સરખામણીમાં ૨૦૧૫માં ભાજપનું જોર ઘટવા પામ્યું અને કૉંગ્રેસની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જણાયો.

જિલ્લા અને તાલુકાપંચાયતોમાં સત્તાપલટો જોવા મળે છે. ૨૦૧૫માં કૉંગ્રેસે ૩૧ જિલ્લાઓમાંથી ૨૩ જિલ્લાઓ ૫૯૪ (૬૦ ટકા) બેઠકો સાથે કબ્જે કર્યા. ૨૦૦૯-૧૦ની સાલમાં ભાજપ ૨૪ જિલ્લા પૈકી ૨૩ જિલ્લાઓમાં ૫૪૭ (૬૮ ટકા) બેઠકો સાથે સત્તા પર આવ્યો હતો. તાલુકાપંચાયતોની સ્થિતિ જોઈએ, તો ૨૦૧૫માં કૉંગ્રેસે ૨૩૦ તાલુકાઓમાંથી ૧૩૨ ઉપર ૨૫૪૩ (૫૩ ટકા) બેઠકો સાથે કબજો મેળવ્યો. ૨૦૧૦માં ભાજપ પાસે કુલ ૨૪૬૦ (૬૧ ટકા) બેઠકો હતી. કુલ કેટલા તાલુકાઓમાં સત્તા મળી હતી, તેનો આંકડો હાલ તુરત જાણી શકાયો નથી. ૨૦૧૫ની ચૂંટણીની એકંદર સ્થિતિ જોતાં એવું જણાય છે કે કૉંગ્રેસે પોતાની શક્તિ વધારી છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ગુજરાતમાં કૉંગ્રેસ ફરી બેઠી થઈ શકશે કે કેમ તેવી શંકા થાય એમ હતું, પરંતુ ગુજરાત દેશનાં એવાં રાજ્યોમાંનું છે, જ્યાં કોઈ ક્ષેત્રીય રાજકીય પક્ષબળ બની શક્યું નથી, તેથી પ્રજા પાસે વિકલ્પો બે જ રહે છે. ગુજરાતના પૂર્વમુખ્યપ્રધાન દેશના વડાપ્રધાન બનીને દેશની રાજધાની અને સાથેસાથે વિદેશની ધરતી પર જે પ્રવાસો કરી રહ્યા છે, ત્યારે જે રીતે દેશ ચાલી રહ્યો છે અને રાજ્યમાં પાછળ રહી ગયેલા બીજી હરોળના નેતાઓ જે રીતે કામગીરી કરી રહ્યા છે, તેમાં લોકોને શંકા પડી હોય તેવું જણાય છે.

પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓનાં પરિણામો સ્પષ્ટ સૂચવે છે કે ગામડાં અને શહેરોની વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ રહી છે. ગુજરાતમૉડેલની વિકાસનીતિ એટલે ગામડાં ભાંગવાં અને શહેરોમાં વસતા ‘ફાવી ગયેલાઓ’ની આર્થિક સ્થિતિ વધુ મજબૂત કરવી. આ ‘ફાવી ગયેલા’ વર્ગનું હિત જડબેસલાક સ્થાપિત થઈ ગયું છે. ભાંગતા જતાં ગામડાંમાંથી ધકેલી દેવાયેલા અભાવગ્રસ્ત લોકો શહેરોમાં જઈ ગમે તે રીતે જીવી એક દિવસ પોતે પણ સમૃદ્ધ થઈ શકશે, તેવાં સપનાંઓમાં રાચી ગામડામાં પાછળ રહી ગયેલા પોતાનાં બંધુ ભગિનીઓને નોતરે છે. શહેરમાં ઓળખ સહેલાઈથી છુપાવીને, અનીતિ-નીતિ અંગેની સભાનતા ન રાખી ગમે તે પાણીએ મગ ચઢાવી દેવામાં માહિર થતાં લોકો ગમે તેટલી ખરાબ સ્થિતિમાં રહેતા હોય, પણ ક્યારેક-ક્યારેક શૉપિંગમૉલ અને મલ્ટીપ્લેક્સમાં મજા માણી અને રસ્તાની લારીઓથી માંડી રેસ્ટૉરાંમાં, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ આરોગી ધન્યતા અનુભવતા હોય છે. માલે-તુજાર તવંગરોને શહેર અને ગામડાં બેઉ સ્થળે ઘીકેળાં છે. શહેરમાં ધંધો, ઑફિસ અને બંગલો; તો ગામડામાં ‘ફાર્મહાઉસ’. આમ, શહેરમાં રહેતી બહુમતી વસ્તી ‘ફાવી ગયેલા’ઓની અને ‘કોઠે પડી ગયેલા’ઓની છે. એમને સ્થિતિને યથાવત્ રાખવામાં રસ છે. આ છે કૉર્પોરેટ કલ્ચર.

૨૦૧૫ની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપની જીત ઉપર્યુક્ત માનસિકતા અને સ્થિતિને આભારી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના નિષ્ઠાવાન કાર્યકરો અને નેતા એમ ન માની બેસે કે અખંડ ભારતની પહેલી સહસ્રાબ્દીના સમયની અદ્ભુત સંસ્કૃિતની પુનઃપ્રતિષ્ઠા અને પુનઃસ્થાપનાનો કાળ આરંભાઈ ચૂક્યો છે. પશ્ચિમી સમાજની ભૌતિક સંસ્કૃિતને ઉત્તેજન આપતી ભોગવાદી વિચારધારાથી પ્રભાવિત વ્યક્તિ અને પરિવારના નર્યા સ્વાર્થથી પીડાતી સામાન્ય પ્રજા સમાનતા, બંધુતા અને ન્યાયનાં હાર્દિક માનવીય મૂલ્યોને કોરાણે મૂકી ઇહલોક અને પરલોક બેઉ ગુમાવવા તત્પર છે. દિગ્ભ્રમિત અને નેતૃત્વહીન કૉંગ્રેસે જે રસ્તે ચાલવાનું શરૂ કર્યું, તે જ રસ્તે આપણા વડાપ્રધાનની રાહબરી હેઠળ તેમના પક્ષે દોટ મૂકી છે. પણ જેમ પ્રજામાં ડાહ્યા લોકો હોય તેમ બિહાર બાદ ગુજરાતમાં ‘રહી ગયેલા’ ગામવાસીઓએ જિલ્લા અને તાલુકાપંચાયતોની ચૂંટણીમાં નાખેલા મતો દ્વારા એક સંદેશ આપ્યો છે. ગામડાંની આ દેશી રીત છે.

ગામના લોકો જોઈ શકે છે કે ભાજપે તેમના ભોગે શહેરીકરણ અને શહેરી લોકોને વધુ મદદ કરી આપી છે અને તેની નીતિઓ હજી આગળ પણ એ જ દિશામાં લઈ જશે. ભાજપે બોધપાઠ લેવો હોય, તો એ કે તેના વિકાસ અને સુશાસનની નીતિઓને ગ્રામાભિમુખ કરવાની જરૂર છે. કૉંગ્રેસને પણ આ એક તક એટલા માટે મળે છે કે જો ભાજપ પાસે તાલુકા અને જિલ્લાનાં ગામોના વિકાસની ગંભીર અને વિશ્વાસુ યોજનાઓ ન હોય, તો પ્રજા કૉંગ્રેસ પાસે તે અંગેની અપેક્ષા રાખી રહી છે. વિચાર-વિવેક વગરના ઔદ્યોગિકરણ અને શહેરીકરણની શરૂઆત અલબત્ત કૉંગ્રેસે જ કરેલી. એનો નશો ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી બાદ વધવા પામેલો. એ પ્રક્રિયામાં પક્ષે છેવાડાના એટલે ગામડાના સ્તર સુધીના રાજકીય સંગઠનની અવહેલના કરી હતી. કૉંગ્રેસની શક્તિ તેના લોકો અને વિશેષ કરી ગામડાંના લોકોની શક્તિ હતી. આઝાદી પહેલાં અને ત્યાર પછી આ શક્તિએ જ એને સત્તામાં રાખી હતી. ‘રહી ગયેલા’ઓ એવો વિશ્વાસ ધરાવતા કે કૉંગ્રેસ એમના માટે કામ કરશે. સર્વોદય તો કરશે, પણ પ્રારંભ અંત્યોદયથી થશે. પણ આર્થિક ઉદારતા અને બજારીકરણના દોરમાં રાજ્યે ગામડાં અને ગરીબો પાસેની નૈસર્ગિક સંપદાઓ, તેના ઉપયોગ-હકોને ઝૂંટવી-પડાવીને ‘ફાવવા માગતા’ અને ‘ફાવી ગયેલાઓ’ના ખોળામાં નાખવા માંડ્યું. એમ કરવામાં મલાઈનો એક ભાગ નાનાથી મોટા-સૌ નેતાઓ પોતાના વાટકાઓમાં ભરવા લાગ્યા. અનાચાર અને ભ્રષ્ટાચારે માઝા મૂકી અને લોકો કંટાળ્યા. ચૂંટણીમાં કૉંગ્રેસને નકારી.

ગુજરાતમાં ભાજપને લાગલગાટ ત્રણ વખત મોકો મળ્યો અને તેમના વાચળ અને સભાચાતુર્યથી અતિ લોકપ્રિય બનેલા નેતાએ ચોખ્ખી રીતે ‘ફાવી ગયેલા’ઓનો જ સાથ આપવાનો નિર્ધાર કર્યો અને ‘રહી ગયેલા’ઓ માટે દિવાસ્વપ્નો અને આશ્વાસનોની ભેટ ધરી. થોડાંક વર્ષો પહેલાં પ્રો. વાય. કે. અલઘે કેટલાક અભ્યાસીઓ સાથે (જેમાં આ લેખક સામેલ હતા) ગુજરાતના ભાવિ વિશે એક પુસ્તક તૈયાર કર્યું હતું અને તેના લોકાર્પણ માટે લોકલાડીલા મુખ્યમંત્રીને બોલાવ્યા હતા. તેમણે પુસ્તક વિશે કેટલી માહિતી મેળવી હશે, તે તો એમને ખબર; પણ સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ-શિક્ષકો અને અન્ય શ્રોતાઓને સંબોધતાં ગુજરાતના ભાવિ માટેના સ્વપ્નદૃષ્ટા તરીકે એમણે જે વક્તવ્ય આપ્યું હતું, તેમાંથી પુસ્તક વિશે અને તેના લેખકો પ્રત્યે ભારોભાર નિકૃષ્ટ અને હેય ભાવના જ નીતરતી હતી. પુસ્તક વિશે વાત કરતા પ્રો. અલઘ એવા મતલબનું કંઈક બોલ્યા હતા કે આ પુસ્તકમાં તેમના સહિત લેખકવૃંદે ગુજરાત માટે થોડાં સપનાં જોયાં છે. તેનો દાખલો લઈ મુખ્ય પ્રધાન એવું બોલ્યા હતા કે તમે શું સપનાં જોયાં? જો સપનાં જ જોવાં હોય તો ભવ્ય સપનાં જોવાં જોઈએ. ‘એક વખત હું ટ્રેનમાં બેઠો હતો. સ્ટેશનના પ્લેટફૉર્મ પર એક ભિખારી એક હથેળીમાં કંઈક વસ્તુ રાખી બીજા હાથથી તેના પર કશુંક ભભરાવતો હોય તેવો અભિનય કરતો હતો. મેં તેને પાસે બોલાવીને પૂછ્યું કે તે શું કરી રહ્યો છે. તેણે દીન સ્વરમાં જણાવ્યું કે તે એની ભૂખ કાલ્પનિક રીતે મટાડવા એક સૂકી બ્રેડની સ્લાઇસની અને તેના પર મીઠું ભભરાવીને ખાવાની કલ્પના કરી રહ્યો હતો. મેં એણે કહ્યું કે તું ભિખારી જ રહીશ, કારણ કે તું મીઠાંની જ કલ્પના કરી શકે છે. અને હું હોઉં તો માખણની કલ્પના કરું.’ આ સાંભળીને વિદ્યાર્થીઓએ જોરદાર કરતલ ધ્વનિ કર્યો હતો. આગળ તેમણે ભાવિ ગુજરાત માટે પોતાનું સ્વપ્ન મૂક્યું. તેમણે એમ જણાવેલું હતું કે ગુજરાતના ખેડૂતો માટે તેમની પાસે એક અદ્ભુત યોજના છે. ખેડૂતો આજ સુધી પાણી માટે કૂવા-બોર કરે છે. એક દિવસ એવો આવશે, જ્યારે તેલ માટે કૂવા કરાવી શકાશે. દરેક ખેડૂત પોતાની જમીનના પેટાળમાંથી ક્રૂડતેલ કાઢશે, રોજ એક બૅરલ ભરશે અને તેને ભેગું કરવા અમુલની તરાહ પર કલેક્શન રૂટ શરૂ કરાશે. પાંચ વર્ષમાં તો રાજ્યનો એક-એક ખેડૂત માલેતુજાર થઈ જશે. ‘અલઘસાહેબ આને સપનું કહેવાય’! કરતલ ધ્વનિનો ઘોર નાદ…

ગુજરાતનો ખેડૂત તો તેલના કૂવા ખોદાવાની રાહમાં કંટાળ્યો અને આપણા લોકલાડીલા નેતા વિશ્વના દરેક ખેડૂતને આ સ્વપ્ન દેખાડવા દિલ્હી ઊપડી ગયા! આ ભ્રમણ હજુ ચાલુ જ છે. આમ, કંટાળીને, નાસીપાસ થઈને ગામડાંની પ્રજાએ ભાજપને ૨૦૧૫માં જિલ્લા અને તાલુકાપંચાયતોની ચૂંટણીમાં જાકારો આપ્યો છે. ભાજપ માટે પણ આ એક બોધપાઠ તો છે જ.   

કૉંગ્રેસ માટે આંતરખોજની એક તક છે, જો તે જાગે તો. ગુજરાતની પ્રજા સ્વભાવે ધંધા-વેપારમાં દક્ષ છે. પ્રાકૃતિક સંસાધનોની ખાનગી અને સામુદાયિક માલિકીને અંકે કરી સંપોષિત ઉપયોગ અને વિકાસ (સસ્ટેલેબલ ડેવલપમેન્ટ) એ સાચો ધ્યેય બની શકે. ગામમાં જ ખેતી, ઉદ્યોગ અને સેવાઓના ક્ષેત્રે આજીવિકાની તકો ઊભી કરવાથી ટકાઉ બનાશે. સામાજિક વિષમતાઓને લક્ષ્યમાં લઈ યોગ્ય સંસ્થાકીય વ્યવસ્થાઓ નવેસરથી સ્થાપવાની જરૂર છે. સૌથી અગત્યની બાબત એ છે હવે ગુજરાતમાં રોટલે દુઃખી લોકો બહુ ઓછા પ્રમાણમાં રહ્યા છે, પણ ઓટલે દુઃખી હજી ઘણાં છે. તકે દુઃખી અને સારી આજીવિકાનું દુઃખ તો મોટા ભાગનાને છે. તેવા દુખિયારા આજે અંતિમજન છે. તેની શક્તિ વધારવાની છે. કૉંગ્રેસ પાસે ગાંધીજીના સમયની એક અન્ય જવાબદારી પણ છે. લોકોને અધિકારબાહોશ બનાવવાની જરૂર છે તે કરતાં કર્તવ્યસભાન બનાવવાની વધુ જરૂર છે. ગુજરાત અને ભારતના વિકાસની પરિભાષા અને દરેક નાગરિકની ભૂમિકામાં બદલાવ લાવવાનો સમય આવી ગયો છે.

e.mail : sudarshan54@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016, પૃ. 05-07

Loading

‘રિપબ્લિક ઑફ રિઝન’માં

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|4 January 2016

નવા વર્ષમાં નવાં પુસ્તકોને આભાર સાથે આવકાર. યજ્ઞ પ્રકાશન પાસેથી બહુ મહત્ત્વનું પુસ્તક મળે છે ‘નોખો રાજા શિવાજી’. રેશનાલિસ્ટ ગોવિંદ પાનસરેના ‘શિવાજી કોણ હોતા’ (૧૯૮૮) નામના મરાઠી પુસ્તકના આ અનુવાદ માટે, શ્રમજીવીઓની સલામતી માટે મથનારા કર્મશીલ જગદીશ પટેલને ધન્યવાદ. કટ્ટરતાવાદી શિવસેના, કોમવાદી ભારતીય જનતાપક્ષ અને અન્ય સાંપ્રદાયિક સંગઠનોએ રાજા શિવાજીની માત્ર હિંદુત્વવાદી રાજા તરીકેની જે છબી વર્ષોથી ઠસાવી છે. તે છબીને કૉમરેડ પાનસરેએ દૃષ્ટિપૂર્વક, આધાર સહિત અને પ્રતીતિજનક રીતે વિવેકપૂર્ણ ભાષામાં બદલી છે. તેમણે બતાવ્યું છે કે શિવાજી ખેડૂતો-દલિતો-સ્ત્રીઓના સમતાવાદી સર્વધર્મસમભાવી રાજા હતા. મરાઠીમાં આ પુસ્તકની આડત્રીસ આવૃત્તિઓ થકી દોઢ લાખ નકલો વાચકો સુધી પહોંચી છે. કન્નડ, ઉર્દૂ અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. પુસ્તકમાં જગદીશભાઈએ બિરાદર પાનસરે વિશે લખેલો લેખ પણ મહત્ત્વનો  છે. પાનસરેની જ વાત નીકળી છે, ત્યારે બીજા એક મહત્ત્વના અંગ્રેજી પુસ્તકની માહિતી પણ આપવી જોઈએ. નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને એમ.એમ. કલબુર્ગીનાં ચૂંટેલા લખાણોનો એકસો વીસ  પાનાં અને એટલા જ રૂપિયાની કિંમતનો એક સંચય દિલ્હીની ‘સહમત’ સંસ્થાએ બહાર પાડ્યો છે. તેનું સરસ નામ છે : રિપબ્લિક ઑફ રિઝન : વર્ડ્સ ધે કુડ નોટ કિલ્.

‘જનપથ’ સંસ્થાના ‘માહિતી-અધિકાર પહેલ’ ઉપક્રમના નિષ્ઠાવાન યુવા કાર્યકર્તા પંક્તિ જોગની ‘સત્યાગ્રહનું ઓજાર… માહિતીનો અધિકાર’ પુસ્તિકા પણ યજ્ઞ આપે છે. તદુપરાંત નવા વર્ષ માટેનું પ્લાનર (વાર્ષિક આયોજિની કહીશું ?) ‘વિનોબાનું ચિંતન – આપણું આયોજન’ પણ યજ્ઞએ શુભેચ્છકને ‘કસ્ટમાઇઝ’ કરીને ભેટ તરીકે મોકલ્યું છે.

રજનીકુમાર પંડ્યા માણસોમાં રહેલાં કેટલાં ય શુભ તત્ત્વોનો ઝબકાર તેમના હજારો વાચકોને ચારેક દાયકાથી કરાવતા રહ્યા છે. તેમણે લખેલી ચરિત્રનવલ ‘પરભવના પિતરાઈ’ (આર.આર. શેઠ પ્રકાશન)ની ત્રીજી આવૃત્તિ તાજેતરમાં થઈ છે. આ પુસ્તક સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ, ડુંગરાળ અને જંગલઘેરા વિસ્તારના વનવાસીઓ સુધી શિક્ષણ, આરોગ્ય અને સુધારાને પહોંચાડનારા ભેખધારી નરસિંહભાઈ ભાવસાર (૧૯૧૬-૧૯૯૪) વિશે છે. તે પુસ્તક વાંચતાં, અત્યાર સુધી એમના વિશે કશું નહીં જાણતા હોવાનો રંજ થાય છે. દિલીપ રાણપુરાને અર્પણ કરેલું આ પુસ્તક પણ રજનીકુમારે – પોતાનાં કેટલાં ય પુસ્તકોની જેમ – ઘણી રખડપટ્ટી પછી લખ્યું છે. તેને આધારે નિમેષ દેસાઈએ ટેલિફિલ્મ પણ બનાવી છે. લોકશિક્ષણનું કામ અમરેલી પાસેના બાબાપુરમાં સત્તાણું વર્ષની વયે પણ ચાલુ રાખનારા ‘એક આક્રમક ગાંધીવાદી’ ગુણવંત પુરોહિત વિશે ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના દિવાળી અંકમાં જ્વલંત છાયાએ લખ્યું છે. કેતન ત્રિવેદીએ પહેલા મહાયુદ્ધમાં અંગ્રેજોના સૈનિકો બનીને લડેલા ‘ભાવનગર, જામનગર અને વાંકાનેરના નરબંકાઓ’ વિશે લખેલા લેખનું મથાળું છે ‘જોરુભા જરમન જીતીને વેલેરા આવજો’ ! ‘શબ્દસૃષ્ટિ’ના હર્ષદ ત્રિવેદી વિનાના  દિવાળી અંકમાં વધારે પાનાંથી વધુ કશું નથી. હર્ષદભાઈએ બહુ સૂઝ અને મહેનતથી ઊભી કરેલી દિવાળી અંકોની શ્રેણી તૂટી છે.  

‘સકલ તીરથ જેના મનમાં રે!’ એવા કાવ્યાત્મક નામ સાથે ડંકેશ ઓઝા વતનનાં સંભારણાં આલેખે છે. ડિવાઇન પ્રકાશનના આ પુસ્તકનો બીજો ભાગ નર્મદા પરકમ્મા વર્ણવે છે. સામાજિક-સાહિત્યિક બાબતોના અભ્યાસી ડંકેશભાઈએ, જુદાં-જુદાં ક્ષેત્રોની વ્યક્તિઓ વિશે કરેલાં લખાણોનો સંગ્રહ ‘બહોત યાદ આયે’ પણ ‘ગ્રંથવિહાર’ પુસ્તકભંડારમાં જોવા મળ્યો. પુસ્તકો અને વાચન વિશેના તેમના લેખોનો સંચય ‘સાહિત્ય-સંદર્ભ’ પણ અહીં યાદ આવે.  કિશોરસિંહ સોલંકીના ‘અંગારો’ કાવ્યસંગ્રહમાં મોટા ભાગની ‘અંગારા’ને મુખ્ય શબ્દ તરીકે લઈને કે સંબોધીને કરવામાં આવી છે. લતા જગદીશ હિરાણી ‘ઝળહળિયાં’ સંગ્રહમાં લાગણીભીનાં કાવ્યો આપે છે. લતાબહેને લખેલું ‘ઉજાસનું પહેલું કિરણ’ ગુજરાતમાં મહિલાઓનાં પરિચય-પુસ્તકો લખાણોમાંનું એક નોંધપાત્ર પુસ્તક છે. તેનું પેટાશીર્ષક છે ‘વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પદાર્પણ કરનારી ભારતીય સ્ત્રીઓ’. બેલા ઠાકર, યશવંત મહેતાએ પણ આ પ્રકારનાં પુસ્તકો આપ્યાં છે.

‘વસાહતીનું જનગણમન’ ગણાયેલા દેશાવરના વિચારપત્ર ‘ઓપિનિયન’ની ડીવીડીનું સ્વાગત છે. તેમાં ઓપિનિયનની ૨૩ એપ્રિલ ૧૯૯૫થી ૨૬ માર્ચ ૨૦૧૩ સુધીની ‘અક્ષર-અને-વિચાર યાત્રા’માંથી લેખક અને શીર્ષક બતાવતી ડિજિટલ સોઈની મદદથી પસાર થઈ શકાશે. અભિનંદન વિપુલ કલ્યાણી, આભાર મૈત્રીબહેન સહિતના ગુજરાતીલેક્સિકોનના સાથીઓ.

જ્ઞાનપીઠ સન્માનિત રઘુવીર ચૌધરી, જે ગોવર્ધનરામને પોતાના હરીફ ગણે છે તેમની સરસ્વતીચંદ્રનો હિન્દી અનુવાદ તાજેતરમાં કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યો છે. અધ્યાપક અનુવાદકો રઘુવીરના જ પૂર્વ વિદ્યાર્થીઓ છે – વીરેન્દ્રનારાયણસિંહ અને આલોક ગુપ્તા.

પ્રમુખ સમકાલીન મરાઠી નવલકથાકાર વિશ્વાસ પાટીલની ૮૦૪ પાનાંની તદ્દન નવી નવલકથા ‘લસ્ટ ફોર લાલબાગ’નું વાચન ચાલુ છે. પુસ્તકના નામમાં વાન ગૉગના જીવન પર ઇરવિંગ સ્ટોને લખેલી ‘લસ્ટ ફોર લાઇફ’(‘સળગતાં સૂરજમુખી’ નામે ગુજરાતી અનુવાદ વિનોદ મેઘાણી)નો રણકો છે. મુંબઈના દાદર પાસેનાં લાલબાગ-પરળ ગામો સહિતનાં દસેક ગામોમાં વિસ્તરેલા કાપડમિલોના ‘ગિરણગાવ’ તરીકે ઓળખાતા વિસ્તાર વિશેની આ મહાનવલ છે. કાપડમિલોની પડતીના ૧૯૮૨ના વર્ષથી ૨૦૦૮ સુધીના ગાળાના લાલબાગના જીવનને અને તેના ઇતિહાસને તેની સમગ્રતામાં આવરી લેવાનો લેખકનો બહુ પ્રભાવક પ્રયત્ન તેમાં છે. ઉદારીકરણ-વૈશ્વિકીકરણના ભરડામાં નાશ પામેલા મિલ કામદારવર્ગનાં વીતકની સાથે એક તરબતર પ્રેમકથા વણી લેવામાં આવી છે. આ નવલકથાની હસ્તપ્રત પ્રકાશક દ્વારા સ્વીકાર પામ્યા બાદ વિષયની કેટલીક વધુ મહત્ત્વની માહિતી હાથ લાગતાં લેખકે તેનાં ચારસો પાનાં ફરીથી લખ્યાં. નવેમ્બરના વીસ દિવસમાં આઠસો રૂપિયાના આ પુસ્તકની બે આવૃત્તિઓ વાચકોએ વસાવી છે. ગુજરાતના કાપડઉદ્યોગ વિશે ચંદ્રાભાઈ ભટ્ટની અંગ્રેજો દ્વારા પ્રતિબંધિત ‘ભઠ્ઠી’ (૧૯૩૨) અને રઘુવીર ચૌધરીની ‘કાચા સૂતરને તાંતણે’ (૧૯૯૫) નવલકથાઓ ઉપરાંત સાહિત્યકૃતિ રૂપે કંઈ લખાયું હોય, તો તે જાણવું રસપ્રદ બને. વિશ્વાસ પાટીલની ત્રણ મોટી નવલકથાઓનાં ઓગણીસો, રિપીટ ઓગણીસો પાનાં, ગુજરાતીમાં ઉતારવાનું જંગમ કામ, પ્રતિભા રાયની ‘યાજ્ઞસેની’ નવલકથાના ‘દ્રૌપદી’ નામે કરેલા અનુવાદ માટે જાણીતાં મુંબઈસ્થિત પ્રતિભા મ. દવેએ પાર પાડ્યું છે. એ ત્રણ અનુવાદ છે : સુભાષચંદ્રની જીવનકથા ‘મહાનાયક’ (૨૦૦૦), મોટા બંધના વિસ્થાપિતોની કથા ‘લોહીનાં આંસુ’ (૨૦૦૩) અને ઐતિહાસિક ‘પાનિપત’ (૨૦૦૫).

રાજસ્થાનનાં ઊંટ પર ૧૯૯૧થી સંશોધન કરનાર અને તેમને ટકાવી રાખવા મથનારાં કર્મશીલ જર્મન મહિલા પશુતબીબ ‘Ise Kohler-Rollefsonના ‘ધ કૅમલ કર્મા : ટ્વેન્ટી યર્સ અમન્ગ ઇન્ડિયાઝ કૅમલ નૉમાડ્સ’ પુસ્તકનો ઉલ્લેખ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨૨/૧૧)ના એક લેખમાં વાંચવા મળ્યો. આ લેખ ઊંટોની રાજસ્થાનમાં ઘટતી જતી વસ્તી વિશેનો છે. આ જ અખબાર ‘વિશ્વ હિંદુ પરિષદના કડક જાપ્તા’ને કારણે પુષ્કરના પશુધનમેળામાં વેચાણ ૯૪% ઘટ્યું છે, એવા સમાચાર પણ આપે છે (૩૦/૧૧). ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ એ ૧૭/૧૧થી સળંગ ત્રણ દિવસ એ સાબિત કર્યું કે ગૌરક્ષણ દળોની બેલગામ દાદાગીરીને કારણે કાયદેસરના માંસ ઉદ્યોગ, તેની સાથે સંકળાયેલા વ્યવસાયો અને ગરીબો માટેના સસ્તા પોષણયુક્ત આહારને કેટલો મોટો ફટકો પડ્યો છે. ટાઇમ્સે શબ્દરમતના તેના શોખ મુજબ ‘gai pe charcha’ અને  governance to gaivernance જેવા શબ્દપ્રયોગો કર્યા છે.

ગોવામાં યોજયેલા છેતાળીસમા આંતરરાષ્ટ્રીય સિનેમા-ઉત્સવમાં શાસકપક્ષના સત્તાવાદના છાંટા ઊડ્યા. પૂનાની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા(એફટીઆઇઆઇ)ના વિદ્યાર્થીઓએ બનાવેલી ફિલ્મો માટે તેમાં દર વર્ષે રાખવામાં આવતો વિભાગ કાઢી નાખવામાં આવ્યો. અનેક વિદ્યાર્થીઓને પ્રવેશપાસ આપવામાં ન આવ્યા. ઉદ્ઘાટન-સમારોહમાં પાટિયાં બતાવીને વિરોધ કરનારા બે વિદ્યાર્થીઓની સામે પોલીસપગલાં લેવામાં આવ્યાં.  સંસ્થાનું ટી-શર્ટ પહેરીને આવેલા વિદ્યાર્થી આશુતોષ વંદનાને પોલીસે ફિલ્મસ્થળેથી કાઢી મૂકીને તેની અપમાનજનક રીતે પૂછપરછ કરી. આ અત્યાચાર વિશે તેણે ૩૦/૧૧ના  ‘એક્સપ્રેસ’માં લખ્યું અને  એ જ દિવસે દૈનિકે ચોટદાર તંત્રીલેખ લખ્યો ‘અનલાઇક અ ફૅસ્ટિવલ’.

એક્સપ્રેસે ૨૫/૧૧થી ચાર દિવસ એક સમાચારશ્રેણી ચલાવી – ‘ઇનસાઇડ ધ કોટા કોચિંગ ફૅક્ટરી’. આઈઆઇટી અને અન્ય અભ્યાસક્રમોની પ્રવેશપરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે રાજસ્થાનના કોટામાં ચાલતી ખાનગી તાલીમ સંસ્થાઓની કાળી બાજુ આ શ્રેણીમાં રજૂ થઈ છે. સ્પર્ધાના દબાણ હેઠળ બાળકોની થતી દુર્દશાને પત્રકાર અંકિતા દ્વિવેદી જોહરીએ તમામ નામઠામ સાથે ખુલ્લી પાડી છે. ગયાં ત્રણ વર્ષ દરમિયાન આ સંસ્થાઓના દર વર્ષે સરાસરી સોળ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે!  

વીતેલાં વર્ષના છેલ્લા દિવસે હિટલરના આત્મકથાત્મક જાહેરનામા ‘મેઇન કામ્ફ’નો કૉપીરાઇટ પૂરો થાય છે. તે અત્યાર સુધી બેવેરિયા પ્રાંતની સરકાર પાસે હતો અને એણે પુસ્તક ન છાપવાનું નક્કી કર્યું હતું. પણ હવે મ્યુિનકની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્ટેમ્પરરી હિસ્ટ્રીએ હિટલરની આત્મકથાની નોંધો સાથેની સટીક આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું છે. ‘એક્સપ્રેસ’ લખે છે કે આ આવૃત્તિ એવી હશે કે હિટલરના પુસ્તકને જ એની સામેનું હથિયાર બનાવશે!

ખાસ કરીને તત્ત્વજ્ઞાન વિષય પરના કચ્છના જાણીતા લેખક માવજી કે.સાવલાનું નવેમ્બરના મધ્યમાં પંચ્યાશી વર્ષની વયે અવસાન થયું. ‘સૉક્રેટીસથી સાર્ત્ર’ અને ‘કિતાબી દુનિયા’ સહિત નાનાં-મોટાં અનેક પુસ્તકો તેમની પાસેથી મળ્યાં છે. આ લખનારને ઍટ્ટીની ‘રોજનીશી’ મહત્ત્વનો અનુવાદ લાગે છે. વિચારવલોણું પરિવારે શરૂઆતના ગાળામાં બહાર પાડેલી આ પુસ્તિકાનું પેટાશીર્ષક ‘આસ્થાની આંતરખોજ’ છે. જર્મનીની ઍન  ફ્રૅન્કની જેમ ઍટ્ટી પણ હોલોકૉસ્ટ કહેતા હિટલરના માનવસંહારનો ભોગ બનેલી તરુણી છે. અલબત્ત, તેની ડાયરી ઍનની ડાયરી કરતાં જુદી એ અર્થમાં છે કે ઍટ્ટીનો ઝુકાવ લૌકિક કરતાં અલૌકિક, પાર્થિવ કરતાં આધ્યાત્મિક તરફ વધારે છે એવી મારી છાપ છે. આ હોલોકૉસ્ટ લિટરેચરમાંના એક પુસ્તકની વાત સત્વરે પ્રસ્તુત છે.

૨૨/૨૯ ડિસેમ્બર, ૨૦૧૫

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 08-09

Loading

...102030...3,7203,7213,7223,723...3,7303,7403,750...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved