Opinion Magazine
Number of visits: 9770137
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતૃભાષા, સાહિત્ય અને સાંસ્કૃિતક સંવર્ધન

મનસુખ સલ્લા|Opinion - Literature|19 January 2016

મનુષ્ય અને અન્ય જીવસૃષ્ટિ વચ્ચેનો મુખ્ય ફરક એ છે કે અન્ય જીવસૃષ્ટિ એને જન્મ સાથે મળેલાં લક્ષણોને સહારે જીવન વિતાવે છે, જ્યારે મનુષ્ય વારસામાં મળેલ લક્ષણો (શારીરિક અને બૌદ્ધિક) ઉપરાંત સત્સંગ, અભ્યાસ અને સ્વપ્રયત્નથી અનેક સંસ્કારો કેળવી શકે છે. એને પ્રાપ્ત સંસ્કારો તરીકે ઓળખવામાં આવે છે.

શારીરિક-બૌદ્ધિક લક્ષણો મનુષ્યમાં જન્મથી હોય છે તેમ પ્રાપ્ત સંસ્કારો આપોઆપ મળી જતા નથી. એને એક પેઢીએ બીજી પેઢીને કાળજીપૂર્વક આપવા પડે છે. જો એમાં પ્રમાદ, દૃષ્ટિહીનતા કે ઉપેક્ષા સેવાય તો પછીની પેઢી એ સંસ્કારોથી વંચિત રહે યા એનાથી ઊલટી રીતે વર્તનારી પણ થાય. દા.ત. મનુષ્ય બૌદ્ધિક ક્ષમતા લઈને જન્મયો હોય એનો ઉપયોગ અનેક લોકોના ભલા માટે કરી શકે તેમ રાવણની જેમ અનેકને પીડવા માટે પણ કરી શકે, એથી સંસ્કાર વારસાનું વિતરણ દરેક પેઢીએ જાગૃતિપૂર્વક કરવું પડે છે. સંસ્કારી મનુષ્ય એટલે એવો મનુષ્ય જેનું મનુષ્યત્વ કેળવાઈને વિકાસ પામેલું છે.

મનુષ્યત્વના વિકાસમાં અનેક તત્ત્વો અસર કરે છે. તેમાં અત્યંત અગત્યનું તત્ત્વ ભાષા છે. ભાષાને બાદ કરીને માનવજીવનની કલ્પના કરીએ તો સમજાય, કે શું શું બાદ થઈ જાય. અન્ય પ્રાણી-પંખી પાસે અવાજો છે, ભાષા તો કેવળ મનુષ્ય પાસે છે. અવાજમાંથી ભાષા સુધી પહોંચતાં મનુષ્યને હજારો વરસ લાગ્યાં હશે, પરંતુ માણસે આ એવું અસાધારણ માધ્યમ નીપજાવ્યું કે એના રોજબરોજના વ્યવહારો ચલાવી શકે અને તેના વિવિધ ભાવોને પણ વ્યક્ત કરી શકે. વળી એ ભાવોને એવી રીતે અભિવ્યક્ત કરે છે કે અન્યના હૃદય સુધી સંક્રાન્ત થઈ શકે છે.

ભાષાનો બે પ્રકારે ઉપયોગ થાય છે :

(1) તત્કાલીન વ્યવહારો-સંબંધોનું સ્વરૂપ, વસ્તુ-વિગત કે પરિસ્થિતિનું વિશ્લેષણ, વિવિધ સ્થિતિઓ વચ્ચે તુલના અને તારણ દ્વારા આપણે જીવનને ઓળખવા અને ઓળખાવવા પ્રયત્ન કરીએ છીએ. એમાંથી જ્ઞાનનો જન્મ થાય છે. તેમાં શોધ એ હોય છે કે સાચું જીવન એટલે કેવું જીવન ? એની નિરીક્ષામાંથી અનેક શાસ્ત્રોનો જન્મ થયો છે. સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ધર્મ, કેળવણી, માનસશાસ્ત્ર વગેરેના યથાર્થ સ્વરૂપની શોધ આ સઘળાં શાસ્ત્રો કરે છે. માનવજાત માટે એક રીતે આ પ્રયોગ અને ખોજનું ક્ષેત્ર છે. એટલે એમાં સુધારા-વધારા થતા રહે છે, નવાં નવાં ક્ષેત્રો અને તારણો ખૂલતાં રહે છે. મનુષ્યસમાજના વિકાસમાં જ્ઞાનનું પ્રભાવક સ્થાન હોય છે. સંસ્કૃિતના વિકાસમાં જ્ઞાનની આ ખોજને પરિણામે આપણને વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણો અને આધુનિક યુગનાં અનેક શાસ્ત્રો મળ્યાં છે. આ સર્વ શાસ્ત્રોનો હેતુ એક જ પંક્તિમાં કહેવો હોય તો ‘જીવનનો હેતુ શો છે અને એને પ્રાપ્ત કેમ કરી શકાય તેની ખોજ.’

સંસ્કૃિતની યાત્રા સડસડાટ નથી ચાલતી. કાર્લ માકર્સે કહ્યું છે તેમ એક પગ ભાંગેલી ડોશીની યાત્રા જેવી એ યાત્રા છે. એક પગ મૂકાય છે, બીજો પગ ઢસડાતો ઢસડાતો ત્યાં પહોંચે છે, વળી પાછું આગળનું ડગલું મંડાય છે. મનુષ્યે અવિદ્યાને કારણે અનેક કોયડા સર્જ્યા છે અને વિદ્યાની મદદથી એના ઉકેલો મેળવ્યા છે. જે સમાજ આ અંગે ખુલ્લો, ઉદાર અને પરમત સહિષ્ણુ રહ્યો છે તે વધુ વિકસ્યો છે. ભારતીય સંસ્કૃિતની આ લાક્ષણિકતા છે. એ નોંધપાત્ર છે કે ભગવાન બુદ્ધે ચાલીસ વર્ષ સુધી ભ્રમણ કરીને હિન્દુ ધર્મની મર્યાદાઓ બતાવી, નવા માર્ગ ચીંધ્યા, પરંતુ બુદ્ધ ઉપર કોઈએ આઘાત કર્યો નથી કે તેમને ઉપદેશતા કોઈએ અટકાવ્યા નથી. એના મૂળમાં અનેક પ્રકારની કેળવણી દ્વારા સર્જાયેલી ભારતીય સંસ્કૃિતની નરવી અને નક્કર આધારશિલા રહેલી છે. બુદ્ધે પ્રચલિત સંસ્કૃત ભાષાને બદલે લોકભાષામાં-પાલિમાં-ઉપદેશ આપ્યો. સંસ્કૃતમાંથી પાલિમાં આવવાથી જ્ઞાનનું સંકોચન ન થયું, વિસ્તરણ થયું. એમનો ઉપદેશ સામાન્ય લોક સુધી પહોંચ્યો. આ દૃષ્ટિએ ગુજરાતી ભાષાને જોવાની જરૂર છે.

(2) ભાષાનો બીજો વધુ સૂક્ષ્મ, હૃદયસ્પર્શી અને વિશિષ્ટ ઉપયોગ તે સાહિત્યસર્જન. સાહિત્યમાં ભાષાની બધી શક્તિઓ અને તમામ સમૃદ્ધિ પ્રગટ થતી હોય છે. એટલે જ આપણને રામાયણ-મહાભારત-શાંકુતલથી લઈને મહાપ્રસ્થાન – ઝેર તો પીધાં અને માનવીની ભવાઈ સુધીની કૃતિઓ મળી છે. આવી કૃતિઓ મનુષ્યને આનંદના માધ્યમથી હૃદયની સમજણ આપે છે. એટલે આપણને તેની મોહિની હોય છે. આવી કૃતિઓમાં આપણાં સાંસ્કૃિતક મૂળિયાં પરખાય – અનુભવાય છે.

અહીં પ્રારંભમાં રજૂ કરેલો મુદ્દો ફરી યાદ કરીએ કે ભાષા અને સાહિત્ય પણ પ્રાપ્ત સંસ્કાર છે. એને માટેનો પ્રેમ અને એની ખેવના આગલી પેઢીએ પછીની પેઢીને આપવાનાં હોય છે. તો જ નવી પેઢીને ભાષા-સાહિત્ય માટે અને એનાં મૂલ્યો વિશે પ્રેમાદર જાગે અને જળવાય. અહીં એક બાબત અંગે સ્પષ્ટ થવાની જરૂર છે કે વિશિષ્ટ યુગબળે આપણા દેશમાં સાંસ્કૃિતક કટોકટી સર્જી. અંગ્રેજોના સક્રિય એવાં લગભગ સવાસો વર્ષના શાસને આપણી ભાષા, સમાજવ્યવસ્થા અને સાંસ્કૃિતક મૂલ્યો ખાસ્સાં હલબલાવ્યાં. પરિણામે આજે કેટલાંક બાવરા બનીને દોડે છે, કેટલાંક આંખો મીંચીને દોડે છે, કેટલાંક વ્યૂહરચના કરીને અગ્ર હરોળમાં રહેવા માટે બધું હોડમાં મૂકીને સફળ થવા મથે છે.

ગુજરાતીની એક પ્રજા તરીકેની લાક્ષણિકતા એ છે કે જેમાંથી આર્થિક વળતર મળે તેને પ્રાધાન્ય આપે છે. મરાઠી, કન્નડ કે બંગાળીઓને એની ભાષા માટે ભરપૂર પ્રેમાદર છે. એની તુલનામાં આપણી પ્રજામાં ભાષા અને સાહિત્ય માટે એવું ગૌરવ નથી. અંગ્રેજી જોડણી માટે રાતદિવસ એક કરનારા વિદ્યાર્થીઓ, આચાર્યો, અધિકારીઓ, આયોજકો ગુજરાતી જોડણી માટે બેપરવા રહી શકે છે. વાલીઓમાં ભાષાગૌરવનો ભાવ નથી. નહિ તો, અન્ય પ્રદેશોમાં રાજ્યસરકારો કૉલેજ કક્ષાએ એક પેપર પ્રાદેશિક ભાષાનું હશે જ એવું ઠરાવી શકે તો ગુજરાત પણ એવું જરૂર ઠરાવી શકે.

આજે ભારતમાં તમામ મુખ્ય ભારતીય ભાષાઓ સામે પડકાર ઊભો થયો છે. અંગ્રેજીનું સ્થાન અને માન ભાષાના સામર્થ્ય કે ઉત્તમ સાહિત્યને કારણે નથી, પરંતુ તેને આધારે મળનાર નોકરીઓ અને વળતરને કારણે છે. અંગ્રેજીનો કક્કો પણ ન જાણનાર તેના મોહમાં ખેંચાય છે. આર્થિક વળતરને કારણે પરિણામે આજે અંગ્રેજી ભાષા શિક્ષણનું માધ્યમ બની રહે છે. માતૃભાષાને સ્થાને બેસી ગઈ છે.

આ પ્રશ્ન અંગ્રેજો કે અંગ્રેજીના વિરોધની નથી. એક વિશ્વભાષા તરીકે અંગ્રેજીનો અસ્વીકાર ન જ હોઈ શકે. આપણો પ્રશ્ન ઊગતી પેઢીના સાંસ્કૃિતક અને મનોબંધારણીય વિકાસનો છે. આપણે કેવો સમાજ સર્જવા માગીએ છીએ તેનો છે. એક ભાષા તરીકે અંગ્રેજી તરીકે ઉત્તમ રીતે શીખવાય તે આવકાર્ય જ હોય. પરંતુ જ્યારે એને શીખવાનું માધ્યમ બનાવાય ત્યારે વિદ્યાર્થીની ઉપર પડતી માનસિક અને ભાવાત્મક અસરો તપાસવાની રહે છે. વિદ્યાર્થીની ગ્રહણશીલતા પરભાષામાં ભણવાથી ઘટે છે એ હકીકત સંશોધનોમાં સિદ્ધ થઈ છે. ખાસ કરીને વિભાવનાઓ (concepts) સમજવામાં તો વિદ્યાર્થીને ઘણી મુશ્કેલી પડે છે. સ્મૃિત સારી હોય તો વિદ્યાર્થી બધું ગોખી નાખીને સારા માર્ક્સ લાવીને પાસ થઈ જાય. પરંતુ એને દૃષ્ટાંત દ્વારા સમજીએ તો 1000 W. નો બલ્બ 200 W. જેટલો જ પ્રકાશ આપે તેવી આ સ્થિતિ છે. વિદ્યાર્થી ઉપર પડનારી અસરો અંગે આપણે ત્યાં ભાગ્યે જ સંશોધનો થયાં છે. આને પરિણામે આપણને વિક્રમ સારાભાઈને બદલે નોકરીખાઉં એમ.એસ.સી. મળે છે તે ખોટ કેવળ વ્યક્તિની નહિ, આખા રાષ્ટ્રની છે.

ભારતમાં ભણનાર તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અમેરિકા, કેનેડા કે ઑસ્ટ્રેલિયામાં જઈ વસવાના હોય તો અંગ્રેજી માધ્યમ સ્વાભાવિક ગણાય; પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે એવું બનવાનું નથી. વિદેશ વસવાટ કરનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ તો 1 ટકાથી ય ઓછું હોવાનું. નવ્વાણું ટકા ભારતમાં રહેનારમાંથી પણ એક-બે ટકા જ નિર્ણાયક જગ્યાએ બેસવાના ત્યારે એક નાના વર્ગ માટે વિશાળ પ્રજાવર્ગને અંગ્રેજી માધ્યમ તરફ ધકેલવાની જાણે સાજીશ રચાઈ હોય તેમ દેખાય છે. વિચારણાનો મુદ્દો આ છે. એ અંગે જાગૃત થવાની જરૂર છે.

આપણા રાજકર્તાઓ અને નીતિ-નિર્ણાયકો દેશપ્રેમની વાત કરે છે. અને અંગ્રેજી માધ્યમથી બધા પ્રશ્નોના ઉકેલ મળી જવાના હોય તેવા મુગ્ધ ભ્રમમાં રહેલા છે. વાલીઓ સૌથી વધુ બિચારા છે. તેઓ તો પ્રવાહમાં તણાતાં લાકડાં જેવા છે. એમની પોતાની કોઈ ગતિ નથી. સેલ્ફ ફાઇનાન્સને નામે જેમણે વિદ્યાલયો ખોલ્યાં છે તેમાંના મોટા ભાગના સંચાલકો નફાને જ કેન્દ્રમાં મૂકે છે. તેમને શિક્ષણની ભાગ્યે જ ચિંતા છે. તેઓ ઝાકમઝાળથી આંજી નાખીને વાલીઓને આર્થિક રીતે નિચોવે છે.

સાચું કહીએ તો એક પ્રજા તરીકે આપણાં જીવનમૂલ્યો વિપથગામી બની રહ્યાં છે તે મૂળ સમસ્યા છે. આપણે ભૌતિક સમૃદ્ધિ આગળ સંબંધ, સંસ્કાર, જીવનઘડતરને ગૌણ ગણ્યાં છે. એટલે માતૃભાષાને અને સાહિત્યને, સંસ્કાર ઘડતર અને સંબંધ સ્વરૂપને પણ ગૌણ ગણીએ છીએ. વળી ઉચ્ચ શિક્ષણમાં દાક્તરી, આઈ.ટી. અને મેનેજમેન્ટ જેવી અમુક વિદ્યાશાખાઓને જ મહત્ત્વ આપવાથી અને માનવીય વિદ્યાઓની ઉપેક્ષા થવાથી જીવનની સમતુલા તૂટી રહી છે. માતૃભાષાના શિક્ષણની ઉપેક્ષા થવાથી જે તે ક્ષેત્રના વિદ્વાનો ગુજરાતીમાં લખે છે ત્યારે કાચા પડે છે. તો ઉચ્ચશિક્ષણમાં ગુજરાતી લેનાર માત્ર નોટ વાંચીને પાસ થઈ જાય છે. ભાષા-સાહિત્યનું તેમનું જ્ઞાન ઉપરછલ્લું હોય છે. આ સ્થિતિ બદલવા માટે આપણી યુનિવર્સિટીઓએ આંખ ઉઘાડવાની જરૂર છે. તેમ જ વિષયમાળખું ઉદાર કરવાની જરૂર છે.

સ્વરાજ પહેલાં ગુજરાતી ભાષાના સંવર્ધનનું જેટલું કાર્ય ચારે દિશામાંથી થયું હતું તેની તુલનામાં સ્વરાજ પછી આપણે વધુ ને વધુ બેધ્યાન થતા ગયા છીએ. આ ઉપેક્ષાનું પ્રતિબિંબ આજે પ્રજાની મનોવૃત્તિમાં અને સમાજસ્વરૂપમાં દેખાય છે. કેવળ સાહિત્ય સ્વરૂપે જ નહિ, જ્ઞાનભાષા તરીકે પણ ગુજરાતીમાં ઘણું ખેડાણ થયું છે. પરંતુ છેલ્લા દસકાઓની ઉપેક્ષાથી જ્ઞાનભાષાની ગુજરાતી ક્લિષ્ટ, અઘરી અને અતડી બની રહી છે. આ અંગે પાઠ્યપુસ્તક મંડળથી લઈને ગ્રંથનિર્માણ બોર્ડ અને યુનિવર્સિટીઓના પ્રકાશન વિભાગોએ નવેસર કાળજી લેવાની જરૂર છે. વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, વાણિજ્ય, અર્થશાસ્ત્ર, સમાજવિદ્યા, સમાજગતિશાસ્ત્રનાં પુસ્તકોની ઉપલબ્ધિ ઘટતી જાય અને તેનું ધોરણ કંગાળ બની રહ્યું છે તે ચિંતાનો વિષય છે.

આપણે એ ભૂલવા માંડ્યા છીએ કે ભાષા-સાહિત્યમાં અને જ્ઞાનખોજમાં આખી પ્રજાનો સાંસ્કૃિતક વારસો ધબકતો હોય છે. એ કેવળ કથા, કાવ્ય કે નાટક જ નથી, પરંતુ ભાવ-આંદોલનનો સાક્ષાત્કાર હોય છે. એ એ કૃતિઓ પ્રજાના ભાવજગતને પોષણ આપે છે. અત્યારે તો વિદ્યાર્થીને મેઘાણી સમજાતા નથી એટલું જ નથી, પન્નાલાલ કે જોસેફ મેકવાન પણ સમજાતા નથી. આપણો વિદ્યાર્થી માતૃભાષાની ઉપેક્ષા કરે છે ત્યારે મેઘાણી, દર્શન કે રઘુવીરની ઉપેક્ષા કરે છે. એ ભૂલી જાય છે કે સાહિત્યમાં પ્રગટ થયેલું જીવન તેના પોતાના ધરાતલનું જીવન છે. આ તો ચંદ્રલોકને જાણતો હોય અને ગામની ભૂગોળથી અજાણ હોય તેવો ઘાટ છે. વિદ્યાર્થીને ભાવજગતનું આ પોષણ નથી મળતું ત્યારે એ મૂળિયા વિનાનો થતો જાય છે. તેમાંથી અનેક સામાજિક અસમતુલા સર્જાય છે. એમાંથી તાણ, એકાકીપણું અને નિરર્થકતાના ભાવો સર્જાય છે. દરેક ભાષાએ અને સાહિત્યે પોતાની સાંસ્કૃિતક અને સંસ્કાર પરંપરાને પચાવેલી હોય છે. એનો વારસો બાળકને મળે છે, તેમાંથી બાળકને માનસિક અને આત્મિક પોષણ મળે છે. એટલે ભાષા-સાહિત્યની અને માધ્યમનો પ્રશ્ન દેખાય છે તેથી વધુ અવગાહન માગે છે.

આ વર્ણનમાં પરિસ્થિતિની યથાર્થતા સ્પષ્ટ થાય છે. પરંતુ આના ઉપાયો છે ખરા ? હા, છે. જરૂર છે. તેને આમ મૂકી શકાય :

(1) શિક્ષણપ્રક્રિયામાં અનેક મર્યાદાઓ આવી, રોગ વકર્યો, જાણે બધું તૂટવા બેઠેલું લાગે છે, કારણ કે આપણે શિક્ષણનું રાષ્ટ્રીયકરણ કર્યું. રાષ્ટ્રીયકરણનો અર્થ રાજ્યકારણ થઈ ગયો છે. બધા નિર્ણયોની સત્તા પાટનગરમાં કેન્દ્રિત થઈ ગઈ છે. બાકીના સૌ અમલ બજાવણીવાળા થઈ ગયા છે. જો આપણે પ્રશ્નો ખરેખર ઉકેલવા માગતા હોઈએ તો શિક્ષણની સ્વાયત્તતાની માંગ પ્રબળ કરવાની જરૂર છે. એને વિશે તો કોઈ બોલતું નથી. એકહથ્થુ નિર્ણયપ્રક્રિયાથી ભ્રષ્ટ કાર્યપ્રણાલીઓ ચડી વાગી છે. ધોરણો નબળાં ને નબળાં થતા જાય છે. શિક્ષણ સ્વાયત્તતા હશે તો પ્રયોગશીલતાને પોષણ મળશે, કાર્ય કરનાર વધુ જવાબદાર બનશે. આપણે કેવળ ઉપલા નાના વર્ગ માટે બધું ગોઠવવાનું નથી, પ્રજાના વિશાળ વર્ગની ખેવના રાખવાની જરૂર છે.

(2) વાલીઓએ કેવળ આર્થિક વળતરને બદલે બાળકના સંસ્કાર ઘડતર અને ભાવજગતની પણ કાળજી લેવી જરૂરી છે. અંગ્રેજી માધ્યમના વ્યામોહને બદલે માધ્યમ માતૃભાષા રાખીને ઉત્તમ રીતે અંગ્રેજી શીખવાય તેવો આગ્રહ વાલીઓએ રાખવો પડશે. આજે વાલીઓનો અવાજ ક્યાં ય નથી એટલે સરકાર અને સંચાલકો યથેચ્છ વર્તી રહ્યાં છે.

(3) જો ઊછરતી પેઢીનાં સાંસ્કૃિતક મૂળિયાં અખંડ રાખવાં હોય તો ઓછામાં ઓછું દસ ધોરણ સુધી માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. રવીન્દ્રનાથ ટાગોરે કલકત્તા યુનિવર્સિટીના પદવીદાન વ્યાખ્યાનમાં કહેલું કે, ‘ભારત સિવાય બીજા કોઈ પણ દેશમાં વિદ્યાર્થીની માતૃભાષા અને તેના ભણવાની ભાષા વચ્ચે છૂટાછેડા નથી.’ રવીન્દ્રનાથે વિદેશી ભાષાના માધ્યમથી ઉદ્દભવતા જોખમ અંગે કહ્યું છે કે, ‘તેનું પોષણ ભલે થતું હોય, પરંતુ તે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના ભોગે થાય છે. વિદ્યાકીય સફળતા વિદ્યાર્થીની ગોખવાની શક્તિ ઉપર અવલંબે છે. વિદ્યાર્થીની વિચારશક્તિ, પોતાની માન્યતા અંગેની હિંમત તેમ જ સર્જક પ્રેરણા – આ બધું જ નબળું થઈ જાય છે.’ એટલે કે વિદ્યાર્થીની મૌલિકતા અને સર્જનાત્મકતા જાળવવી હોય તો દસ ધોરણ સુધી માધ્યમ માતૃભાષા હોય અને બારમા ધોરણમાં અનિવાર્યપણે એક પેપર ગુજરાતીનું હોય અને તેના માર્ક્સ કુલ ટકાવારીમાં ગણાતા હોય તેવી રચના થાય તો ગુજરાતી પ્રજા ગમે તેમ કરીને ગુજરાતી સક્ષમ કરવા ઉપર ધ્યાન આપશે.

(4) આજે અંગ્રેજી માધ્યમની મોટા ભાગની શાળાઓમાં અંગ્રેજી કંગાળ પદ્ધતિએ ભણાવાય છે. અન્ય શાળાઓમાં સ્થિતિ ચિંતાજનક છે. સરકારી શાળાઓમાં સ્થિતિ ભયાનક છે. કેવળ અંગ્રેજી જ નહિ, માતૃભાષા ગુજરાતીની સ્થિતિ પણ બદતર છે. એટલે તો ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં સવા બે લાખ વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં અનુત્તીર્ણ થયા હતા. કારણ કે ગુજરાતી બોલતા હોઈએ એટલે ભાષા આવડી જાય એવો ભ્રામક ખ્યાલ છે. વળી કોઈ પણ વિષયમાં સરપ્લસ થનાર અને પી. ટી. શિક્ષકને ગુજરાતી ભણાવવાનું સોંપાય છે. એવી શિક્ષક સંખ્યા 45 ટકાથી વધારે છે. શું આવા શિક્ષકોને ગણિત કે વિજ્ઞાન ભણાવવાનું સોંપાયું હોત ખરું ? બોર્ડ અને શિક્ષણ વિભાગ આ અંગે કેમ જાગૃત નથી એ પ્રશ્ન છે. માત્ર માતૃભાષાદિન ઊજવવાથી આ પ્રશ્ન નહિ ઉકલે. જો તમામ અધિકારો તંત્ર હાથમાં રાખતું હોય તો આ બાબતની સુધારણા તંત્રે સૌથી પહેલાં કરવી જોઈએ.

(5) આજે અંગ્રેજી રેઢિયાળ રીતે ભણાવાય છે. એમાંથી અંગ્રેજી માધ્યમ આવ્યું છે. જો એક વિષય તરીકે અંગ્રેજી ઉત્તમ રીતે શીખવાય તો અંગ્રેજી માધ્યમની જરૂર જ ન રહે. વલ્લભવિદ્યાનગરની એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇંગ્લિશે આ અંગેની કાર્યયોજના બનાવી છે. તેમાં પ્રાથમિક શિક્ષણને અંતે અંગ્રેજી માધ્યમમાં ભણેલા અને ગુજરાતી માધ્યમમાં ભણેલાની અંગ્રેજી વિષયની ક્ષમતા સમાન હશે, એટલી ક્ષમતા વિકસી હશે તેવું આયોજનપૂર્વક કહેવાયું છે. આપણે એ દિશા તરફ ધ્યાન આપવાની જરૂર છે.

(6) આજે શિક્ષક તાલીમ અધૂરી, વિકૃત અને ઉપરછલ્લી થઈ ગઈ છે તે ગંભીર મુદ્દા તરફ આપણું કે તંત્રનું ધ્યાન જતું નથી. ગુજરાતમાં 75 જેટલી બી.એડ. કૉલેજો હતી. થોડાં વર્ષોમાં 482 થઈ ગઈ. પછી સેલ્ફ ફાઇનાન્સ બી.એડ. કૉલેજો થઈ. આમાં કેટલાકને આર્થિક લાભ થયો, પણ ધોરણો તૂટતાં ગયાં. આજે એવી બી. એડ. કૉલેજો છે જેમાં વિદ્યાર્થી એક દિવસ પણ કોલેજમાં ન ગયો હોય, (એ માટેની ઠરાવેલી રકમ ભરી દીધી હોય) તો પણ એને પદવી મળી જાય છે. એવી રીતે ભણેલો શિક્ષક વર્ગખંડમાં જઈને શું કરશે ? તો નવી પેઢી કેવી કેળવાશે ? આ આખા સમાજનો ગંભીર પ્રશ્ન છે.

આપણી મુખ્ય જરૂરિયાત શિક્ષક તાલીમનો પુનર્વિચાર કરવાની છે. શિક્ષકોની સજ્જતા અને નિષ્ઠા વધે તેવું આયોજન જરૂરી છે. વળી ભાષાના શિક્ષકની કામગીરી, અસરકારકતા અને સજ્જતા વિશેષ હોવી જોઈએ તેનો સ્વીકાર કરવાની જરૂર છે. આપણી યુનિવર્સિટીઓ પણ આમાં નબળી પુરવાર થઈ છે. આપણા ભાષાશિક્ષકો મનુષ્યના ભાવકોષને સમૃદ્ધ કરવામાં ભાષા અને સાહિત્ય શો ફાળો આપે છે એ અંગે સ્પષ્ટ અને સાવધ હોવા જોઈએ. એની ઉપેક્ષાને કારણે આજના કોયડા સર્જાયા છે.

(7) એ આપણી મુગ્ધ ભ્રમણા છે કે અંગ્રેજી આવડવાથી આપણાં બાળકો જીવનમાં સફળ થઈ જશે. અંગ્રેજી તો એક વાહન છે. એ થોડી ગતિ વધારી શકે, એટલું જ. આજના વૈશ્વિક વ્યાપાર વ્યવહારને જોતાં હવે વિદ્યાર્થીએ માત્ર અંગ્રેજી નહિ, ચીની-જાપાની-જર્મન કે રશિયન ભાષા શીખવાની જરૂરિયાત ઊભી થવાની. જો માતૃભાષાનો પાયો પાકો હશે તો વિશ્વની અન્ય ભાષાઓ પણ બાળકો સહેલાઈથી શીખી શકશે. વિશ્વમાં જ્યાં જ્યાં જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ થયો છે ત્યાં બાળકો માતૃભાષામાં જ શીખે છે. એટલે ખરી જરૂરિયાત માતૃભાષાનું શિક્ષણ ઉત્તમ રીતે અને હેતુપૂર્ણ રીતે અપાય તે છે. એ માટે કોલેજમાં પ્રથમ વર્ષથી બી.એડ. સુધી ગુજરાતી ભણેલો શિક્ષક હોય એ પ્રાથમિક જરૂરિયાત છે.

ગુજરાતી પ્રજાની તાસીર જોતાં જો નોકરી, અભ્યાસ કે કામમાં ઉપયોગી હોય તો કોઈ પણ વસ્તુ કે પ્રક્રિયા સ્વીકારે છે. માતૃભાષાનું અને બાળકના ઘડતરનું મહત્વ પણ આ બાબતની પ્રતીતિ કરાવનારું હશે તો પ્રજા જરૂર સ્વીકારશે. એ દિશામાં આગળ વધવાનું કાર્ય પ્રજાકીય ઘડતરની સંસ્થાઓ, શાળા-મહાશાળા અને યુનિવર્સિટીઓ, સાહિત્યિક સંસ્થાઓ, પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ, પાઠ્યપુસ્તક મંડળ, શિક્ષક સંઘો અને નીતિનિર્ણાયકોએ પોતપોતાની કક્ષાએ અને કેટલીક બાબતમાં સંયુક્ત રીતે કરવું પડશે.

આટલી ચર્ચાથી એ સ્પષ્ટ થાય છે કે આ કેવળ માધ્યમ કે માતૃભાષા સુધીનો પ્રશ્ન નથી, પરંતુ પ્રજાના સાંસ્કૃતિક ઘડતરનો મહત્ત્વનો મુદ્દો છે. એટલે એની સાથે સંકળાયેલા મુદ્દાઓ સ્વાયત્તતા, તંત્રગત વાજબી મોકળાશ, નિર્ણયપ્રક્રિયામાં ભાગીદારી, વાલીજાગૃતિ, વાંચનપ્રીતિ જગાડનારા કાર્યક્રમો, ઉત્તમ કૃતિઓ એકાધિક માધ્યમથી (ઓનલાઇન કૃતિ વાંચન શક્ય બનાવવું) વાંચી માણી શકાય તેવી સુવિધાઓ, શિક્ષકની તાલીમ અને કેળવણી અંગે વ્યાપક પ્રજાકીય જાગૃતિ એમ અનેક મોરચે એક સાથે પ્રયત્ન કરશું તો આપણા આ ગંભીર સાંસ્કૃિતક સંકટમાંથી બહાર આવી શકશું.

[ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં આપેલું વિભાગીય અધ્યક્ષીય વક્તવ્ય, ભુજ, તા .27/12/2015]

Loading

રાષ્ટ્રવાદ પુનર્વિધાન માગે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 January 2016

‘ચાય પે ચર્ચા’ની નાટ્યાત્મક (અલબત્ત, થવી જોઈતી) મોદી પહેલ સાથે એક પા રામ માધવની અલ જજીરા મુલાકાત તો બીજી પા પઠાણકોટની આતંકવાદી ઘટના, શું કહેવું આ જુગલબંદીને મિશે અને વિશે.

‘અખંડ ભારત’ની સંઘ પરિવારની પરિકલ્પના(દાયકાઓના દાયકાઓની સંકલ્પના)માંથી ડોકાતો ‘બિગ બ્રધર’વાદ પાકિસ્તાનને પક્ષે સતત ફરિયાદની બાબત રહી છે. ઉલટ પક્ષે, કાશ્મીરમાં લશ્કરી સામેલગીરી સાથે કબાઈલી સંડોવણીને પગલે આ ઉપખંડમાં પાકિસ્તાનનું લોક્સ સ્ટૅન્ડાઈ કે’દીનું સવાલિયા દાયરામાં મુકાયેલું છે. બાંગલાદેશની ઘટનાએ જો એક રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનના વજૂદને પડકાર્યું છે તો હિંદુ અગર મુસ્લિમ હોવાને ધોરણે દ્વિરાષ્ટ્રવાદના સંપ્રદાયને પણ પડકાર્યો છે. પાકિસ્તાનમાં આવા એક સમગ્ર ચિત્રની દૃષ્ટિએ જો પુનર્વિચાર આવશ્યક છે તો રાષ્ટ્રની હિંદુ વ્યાખ્યા સાથે કથિત અખંડ ભારતના દ્વિભાજનવિભાજનની જે પરિસ્થિતિ સરજાઈ તેમાં પણ સંઘ પરિવારની સંકલ્પનાને નવેસરથી તળેઉપર તપાસવાની તાકીદ પડેલી છે.

વસ્તુતઃ સંઘ પરિવારની, ખાસ કરીને એની પક્ષીય પાંખરૂપ જનસંઘ અને ભાજપની તવારીખમાં કંઈ નહીં તો એવા ત્રણ સંકેતો ખસૂસ પડેલા છે જ્યારે અખંડ ભારત સંપ્રદાય પરત્વે પુનર્વિચારનો સ્વીકાર થયેલો હોય. અલબત્ત, ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ (ગોળવલકર) અને ‘હિંદુત્વ’ (સાવરકર) પ્રકારના વૈચારિક અખાડા અને નિંભાડામાં ઉછરેલ કવાયતી માનસને સારુ આ પ્રક્રિયા કાં તો ઊંધે ઘડે પાણી જેવી અગર તો પાકે ઘડે કાંઠા ચડાવવા જેવી બની રહી છે.

રહો, પહેલાં પેલા ત્રણ સંકેતોની નોંધ, જરી ઉતાવળે. ૧૯૬૪-૬૫માં રામ મનોહર લોહિયા અને દીનદયાલ ઉપાધ્યાયે એક સંયુક્ત નિવેદન પ્રસારિત કરીને ભારત-પાક અર્ધસમવાય (કોન્ફેડરેશન)ની હિમાયત કરી હતી. પાકિસ્તાનને ગળી જઈ શકતા કે પૂર્વ બંગાળ (બાંગલાદેશ) જેવો સાંસ્થાનિક અનુભવ આપી શકતા ભારત નામે ‘બિગ બ્રધર’ને બદલે ૧૯૪૭માં અસ્તિત્વમાં આવેલા બે સ્વતંત્ર દેશો એકબીજાના રાજકીય અસ્તિત્વના સમાદરપૂર્વક સાથે હોઈ શકે એવું અને છતાં ઉપખંડને જોડતું આ સૂચન હતું. સ્થાપના સમયથી આશરે દોઢ દાયકા સુધી વારે વારે ‘અખંડ ભારત’ દોહરાવતા જનસંઘમાં પુનર્વિચારની સહેજસાજ પણ આ પહેલ હતી.

બીજો સંકેત ૧૯૯૯માં લાહોરની બસ પહેલ સાથે વડાપ્રધાન વાજપેયીએ આપ્યો હતો, ‘મિનારે પાકિસ્તાન’ની સત્તાવાર મુલાકાત લઈને. મુસ્લિમ લીગે ૧૯૪૦માં પાકિસ્તાનનો ઠરાવ કર્યો એ સ્થળે રચાયેલો આ કીર્તિમિનાર છે. મતલબ, સ્વતંત્ર ભારત સ્વતંત્ર પાકિસ્તાનનો લિહાજ કરે છે એ મતલબનું જવાહરલાલ નેહરુ હસ્તક હોઈ શકે એવું આશ્વાસનકારી અભયવચન આપવાની હિંમતભરી પહેલ સંઘ પરિવારી વાજપેયીએ કરી હતી.

ત્રીજો સંકેત, હમણાં જેમનું નિધન થયું અને દારા શિકોહની સ્મૃિત સાથે સંકળાયેલા ઉદ્યાનમાં દફન થયું તે મુફતી મોહમ્મદ સઈદ (પીડીપી) સાથે ભાજપે કાશ્મીરમાં રચેલી સંયુક્ત સરકાર વાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં ચૂંટણી પરિણામોની કોમી ધ્રુવીકૃત તાસીર (જમ્મુમાં ભાજપ અને કાશ્મીર ખીણમાં પીડીપી)ને સુલઝાવતી આ સમજૂતી હતી. નેશનલ કૉન્ફરન્સને મુકાબલે અલગતાવાદીઓ સાથે કંઈક ખુલ્લાપણાથી જઈ શકતા મુફતી મોહમ્મદ સઈદ જોડે જોડાણ કરવા પૂંઠે સત્તાધક્કા ઉપરાંત પુનર્વિચારની અનિવાર્યતા નથી તેમ કહી શકાતું નથી.

નહીં કે પાકિસ્તાનને પક્ષે કસુર નથી. નહીં કે પાકિસ્તાન કથિત ‘નૉનસ્ટેટ ઍક્ટર્સ’ને લાંબો વખત પોષ્યા અને કેટલોક વખત સાંખ્યા પછી હવે પુનર્વિચારની કશ્મકશમાં નથી. નહીં કે મજહબી રાષ્ટ્રવાદ વિ. બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદના મુદ્દે ત્યાં ૧૯૪૭ને મુકાબલે જુદેસર વિચારવલણો નથી. ઉલટ પક્ષે, ભારતમાં આજે સત્તારૂઢ વિચારધારાએ, ખાસ કરીને એના અખાડા અને નિંભાડામાં પાકેલા કવાયતી જમાવડાએ પણ નવેસર વિચારવાની તાકીદ એટલી જ સાફ છે.

ભારત સરકારે પાકિસ્તાન તરફથી થતી હરકતો બાબતે શુચિર્દક્ષ પ્રતિભાવ બેલાશક આપવો રહેશે, જેમ કોઈ પણ સરકારે બીજી સરકાર પરત્વે સતર્ક ને સાવધ રહેવાપણું છે. પણ ચક્રવર્તી સમ્રાટ પરંપરામાં રાજ્યની વિસ્તરતી હદો (સાંસ્કૃિતકને નામે રાજનૈતિક લેબેનસ્રોમ) એ એક જીર્ણમતિ અને પ્રતિગામી એટલી જ વિપરીતપરિણામી સંકલ્પના છે. દુનિયાભરમાં આવનજાવન, વસનપુનર્વસન અને ડાયસ્પોરા-દ્વિનાગરિકતા દોર વચ્ચે જૂના રાષ્ટ્રવાદે હવે વિશ્વમાનવતાના વ્યાપક સંદર્ભમાં બંધારણીય રાષ્ટ્રવાદરૂપે એક લચીલું રૂપ લેવું રહેશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 01-02 & 19

Loading

‘જે દેશમાં બંદૂકની બૅરેલથી ચર્ચા બંધ કરાવવામાં આવે છે, તે દેશનું ભાવિ અંધકારમય છે.’

ભીખુ પારેખ અને અનુજકુમાર|Opinion - Opinion|19 January 2016

ભારતનો એક દેશ તરીકે ‘જાહેર ચર્ચા’(પબ્લિક ડિબેટ્સ)નો ગૌરવમય, ભવ્ય વારસો હતો. આધુનિક ભારતમાં કેમ જ્ઞાન આધારિત વિચારભેદ, મતભેદ (વૉઇસ ઑફ ડિસેન્ટ) માટેની જાહેરચર્ચાની જગ્યા, અવકાશ (સ્પેસ) સતત સંકોચાતાં જાય છે?

આશરે એક દાયકા પહેલાં નોબેલ પ્રાઇઝ વિજેતા અમર્ત્ય સેને  ‘ધી આર્ગ્યુમેન્ટટિવ ઇન્ડિયન’ નામના પોતાના જગપ્રસિદ્ધ પુસ્તકમાં લખ્યું હતું કે દેશની ધર્મનિરપેક્ષ (સેક્યુલર ડેમોક્રસી) લોકશાહીને બચાવવા માટે જુદાજુદા વિચારો ઉપરનો બૌદ્ધિક વિવાદ ખૂબ જ અનિવાર્ય છે. આ મુદ્દે પ્રો. સેને ખૂબ જ મુશ્કેલ અને જટિલ પ્રવાહોને સવિસ્તાર વૃત્તાંત સાથે અસરકારક રીતે પોતાના પુસ્તકમાં રજૂ કર્યા હતા.

શું આજે આ ભારતીય ખોવાઈ ગયેલો દેખાય છે? હા, કદાચ તે પહેલાં જેવો પોતાના વિચારો વ્યક્ત કરવામાં અસરકારક નહીં હોય! પરંતુ હું જાણું છું કે હજુ તે આ મુદ્દે સક્રિય છે અને ભારતદેશની આ પ્રણાલિકાને જીવંત રાખવા તે પોતાનાથી જે યથાર્થ છે, તે કરી રહ્યો છે. સને ૨૦૦૫માં દેશના વડાપ્રધાન તરીકે એક શીખ ચૂંટાઈ આવ્યા હતા અને તે સમયે દેશના રાષ્ટ્રપ્રમુખ મુસ્લિમ હતા. તે સમયે નીતિશકુમારે બિહારની ચૂંટણીમાં લાલુપ્રસાદ યાદવને હરાવ્યા હતા (સને ૨૦૧૫માં બંનેએ ભેગા થઈને ભાજપને જબ્બરજસ્ત હાર પણ આપી છે.) તે સમયે અર્ણબ ગોસ્વામી રાષ્ટ્રીય ટેલિવિઝનના પડદે એક અસરકારક પરિબળ તરીકે ઊભરી આવ્યા ન હતા અને ઓસામા બિન લાદેન જીવિત હતો, પરંતુ ભારતીય સમાજને કોઈ બાહ્ય પરિબળોનો ભય ન હતો. પણ સને ૨૦૧૫-૧૬માં આ બધું બિલકુલ જુદું થઈ ગયું છે. વૈચારિક મતભેદ માટે રાષ્ટ્રીય કક્ષાએ જે ખુલ્લાપણાનો અવકાશ કે મોકળાશ હતી તે ખૂબ જ ઝડપથી સંકોચાઈ જવા માંડ્યા છે. બીજી બાજુએ ISIS જેવી ઇસ્લામિક ધર્માંધ સંસ્થાના ત્રાસવાદીઓ દેશની સરહદો પર ટકોરા મારી રહ્યા છે.

આવા સંજોગોમાં ‘હિન્દુ’ દૈનિકના પ્રતિનિધિ અનુજકુમાર ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના લેખક પ્રો. ભીખુ પારેખના રાજકીય વિચારો સમજવાનો પ્રયત્ન કરે છે.

દિલ્હીની ડિસેમ્બર માસની સવારની કડકડતી ઠંડીમાં તેમણે પ્રો. પારેખ સાથે ચર્ચા કરવા માંડી.

મારું આ પુસ્તક પ્રો. સેનના ‘ધી આર્ગ્યુમેન્ટટિવ ઇન્ડિયન’ કરતાં ઘણી બધી દૃષ્ટિએ ભિન્ન છે. સેનના મત પ્રમાણે બધા જ ભારતીયો એક સમૂહ તરીકે છુટા ના પાડી શકાય તેવા‘હમૉજિનાઇઝ’ છે. હું પ્રો. સેનના તે અભિપ્રાયથી બિલકુલ મુક્ત થઈ જવા માંગુ છું (ગેટ અવે ફ્રોમ ઇટ). હું  દેશના પ્રજાજન ભારતીય વિશે ચર્ચા કરવા માંગતો નથી પણ ભારતની એક દેશ તરીકે ચર્ચા કરવા માંગું છું. પ્રો સેનનું તારણ છે કે સમગ્ર ભારતીય પ્રણાલીઓ કે પરંપરાઓ મુક્ત મનથી છલોછલ વાદવિવાદના વારસાથી ભરેલી છે. આ સંદર્ભમાં મારો વિવાદનો મુદ્દો એ છે કે જ્યાં સુધી આપણી ચર્ચા ધાર્મિક અને જ્ઞાનમીમાંસા (ઇપિસ્ટોમોલૉજિકલ) વિષયક હશે ત્યાં સુધી આપણે બધા તે અંગેની ચર્ચાઓમાં મૌલિક, ધરમૂળથી સુધારાની તરફેણ કરનારા, કે હિમાયતી બની જઈએ છીએ, પણ જ્યારે આ દેશની દુખતી નસ જેવા સામાજિક ને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની હોય છે, ત્યારે ઉગ્ર, મૌલિક સુધારાવાદીને બદલે ડરપોક તથા ‘જૈસે થે વાદી’ બની જતા હોઈએ છીએ. આપણી ચર્ચામાં એવો પ્રશ્ન ક્યારે ય પેદા થતો નથી કે શા માટે આપણામાંથી કેટલાક લોકો ગરીબ છે? શા માટે આપણામાંથી કેટલાક લોકો દલિત છે?

પછી પ્રો. પારેખ, પોતાના સમર્થનની દલીલમાં બાબાસાહેબ આંબેડકરના આ વાક્યનો સંદર્ભ આપે છે, “How come no Hindu felt morally angry and outraged at the practice of untouchablity”. ‘શા માટે કેમ કોઈ હિંદુને, પોતાના સમાજમાં પ્રવર્તમાન અછૂતપ્રથા સામે નૈતિક અને વાસ્તવિક રીતે આક્રોશ થતો નથી?’ શા માટે તે બધાને આ પ્રથા અમાનવીય અને ગૌરવહીન દેખાતી અને અનુભવાતી નથી? મેં મારા આ પુસ્તકમાં એ સાબિત કરવાની કોશિશ કરી છે કે આ દેશની એક પ્રણાલી ખૂબ જ પરિવર્તનશીલ અને મૂળભૂત રીતે ક્રાંતિકારી દેખાય છે, જ્યારે તે જ દેશમાં બીજી સામાજિક કે રાજકીય પ્રણાલીઓ સામે રૂઢિચુસ્ત, અપરિવર્તનશીલ અને પ્રત્યાઘાતી વલણો જોવા મળે છે.

અમર્ત્ય સેન સાથે પ્રો. ભીખુભાઈ એક બીજા મુદ્દા પર પણ સંમત નથી. ‘ભારતમાં મુક્ત વાદવિવાદની પરંપરા છે.’ વિશ્વના કોઈ દેશમાં અસ્તિત્વ ના ધરાવતી હોય તેવી અગત્યની જાહેર વાદવિવાદની પ્રથા (ટ્રેડિશન ઑફ પબ્લિક ડિબેટ) આપણા દેશમાં છે. આપણે ત્યાં જાહેરમંચ (પબ્લિક સ્પેક્ટકલ) ઉપરથી હજારો લોકો સામે બે કે તેથી વધારે વ્યક્તિઓ સમાજને સ્પર્શતા પ્રશ્નો અંગે બિલકુલ શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરે એ પ્રણાલી છે. તેઓનો અભિગમ ભારતની આ વિશિષ્ટ ચર્ચાપ્રણાલી વિચારને સમજાવાનો છે. તમે કલ્પના કરી શકો છો ખરા કે ખ્રિસ્તી પાદરીઓ અને હિંદુ પંડિતો સાથે એક મંચ પરથી ચર્ચા થઈ શકે? આ ચર્ચા તે જમાનામાં બનારસના મહારાજાના પ્રમુખપણામાં બનારસ મુકામે (કાશીમાં) યોજાઈ હતી. મહારાજાએ આ ચર્ચામાં પ્રથમ પ્રશ્ન ખ્રિસ્તી ધર્મગુરુઓને પૂછવાનો કહ્યો હતો. “The Maharaja asks the missionaries to fire the first question.” અને તે ચર્ચા વિનાવિઘ્ને ત્રણ અઠવાડિયાં સુધી ચાલી હતી.

ગમે તે કારણોસર આવી જાહેર ચર્ચાઓનાં સદ્દગુણો અને ફળ સામાન્ય પ્રજાજનોના બૌદ્ધિક સ્તરો સુધી ઝમણ (પરકોલેટ) થઈને પહોંચ્યાં નથી. આ દેશમાં જ્યારે ગાંધીજી રાષ્ટ્રીય સ્તર પર કેન્દ્રસ્થાને હતા ત્યારે તેઓએ આવા પ્રજાલક્ષી જાહેર પ્રશ્નો ઉપર ચર્ચાઓ કરી હતી. પોતાની દૃષ્ટિએ જાહેર હિતમાં હાનિકારક માન્યતાઓને પડકારી હતી અને પોતાના અભિપ્રાય મુજબના લભ્યપ્રચારનાં સંસાધનોનો ઉપયોગ કરીને કેળવણી આપીને પ્રજામત તૈયાર કર્યો હતો. પ્રો. પારેખે જે પાંચ રાષ્ટ્રીય ચર્ચાઓમાં ગાંધીજી કેન્દ્રસ્થાને હતા, તેની યાદી જણાવી હતી. (૧) ગાંધીજી અને સાવરકર (૨) ગાંધીજી અને આધુનિક વિચારના સમર્થકો (મૉડર્નિસ્ટ) (૩) ગાંધીજી અને હિંસાથી ક્રાંતિ કરીને બ્રિટિશ હકૂમતને ઉથલાવનારાઓ (૪) ગાંધીજી અને ટાગોર (૫) ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર. આ બધા ગાંધીજી સામેના વિચારો ભલે જુદી-જુદી વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, તેમ છતાં તે દરેક વિચારની પાછળ લોકમાન્યતાઓનું પીઠબળ હતું.

ગાંધીજી અને ટાગોર વચ્ચેની ડિબેટનો મુદ્દો વિદેશી કાપડની હોળી કરવા વિશેનો હતો. લોકો આ ચર્ચામાં કોણ જીતશે, તેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હતા. કોણ નવી દલીલ લઈને આવશે, તેની ખૂબ જ ઇંતેજારી પ્રજામાં હતી.

ટાગોરે ગાંધીજીને કહ્યું હતું કે તમે પરદેશી કાપડોની હોળી કરો છો. શું આવી સુંદર સાડીઓની હોળી કરવાની તમને ઠીક લાગે છે? તેને બદલે તે બધી સાડીઓ ગરીબોની અંદર વહેંચી આપોને.

ગાંધીજીએ જવાબ આપ્યો કે શું તમને આવી દલીલ વાજબી લાગે છે? તમને માહિતી છે ખરી કે આવી સાડીઓની દેખરેખ રાખવાં માટેનાં સાધનો તે બધી ગરીબ સ્ત્રીઓ પાસે છે? ખરેખર તો આવી સાડી તે ગરીબોને આપવી તે જ ગરીબોનાં અપમાન સમાન છે.

આવી ચર્ચાએ આઝાદીના સંગ્રામનો પ્રજામત ઘડીને લોકોને સર્વસ્વનો ત્યાગ આપવા તૈયાર કરી હતી. આઝાદી પછી દેશની સંસદના ડિબેટે સરકારી અને સામાન્ય સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેનાથી સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર પ્રજામત ઘડાતો અને વિકસતો બંધ થઈ ગયો છે. સંસદીય ચર્ચાઓનો સ્તર ક્રમશ : ઝડપથી ઉતરતો જાય છે. (વધારે દુઃખદ બાબત તો એ છે કે રાજ્યના મુખ્ય પ્રધાન કે દેશના વડાપ્રધાન ચાલુ વિધાનસભાએ કે ચાલુ સસંદે સમજપૂર્વક ગેરહાજર રહીને આ બંને સંસ્થાઓની ગરિમાને હાની પહોંચાડે છે. આવી સંસ્થાઓની પ્રસ્તુતતાઓને અપ્રસ્તુત બનાવે છે. – ભાવાનુવાદક) સને ૧૯૭૦ પછી આપણા આ મહામૂલા વાદવિવાદ-સંવાદ દ્વારા લોકશિક્ષણનો વારસો ઝડપથી ઘસાતો ગયો. લોકચર્ચા માટે આપણી સમક્ષ પ્રજા તરીકે રાષ્ટ્રવ્યાપી મોટી ચર્ચાના મુદ્દાઓ હોવા જોઈએ. જે મુદ્દાઓ ઉપર મહત્ત્વના પ્રામાણિક અને સૈદ્ધાંતિક મતભેદો હોવા જરૂરી છે. આવા જાહેર મુદ્દાઓને પ્રજા સમક્ષ જ્ઞાન આધારિત રજૂ કરનારા શક્તિશાળી સાક્ષરો હોવા જોઈએ, જે આવા મુદ્દાઓને લોકભોગ્ય ભાષાઓમાં સહેલાં અને યાદગાર સૂત્રો બનાવીને દેશની પ્રજા સમક્ષ પ્રજામત કેળવવા મૂકી શકે. આ બધાં હકારાત્મક ડિબેટ્સનાં પરિબળો સખત પ્રમાણમાં રાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષાએ ઘટી ગયાં છે. નરેન્દ્ર મોદી જેવા કુશળ વક્તાઓ છે, પણ જ્ઞાન આધારિત વાસ્તવિક વાદવિવાદ કરનારા જૂજ હશે. મોદી મોટી જનમેદની સમક્ષ લોકરંજક આવેશયુક્ત ભાષણ કરી શકે છે, પણ શું તે સામસામા બેસીને ઠંડેચિત્તે જ્ઞાનઆધારિત વાદવિવાદ કે ચર્ચા કરી શકે?  (‘There are orators like Narendra Modi but very few debaters. He can harabgue a crowd, but can he debate ?’ he muses.)

હવે આ એવો સમય પેદા થઈ ગયો, જે સમયે હિંદુત્વ આધારિત ઓળખે પોતાનું રાષ્ટ્રવ્યાપી કાઠું કાઢવાની પ્રક્રિયાને ગતિશીલ બનાવી. પ્રો.પારેખના મંતવ્ય પ્રમાણે તે માટે કેટલાક અંશે જવાહરલાલ નેહરુ જવાબદાર હતા. “નેહરુએ કહ્યું હતું કે ભારતે વૈશ્વિક કે અન્ય કક્ષાએ પોતાની છાપ પેદા કરવી હશે, તો તેણે તેના ભૂતકાળ સાથે જોડાયેલા નાભિ-નાતાનો સંબંધ કાપી નાંખવો પડશે.”

ભૂતકાળે તો આપણને મારી નાંખ્યા છે. બ્રિટનના એક સમયનાં વડાંપ્રધાન શ્રીમતી થેચરની માફક નેહરુજીએ દેશને વૈચારિક રીતે એવો ‘હાઇજેક’ કરી લીધો હતો કે જાણે દેશ સમક્ષ નેહરુજીના બૌદ્ધિક તારણ સિવાય બીજો કોઈ સુલભ વિકલ્પ ઉપલબ્ધ જ નથી. નેહરુજીના અવસાનનાં ૨૦ વર્ષ પસાર થઈ ગયા પછી આપણી પાસે સૂત્ર આવ્યું કે “ગર્વસે કહો હમ હિંદુ હૈં”. આ સંદર્ભમાં મને વિચાર આવે છે કે જે દેશની ૮૫ ટકા પ્રજા હિંદુ છે, તેને એમ ઠસાવવાની કોશિશ કરવામાં આવે કે તને હિંદુ હોવાનું ગૌરવ હોવું જોઈએ. તે સ્થિતિ બહુમતી પ્રજા માટે દયનીય કહેવાય. કારણ કે નેહરુજીના જમાનામાં સાચી કે ખોટી રીતે એવી છાપ પેદા કરવામાં આવી કે હિંદુઓને બહુમતી પ્રજા તરીકે પોતાના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.

અસહિષ્ણુતાના મુદ્દાના સંદર્ભમાં ચર્ચા કરતાં પ્રો. પારેખનું મંતવ્ય છે કે જો આપણે આપણી રાષ્ટ્રીય ઓળખનાં પ્રતીકો અથવા સંકેત ચિહ્નો (ધી સિમ્બોલ્સ ઑફ અવર નેશનલ આઇડેન્ટિટી) તરફ એક નજર નાંખીશું, તો ખબર પડશે કે તે બધામાંથી ૮૦થી ૯૦ ટકા પ્રતીકો હિંદુ અથવા બૌદ્ધ છે. “શું તે દેશના હિંદુ ચહેરાની ઓળખ નથી, તો બીજું શું છે?” આમ, દેશની પ્રતિકાત્મક ઓળખ હિંદુ કે બૌદ્ધધર્મ આધારિત બનાવ્યા પછી નેહરુજીનું કહેવું હતું કે અમે દેશની લઘુમતીમાં જ્યાં સુધી તે સુધારા માટે તૈયાર ન હોય ત્યાં સુધી તેને અડકીશું નહીં કે તેમાં કોઈ ફેરફાર સૂચવીશું નહીં. પરંતુ તે હિંદુ બહુમતીના સંદર્ભમાં ફેરફાર માટે હિંદુકોડ બિલ લઈને આવ્યા. તેથી કેટલાક હિંદુ આગેવાનોએ અનુભવ્યું કે પંડિતજીના ભારતમાં હિંદુઓ માટે કોઈ મહત્ત્વનું સ્થાન કે ભૂમિકા નથી. ખરેખર તો તે બધા નેહરુજીને સમજ્યા નહીં અથવા જે નેહરુજી કરવા માંગતા હતા, તે અંગે આ બધા હિંદુ અગ્રણીઓનાં મનમાં મોટી ગેરસમજ પેદા થઈ. નેહરુજીના પક્ષે એ સમજવાની જરૂર હતી કે છેલ્લાં બે હજાર વર્ષ કરતાં વધારે સમયથી હિંદુઓ આ દેશમાં બહુમતી પ્રજા હોવા છતાં ગૌરવહીન (હ્યુમિલિયેટેડ) દશામાં જીવતી આવી છે. તેને બદલે હિંદુઓને કોમવાદી તરીકે ઓળખાવ્યા.

મારા મત મુજબ ‘ગર્વસે કહો હમ હિન્દુ હૈ’ સૂત્રની પાછળનો આ પૂર્વાપર સંદર્ભ છે. પણ તેઓનું સ્પષ્ટ મંતવ્ય છે કે આવા હિંદુઓની ગૌરવહીનતાનો ભારપૂર્વક કે નિશ્ચયપૂર્વકનો ખ્યાલ બિલકુલ ગેરસમજ પર આધારિત છે. ગણપતિનો દાખલો આપીને એમ સાબિત કરવા કોશિશ કરવી કે અમારે ત્યાં પ્રાચીનકાળમાં પ્લાસ્ટિક સર્જરીનું વિજ્ઞાન વિકસેલું હતું તે બિલકુલ વિવેકહીન હકીકત (ઍબ્સર્ડ) છે. હિંદુઓના માનબિંદુની ચળવળ આ રસ્તા ઉપર દોડશે, તો ટૂંક સમયમાં જ તે બેઆબરૂ થઈ જશે. હું એ વાત સમજી શકું છું કે જો તે બધા એમ કહેતા હોય કે ભારતની એક દેશ તરીકેના ભૂતકાળની નોંધ લેવાવી જોઈએ અથવા રામાયણ અને મહાભારત તે ફક્ત હિંદુગ્રંથો નથી, પણ સમગ્ર ભારતીયોના ગ્રંથો છે તે બધાની આવી આકાંક્ષાઓને હું સમજી શકું છું. તેના પર ચર્ચા કે વાદવિવાદ પણ થઈ શકે! પણ તેનાથી આગળ વધીને આ બધા કહે કે કોઈએ ગાયનું માંસ ન જ ખાવું જોઇએ, તે દલીલ અથવા હકીકત વિચારહીનતાની પરાકાષ્ઠા ગણાય.

ઇસ્લામ અંગે પ્રો. પારેખના વિચારો જાણતાં પહેલાં આપણે એ જાણવાની જરૂર છે કે તેઓએ બ્રિટનમાં બહુસંસ્કૃિતવાદ અને જાતીય સમાનતાના મુદ્દે (મલ્ટિકલ્ચરાઇઝમ ઍન્ડ રેસિયલ ઇનઇક્વાલિટી) ઘણાં કમિશનોના પ્રમુખ તરીકે કામ કર્યું છે. તેઓનું મંતવ્ય છે કે ઇસ્લામમાં હિંદુધર્મની માફક જાહેર ચર્ચા કરાવાની કોઈ પ્રણાલીઓ નથી અને વિકસી પણ ન હતી. તેઓએ પોતાના આ પુસ્તકમાં ગાંધીજી અને બિનલાદેન વચ્ચે કાલ્પનિક સંવાદ ઊભો કર્યો છે, જેમાં પ્રો. પારેખે બિનલાદેનને ભારતદેશની આઝાદીની ચળવળમાં ગાંધીજીના અંતિમવાદી મિત્રો (!) તરીકે સરખામણી કરી હતી. જાહેર સંવાદ કે વાદવિવાદને ઇસ્લામમાં ‘ઇત્તિહાદ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે માટેનાં બારણાં બંધ કરી દેવામાં આવ્યાં છે. ઘણા આ મુદ્દે એમ દલીલ કરે છે કે  ઇસ્લામમાં બૌદ્ધિક વાદવિવાદને સ્થાન છે પણ કોઈ સ્પષ્ટ રીતે જવાબ આપતું નથી કે વાદ-વિવાદનું કેટલું મહત્ત્વ ઇસ્લામમાં છે. ધાર્મિક પુસ્તકો તમને તમારો રસ્તો બતાવશે, પણ તેમનાં લખાણોથી  આગળ જતા ચોક્કસ અટકાવશે.

પ્રો. પારેખે ઇંગ્લૅંડ અને ભારતની વાદ વિવાદની વિકસેલ પ્રથાની સરખામણી કરતાં જણાવ્યું કે આપણા દેશના જે-તે સમયના નેતાઓએ આ સંવાદને કોમવાદી દિશામાં લઈ જવા માટે જવાબદાર ઠેરવ્યા છે. ઇંગ્લૅંડમાં વાદ વિવાદમાં કે ચર્ચામાં તમને સપાટી ઉપર મતભેદ દેખાય, પણ દેશને કઈ દિશામાં લઈ જવો છે તે મુદ્દે બધાની સહમતી હોય. તેથી ચર્ચા કરનારાઓ પોતાના આંતરિક મતમતાંતરોને દેશનું પાયાનું માળખું તૂટી જાય ત્યાં સુધી ન લઈ જાય, આપણે એવી સહસંમતિ વિકસાવવાની પ્રક્રિયાની તૈયાર કરી રહ્યા છે, પણ કરી નથી.

અંતમાં પારેખસાહેબની ચિંતા છે કે મતભેદ, અસંમતિ, સહિષ્ણુતા, વિવેક, વિનયસૌજન્ય એક પ્રકારની ગૃહસ્થાઈ (સિવિલિટી) જાણે ભારતીય સમાજમાંથી ક્રમશઃ લુપ્ત થતી હોય તેમ દેખાય છે. તેની નિશાનીઓ તો રોજબરોજના નાગરિકજીવનમાં દેખાય છે. સવા અબજની વસ્તીવાળા દેશમાં બે-ત્રણ બનાવો કાંઈ મોટી ચીજ નથી, પરંતુ આ બનાવો સ્થાનિક કે કોઈ પ્રસંગાનુસાર બન્યા હોય તેવા પણ નથી. પરંતુ આ બધા બનાવો દેશ જે હિંદુ માનસિકતામાં વલોવાઈ રહ્યો છે, તેના વજૂદવાળા, નજરઅંદાજ ન થઈ શકે તેવાં પ્રતીકો કે ચિહ્નો છે. કેટલીક વસ્તુઓની કે વિષયોની આ દેશમાં ચર્ચા જ ન થઈ શકે!  આવાં વલણોની શક્તિઓમાં સતત વધારો મને ખૂબ જ ચિંતા ઊપજાવે છે. જે રીતે પેલા ત્રણ રેશનાલિસ્ટોના ખૂનીઓએ બંદૂકની બુલેટથી તે બધાની ચર્ચાઓ કાયમ માટે બંધ કરાવી દીધી, તે ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.

જાહેરચર્ચાનું નવું સ્થળ

આ દિવસોમાં જાહેરચર્ચાઓ અને વાદ-વિવાદનું સ્થળ બદલાઇને ટેલીવિઝનનો સ્ટુડિયો બની ગયું છે. જ્યારે ટીવી-ઍન્કર પોતે જ ચર્ચાની શરૂઆત કરનારો હોય, ત્યારે ક્રિકેટની રમતમાં અમ્પાયર પોતે ખેલાડી બની જાય તેવી સ્થિતિ પેદા થાય છે. આ સંદર્ભમાં લોકસભા અને રાજ્યસભાનાં ટીવી-ડિબેટ્સ જુદાં તરી આવે છે.

(રજૂઆત : બીપીન શ્રોફ)

e.mail : profparekh@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 03-05

[ડિબેટિંગ ઇન્ડિયા − એસેઝ અૉન ઇન્ડિયન પોલિટિકલ ડિસકોર્સ : લેખક – પ્રૉફેસર ભીખુ પારેખ, અૉક્સફર્ડ યુનિવર્સિટી પબ્લિકેશન, ન્યૂ દિલ્હી]

તાજેતરમાં જ અૉક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા લૉર્ડ પ્રો. ભીખુભાઈ પારેખનું ‘ડિબેટિંગ ઇન્ડિયા’ નામનું 400 પાનનું દળદાર પુસ્તક અંગ્રેજીમાં બહાર પડેલ છે. ડિસેમ્બર, 2015માં ભીખુભાઈએ ન્યૂ દિલ્હી અને મદ્રાસથી પ્રકાશિત “હિન્દુ” [The Hindu] દૈનિકના પ્રતિનિધિ અનુજકુમારને ન્યૂ દિલ્હી મુકામે આપેલ ઇન્ટરવ્યૂમાં આ પુસ્તક અંગે જે વાતો કરી હતી, તેનો ભાવાનુવાદ અત્રે આપેલ છે. આ મૂળ લખાણની અંગ્રેજી કડી અહીં નીચે આપીએ છીએ : તંત્રી

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/closing-the-debate-with-a-bullet-is-sad/article8026812.ece

 

Loading

...102030...3,7133,7143,7153,716...3,7203,7303,740...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved