Opinion Magazine
Number of visits: 9552602
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Super Marketni Century : Graahakoni Aazaadine Konun Laagyun Grahan ?

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|14 September 2015

સુપરમાર્કેટની સેન્ચ્યુરી : ગ્રાહકોની 'આઝાદી'ને કોનું લાગ્યું ગ્રહણ?

આપણે ત્યાં મોલમાં મહાલનારા પોતે 'આધુનિક' હોવાનો ફાંકો રાખતા હોય એવા ઘણા મળી જશે. જો કે, આમાં એમનો ય વાંક ન કાઢી શકાય. મોલ અને સુપરમાર્કેટ આપણે ત્યાં હજુ હમણે આવ્યાં છે, બાકી અમેરિકા જેવા દેશોમાં તો તે એક સદી જૂની વાત છે. ૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ અમેરિકાના મેમ્ફીસ શહેરમાં 'પિગલી વિગલી' નામનું વિશ્વનું પહેલું સુપરમાર્કેટ શરૂ થયું હતું.

આજે આપણે જેને સુપરમાર્કેટ કે મોલ જેવાં નામોથી ઓળખીએ છીએ, તે ખરેખર તો એક સેલ્ફ-સર્વિંગ ગ્રોસરી સ્ટોર હતો. આ એવી દુકાન હતી, જ્યાં ગ્રાહક પોતાની મરજીથી મહાલીને ખરીદી કરી શકે છે. ગ્રાહક જાતે જ ગુણવત્તા અને કિંમત ચકાસીને વસ્તુની પસંદગી કરી શકે છે અને છેલ્લે કેશ કાઉન્ટર પર બિલ ચૂકવીને ખરીદી પૂર્ણ કરી શકે છે. અહીં ગ્રાહક અને વસ્તુઓ વચ્ચે કોઈ આવતું નથી. અહીં નથી હોતી કોઈ સેલ્સમેનની કચકચ કે દુકાનદારની ખોટી ટકટક. ગ્રાહકો અહીં પોતાની 'આઝાદી'નો અહેસાસ કરી શકે છે.

સેલ્ફ સર્વિંગ ગ્રોસરી સ્ટોરનો કોન્સેપ્ટ મૂળભૂત રીતે કોનો છે, એ અંગે વાદવિવાદ છે, પણ આ પ્રકારના સ્ટોરના કોન્સેપ્ટને સાકાર કરવાનું બહુમાન અમેરિકાના ક્લારેન્સ સોન્ડર્સને જાય છે. વળી, આ પ્રકારના સ્ટોર માટે ૧૯૧૭માં પેટન્ટ મેળવવામાં સફળ થનાર સોન્ડર્સને જ સુપરમાર્કેટના જનક માનવામાં આવે છે. દુકાન અને બજારના માળખામાં ધરમૂળથી ફેરફાર લાવનારા સોન્ડર્સનું જીવન રોલરકોસ્ટર રાઇડ જેવું હતું. વેપારી તરીકે અમેરિકામાં જબરદસ્ત નામના કમાનારા સોન્ડર્સ નિષ્ફળતાની નાગચૂડમાંથી પણ બાકાત રહી શક્યા નહોતા. સોન્ડર્સનો જીવ ખરા અર્થમાં સર્જનાત્મક વેપારીનો જીવ હતો. ૯ ઓગસ્ટ, ૧૮૮૧માં વર્જિનિયામાં જન્મનારા સોન્ડર્સે માત્ર ૧૪ વર્ષની વયે ભણવાનું છોડીને એક જનરલ સ્ટોરમાં ક્લાર્ક તરીકેની નોકરી શરૂ કરી હતી. માત્ર ૧૯ વર્ષની વયે હોલસેલ કરિયાણાની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ શરૂ કરેલું. ૧૯૦૨માં તેઓ મેમ્ફીસ શહેરમાં ગયા, જે શહેરમાં તેમણે પોતાનાં સપનાં સાકાર કરી બતાવ્યાં હતા. મેમ્ફીસમાં જ તેમણે દુનિયાનો પહેલો સેલ્ફ-સર્વિંગ કરિયાણા સ્ટોર શરૂ કર્યો, જેણે સુપરમાર્કેટના યુગનો પ્રારંભ કર્યો. દરેક ચીજવસ્તુ પર તેના ભાવની કાપલી, ચેકઆઉટ સ્ટેન્ડ અને ખરીદીની વસ્તુઓ રાખવા માટેનું શોપિંગ બાસ્કેટ, એ આ 'પિગલી વિગલી' સ્ટોરની ખાસિયત હતી. લોકોને અહીં મુક્ત મને ખરીદી કરવાની મજા પડવા લાગી હતી. એમાં ય હોલસેલ વેપારનો અનુભવ હોવાથી સોન્ડર્સ પોતાના સ્ટોરમાં ઓછી કિંમતે વસ્તુઓ વેચી શકતા હતા અને એને કારણે તેમના સ્ટોર્સ બહું ટૂંકા ગાળામાં લોકોથી ઉભરાવા માંડયા હતા.

એક જ વર્ષમાં સોન્ડર્સના આ નવતર સ્ટોરે એટલી લોકપ્રિયતા હાંસલ કરી કે અમેરિકાનાં ૪૦ રાજ્યોમાં 'પિગલી વિગલી'ના ૬૦૦ જેટલા સ્ટોર્સ ઊભા થઈ ગયા હતા. આ અસાધારણ સફળતાએ સોન્ડર્સને અધધ કમાણી કરાવી હતી. સોન્ડર્સે મેમ્ફીસમાં એક વિરાટ બંગલો બાંધવાનું કામ શરૂ કર્યું, જે પિંક પેલેસ તરીકે જાણીતો બનેલો, પણ કમનસીબે એનું કામ સોન્ડર્સ પૂરું કરી શક્યા નહોતા. સોન્ડર્સે 'પિગલી વિગલી'નું લિસ્ટિંગ ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં કરાવેલું, પણ શેરબજાર તેમને સદ્યું નહીં અને જેટલી ઝડપથી તેઓ સફળ થયા એટલી જ ઝડપથી તેમનાં વળતાં પાણી પણ થયાં. તેમણે પોતાની પ્રોપર્ટીઝ વેચી દેવાનો વારો આવ્યો હતો. પિંક પેલેસ પણ વેચી દેવો પડેલો. જો કે, સોન્ડર્સની યાદમાં આજે આ બંગલામાં તેમના સર્વપ્રથમ પિગલી વિગલી સ્ટોરની પ્રતિકૃતિ સાથે મ્યુિઝયમ તૈયાર કરવામાં આવ્યું છે.

સોન્ડર્સે સેલ્ફ સર્વિંગ સ્ટોર ઉપરાંત કીડૂઝલ અને ફૂડઇલેક્ટ્રિક જેવા કોન્સેપ્ટ પણ રજૂ કર્યા હતા, જેણે આધુનિક સુપરમાર્કેટના વિકાસમાં પાયાનું પ્રદાન આપ્યું છે. સોન્ડર્સ માટે કહી શકાય કે તેમણે ગ્રાહકોને ખરા અર્થમાં 'આઝાદી' અપાવી હતી. માર્કેટનો 'રાજા' હોવાની ફીલ કરાવી હતી. જો કે, ગ્રાહકોની આઝાદીને અનેક ગ્રહણો લાગ્યાં છે, જેના માટે માર્કેટિંગની અનૈતિક રણનીતિઓ અને ભ્રષ્ટ વ્યવહારો જવાબદાર છે. સુપરમાર્કેટના સંચાલકો વધુ કમાવાની લાયમાં એવા સમાધાન કરતા હોય છે, જેને કારણે ગ્રાહકોની સાથે અનેક રીતે છેતરપિંડી થતી હોવાનું જોવા મળે છે. અમુક વિશેષ જગ્યાએ કેટલીક ખાસ કંપનીઓની જ ચીજવસ્તુઓ મૂકવાથી માંડીને એક્સપાઇરી ડેટ સાથે ચેડાં સહિતની અનેક ફરિયાદો મળતી હોય છે. વળી, આવા સ્ટોર્સ નાના દુકાનદારની આજીવિકા પર પણ તરાપ મારે છે, એ પણ હકીકત સાબિત થતી જાય છે.

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 સપ્ટેમ્બર 2015 

Loading

Section 124 (a) : Maatra Circular j Nahin, Smoodgo Kaayado Rad Karvo Joiye

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|11 September 2015

સેક્શન ૧૨૪ (એ) : માત્ર સર્ક્્યુલર જ નહીં, સમૂળગો કાયદો રદ કરવો જોઈએ

૧૨૪ (એ) સો વર્ષથી કાયદાપોથીમાં છે અને શાસકો એને ક્યારે ય ભૂલ્યા નથી. લોકમાન્ય ટિળકથી લઈને અણ્ણાના આંદોલન વખતે કાટૂર્ન ચીતરનારા અસીમ ત્રિવેદી સુધી અસંખ્ય લોકોને સતાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો પછી નવેસરથી સર્ક્યુલર કાઢવાની જરૂર કેમ પડી?

૧૯૨૨ની ૧૮ માર્ચનો દિવસ ભારતના ઇતિહાસમાં અવિસ્મરણીય માનવામાં આવે છે. ‘યંગ ઇન્ડિયા’ના તંત્રી તરીકે ગાંધીજીને અને પ્રકાશક તરીકે શંકરલાલ બૅન્કરને આર. એસ. બ્રૂમફીલ્ડની અદાલતમાં ઊભા રાખવામાં આવ્યા હતા. તેમની સામે ભારતીય દંડ સહિતાના સેક્શન ૧૨૪ (એ) હેઠળ રાજ્યદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ગાંધીજીને જો કોઈ બચાવ કરવો હોય તો કરવાની જજે તક આપી હતી.

ભારતીય દંડ સંહિતાનો મૂળ કાયદો ૧૮૭૦માં ઘડાયો હતો જેમાં રાજ્યદ્રોહનો કોઈ ઉલ્લેખ નહોતો. ૧૮૯૮માં ૧૨૪માં (એ)નો ઉમેરો કરીને રાજ્યદ્રોહને ગુનો બનાવામાં આવ્યો હતો. રાજ્યદ્રોહ માટે અંગ્રેજી શબ્દ સિડિશન છે. કાયદામાં કહેવામાં આવ્યું છે કે શાસકો અને શાસનવ્યવસ્થા (ગવર્નમેન્ટ એસ્ટૅબ્લિશ્ડ બાય લૉ ઇન ઇન્ડિયા) સામે કુપ્રચાર કરવો, નિંદા કરવી, ધિક્કાર ફેલાવવો કે પછી શાસકો તરફનો લોકોનો ભાવ કે આદર ઘટે એવો પ્રચાર કરવો એ રાજ્યદ્રોહ છે. રાજ્યદ્રોહની પ્રવૃત્તિ ગમે એ રીતે કરી હોય; લખીને, બોલીને, પ્રતીકો ચીતરીને, અભિનય કરીને, સંકેતો દ્વારા કે પછી બીજી કોઈ રીતે; રાજ્યના આવા ગુનેગારો આજીવન કારાવાસ અને દંડ સુધીની સજાને પાત્ર ગણાશે.

ગાંધીજીએ પોતાના સામાયિક ‘યંગ ઇન્ડિયા’માં સરકારની ટીકા કરી હતી એટલે અંગ્રેજ સરકારે તેમના પર રાજ્યદ્રોહનો આરોપ મૂક્યો હતો. યાદ રહે કે જે કાયદો છે એ રાજ્યદ્રોહ માટેનો છે, દેશદ્રોહ માટેનો નથી. સિડિશનનો અર્થ રાજ્યદ્રોહ થાય છે, દેશદ્રોહ નથી થતો. અંગ્રેજોને દેશ સાથે સંબંધ નહોતો એટલે કોઈ ભારતનો દ્રોહ કરે કે પ્રેમ કરે એની સાથે તેમને કોઈ નિસબત નહોતી. તેમની નિસબત ભારત પરના અંગ્રેજી રાજ્ય સાથે હતી એટલે રાજ્યદ્રોહને તેમણે ગુનો ઠરાવ્યો હતો. અમદાવાદની સેશન્સ ર્કોટના જજ બ્રૂમફીલ્ડ બહુ ભલા માણસ હતા. તેઓ ઇચ્છતા હતા કે ગાંધીજી પોતાના બચાવમાં બે દલીલ કરે તો સજા ઓછી કરી શકાય. તેમના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીએ ગુનો કબૂલી લીધો હતો અને કહ્યું હતું કે જો સજા થશે તો મુક્ત થયા પછી એ ગુનો જો જરૂરી લાગશે તો તેઓ વારંવાર કરશે. ગાંધીજીએ રાજ્યદ્રોહના કાયદાને પ્રજાના દમન માટે સરકારે ઘડેલા કાયદાઓમાં પ્રિન્સ સમાન ગણાવ્યો હતો. રહી વાત શાસકો માટેના લોકોના ભાવ કે આદરની. તો એ કોઈ એવી જણસ નથી કે કાયદાઓ ઘડીને એનું ઉત્પાદન કરી શકાય. ગાંધીજીના શબ્દોમાં :  Affection cannot be manufactured or regulated by law.

અમદાવાદની અદાલતમાં ગાંધીજી સામે ચાલેલા ખટલાને ઍથેન્સમાં સૉક્રેટિસ સામે ચાલેલા ખટલાની સાથે સરખાવવામાં આવે છે. બન્ને ઘટનામાં રાજ્યના દમન સામે અદના માણસના પ્રતિકારની અવિસ્મરણીય દાસ્તાન નજરે પડે છે. જજ બ્રૂમફીલ્ડે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ભારતીયોની નજરે તમે (ગાંધીજી) મહાન ભારતીય અને પરમ દેશભક્ત છો એનો કોઈ અસ્વીકાર કરી શકે નહીં, પરંતુ કાયદાની નજરે તમે ગુનેગાર છો એટલે હું લાચાર છું અને સજા કરવી પડે એમ છે. જો સરકાર તમને કરવામાં આવેલી સજામાં ઘટાડો કરશે તો ખાતરી રાખજો કે તમારા દેશવાસીઓ કરતાં પણ વધુ આનંદ મને થશે. બ્રિટિશ જજ બ્રૂમફીલ્ડને ગાંધીજીને સજા કરતાં દુ:ખ થયું હતું, પરંતુ દુ:ખની વાત એ છે કે આપણા શાસકોને આઝાદી પછી આટલાં વર્ષે પણ ભારતના નાગરિકોને રાજ્યદ્રોહની સજા કરવામાં આનંદ આવે છે. અંગ્રેજો કરતાં આપણા શાસકો એક ડગલું આગળ વધ્યા છે. તેમણે રાજ્યદ્રોહને દેશદ્રોહ સમાન માની લીધો છે. કિંગ એડ્વર્ડ ઇઝ ઇન્ડિયા ઍન્ડ ઇન્ડિયા ઇઝ એડ્વર્ડ એવું અંગ્રેજોએ નહોતું કહ્યું, પરંતુ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઍન્ડ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા કે ઇન્ડિયા ઇઝ મોદી ઍન્ડ મોદી ઇઝ ઇન્ડિયા એમ કહેવામાં આવી રહ્યું છે. પોતાને જ રાષ્ટ્ર માનવાની વિકૃતિ હવે રાજ્યો સુધી વકરી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ઇઝ ફડણવીસ ઍન્ડ ફડણવીસ ઇઝ મહારાષ્ટ્ર એમ સમજતા હોય એમ લાગે છે. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં એક સર્ક્યુલર બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારની બદનામી કરનારાઓ સામે અને શાસકો સામે દુર્ભાવ ફેલાવનારા લોકો સામે સેક્શન ૧૨૪ (એ) હેઠળ ગુનો નોંધીને સજા કરવામાં આવે.

ભલા ભાઈ, આવો કાયદો તો સો વર્ષથી કાયદાપોથીમાં છે અને શાસકો એને ક્યારે ય ભૂલ્યા નથી. લોકમાન્ય ટિળકથી લઈને અણ્ણાના આંદોલન વખતે કાર્ટૂન ચીતરનારા અસીમ ત્રિવેદી કે પછી કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીના પ્રાધ્યાપક અંબીકેશ મહાપાત્ર સુધી અસંખ્ય લોકોને સતાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો પછી નવેસરથી સર્ક્યુલર કાઢવાની જરૂર કેમ પડી? લઘુતાગ્રંથિ ધરાવનારા વામણાઓ પોતાની જાતને ખાતરી કરાવવા માગે છે કે તેઓ શાસક છે. આ તેમની શાસક હોવાપણાની ખાતરી માટે છે. યશવંતરાવ ચવાણને કાયદાપોથીમાં પડેલા ગુલામીયુગીન કાયદાની યાદ નહોતી આવી, કારણ કે તેમને શાસન કરતાં આવડતું હતું. તેઓ જ્યારે મોઢું ખોલતા ત્યારે નવી વાત કહેતા અને મહારાષ્ટ્ર એક ડગલું આગળ જતું. બિનજરૂરી બોલવું, સામેવાળાને એની જરૂરિયાત જેટલું પણ ન બોલવા દેવું અને એ પછી પણ જો એ બોલે તો બને ત્યાં સુધી ન સાંભળવું અને જો સાંભળવું પડે તો દંડવા એ અસલામતી ધરાવતાં નિર્બળ શાસકના લક્ષણો છે.

મારા એક મિત્ર કહે છે કે બંધારણ ઘડનારાઓએ કોઈ કામ જ નથી કર્યું, આગલા અંગ્રેજોના જમાનાના કાયદાઓ એમ ને એમ ચકાસ્યા વિના આમેજ કરી લીધા છે. આ આરોપ ખોટો છે. જો દરેક કાયદો ચકાસવા બેસત તો ભારતનું બંધારણ દસ વર્ષે પણ ન ઘડાયું હોત. બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતને અધિકાર આપ્યો છે કે ભારતના બંધારણના આત્મા(સ્પિરિટ)ની વિરુદ્ધ જતા કાયદાઓને રદ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે આ કરવું જોઈતું હતું. ૧૯૫૯માં અલાહાબાદની વડી અદાલતે રામનંદન વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના ખટલામાં સેક્શન ૧૨૪ (એ)ને બંધારણ-વિસંગત (અલ્ટ્રા-વાયર્સ) ઠરાવ્યો હતો, પરંતુ સર્વોચ્ચ અદાલતે ૧૯૬૨માં કેદારનાથ વિરુદ્ધ બિહાર સરકારના કેસમાં સેક્શન ૧૨૪ (એ)ને બંધારણ-સુસંગત (ઇન્ટ્રા-વાયર્સ) ઠરાવ્યો હતો. બે વર્ષ પહેલાં સેક્શન ૩૭૭ની બાબતમાં સર્વોચ્ચ અદાલતે દિલ્હીની વડી અદાલતના પ્રગતિશીલ ચુકાદાને ઊલટાવ્યો હતો એ યાદ હશે. જવાહરલાલ નેહરુએ આ સેક્શનને રદ કરવાનું કહ્યું હતું, પરંતુ તેઓ રદ કરી શક્યા નહોતા અને હવેના શાસકોને તો એ રદ કરવામાં રસ પણ નથી.

http://www.gujaratimidday.com/features/columns/section-124-a

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કૉલમ, “ગુજરાતી મિડ-ડે”, 10 સપ્ટેમ્બર 2015

Loading

Sangathan PaththarnI Masjid Todi Shake Parantu Maanasne n Badli Shake. Vichaar j E Kaam krI Shake. RSSnI Aa Bahu Moti Maryaadaa Chhe

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|11 September 2015

સંગઠન પથ્થરની મસ્જિદ તોડી શકે પરંતુ માણસને ન બદલી શકે. વિચાર જ એ કામ કરી શકે. RSSની આ બહુ મોટી મર્યાદા છે

સંઘ એક વાત ભૂલે છે કે વિચારનો કોઈ વિકલ્પ નથી. મહોરા, મોરચા અને મોઢા દ્વારા સત્તા સુધી પહોંચી જવાયું છે; પરંતુ સમાજને બદલવો હશે તો એ વિચાર જ કરી શકશે

જે ઘટના બની એ નવી નથી, આ વખતે ઉઘાડી રીતે બની એટલું જ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)એ કેન્દ્રના પ્રધાનોને અને અંતમાં વડા પ્રધાનને સુધ્ધાં સંઘના દરબારમાં ઊભા કર્યા અને સવા વરસમાં શું કામ કર્યા છે એનો હિસાબ માગ્યો. તેમને કેટલીક સલાહો આપવામાં આવી, કેટલીક ચેતવણીઓ આપવામાં આવી અને કેટલીક બાબતે સક્રિય સહયોગ કરવાની ખાતરી આપી. BJP અને સંઘના નેતાઓ આને સમન્વય બેઠક તરીકે ઓળખાવે છે, જ્યારે વિરોધ પક્ષો અને લોકતંત્રના ચાહકો આને બંધારણબાહ્ય સત્તાકેન્દ્રના વધતા પ્રભાવ તરીકે ઓળખાવે છે. જે લોકોની વચ્ચે શાસનનો એજન્ડા લઈને ગયા નથી અને જેને લોકોએ ચૂંટ્યા નથી એવા લોકો પાછલા બારણેથી ભારત પર શાસન કરી રહ્યા છે. ભારતની ચૂંટાયેલી સરકાર એક ફ્રન્ટ માત્ર છે.

પ્રારંભમાં જ કહ્યું એમ આમાં કોઈ નવી વાત નથી. કેન્દ્રમાં પહેલી વાર બાવીસ પક્ષોની ટેકણલાકડી સાથે અટલ બિહારી વાજપેયીએ સરકાર રચી ત્યારે અમેરિકા અને યુરોપના દેશોના રાજદૂતો મળીને BJPના એ સમયના પ્રવક્તા, આઇડિયોલોગ અને રણનીતિ ઘડનારા ગોવિંદાચાર્યને મળવા ગયા હતા. તેઓ સમજવા માગતા હતા કે ભારતમાં પહેલી વાર રચાયેલી જમણેરી અને હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર કેવી હશે? અટલ બિહારી વાજપેયી – અલબત્ત પોતાની ભાષામાં પણ ગયા વર્ષે નરેન્દ્ર મોદી જેમ કહેતા હતા એમ – સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે તો શું ખરેખર કેન્દ્ર સરકાર ધર્મના નામે ભેદભાવ કર્યા વિના બધાને બાથમાં લઈને ચાલશે? ગોવિંદાચાર્યે તેમને કહ્યું હતું કે ‘ભાઈ, સરકાર તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. અટલ બિહારી વાજપેયી તો એક મહોરું છે. એજન્ડા સંઘનો હશે, પરંતુ અત્યારે સંપૂર્ણ બહુમતી BJP પાસે ન હોવાથી ઉદારમતવાદી ગણાતા વાજપેયીને મહોરા તરીકે આગળ કરવામાં આવ્યા છે.’

અક્ષરશ: આ તમામ શબ્દો એક સમયના BJPના અને સંઘના લાડકા ગોવિંદાચાર્યના છે. એ વાતચીત કોઈ એક રાજદૂતે ટૅપ કરી અને પછી બહાર આવી. ગોવિંદાચાર્ય પોતાને ખેલદિલ, સ્પષ્ટવક્તા અને સત્યપરાયણ માને છે અને એમાં તથ્ય પણ છે. ગોવિંદાચાર્યને માંડીને અને જાણે નર્સરીના વિદ્યાર્થીને ભણાવતા હોય એવી સરળ ભાષામાં વાત કરવાની ફાવટ છે. અસંદિગ્ધ ભાષામાં કહેવાયેલી આ અંદરની વાત બહાર આવી એ પછી વાજપેયી ગિન્નાયા હતા. ગોવિંદાચાર્યને રાજકીય વનવાસ આપવામાં આવ્યો હતો. એ સમયે સંઘને મહોરાની જરૂર હતી અને વાજપેયી જાણતા હતા કે મહોરા વિના ચહેરાનું કોઈ ભવિષ્ય નથી. ચહેરાને પણ ખબર હતી કે રામજન્મભૂમિ આંદોલન અને બાબરી મસ્જિદ તોડ્યા પછી તેમ જ સેંકડો કોમવાદી હુલ્લડો કર્યા પછી ચહેરો ખરડાયેલો છે અને એ ચહેરો ઢાંકવા માટે વાજપેયીની ઉદારમતવાદી ઇમેજની જરૂર છે જેને સંઘના પોતાના આઇડિયોલોગ ગોવિંદાચાર્યે મહોરા તરીકે ઓળખાવ્યા હતા.

વાત એમ હતી કે જ્યાં સુધી સંઘના અસલી ચહેરાને ભારતના બહુમતી હિન્દુઓ ન સ્વીકારે ત્યાં સુધી મહોરાંઓની, મોરચાઓની અને અનેક મોઢાંઓની જરૂર છે. અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને ગોવિંદાચાર્યનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. ૧૯૨૫માં સ્થપાયેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દશેરાના દિવસે ૯૦ વર્ષ પૂરાં કરશે. સંઘની સ્થાપના ગાંધીની કલ્પનાના ભારતને નકારવા માટે કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાને સાથે લઈને આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્રની સ્થાપના કરવી અને સમય સાથે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવું એ ગાંધીની કલ્પનાનું ભારત હતું જેને આજકાલ આઇડિયા ઑફ ઇન્ડિયા કહેવામાં આવે છે. ગાંધીજીએ ભારતના પહેલા વડા પ્રધાન તરીકે જવાહરલાલ નેહરુને પસંદ કર્યા એની પાછળનું મુખ્ય કારણ આ હતું. નેહરુ ગાંધીના આઇડિયા ઑફ ઇન્ડિયામાં ગાંધીજી કરતાં પણ વધુ શ્રદ્ધા ધરાવતા હતા. ભારતનું બંધારણ ઘડનારાઓએ ગાંધીજીના આઇડિયા ઑફ ઇન્ડિયાને સ્વીકૃતિની મહોર મારી હતી અને એ રીતનું બંધારણીય રાજ્ય અસ્તિત્વમાં આણ્યું હતું. જવાહરલાલ નેહરુએ તેમના ૧૭ વર્ષ લાંબા વડા પ્રધાનપદ દરમ્યાન લોકતાંત્રિક સંસ્થાઓ અને પરંપરાઓ વિકસાવી હતી.

સંઘના નેતાઓની તેમ જ કાર્યકરોની ધીરજ, સાતત્ય અને ખંતની કદર કરવી જોઈએ. સંઘની નવ દાયકાની યાત્રા દરમ્યાન છ દાયકા તો બહુ કપરા હતા અને સામે પૂરે તરવા જેવી સ્થિતિ હતી. સરેરાશ હિન્દુ જેની મજાક ઉડાડતો હતો અને બાળકોને જેનાથી સાવધાન રહેવાની સલાહ આપતા હતા તેમની વચ્ચે જગ્યા બનાવવાની હતી. આખું વિશ્વ જેને ધીરે-ધીરે સ્વીકાર કરતું થયું છે એ ગાંધીને, ગાંધીની જ ભૂમિમાં, ગાંધીના જ સહધર્મીઓ વચ્ચે અસ્વીકૃત કરાવવાના હતા.

બે વિકલ્પો હતા સંઘ પાસે. એક ગાંધીની વિચારધારા સામે વૈકલ્પિક વિચારધારા વિકસાવવાનો અને બીજો વિકલ્પ મહોરાંઓનો, મોરચાઓનો અને અનેક મોઢાંઓનો ફરેબી માર્ગ અપનાવવાનો. પહેલો વિકલ્પ વધારે પ્રામાણિકતાપૂર્વકનો હતો, જ્યારે બીજામાં છેતરપિંડી મુખ્ય હતી. પહેલો વિકલ્પ વધારે ચિરંતન કે સ્થાયી છે, જ્યારે બીજા વિકલ્પમાં સમયે-સમયે સ્થિતિ બદલાય એમ પેંતરાબાજી બદલવી પડે. અનેક મોઢે વાત કરો તો સરવાળે પ્રતિષ્ઠા ઝાંખી તો પડે જ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શરૂઆતનાં વર્ષોમાં ગાંધીની વિચારધારા સામે વૈકલ્પિક વિચારધારા વિકસાવવાનો પ્રયાસ કરી જોયો હતો જેમાં એને સફળતા મળી નહોતી. જો ઈમાનદારીપૂર્વકની સ્પષ્ટ વિચારધારા અપનાવે તો હિટલર અને મુસોલિનીની નજીક ધકેલાઈ જવાનો ડર હતો અને એ એને પરવડે એમ હતું નહીં. એક તો બીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિ અને એમાં વળી નાત-જાત અને પેટા-સંપ્રદાયોમાં વહેંચાયેલા હિન્દુઓ. વિખરાયેલા હિન્દુઓને ભેગા કરવા એ જ જ્યાં મોટો પડકાર છે ત્યાં તેમને હિટલરકાલીન જર્મનો જેવા કે સલ્ફી મુસલમાનો જેવા રેડિકલ બનાવવા એ તો બહુ દૂરની વાત છે. જો ભારતના હિન્દુઓને માફક આવે એવી હળવી વિચારધારા વિકસાવવામાં આવે તો ગાંધીની નજીક સરકી જવાનો ડર હતો. લોકો કહેશે કે ગાંધીની જ વાત કરો છો તો પછી ગાંધીનો વિરોધ શા માટે કરો છો? હિન્દુઓને એક કરવા માટે એક દર્શન તરીકે તમે સર્વસમાવેશકતાના અને ઉદારતાના તત્ત્વનો સ્વીકાર કરો તો પછી અન્ય ધર્મીઓને બાકાત રાખો એ કેવી રીતે બને? મહાન આદર્શ પસંદગીના ધોરણે તો લાગુ કરી શકાય નહીં.

આ કૂટપ્રશ્નનો સંઘને નવ દાયકાની યાત્રા પછી પણ કોઈ ઉપાય નથી જડ્યો. ત્રણ વાત નક્કી હતી. એક, ગાંધીજીની સર્વસમાવેશકતા કબૂલ નથી; બે, ભારતીય રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ અને ત્રણ, એને માટે ભારતના હિન્દુઓને સંગઠિત કરવા પડે એમ છે. જો વૈકલ્પિક વિચારધારા વિકસાવી શકાઈ હોત તો ત્રણેય કામ એકસાથે થઈ શક્યાં હોત, પરંતુ એમ બન્યું નહીં એટલે સંઘે હિન્દુઓને સંગઠિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. લોકોને ગળે ઊતરે એવી, ચોક્કસ મંઝિલે પહોંચાડનારી અને સ્પષ્ટ વિકલ્પ સૂચવનારી વિચારધારાનું ભાથું સાથે હતું નહીં એ સ્થિતિમાં હિન્દુઓને સંગઠિત કરવાના હતા. કામ ભગીરથ હતું અને કરવું જરૂરી હતું એટલે સંઘે મહોરાંઓનો, મોરચાઓનો અને અનેક મોઢાંઓનો ફરેબ કરવો પડે છે.

સંઘ એક વાત ભૂલે છે કે વિચારનો કોઈ વિકલ્પ નથી. મહોરા, મોરચા અને મોઢા દ્વારા સત્તા સુધી પહોંચી જવાયું છે; પરંતુ સમાજને (હિન્દુને) બદલવો હશે તો એ વિચાર જ કરી શકશે. કાર્લ માર્ક્સ અંગત જીવનમાં દરિદ્ર અને કાયર માણસ હતો, પરંતુ તેના વિચારે સમાજમાં પરિવર્તન આણ્યું હતું. ખિસ્સામાં દમડી નહોતી એવા માણસના વિચારે સંગઠિત સ્વરૂપ પકડ્યું હતું, પરંતુ સંગઠન ગમે એવું શક્તિશાળી હોય એ વિચારની જગ્યા ન લઈ શકે. સંગઠન પથ્થરની મસ્જિદ તોડી શકે, પરંતુ સંગઠન માણસને ન બદલી શકે. એ કામ તો વિચાર જ કરી શકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ મોટી મર્યાદા છે. નવ દાયકાથી હિન્દુ રાષ્ટ્રનો જપ કરવામાં આવે છે, પરંતુ હિન્દુ રાષ્ટ્ર શું છે અને કેવું હોય એ સમજાવતું એક પણ પ્રકાશન આજે ઉપલબ્ધ નથી. ૯૦ વર્ષ એ કોઈ ટૂંકો સમય નથી. મારી વાત ગળે ન ઊતરતી હોય તો લૅમિંગ્ટન રોડ પર આવેલા નાઝ કમ્પાઉન્ડમાં સંઘની ઑફિસ છે ત્યાં આંટો મારી આવો. ત્યાં જે સંઘસાહિત્ય મળે છે એમાં તમને હિન્દુ રાષ્ટ્ર વિશેનાં કાલીઘેલી ભાષામાં લખાયેલાં ચોપાનિયાં મળશે, પરંતુ હિન્દુ રાષ્ટ્રની થીસિસ કહી શકાય એવું એક પણ પુસ્તક નહીં મળે. સંઘના ખુલ્લા અધિવેશનમાં માન્ય રખાયેલી થીસિસ તો બહુ દૂરની વાત છે. આજ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એના ખુલ્લા અધિવેશનમાં હિન્દુ રાષ્ટ્રની કલ્પના વિશે મુક્ત ચર્ચા કરી હોય અને એની રૂપરેખા વિકસાવી હોય એવું બન્યું નથી, કારણ કે ૯૦ વર્ષ દરમ્યાન એક પણ વાર સંઘનું ખુલ્લું અધિવેશન મળ્યું નથી જેમાં સ્વયંસેવકને પોતાની વાત કરવાની તક મળે. સંઘના સ્વયંસેવકો દશેરાના દિવસે ભેગા મળે છે, ડ્રિલ કરે છે, સંઘ-પ્રતિનિધિનું ભાષણ સાંભળે છે અને ગુરુદક્ષિણા ચૂકવીને ઘરે આવે છે.

આ બુદ્ધિદરિદ્રતાનું પરિણામ આપણી સામે છે. તાજેતરના મહિનાઓમાં કેન્દ્ર સરકારે શિક્ષણસંસ્થાઓમાં જે લોકોની નિમણૂકો કરી છે એના પર એક નજર કરી લો. જેણે જીવનમાં અભિનયમાં કોઈ સિદ્ધિ મેળવી નથી એ ગજેન્દ્ર સિંહ ચૌહાણને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જે માણસે જીવનમાં એક અભ્યાસપેપર (પુસ્તક નહીં, પેપર) લખ્યો નથી એ વાય. એસ. રાવ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચના અધ્યક્ષ છે. ખાતરી કરવી હોય તો કાઉન્સિલની ઑફિશ્યલ વેબસાઇટ પર અધ્યક્ષ મહાશયનો બાયોડેટા જોઈ જાઓ. કોઈ ચોપાનિયામાં ચાર લાઇન લખી હોવાનો પણ એમાં દાવો કરવામાં આવ્યો નથી. ચૌહાણ અને રાવ કરતાં વધુ તેજસ્વી અને બુદ્ધિશાળી માણસો સંઘ પાસે નથી. મુંબઈ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરની એકમાત્ર લાયકાત સંઘના ડૉક્યુમેન્ટેશન સેન્ટરમાં કામ કર્યું હોવાની છે. આવી જ સ્થિતિ ગુજરાતની યુનિવર્સિટીઓની છે. આ દરિદ્રતાનું કારણ વિચારની ઉપાસનાનો અભાવ છે.

આજે હવે સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સંઘની સરકાર રચાઈ છે. નેવું વર્ષે અનુકૂળતા બની છે, પરંતુ આ અનુકૂળતા જેટલી ધારવામાં આવે છે એટલી અનુકૂળ નથી.

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-06092015-14

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કૉલમ, ‘સન્નડે સરતાજ‘ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 06 સપ્ટેમ્બર 2015

Loading

...102030...3,6923,6933,6943,695...3,7003,7103,720...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved