Opinion Magazine
Number of visits: 9769572
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેહરુ કે બોઝ, કોનાથી પ્રભાવિત હતા ભગતસિંહ?

અપૂર્વાનંદ [અનુવાદ : દિવ્યેશ વ્યાસ]|Opinion - Opinion|16 March 2016

સુભાષચંદ્ર બોઝ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. છેલ્લાં ૭૦ વર્ષોમાં ન જાણે કેટલી વખત બોઝની ‘ઘરવાપસી’ના અનુમાન લગાવાયાં છે. સુભાષબાબુ હવે દુનિયામાં નથી રહ્યા, એ સ્વીકારવું કેટલાક લોકોને મન દેશદ્રોહથી કમ નથી. આખરે આ દેશમાં ઋષિઓએ હજારો વર્ષ તપસ્યા કરી હોય એવાં વર્ણનો ય મહાભારત અને રામાયણ જેવા ‘ઇતિહાસ-ગ્રંથો’માં મળે જ છે ને!

સુભાષચંદ્ર બોઝ ભારતને અંગ્રેજોથી આઝાદ કરાવવા માગતા હતા, એમાં કોઈને શક ન હોઈ શકે. તેમના વિચારોમાં સમાજવાદી વલણ પણ જોઈ શકાય છે, પરંતુ તથ્ય એ છે કે આખરે હિટલર, મુસોલિની અને તોઝો સાથે હાથ મિલાવતી વખતે ખચકાટની વાત તો જવા દો તેમણે હોંશે-હોંશે સક્રિય સહયોગ લીધો હતો.

આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે હિટલર પણ એક પ્રકારનો સમાજવાદી જ હતો. આ તથ્યને મોટા ભાગના ભારતીયો બહુ ગંભીરતાથી લેતા નથી, કારણ કે ફાસીવાદી વિભીષિકાની તેમણે માત્ર કહાણીઓ જ વાંચી-સાંભળી છે. યુરોપમાં સ્વસ્તિકનું ચિહ્‌ન ધારણ કરવું શા માટે સભ્યતાની વિરુદ્ધ મનાય છે, એ સમજવા માટે શું દરેકે આશ્વિત્ઝની (કૉન્સન્ટ્રેશન કૅમ્પ) મુલાકાત લેવી જ પડે, એ જરૂરી છેે?

તમને જાણીને આશ્ચર્ય થઈ શકે પણ એક વ્યક્તિ એવી હતી, જેને સુભાષચંદ્ર બોઝના ફાસીવાદ તરફના ઝુકાવનો અંદાજ આવી ગયો હતો. તે એક નવયુવાન હતો, માંડ એકવીસ વર્ષનો. તેનું નામ હતું ભગતસિંહ. તે ન તો કૉંગ્રેસી હતા અને ન કમ્યૂિનસ્ટ પાર્ટીના સભ્ય. તેમની ક્રાંતિકારિતામાં કોઈને શક નથી. તે સુભાષચંદ્ર બોઝ અંગે શું વિચારતા હતા? જોઈએ …

૧૯૨૮માં ભગતસિંહ માંડ ૨૧ વર્ષના યુવાન હતા. ‘કિરતી’ નામના અખબારમાં તેમણે ‘નવા નેતાઓના અલગ-અલગ વિચાર’ શીર્ષક તળે એક લેખ લખ્યો હતો. તેઓ અસહયોગ આંદોલનની નિષ્ફળતા અને હિંદુ-મુસ્લિમ દંગા-ફસાદોની નિરાશાના માહોલમાં નવા આંદોલન માટે પાયાનું કામ કરે, એવા આધુનિક વિચારોની શોધમાં હતા. તેમણે આ લેખમાં બે નવા ઊભરતા નેતાઓ ‘બંગાળના પૂજનીય શ્રી સુભાષચંદ્ર અને માનનીય પંડિત શ્રી જવાહરલાલ નેહરુ’ના વિચારોનું વિશ્લેષણ કર્યું હતું.

ભગતસિંહના જણાવ્યા મુજબ સુભાષ ‘ભારતની પ્રાચીન સંસ્કૃિતના ઉપાસક’ અને નેહરુ ‘પશ્ચિમના શિષ્ય’ મનાય છે. પહેલા ‘કોમળ હૃદયવાળા ભાવુક’ અને બીજા ‘પાક્કા યુગાંતરકારી’ ગણાય છે. જો કે, ખુદ ભગતસિંહ સુભાષ અને નેહરુ વિશે શું માને છે, તે રસપ્રદ છે. ભગતસિંહ અમૃતસર અને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના અધિવેશનોમાં તેમનાં ભાષણોને વાંચીને કહે છે કે આમ તો બન્ને પૂર્ણસ્વરાજના સમર્થક છે, પરંતુ તેમના વિચારોમાં ‘જમીન’ આસમાનનું અંતર’ છે.

મુંબઈની એક જનસભાનો તેઓ ખાસ ઉલ્લેખ કરે છે, જેની અધ્યક્ષતા નેહરુ કરી રહ્યા હતા અને ભાષણ સુભાષબાબુએ આપેલું. આ બન્નેનાં ભાષણોને વાંચીને તેઓ સુભાષને એક ‘ભાવુક બંગાળી’ ગણાવે છે. સુભાષબાબુએ ભાષણની શરૂઆતમાં જ કહેલું કે દુનિયાને આપવા હિંદુસ્તાન પાસે એક વિશેષ સંદેશ છે. હિંદુસ્તાન દુનિયાને આધ્યાત્મિક શિક્ષણ આપશે. પરંતુ ભગતસિંહ સુભાષના ભાષણને ‘દીવાના’નો પ્રલાપ ગણાવીને ટિપ્પણી કરે છે, ‘‘આ પણ એ જ છાયાવાદ છે. કોરી ભાવુકતા છે. તેઓ (સુભાષબાબુ) દરેક બાબતમાં પૌરાણિક યુગની મહાનતા જુએ છે. તેઓ દરેક ચીજને પ્રાચીન ભારતમાં શોધી કાઢે છે, પંચાયતી રાજને પણ અને સામ્યવાદને પણ.’’

ભગતસિંહને સુભાષના રાષ્ટ્રવાદના વિચારો પણ ગળે ઊતરતા નથી. વળી, હિંદુસ્તાનનો રાષ્ટ્રવાદ કોઈ અનોખી (નાયાબ) ચીજ છે અને અન્ય રાષ્ટ્રવાદો ભલે સંકીર્ણ-સંકુચિત હોય, ભારતીય રાષ્ટ્રવાદ એવો ન હોઈ શકે, એવી સુભાષની વાત સાથે ભગતસિંહ બિલકુલ સહમત નથી. સુભાષચંદ્ર બોઝથી ઊલટું ભગતસિંહ નેહરુથી વધારે પ્રભાવિત થયા હોય એવું (તેમના લખાણ પરથી) જણાય છે. તેઓ કહે છે, ‘સુભાષ પરિવર્તનકારી છે, જ્યારે નેહરુ તો યુગાંતરકારી છે.’ ભગતસિંહનું માનવું હતું કે એકના વિચારમાં આપણી પૌરાણિક બાબતો બહુ જ સારી છે અને બીજાના મતે તેની વિરુદ્ધ વિદ્રોહ કરી દેવો જોઈએ. એક ભાવુક ગણાશે અને બીજા યુગાંતરકારી અને વિદ્રોહી.

૨૧ વર્ષીય ક્રાંતિકારી ભગતસિંહની આ ટિપ્પણી તો કેટલી સટિક છે, ‘‘સુભાષબાબુ દુનિયાના રાજકારણમાં હિંદુસ્તાનના સંરક્ષણ અને વિકાસનો સવાલ હોય ત્યાં સુધી રાષ્ટ્રીય રાજનીતિ પર ધ્યાન આપવાનું મુનાસિબ માને છે, જ્યારે પંડિત નેહરુ રાષ્ટ્રીયતાના સંકીર્ણ દાયરામાંથી નીકળીને ખુલ્લા મેદાનમાં આવી ગયા છે.’’

સુભાષ અને નેહરુમાંથી કોની પસંદગી કરી શકાય?

ભગતસિંહ પોતાનો નિર્ણય જણાવે છે,‘‘સુભાષ આજે કદાચ દિલને થોડુંઘણું ભોજન આપવા ઉપરાંત બીજો કોઈ માનસિક ખોરાક આપી રહ્યા નથી … આ સમયે પંજાબને માનસિક ખોરાકની સખત જરૂર છે અને તે પંડિત જવાહરલાલ નેહરુ પાસેથી જ મળી શકે છે.’’ જો કે ભગતસિંહ નેહરુના આંધળા તરફદાર બનવાની વિરુદ્ધ છે. વિચારોની વાત કરીએ તો તેઓ તેમની સાથે જોડાવાની સલાહ આપે છે, જેથી નવયુવાનો ઇન્કિલાબનો વાસ્તવિક અર્થ, હિંદુસ્તાનના ઇન્કિલાબની જરૂરિયાત, દુનિયામાં ઇન્કિલાબનું સ્થાન વગેરે અંગે જાણી શકે. નેહરુ નવજવાનોની એ રીતે મદદ કરી શકે કે તેઓ ‘‘સમજી-વિચારીને પોતાના વિચારોને સ્થિર કરે, જેથી નિરાશા, હતાશા અને પરાજયના સમયમાં પણ ભટકાવના શિકાર ન બને અને એકલપંડે ઊભા રહીને દુનિયા સામેના મુકાબલામાં મક્કમ રહી શકે.’’

પોતાનો આ લેખ લખ્યાના લગભગ ત્રણ વર્ષ પછી ભગતસિંહે ફાંસીના ફંદાને પોતાના ગળે લગાડ્યો હતો.

આશરે તેર વર્ષ પછી સુભાષબાબુનો ભાવુક અને સંકીર્ણ-સંકુચિત રાષ્ટ્રવાદ તેમને હિટલર સુધી લઈ ગયો. વીસમી સદીમાં માનવતાના સૌથી મોટા ગુનેગારોમાંના એક સાથે હાથ મિલાવવામાં સુભાષને કોઈ દ્વિધા થઈ નહોતી. ભગતસિંહ ત્યારે જીવતા હોત તો કહેત કે મેં તો વર્ષો પહેલાં નવયુવાનોને સાવધ કરી દીધા હતા.

ભગતસિંહની ચેતવણી કે નવયુવાનો સુભાષચંદ્ર બોઝના જેવા સાંકડા ભાવુકતાવાદી રાષ્ટ્રવાદના વિચારોથી સાવધાન રહે, એ શું ૧૦૦ વર્ષ પહેલાંના નવયુવાનો માટે જ હતી, શું આજના યુવાનો માટે નહીં?             

[www.bbc.com/hindi પરથી અનુવાદ]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 12

મૂળ લેખકના અંગ્રેજી લેખનો આધાર આ કડીએ જવાથી મેળવી શકાશે :

http://scroll.in/article/758379/netaji-bose-or-nehru-which-one-did-bhagat-singh-believe-was-the-greater-revolutionary

Loading

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગણવેશ બદલાતો રહ્યો છે અને બદલાતો રહેશે, માત્ર કાળી ટોપી કાયમ રહેશે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|15 March 2016

ચડ્ડીને ત્યજવાનું કારણ અગવડતા છે, એને કોઈ વૈચારિક વિકાસ સાથે સંબંધ નથી. પાટલૂન આખું હોય કે અડધું હોય, ખાખી હોય કે ભૂરું હોય – એને વિચાર સાથે શો સંબંધ છે? આજકાલ મેદસ્વિતા જાગતિક સમસ્યા બની રહી છે જેમાં નીતિન ગડકરી જેવા નેતાઓ હાફ પૅન્ટમાં ભૂંડા લાગે છે. ઘણાં વર્ષોથી આ વિશે ધ્યાન ખેંચવામાં આવતું હતું અને ૨૦૧૦થી ચડ્ડીને આખી કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ હતી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ખાખી ચડ્ડીને તિલાંજલિ આપી છે અને હવે એની જગ્યાએ સંઘનો સ્વયંસેવક ભૂરા રંગનું આખું પૅન્ટ પહેરશે. સારી વાત છે. કેવો ગણવેશ પહેરવો કે બદલવો એ જે-તે સંગઠનનો વિષય છે. ૯૦ વર્ષે સંઘે ચડ્ડીથી પૅન્ટ સુધીનો વિકાસ સાધ્યો એને મુદ્દો બનાવીને વિરોધીઓ ઠઠ્ઠા પણ કરશે. મજાક ઉડાવવા માટે પાછો સંઘના જનરલ સેક્રેટરી સુરેશ જોશી ઉર્ફે ભય્યાજી જોશીએ મોકો પણ આપ્યો છે. તેમણે કહ્યું છે કે સંઘ પરંપરાપરસ્ત નથી, પરંતુ ખુલ્લું દિમાગ ધરાવનાર પરિવર્તનશીલ છે એનું આ ઉદાહરણ છે. વિકાસ અને પરિવર્તન ગણવેશમાં છુપાયેલાં છે એની આજ સુધી જાણ નહોતી.

વસ્ત્રપરિધાનને વિચાર અને વિકાસ સાથે જોડવાની કમાલની હથરોટી ગાંધીજીમાં હતી. તેમણે પોતાની જિંદગીમાં આઠ વખત કપડાંની શૈલી બદલી હતી. બાળપણમાં તેઓ કાઠિયાવાડી વાણિયા પહેરે એવાં કપડાં પહેરતા હતા. લંડન ભણવા ગયા પછી (અને આમ તો તૈયારીના ભાગરૂપે એ પહેલાં જ) તેમણે પાશ્ચત્ય વસ્ત્રો અપનાવ્યાં હતાં. આમાં પશ્ચિમના સ્વીકારનું એક સ્ટેટમેન્ટ હતું. જીવનની આબાદી પશ્ચિમના રસ્તે આવે છે એનો સ્વીકાર હતો. સાઉથ આફ્રિકામાં તેમણે જ્યારે સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે લુંગી પહેરવાનું શરૂ કર્યું હતું, કારણ કે સાઉથ આફ્રિકાના ગિરમીટિયાઓમાં મદ્રાસીઓ વધુ હતા. ગાંધીજીએ તામિલ ભાષા પણ શીખી હતી. આમાં પ્રજા સાથે એકાકાર થવાનું રાજકીય સ્ટેટમેન્ટ હતું.

ગાંધીજી ભારત આવ્યા ત્યારે ધોતી, કેડિયું અને ફેંટો એવાં કાઠિયાવાડી કપડાં પહેરીને સ્ટીમરમાંથી ઊતર્યા હતા અને પછી કેટલોક સમય એ જ તેમની વસ્ત્રશૈલી હતી. આમાં પશ્ચિમના અસ્વીકારનું અને પોતીકી પરંપરાને શરમાયા વિના અપનાવવાનું સ્ટેટમેન્ટ હતું. એ પછી તેમણે ધોતી, ખમીસ અને ટોપી પહેરવાનું શરૂ કર્યું હતું. આ દ્વારા તેમણે માત્ર સાદગીનું જ નહીં, સામાજિક સમાનતાનું અને એક સરખી રાષ્ટ્રીય ઓળખનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. વાચકને જાણ હશે કે પહેલાંના યુગમાં લોકો અલગ-અલગ પ્રકારની પાઘડી પહેરતા હતા અને પાઘડીની શૈલી દ્વારા તે કયા પ્રદેશનો અને કઈ જાતનો છે એની ઓળખ વગર પૂછ્યે થઈ જતી. મહારાષ્ટ્રમાં અઠરા પગડ જાતિ કહેવત પ્રચલિત છે જે એમ સૂચવે છે કે ગામમાં ૧૮ પ્રકારની પાઘડી બાંધનારા ૧૮ જાતિના લોકો રહે છે. ગાંધીજીએ અંતે ખમીસ અને ટોપી પણ ત્યજી દીધાં હતાં અને એ દ્વારા તેમણે અંતિમ માણસ સાથેના એકત્વનું, ઓગળી જવાનું, લીન થઈ જવાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. ગાંધીજી વિશે વિશ્વભરના વિદ્વાનોમાં એટલી કુતૂહલતા છે કે ગાંધીજીના વસ્ત્રપરિધાન વિશે જ આખું એક પુસ્તક અંગ્રેજીમાં લખાયું છે.

ખેર, ગાંધીજીની વાત નિરાળી હતી; પરંતુ ગાંધીજીએ પાંચમી વાર વસ્ત્રશૈલી બદલી, પાઘડીની જગ્યાએ ગાંધીટોપી દાખલ કરી અને એ સાથે અઢાર પગડ ઓળખ ખતમ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જન્મ થયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીજીથી ઊલટું ચોક્કસ ઓળખ બચાવી લેવા માગતો હતો અને ચોક્કસ ઓળખ મિટાવી દેવા માગતો હતો. આને માટે સ્વયંસેવકોની કૅડરની જરૂર હતી અને કૅડરનો સભ્ય નજરે પડતાં જ ઓળખાઈ જવો જોઈએ. તે શિસ્તબદ્ધ હોવો જોઈએ, આજ્ઞાનું સિપાઈની માફક પાલન કરનારો હોવો જોઈએ, વિચારોને સમર્પિત હોવો જોઈએ અને શંકા કરનારો કે પ્રશ્ન પૂછનારો તો મુદ્દલ ન હોવો જોઈએ. અંગ્રેજીમાં આને માટે રેજિમેન્ટેશન શબ્દ છે. લશ્કરની રેજિમેન્ટમાં જેમ સિપાઈ હોય એમ સ્વયંસેવક હોવો જોઈએ. બિલકુલ ગાંધીજીથી ઊલટી દિશા. ગાંધીજી અઢાર પગડની ઓળખ મિટાવીને એક ભારતીય ઓળખ વિકસાવવા માગતા હતા તો સંઘ અઢાર પગડ ઓળખ મિટાવીને એકમેવ હિન્દુ ઓળખ વિકસાવવા માગતો હતો. ટૂંકમાં, ગણવેશને રેજિમેન્ટેશન સાથે સંબંધ છે, વૈચારિક વિકાસ સાથે નથી. સૈનિકને વિચારવાની, શંકા કરવાની, પ્રશ્નો પૂછવાની અને પોતાની જાતે નિર્ણય લેવાની આઝાદી નથી.

૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ ત્યારથી લઈને ૧૯૪૦ સુધી સંઘના સભ્ય માટે ખાખી ચડ્ડી અને ખાખી શર્ટનો ગણવેશ હતો. આ ઉપરાંત સંઘના સ્વયંસેવક હાથમાં લાઠી પણ રાખતા હતા અને લાઠી ચલાવવાની તાલીમ લેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લોકોના મનમાં સ્વયંસેવક અને સુરક્ષાકર્મી વચ્ચે ઓળખનો ગૂંચવાડો ન થાય એ માટે સરકારે ખાનગી નાગરિક ખાખી શર્ટ અને ખાખી પાટલૂન પહેરે એની સામે વાંધો લીધો હતો એટલે ૧૯૪૦થી ખાખી શર્ટની જગ્યાએ સફેદ શર્ટ અપનાવવામાં આવ્યું હતું. કાળી ટોપી ૧૯૨૫થી આજ સુધી બચેલી છે અને એમ લાગે છે કે આવનારાં વર્ષોમાં પણ એ બચતી રહેવાની. ખાખી ટોપી ઇટલીના ફાસીવાદી શાસક મુસોલિની પાસેથી અપનાવવામાં આવી છે. કમર પરના ચામડાના પટ્ટાને અને ચામડાના બૂટને એક જૈન સાધુના કહેવાથી હટાવવામાં આવ્યાં હતાં. ચામડું વાપરવામાં પ્રાણીની હત્યા થાય છે એટલે અહિંસાથી પ્રેરાઈને ચામડાની ચીજો વાપરવાનું બંધ કર્યું હતું. જો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અહિંસામાં માને છે એવી સત્તાવાર જાહેરાત આજ સુધી કરવામાં આવી નથી. ગાંધીજીની હત્યા પછી સંઘના સ્વયંસેવકોને અર્ધલશ્કરી તાલીમ આપવામાં નહીં આવે એવી સરદાર વલ્લભભાઈ પટેલની શરત સંઘે સ્વીકારી લીધી હતી એટલે લાઠી દશેરાની રૅલીની એક શોભા માત્ર રહી છે. આમ ૧૯૨૫થી અત્યાર સુધી બચી છે કાળી ટોપી અને ખાખી ચડ્ડી જેમાંથી ખાખી ચડ્ડી હવે વિદાય લઈ રહી છે.

ચડ્ડીને ત્યજવાનું કારણ અગવડતા છે, એને કોઈ વૈચારિક વિકાસ સાથે સંબંધ નથી. પાટલૂન આખું હોય કે અડધું હોય, ખાખી હોય કે ભૂરું હોય એને વિચાર સાથે શો સંબંધ છે? આજકાલ મેદસ્વિતા જાગતિક સમસ્યા બની રહી છે જેમાં નીતિન ગડકરી જેવા નેતાઓ હાફ પૅન્ટમાં ભૂંડા લાગે છે. ઘણાં વર્ષોથી આ વિશે ધ્યાન ખેંચવામાં આવતું હતું અને ૨૦૧૦થી ચડ્ડીને આખી કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ હતી.

હા, એક પરિવર્તનનું સ્વાગત કરવું જોઈએ. સંઘે કહ્યું છે કે તમામ હિન્દુ દેવસ્થાનો સ્ત્રીઓ માટે ખુલ્લા હોવાં જોઈએ. આને માટે અભિનંદન.

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 15 માર્ચ 2016

http://www.gujaratimidday.com/features/columns/know-why-rss-dumped-khaki-shorts-chose-brown-trousers-as-new-uniform

Loading

યા દેવી સર્વભૂતેષુ

આશા બૂચ|Opinion - Opinion|15 March 2016

 

યા દેવી સર્વભૂતેષુ
બુદ્ધિ રૂપેણ સંસ્થિતા
નમસ્ત્સ્યે નમસ્ત્સ્યે નમસ્ત્સ્યે નમો નમ:

દેવી સૂકતમાં શિવની સાથે દેવીને પણ નમન કરતા શ્લોક છે જેમાં દેવીની બુદ્ધિ, ક્ષુધા, શક્તિ, શાંતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, સ્મૃિત, દયા, છાયા, તૃષા અને માતૃ રૂપે આરાધના કરવામાં આવી છે.

જ્યારે પણ સમ ધર્મી અને અન્ય ધર્મીઓ સાથે ધર્મના મર્મની વાત નીકળે અને ધાર્મિક ગ્રંથો, પ્રાર્થના, પૂજા, તહેવારો વગેરે વિષે ઉલ્લેખ થાય ત્યારે હું કહેતી હોઉં છું કે ભઈ, અમારે હિંદુ ધર્મમાં ઈશ્વર માત્ર પુરુષ નહીં, સ્ત્રી રૂપે પણ હાજરાહજૂર હોય છે. શિવ-શક્તિ એક શબ્દ મનાય છે. એટલી હદે કે એક શરીરમાં નર-નારી બન્નેનો સમન્વય થયેલો બતાવાય છે. જેટલા ભગવાન અને દેવ તેટલા જ બલકે તેથી વધુ સંખ્યામાં સ્ત્રી શક્તિ અને દેવીઓની કલ્પના કરેલી છે. તેમનું સ્થાન ભગવાન જેટલું જ ઊંચું છે. તેમની મૂર્તિઓ બને, પૂજા-અર્ચના થાય, તેમની માનતાઓ મનાય અને તેમના માનમાં ઉત્સવો મનાય એ દર્શાવે છે કે દુનિયામાં હિંદુ ધર્મ એક જ માત્ર એવો ધર્મ છે જેમાં દેવ જેટલું જ દેવીઓનું ઊંચું સ્થાન છે અને તે નિર્વિવાદ છે. આમ કહી હું એમ પણ પ્રસ્થાપિત કરવા કોશિશ કરું કે આથી જ તો અમારી પ્રાર્થનાઓમાં પ્રથમ વંદન માતાને અર્પીએ, પિતાનું સ્થાન તેના પછી આવે. માતૃ શક્તિને લક્ષીને વિવિધ સાહિત્ય રચનાઓ સદીઓથી થતી આવી છે. અને આથી જ મને મારા ધર્મના સ્ત્રી સન્માન વિષેના ખ્યાલો પ્રત્યે આદર છે.

ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષીઓ ભારત ભૂમિ પર પાકી. ઝાંસીની રાણી અને રાણી અહલ્યાબાઈ જેવી વીરાંગનાઓ ધરતીને ઘમરોળીને દુશ્મનોનો સામનો કરવાનું શીખવી ગઈ. મધર ટેરેસા અને મીરાંબહેન જેવી વિદેશી પુત્રીઓએ ભારતને પોતાનો ગણીને તેનાં સંતાનોની મૂક સેવા કરીને સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડયું. સરોજિની નાયડુ અને પ્રતિભા પાટીલે રાજકારણ શોભાવ્યું. પ્રથમ હવાઈ જહાજ ચાલક સરલા ઠકરાલ અને પહેલી ટ્રેન ડ્રાઈવર સુરેખા યાદવે પુરુષો જે કામ કરી શકે તે બધાં સ્ત્રીઓ કરી શકે, માત્ર વધુ સારી રીતે, એ સાબિત કરી બતાવ્યું. એવરેસ્ટને સર કરનાર બચેન્દ્રી પાલ, પ્રથમ ઉચ્ચ દરજ્જાની પોલીસ ઓફિસર કિરણ બેદી અને અવકાશયાત્રા કરનાર પ્રથમ અમેરિકન-ભારતીય કલ્પના ચાવલાએ ‘અશક્ય’ શબ્દને પોતાના શબ્દકોષમાંથી બાદ કરીને અજોડ સિદ્ધિ મેળવી, આધુનિક નારીઓ માટે માર્ગ મોકળો કરી આપ્યો. આ હકીકતની સાદર અને ગૌરવ સાથે નોંધ લેવી રહી.

આમ ચપટીભર નારીઓની સિદ્ધિઓની વાત કર્યા બાદ, મારી નજર વાસ્તવિક સમાજ જીવન, તેના પ્રશ્નો, દુરાચારો, ગુનાઓ અને સામાજિક અસમાનતાને કારણે પેદા થતી વિટંબણાઓ પર પડે અને સવાલ થાય, ઉપર કહી તે સુંદર વિભાવના અને આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે આવડું મોટું ગાબડું કેવી રીતે પડયું હશે, ભલા? તાજેતરમાં ‘આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાઈ. બહેનો હરખાઈ, ‘અમારું નામ બોલ્યા’! આમ જુઓ તો ઈ.સ. 1909માં કપડાં બનાવનાર સ્ત્રી મજૂરોના અધિકારોની રક્ષા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. જાહેર છે કે સ્ત્રીનું સ્થાન સમાજમાં ઘણું નિમ્ન ગણાવા લાગેલું તેથી તેને તેના મૂળ સ્થાન અને માન ભરેલ સ્થાને પુન:સ્થાપિત કરવા આ અભિક્રમ યોજાયો. સામાન્ય રીતે આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે કશુંક ગણનાપાત્ર પ્રદાન કરનારનું સન્માન કરવા, તેમના કાર્યની પ્રશંસા કરવા અને તેમના પ્રત્યે આદર-પ્રેમ દર્શાવવા 8મી માર્ચનો દિવસ ફાળવવામાં આવ્યો છે. પરંતુ સામાન્ય પ્રજા એ દિવસે પોતાના પરિવારની તેમ જ અન્ય બહેનો પ્રત્યે પોતાની આભાર અને પ્રેમની લાગણી દર્શાવતા કોઈ નાની સૂની ભેટ આપીને કૃતકૃત્ય થતા જોવા મળે છે. તેમ ઉપર ઉલ્લેખ કર્યો છે તેવી ભારતીય અને અનેક વિદેશી નારીઓ ખૂબ ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ પામીને ઝળકી ઊઠી છે, પરંતુ જગતની તમામ મહિલાની ગણતરીમાં એ માત્ર એક બિંદુ સમાન છે અને એટલે જ બાકીની કરોડો બાળકીઓ અને મહિલાઓનાં ઉત્થાન માટે કોશિશ કરવાનું પ્રણ દર વર્ષે લેવાતું રહે છે.

નારીની સફળ કારકિર્દી અને કુટુંબ તથા બહોળા સમાજમાં તેનું સ્થાન એ સિક્કાની એક બાજુ છે, તો તેની બીજી બાજુ પણ જોઈ લઈએ. ખાસ કરીને ભારતમાં વસતી અને મૂળ ભારતની અન્ય દેશોમાં વસતી મહિલાઓ પેલા શ્લોકમાં ગવાય છે તેમ કયા સ્વરૂપે પૂજાય છે તે તપાસીએ. વાચકોમાંના ઘણા કબૂલ કરશે કે તેમની માતા અને  દાદી-નાનીનાં લગ્ન માત્ર તેમના મા-બાપ કે વડીલો દ્વારા ગોઠવાયેલાં હતાં એટલું જ નહીં પણ થનાર પતિ-પત્ની વચ્ચે બૌદ્ધિક કે વૈચારિક સામ્ય, જીવન પ્રત્યેનો અભિગમ કે વ્યક્તિગત શોખ, ગમા-અણગમાને ધ્યાનમાં લેવાનો તે વખતે ‘રિવાજ’ નહોતો. અરે, કેટલાક કિસ્સાઓમાં તો ઉંમરનો પણ ખાસ્સો તફાવત રહેતો અને એ બધું જ રિવાજ, સંસ્કૃિત, રૂઢિ અને પ્રતિષ્ઠાની જાળવણી કરવા ખાતર થતું તેમ સમજાવવામાં આવતું. પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાને પરિણામે દીકરી માટે શિક્ષણના દરવાજા બંધ કરી તેને માત્ર અને માત્ર ગૃહકાર્યની સીમામાં ઝકડી દીધી. આથી છોકરો નાનો હોય ત્યારથી જોતો આવે કે તેના બાપુ માની વાત કાને ન ધરે, તેને ધમકાવે, અન્ય દેખતા અપમાન કરે, માર મારે, કાઢી મુકે અને છેવટ જાન ગુમાવે તો પણ તેની પત્ની કે તેના કુટુંબીજનો સ્ત્રીનો બચાવ ન કરે કે પુરુષને તેમ કરતા ન રોકે તે તદ્દન સ્વાભાવિક છે. કેમ કે તેના સ્થાને બીજી સ્ત્રીને લાવી શકાય. અને એવી સ્ત્રીને પૂછો કે તું શા માટે આ ત્રાસ અને અન્યાય સહન કરે છે? તો કહેશે કે ‘ઈ તો એમ જ હોય, ભાઈ માણસ બે આકરાં વેણ કે, ધોલ ધપાટ કરે તો ઇમાં આપડે શું કરીએ? ક્યાં જઈએ? પિયરિયું તો લગન થિયાં તે દીનું છૂટ્યું, ન્યાં કાંઇ પાછું નો જવાય, એના કરતાં તો કૂવો અવાડો પુરવો સારો. પણ જો એમ કરું તો આ છોકરાંવનું કોણ?’

આમ થવાનું કારણ એ પણ છે કે જેમ દીકરાને વધુ મહત્ત્વ અપાય, ભણવા દેવાય અને મોટા થઈને કમાઈને લાવવાની મહત્ત્વાકાંક્ષા રોપીને ઉછેરવામાં આવે છે તેમ દીકરીને બધાના કહ્યામાં રહેવું, ઊંચે સાદે સામે ન બોલવું, ઘરનું બધું કામ કરવું, ઘરની બહાર નોકરી કરવાની શું જરૂર, તારો વર કમાઈને દે એટલે બસ વગેરે શીખ આપીને કેળવવામાં આવી હોય એટલે ધણી પોતાનું ધાર્યું કરે અને ધણિયાણી તેના વશમાં રહે એટલે સમાજ સુચારુ રૂપે ચાલે. એમાં કશું કરવાપણું ન રહે. પત્ની એટલે ઘરનું બૈરું, ઘરમાં વગર પૈસે વૈતરું કરવા માટે સામાજિક વિધિસર ઢસડી લાવવામાં આવેલું પાત્ર એવી એક પ્રચલિત ધારણા છે તો સામે પક્ષે પતિ એટલે ઘરનો માલિક, મુખ્ય કમાનાર વ્યક્તિ અને સમાજની માન્યતા પ્રમાણે પોતાની સત્તા જમાવનાર જમાદાર એવો ખ્યાલ સદીઓથી જડ ઘાલી ગયો છે. ‘પુત્રવધૂ’ કહીને કંકુએ પગ રંગીને ઘરમાં પારકી દીકરીને લાવીએ ત્યારે તે તમારા પુત્રની સહધર્મચારિણી, સ્વતંત્ર ઈચ્છા અને વિચાર ધરાવનારી વ્યક્તિ છે એમ સ્વીકાર્યું? ‘કુલવધૂ’ના સ્વાંગમાં આવેલ સ્ત્રી તમારા કુળને દીપાવનાર સંતાનોની માતા થશે, તેને એ જવાબદારી નિભાવવા મોકળાશ આપવાની ચેષ્ટા કરી જોઈ?

આખર દીકરીને શું જોઈએ છે? દીકરાની જેમ પોષક ખોરાક, સારું શિક્ષણ, કળીમાંથી ફૂલ બનવાની મોકળાશ અને પોતાનાં સ્વપ્નને સાકાર કરવા જરીક અમથો ટેકો. એ શું વધુ પડતું છે? લગ્ન પછી પત્નીને કપડાં, ઘરેણાં, સારું ઘર અને સંતાનો આપી દીધાં એટલે વાર્તા પૂરી? કદાચ તેના ત્રાજવામાં ઘરના તમામ કામની સામે વહાલના બે શબ્દ મૂકો તો વહાલનું પલ્લું નમી જશે. કોર્ટ કચેરીમાં કામ કરતા પ્રતિષ્ઠિત વકીલ કે જજે કોઈ દિવસ પોતાની પત્ની કોઈ મુદ્દા વિષે શું વિચારે છે એ જાણવાની પરવા કરી હોય તો એ કેટલી ખુશ થાય એ જોયું છે? જે પોતાનાં સંતાનોની જનેતા છે, જેમને ઉછેરીને સંસ્કાર આપી સમાજને ચરણે ધરે છે તે પોતાની ફરજનું ચુકવણું નથી માગતી, પણ કદીક પોતાને સમકક્ષ ગણી તેની સાથે વાત કરવી, સમાજમાં તેના અસ્તિત્વનું અને તેના પ્રદાનનું મૂલ્ય આંકવાનું ચુકી જનાર પુરુષોને શું કહેવું? પોતાની પત્ની ન હોય તેવી સ્ત્રી તરફ કામુક દ્રષ્ટિથી જોઈ તેનું શોષણ કરતા પુરુષો તરફ સમાજ અને કંઈક અંશે કાયદો પણ આંખ આડા કાન કરે છે, તેની પાછળ પુરુષ પ્રધાન કુટુંબ વ્યવસ્થા છે. જ્યારે પોતાની કામવાસના સંતોષવી હોય ત્યારે પોતાની કે અન્યની સ્ત્રીનો તેની ઈચ્છા કે અનિચ્છાએ ભોગવટો કરવો એ શું સંસ્કૃત સમાજનું લક્ષણ છે? તો એ જ રીતે પોતાની પત્નીને પણ માત્ર જાતીય ઈચ્છાઓ પૂરી કરવાનું અને પોતાનો વંશવેલો ટકાવી રાખવા સંતાનો પેદા કરવાનું પાત્ર ગણવું એ પણ કંઈ શોભાસ્પદ નથી જ.

પશ્ચિમી જગતમાં સ્ત્રીનું સ્થાન પૂર્વીય દેશો કરતાં અલગ છે. પશ્ચિમના સમાજમાં વર્ષો પહેલાં દીકરીને ઓછું શિક્ષણ અપાતું એ ખરું અને આજે પણ તેને સમાન વેતન મેળવવા લડવું પડે છે. તેને મતાધિકાર પણ મોડો મળ્યો. તેના પ્રત્યે ઘરેલુ હિંસા આચરાતી જોવા મળે છે એ પણ જાણીએ છીએ. પરંતુ જાણે કે પૂર્વની સંસ્કૃિત પોતાના ધર્મ અને સામાજિક ધોરણોના ઓઠે સ્ત્રીઓને તેના માનવીય અધિકારોથી વંચિત કરી રહી હોય તેવું ભાસે. નહીં તો ભ્રુણહત્યા, ડાવરી જેવા અન્ય સામાજિક કુરિવાજોના ભોગ બની હજારો સ્ત્રીઓ જાન ગુમાવે અને ત્રાસના માર્યા કુટુંબ વિછિન્ન થઇ જાય તેવું ન બનતું હોત. અહીં ભારતના સમગ્ર પુરુષ વર્ગને રૂઢિચુસ્ત કે અન્યાયી ઠરાવવાનો આશય લગીરે નથી, પરંતુ બહુ મોટી સંખ્યામાં સ્ત્રીઓ પ્રત્યે તથા અત્યાચારો અને અન્યાયો પાછળ પુરુષોનું અધિપત્ય અને અહંકાર યુક્ત વલણ જવાબદાર હોવાનું સાબિત થયું છે. જો કે હું તો એમ કહીશ કે મા જ પોતાનાં સંતાનોને ઉછેરે છે, તો દીકરાને ગોળ અને દીકરીને ખોળ આપે, એકને નિશાળે મોકલે અને બીજીને વાસણ સાફ કરવા બેસાડે, દીકરાની કાન ભંભેરણી કરી વહુને ત્રાસ કરે, માર ખવડાવે અને દીકરીને ‘દુખી થાય તો પણ સાસરે પડી રહે’ એવી શીખ આપનાર પણ એક સ્ત્રી જ છે એટલે એ પણ એટલી જ જવાબદાર છે. તો શું આધુનિક સમાજમાં બને છે તેમ દીકરી અને વહુના અધિકારોની જાળવણી કરવા જતાં જેમ સ્ત્રી અને તેના પરિવાર જનોને અન્યાય થતો, તેમ હવે પુરુષ અને તેના કુટુંબને અન્યાય થવા લાગ્યો છે એ પરિસ્થિતિ ઇચ્છનીય છે?

સ્ત્રી-પુરુષ વચ્ચે ખરું સામંજસ્ય અને સમાનતા તો ત્યારે આવશે જ્યારે દીકરા અને દીકરીના ઉછેર અને કેળવણીમાં લૈંગિક ભેદને ભૂલી જઈને તેમને એક માનવ બાળ ગણી બંનેને ભાગે આવતા તમામ પ્રકારની શિક્ષા અને કાર્યની તાલીમ અપાશે અને કુટુંબ અને સમાજના સ્ત્રી અને પુરુષનાં સ્થાન અને માનના ખ્યાલો બદલાશે. તે માટે કોઈ સાલ નિશ્ચિત ન કરી શકાય, પણ જ્યારે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની માફક ‘‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ’ ઉજવાશે અને બંનેના સામાજિક, કૌટુંબિક, આર્થિક, રાજકીય અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અપાયેલ ફાળાની નોંધ લેવાશે ત્યારે સમાનતાનું પલ્લું સરભર થયું ગણાશે. એ માટે બધાએ સહિયારો પ્રયત્ન આદરવો રહ્યો.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,6813,6823,6833,684...3,6903,7003,710...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved