Opinion Magazine
Number of visits: 9691216
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રઘુવીર ચૌધરીને વાંચતાં

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|20 January 2016

રઘુવીર ચૌધરી તેમને જ્ઞાનપીઠ સન્માન મળ્યું તે પહેલાથી મારા પ્રિય ગુજરાતી લેખકોમાંના એક છે. મેઘાણી, ઉમાશંકર, દર્શક, સ્વામી આનંદ, હિમાંશી શેલત, સરૂપ ધ્રુવ, રમેશ પારેખ, સૌમ્ય જોશી પણ મને ઘણાં ગમે છે. આ બધાંને મેં પૂરાં તો નહીં પણ ઠીક ઠીક વાંચ્યાં છે, વિવેચક ન હોવાથી માણ્યાં પણ છે. કેટલાક વિવેચકો કરે છે તેમ મરાઠી અને ખાસ કરીને અંગ્રેજી લેખકોની આવી યાદી આપીને કેટલાક વાચકોને ઇમ્પ્રેસ પણ કરી શકું. 

પાઠ્યપુસ્તકમાંના રઘુવીર બીજા અનેક લેખકોની જેમ ભૂલાઈ ગયા છે. તેમને કંઈક સભાનતાથી  સહુથી પહેલા વાંચ્યા તે ૧૯૯૧માં. એ વખતે હું માણસાની આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતો. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અવારનવાર લખનાર તરીકે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને અંજલિ રૂપે કંઈક લખવું હતું. ગુજરાતીના એ જમાનાના એક અધ્યાપકે રઘુવીર ચૌધરીનું ‘સહરાની ભવ્યતા’ (૧૯૮૦) સૂચવ્યું. વ્યક્તિચિત્રોનો એ સંગ્રહ ઘણે હિસ્સે ભવ્ય લાગે છે. પછી તો યશવંત શુક્લ, દર્શક, બચુભાઈ રાવત, ઉમાશંકર વગેરે વિશે પ્રસંગે પ્રસંગે ક્યારેક પહેલા અંગ્રેજીમાં અને પછી ગુજરાતીમાં લખવાનું બન્યું, અને લગભગ દરેક વખતે આ પુસ્તક મહત્ત્વનું લાગ્યું છે.

કોઈપણ સમયના પ્રમુખ સર્જકની એક વિશેષતા એ છે કે તેની  કૃતિઓ પાસે સર્જન પાસે આપણે વારંવાર જવું પડતું હોય છે – આનંદ માટે તો ખરું, પણ આપણા સમયના આકલન માટે પણ! મેઘાણી, ઉમાશંકર, દર્શક, પુ.લ. દેશપાંડે, કર્નાડ, થોડાક પાછળ જઉં તો ઑરવેલ જેવા કેટલાક સાહિત્યકારોની બાબતમાં મારે આવું થયું છે. તેમાં રઘુવીર પણ છે તેની વાત આવતી જશે .

માણસામાં હું હતો તે ૧૯૯૩ સુધીના ત્રણ રમણીય વર્ષો દરમિયાન એ જ ભૂમિની  ‘ઉપરવાસ’ (૧૯૭૫) કથાત્રયી વાંચવાનો રોમાન્સ હજુ યાદ છે. લેખકે પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ ‘પાત્રોની સાથે જ આખા પ્રદેશમાં ફરવાનું બન્યું છે’. ગયા બે દિવસથી ‘ઉપરવાસ’નો આનંદ ફરીથી  ચપટી ચપટી ફરી માણી રહ્યો છું.  માણસાના દિવસોમાં રઘુવીરના ‘વતનની આત્મકથા’ થકી આખા પંથકને વ્યક્તિરૂપે અને શબ્દરૂપે એક સાથે જાણવા-માણવાનું મારું અહોભાગ્ય હતું. આ સામાજિક બૃહત્ નવલ પાસે ફરીથી જવાનું થયું તે મરાઠી દલિત લેખક લક્ષ્મણ માનેના ‘ઉપરા’ નામના અત્મકથનના અનુવાદ (૨૦૦૫) વખતે. આ લેખક વાંસનાં કામ કરનારી ભટકતી અને વિમુક્ત જાતિના છે. આપવીતીમાંથી અરધી તેમની કૈકાડી બોલીમાં છે. અનુવાદને તળપદનો  પાસ આપવા માટે મેં તેને ઉત્તર ગુજરાતની સાધારણ ગ્રામીણ લઢણમાં ઢાળવાની કોશિશ કરી. તેમાં મનથી એ ભાષા સાથે રહેવા માટે જે નવલકથાઓ વાંચી તે મફત ઓઝાની ‘જાતર’, પન્નાલાલની ‘વળામણાં’ તેમ જ ‘માનવીની ભવાઈ’ અને રઘુવીરની ‘ઉપરવાસ’.

વ્યક્તિચિત્ર મને ગમતો એક સહિત્યપ્રકાર. એટલે ‘તિલક કરે રઘુવીર’(૧૯૯૮)નો બીજો ભાગ મળતા સોતો જ વાંચી ગયો. પહેલો ભાગ સાહિત્યકારો વિશે હતો. બીજા ભાગનું પેટાશીર્ષક જ એની તરફ ખેંચી ગયું ‘કર્મશીલ સારસ્વતો’. સમાજ માટે કામ કરનાર, જાહેર જીવનમાં બદલાવ માટે ફાળો આપનાર જે વ્યક્તિઓનાં નામ મેં સાંભળ્યા હતા, જેમના વિશે હું જાણવા માગતો  તેમાંથી ઘણા એમાં હતા. રઘુવીરે કરેલી એમની વાતમાં સામાજિક કૃતજ્ઞતા મારા માટે બહુ મહત્ત્વની હતી. સાથે ચરિત્રકારનાં રમતિયાળ ગદ્ય અને લાક્ષણિક તીર્યકતામાં પણ મને મજા પડી. પુસ્તક વાંચ્યું ત્યારે એમાંથી કેટલુંક તો ખાસ મિત્ર સૌમ્યને રાત્રે સાડા અગિયારે લૅન્ડલાઈન પર ફોન કરીને વાંચી સંભળાવ્યું. તેમાં સહુથી મનભર લાગ્યું તે પુરોવચન. એને મેં હમણાં જ્ઞાનપીઠ નિમિત્તે ફેઇસબુક પર શેઅર કર્યું છે. છતાં અહીં ટપકાવવાની લાલચ રોકી શકતો નથી :

માણસમાં એક ગુણ પણ અવિચળ રહે તો ભયો ભયો : માત્ર ગુણદર્શી કે નર્યા વાંકદેખા થયા વિના સજીવ સૃષ્ટિને ચાહવાનો સ્વભાવ મને મળેલો છે. અનંત ઉદારતાઓ અને વિરાટ લિપ્સાઓ જોયા પછી, મનની સંકુલતા સમજવા છતાં વિશ્વાસ મુકવાનું જોખમ ખેડ્યું છે. આથી સર્જકો સારસ્વતો, લોકસેવકોને વખાણી શકું છું. આ ઉધાર જમાનામાં યૌન હિંસા અને દગાફટકાનાં ઘેરાં દૃશ્યોના પ્રસારથી સમૂહ માધ્યમોએ સહૃદયને લગભગ રતાંધળો કરી મૂક્યો છે. ત્યારે પ્રશ્ન થાય : માણસની ભલાઈ જોવાના રાજીપામાં એ જોડાશે ખરો?

દોષ પર હસી લેવું અને ગુણ પર મુગ્ધ થવું એટલે તિલક કરવા પ્રેરાવું. મનમાં તીર્થનું વાતાવરણ  સર્જવું, જેમાં અજાણ્યા રહીને આગળ વધી ગયેલા યાત્રીઓની હાજરી અનુભવી શકાય. શક્ય છે કે એ વાતાવરણમાં પ્રેમનો ઉજાશ પ્રગટે ને એકલવાયું ન લાગે. કશા હેતુ વિના શુભને વખાણવું એ ચાહનાનું એક રૂપ છે. કંઈક આવી મૂડી આ રેખાચિત્રોમાં રોકાયેલી છે.

આ ફકરા એ વખતે આદરણીય મહેન્દ્રભાઈને ‘કંઠસ્થ અને હૃદયસ્થ કરવા જેવા ગદ્યાંશો’ કહીને લખી મોકલ્યા હતા, અને વળતા પત્રમાં તે મારી વાત સાથે સંમત પણ થયા હતા. મહેન્દ્રભાઈને રઘુવીરે ઉત્તમ  રીતે તિલક કર્યું છે. તેમાં એક વાક્ય લખ્યું છે : ‘ગુજરાતના મોટા ભાગના પ્રકાશકો મહેન્દ્ર મેઘાણી વિશે ઍમ્બિવૅલન્સ અનુભવે છે. સમજી શકતા નથી કે એમને વખાણવા કે વખોડવા.’ હું પણ રઘુવીર વિશે અૅમ્બિવૅલન્સ અનુભવું છું. વખોડવાના છેડાનો સવાલ નથી. પણ મારું ઍમ્બિવૅલન્સ કંઈક આવું છે. ‘તિલક’ ના બીજા ભાગ વિશે એ વખતે ધોરણસરની ગુણવત્તા ધરાવતા ‘પરબ’ (જૂન ૧૯૯૮) માસિકમાં લેખ કર્યો તેમાં રઘુવીર પણ ‘ક્યારેક તિલક કરવાને યોગ્ય લાગે છે’ એવો પ્રયોગ પણ હતો. રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ ‘અમૃતાથી ધરાધામ’ (૨૦૧૪) પ્રસિદ્ધ થયો. ગ્રંથની પ્રક્રિયા દરમિયાન મને બાતમી મળી હતી કે ‘પરબ’વાળો મારો લેખ તેમાં સમાવવામાં આવી રહ્યો છે. પણ લેખના પુનર્મુદ્રણમાં આ વાક્ય ન આવે તે માટેની મારી આગોતરી કોશિશ સફળ થઈ ન હતી. અલબત્ત, આ સંપાદકીય મામલો હતો. એને જવા દઈએ તો ય રઘુવીર મારા માટે કોયડો રહ્યા છે!

રઘુવીર  છૂટાછવાયા નાના-મોટા સંદર્ભે વંચાતા જ રહ્યા. જેમ કે મહાભારત આધારિત, દલપત ચૌહાણની નાટ્યકૃતિ ‘અનાર્યાવર્ત’ પર ‘દલિત અધિકાર’ના ઉપક્રમે વક્તવ્ય આપવાનું થયું ત્યારે તેના સ્વાધ્યાય તરીકે દુર્ગા ભાગવતના ‘વ્યાસપર્વ’ અને ઇરાવતી કર્વેના ‘યુગાન્ત’ની જેમ રઘુવીરની ત્રયી ‘ગોકુળ-મથુરા-દ્વારકા’ (૧૯૮૬) પણ જોઈ ગયો હતો. ‘માનવીની ભવાઈ’ના મરાઠી અનુવાદનું પરામર્શન કરવાનું થયું ત્યારે એક-બે જગ્યાઓની સ્પષ્ટતા માટે, વિ.વાય. કંટકે ‘એન્ડ્યોરન્સ : અ ડ્રૉલ સાગા’ નામે કરેલો તેનો  અંગ્રેજી અનુવાદ અને રઘુવીરે ‘જીવન એક નાટક’ નામે છેક ૧૯૬૮માં કરેલો હિંદી અનુવાદ જોયો હતો. ચારેક વર્ષ પહેલાં લોકનાયક  ચુનીભાઈ વૈદ્ય પરના અભિવાદન ગ્રંથ માટેનું કામ મિત્રોએ શરૂ કર્યું, તે નિમિત્તે રઘુવીરે ‘તિલક’ માં કરેલું ચુનીકાકાનું રેખાચિત્ર વાંચ્યું. ‘દર્શકના દેશમાં’ તો અવારનવાર ઉપયોગમાં લીધું છે. 

ડૉ. પ્રકાશ આમટેના મરાઠી આત્મકથન ‘પ્રકાશવાટા’નો ‘પ્રકાશની પગદંડીઓ’ (૨૦૧૨) નામે અનુવાદ કર્યો. તેના પ્રકાશક મહેશ દવેએ રઘુવીરભાઈને પુસ્તકની નકલ મોકલી હતી. પંદરમી સપ્ટેમ્બરના પ્રકાશન સમારંભના સમાચાર આવ્યા, તે પછી બીજા જ અઠવાડિયે ‘દિવ્ય ભાસ્કર’માં પુસ્તકનું પહેલવહેલું અવલોકન લખનાર તે રઘુવીર. ડૉ. પ્રકાશના પિતા અને લોકોત્તર સમાજસેવક મુરલીધર અર્થાત્ બાબા આમટે. રઘુવીરે અવલોકનમાં લખ્યું હતું ‘સને ૧૯૮૫માં – આજથી સત્તાવીસ વર્ષ પહેલાં એમને [બાબા આમટેને] મળવા જતાં દીર્ઘ કાવ્ય રચાયેલું ‘મારે તારી જરૂર છે મુરલીધર !’ એ રચના પછી ક્યાં ગઈ એનો ઉલ્લેખ ન હતો, મને ય ખબર ન હતી.  પણ રઘુવીરનો ‘ફૂટપાથ અને શેઢો’ (૧૯૯૭) કાવ્યસંગ્રહ મારી પાસે હતો. એમાં જોયું તો ત્રીજા ક્રમે ત્રણ પાનાંની આ કવિતા હતી! આવો જ અચંબો જુલાઈ-ઑગસ્ટ ૨૦૧૪માં થયો હતો. અધ્યયન ગ્રંથમાંથી ‘ધરાધામ’ કાવ્યસંગ્રહ વિશે જાણ્યું, તે વસાવ્યો, વાંચવા લાગ્યો. તેમાં એક કવિતા હતી ‘પ્રકાશની પગદંડીઓ’, ડૉ. પ્રકાશ અને ડૉ. મંદા આમટે વિશેની જ તો. લખ્યા તારીખ ૧૪-૧-૧૩! અઠ્ઠ્યાવીસ વર્ષ પછી ય ગુણાનુરાગિતાનું એ જ સાતત્ય!

‘ધરાધામ’(૨૦૧૪)ની કેટલીય રચનાઓ વારંવાર વાંચી. ‘વહેતા વૃક્ષ પવનમાં’ (૧૯૮૪) સંચયના કવિએ અહીં ફરી એક વાર ઝાડ, માટી, ખેતર અને તેની આસપાસની આખી ય સૃષ્ટિનો જે મહિમા કર્યો છે ! મને તો એ કૃતિ કુદરતને વાંચનારના તીર્થધામ જેવી લાગે છે. તેમાંથી શું સંભળાવું ને શું ટાંકું એવું થઈ જાય. ‘ધરાધામ’ અને ‘બચાવનામું’(૨૦૧૧)ના પ્રકાશન વચ્ચે ત્રણ વર્ષનો ફેર, પણ મારા વાંચવામાં બંને પુસ્તકો સાથે જ આવ્યાં.

‘બચાવનામું’ એ રઘુવીર અને ગુજરાતી કવિતા બંનેની રીતે મને બિલકુલ જ સીમાચિહ્ન સમી કૃતિ લાગી. એની ખબર જ ન હતી એ મને ન ગમ્યું. પણ અધ્યયનગ્રંથમાંથી ખબર પડી કે આ સાંપ્રત મુખ્ય કૃતિની આપણા અભ્યાસીઓએ લગભગ નોંધ જ નથી લીધી; તેના વિશે સુરેશ દલાલની પ્રસ્તાવના અને ભોળાભાઈ પટેલના પુસ્તકમાં જ મૂકેલા દીર્ઘ લેખ ઉપરાંત માત્ર બે જ લેખો લખાયા છે, એ પણ ટૂંકા! આવું શા માટે થયું હશે? કારણ એ લાગે છે કે સમાજ અને સમષ્ટિના ધરતી પરના નક્કર પ્રશ્નોની વાત આપણા અભ્યાસીઓના શાહમૃગી વૃત્તિ ધરાવતા એક મોટા હિસ્સાને માફક જ આવતી નથી.

‘બચાવનામું’ નવ સર્ગનું છાંદસ પ્રબંધકાવ્ય છે. તેમાં કવિ જળ-જંગલ-જમીન, વિસ્થાપન, નક્સલવાદ, ગાંધીવિચાર, વિકાસના નામે વિનાશકારી નીતિઓનો અહિંસક પ્રતિકાર, નવરચનાના પ્રયત્નો જેવી અનેક બાબતોને બહુ કલાત્મક રીતે સ્પર્શે છે. કવિતાના સોંદર્યનિધાનો અનેક છે. ‘વડવા મારા ખેતર થઈને જીવતા’, ‘અવિદ્યાનો નથી બાધ, કે નથી કર્મયોગનો/તૂટે છે સંતુલનો ત્યારે વધે છે વ્યાપ ભોગનો’, ‘નારી ચૈતન્યની ધાત્રી’ જેવી સંખ્યાબંધ સુંદર પંક્તિઓ ઠેરઠેર વાંચવા મળે છે. પ્રસ્તાવનામાં લેખકે  રચનાપ્રકિયા સાથે કૃતિના હેતુ, વિચાર અને  તત્ત્વદર્શન વિશે પણ લખ્યું છે. તેમાં એક જગ્યાએ તે લોભ, ભૌતિકતાવાદ અને હિંસાની વાત કરીને પછી નોંધે છે : ‘…આ બધું મળીને આતંકવાદને જગવતાં નિમિત્ત પૂરાં પાડે છે એવા આતંકવાદની અવિચારી નિંદા ન થઈ શકે. વિદેશી નાણાંથી નભતો ઝનૂની આતંકવાદ વર્જ્ય છે પણ દીનદલિતના પક્ષે જાતનો ભોગ આપવાની તૈયારી સાથે લડતો કિશોરો-યુવકોનો આતંકવાદ આમૂલ તેમ જ સર્વાશ્લેષી દૃષ્ટિથી વિચારવા વિવશ કરે જ.’ આવું અત્યારના ભાગ્યે જ કોઈ પ્રમુખ ગણાતા ગુજરાતી લેખકે લખ્યું છે. ત્રીસ વર્ષની કૃતિસાધનાનું આ ફળ રઘુવીરે ચુનીભાઈ વૈદ્ય અને કાન્તિભાઈ શાહને અર્પણ કર્યું છે. આ બંને ઉત્તુંગ કર્મશીલો હતા. ચુનીકાકાનો રાજ્ય સામેનો સંઘર્ષ ચાલતો જ રહેતો. રાજ્યની ભૂમિકાની પ્રકટ સમીક્ષા (ક્રિટીક ઑફ ધ સ્ટેટ), જરૂર પડ્યે તેની સામેનો સંઘર્ષ દર્શક, ઉમાશંકર, યશવંત શુક્લ, જયંતિ દલાલ જેવા રઘુવીરભાઈ માટે બહુ આદરણીય સાક્ષરોમાં છે. પંચાણું પાનાંની ‘બચાવનામું’ કૃતિ વાંચીને પૂરી કરવા સુધી ઊંઘ ન આવી. છંદો અનુરણનથી જ જાણું, એટલે આવડી એવી વાંચી. એમ થયું કે આ કૃતિના અભિવાચન કે વાચિકમ થકી વધુ લોકો સુધી પહોંચવી જોઈએ. એટલે બે-ત્રણ મિત્રોને વાત પણ કરી રાખી, અનેક મનસુબાની જેમ આ પણ બર આવે ત્યારે ખરો!

જોગાનુજોગે એવું થયું કે ગયા વર્ષે  જુલાઈ-ઑગસ્ટમાં અધ્યયન ગ્રંથ આવ્યો તે પછી અત્યાર સુધીમાં રઘુવીરનાં પુસ્તકો પાસે ઓછામાં ઓછા ત્રણ વખત જવાનું થયું. મહુવા પાસેના તલગાજરડામાં યોજાતા સદભાવના પર્વ નિમિત્તે મોરારિબાપુના આયુધ વિનાના રામની વિભાવના વિશે લખવાનું થયું ત્યારે રઘુવીરે આ રામકથાકાર વિશે લખેલા પુસ્તકમાંથી પસાર થયો. તે પહેલાં  આ પુસ્તક ખસૂસ વાંચ્યું ન હતું, અને આ જરૂર ન ઊભી થઈ હોત તો વાંચત પણ નહીં. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય કે સચ્ચિદાનંદ પર લખેલાં પુસ્તકો નથી જ વાંચ્યાં. એક નોંધ લખવા માટે સંદર્ભ તરીકે, રઘુવીરે મિલ ઉદ્યોગ પર લખેલી ‘કાચા સૂતરને તાંતણે’ નવલકથાની પ્રભાવક અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના વાંચી અને પુસ્તકનાં પાનાં ફેરવ્યાં. નવાઈની વાત એ કે ગુજરાતના એક સમયના વિશ્વવિખ્યાત મિલઉદ્યોગ વિશે આપણે ત્યાં આ વિષય પર બીજી એક જ નવલકથા મળે છે તે અંગ્રેજોએ પ્રતિબંધિત કરેલ ચંદ્રભાઈ ભટ્ટની ‘ભઠ્ઠી’ (૧૯૩૨).  હમણાં ચારેક મહિના પહેલાં અનામત આંદોલનના સંદર્ભે રઘુવીરની ‘મનોરથ’ નવલકથા વિશે વાંચ્યું. ગુજરાતમાં ૧૯૮૫માં થયેલું અનામત વિરોધી આંદોલન અને તે દરમિયાન આવેલી રથયાત્રા ફાટી નીકળેલી હિંસા પછી આંદોલને લીધેલો ભીષણ વળાંક એ આ નવલકથાનો વિષય છે. કોમવાદના હિંસક રાજકારણના ભાગ તરીકે બનેલી રથયાત્રાની ઘટનાનું રઘુવીરે પ્રજાશક્તિના વિજય તરીકે ઉદાત્તીકરણ કર્યું છે. સમકાલીન જીવનના અર્થઘટન અને વર્ણનના સર્જક-સ્વાતંત્ર્યને સ્વીકારીને પણ એ કહેવું જોઈએ કે લેખકે અહીં  સેક્યુલર લોકશાહી દેશની એક પ્રતિગામી ઘટનાને  વિપરિત રીતે રજૂ કરી છે. સાથે એવું ય બન્યું છે કે હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થાને કારણે ઊભી કરવી પડેલી અનામત પ્રથાને તેમણે – તેના રાજકીય સ્વાર્થ માટે કરવામાં આવેલા ઉપયોગના હિસ્સાની વૈચારિક  સભાનતા અને વાર્તાકીય  અવગણના સાથે – યથોચિત સમર્થન આપ્યું છે. એક જ લેખકના એકસો સડસઠ પાનાંમાં પ્રગતિશીલ અને પ્રતિગામી  દૃષ્ટિબિંદુઓ એકસાથે જોવા મળે એવું ઓછું બને છે.  જો કે અપવાદો બાદ કરીને, અત્યારના ગુજરાતી સાહિત્યની એકંદર સમાજવિમુખતાને ધ્યાનમાં લેતા લેખકના શબ્દો નોંધવા જેવા છે : કલાવાદીઓ અને સત્તાવાદીઓને આ પ્રકારનું લખાણ ન ગમે એ સમજી શકાય … હું માનું છું કે લેખકે સમાજલક્ષી વિવાદોમાં પડવું જોઈએ. છાંટા ઊડવાની બીકે સંઘર્ષથી બચીને ચાલવાને બદલે જોખમ ઉઠાવવું જોઈએ.

આવું જોખમ રઘુવીર ગોધરાકાંડ પછીના ગુજરાત અને દેશમાં જે કંઈ બની રહ્યું છે તે બાબતે ઊઠાવે એવી અપેક્ષા રહી છે. એ વાત સાચી કે  ‘સોમતીર્થ’(૧૯૯૬) નવલકથા, વધતા જતા કોમી વૈમનસ્યના સંદર્ભમાં સોમનાથ મંદિરના ધ્વંસનો ઇતિહાસ તપાસે છે. ‘સમજ્યા વિના છૂટા પડવું’(૨૦૦૩)માં રમખાણો અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો આતંકવાદી હુમલો, ગુજરાતના ભૂકંપની જેમ જ વાર્તાનો હિસ્સો છે. પણ એક પ્રમુખ લેખક તરીકે ગુજરાતમાં ખેતીનો વિનાશ, શિક્ષણની પડતી, વિરોધ પર દમન, તેમ જ દેશમાં ચાલી રહેલી લોકવિરોધી નીતિઓ અને અસહિષ્ણુતા  જેવા મુદ્દે તેમની પ્રતિક્રિયાની અપેક્ષા રહે જ છે. 

રઘુવીરભાઈએ સાને ગુરુજીના ‘ભારતીય સંસ્કૃિત’(૨૦૦૦)નો મારો અનુવાદ તેમના રંગદ્વાર પ્રકાશન તરફથી બહાર પાડ્યો. ‘ઉપરા’ તેમના અને મારા પિતાજીના સતત ટેકા  વિના ન થઈ શક્યું હોત. પ્રોત્સાહન ઉપરાંત પ્રેમ પણ કેવો ? રંગદ્વારના પુસ્તકભંડાર પર ગયો છું ત્યારે લગભગ દરેક વખતે પુસ્તકો ભેટ મળ્યાં છે – ‘ફૂટપાથ અને શેઢો’, ‘ભૃગુસંહિતા’, ‘સહરાની ભવ્યતા’, ‘દર્શકના દેશમાં’, ‘વાડમાં વસંત’, ‘પ્રાણપ્રતિષ્ઠા’. આ બધામાં રઘુવીરની સહી અને તારીખ હોય, પણ સાથે મારી પત્ની અને દીકરીનાં નામ પણ હોય. રઘુવીર માટે પરિવાર કેટલો મહત્ત્વનો છે – પોતાનો અને બીજાનો પણ. અમારા ઘર વિશે  તેમણે વાર્તાના પાતળા આવરણ હેઠળ ‘દિવ્ય ભાસ્કર’ (૨૬/૧૨/૨૦૦૪) માં લખ્યું હતું, જે પછી ‘જિંદગી જુગાર છે ?’ (૨૦૦૫) સંગ્રહમાં મૂક્યું છે. કેટલી ય બાબતો માટે કૃતજ્ઞ છું!

૧૦ જાન્યુઆરી, ૨૦૧૬      

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 08-10

Loading

સો સો સલામું છતાં …

ભરત મહેતા|Samantar Gujarat - Samantar|20 January 2016

૧. પૂર્વરાગ :

હું કૉલેજના પહેલા – બીજા વર્ષમાં હતો અને ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડેલો. સરકાર રાબેતામુજબ નિષ્ક્રિય હતી. ત્યારે ‘દુષ્કાળ પ્રતિરોધ સમિતિ’ના અન્વયે કામ કરતાં કરતાં રઘુવીર ચૌધરીને પહેલીવાર મળેલો. અમારી સાથે ફરી, ડબ્બો હાથમાં લઈ ફાળો ઉઘરાવતા, પરિષદના બંધાઈ રહેલા મકાન માટે નાનામાં નાનું ધ્યાન રાખતા. એ વખતે અનાયાસ હું વેચાણવેરા ભવનમાં, પરિષદની પડોશમાં કારકૂન હતો. પછી મેઘાણી હો કે ભગતસિંહ, પ્રેમચંદજી વગેરેના કાર્યક્રમોમાં અમારી સાથે જોડાતા હતા. દ્વારિકાનાથ રથ, કનુભાઈ ખડદિયા, મીનાક્ષીબહેન જોશી, દામિનીબહેન શાહના અમારાં જૂથને હૂંફ પૂરી પાડતા હતા. સાદગીપૂર્ણ જીવન, મૂલ્યનિષ્ઠ સાહિત્યની જિકર, ઉમાશંકર-દર્શકના અનુયાયી હોવાનું ગૌરવ – આ બધાં વાનાં મને આકર્ષતા હતા. નાનામાં નાના  માણસ સાથે પ્રેમથી વર્તે. એમની સાહિત્યકૃતિમાં આદર્શવાદ અને પ્રાયોજિત વાસ્તવ હોઈ,  દૂરિતનો મુકાબલો ઓછો હોવાથી મને સંકુલ લેખક કદી નથી લાગ્યા. એમની વાર્તાઓ, ‘ઉપરવાસ’ કથાત્રયી કે ‘સોમર્તીથ’માં જુદાં જુદાં કારણોસર રસ પડેલો. મેં ૨૦૦૨માં ‘જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા’ એવું સંપાદન કરેલું છે. ‘ચિત્રપ્રિયા’વાળા એકાદ આકલનને બાદ કરતાં અન્ય નવલકથાકારો સક્ષમ છે. એ પરંપરામાં જ્ઞાનપીઠાધીશ આપણા સહુના રઘુવીરભાઈ બની રહ્યાં છે ત્યારે હું તેમને સો સો સલામું મારવામાં ગૌરવ અનુભવું છું. નવમાં દાયકામાં એમણે જ દલિતસાહિત્યને પ્રતિષ્ઠિત કરવામાં ફાળો આપેલો છે. છતાં એવોર્ડ મળતાવેંત જ એમણે કેટલાંક એવાં ઉદ્દગારો કર્યાં છે કે તેમણે મારા જેવા એમના ચાહકને નિરાશ કર્યો છે. તેથી મને થાય કે સમૂહમાધ્યમો એમનો આવો ‘ઉપયોગ’ કરે તે પહેલાં તેઓ જરા ખમૈયા કરે તો સારું.

૨. ઉત્તરરાગ :

અકાદમીની સ્વાયત્તતાના સળગતા સવાલમાં ઝંપલાવતા એમણે લાગલું કહી જ દીધું કે કોર્ટ ચડવાની જરૂર નહોતી! સંવાદથી પ્રશ્ન ઉકેલાવો જોઈએ. આમ કહેવામાં નિવૃત્ત થતા પરિષદપ્રમુખ અને નવનિયુક્ત પરિષદપ્રમુખની અવમાનના છે. ડૉ. ધીરુ પરીખ અને ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા જ કોર્ટ ચઢેલા છે! નારાયણ દેસાઈના ઠરાવ પછી ઈ.સ. ૨૦૦૮થી સંવાદની કેટકેટલી શકયતા હતી. કેમ કંઈ થયું નહીં? શું આ અંગે સંવાદની પૂર્ણ કામગીરી કરીને જ સાહિત્યકારો ન છૂટકે કોર્ટ પાસે નથી ગયા? જે ઉમાશંકર – દર્શકની ઝંખનાની અકાદમી હતી અને જે અકાદમીનું બંધારણ સોસાયટી ઍક્ટ મુજબ રજિસ્ટર્ડ થયેલું હોય તેનાં વર્તમાન સરકાર લીરેલીરાં ઉડાવી દે, એ ગુજરાતી  સર્જકોનું  અપમાન નથી? જે  બાર-માથાળી  સરકાર  મહુવા  સેઝ  માટે  વિભીષણ  સમા  કનુભાઈ કળસરિયાને કોર્ટ ચઢાવે છે ત્યારે તો તેઓ ભાજપના સન્માનનીય નેતા હતા છતાં પણ તો શું આ સરકાર પાસે આ સંવાદની અપેક્ષા રાખી શકાય?

બીજું  કે  આપનો  પડ્યો બોલ ઝિલતા રાજેન્દ્ર  પટેલ,  નીતિન  વડગામા  કે  જનક  નાયકને  તમે બિનસ્વાયત્ત અકાદમીના કારોબારી સભ્યો બનતાં અટકાવી ન શકો? બલકે તમારી એક કૉલમ હતી તે મુજબ આપે ‘આંખ આડા કાન’ કર્યાં છે. જો તમે કોર્ટ ચઢનારાની ટીકા કરી શકતા હો તો બિનસ્વાયત્ત અકાદમીમાં કારોબારી સભ્યો બનનાર ગુજરાતી સાહિત્ય પરિષદના કારોબારી સભ્યોને હરફમાત્ર પણ કહી શકતા નથી? ગુજરાત સાહિત્ય અકાદમીનું સરકારીકરણ જેવી ઐતિહાસિક ઘટનાના ભાગીદારોને તમે રોક્યા?

ત્યાર બાદ આપે કેન્દ્રીય સાહિત્ય અકાદમીને પુરસ્કાર પાછા આપનાર લેખકોને પણ અયોગ્ય ઠરાવ્યાં ! તમે કહ્યું કે ‘લેખક એ કાંઈ વિરોધપક્ષનો નેતા નથી’ હકીકત એ છેક એ સરકારી વાજિંત્ર પણ ન હોવો જોઈએ. આપે  કહ્યું  કે  ‘કુલબુર્ગીને  શ્રદ્ધાંજલિ  અપાઈ  ચૂકી  છે  તેથી  હવે  વિરોધની  જરૂર  નથી’  આપો  જાણો  છો  કે કે. સચ્ચિદાનંદે ત્રણ ત્રણ પત્રો લખ્યા છતાં શ્રદ્ધાંજલિ અપાઈ નથી! તેથી એમણે રાજીનામું આપ્યું, પુરસ્કારો પાછા અપાયા પછી અકાદમીએ  શ્રદ્ધાંજલિ  આપી ! દાભોલકર,  કુલબુર્ગી  કે પાનસરેની  હત્યાના  સંદર્ભે દેશભરમાં સંમેલનો થયાં છે, શ્રદ્ધાંજલિઓ અપાઈ છે જયારે ‘ગુજરાત કોરી કોરી રે છે’ શું એમાં આપણો ફાળો નથી? ઍવોર્ડવાપસી એ પ્રતિરોધની એક રીત છે તેથી ન આપનારાઓએ ટીકા કરવી જરૂરી નથી.

તમે અસહિષ્ણુતાના સંદર્ભે કહ્યું કે ભારતના ભાગલા વખત જેવી અત્યારે પરિસ્થિતિ નથી. શું આપણે એ પરિસ્થિતિની રાહ જોવી છે? બાબરીધ્વંશ પછી ભારતમાં સાંપ્રદાયિક રાજનીતિએ માઝા મૂકી છે. ૨૦૦૨નું ગુજરાત, મૂઝફ્ફરનગર, માલદાના દૃષ્ટાંતો સામે જ છે. તેથી   અકાદમીઍવોર્ડ વિજેતા કમલેશ્વરે પોતાની એક રચનાનું નામ -‘કિતને પાકિસ્તાન’ આપ્યું છે. બાબરીથી દાદરીમાં દૃઢ થતી અસહિષ્ણુતા સામે પણ તમે આ રીતે આંખ આડા કાન કરી રહ્યાં છો.

તમે કહ્યું કે મેં પણ કટોકટીના દિવસોમાં રાજયનો વિરોધ કરેલો છે, પરંતુ એ વખતે ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર હતી જે કટોકટીનો વિરોધ કરી રહી હતી. તદુપરાંત ઉમાશંકર, દર્શક વગેરે પણ એના વિરોધમાં હતા. એક વાતાવરણ હતું. આજે તમારા દ્વારા એવું વાતાવરણ સર્જાવું જોઈએ. હવે તમે અગ્રણી છો. ‘મિસા’ના કાયદાને બચ્ચું ગણી શકાય તેવા અનેક કાળા કાયદાઓ ઘડાયાં છે અને અપ્રત્યક્ષ કટોકટી છે. ગિરીશભાઈ પટેલને મળશો તો ખબર પડશે કે કઈ કટોકટી મોટી છે. ગુજસીટૉક એનું છેલ્લું દૃષ્ટાંત છે.

તમે એમ પણ કહ્યું કે તમે પાટીદારના અનામત આંદોલનનો વિરોધ કર્યો છે, પરંતુ હાર્દિક પટેલ વગેરેની દલીલ એ છે કે જેમ, કેટલાંક આંજણા પાટીદારો ગરીબ છે, કેટલાંક પૈસાદાર છે એવું જ કડવા-લેઉવામાં છે. જો બક્ષીપંચમાં આંજણા પાટીદારોને અનામત આપવામાં આવી છે તો અમને શા માટે નહીં? શું આપ આંજણા પાટીદારોને બક્ષીપંચ અન્વયે મળેલી અનામતનો પણ વિરોધ કરશો?

ટૂંકમાં, ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા, અસહિષ્ણુતા – એવોર્ડવાપસી અને વર્તમાન પરિસ્થિતિ વિશેનું તમારું આકલન નર્યું ઊભડક છે. જ્ઞાનપીઠવિજેતા બનવા બદલ રઘુવીરભાઈને મારી સો સો સલામું છે. જે તેઓ સ્વીકારશે અને એવી આશા રાખું છું કે ગાંધીવિચારસરણથી પ્રભાવિત, ઉમાશંકર-દર્શકના અંતેવાસી એવા રઘુવીરભાઈ મારી ટીકાઓને પણ ગંભીરતાથી લેશે.

થોડું લખ્યું છે ઝાઝું કરીને વાંચશો.

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 10-11 

Loading

બે ગતિ વચ્ચેની એક લીટી — વિષુવવૃત્તીય રેખા

પરેશ નાયક, પરેશ નાયક|Samantar Gujarat - Samantar|20 January 2016

પૃથ્વીના ઉત્તર-દક્ષિણ ગોળાર્ધો વિશેની સૂર્યની પુનરાવૃત્ત ગતિ સાથે વિષુવવૃત્તીય રેખાને સીધેસીધી નિસબત હોતી નથી.  સૂર્યના દક્ષિણાયન કે ઉત્તરાયનથી ત્યાં ઋતુઓ બેસતી-ઊતરતી નથી. નથી હોતો ત્યાં ઉનાળો કે નથી હોતો શિયાળો. રોજ ઊના તાપનો બફારો ને રોજેરોજ વરસાદ.

ઉત્તરમાં કે દક્ષિણમાં, રાજ ઠંડીનું હોય કે ગરમીનું, એ કેન્દ્રસ્થ અગનરેખા ધરતીના સંપૂર્ણ ગોળા સાથેનું એનું થર્મોડાયનેમિક અનુસંધાન અલિપ્ત ભાવે, સહજ જ મહેસૂસ કરે છે, પણ કયારે ય એનો કશો ય દેખાડો નથી કરતી.

પરંતુ તેથી એ હકીકત બદલાતી નથી કે એ નિઃસ્પૃહ વિષુવવૃત્તીય વરસાદી જંગલોના ભેજ વિના ઉત્તર-દક્ષિણના ગોળાર્ધો કદી પોતપોતાનું ઉષ્ણતા-સંતૂલન જાળવી શકે નહીં.

આ જ્વલંત મધ્યરેખાનું કેન્દ્રસ્થ હોવું માત્ર જ સમસ્ત પૃથ્વીના સૂક્ષ્મતમ ધબકારોનો એને સતત એહસાસ કરાવી રહે છે. બરોબર એ રીતે, જે રીતે એક સંવેદનશીલ લેખક પોતાના સ્થળકાળના નિઃશ્વાસોને સતત પારખી-મૂલવી શકતો હોય છે. બરોબર એ રીતે, જે રીતે ડોકટરનું સ્ટેથોસ્કોપ માનવશરીરના ધબકારાને સાંભળી-સંભળાવી શકે છે.

વિષુવવૃત્તીય રેખાની પેઠે જ, લેખકને પણ પોતાના સમાજની પલ્સ જાણવા સારુ કે એ જાણ્યા બાદ, ઉત્તર કે દક્ષિણમાં કોઈ સત્તાસ્થાને કે ન્યાયાસને બેસવાની કે પોતાની શકિતનો દેખાડો કરવાની જરૂર પડતી નથી. એની સામાજિક નિસબત એની સર્જનાત્મક અને વૈચારિક અભિવ્યક્તિથી સમાજમાં સતત પ્રતિધ્વનિત થતી રહે છે, વિષુવવૃત્તના રેઈન ફોરેસ્ટના સતત વરસતા પાણીની પેઠે.

ને તેથી, ન્યાય અને સત્તાના આસને વીરાજનારાઓને જ લેખકના એ વૈચારિક રેઇન ફોરેસ્ટની નૈતિક ઊર્જાનો સામો ખપ પડે છે. બૌદ્ધિકોની આ પ્રચ્છન્ન સામાજિક ભૂમિકા, એ કોઈ પણ સભ્ય, સ્વસ્થ સમાજની સર્વકાલીન, સર્વસ્વીકૃત પરંપરા ગણાઈ છે.

પરંતુ આજે આપણા દેશમાં આ નૈસર્ગિક પરંપરાને તોડવા-વખોડવાનો કાર્યક્રમ શરૂ થઈ ચૂકયો છે. લેખકને લખવું હોય તો લખે (સમાજને એનો ખપ નથી) એમ કહી એને સમાજના અંત્યજનો દરજ્જો અધિકૃત રીતે અપાઈ ચૂકયો છે. જાણે કે, કોઈ આકાશી આપખુદ સત્તાએ પૃથ્વીની વિષુવવૃત્તીય રેખાને ભૂંસી નાખવાના અબૂધ આદેશો આપ્યા છે.

વૈચારિક સ્વાતંત્ર્ય વિશેની આ નૈતિક કટોકટીની છાયામાં, સત્તા, સ્વાયત્તતા અને સર્જકતાને ત્રિભેટે ઊભેલા આપણા દેશના અનેક બૌદ્ધિકો, સાંસ્કૃિતક-સામાજિક કર્મશીલો, તથા કલાકારો અને સાહિત્યકારો ચિંતા, ભય અને ઘેરા અજંપાનો અનુભવ કરી રહ્યા છે.

એમને જે અનુભવાય છે તે ઉત્તર છેડાના મથાળે બેઠેલાઓ નથી તો અનુભવી શકતા, નથી સમજી શકતા કે નથી સમજવા ઇચ્છતા. તો દક્ષિણ કાંઠાની મહારાણીને પણ લોકગાયકના ગીતોના ફરિયાદી સૂરો કકર્શ લાગે છે.

સરવાળે, જેમને સત્તા, ધન, કે કીર્તિ સારુ ઉત્તર-દક્ષિણ કે ડાબે-જમણે વિહરવાનો શોખ નથી તેમને માટે આજના વિષમ કાળમાં મનોમન બળવા ને એકમેકને દિલાસા દેવા સિવાય જાણે બીજો ઉપાય બચ્યો નથી.

નવા વરસના પરોઢિયે આ દેશના પોલિટિકલ ડિસકોર્સની આ દશા સાચે જ દયનીય નથી?

મારા જેવા, વિષવવૃત્તીય રેખાના આ પ્રતીકથી પોતાના હૈયાઉકાળાની વાત માંડનારાઓ(કદાચ અતિસંવેદનશીલો)ને આજે લાગે છે કે અમારી જ ભાષાથી, અમારી જ કલમ વડે, અમારા જ કમ્યુિનકેશનનાં માધ્યમોની રાહેે, જાણે કે અમારી જ વાણીને અવળ પડઘાવીને અમને કેવળ ડિસેન્ટના દોષ બદલ સતત કોસવા-તરછોડવામાં આવી રહ્યા છે.

સાથોસાથ એવા પણ સ્પષ્ટ સંકેતો ચોરે ને ચૌટે છાનામાના આવજા કરતા ભળાય-સંભળાય છે કે ભાઈ, તમારા વિચારને તમે સમાધાનની કળ વડે ’પોલિટિકલી કરેકટ’ છંદોલયમાં વાળી-વણી નથી લીધો જો, તો તમારા જ ભાઈઓ તમારા મુશાયરાના સમાપનનું કાવતરું ઘડવાના છે એટલું યાદ રાખજો. સમજદાર વાચકોને ’જીવન એક મુશાયરો છે’ એવો આ સંકેતનો ભાવાર્થ કરવાની પણ છૂટ છે.

વિષુવવૃત્તના પ્રતીક તરફ પાછા ફરીએ તો કહી શકીએ કે કથિત ’ઇન્ટોલરન્સ ડિસકોર્સ’ને અવળે પાટે ચડાવવા આજે ’ટ્રોપિકલ જંગલોમાં દુષ્કાળ પડ્યા’ જેવી કે ’વિષુવવૃત્ત પર બરફ જમા થયા’ની કપોલકલ્પિત અફવાઓ ફેલાવવામાં આવી રહી છે! ઊંડાને છીછરા તરીકે ને છીછરાને ઊંડા રૂપે સર્ટિફાય કરવામાં આવી રહ્યા છે. બૌદ્ધિકોની બોલી લગાવાઈ રહી છે! અવોર્ડ-વાપસીની ઠેકડી કરવા ’પરત નહીં કરવાની શરતે’ એવોર્ડ-લ્હાણી કરાઈ રહી છે. પાંચપચાસ છદ્મબૌદ્ધિકોના વેચાયાની વાતના વજનિયા વડે સ્વસ્થ ડિસકોર્સના ત્રાજવા ત્રાંસા કરવામાં આવી રહ્યા છે!

પણ એમ કાંઈ રાજકારણની સોયથી સૂર્યની ઘડિયાળ બદલી બદલાઈ નથી કે બદલાશે નહીં. વિષુવવૃત્તીય સ્થળો પરથી જ જેમ સમગ્ર બ્રહ્માંડનું સૌથી સચોટ નિરીક્ષણ થઈ શકે છે, તે જ રીતે દેશદુનિયાના સુજ્ઞ, વિનમ્ર, ઓછાબોલા બોદ્ધિકો પાસે જ આજના અને આવતીકાલના રાજકીય આકાશને જોવાનું ટેલીસ્કોપ હોય છે, અને લેખકો-કલાકારોની વાણી જ નાગરિકોના ઘડતરની પાઠશાળા રચે છે એ સત્ય સત્તાના સાગરિતોએ વીસરવું ન જોઈએ.

ડૉ. ગણેશ દેવીની વખતસરની પહેલને પગલે અમે થોડાક મિત્રો નવેમ્બરમાં પૂના, કોલ્હાપુર અને ધારવાડના ટૂંકા પ્રવાસે ગયા હતા.

નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને પ્રોફેસર કલબૂર્ગીની હત્યાની ભોંય ઉપર જઈ, તેમના સ્વજનોને મળી, અઢાર મહિનાના ટૂંકા ગાળામાં બનેલી આ સિરિયલ વારદાતો વિશે જાતતપાસ કરવી એવો ખ્યાલ હતો.

પાંચ દિવસનો આ પ્રવાસ મનને અત્યંત વિચલિત કરી ગયો. સહિષ્ણુતા શબ્દની છૂટે મોંએ વેરવિખેર વ્યાખ્યાઓ કર્યા કરતા રાજ અને મીડિયા સાથે જોડાયેલા દેશના કથિત પ્રવકતાઓ પ્રત્યેની ચિંતા બેવડાઈ. તેથી દેશ વિશેની ફિકર પણ વધી. અને નાગરિક તરીકેનાં વ્યકિતગત લાચારી અને અસહાયતાના નાનામોટા અનુભવો વધુ ઘેરા બની રહ્યા. લેખક-કલાકાર તરીકેની મારી આંતરચેતના ઉપર આ તમામ થપાટોના તીવ્ર આઘાતો વર્તાયા.

દક્ષિણાયન પ્રવાસના આરંભે તો હજી મનમાં પરિષદ પ્રમુખની ચૂંટણી અને પ્રમુખની ભૂમિકા વિશેના વૈધાનિક વિચારો મનમાં ઘોળાતા હતા. મુંબઈથી મદ્રાસ વચ્ચેના દક્ષિણ ભારતનાં અનેક ગામો, નગરોના અગાઉ ખેડેલા પ્રવાસોનાં સ્મૃિતચિત્રો સાથે આ વિચારો અફળાઈ રહ્યા હતા.

તો ઓગસ્ટ ૨૦૧૩થી ૨૦૧૫ વચ્ચેના અઢાર મહિનાઓ દરમિયાન પૂણેથી ધારવાડ સુધીના દખ્ખણી લોકજીવનને હચમચાવી દેનાર એક જ બંદૂકના ત્રણ ધડાકાઓ પણ દિમાગના ખૂણાઓમાં ફરીફરી પ્લેબૅક થઈ રહ્યા હતા.

પૂણે-કોલ્હાપુર-ધારવાડ-પૂણે એ ક્રમમાં યોજેલી ચાર જાહેર સભાઓ દરમિયાન અમે વિચલિત દેશવાસીઓના જિજ્ઞાસુ ઉત્સાહને અનુભવી શક્યા. આ સભાઓનાં ચર્ચા-પ્રશ્નોત્તરી દરમ્યાન તથા લેખકો, કલાકારો, કર્મશીલો, વૈજ્ઞાનિકોના અલગ જૂથો સાથેની વિચારણામાં જે મુદ્દાઓ વારંવાર પડઘાતા રહ્યા તે પૈકી ગુજરાત મોડેલનો મુદ્દો પ્રમુખ હતો.

ગુજરાત મોડેલ લાંબા સમયથી દેશવિદેશમાં એક યુટોપિયન આશાવાદના પ્રતીકરૂપે ચીતરાતું રહ્યું છે. પરંતુ ’દક્ષિણાયન’ દરમિયાન અમે આ આશાવાદને આશંકાવાદમાં પલટાવો શરૂ થઈ ચૂકેલો જોયો.

આ પરિવર્તનના મૂળમાં ત્યાંના ત્રણ બૌદ્ધિક શહીદોના જીવંત વિચારો અને શબ્દોનું બળ હતું તે પણ સમજાયું.

દાભોલકરના વ્યકિતત્વનો પાનસરેના વ્યકિતત્વ સાથે તો પાનસરેના વિચારોનો કલબૂર્ગીના વિચારો સાથે ને કલબૂર્ગીના વલણોનો સુમેળ દાભોલકરના વ્યાખ્યાનોમાં પડઘાતો આ ત્રણેય પ્રાંતોના વિચારશીલ નાગરિકો સ્પષ્ટ વર્તી ચૂકયા હતા. અને મહાત્મા ગાંધીને વીંધીને નીકળી હતી તે જ આ બૂલેટો હતી એ કળવું કોઈને માટે હવે અઘરું રહ્યું નહોતું.

પાંચ દિવસના વૈચારિક આદાનપ્રદાન દરમ્યાન મારા મનમાં ગુજરાત સાહિત્ય અકાદમીના સ્વાયત્તતા આંદોલન તથા પરિષદપ્રમુખની ચૂંટણીના લોકલ ચિત્રો દક્ષિણાયનને આ રાષ્ટ્રીય દ્રશ્યો સાથે સહજ સંકળાતાં રહ્યાં.

એટલું સ્પષ્ટ થયું જ કે દક્ષિણ હો કે ઉત્તર, રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની, દેશ આજે સમાન માનસિકતાવાળા સંવેદનહીન શાસકોના સકંજામાં છે.

લેખક-કલાકારની સ્વાયત્તતા આજે ભયમાં છે. ભય ફેલાવવાના તરીકા સમાન છે. શબ્દોના અર્થો, વિચારોનાં અર્થઘટનો અને પરિભાષાઓની વ્યાખ્યાઓ બદલી નાંખો. અસહમતીને ડામી દઈને સર્વાનુમતિ સિદ્ધ કરો. અવાજ કરે તેને ઈનામ આપો. ઈનામ ન સ્વીકારે તેને બદનામ કરો.

પણ જે લોહીમાં લેખક છે, જે હાડમાં કલાકાર છે તે અનર્થના ઉખાણાં રચવામાં કયારે ય જોડાશે નહીં. જયોર્જ ઓરવેલિયન એનિમલ ફાર્મમાં પલટાતા આ દેશને મનુષ્યોના સભ્ય સમાજમાં પુનઃ પરિવર્તિત કરવાની જવાબદારી આ લેખકોની છે, આ કલાકારોની છે.

*  *  *

મકર તરફ સરતા સૂર્યની ગતિને લલકારતા અમે સુપરફાસ્ટ રેલમાર્ગે ઘેર પાછા આવ્યા ત્યારે ફરી સહેજ ઠંડીનો ચમકારો અનુભવાયો. પરિષદના ભૂજ સંમેલનમાં દક્ષિણાયનની વાતો લઈને જવાનું મનમાં હતું પણ નલિયા ત્રણ ડિગ્રીએ ઠરતું વાંચીને અમદાવાદમાં જ ઠરવાનું ઠેરવ્યું.

મિત્રોએ ભૂજ સંમેલનના સમાચાર આપ્યા. સ્વાયત્તતા આંદોલનના વડોદરા સંમેલન દરમ્યાન જે બિલ્લા-બેનર સાથે ઓરમાયો વર્તાવ થયેલો તે જ સ્વાયત્તતા આંદોલનનો બિલ્લો દિલે ધરી કવિશ્રી સિતાંશુ યશશ્ચંદ્રે પરિષદના ભૂજ સંમેલનમાં હાજરીના ખબરથી મનને રમૂજી ગરમાવો મળ્યો.

એક જ વિચાર સાથેનો આવો દ્વિવિધ વ્યવહાર જેમ પેલા સ્વાયત્તતાના પ્રતીકવાહક બિલ્લાને તેમ મારા જેવા સ્વાયત્તતાના આશિક લેખકને પણ દિગ્મૂઢ કરી રહે છે. વૈચારિક આંદોલનો દરમિયાન હંમેશાં જ કેમ એના ભાવનાત્મક પ્રતીકોનું બીજાત્રીજા ચહેરાઓમાં કલોનિંગ થવા માંડે છે? પણ પ્રતીકોનાં ત્રણ કે તેત્રીસ કલોનિંગ ભલે થાય, જે લેખકો, કલાકારો સ્વાયત્તતા આંદોલનનાં મૂળમાં રહેલા અજેય સત્યને પીછાણે છે તેમણે પીછેહઠ કરવાને સ્હેજેય કારણ નથી. વિષુવવૃત્તના રેઇન ફોરેસ્ટની પેઠે, સચ્ચાઈની ઊર્જામાંથી જ સત્તાનો હિમાલય ઓગાળવાની પ્રેરણા એમને સતત મળતી રહેશે.

પછી ભલે ને એમની સામે સત્તાની શાહીથી સાહિત્યલેખન કરવા નીકળેલાઓનો ભાગ્યેશ ગમે એટલો બળવાન હોય, કે કાગળના ઇન્દ્રરાજના દિલમાં ભલે એવો ભ્રમ હોય કે એમને પરિષદ અને અકાદમી નામની બબ્બે પટરાણીઓ સેવવાનો પરવાનો મળી ગયો છે તેથી હવે તેઓ વસંતોત્સવ ઉજવીને જ રાજીનામું આપવાના હશે તો આપશે!

*  *  *

ભૂજ સંમેલનના ભણકારા શમ્યા ન શમ્યા, ને સૂર્યનું દક્ષિણાયન એના અંતિમ તબકકામાં પહોંચી ચૂકયું ત્યાં તો વળી નવા પતંગોના દૃશ્યોની સાથોસાથ મારું બે વરસ પુરાણું એક સપનું સાચું પડ્યાના ખબર મળ્યા.

દિલ્હીના રાજપરિવર્તનના અરસામાં મને જાગતાં સપનું આવેલું કે હવેનો જ્ઞાનપીઠ ગુજરાતને મળશે. સપનામાં જે બે નામો આવેલાં તેમાંનું એક રઘુવીર ચૌધરીનું હતું, બીજું સિતાંશુ યશશ્ચંદ્રનુંં. મારા આ નવીનવાઈના સપનાને મેં બે વરસ દરમ્યાન મિત્રો સાથે આગાહીરૂપે અનેક વાર વહેંચ્યું છે. એટલે એમને સમાચાર મળતાવેંત બપોરે રમણ સોનીએ ફોન ઉપર વધામણી આપી કે સ્પર્ધાનો અંત આવ્યો. રમણભાઈએ ઉમેર્યું કે એમણે તરત રઘુવીરને અભિનંદનનો ફોન પણ કર્યો. મેં ફોન ન કરીને મારા સપનાને જશનું અધિકારી ગણ્યું.

નિરીક્ષકે સ્ટોપ-પ્રેસે એના લઘુકાલીન સંપાદક રઘુવીરને અભિનંદન આપ્યા એમ રમણભાઈએ કયા રઘુવીરને અભિનંદન આપ્યા એ મારે પૂછવાનું બાકી છે. જો કે પ્રત્યક્ષીયમાં એનો ખુલાસો થશે એની મને ખાતરી છે.

જો કે મને એે વાતની ય પાકી ખાતરી છે કે ગુજરાતી ભાષા-સાહિત્યના ખરા ચાહકો તથા એના જાણતલ અભ્યાસીઓનાં સ્વપ્નો સાથે મારા આ સાચા પડેલા સપનાનો તાલમેળ બેસતો નથી.

જ્ઞાનપીઠ વિજેતા ગુજરાતી લેખકોની યાદીમાં ઉમાશંકર- પન્નાલાલ- રાજેન્દ્ર પછી રઘુવીરનું નામ એ દેખીતો વ્યુત્ક્રમ છે. ઉચ્ચ માનદંડોની આમ નાની થતી લીટીઓ એ મોટી ચિંતાનું કારણ છે એવું સહદેવસૂઝથી હું કહીશ. આજે નહીં તો કયારે કહીશ? જેમને એમાં વિવેક ખોવાતો જણાય તેમને પણ કહીશ કે ભાન ગુમાવવા કરતાં ટાંકણે વિવેકને કોરાણે મૂકવામાં ખરાઈ છે, દોસ્તો.

પરિસંવાદોના ટેબલ ઉપર કે સામયિકોની બ્લેક-એન્ડ-વ્હાઇટ ચર્ચાને માર્ગે આ હકીકત સિદ્ધ કરવી સ્હેજે અઘરી નથી એવો ગુજરાતનાં નાનામોટા તમામ લેખકોને મારો ખુલ્લો પડકાર છે.

જ્ઞાનપીઠ વિજેતા રઘુવીરને હું મારા ફોર્મલ અભિનંદન માત્રને પાત્ર પણ ત્યાં સુધી ગણી શકવાનો નથી જ્યાં સુધી એ મગનું નામ મરી પાડ્યા વિના સ્વાયત્તતા અને પારદર્શકતા જેવા સાહિત્યિક સંસ્થાઓ વિશેનાં પાયાનાં મૂલ્યોને મુત્સદ્દી ખલ વડે પીસતા રહીને ગુજરાતના લેખક અને વાચક સમુદાયને સમાવેશી સત્તાના રોચક ઓસડિયા પીવા-પીવડાવવાનું ઊંટવૈદું બંધ નહીં કરે.

*  *  *

છેલ્લા ત્રણ દાયકા દરમ્યાન ભારતીય સમાજ પરના આંતર્દેશીય અને આંતરરાષ્ટ્રીય બજારોનાં આક્રમણોને પગલે દેશની બધી જ ભાષાઓનાં મૌલિક સાહિત્યને સહન કરવાનું આવ્યું છે.  કથિત ગુજરાત મોડેલના આક્રમક વિકાસનો સૌથી મોટો ફટકો ગુજરાતી ભાષા-સાહિત્યને પડયો છે.

ભાષા-સાહિત્યનું વર્તમાન ગુજરાતી મોડેલ ઉમાશંકર, મુનશી, મેઘાણી કે સુરેશ જોષી ચારમાંથી એકેયના ગુજરાતી મોડેલ સાથે મેળ ધરાવતું નથી એ વાત ગુજરાતી સાહિત્યના તમામ પ્રવાહો સાથે છેલ્લાં ત્રીસ વર્ષોથી સઘન રીતે જોડાયેલા એક સક્રિય લેખક હોવાના દાવે હું અચૂક કહીશ. રઘુવીર આવા એક કંતાઈ ચૂકેલા સાહિત્યિક મોડેલના ઉદ્દગાતા છે.

આ એ જ ત્રીસ વર્ષો છે જે દરમ્યાન સાહિત્યકાર રઘુવીરનું સ્થાન મુત્સદ્દી રઘુવીરે ઝૂંટવી પાડ્યું. સાહિત્યકાર તરીકેના રઘુવીરના બાયોડેટામાં આ ત્રણ દાયકા દરમ્યાન એમની જ અગાઉની કૃતિઓની તોલે ઊભી રહી શકે એવી કૃતિઓ જવલ્લે જ મળી છે.

*  *  *

આ લેખ પ્રગટ થશે ત્યારે મકરસંક્રાંત સૂર્ય ઉત્તર ભણી ગતિમાન થઈ ચૂકયો હશે. ઉત્તરનો આખો ય પ્રદેશ મકરના સૂર્યની ઊર્જાને અને એના ઉજ્જવળ પ્રકાશને ત્યાંની સમસ્ત પ્રજાના લોકશાહી અધિકારો પરત્વે કેવી જાગૃતિ બક્ષે છે તે તો આવનારો કાળ દેખાડશે.

પણ પેલી મનોમન બળતી ને અનરાધાર વરસતી વિષુવવૃત્તીય રેખા એના વરસાદી જંગલોમાં સતત પ્રાણ પૂરતી રહેશે. એ શ્રદ્ધાનું બળ ગુજરાતના અને દેશના લેખકો તથા કલાકારોને લખવાનું, ગાવાનું, ચીતરવાનુું ને અન્યાય સામે અવાજ ઉઠાવવાનું બળ પૂરું પાડશે એ વિશે આશ્વસ્ત છું.

e.mail : naikparesh@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 13-15

Loading

...102030...3,6813,6823,6833,684...3,6903,7003,710...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved