Opinion Magazine
Number of visits: 9552338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિપ્રયાસ

જ્યોતિભાઈ દેસાઈ|Opinion - Opinion|6 October 2015

આયરિશ ટાપુમાં ૨૦મી સદી દરમિયાન જે રાજકીય પરિસ્થિતિ હતી અને તેને પરિણામે જે આતંકયુક્ત માહોલ સર્જાયો હતો. તે અંગેનો ટૂંકો ઇતિહાસ રજૂ કરવો જરૂરી લાગવાથી આ રજૂઆતમાં પ્રારંભે ત્યાંના પ્રાપ્ત સંઘર્ષની વિગત મૂકવી પડી છે. આશા છે, તેથી વાચકને યોગ્ય સંદર્ભ મળી જશે …

બ્રિટનની સરકારે ૧૯૨૨ની સાલમાં એક સંધિ કરીને ‘સ્વતંત્ર આયરિશ રાજ્ય’ માન્ય કર્યું, ત્યારે જ આયર્લૅન્ડના ટાપુનો ૧/૬ ભાગ ‘ઉત્તર આયર્લૅન્ડ’ના પ્રાંતને નામે, બ્રિટનની પાર્લામેન્ટને આધીન રાખ્યો હતો. તેથી જ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી પાછા ફરેલાં સૈનિકોએ અને સ્થાનિક સદ્ભાવ ધરાવનાર લોકોએ તે સંધિનો વિરોધ કર્યો હતો. આમ, ઉત્તર આયર્લૅન્ડમાં ‘વફાદાર’ [loyal] અને વિરોધીઓ એવા બે તડા પ્રજામાં ઊભા થયા. અને સંપૂર્ણ ટાપુ આયર્લૅન્ડના પ્રજાસત્તાકનો જ ગણવો જોઈએ. તેવું માનનારા વિરોધીઓએ હિંસક યુદ્ધ જ છેડ્યું હતું. તે યુદ્ધ ત્રણ દાયકાઓથી વધુ સમય સુધી ચાલતું રહ્યું હતું. તેમાં ૩,૦૦૦થી વધુ માનવોની હત્યા થઈ હતી અને પચાસ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આગળ ચાલતાં ઠેઠ ૧૯૯૮ની સાલમાં શાંતિસ્થાપનના કરાર ઉભયપક્ષે સ્વીકાર્યા. જેમાં આયર્લૅન્ડની પ્રજાસત્તાક રાષ્ટ્રે એ સ્વીકાર્યું કે જ્યારે ‘ઉત્તર આયર્લૅન્ડ’ પ્રાંતની બહુમતી પ્રજા પ્રજાસત્તાક રાજ્યમાં ભળી જવાનો નિર્ણય કરે, ત્યાં સુધી ભલે તે બ્રિટિશ પ્રાંત તરીકે યથાવત્ રહે.

ઈસુખ્રિસ્તના વધનો દિવસ ‘ઈસ્ટર’ – ગુડફ્રાઇડે અત્યંત મહત્ત્વનું દુનિયાભરમાં ઊજવાતું ખ્રિસ્તી લોકોનું પર્વ. તેમાં પણ કૅથોલિક ચુસ્તપંથી આયરિશો અને ઉત્તર આયર્લૅન્ડના પ્રોટેસ્ટન્ટ પંથીઓ પોતપોતાની સમજણોને પ્રગટ કરવાને અગ્રણી થતાં રહે. તેથી જ એ દિવસો દરમિયાન વધુ હિંસા થશે જ એવી સંભાવનાઓની શક્યતાને કારણે જ ૧૯૭૫માં બ્રિટિશ સરકારે બહુ જ કડક સુરક્ષાના પ્રબંધ કરેલા હતા. એવા એ દિવસોમાં હું ચાર અઠવાડિયાં ક્વેકરપંથી શાંતિકાર્ય કરનારા મિત્રો(Friends)ના પ્રયત્નોમા જોડાવાં અને તેમની રસમો સમજવા ‘બેલફાસ્ટ’ નામના ઉત્તર આયર્લૅન્ડના પ્રમુખ શહેરે પહોંચ્યા હતા.

‘બેલફાસ્ટ’ શહેર તો બંને પક્ષના સામસામા હલ્લાઓ કરવાના કેન્દ્રમાં જ ગણાતું. લિવરપુલ બંદરેથી રાત્રે બેસીને સવારે સાતેક વાગે બંદરે ઊતર્યો હતો. બેલફાસ્ટમાં શ્રીમતી વ્હીટલે અને મિસ્ટર વિરલે (૬૦ અને ૬૫ વર્ષની ઉંમરનાં) મારાં યજમાન હતાં. તેઓ મને લેવાં તો આવેલાં, પરંતુ અમે એકબીજાંને ઓળખી જ ના શક્યાં અને મારે ‘બેલફાસ્ટ’ શહેરનું સ્વતંત્ર રીતે દર્શન કરીને તેમને ત્યાં પહોંચવાનું થયું.

સંપૂર્ણ શાંત! સુમસામ! કહો મૃત્યુ પામેલું જ શહેર ભાગ્યે જ લગીરેક કોઈ હલનચલન. ટૅન્કો, બખ્તરગાડીઓ અને ખૂણે-ખૂણે મિલિટરીનો દોરદમામ. વાસ્તવમાં કર્ફ્યુ જ હેઠળ હોય તેવો માહોલ! કોઈ કરતાં કોઈ દુકાન ઊઘાડી નહીં. અર્ધું ખૂલેલું કાંઈક ક્યાં ય હોય બધે જ બધે પતરાં જ જડેલાં. કાર્ડબોર્ડ પર આક્રમક સૂત્રોથી ઊભરાતું. મોટા જંગી સ્ટોર ખરા, પરંતુ તે બધા પણ વાસ્તવિક સ્થિતિસમા જ. ક્યાં ય કાચના શો કેસ તો હોય જ શેના ? એક જ વ્યક્તિ પરાણે પ્રવેશ કરી શકે તેટલું જ બારણું ખૂલેલું રખાય. વળી બહાર અને અંદર સંરક્ષકો પ્રવેશ કરનારની પૂરી જડતી જ લે! વિજળીક યંત્રથી ક્યાં ય હથિયાર નથી સંતાડ્યું તેની ખાતરી કરે. પ્રવેશ મેળવ્યા પછી પણ બીજી વાર તપાસ થાય! આવું મિલટરીના સૈનિકોની મહેરબાની ઉપર શ્વાસ લઈને જીવવા મથતું બેલફાસ્ટ નગર મેં જોયું.

મારી પાસેના પ્રાપ્ત સરનામાના આધારે વ્હીટલે દ્વયના દ્વારે પહોંચ્યો તો ખરો. પણ પ્રવેશદ્વાર જ ના જડે. જૂનું ગૅરેજ હશે તેવો ભાસ થાય. વળી, ત્યાં રસ્તે તો કોઈ જનાર-અવનાર હોય નહીં. ‘ક્યારેક તો કાંઈક થશે, કોક તો આવશે !’ એમ વિચારી તો કલાકેક ત્યાં ઊભો રહ્યો. ત્યાં મારા યજમાનની ગાડી આવીને ઊભી. શ્રીમતી વ્હીટલેએ મને કહ્યું. ‘માફ કરજો ! તમે ઓળખાયાં નહીં. અમે બહુ ધ્યાનથી બંદરે તમને ઓળખવાં મથેલાં. બહુ થોભવું પડ્યુંને?’ કોઈએ પજવ્યાં નથીને ?”

‘ના, બહેન અહીં જાતે પહોંચ્યો, પણ ક્યાંથી પ્રવેશ કરાય કે કેવી રીતે સંપર્ક કરાય તેટલો જ પ્રશ્ન મને હતો.

‘ખરી વાત છે. અહીં આવું તારે ઘણું અનુભવવાનું બાકી છે.’

વ્હીટલે દ્વયે નક્કી કરેલા મારા કાર્યક્રમ મુજબ મને પહેલું અઠવાડિયું બેલફાસ્ટ વિશેષ વસતિમાં રહેવાનું યોજ્યું હતું. મને બીજે દિવસે ત્યાં પહોંચાડી દીધો. એ નિવાસ એક ખરે જ સામાન્ય પરિવારમાં હતો. વિસ્તાર આખો માનો ઝૂંપડપટ્ટી સમાન જ. આવામાં જ તો તોફાની, આતંકીઓ છુપાઈ, ગોઠવાઈ રહેતા હોય ને! અને તેથી પણ શાંતિકાર્ય પણ ત્યાં જ કેન્દ્રિત કરવું જરૂરીને! એ નિવાસે રાત્રીભોજન પછી બાર કે તેર ભાઈઓ મળવા / વિચારવા આવ્યા હતા. હું કોણ?  શું કામ આવ્યો છું આદિ-આદિ મારી પૂછતાછ, સમજણ, કચાશ બધું જાણવાનો પ્રયત્ન તે બધાએ મળીને કરી હતી. આખરે એ સાત દિવસમાં શું-શું મારાથી કરાય, તેનું તેમણે આયોજન કર્યું. મારી સંમતિ લીધી!

બીજે દિવસે સવારે નાસ્તા પછી મારા યજમાન મને લઈને નીકળ્યા. એમના ઘરેથી થોડાક પહોળા રસ્તા ઉપર અમે પગ મૂક્યો, ત્યાં મિલિટરીની ગાડી સીધી મારી ઉપર જ ચલાવી દેવા આવી હોય એમ આવી ઊભી. ક્ષણવારમાં તો બે સૈનિકોએ મારી બે પડખે ગોઠવાઈ ગયા અને મારા માર્ગદર્શક ઉપર પ્રશ્નોની ઝડી જ છોડી. મને તો ઉપાડીને લઈ જવાની તૈયારીમાં, તેમ જ ગુસ્સાપૂર્ણ કડકમાં કડક ધમકીઓ. ગાળોનો વરસાદ જ મારા ઉપર ચાલુ થઈ ગયો. ‘બહારનો કોઈ આ વિસ્તારમાં અમારી જાણબહાર હોઈ જ કેવી રીતે શકે?’ એ જ એ સૈનિકોની ભૂમિકા મારી સંપૂર્ણ જડતી લીધી.

મારા મિત્રે અત્યંત સ્વસ્થતાથી હું કોણ અને શા માટે આવ્યો છું તે સમજાવ્યું, મારો પાસપૉર્ટ તપાસાયો. મને ફરી તપાસી લીધો ને જવા દીધો. આખરે અમે જ્યાં પહોંચવા માંગતા હતા, ત્યાં પહોંચ્યા. તે ખંડ હશે ૧૨x૧૬નો અડધો પતરથી અડધો પૂંઠાથી મઢેલો. ત્યાં તો જુવાનિયાઓ હતા! યોગાસન કરતા! નવ જણાં. અને એક તેમના માર્ગદર્શક! યુદ્ધને મોરચે, બેલફાસ્ટની ઝૂંપડપટ્ટીમાં ‘યોગાસનનો વર્ગ’ ચાલતો હતો.

જે ધૈર્ય તેમ જ સૌમ્યતમ શબ્દો ઉચ્ચારીને ૩૦ એક વર્ષની ઉંમરનો માર્ગદર્શન આસનો કરાવતો હતો, તેથી હું તો જિતાઈ જ ગયો. મને તેઓએ કહ્યું, ‘ભારતીય છો, તો તમે તો આસન કરતાં જ હશોને ?’ આટલા વિધાનથી ત્યાં ઉપસ્થિત સૌએ આપી આનંદ વ્યક્ત કર્યો અને જે પ્રેમભરી આંખે આવકાર આપી નવાજ્યો, તે દૃશ્ય આ લખું છું, ત્યારેય યથાવત્ મગજમાં સંગ્રહાયેલું છે.

‘ના! ભાઈ, હું કોઈ યોગાસનનો અભ્યાસી નથી.’ ક્યારેક જ પ્રાણાયામ કરી દઉં ખરો.

“અરે! તો તો તે જ કરી બતાવોને!”

પૂર્ણ પલાઠી વાળીને બેસવાનું આપણને તો સહેલું જને! પછી ઊંડો શ્વાસ લેવો. પકડી રાખવો, ધીરે-ધીરેથી મુક્ત કરવો એમ કરવા માંડ્યું. ત્યારે તેમાં થઈ રહેલી તમામે તમામ પ્રક્રિયાની વાતો માર્ગદર્શક મિત્રે તેમના સાથીઓના ધ્યાન ઉપર મૂકી અને તે સૌએ મને ત્યાર પછી વધાવ્યો!

આમ, યુદ્ધસ્થળે શાંતિકાર્ય – શાંતિસ્થાપનનું સાધન તે જ યોગાસન!

ઝૂંપડપટ્ટીને ખૂણે, આડીઅવળી જે મળી તેવી જગ્યાએ સંપૂર્ણ સ્વસ્થતાથી સૌમ્યતમ વાતાવરણ સર્જીને આ યોગાસનો કરનારું યુવકોનું જૂથ જોવું એ રોમહર્ષણ દૃશ્ય જને!

તેની તોલે ૨૧મી જૂન ૨૦૧૫ને દિવસે સરકારી આ દેશો તેમ જ સંખ્યાકીય, અપેક્ષાઓ આધારિત ગોઠવવામાં આવેલા તમાશાને કયા ત્રાજવે તોલી શકાય?

રમત્યુ મંડાણી જીવણજૂઠડી
કાચી રે માટી કામય નીંગળતી
મટુકી કાણી રે જીવણ જૂઠડી.
(બાલજી કાનપરિયા, ૧૯૪૩)

મન અને શરીરને સ્વસ્થ કરવાના પ્રયત્ન માટે યોગાસનો જમાનાઓથી વપરાતાં રહ્યાં છે. દુનિયાભરમાં કેટકેટલી ય સંસ્થાઓ અને આરોગ્યધામોમાં યોગાસન પ્રચલિત જ છે. વ્યક્તિ યોગાસન દ્વારા પોતાના શરીરને જ નહીં, પરંતુ જીવનને યોગ્ય દિશાએ વાળવા અને સ્વસ્થજીવનનો પાયો રચવામાં ઉપયોગ કરી શકે તે શક્ય છે. એમાં મુખ્ય શરત તો સ્વનિર્ણયથી વિચારપૂર્વક તે પ્રક્રિયા દ્વારા જીવનમાં ઊંડા ઊતરવાનું નિહિત છે.

માતાપિતાના આગ્રહથી કે કોક વડીલના આદેશથી યોગાસન કરવાનું યોજાય તો તે જીવનમાં ખપ આપી શકે તે સંભવ નથી. કુદરતી ઉપચારમાં અનેક વાર જઈ આવનાર વ્યક્તિ ત્યાં દસ દિવસ કે મહિનો માસ ગાળે ત્યારે આવા યોગાસન કરવાનું સ્વીકારી લે છે. પણ ત્યાંથી નીકળ્યા પછી તો યાદે નથી રહેતું કે કોઈ આસન કરીએ!

બિહારનાં નાનાં-નાનાં ગામોમાં ‘અંતકડી’ની બેઠકો યોજાતી હોય છે. એમાં એક એવી શરત છે કે રામયાણની તુલસીકૃત ચોપાઈ કે દોહાનો જ ઉપયોગ કરવો જરૂરી છે. એ પરંપરામાં પાંચ, છ કે તેર વર્ષ સુધીની ઉંમરની બાળાઓ અને બાળકો ઠીક પાવરધાં સામે આવે છે અને તે ચોપાઈ કે દોહો સમૂહ પણ ઝીલવા લાગે છે. એ જ બિહારના મસુહરીમાં JPને ‘આમનેસામને’નો કાર્યક્રમ યોજ્વો પડ્યો. ગામનાં ગામ નક્ષલી હિંસાને આવકારી બેઠા અને સર્વોદયી મિત્રોની હત્યાઓને પણ જીરવી શક્યા??

આપણી શાળાઓમાં કે શિક્ષણના અભ્યાસક્રમમાં મુકાયેલો વિષય પછી તે ભૂગોળ હોય, બીજગણિત કે સંસ્કૃત કે યોગાસન, પોતાના જીવનમાં ઉપયોગમાં લેવાને બદલે તે તિરસ્કૃત થઈ ઉપહાસનું સાધન બનાવી દેવાય છે. સુખ્યાત જ્હૉન ડ્યૂઈ જેવા શિક્ષણશાસ્ત્રી તે વિષે કહે છે ‘હાશ! છૂટ્યા!’નો ભાવ કેળવવા આ વિષયો ગણી કાઢવામાં આવે છે.

યોગાસન કસરત નથી. શરીરનાં અંગ-ઉપાંગની લવચિકતા દર્શાવવાનો કે કુસ્તીબાજો શો ખેલ પણ નથી. યોગાસનમાં શ્રેષ્ઠતા સાથે જોડાવાનો પ્રયત્ન કરવા મથવાનો અભિગમ છે.

ઇલોરાની ગુફામાં બુદ્ધ ભગવાનની સ્વચ્છ, સૌમ્ય, આનંદથી ઊભરાતી મુદ્રાવાળી પૂર્તિ ધ્યાન પર લઈએ. બુદ્ધના એ મૌનમાં સાવ નજીવું – કહો અલ્પતમ હાસ્ય પણ દર્શાવેલું છે. કારણ તેઓએ પૂર્ણતાના દર્શન કર્યાનો પરમસંતોષ સાધ્યો છે. તેઓએ જીવનને-ભગવાનને નકારીને પણ માનવ કેટલો આત્મસ્થ અને દયાવાન તેમ જ સમાજને પણ સ્વસ્થતા પ્રાપ્ત કરાવી આપવામાં યશસ્વી થઈ શકે, તેનો અંદાજ તેઓને પ્રાપ્ત થયો હોય છે.

આવી સાધના કરાવી દેવી કે ‘મેં કર્યું!’ ભારતની ભેટ જણાવવાનું સાધન બનાવવું, એ તો વિપ્રયાસ અને વિપ્રયાસ જ!                  

(વેડછી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 07-08

Loading

ગુજરાતી સાહિત્ય પરિષદને સો વર્ષ, પછી?

રમણ સોની|Opinion - Literature|6 October 2015

આઠમા દાયકાના ઉત્તરાર્ધમાં, પરિષદના પોતાના મકાન ‘ગોવર્ધન-ભવન’નું નિર્માણ થયું. ‘નદીકિનારે’ એવું એનું સરનામું શોભતું હતું. એ જ વર્ષોમાં ગુજરાતી સાહિત્યના સંપાદિત ઇતિહાસના ચાર ખંડો (૧૯૭૩થી ૧૯૮૧) તૈયાર થઈ ચૂક્યા હતા અને ઉમાશંકર જોશીએ એમાં સીધો, સક્રિય રસ લીધો હતો. તે અગ્રણી સંપાદક હતા, એટલું જ નહીં, નરસિંહ મહેતા વિશેનું એક પ્રકરણ પણ એમણે એમાં (ખંડ-૧માં) લખેલું. એ જ અરસામાં (૧૯૮૦) ‘ગુજરાતી સાહિત્યકોશ’ની યોજના આરંભાઈ હતી. જયંત કોઠારી જેવા ઉત્તમ સંશોધક વિદ્વાનની એના મુખ્ય સંપાદક તરીકે વરણી થઈ હતી. ત્રણ ખંડમાં પ્રકાશિત આ સાહિત્યકોશને પરિષદનું કદાચ એક સૌથી વધારે મહત્ત્વનું પ્રદાન ગણવાનું થશે. ૧૯૮૨ આસપાસ પરિષદ-સંચાલિત સંશોધનની સંસ્થા તરીકે ક.લા. સ્વાધ્યાયમંદિર રચાયું ને ચંદ્રકાન્ત શેઠ એના પહેલા નિયામક થયા. ભાષાવિજ્ઞાન વિશેનું જ એક સ્વતંત્ર સામયિક ૧૯૭૮થી હરિવલ્લભ ભાયાણીના સંપાદન-માર્ગદર્શનમાં પરિષદે આરંભેલું જે ચંદ્રકાન્ત શેઠ અને પછી ચંદ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં ભાષાવિજ્ઞાન ઉપરાંત સાહિત્યવિવેચનવિચારના સામયિક તરીકે ચાલતું રહ્યું. પરિષદની આ એક ગૌરવ-પ્રતિષ્ઠ પ્રવૃત્તિ હતી. સાહિત્યકોશનો પ્રથમ ખંડ ૧૯૮૯માં પ્રગટ થયો …

ઊંચી સાહિત્યવિવેચન-સજ્જતા ઉપરાંત વહીવટી ક્ષમતા ધરાવતા ચંદ્રકાન્ત ટોપીવાળા ક.લા. સ્વાધ્યાયમંદિરના નિયામકપદે આવ્યા ને એમણે પરિષદમાં વિદ્યાપ્રવૃત્તિનો હાથ ઉપર રાખ્યો. ક.લા. સ્વાધ્યાયમંદિરના અન્ય સંશોધકોને સાથે રાખીને – ૧૯૮૬માં ‘સાહિત્યસંજ્ઞા કોશ’ અને એની પૂર્તિરૂપે, ૧૯૮૮માં ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ’ એમણે કરી આપ્યા અને સાહિત્યકોશનો બીજો(૧૯૯૦)ને ત્રીજો (૧૯૯૬) ખંડ પ્રગટ કર્યા. ક.લા. સ્વાધ્યાયમંદિરની, સાહિત્ય-સંશોધનની સંસ્થા તરીકે કાર્યક્ષમ પ્રસ્તુતતા ઊભી થતી રહી ને એણે પરિષદનું ગૌરવ વધાર્યું.

આ દાયકાઓ દરમિયાન પરિષદ મંત્રી રઘુવીર ચૌધરી એમની વહીવટી દક્ષતાથી ને વ્યવહારપટુતાથી પરિષદની લોકાભિમુખ પ્રવૃત્તિઓ તેમ જ એની વિદ્યાભિમુખ પ્રવૃત્તિઓને સંકલિત કરતા રહ્યા. પરિષદ ભવન ઊભું કરવામાં પણ એમની સક્રિયતાનો ફાળો ઘણો મહત્ત્વનો હતો. પરંતુ પછી વહીવટીતંત્ર પર વધુ ભાર મૂકાતો રહ્યો, એમાં ય એમનો ફાળો જ મહત્ત્વનો બનતો રહ્યો. ઉપર ઉલ્લેખાયેલ સમયગાળામાં પણ આ વહીવટી દાબનો અનુભવ, એમાં કાર્યરત વિદ્વાનોને પણ થતો રહેલો.

વિદ્યાપ્રવૃત્તિ મંદ કે નબળી પડતી જાય ને કેવળ તંત્ર-પરકતા વધતી જાય, ત્યારે સાહિત્યસંસ્થાને સામાજિક રાજકીય સંસ્થાથી જુદી પાડવી મુશ્કેલ બનતું જાય. સંસ્થાને એક શિખરે પહોંચાડ્યા પછી અગ્રણી પાછો વળી જાય ને બીજાઓની ક્ષમતાને માર્ગ કરી આપે એ ઇષ્ટ પરંપરા ન પળાઈ. મંત્રી રૂપે, ખજાનચી રૂપે, પ્રમુખ રૂપે, ટ્રસ્ટી રૂપે રઘુવીર કેન્દ્રમાં જ રહેતા ગયા (ટ્રસ્ટી પણ બધી જ સભા-બેઠકો-સમિતિઓમાં પોતાની સક્રિય ઉપસ્થિતિ રાખે એવી ‘પરિપાટી’ સુદ્ધાં એમણે ઊભી કરી). અર્પણને કેવળ અને કેવળ વિધાયક રહેવા દેવું જોઈએ – એ ન થયું. સંગીન વિદ્યાપ્રવૃત્તિનો અભાવ (ગયા આખા દાયકા ઉપર) વિસ્તરતો ગયો ને વહીવટકારની મુદ્રા પ્રભાવક બનતી ગઈ …

[‘પ્રત્યક્ષ’, ઑક્ટોબર – ડિસેમ્બર ૨૦૦૫]

e.mail : ramansoni46@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 12

Loading

વંચિતોને વહારે આવનાર સનત મહેતા

તુલસીપુરી ગોસ્વામી|Samantar Gujarat - Samantar|6 October 2015

અમદાવાદ જેવા મહાનગરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે કામ કરતાં- કરતાં ડૉ. નાનકભાઈ ભટ્ટને મળવાનું થયું અને તેમની સાથે મુલાકાત દરમિયાન શ્રમિક વિકાસ સંસ્થાન-વડોદરા દ્વારા ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં વંચિતોની વેદનાને વાચા આપી અને સામાજિક ન્યાય સાથે ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા વિશે જાણી હું પણ આ પ્રકારની કામગીરી કરવા માટે પ્રેરાયો, ત્યારે ડૉ. નાનક ભટ્ટ સંસ્થાના નિયામક તરીકે સેવા આપતા હતા. સૌપ્રથમ વડોદરા સંસ્થાના મુખ્ય કાર્યાલયમાં તેઓના માધ્યમથી ૧૯૯૪માં મુ. સનત મહેતાસાહેબને રૂબરૂ મળવાનું થયું અને ત્યાર બાદ ત્રણેક માસ સુધી મુખ્ય કાર્યાલયમાં કામગીરી કરવાનો અને સંસ્થાની પ્રવૃત્તિઓ જાણવાનો અવસર મુ. સનત મહેતાના સાંનિધ્યમાં પ્રાપ્ત થયો. જેને હું મારા જીવનનો અમૂલ્ય સમય અને મોકો ગણું છું. તેઓની પાસેથી સમયબદ્ધતા, કામનો ત્વરિત નિકાલ, લોકોના પ્રશ્નોને સાંભળી યોગ્ય ન્યાય મળે તેવું આયોજન કરવું, વ્યક્તિની ભૂલ હોય તો તરત જ જણાવવું. સતત વાંચન, લેખન અને નવું વિચારવું, જે શીખવા મળે તે જોવા મળ્યું છે. હા, ચોક્કસ કહીશ કે મહેતાસાહેબ ગુસ્સો બહુ કરે પરંતુ થોડા સમય પછી ફરીથી આપણને બોલાવી સાચી સમજ આપે, ઉપરાંત અન્ય નવી વ્યક્તિઓ સાથે પરિચય કરાવે અને આપણું મિત્રવર્તુળ મોટું બનાવડાવે. આમ ત્રણ માસના ટૂંકા ગાળાના સમયમાં ઑફિસના તેઓના સાંનિધ્યમાં કામ કરવામાં ઘણું જાણવા અને શીખવા મળ્યું જે મારા માટે અસ્મરણીય રહેશે.

ત્યાર બાદ આ સંસ્થાના મોટી ધરાઈ, તા. વલભીપુર, જિ. ભાવનગર સેન્ટરમાં ફિલ્ડ કાર્યકર તરીકે ભાલ વિસ્તારનાં ગામોમાં સોનાજીભાઈ પંચાસરાની સાથે રહીને સામાજિક પ્રવૃત્તિ એક વર્ષ કરવાની તક મળી અને પછી તો ભરૂચ જિલ્લાના અંતરિયાળ એવા વાગરા તાલુકામાં ૧૯૯૫થી ૨૦૧૧ સુધી ૧૫ વર્ષ કરતાં પણ વધુ સમય મહેતાસાહેબના સતત માર્ગદર્શન હેઠળ આશ્રમશાળા આઈ.ટી.આઈ., લીગલ સેન્ટર, સંસ્કારકેન્દ્ર, સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ જળસ્રાવ વિસ્તાર વિકાસ-કાર્યક્રમ, આંખોના નેત્રનિદાન કૅમ્પ, ખેડૂત સંમેલન અને લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મશતાબ્દી-વર્ષ નિમિત્તે વાગરા શૈક્ષણિક સંકુલને પ્રખર ગાંધીવાદી ચુનીકાકા વૈદ્યના અધ્યક્ષપદે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીના મુખ્ય મહેમાનપદે ‘લોકનાયક જયપ્રકાશ નારાયણ સંકુલ’ નામાભિધાન કરવામાં આવ્યું, ત્યારે મુ. સનત મહેતાએ જણાવેલ કે વાગરા મતવિસ્તારની વિધાનસભાની બેઠક પર સૌ પ્રથમ વખત સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં હું પરાજિત થયો છતાં પણ આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઈ અને ૧૯૮૮/૮૯થી ગંધાર તેલક્ષેત્રે વિસ્તાર વિકાસ-કાર્યક્રમ અંતર્ગત પ્રવૃત્તિઓ શરૂ કરી, જેના પાયાના કાર્યકર રમણભાઈ કે. ચૌહાણે તેઓની મહેનત-અથાગ પરિશ્રમ અને લોકો સાથેના બેઠક-પરિચય દ્વારા આઈ.ટી.આઈ., બક્ષી પંચ આશ્રમશાળા તેમ જ યુવકો, બાળકો, મહિલાઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ સરકારશ્રીની યોજનાઓના અમલીકરણ ચલાવવાની શરૂ કરી. ૧૦૦ કરતાં પણ વધારે કાર્યકરોને સામેલ કરી રોજગારી અને ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ સાથે જોડાયા જેમાં મારું યોગદાન પણ મહદ્દઅંશે રહ્યું, પરંતુ દરેક કાર્યક્રમમાં મહેતાસાહેબનું માર્ગદર્શન સતત મળતું રહ્યું અને તેના કારણે પાંચ એકર જમીનમાં સંસ્થાનું સ્વતંત્ર ઇન્ફાસ્ટ્રક્ચર સાથેનું સંકુલ ઊભું કરી શક્યા. હા, આ બધી પ્રવૃત્તિઓ કરવામાં અનેક આર્થિક, સામાજિક, રાજકીય મુશ્કેલીઓ આવી પરંતુ જેના લીડર (સેનાપ્રમુખ) બાહોશ અને અનુભવી હોય, તેને કોઈ આંચ આવતી નથી. આમ, અમો જાતે પણ અને કાર્યકરો પણ તૈયાર થયા. મહેતાસાહેબ કહેતા, આપણું કામ નર્સરી જેવું છે. રોપો તૈયાર કરવાનો, વટવૃક્ષ જાતે બની જશે અને આવા અનેક દાખલા છે કે સંસ્થાના કાર્યકરો આચાર્ય, ઇજનેર રાજકીય કાર્યકર વર્ગ-૧ના અધિકારી સુધી પહોંચ્યા છે અને સાહેબને યાદ કરશે તેમાં મારો પણ સમાવેશ થાય છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, તે ઉક્તિ અનુસાર તા. ૨૦-૮-૧૫ના સાહેબના અવસાનના સમાચાર જાણ્યા ત્યારે ખરેખર અમે એક વડીલની છત્રછાયા ગુમાવી છે, તેવું દુઃખ થયું, પરંતુ દુનિયામાં ખરેખર જરૂર છે, તેવી વ્યક્તિને આકસ્મિક આપણાં વચ્ચેથી આપણને છોડીને જવાના સમાચાર મળે છે ત્યારે ખૂબ જ આંચકો લાગે છે, પરંતુ તેઓનાં અધૂરાં કામો સાથે મળી પૂરાં કરીશું તે મહેતાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ હશે.

‘જલ કી શોભા બૂંદ સે, ઉપવન કી શોભા ફૂલ,
હમારી શોભા આપસે, ઉસે ન જાયે હમ ભૂલ.’

એ-૯, પાવનપુરી વિભાગ-૧, જી.પી. કૉલેજરોડ, ભોલાવ, મુ. ભરૂચ – ૩૯૩ ૦૦૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 16

Loading

...102030...3,6803,6813,6823,683...3,6903,7003,710...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved