Opinion Magazine
Number of visits: 9559934
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડીટનને ૨૦૧૫ના અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

ગૌરાંગ જ. યાજ્ઞિક|Opinion - Opinion|5 November 2015

તા. ૧૨ ઑક્ટોબર, ૨૦૧૫ના રોજ ધ રૉયલ સ્વિડિશ એકૅડેમી ઑફ સાયન્સિઝે એ આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરીઝ રીક્સબૅન્ક ઇનામ ૨૦૧૫, અર્થશાસ્ત્રી ઑન્ગસ ડીટનને તેમના ‘વપરાશ, ગરીબી અને કલ્યાણના વિશ્લેષણ’ માટે એનાયત કરવાનું નક્કી કર્યું.

ઍન્ગસ ડીટન અમેરિકા અને બ્રિટન એમ બે દિશોનું નાગરિકત્વ ધરાવે છે. તેમનો જન્મ ઇંગ્લૅન્ડના એડિનબરો ખાતે ઈ.સ. ૧૯૪૫માં થયો હતો. ઈ.સ. ૧૯૭૮માં તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડથી પીએચ.ડી.ની પદવી હાંસલ કરી. ત્યાર બાદ ૧૯૮૩થી તેઓ પ્રિન્સટન યુનિવર્સિટી, ન્યુ જર્સી, અમેરિકા ખાતે અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેમનું પ્રખ્યાત પુસ્તક The Great Escape : Health, Wealth and Origins of Inequality ૨૦૧૩માં પ્રસિદ્ધ થયું.

ઍન્ગસ ડીટનની પસંદગી સંદર્ભે નોબેલ પસંદગી-સમિતિએ જે વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિકા પ્રસિદ્ધ કરી તેમાં જણાવ્યા મુજબ :

‘વસ્તુઓ અને સેવાઓની વપરાશ એ માનવકલ્યાણને નક્કી કરનારું મૂળભૂત પરિબળ છે. વ્યક્તિઓ વચ્ચે વપરાશની વહેંચણી ઘણા અગત્યના મુદ્દાઓને અસર કરી શકે છે જેમાં, સમાજની આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રની અસમાનતા અને ગરીબીનો સમાવેશ થાય છે. મોટા ભાગના દેશોમાં, કુલ વપરાશ, કુલ માંગનો મોટો હિસ્સો છે અને આર્થિક પ્રવૃત્તિમાં આવતા મોટાભાગના સામયિક પરિવર્તનો માટે જવાબદાર પણ છે. આવકના કોઈ એક સ્તરે, વપરાશ, બચતો અને તેના કારણે મૂડીના પુરવઠા દ્વારા મૂડીરોકાણ નક્કી કરે છે. આથી જ, એ સ્વાભાવિક છે કે, વપરાશ, છેલ્લી સદીમાં આર્થિક સંશોધનના કેન્દ્રમાં રહ્યું છે.

‘છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન વપરાશનો અભ્યાસ ખૂબ જ વિકાસ પામ્યો છે. આ વિકાસમાં ઘણા વિદ્વાનોએ યોગદાન આપ્યું છે, પરંતુ તે તમામમાં ઍન્ગસ ડીટન ખાસ છે. તેમણે ઘણાં મૂળભૂત અને આંતરસંબંધિત યોગદાનો કર્યાં છે, જે વપરાશના માપન, સિદ્ધાંત અને આંકડાકીય વિશ્લેષણ વિશે સીધી વાત કરે છે.’

ધ રૉયલ સ્વિડિશ એકૅડેમીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ‘તેમના સંશોધને કુલ ઉત્પાદન અને વ્યક્તિગત પસંદગીઓને જોડીને, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને વિકાસના અર્થશાસ્ત્રમાં આવેલા પરિવર્તનમાં મદદ કરી છે. ડીટનના જે કામને સન્માનિત કરવામાં આવી રહ્યું છે, તે મુખ્યત્વે નીચેના ત્રણ પ્રશ્નો પર આધારિત છે :

(૧) ગ્રાહકો વિવિધ વસ્તુઓ પાછળ પોતાનો ખર્ચ કેવી રીતે વહેંચે છે? આ પ્રશ્નનો ઉત્તર વાસ્તવિક વપરાશ તરેહની સમજણ અને અનુમાન માટે આવશ્યક હોવા ઉપરાંત વપરાશવેરામાં પરિવર્તન જેવા નીતિવિષયક સુધારાઓ, જુદા-જુદા વર્ગોના કલ્યાણને કેવી રીતે અસર કરે છે, તેના મૂલ્યાંકન માટે નિર્ણાયક બની રહે છે. ઈ.સ. ૧૯૮૦ની આસપાસના પોતાના અગાઉના કાર્યના સંદર્ભમાં ડીટને દરેક વસ્તુની માંગ તમામ વસ્તુઓની કિંમતો અને વ્યક્તિગત આવક પર કેવી રીતે આધાર રાખે છે, તેના માપનની સરળ, પરિવર્તનશીલ એવી ‘લગભગ આદર્શ માગ પ્રણાલી’ (Almost Ideal Demand System) વિકસાવી. તેમનો અભિગમ અને પાછળથી તેમાં થયેલા સુધારાઓ, આજે શૈક્ષણિક તેમ જ વ્યાવહારિક નીતિમાપન માટેના આદર્શ સાધન તરીકે વપરાય છે.

(૨) સમાજની આવકનો કેટલો ભાગ ખર્ચાય છે અને કેટલો બચે છે? મૂડીનિર્માણ અને વ્યાપારચક્રના વિવિધ આયામો સમજાવવા, સમયગાળા દરમિયાન આવક અને વપરાશ વચ્ચેનો આંતરસંબંધ સમજવો જરૂરી છે. ૧૯૯૦ની આસપાસ કેટલાક સંશોધન-લેખોમાં ડીટને દર્શાવ્યું હતું કે જો કુલ આવક અને વપરાશને આરંભબિંદુ હોય, તો પ્રવર્તમાન વપરાશનો સિદ્ધાંત વાસ્તવિક સંબંધ સમજાવી શકતો નથી. એને બદલે, વ્યક્તિઓ પોતાના વપરાશને તેમની વ્યક્તિગત આવક સાથે કેવી રીતે જોડે છે કે જે કુલ આવકના સંદર્ભમાં જુદી જ રીતે બદલાતો રહે છે. તેના સંદર્ભમાં દરેકે અભિપ્રાય બનાવવો જોઈએ. વ્યક્તિગત માહિતી, કુલ માહિતીનાં વલણોને સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેવા આધુનિક સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વ્યાપક રીતે પ્રયોજાતા અભિગમને આ સંશોધને સરળતાથી રજૂ કર્યો છે.

(૩) આપણે કલ્યાણ અને ગરીબીનું ઉત્તમ માપન અને વિશ્લેષણ કેવી રીતે કરીએ છીએ ? તેમના તાજેતરનાં સંશોધનમાં ડીટને સમજાવ્યું કે વ્યક્તિગત ઘરેલુ વપરાશના સ્તરના આધારભૂત માપનના આર્થિક વિકાસ પાછળ રહેલી પ્રક્રિયાઓ સમજવામાં કેવી રીતે ઉપયોગ થઈ શકે છે, તેમના સંશોધને સમય અને સ્થળમાં પ્રવર્તતી ગરીબીની માત્રાની સરખામણીમાં રહેલી અગત્યની મર્યાદાઓને પણ ખુલ્લી પાડી દીધી. આ સંશોધને એ પણ સાબિત કર્યું કે ઘરેલુ માહિતીનો સમજણપૂર્વકનો ઉપયોગ આવક અને કૅલરી-વપરાશ અને કુટુંબમાં રહેલા લિંગ-ભેદભાવ(gender discrimination)ના પ્રમાણ વચ્ચેના સંબંધને લગતી સમસ્યાઓ પર પ્રકાશ પાડી શકે છે. વિકાસના અર્થશાસ્ત્રના, કુલ માહિતી પર આધાર રાખતા ક્ષેત્રમાંથી વિસ્તૃત વ્યક્તિગત માહિતી પર આધારિત અનુભવમૂલક ક્ષેત્રમાં થયેલા પરિવર્તનમાં ડીટનના ઘરેલુ મોજણીના આગ્રહે મદદ કરી છે.

આમ, ઍન્ગસ ડીટનનું સંશોધન વપરાશના વિવિધ આયામોને આવરી લેતાં વિશાળ ક્ષેત્રમાં વિસ્તર્યું છે. તેમના સંશોધનનો મૂળ હેતુ સિદ્ધાંત અને માહિતી તથા વ્યક્તિગત વર્તનો અને કુલ આર્થિક પરિણામો વચ્ચેનો સેતુ પૂરો પાડવાનો છે.

વિશ્વના તમામ દેશો માટે વિકાસની ‘સાચી માપણી’ અને આર્થિક નીતિઘડતરમાં ડીટનના સંશોધને એક સ્પષ્ટ, મહત્ત્વનો અને વ્યવહારુ આયામ ઊભો કર્યો છે.               

હાઇલેન્ડ પાર્ક, અમદાવાદ-૩૮૦ ૦૧૫

Web Resources : http://scholar.princeton.edu/deaton

                             http://kva.se and

                             http://nobleprize.org

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 17

Loading

પ્રગટ્યું પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’

અરુણ વાઘેલા|Opinion - Opinion|5 November 2015

પુસ્તકપરિચય પહેલાં લેખકનો પરિચય. ‘વિદ્યા વધે એવી આશે’ પુસ્તકના લેખક ડૉ. ગૌરાંગ જાનીથી ગુજરાત અજાણ્યું નથી. સમાજશાસ્ત્રના અધ્યાપક, વર્ષોથી સમાચારપત્રોમાં કટારલેખન, સેક્સવર્કર બહેનોની સમસ્યા મુદ્દે સક્રિય, એચ.આઈ.વી.ગ્રસ્ત દર્દીઓની તકલીફો હોય કે વર્ગખંડમાં – કાર્યક્રમોમાં સામાજિક મુદ્દે ચર્ચા કરતા હોય … ગૌરાંગભાઈનું કામ હંમેશાં પોંખાયું છે. તેનું કારણ, તેઓએ પોતાના વર્ગખંડને તો ખરો જ, સમાજ આખાને પોતાના સંશોધનની પ્રયોગશાળા તરીકે જોયો છે. બહુ ઓછા અધ્યાપકો તેમના જેટલી સંવેદનશીલતા અને લોકપ્રિયતા ધરાવે છે. હું તેમને ઊંઘવાના સમયને બાદ કરતાંના સમાજશાસ્ત્રી તરીકે ઓળખાવું છું.

મૂળ તો ગુજરાતી રાણી-વાણીના વકીલ કવિ દલપતરામે ૧૮૫૫માં રચેલી કવિતા :

‘જુઓ પુસ્તકસ્થાન જે ભદ્ર પાસે

રચ્યું રૂડું વિદ્યા વધે આવિ આશે’ના નીચેના બંધને સહેજ ફેરફાર સાથે લેખસંગ્રહનું શીર્ષક બનાવ્યું છે.

‘વિદ્યા વધે એવી આશે’ (દલપતરામે એ જમાનાની લેખનશૈલી મુજબ ‘આવિ’ શબ્દ વાપર્યો  હતો.)માં કુલ ૪૦ લેખો છે. તેનું વર્ગીકરણ કરીએ તો શિક્ષણ, નારી-અભ્યાસ અને સામાજિક ઇતિહાસની આસપાસ આ લેખો કેન્દ્રિત છે. વધુ અંદર ઊતરીએ તો પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ, સમયપત્રક, પરીક્ષા, દફતરો, વસતિ, જ્ઞાતિ, સામાજિક સંશોધન, ધર્મ, તહેવારો, આપઘાત, શોખ, હસ્તાક્ષર, વિજ્ઞાન, અંધશ્રદ્ધા અને તેમના માંહ્યલામાં જે બિરાજેલા છે, તે સમાજના નબળા સમુદાયોનું સમાજવિજ્ઞાનીય પરિપ્રેક્ષ્યમાં અહીં વિવેચન છે. કુલ ૧૫૫ પાનાં (છપાયેલાં ૧૬૦ છે, પણ તેમાં ૪ પાનાં પરિશિષ્ટનાં અને ૧ પાનું વાચકોની નોંધ માટે છે.)ના ગ્રંથમાં બહુવિદ્યાકીય, આંતરવિદ્યાકીય લેખો છે. અહીં ભૂતકાળ સાથે વર્તમાન સંકળાય છે, તો ભાવિનિર્દેશન પણ છે. આ દ્વારા ડૉ. જાનીએ સમાજશાસ્ત્રના સીમાડાઓ વિસ્તાર્યા છે. ઉદાહરણ તરીકે લેખ નં. ૯, ૧૩, ૧૪, ૧૬, ૨૨, ૩૩, ૩૮.

ડૉ. ગૌરાંગ જાનીનું ‘વિદ્યા વધે એવી આશે’ નિમિત્તે થયેલું સમાજદર્શન ભદ્રવર્ગીય કે શહેરી નથી. ‘હાંસિયાના ગુજરાત’, ભારતને તેમણે બારીકાઈથી આલેખ્યું છે. ‘આમ ભારત અને ખાસ ભારત’નું તેમનું નિરીક્ષણ જોઈએ : ‘પ્રાથમિક શિક્ષણમાં સમગ્ર દેશમાં આર્થિક આધાર પર એક ચોક્કસ વર્ગવ્યવસ્થા પણ દેખાય છે. મોટાં શહેરોમાં કેજી કે સિનિયર કેજીમાં વર્ષે એક લાખની ફી આપીને પોતાનાં સંતાનોને ભણાવતા પરિવારો છે, તો બીજી તરફ ખેતરમાં મજૂરીએ જવાને કારણે ઘરમાં નાનાં ભાઈ-બહેનોને સાચવવાં કે પછી બળતણનું લાકડું મેળવવા અને પાણી ભરવા જવાના કારણે શાળા નસીબમાં જ નથી, એવાં લાખો બાળકો છે. આ વાસ્તવિકતા એક જ દેશનાં બાળકો જ્યારે નાગરિક બને છે, ત્યારે આમ ભારત અને ખાસ ભારતનું નિર્માણ કરે છે.’ (પૃ.૧૯) આવાં તો અનેક સટીક નિરીક્ષણોથી ‘વિદ્યા વધે એવી આશે’ પુસ્તક હર્યુંભર્યું છે. વધુ બે નિરીક્ષણોઃ ‘સમાજમાં અનેકવિધ સમૂહો હોય છે તે સૌનો પરિચય સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને કરાવવો હોય તો વર્ગખંડના બ્લૅકબોર્ડ પર કે પ્રશ્નોના ઉત્તરો કે પછી પાઠ્યપુસ્તકોમાં શક્ય નથી. તે સમૂહો સાથે વાર્તાલાપ જરૂરી છે.’ (પૃ.૧૩૫)

“હું સમાજશાસ્ત્રનો અધ્યાપક ગુજરાતી સાહિત્યનો રસાસ્વાદ મેળવવા નવલકથા કે કવિતા વાંચું તો સાહિત્ય મારો શોખ ગણી શકાય, પરંતુ મને ‘વાંચવાનો શોખ છે’ એવું વિધાન કરતાં પૂર્વે મારા વ્યવસાયની અનિવાર્યતા તપાસવી રહી.” (પૃ.૧૩૯) આમ, સાંપ્રત વહીવટીતંત્ર, સમાજવિજ્ઞાનીઓ અને ખાસ તો ખાડે ગયેલા ‘મોટા માસ્તરો’(અધ્યાપકો)ને તેમણે જવાબદારી ચીંધી છે.

ભાષા અને શૈલીની દૃષ્ટિએ પણ પુસ્તક મજાનું છે, જે સામાન્ય રીતે સમાજવિજ્ઞાનનાં પુસ્તકોમાં હોતું નથી. (એક આડવાત. આજે તો અનિંદ્રાના દર્દીઓને દાક્તરો ઊંઘની ગોળીઓ કારગત ન નીવડે ત્યારે સમાજવિજ્ઞાનનાં પુસ્તકો પ્રિસ્ક્રાઇબ કરે છે.) ગૌરાંગ જાનીની ભાષા સાડાબારી રાખતી નથી. કેટલાંક ઉદાહરણો જોઈએ :

‘બાળકો બોલે અને આપણે સાંભળીએ.’

‘શાળા-પ્રવેશોત્સવની પ્રસ્તાવના પછીનાં પૃષ્ઠો ક્યાં છે ?’

‘હાજરીપત્રકનાં ખાનાં કે પરંપરાનાં ચોકઠાં ?’

‘પરીક્ષામાં મૂડીરોકાણ અને મૂડીરોકાણની પરીક્ષા’

‘કોણ જીતશે, વિજ્ઞાનનો આત્મવિશ્વાસ કે અંધશ્રદ્ધાનું અફીણ ?’

‘મધ્યાહ્નભોજનનું આમ ગુજરાત અને લંચબૉક્સનું ખાસ ગુજરાત’

‘દફતર છોડે ગુજરાત… ક્યારે ?’

‘ગુજરાત : શિક્ષણના વિચારબીજથી વેપારવૃક્ષ સુધી’

‘શોખની નવરાશ, નવરાશનો શોખ.’

આ ભાષા અને શૈલી વિષયવસ્તુ પર મજબૂત પકડ અને સંવેદના ન હોય તો આવી જ ન શકે. આવી ભાષાશૈલીમાં લખાય તો સમાજશાસ્ત્ર કે અન્ય સમાજવિદ્યાઓનાં પુસ્તકો વંચાય, સમજાય. બાકી આગળ કહ્યું તેમ ઊંઘની ગોળીઓનો વિકલ્પ.

સમગ્રતયા વિષયવસ્તુનું નાવીન્ય, રજૂઆતની શૈલી અને નિર્ભીક લખાણ વગેરેને લઈ આ પુસ્તક નવી ભાત પાડે છે. પુસ્તકનું પ્રોડક્શન, જોડણી, આયોજન વગેરેમાં લેખક, પ્રત-સંપાદક (કેતન રૂપેરા) અને પ્રકાશકની મહેનત દીપી ઊઠી છે. જોડણી, વાક્યરચનાના દોષો શોધવા અઘરા છે. મોટાભાગના લેખોના અંતે ચુનંદાં અવતરણો કે વિષયવસ્તુરૂપ ગદ્યખંડો અપાયાં છે, તે અને કેટલાક કોઠાઓ તથા પરિશિષ્ટ પુસ્તકનું સંદર્ભ-સાહિત્ય તરીકેનું મૂલ્ય ઊભું કરે છે. બીજી એક નવતર બાબત આ પુસ્તકના સંદર્ભમાં એ છે કે ગૌરાંગભાઈએ પુસ્તક તેમના વિદ્યાગુરુ ડૉ. તારાબહેન પટેલને અર્પણ કર્યું છે, જ્યારે આવકારવચન તેમનાં વિદ્યાર્થિની મિત્તલ પટેલે લખી છે. (મિત્તલબહેને આવકાર આખું પુસ્તક વાંચીને લખ્યું છે, જે સહેજ જાણ ખાતર) આમ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યરૂપી ત્રણ પેઢીઓનું અનુસંધાન આ પુસ્તકમાં થયું છે.

છેલ્લે, પુસ્તકની ઇતિશ્રી ખરીદવામાં કે વાંચવામાં નથી, ગૌરાંગભાઈએ અહીં શિક્ષણની ચિંતા અને તેના ઉકેલો આપ્યા છે, બાળકલ્યાણ અને નારીઉત્થાનના રસ્તા ચીંધ્યા છે, નબળા સમુદાયો પ્રત્યેની નિસબત દર્શાવી છે. આ બધાને કારણે સાંપ્રત વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓને નીતિનિર્ધારણમાં ચાવીરૂપ બની શકે તેમ છે.

એક આસ્વાદ તરીકે કહું તો ‘વિદ્યા વધે તેવી આશે’ પુસ્તક ગુજરાતનાં વિશ્વવિદ્યાલયોના સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓને તેમની સંવેદનશીલતા અને સંશોધનક્ષમતા વધે તે માટે ભણાવવું જ જોઈએ અને તો જ આવાં પુસ્તકો લખવાનો અને પ્રકાશિત કરવાનો શ્રમ સાર્થક થાય.

વિશેષ નોંધ : દોઢ મહિનાના ટૂંકા ગાળામાં પુસ્તકની ૪૦૦ નકલો વેચાઈ ચૂકી છે.

e.mail : arun.tribalhistory@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 18-19

Loading

લૂંટનો માલ વ્યાજ સાથે પાછો આપો!

આશા બૂચ|Opinion - Opinion|5 November 2015

તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના યુનિયન દ્વારા એક ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે શશી થરૂર ત્રણ સંનિષ્ઠ વક્તાઓમાંના એક હતા. એ ચર્ચાસભાનો પ્રસ્તાવ હતો : ‘આ હાઉસ માને છે કે બ્રિટન ઉપર તેના ભૂતપૂર્વ શાસિત દેશોને તેમના પર રાજ્ય કરવા બદલ વળતર ચૂકવવાનું ઋણ બાકી છે.’

આ ચર્ચાસ્પદ મુદ્દાને લઈને શશી થરૂરે જે વિગતો રજૂ કરી તેનાથી વિચાર વમળો ઉઠ્યાં અને આધુનિક પ્રસાર માધ્યમો દ્વારા તેના પર તેની તરફેણ અને વિરુદ્ધમાં ગરમાગરમ ચર્ચાઓ થઈ. પ્રસ્તાવમાં બ્રિટનના તમામ ભૂતપૂર્વ શાસિત દેશોને વળતર ચુકવવાની વાત હતી, જ્યારે સ્વાભાવિક છે કે શશી થરૂરને ભારતનો કેઈસ રજૂ કરવાનું સોંપવામાં આવ્યું હશે. અહીં જે આર્થિક, રાજકીય અને સામાજિક દશા ભારતની થઈ તેવી જ બીજા દેશોની થઈ, એ હકીકત સ્વીકાર્ય ગણીને જ આગળ વધી શકાય. વળી, અહીં માત્ર નાણાકીય વળતરની જ ચર્ચા છે, અન્ય ગુણાત્મક પાસાંઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો, જેના વિષે મારા વિચારો વ્યક્ત કરવા માગું છું.

આપણે જાણીએ છીએ કે બ્રિટિશ શાસનની શરુઆતમાં વિશ્વની અર્થ વ્યવસ્થામાં ભારતનો ફાળો 23% હતો, જે ખાસ ઊંચો ન ગણાય, પણ સાવ નગણ્ય પણ નહોતો, જે એ શાસનના અંત ભાગે 4%થી ય ઓછા આંક પર આવી ગયેલો. તો એ માટે બ્રિટન અત્યારે ભારતને ગુમાવી પડેલ પ્રગતિ આંક માટે દેવું ભરપાઈ કરે તેવી માંગણી થઈ રહી છે. એ જાહેર હકીકત છે કે બ્રિટનના રાજ્યકર્તાઓ અને ઉચ્ચ હોદ્દેદારોના મસ મોટા પગાર, અન્ય ભથ્થાં અને અતિ ખર્ચાળ જીવન પદ્ધતિ પોષવા ભારતની આમ જનતા તૂટી મરેલી. જાહેર છે કે બ્રિટનની 200 વર્ષની ચડતી ભારતની આર્થિક, રાજકીય અને સાંસ્કૃિતક પડતી ઉપર ચણાયેલી હતી.

ભારતનો 19મી અને 20મી સદીનો ઇતિહાસ જાણનાર સહુ કહેશે કે બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ ભારતના ગૃહોદ્યોગ અને ગ્રામોદ્યોગના ભંગાર પર વિકસેલી. ભારતના ઉત્પાદકો અને વેપારીઓએ  કાચા માલની નિકાસ પર નિકાસ વેરો અને બ્રિટનમાં મશીનોમાં પેદા થયેલ તૈયાર માલ ખરીદવા બદલ આયાત વેરો ભરીને બે બાજુથી માર ખાધેલો. ઢાકાનું મલમલ વણનાર વણકરોના અંગૂઠા જ માત્ર નહીં, ભારતના સમગ્ર અર્થતંત્રના કાંડા કપાયેલા. બ્રિટિશ રાજની આવી અર્થનીતિને  કારણે સર્વોદય વિચારધારા પ્રત્યે અંધાપો આવ્યો અને કેન્દ્રીય ઉદ્યોગો અને વેપાર વ્યવસ્થાની મોહિની છવાઈ ગયેલી.

કોઈ પણ ગુલામ દેશની પ્રજા વિનિપાતના માર્ગે જ ધકેલાય તેનો ઇતિહાસ સાક્ષી છે. કાપડ ઉદ્યોગના પડી ભાંગવા સાથે ભારતના હાથે કાંતનારા અને વણકરો પોતાના જ દેશમાં ભિખારી બન્યા અને રેશમ તથા મલમલ વણનારા અપંગ બન્યા એ તરફ શશી થરૂરે ધ્યાન દોર્યું એ વ્યાજબી છે. ઈ.સ. 1943માં 4 મીલિયન બંગાળી સ્ત્રી-પુરુષ-બાળકો ભૂખમરાથી માર્યા ગયા. કારણ? વિન્સ્ટન ચર્ચીલે અનાજનો જથ્થો ભૂખ્યા બંગાળી પ્રજાજનોને આપવાને બદલે જેની પાસે પૂરતો અનાજનો પુરવઠો હતો તેવા બ્રિટિશ લશ્કર તરફ રવાના કરવાનો આદેશ આપેલો. એની દલીલ કેવી બેદર્દ હતી? “આમ થાય તો અર્ધભૂખ્યા બંગાળીઓ ભૂખે મરે તેના કરતાં તંદુરસ્ત ગ્રીક જવાનોને ઓછું પોષણ મળે તે વધુ ગંભીર બીના છે.” જયારે કેટલાક નીતિવાન ઓફિસરોએ ચર્ચિલના આ નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવ્યું તે જણાવતા તાર કર્યા ત્યારે તેણે ટાઢે પેટે પૂછેલું, “હજી ગાંધી કેમ મર્યો નથી?”

એ ખરું છે કે બ્રિટિશ રાજ ભારતની પ્રજાના કલ્યાણ અર્થે છે એમ કહેવામાં આવતું હતું, જ્યારે હકીકત એ છે કે પોતાનું સામ્રાજ્ય સ્થાપવા, તેનો પગદંડો જમાવવા, તેને ગુમાવી ન બેસવા અને છેવટ ન છૂટકે છોડવાના તમામ પગલે અનેક લડાઈઓ થઈ, છેતરપીંડી કરવામાં આવી, ભાગલા પાડો અને શાસન કરોની નીતિને કારણે દેશ છિન્ન વિછિન્ન થઈ ગયો, સ્વાતંત્ર્યની માગ કરનાર નિ:શસ્ત્રોને તોપના ગોળે કે મશીનગનથી વીંધી નખાયા, એ બધું જ થયું કેમ કે ભારતની પ્રજા ક્યારે ય બ્રિટનની નાગરિક નહોતી, એ માત્ર તેમના તાબા હેઠળ બ્રિટનના રાજાની રંક પ્રજા હતી. બ્રિટિશ શાસન કાળ દરમ્યાન એવો દાવો પણ કરાતો હતો કે રેલવે ભારતની પ્રજાના લાભ માટે બાંધવામાં આવી છે, પણ સાચું તો એ હતું કે બ્રિટિશ ઓફિસરો અને લશ્કરને દેશના ખૂણે ખૂણે પહોંચાડવા અને ભારતનો કાચો માલ દરિયાયી બંદરે લઈ જવા અને બ્રિટનથી મોકલેલ પાકો માલ દેશના ગામે ગામ પહોંચાડવા તેનો મુખ્ય ઉપયોગ થતો. દુનિયાના બીજા દેશોએ ગુલામ બન્યા વિના રેલવે બાંધી જ હતી ને? ભારતીય જનતાની કાળી મહેનતને અંતે તેમની પાસેથી  ઉઘરાવેલ કરવેરાથી બ્રિટિશ શેરહોલ્ડરોના ખિસ્સાં તરબતર થયેલા એ આપણે ક્યાં નથી જાણતાં?

વિદેશી શાસન દરમ્યાન ભારતનો શતમુખ વિનિપાત સર્જાયો એ બરાબર જાણીએ છીએ. વાઈસરોયથી માંડીને લશ્કરના વડાઓ અને વેપાર ઉદ્યોગના સાધનો બ્રિટનથી લવાયા. ટેકનોલોજી શાસનકર્તાઓએ પોતાના અંકુશમાં રાખી, નામની મજૂરી આપીને અઢળક માલ પેદા કરી વેંચ્યો, લખલૂટ નફો કર્યો અને એ બધી મિલકત ઉસેડીને બ્રિટન ભેળી કરી એ વાતનો ઇનકાર થાય તેમ નથી. એ ખરેખરતો Private (British) enterprise at public (Indian) riskનો ખેલ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ  આફ્રિકાના સૈનિકોની સંખ્યાના સરવાળા કરતાં વધુ ભારતીય જવાનો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા. જો કે આંતરરાષ્ટ્રીય સમજુતી પ્રમાણે એ નુકસાની પેટે 12 મીલિયન ડોલર ચૂકવાયા છે. પણ બીજા વિશ્વયુદ્ધમાં અઢી મીલિયન ભારતીય સૈનિકો લડ્યા, જેનું દેવું 1.25 બિલિયન ડોલર થવા જાય છે જે હજુ ભરપાઈ નથી થયું. શશી થરૂર કદાચ એકે એક પાઈ ભરપાઈ કરવાની માંગણી કરે તેવા નથી એટલે “વરસે 1 પાઉન્ડ લેખે બસો વર્ષ સુધી કરજ ચૂકવી આપો તો ય ઘણું।” એમ કહીને વિરમ્યા.

આ વક્તવ્ય સાંભળ્યા પછી થયું, સારું થયુંને આપણે હવે સાવ સ્વતંત્ર થઈ ગયા? હવે આમાંની એકે ય પરિસ્થિતિનો ભારતની પ્રજાને સામનો નથી કરવો પડતો એ હરખની વાત છે. મારી નજર છેલ્લા 65 વર્ષના પ્રગતિ અને વિકાસ પર પડી. સ્વતંત્ર થયા પછી ‘પોતાના’ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી માંડીને નાનામાં નાના મામલતદાર સુધીના તમામ સરકારી અધિકારીઓ પણ એવા જ દમામ સાથે રહે છે અને પ્રજા હજુ પણ તેના ભાર નીચે કચડાયેલી રહે છે એ હકીકત પીડાકારક છે. એનો અર્થ એ કે આપણે ધોળા હાથીને બદલે ઘઉં વર્ણા હાથીને આપણા શાસનની ધુરા સોંપી? આ તો વ્યક્તિ શોષણ કરે છે, શાસન નહીં એવું પુરવાર થયું.

બ્રિટિશ રાજ દરમ્યાન થયેલ વેપાર-ધંધાની પડતી માટે કાગારોળ કરીએ છીએ પણ સવાલ એ થાય છે કે બ્રિટન તો કદાચ અમુક કરોડ પાઉન્ડ એ ખોટના બદલામાં ચૂકવીને છૂટી જશે, પણ સ્વતંત્ર ભારતના નાગરિકોની ચૂંટેલી સરકારોની મુક્ત બજારની નીતિને પરિણામે અને દુનિયાની પ્રથમ નંબરની અર્થવ્યવસ્થા થવાની લાલચને કારણે જે દરે મોટા અને ભારે ઉદ્યોગો સ્થપાય છે, જે રીતે કૃષિ ઉદ્યોગ હાંસિયામાં ધકેલાય છે, જે ગતિથી આયાત-નિકાસનું પલ્લું આપણી વિરુદ્ધ નમતું જાય છે અને જે ઝડપથી તમામ લઘુમતી કોમ પોતાની જીવન પદ્ધતિને મૂડીવાદના વમળમાં અદ્રશ્ય થતી ભાળે છે એ જોતાં લાગે છે કે જાણે આપણે બ્રિટિશ સરકારે શરુ કરેલ શોષણ પૂરું કરીને ઝંપીશું. ત્યારે કોની પાસે વળતર માગવા જઈશું?

ભારતીય પ્રજાજનોએ ગુલામી દશાને પરિણામે જે યાતના સહન કરવી પડેલી તે અમાનુષી હતું તેમ કહેતાં આપણે અચકાતાં નથી, પરંતુ શશીજીના આ મુદ્દા પર વધુ વિચાર કરતાં મને થયું, ક્યાંક આજની સરકાર પણ અવાજ વિહોણાં આદિવાસીઓ, સ્ત્રીઓ, અન્ય લઘુમતી કોમના લોકોની અવગણના કરીને તગડા ઉચ્ચ મધ્યમ અને મધ્યમ વર્ગના લોકોને વધુ સમૃદ્ધ કરવા બધા કુદરતી અને માનવ સ્રોત એમના તરફ રવાના તો નથી કરતાને? માનવ સર્જિત ભૂખમરા માટે બ્રિટનની હાલની સરકાર કદાચ ‘અમને માફ કરો’ એમ કહીને પ્રાયશ્ચિત કરી લેશે, આપણી પ્રજા કોની પાસે વળતર માગશે, પ્રાયશ્ચિત કરાવશે? બ્રિટિશ રાજની રેલવે તેમના લશ્કરી અને વહીવટી અમલદારોના લાભમાં બંધાઈ તો આજના ‘સ્માર્ટ સીટી’, શોપિંગ મોલ, વિશાળ રસ્તાઓ, સરદાર નગર, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વગેરે શું ‘સ્વતંત્ર ભારત’ની આમ જનતાના હિતને લક્ષમાં લઈને બાંધવામાં આવે છે? બ્રિટને ભારતનું આર્થિક માળખું આપણી કુદરતી અને માનવ શક્તિને ચૂસી ચૂસીને ખોખલું કરી નાખ્યું તેમ બૂમ પાડી પાડીને કહેવામાં વાંધો નથી, પણ આજે જે રીતે વિદેશી કંપનીઓને પોતાને ખોળે બેસાડીને વેપાર-ઉદ્યોગોને વિકાસના નામે ગીરવે મુકવામાં આવે છે એ જોતાં આપણું જ માનવ ધન થોડાં વર્ષોમાં આધુનિક ગુલામીના ચક્રમાં ફસાઈ જશે ત્યારે તેમને કોણ વળતર આપશે?

એક બાબતમાં ભારતીય શાસને બ્રિટિશ રાજને હરાવ્યું છે અને તે કોમી એખલાસના મુદ્દે. બ્રિટનને તો પોતાનું રાજ અક્ષુણ રાખવા માટે ભાગલા પાડીને વિખવાદ ઊભો કરવાની પવિત્ર ફરજ હતી અને છેવટ સામ્રાજ્યનો અંત આવ્યો ત્યારે હું મરું પણ તને રાંડ કરું એ ન્યાયે દેશના ભાગલા એવી રીતે કર્યા કે હવે ભારત-પાકિસ્તાન રૂપી બે બિલાડીઓ જીવશે ત્યાં સુધી લડ્યા કરશે અને બ્રિટન, અમેરિકા, રશિયા જેવા દેશો એમને શસ્ત્રો પૂરાં પાડીને ઝઘડતા દેશોને થતા નુકસાન થકી પોતે રોટલાનો મોટો ટુકડો લઈને લાભ મેળવતા રહેશે. પણ ભારતની સરકાર વિદેશી સરકાર કરતાં પણ એક ડગલું આગળ વધી. માત્ર હિંદુ-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય હોય તેટલાથી સંતોષ ન થતાં આદિવાસી, અવર્ણ-સવર્ણ, ગરીબ-તવંગર અને સ્ત્રી-પુરુષ વચ્ચે પણ અસમાનતાની ઊંડી ખાઈ રચીને પોતાની જ પ્રજાને વિભાજીત કરી. બ્રિટન તો કદાચ ‘ભૂતકાળમાં બ્રિટિશ શાસન દ્વારા આચરવામાં આવેલ અત્યાચારો એક શરમ જનક બીના હતી’ એવું કહીને પોતાનો ડાઘ છુપાવવાની કોશિશ પણ કરશે, પણ આપણે આપણા જ દેશ બાંધવોને આવી વિભાજક, વિનાશક અને આક્રમક આર્થિક અને આંતરિક નીતિને કારણે ઊભી થતી અસમાનતા માટે શું જવાબ આપશું? આપણે ચેતી જવું રહ્યું.

વિદેશી શાસનના કેટલાક આડકતરા પરિણામો આવ્યાં, જેમ કે ભારતીય ભાષાઓ અણમાનીતી રાણી જેવી ગણાવા લાગી છે, આપણાં વિજ્ઞાન, કાર્ય કૌશલ્ય અને ડહાપણ વિષે શંકા થવા માંડી છે, આપણી સંસ્કૃિતની ઉપજ સમાં અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન વિસ્મૃિતની ગર્તામાં ધકેલાવા લાગ્યા છે, ‘તેન ત્યક્તેન ભુંજીથા:’ જેવા સનાતન મૂલ્યને ભૂલીને ‘પૈસો મારો પરમેશ્વર’ એવા વરવા પૂંજીવાદ પાછળ ભાન ભૂલીને દોડવા માંડ્યા છીએ અને ભારતીય અસ્મિતા જોખમાઈ રહી છે તો એ બધાનું વળતર શું નાણામાં કોઈ ચૂકવી શકશે?

બ્રિટનની શાળાઓમાં સામ્રાજ્યનો ઇતિહાસ ભણાવાય અને તમામ હકીકતો તટસ્થતાથી શીખવવામાં આવે તે એમને માટે એક ગૌરવ પદ પગલું ભર્યું કહેવાશે અને એ માટે ભારત બ્રિટનની સરકારને ભલામણ કરી શકે. એ જ રીતે ભારત સાથે માત્ર વેપારી કરારો નહીં પણ સાંસ્કૃિતક આદાન-પ્રદાન કરવા બ્રિટન આગળ આવે તો એ પણ સરાહનીય ગણાશે. સામે પક્ષે ભારતની આજની પેઢીએ દેશના લુંટાયેલ નાણાં માત્ર નહીં, પણ બુદ્ધિધન, વિચાર શક્તિ અને અસ્મિતાને આપ બળે પછી મેળવી લેવાની છે. એ માટે ગુલામી માનસને તિલાંજલિ આપી સ્વાભિમાન કેળવીને ઉત્તમ નાગરિક તરીકે ફરજ બજાવતા થઈશું તો કરોડો કે અબજો રૂપિયાના વળતરથી અનેક ગણું મૂલ્યવાન ધન ધરાવનાર, દુનિયાને માર્ગ બતાવનાર આદર્શ દેશ બની શકશે.

અહીં ગાંધીજીનું અવતરણ ટાંકીને પૂર્ણ વિરામ મુકીશ:

“મારું સ્વરાજ આપણી સંસ્કૃતિનો આત્મા અમર રાખવામાં રહેલું છે. પશ્ચિમની પાસેથી લીધેલી વસ્તુ ઘટતા વ્યાજ સાથે હું પછી વળી શકીશ ત્યારે પશ્ચિમની પાસેથી કરજ લેતાં હું નહીં અચકાઉં।”

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,6713,6723,6733,674...3,6803,6903,700...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved