Opinion Magazine
Number of visits: 9691583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંગ્રેજોએ સ્થાપેલી બનારસની સંસ્કૃત કૉલેજનું હજારગણું મોટું યોગદાન છે


રમેશ ઓઝા, રમેશ ઓઝા|Opinion - Opinion|22 February 2016

અંગ્રેજો સંસ્કૃત શિક્ષણ માટે કૉલેજ સ્થાપે, પૂર્વના વિદ્વાનોને એકઠા કરે, પાશ્ચાત્ય શિક્ષણપદ્ધતિ મુજબ એને ઢાળે, દેશભરમાંથી હસ્તપ્રતો એકઠી કરવામાં આવે, હસ્તપ્રતોની શુદ્ધ વાચના તૈયાર કરવા વિદ્વાનોને રોકવામાં આવે, એને છપાવવા માટે અંગ્રેજો શિલાપ્રેસ અને લિથોપ્રેસ ભારતમાં લઈ આવે, ભારતમાં ઓરિયેન્ટલ બુક પબ્લિકેશનની શરૂઆત કરાવે એ ઓછું મોટું યોગદાન છે?

ગયા અઠવાડિયે [14 ફેબ્રુઆરી 2016] આપણે જોયું કે હિન્દુઓ, મુસલમાનો અને સિખોને એમ ત્રણેયને મૅકોલેના વિકલ્પે પૌર્વાત્ય શિક્ષણપદ્ધતિ અને શિક્ષણસંસ્થા સ્થાપવામાં સફળતા નહોતી મળી. તેમને પૂર્વ અને પશ્ચિમનો સમન્વય કરવામાં પણ સફળતા નહોતી મળી અને હદ તો ત્યારે થઈ કે પશ્ચિમ સામે થોડું પૂવર્‍નું આચમનરૂપે જળવાઈ રહે એમાં પણ સફળતા નહોતી મળી.

આખો થાળ તો છોડો, આચમન પણ નહીં? સમાન બળિયા તરીકે બાથ ભીડ્યા પછી એક લંગોટ પણ ન બચાવી શકાય એવું કેમ બન્યું?

આનું કારણ એજન્ડા હતો. હિન્દુને હિન્દુ તરીકે સંગઠિત કરવાનો અને મુસલમાનો સામે, ઈસાઈઓ સામે અને સિખો સામે ઊભો કરવાનો એજન્ડા હતો. મુસલમાનો મુસલમાનને સંગઠિત કરવા માગતા હતા અને બીજા સામે ઊભો રાખવા માગતા હતા. આવું જ સિખોનું હતું. મદન મોહન માલવિયા આક્રમક નહોતા પણ મવાળ હિન્દુ હતા એટલે તેઓ હિન્દુને સંગઠિત કરીને અન્ય સંસ્કૃિતથી બચાવવા માગતા હતા. ઉદ્દેશ બીજાને ધકેલવાનો હોય કે પોતાની જગ્યા બચાવવાનો હોય, પણ એજન્ડા તો હતો જ.

હવે સમસ્યા એ હતી કે સંગઠિત થવું હોય તો સમાન ભૂમિકા જોઈએ અને વિવિધ સંપ્રદાયમાં અને ફીરકાઓમાં વહેંચાયેલા હિન્દુઓ અને મુસલમાનોમાં સમાન ભૂમિકા બનતી નહોતી. સનાતનીઓને અને આર્યસમાજીઓને દીઠ્યે નહોતું બનતું. આર્યસમાજીઓ સિખોને પણ પરધર્મી ગણાવીને તેમનું શુદ્ધીકરણ કરતા હતા. શિયાઓ અને સુન્નીઓને દીઠ્યે નહોતું બનતું. દેવબંદીઓ અને બરેલવીઓ મળીને બન્નેને સ્વીકાર્ય હોય એવું ધર્મશિક્ષણનું પાઠ્યપુસ્તક તૈયાર નહોતા કરી શકતા. શ્રમણ (બૌદ્ધ અને જૈન) અને બ્રાહ્મણ વચ્ચે સમન્વય કરવો અઘરો હતો. ભૌતિકવાદી ‘લોકાયત દર્શન’ પણ અંતે એક દર્શન હતું અને એનો સ્વીકાર કરવો કે કેમ એ પ્રશ્ન હતો. હિન્દુઓમાં વેદાંતીઓની શાખા-ઉપશાખાઓના પોતાના આગ્રહો હતા. આ ઉપરાંત અસ્પૃશ્યતાના અને એકંદરે વર્ણવ્યવસ્થાના પ્રશ્નો હતા. પરંપરામાં સ્ત્રીઓના સ્થાન વિશે પ્રશ્નો હતા. ‘મનુસ્મૃિત’ જેવાં ધર્મશાસ્ત્રોનું શું કરવું એ પ્રશ્ન હતો. એનો બચાવ કરવો કે પછી એનો અસ્વીકાર કરવો? સાંપ્રદાયિક અને ધર્મ આધારિત સામાજિક વિભાજન હોય ત્યાં વચલો રસ્તો કાઢવો મુશ્કેલ શું, અસંભવ હોય છે. આ ઉપરાંત બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપનામાં મદદ કરનારા રાજવીઓ મદન મોહન માલવિયાનો બ્રાહ્મણો માટેનો પક્ષપાત જોઈને પીછેહઠ કરવા લાગ્યા હતા.

અહીં જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાનો પત્ર યાદ આવે છે. હિન્દુઓને સંગઠિત કરવાના મિશનમાં મદન મોહન માલવિયા અને લાલા લજપત રાયને મદદ કરનારા ઘનશ્યામદાસ બિરલાએ ગાંધીજીને પત્ર લખીને વ્યથા ઠાલવી હતી કે વિચારો અને વલણમાં ફેર ધરાવનારા એ બે નેતાઓ વચ્ચે મેળ બેસાડવાના પ્રયત્નો કરીને હવે તેઓ થાકી ગયા છે. ૨૦ સદીના હિન્દુિહતના સૌથી મોટા પેટ્રન ઘનશ્યામદાસ બિરલા હાંફી જાય તો હિન્દુ યુનિવર્સિટી હિન્દુ ન બની શકે એમાં કોઈ આશ્ચર્ય ખરું?

પરંતુ આનો અર્થ એવો નથી કે આધુનિક યુગમાં પરંપરાનો અભ્યાસ થયો નથી. હિન્દુ સહિત બધી જ ભારતીય પરંપરાનો અભ્યાસ થયો છે અને ખૂબ ઊંડો અભ્યાસ થયો છે. બે ધારાના લોકો હતા જેમાં એક પરંપરાવાદી લોકો હતા અને બીજાં પાશ્ચાત્ય અભિગમ સાથે પરંપરાનો અભ્યાસ કરનારા સ્વતંત્ર વિદ્વાનો હતા. દેવબંદની દારુલ ઉલૂમે ઇસ્લામના અભ્યાસમાં જેટલું યોગદાન આપ્યું છે એટલું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું નથી. જે-તે શાખાના વેદાંતીઓએ, જૈનોએ, બૌદ્ધોએ પોતપોતાની રીતે પોતપોતાની પરંપરાને વિશદ કરવાના પ્રયત્નો કર્યા છે. પરંપરાવાદીઓ વધારે મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શક્યા છે એનું કારણ એ છે કે તેઓ પોતાની પરંપરાને સમૃદ્ધ કરવા માગતા હતા, હિન્દુને સંગઠિત કરવાનો કોઈ એજન્ડા નહોતો. બનારસની જ વાત કરીએ તો બનારસ હિન્દુ યુનિવર્સિટી કરતાં બનારસમાં આવેલા બૌદ્ધોના તિબેટન શોધ સંસ્થાનનું કે શાંકરવેદાંતીઓના દક્ષિણામૂર્તિ મઠનું પરંપરાના અભ્યાસમાં મોટું યોગદાન છે.

લૉર્ડ મૅકોલેનું એક જાણીતું કથન વારંવાર ટાંકવામાં આવે છે જે ખરું જોતાં સંદર્ભ તોડીને ટાંકવામાં આવે છે. મૅકોલેની મિનિટ્સમાં મૅકોલેને એમ કહેતાં ટાંકવામાં આવ્યા છે કે પૂવર્‍નું ચિરંજીવ મૂલ્ય ધરાવતું સાહિત્ય જો એકઠું કરવામાં આવે તો આપણે ત્યાંની લાઇબ્રેરીમાંનો એક કબાટ પણ નહીં ભરાય. આમાં મૅકોલેનું ભારત વિશેનું અજ્ઞાન પ્રગટ થાય છે અને એ સમયે આવું અજ્ઞાન ધરાવનારા અનેક લોકો યુરોપમાં હતા. એ સમયે યુરોપમાં ભારતને જોવાના ત્રણ અભિગમ હતા. એક ઈસાઈ ધર્મની સર્વોપરિતાવાળો જે પૂર્વના દર્શનને તુચ્છ લેખતો હતો. બીજો પાશ્ચાત્ય સભ્યતાની સર્વોપરિતાવાળો જે પૂર્વના સાંસ્કૃિતક વારસાને ઓછો આંકતો હતો અને ત્રીજો તટસ્થ વિદ્વાનોનો જે કોઈ પણ પ્રકારના એજન્ડા વિના કેવળ જિજ્ઞાસાથી પૂવર્‍ને જોતા હતા.

તમને આશ્ચર્ય થશે, પણ લૉર્ડ મૅકોલેનો જન્મ પણ નહોતો થયો એના નવ વર્ષ પહેલાં ૧૭૯૧માં લૉર્ડ જૉનાથન ડંકને બનારસમાં ગવર્નમેન્ટ સંસ્કૃત કૉલેજની સ્થાપના કરી હતી જે આજે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. લૉર્ડ મૅકોલેનો જન્મ થયો એના ૧૬ વર્ષ પહેલાં ૧૭૮૪માં જૉન વિલ્સન નામના ખ્રિસ્તી મિશનરી અને ભાષાશાસ્ત્રીએ કલકત્તામાં રૉયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી હતી. આ ઉપરાંત મૅક્સમુલરથી લઈને ડાયના એક સુધીના સેંકડો પાશ્ચાત્ય વિદ્વાનોએ શિક્ષણસંસ્થાઓ દ્વારા કે વ્યક્તિગત રીતે ભારતીય પરંપરાનો અભ્યાસ કર્યો છે. દર્શન, ન્યાય, ભાષા, વ્યાકરણ, સાહિત્ય, સંગીત, રસશાસ્ત્ર, આયુર્વેદ, શિલ્પશાસ્ત્ર, સ્થાપત્ય એમ એવી કોઈ વિદ્યાશાખા નહીં હોય જેમાં પશ્ચિમના વિદ્વાનોએ પાશ્ચાત્ય અભિગમ સાથે અભ્યાસ ન કર્યો હોય.

શું છે આ પાશ્ચાત્ય અભિગમ? નિર્ભેળ જ્ઞાનસંપાદન વૃત્તિ અને તટસ્થતા. દરેક ધર્મની પરંપરાનો, સંપ્રદાયોનો, સ્કૂલ્સ ઑફ થૉટનો કોઈ પક્ષપાત વગર તેમણે અભ્યાસ કર્યો હતો. આપણે ત્યાં આ ચીજ ખૂટતી હતી. પરા કોટીનો શાંકરવેદાંતી વિદ્વાન રામાનુજને ન્યાય નથી આપતો એ આપણી જ્ઞાનવ્યાપારની ઊણપ છે. હિન્દુઓને સંગઠિત કરવાનો તેમનો કોઈ એજન્ડા નહોતો એટલે પરાણે સમન્વય કરવાનો બોજો તેમના પર નહોતો. એક જ શિક્ષણસંસ્થામાં ઉપર કહી એવી જ્ઞાનશાખાઓનું શિક્ષણ આપી શકાતું હતું. એક જ સંસ્થામાં પરસ્પર વિરોધી સંપ્રદાયોના તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપી શકાતું હતું. એક જ પાઠ્યપુસ્તકમાં અલગ-અલગ વિચારશાખાઓનું શિક્ષણ આપી શકાતું હતું. એ પછી તો આ પરિપાટી અપનાવીને આપણે ત્યાં પણ એસ. એન. દાસગુપ્તા અને ડૉ. રાધાકૃષ્ણન જેવા વિદ્વાનો થયા છે. આ તટસ્થતાયુક્ત પાશ્ચાત્ય અભિગમ છે, પૌર્વાત્ય સાંપ્રદાયિક નથી.

તો આ હતો અંગ્રેજો પાસેથી મળેલો ચોથો અભિગમ જેમાં સફળતા મળી છે. એટલે તો હિન્દુ પરંપરાને સમજવામાં અને એને નવા સંદર્ભોમાં રજૂ કરવામાં બનારસ હિન્દુ યુનિવર્સિટીનું યોગદાન છે એના કરતાં બનારસની સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીનું હજારગણું મોટું યોગદાન છે. પ્લીઝ નોટ; હજારગણું એ અતિશયોક્તિ નથી, વાસ્તવિકતા છે. અંગ્રેજો સંસ્કૃત શિક્ષણ માટે કૉલેજ સ્થાપે, પૂર્વના વિદ્વાનોને એકઠા કરે, પાશ્ચાત્ય શિક્ષણપદ્ધતિ મુજબ એને ઢાળે, દેશભરમાંથી હસ્તપ્રતો એકઠી કરવામાં આવે, હસ્તપ્રતોની શુદ્ધ વાચના તૈયાર કરવા વિદ્વાનોને રોકવામાં આવે, એને છપાવવા માટે અંગ્રેજો શિલાપ્રેસ અને લિથોપ્રેસ ભારતમાં લઈ આવે, ભારતમાં ઓરિયેન્ટલ બુક પબ્લિકેશનની શરૂઆત કરાવે એ ઓછું મોટું યોગદાન છે?

એ પછી પણ અંદાજે સાડાત્રણ કરોડ હસ્તપ્રતો અંગત સંગ્રહમાં કે સંસ્થાનોમાં વિદ્વાનોની રાહ જોતી પડી છે. કોઈ એને વાંચનાર, ઉકેલનાર અને શુદ્ધ વાચના કરી આપનાર મળતું નથી. એ ઉપરાંત પાઠાંતરભેદ અને શંકાઓ દૂર કરનાર સંપાદકની જરૂર છે. વિદ્વાનો મળતા નથી એટલે હસ્તપ્રતો ર્જીણ થઈને નાશ પામી રહી છે. જો અંગ્રેજોની જેમ રાજકીય અને સાંપ્રદાયિક એજન્ડા વિના જ્ઞાનવ્યાપાર કરવામાં આવ્યો હોત અને હજી પણ કરવામાં આવે તો આ સાડાત્રણ કરોડ હસ્તપ્રતોનો ઉદ્ધાર થઈ શકે એમ છે. એક કરોડ હસ્તપ્રતો તો એકલી બનારસની સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી પાસે પડી છે. કલ્પના કરો કે આપણો કેટલો સમૃદ્ધ જ્ઞાનવારસો છે. એ સાંપ્રદાયિક પક્ષપાતનો ભોગ ન બનવો જોઈએ.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામલ લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 21 ફેબ્રુઆરી 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-21022016-9

Loading

અજંપાની અભિવ્યક્તિનો રાજદ્રોહ: કાયદાના બે બુનિયાદી અંગો, પોલીસ અને વકીલ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 February 2016

સરકાર માત્રને પોતાની પાસે સઘળી સત્તા કેન્દ્રિત કરવું પ્રકૃતિગત રીતે ગમતું હોય છે.

ભલે એ એક અણચિંતવી આડપેદાશ હોય, પણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઘટનાક્રમની એ એક લબ્ધિ જ લેખાશે કે દિલ્હીના પોલીસ વડા બસ્સીની દેશના વડા માહિતી કમિશનર પદે ઉત્ક્રાન્તિ થતાં થતાં સહેજમાં જ રહી ગઈ! પતિયાલા હાઉસ કોર્ટમાંથી કન્હૈયાના કેસને વાયા સુપ્રીમકોર્ટ દિલ્હી હાઇકોર્ટમાં ખસેડવાની નોબત આવી એની પૂંઠે ભાજપી વકીલ વિક્રમસિંહ ચૌહાણના નેતૃત્વમાં કાળા ડગલાએ મચાવેલ કેરનો અને તે સંદર્ભમાં પોતાની ફરજથી કિનારો કરી ગયેલી દિલ્હી પોલીસનો હિસ્સો હવે તો જગજાહેર છે. કાયદાના શાસનનાં બે બુનિયાદી અંગો, પોલીસ અને વકીલ, આ કિસ્સામાં અત્યંત વરવી રીતે બહાર આવ્યાં છે.

પોલીસ તો ખેર સરકાર હસ્તક છે, અને બધી સરકારો એના ગેરઉપયોગ સારુ નામીચી છે. પણ વિક્રમી વકીલ મંડળીને કેવી રીતે ઘટાવશું, વારુ? એક પા પોલીસ સમન્સ બિન બજવ્યું, બિન પાળ્યું માર્યું ફરે અને બીજી પા વિક્રમ ચૌહાણનું વકીલો એમના વીરકર્મ વાસ્તે દેશભક્તરૂપે સન્માન કરતા હોય એ ઘટના કાં તો નિ:શાસનનો નમૂનો છે કે પછી દુ:શાસનનો દાખલો છે.

બને કે ખુદની નજરોમાં અને સત્તાપક્ષનાં વર્તુળોમાં વિક્રમસિંહ ચૌહાણ કે ધારાસભ્ય ઓ.પી. શર્મા વીરનાયક જેવા વરતાતા હોય. આ ક્ષણે ઊંચકાતી છબિ ગરીબ માબાપના મેધાવી પુત્ર કન્હૈયા કુમારની છે જેણે આઝાદીનો અવાજ આવડ્યો એવો બુલંદ કરી જાણ્યો, ભૂખમરી સે આઝાદી, સંઘવાદ સે આઝાદી, સામંતવાદ સે આઝાદી, પૂંજીવાદ સે આઝાદી .. આઝાદી હૈ હક હમારી, હૈ જાનસે પ્યારી. આ પ્રકારની તકરીરને પરબારી રાજદ્રોહના ખાનામાં ખતવવા સારુ કાં તો ઘોર અણસમજ જોઇએ કે ચોક્કસ પ્રકારની સમજ જોઇએ.

હમણાં મેં કન્હૈયાને વીરનાયક રૂપે વર્ણવ્યો, પણ આ ઘટનામાં જે બે ત્રણ વીરનાયક કહેતાં વિશિષ્ટ નાયક ઉભર્યા એની પણ નોંધ લેવી જોઇએ. સંઘ પરિવારની વિદ્યાર્થી સંસ્થારૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુપ્રતિષ્ઠ છે, અને દિલ્હીમાં નમો શાસનના ઉદય સાથે એનો એક સમજી શકાય એવો દબદબો પણ છે. આ પરિષદના જે.એન.યુ. એકમના તેમ જ સ્કૂલ ઑફ સોશ્યલ સાયન્સીઝ એકમના બબ્બે (કુલ ચાર) પદાધિકારીઓએ આ દિવસોમાં રાજીનામું આપવાપણું જોયું છે. એમને એમ લાગે છે કે જે રીતે ડાબેરીવાદ સાથે જે.એન.યુ.ને સમીકૃત કરવાનું શાસન અને સત્તાપક્ષ તરફથી ચાલ્યું છે એથી યુનિવર્સિટી અને એના છાત્ર સમુદાયની છબિ ખરડાઈ છે. હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રકરણમાં અને જે.એન.યુ. પ્રકરણમાં સરકારે જે નીતિરીતિથી કામ લીધું છે તે બરાબર નથી – અને અમને આવા પક્ષના વાંજિંત્ર બની રહેવું મંજૂર નથી.

વીરનાયક તો જો કે છેલ્લાં વરસોમાં નમો નેતૃત્વના પ્રશંસકરૂપે ઉભરેલા સુરજિત ભલ્લાને પણ કહેવા જોઇશે. આ ઘટનાક્રમ દરમ્યાન એમના જે ટિ્વટ આવ્યા એમાં સાડા ચાર દાયકા પહેલાં વિયેટનામ યુદ્ધ સબબ યુરોપ અમેરિકામાં ઉભરેલા છાત્ર આંદોલનની જિકર હતી તો દુનિયાભરમાં સઘળે કાલીઘેલી આકરી ભાષામાં વ્યકત થતા રહેતા યુવા અજંપા અને યુવા ઉદ્રેકનીયે વાત હતી. આ પ્રકારની અભિવ્યક્તિને રાજદ્રોહના ખાનામાં નાખવાની ન હોય, ન તો એમાં કોઇ દેશભક્તિનો દેકારો મચવવાનો હોય, એમ ભલ્લાનું કહેવું છે.

નહીં કે અફઝલ ગુરુના પ્રશ્ને. આકરા અને અણિયાળા સવાલ જવાબને અવકાશ નથી. પણ બીજા અનેકે તેમ ભલ્લાએ પણ નોંધ્યું છે કે દેહાંત દંડના નિર્ણય સુધી પહોંચતે છતે સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીઓમાં પણ અવઢવને અવકાશ નહોતો એમ નથી. વળી અફઝલ ગુરુના મુદ્દે પોતાનાથી સદંતર જુદો (અને એથી ‘દેશદ્રોહી'?) અભિપ્રાય ધરાવતી પી.ડી.પી. સાથે ભાજપ હમણાં સુધી સરકારમાં હતો – અને હજુ પણ રામ માધવે પુન: કહ્યું છે તેમ – ભાગીદારીની ઉમેદ રાખે છે. સામાન્યપણે ભાજપ જેની ઉગ્ર ટીકા કરવાનું પસંદ કરતો રહ્યો છે એવી હળવી અલગતાવાદી (સોફ્ટ સેપરેટિસ્ટ) નીતિ સારુ પી.ડી.પી. જાણીતી પણ છે. જો બંને સાથે બેસી સરકાર ચલાવી શકતા હોય તો એમાં કેવળ રાજકીય તકવાદનું – અને એથી દેશભક્તિની એસીતેસીનું – તત્ત્વ હશે કદાચ, એળે નહીં તો બેળે પણ એવી સમજને ય અવકાશ તો હોઈ શકે છે કે દેશની વ્યાખ્યામાં કો જડબેસલાપણું નહીં પણ એકમેકને પોતપોતાનો અવકાશ આપતી મોકળાશ જરૂરી છે.

મુદ્દે, આ પ્રકારના અવકાશ અને મોકળાશ વિશે ખુલ્લાપણાથી પેશ આવવા અંગે સંઘ પરિવારને કોઇક વિચારધારાકીય અવરોધ નડતો રહ્યો છે. આમ તો, સરકાર માત્રને પોતાની પાસે સઘળી સત્તા કેન્દ્રિત કરવું પ્રકૃતિગત રીતે ગમતું હોય છે. કૉંગ્રેસ કે બીજા પક્ષોના શાસનમાં પણ એવું જોવા મળે છે, અને કટોકટી રાજનો દાખલો તો સ્વયં સ્પષ્ટ છે. આ પ્રકૃતિને લોકશાસનમાં સંયત રાખવાની જોગવાઈ અને કારવાઈ જારી છે તેમ જ જારી રહેવી જોઇએ. પરંતુ, પ્રકૃતિની સાથે વિચારધારાનું મેળાપીપણું નવા પ્રશ્નો સરજે છે. પી.ડી.પી. સાથે જે રીતે કામ ગોઠવવાની ચેષ્ટા થઈ એને અન્યત્ર પણ યોજવાપણું છે તે કેમ ભાજપને સમજાતું નહીં હોય? આ પ્રક્રિયામાં સતત ભૂલસુધાર અને નવનવોન્મેષને અવકાશ અલબત્તા છે.

જ્યાં સુધી ડાબેરી પક્ષોનો સવાલ છે, જે.એન.યુ.માં સ્થાપિત સામ્યવાદી પક્ષોથી ઉફરો ડાબેરી મત પરચો પણ એમને જોવા નહીં મળતો હોય એમ નથી. જાહેર બાબતોમાં સંડોવણી અને બૌદ્ધિક શિક્ષાદીક્ષાનો એક જુદો જ માહોલ જે.એન.યુ.નો છે. પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારને નંદીગ્રામમાં જે સ્વતંત્ર બૌદ્ધિકોનો પડકાર ઝીલવો પડ્યો એમાં ડાબેરી ઉદારમતવાદીઓ ઓછા નહોતા. સી.પી.એમ.ની કેડર એક તબક્કે ત્યાં હિંસ્રપણે તૂટી પણ પડી હશે. કેરળમાં આર.એસ.એસ. – માર્કસવાદી જીવલેણ કિસ્સા પ્રસંગોપાત બહાર આવતા રહે છે. સિંગુર પ્રકરણમાં પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકાર સામે પણ બૌદ્ધિકો બહાર આવ્યા હતા એ રતન તાતાના ગુજરાત સ્થિત લાભાર્થીઓના ખયાલમાં ન હોય એવું તો કેવી રીતે બની શકે?

પશ્ચિમ બંગાળના તત્કાલીન રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ નંદીગ્રામ પ્રકરણમાં દરમ્યાન થવાપણું જોયું અને એમ કરતાં યુ.પી.એ. શાસનમાં ડાબેરી ટેકાથી ઉપ રાષ્ટ્રપતિપદે પહોંચવાની તક ગુમાવવાની પરવા ન કરી. ખબર નથી, વર્તમાન શાસનમાં નંદીગ્રામ – સિંગુરના ઉજાસમાં હાલની એવોર્ડ વાપસીને પ્રીછી શકવાની ક્ષમતા ધરાવતાં તત્ત્વો હશે કે કેમ. ‘રાજદ્રોહ'નો આરોપ ઉછાળવા અને લગાવવાનો સાંસ્થાનિક રવૈયો તત્કાળ પુનર્વિચાર માગે છે એ કહેવાનું ન હોય. મહારાષ્ટ્ર સરકારે હજુ થોડા મહિના પર રાજ્ય સરકારની ટીકાને પણ ‘રાજદ્રોહ'માં વ્યાખ્યાગત સમાવવાની ચેષ્ટા કરી હતી જે સદ્દભાગ્યે હાઇકોર્ટે ખારિજ કરી છે. કોર્ટ પરિસરમાં વકીલોએ મચાવેલ તોફાન અને તે વિશે સત્તાપક્ષ અને પોલીસની આંખ આડા કાન સમર્થન શૈલીમાં ભલ્લાએ ચેપ્લીનની ‘ધ ગ્રેટ ડિક્ટેટર'ની તરજ પર બ્લેક કોમેડીનું તત્ત્વ બરાબર નોંધ્યું છે.

સંજય શૈલીમાંથી બહાર આવેલા આપણે સંજય-બજરંગ રંગઢંગની આરપાર કેમ ન જોઈ શકીએ, કહો જોઉં.

e.mail : prakash.nirikshak@gmail.com

સૌજન્ય : ‘વિચારધારાનું મેળાપીપણું’, “દિવ્ય ભાસ્કર”, 20 ફેબ્રુઆરી 2016

Loading

રાષ્ટૃવાદ મોટી હિંસાનું કારણ બનનાર રાક્ષસી હથિયાર છે


રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|20 February 2016

લૂંટ અને હરીફાઈના એજન્ડાના ભાગરૂપે રાષ્ટ્રવાદ વિકસ્યો હતો અને એના મૂળમાં સ્વાર્થ હતો એટલે એની પરિણતી વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધોમાં થઈ હતી. એક ભયાનક વાસ્તવિકતા નોંધી લો કે રાષ્ટ્રવાદનું આયુષ્ય હજી તો બસો વર્ષનું પણ નહોતું થયું એ પહેલાં બે યુદ્ધોમાં નવ કરોડ ૮૦ લાખ યુરોપિયનો રાષ્ટ્રવાદના ખપ્પરમાં હોમાઈ ગયા હતા

હું દેશપ્રેમી છું એટલે રાષ્ટ્રવાદવિરોધી છું. જી હા, મારે આમ જ કહેવું છે અને સમજી-વિચારીને કહું છું. દેશપ્રેમી હોવા માટે રાષ્ટ્રવાદી હોવું જરૂરી નથી. જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી લખનાર માણસ રાષ્ટ્રવાદી નહોતો. અઢીસો વર્ષ પહેલાં આ જગતમાં કોઈ રાષ્ટ્રવાદી નહોતું, બધા જ વતનપ્રેમી હતા.

કદાચ વાચકો નહીં જાણતા હોય, પણ રાષ્ટ્રવાદનો જન્મ જ ભારત જેવા દેશોનું આર્થિક શોષણ કરવા માટે યુરોપમાં થયો હતો. પહેલાં સાહસિક દરિયાખેડૂતોને, એ પછી દરિયામાં જહાજો લૂંટનારા ચાંચિયાઓને, એ પછી દાદાગીરી કરનારા પીંઢારાઓને અને છેવટે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી વેપારી પેઢીઓને પાનો ચડાવવા માટે રાષ્ટ્રવાદને આકાર આપવામાં આવ્યો હતો. આપણા લોકો વધુમાં વધુ દેશોમાં ફેલાય, વધુમાં વધુ કમાય, વધુમાં વધુ લૂંટ કરે, વધુમાં વધુ સંપત્તિ દેશમાં લઈ આવે અને વધુમાં વધુ રાજાને અને ચર્ચને લાગો આપે એ માટેની આ રમત હતી. જગતના વધુમાં વધુ દેશો આપણા કબજામાં હોય એ માટે રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો જે ગુલામ દેશોમાં વટ જમાવવા લહેરાવી શકાય. શરૂઆતમાં તો રાષ્ટ્રધ્વજ ધંધાર્થે આવનારાં વહાણો પર લહેરાવવામાં આવતો હતો. એટલે તો કોઈ ધમધમતા બંદરનું વર્ણન કરવા માટે ફલાણા બંદરે આટલા દેશોના વાવટા ફરકતા હતા એવો વાક્યપ્રયોગ તમે સાંભળ્યો કે વાંચ્યો હશે. વધુમાં વધુ દેશોમાં આપણી ભાષા અને આપણી આણ ચાલવી જોઈએ એ માટે રાષ્ટ્રગીત રચવામાં અને લાગુ કરવામાં આવ્યાં હતાં. ભાષા અને પ્રતીકો ઉપરાંત ધર્મ પણ ઓળખનું એક પ્રબળ સાધન છે એટલે વધુમાં વધુ દેશોમાં આપણા સંપ્રદાયનાં દેવળો હોય અને આપણા સંપ્રદાયના મિશનરીઓ કામ કરતા હોય એ માટે મિશનરીઓએ પાનો ચડાવવાનું શરૂ કર્યું હતું. અંતે રાષ્ટ્રવાદે રાષ્ટ્ર પરત્વેની વફાદારીના નામે ગુલામી લાદી હતી. આમાંના કોઈ વતનપ્રેમી નહોતા, પ્રજાપ્રેમી તો મુદ્દલ નહોતા અને માનવતાવાદી તો મુદ્દલ નહોતા.

દરેકનો પોતાનો એજન્ડા હતો અને મૂળે રાષ્ટ્રવાદનો જન્મ જ કોઈ ને કોઈના એજન્ડાના ભાગરૂપે થયો છે. આનો અર્થ એ થયો કે રાષ્ટ્રવાદ એજન્ડા વિનાનો નિર્દોષ હોઈ જ ન શકે. દેશપ્રેમ નિર્દોષ છે, રાષ્ટ્રવાદ નિર્દોષ નથી અને હોઈ ન શકે. એટલે જ મેં પ્રારંભમાં કહ્યું કે હું દેશપ્રેમી છું એટલે રાષ્ટ્રવાદવિરોધી છું. લૂંટ અને હરીફાઈના એજન્ડાના ભાગરૂપે રાષ્ટ્રવાદ વિકસ્યો હતો અને એના મૂળમાં સ્વાર્થ હતો એટલે એની પરિણતી વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધોમાં થઈ હતી. એક ભયાનક વાસ્તવિકતા નોંધી લો કે રાષ્ટ્રવાદનું આયુષ હજી તો બસો વર્ષનું પણ નહોતું થયું એ પહેલાં બે યુદ્ધોમાં નવ કરોડ ૮૦ લાખ યુરોપિયનો રાષ્ટ્રવાદના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. રાષ્ટ્રવાદ કેવી ભયાનક સંકલ્પના છે એનો હવે ખ્યાલ આવે છે કે હજી નથી આવતો?

રાષ્ટ્રવાદ પેદા થાય એટલે પેટા-રાષ્ટ્રવાદ (સબ-નૅશનલિઝમ) પણ પેદા થાય. સાપને ઉછેરો અને સાપોલિયાં ન જન્મે એવું તો થોડું બને! યુરોપના કેટલાક દેશોમાં એક જ ધર્મ તથા એક જ વંશની અને એક જ કુળની ભાષાઓ હોવા છતાં યુરોપનું ભાષાના ધોરણે વિભાજન થયું છે. યુરોપમાં આજે જેટલી ભાષાઓ છે એટલા દેશ છે. એક એજન્ડા બીજા એજન્ડાને માત્ર જન્મ જ નથી આપતો, વિકસવા અને ટકી રહેવાનું બળ પણ આપે છે.

આઝાદીની લડાઈ દરમ્યાન બહુ સંભાળીને હળવા અને નરવા રાષ્ટ્રવાદનો પ્રયોગ કૉન્ગ્રેસના નેતાઓએ કર્યો હતો. કૉન્ગ્રેસના નેતાઓનો રાષ્ટ્રવાદનો ભાવનાત્મક ખપ હતો તો બીજી બાજુ તેમને જાણ હતી કે રાષ્ટ્રવાદ એ સાધન ઓછો છે અને ખતરનાક હથિયાર વધુ છે. એટલે તો મહાત્મા ગાંધીએ જ્યારે સ્વદેશી આંદોલન શરૂ કર્યું અને વિદેશી ચીજોનો બહિષ્કાર કરવાની સલાહ આપી ત્યારે રવીન્દ્રનાથ ટાગોરને એમાં જોખમ દેખાયું હતું. રવીન્દ્રનાથે ચેતવણી આપી હતી કે મહાત્માજી આગ સાથે રમત રમી રહ્યા છે.

જો કે ગાંધીજીએ વિવેક નહોતો ગુમાવ્યો. આઝાદીની લડતમાં ભાગ ન લેનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગાંધીજીએ ક્યારે ય રાષ્ટ્રવિરોધી કે રાષ્ટ્રદ્રોહી નથી કહ્યો. ૧૯૪૨ના ભારત છોડો આંદોલનનો વી. ડી. સાવરકરે અને ડાબેરીઓએ વિરોધ કર્યો હતો ત્યારે ગાંધીજીએ તેમને દેશદ્રોહી નહોતા કહ્યા. ૧૯૨૧માં વારંવાર માફી માગીને સાવરકરે જેલમાંથી મુક્તિ મેળવી હતી, પરંતુ ગાંધીજીએ ક્યારે ય તેમને ભીરુ કે દેશદ્રોહી નહોતા કહ્યા. ઊલટું ગાંધીજી રત્નાગિરિ ગયા હતા ત્યારે સાવરકરને ખાસ મળવા ગયા હતા. ડૉ. આંબેડકર અને બીજા દલિત નેતાઓ અંગ્રેજોને ટેકો આપતા હતા, પણ ગાંધીજીએ તેમને ક્યારે ય દેશદ્રોહી નહોતા કહ્યા. ૧૯૩૭માં હિન્દુ મહાસભાએ અને ૧૯૪૦માં મુસ્લિમ લીગે ભારતના વિભાજનની માગણી કરનારા ઠરાવ કર્યા હતા, પરંતુ ગાંધીજીએ તેમને દેશદ્રોહી નહોતા કહ્યા. જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખરજી ૧૯૪૦ના દાયકામાં ભારતના વિભાજનની માગણી કરવામાં જોડાનારા ફઝલુલ હકની બંગાળની સરકારમાં પ્રધાન તરીકે જોડાયા હતા, પરંતુ ગાંધીજીએ ક્યારે ય તેમને દેશદ્રોહી નહોતા કહ્યા. ૧૯૪૬માં મુસ્લિમ લીગની બેઠક પરથી બંધારણસભામાં ચૂંટાઈ આવનારા ડૉ. આંબેડકરને ગાંધીજીએ ક્યારે ય દેશદ્રોહી નહોતા કહ્યા. ઊલટું ડૉ. આંબેડકરને અને શ્યામા પ્રસાદ મુખરજીને ગાંધીજીના કહેવાથી બંધારણસભામાં અને જવાહરલાલ નેહરુની સરકારમાં સિનિયર પ્રધાન તરીકે લેવામાં આવ્યા હતા. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી એને હિન્દુત્વવાદીઓએ અને સામ્યવાદીઓએ અધૂરી આઝાદી કહીને સ્વીકારવાની ના પાડી દીધી હતી, પરંતુ ગાંધીજીએ કે જવાહરલાલ નેહરુએ તેમને ગદ્દાર નહોતા કહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો હજી હમણાં સુધી વિભાજિત ભારતના રાષ્ટ્રધ્વજને વંદન નહોતો કરતો, પરંતુ કોઈએ એમને દેશદ્રોહી નહોતા કહ્યા.

જો ગાંધીજીએ ત્યારે રાજકીય વિરોધીઓના કપાળ પર દેશદ્રોહીનાં લેબલ ચોંટાડ્યાં હોત તો આજના કહેવાતા રાષ્ટ્રવાદીઓ માટે ઊભા રહેવા જમીન શોધવી મુશ્કેલ બની જાત. તો શા માટે ગાંધીજીએ સંયમ બતાવ્યો? તેઓ મહાત્મા હતા એ જરૂર એક કારણ છે, પરંતુ એ મુખ્ય કારણ નથી. મુખ્ય કારણ એ છે કે રાષ્ટ્રવાદ એક ખતરનાક હથિયાર છે અને ગાંધીજી એ મોટી હિંસાનું કારણ બનનારા રાક્ષસી હથિયારને હાથ લગાડવા નહોતા માગતા. રાષ્ટ્રવાદમાં આપણે અને બીજાનું વિભાજન અનિવાર્ય છે. જ્યાં આપણે અને બીજાનું વિભાજન આવે ત્યાં શરતો અને આગ્રહો આવે છે અને એમાંથી હિંસા પેદા થાય છે. એટલે તો હિન્દુ રાષ્ટ્રવાદીઓએ બીજાઓને પોતાના ગણનારા ગાંધીજીની હત્યા કરી હતી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામલ લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 ફેબ્રુઆરી 2016

http://www.gujaratimidday.com/features/columns/nationalism-became-weapon-for-violence

Loading

...102030...3,6623,6633,6643,665...3,6703,6803,690...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved