Opinion Magazine
Number of visits: 9552950
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રજાતંત્ર સંસ્કૃિતને ટકાવનારાં ઇલમી, શૂરાં

પ્રકાશ ન. શાહ

, પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 November 2015

વાપસીકારોનાં ટીકાવચન અને રઘુરામ રાજન જેવાનાં હિતવચનોમાં સપરમે દા’ડે સબરસ લાયક સામગ્રી ખાસી છે

આવતી કાલે [08 નવેમ્બર] બિહારનાં પરિણામો નવસંવતને વાસ્તે કેવીક વધામણી આપે છે એ તો જોતાં જોશું, પણ એવોર્ડ વાપસીનો દોર સંકેલાતે અઠવાડિયે પણ જેમનો તેમ જારી છે. રાષ્ટ્રીય સ્તરે ફિલ્મકારોની એવોર્ડ વાપસીમાં ગુણાત્મક વધારો જારી છે તો ગુજરાત સ્તરે ય સ્વાયત્ત અકાદેમી પ્રકરણ નિમિત્તે એવોર્ડ વાપસીનું ખાતું ખૂલ્યું છે. વાપસીકારોનાં ટીકાવચનોમાં તેમ નારાયણ મૂર્તિ, અરુણ શૌરિ અને સવિશેષ તો રઘુરામ રાજન જેવાનાં હિતવચનોમાં સપરમે દા'ડે સબરસ લાયક સામગ્રી ખાસી છે એટલું તો સૂચિત ને સંભવિત વધામણીથી નિરપેક્ષપણે પણ કહી શકાય તેમ છે. જો કે, એને શું કહીશું – કૌતુક કે પછી વિધિવિપર્યાસ જેવું વાનું તો કદાચ એ છે કે જેમ સાહિત્ય અકાદેમીની ગયે પખવાડિયે ખાસી ગાજેલી બેઠક વેળાએ વાપસી હિલચાલના વિરોધમાં રાષ્ટ્રવાદી રેલી યોજાઈ હતી તેવો જ એક ઓર રેલી દોર આ લખાણ સૂર્યપ્રકાશ જુએ તે પૂર્વે યોજાઈ (ખરું જોતા પ્રાયોજાઈ) ગયો હશે. છતાં, આવા દોર વચાળે સુધ્ધાં, જોવાનું એ છે કે એવોર્ડ વાપસીનો વિરોધ કરનાર અનુપમ ખેર, આદિત્યનાથને જે પ્રતિભામાં આતંકવાદી હાફીઝ સઈદનાં યૌગિક દર્શન થયા છે તે શાહરૂખની ટીકા સબબ નારાજ છે. જોવાનું એ પણ છે કે કમલ હાસન જેવા એવોર્ડ વાપસીનો વિરોધ કરે છે ત્યારે એવી સ્પષ્ટતા કરે છે કે વિરોધમુદ્દો સાચો છે, પણ એનો રસ્તો આ સિવાયનો હોઈ શકે છે.

મુદ્દે, લેખકો અને બીજા કલાકારો વગેરે માટે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ જે ભાષા વાપરી એનાથી અને એના માંહ્યલાને પ્રગટ કરી આપતી યોગીવાણીથી – સમજદાર સૌ આહત છે. જો કે, શૌરિ તો યોગી પડમાં પધાર્યા એ પૂર્વે જ કરણ થાપર સાથેની દિલખુલાસ ને બેબાક ચર્ચામાં કેન્દ્ર સરકારની નબળી કામગીરી વિશે તેમ લેખકોના વિરોધ પરત્વે સરકારી રૂખ સંવેદનશૂન્ય હોવા વિશે બોલી જ ચૂક્યા છે. નરેન્દ્ર મોદીના (વડાપ્રધાનને નાતે) ગંભીર મૌન બાબતે શૌરિએ એક દાખલો ભરીબંદૂક આપ્યો છે: 28 સપ્ટેમ્બરના રોજ દાદરીમાં હત્યાકાંડ થયો ને તેના બીજા જ દિવસે તેમણે (મોદીએ) ટ્વિટ કરીને મહેશ શર્માને જન્મદિવસની શુભેચ્છા આપી છે. અંતિમ તબક્કાના મતદાનને આગલે દિવસે ભાજપની ‘બીફ’ જાહેરખબર બાબતે ચૂંટણી પંચે એક એફઆઇઆર દર્જ કરાવવાની નોબત આવી તે ઘટનાને આની સાથે મૂકીને જોવી જોઈએ. છતાં, શૌરિને તો માનો કે એક પદવંચિત લેખે ખતવીને એમનાં ક્ષ-પરીક્ષણને તુચ્છતાની ટોપલીમાં પધરાવવાની ભાજપના વૈખરીછૂટાઓને સકારણ પણ સગવડ છે. પણ નારાયણ મૂર્તિનાં વિધાનોનું શું કરીશું? સવિશેષ તો, રીઝર્વ બૅંકના ગવર્નર રઘુરામ રાજને ડાબેરી – જમણેરી અંતિમવાદો તેમ જ સમાજનું સંકોચાતું ને ઓજપાતું ખુલ્લાપણું એકંદર વિકાસમાં અવરોધ હોવાનો મુદ્દો હજુ હમણે જ બ્લુમબર્ગ ટીમ સાથેની ચર્ચામાં દોહરાવ્યો છે, એને કઈ રીતે જોશું?

નારાયણ મૂર્તિ અને રઘુરામ રાજનની ચિંતા શાહરૂખ ખાનને હાફીઝ સૈયદ સાથે સરખાવવાની ચેષ્ટામાં જ નહીં, તે સિવાય પણ અંકે થાય છે. તમે જુઓ, ગુજરાતમાં સરકારી અકાદમીના અધ્યક્ષને સાહિત્ય પરિષદની ભૂમિકામાં ‘આતંકવાદ’ દેખાય છે. ભગતસિંહ બ્રિટિશ છેડેથી આતંકવાદી (ટેરરિસ્ટ) હતા તો ભારત છેડેથી ક્રાંતિકારી (રેવોલ્યુશનરી) હતા એ પેરેલલ છોડી દઈએ તો પણ અસહકારની શાંતિમય કોશિશમાં ‘આતંકવાદ’ જોઈ શકાય? પ્રવીણ પંડ્યા અને ભરત મહેતાની એવોર્ડ વાપસીનો ધક્કો, બને કે, આ અધ્યક્ષીય માનસિકતામાં પડ્યો હોય. પક્ષપરિવારના વૈખરીછૂટાઓના ઉદ્દગારો અને સાહિત્યરસિક સનદી અધિકારીને જિહવાગ્રે વસતી સરસ્વતી, બે વચ્ચે કશુંક તો ગુણાત્મક અંતર હોય કે નહીં. બીજા વિશ્વયુદ્ધ પછીના દાયકામાં અમેરિકામાં મેકાર્થી અને ડલેસના મનોવલણોની બોલબાલા હતી – આપણે એવા દિવસોમાં પાછા જવું છે?

આ ‘સાથે નહીં તે સામે’ની તરજ ઉપર, આગળ જતાં ‘ધ અધર’ લગી લંબાતા મનોવલણ વિશે સંબંધિત સૌએ જરી જાતમાં ઝાંખવું જોઈશે. દાદરીખ્યાત મહેશ શર્માએ એપીજે અબ્દુલકલામ વિશે એક અદ્દભુત ટિપ્પણી કરી હતી કે તેઓ મુસ્લિમ હોવા છતાં રાષ્ટ્રવાદી હતા. (પક્ષપ્રમુખ અમિત શાહ, પછીથી ‘સામેવાળા’ જીતે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે એમ કહે એમાં શું આશ્ચર્ય.) પદ્મસન્માન પાછું વાળનાર શીર્ષસ્થ વૈજ્ઞાનિક ભાર્ગવે એક વાત માર્કાની કહી છે: મારે-અમારે યુપીએનો વિરોધ કે ટીકા કરવાના પ્રસંગો આવેલા છે, અને એમ તેમ કર્યું પણ છે. અત્યારે, કેમ કે તે સત્તા પર છે, અમારે એનડીએનો વિરોધ કે ટીકા કરવાના પ્રસંગો પ્રાપ્ત થાય છે. પણ યુપીએના સમયમાં અમારે શું ખાવું, શું પહેરવું તે કહેવામાં નહોતું આવતું. એનડીએ કાળમાં જે બની રહ્યું છે તે કેમ જાણે ભારતને પાકિસ્તાનને પંથે મૂકી આપે છે. હાલ જે સંજોગો ઊભા થઈ રહ્યા છે તેે 2005માં એટલે કે કૉંગ્રેસકાળમાં એવોર્ડ પાછો વાળનાર અરુંધતી રોયના શબ્દોમાં ‘ટોળાં વાટે સેન્સરશિપ’ના છે. ‘ફના’ અને ‘પરઝાનિયા’ ખ્યાત ગુજરાતના મોડેલના સંદર્ભમાં આ અલબત્ત કોઈ નવી નવાઈની વાત નથી.

આ બધું કહ્યા પછી અને છતાં એક વાત અધોરેખિતપણે, યથાસંભવ મુખરપણે, કહેવી જોઈએ કે બૌદ્ધિકો-કલાકર્મીઓ-વ્યાવસાયિકો આજે જે કંઈ લખીબોલી કરી રહ્યા છે એને એસ્ટાબ્લિશમેન્ટનાં તેમ સમાજનાં પણ કેટલાંક વર્તુળો ભાજપ વિ. કૉંગ્રેસનાં સરળસપાટ રાબેતામાં ઢાળીને જુએ છે એમાં વિવેક કે ઔચિત્ય નથી. એવોર્ડ ક્યારે પાછો આપવાપણું લાગ્યું એ વિશે અલગ અલગ અવલોકનો હોઈ શકે પણ કટોકટીનો વિરોધ પોકારનાર – 1984માં પીયુસીએલ મારફતે તપાસના અગ્રભાગી – 1992 અને 2002નાં એવાં જ ટીકાકાર, નયનતારા સહગલ સહિત કેટલાં બધાં ખરાં ઈલમી ખરાં શૂરાં આ દેશમાં હશે, જેમની પુણ્યાઈથી અહીં પ્રજાતંત્ર સંસ્કૃિત ટકી રહી છે. જરી તો વિચારો.

જેએનયુ કહેતા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ટીકાનો ચાલ સુપ્રતિષ્ઠ છે. પણ કટોકટીમાં, 1984માં, 1991 પછી કૉંગ્રેસ-ભાજપ બેઉ સરકારોના નિયોલિબરલ એજન્ડામાં અને 1992 કે 2002માં, બધો વખત જેએનયુ એક ‘નર્વ સેન્ટર’ રહેલ છે. તમે એને કૉંગ્રેસ કે ભાજપના ખાનામાં નાખી શકશો? હા, ધારો કે, માર્કસવાદનો થપ્પો મારી શકો – પણ એની પણ કોઈ મોનોલિથિક સમજ તો હવે રહી નથી.

નવા વિક્રમવરસમાં પ્રવેશતી વેળાએ આવી થોડીકેક સફાઈ થઈ જાય અને જતી આવતી સરકારો વચ્ચે તેમ જ ‘સેન્સરશિપ આઉટસોર્સ્ડ ટુ મોબ’ની ચાલુ તાસીર અને તરાહ વચ્ચે પ્રજાસૂય ભૂમિકામાં રોપાયેલા સ્વતંત્ર બૌદ્ધિકોની થોડીકે કદરબૂજ વાસ્તે રાજકીય શાસકીય અગ્રવર્ગની ઈન્દ્રિય કંઈકે કેળવાય એથી રૂડું શું. જતી આવતી, સત્તે બેસતી, સત્તાથી ઊઠતી રાજકીય મંડળીઓ વચ્ચે ‘આપણી નોકરી પાક્કી છે’ એવી પ્રતીતિપૂર્વક પ્રતિબધ્ધ પ્રજાસૂય જણ, તારી ખોટ કદી ન પડો.

સૌજન્ય : ‘વિચારવલોણું’, “દિવ્ય ભાસ્કર”, 07 નવેમ્બર 2015

Loading

નાઝીવાદ વિશે ‘દર્શક’ની નાટ્યકૃતિઓ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|6 November 2015

પ્રેરણાદાયી સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું જન્મશતાબ્દી વર્ષ આવતી કાલે [15 અૉક્ટોબરે] પૂરું થશે. આ વર્ષ દરમિયાન પણ – અત્યાર સુધીની જેમ જ – દર્શકના ‘અંતિમ અધ્યાય’ (1983) પુસ્તકની જવલ્લે નોંધ લેવાઈ. આ નાટ્યસંગ્રહ હિંસક અહિષ્ણુતાના સાંપ્રત  ભારતમાં બહુ પ્રસ્તુત છે. તેમાં ત્રણ નાની કૃતિઓ છે – ‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’. આ નાટકોનો વિષય ગુજરાતી સાહિત્યના મોટાભાગના અભ્યાસીઓને માફક આવે તેવો નથી. તે હિટલરના નાઝીવાદની ભીષણતા અને તેની સામે મૂળભૂત માનવતાના પ્રસંગો પર આધારિત છે. દર્શક લખે છે : ‘ … ત્રણે નાટકોને એકસૂત્રે બાંધતો વિચાર છે નાઝી વિચારણાએ આચરેલ યહૂદીઓ પરના અત્યાચારો. મનુષ્યની સાંભરણમાં આવો સામૂહિક નરસ્ત્ર થયેલ નથી. તેને સંભરતાં ત્રાસ છૂટે તેવું છે, પણ તેની સ્મૃિત સાચવવાની પણ અનિવાર્યતા છે. માણસ તેની પરિસ્થિતિને વશ થાય છે પણ કોઈ કોઈ વાર દશ આંગળ ઊંચો ઊઠ્યો છે. એ પળો જ સાચી ઐતિહાસિક-સલૂણી પળો છે. મનુષ્ય કદી નાશ નહીં પામે તેની એ આશા છે. આવી કેટલીક પળો આ નાટકોમાં ઝિલાઈ છે.’

આ નાટ્યત્રયીમાં યહૂદીઓ પરના અમાનુષ અત્યાચારો ઉપરાંત તેમને બચાવવા માટેના પ્રયત્નો, તેમાંથી ઊભા થતાં નૈતિક દ્વંદ્વ તેમ જ ઘાતકી હિટલરની લાગણીશીલતા જેવી બાબતો સમાવી  લેવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ કે વંશ તેમ જ રાષ્ટ્રની સર્વોપરિતા, નિરંકુશ સત્તાવાદ, લશ્કરશાહી, નાગરિકના અસ્તિત્વ અને તેના સ્વાતંત્ર્યના ઇન્કારનું વલણ જેવા નાઝીવાદના સિદ્ધાંતોને દર્શકે સંવાદોમાં બખૂબી આવરી લીધા છે. આ ત્રણેય નાટકો ભરત દવેના દિગ્દર્શન હેઠળ એંશીના દાયકામાં યાદગાર રીતે ભજવાયાં હતાં અને પછી તેની ટેલિફિલ્મસ્ પણ બની હતી. એ વિશે ભરતભાઈનાં સંભારણાં  ‘મારી રંગયાત્રા’ પુસ્તકમાં વાંચવા મળે  છે.

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ (1952-85) નવલકથાને પણ અહીં યાદ કરવી જોઈએ. વૃક્ષ ચલે નિજ લીલા ન્યાયે લખાયેલી દર્શકની સાડા સવા છસો પાનાંની ત્રણ ભાગમાં લખાયેલી આ શબ્દાળુ અને શિથિલ મહાનવલ છે. દેશ-દુનિયાના પચાસેક  સ્થળ અને અરધી સદીના કાળ પર વિસ્તરેલી આ કથા ગાંધીવિચાર, સર્વધર્મદર્શન, નાઝીવાદ અને હિરોશિમા-નાગાસાકી સહિત વિશ્વયુદ્ધને આવરી લે છે. તેના બીજા ભાગમાં નાયક સત્યકામ તેમ જ તેના બે સાથીદારો અમલાદીદી અને પ્રસન્નબાબુ મ્યુિનકમાં જર્મન સરકારના લશ્કરની ટુકડી સાથેના મુકાબલામાં ઘવાયેલા એક બળવાખોર નાઝી નેતાને બચાવીને સારવાર આપે છે, એ રાષ્ટ્રપ્રમુખ બનતા પહેલાંના તબક્કાનો હિટલર હોય છે ! આપણે ત્યાં એ વાત ભાગ્યે જ ધ્યાનમાં આવે છે કે નાઝીવાદ, આપખુદશાહી, અતિરાષ્ટ્રવાદ જેવાં, ફાસીવાદના બિહામણાં રૂપોને પોતાનાં સર્જનનો લાંબી લેખણે વિષય બનાવનાર દર્શક સંભવત: એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર છે (બ.ક.ઠાકોરની ‘હિટલર વિજય પરંપરા’ નામની બોંતેર પંક્તિની કવિતા 1917માં પ્રસિદ્ધ થયેલા તેમના ‘ભણકાર’ સંગ્રહમાં વાંચવા મળે છે).

‘સોદો’ નાટકનું કથાવસ્તુ  બીજા વિશ્વયુદ્ધના અંતભાગે ઑસ્ટ્રિયા-સ્વિટઝર્લૅન્ડની સરહદ પરના નાઝી તાબા હેઠળના ગામમાં આકાર લે છે. અહીંની નજરબંધી છાવણી(કૉન્સસન્ટ્રેશન કૅમ્પ)ના  વડા કૅપ્ટન હોસ અને યહૂદી સંરક્ષણ સમિતિ તેમ જ રેડક્રૉસના અમેરિકન પ્રતિનિધિ વેલનબર્ગ વચ્ચે યાતના છાવણીમાં રિબાતા યહૂદીઓને મુક્ત કરવા માટે એક સોદો થાય છે. ‘દસ હજાર કિલોગ્રામ ચા, દસ હજાર સુગંધી સાબુ, દસ હજાર ટ્રક, અસ્ત્રા સાથે દસ હજાર બ્લેડની સામે જર્મની છોડી મૂકશે દસ લાખ યહૂદીઓને’. યુવા કેદીઓ એરિઝ અને ઉર્શલાને આ સોદો મંજૂર નથી. એ માને છે : ‘બધાં સાથે મરે … ગીત ગાતાં મરે. તેમાં જ યહૂદીઓનું ગૌરવ છે.’ વળી આ બંને જાણે છે કે યહૂદીઓની મુક્તિનો આ કરાર તેમના હત્યાકાંડના કર્તા આઇકમેને હારી રહેલા હિટલરની જાણબહાર રચેલો પેંતરો છે. ઉર્શલા કહે છે : ‘આઇકમેને આવનારા પરાજયમાં યહૂદીઓની આ નરાધમ કત્લેઆમનો આરોપ આવે ત્યારે પોતાના બચાવ માટે, સદગૃહસ્થની છાપ લેવા માટે, દસ લાખને છોડી દેવાનો કાર્યક્રમ વિચાર્યો છે …’ કૅપ્ટનના હૃદયપરિવર્તનથી બે દૃશ્યોનું આ નાટક પૂરું થાય છે. ઓસવિચનાં ગૅસચેમ્બર ઉપરાંત નાઝી પશુતાના કેટલા ય ઉલ્લેખો નાટકમાં છે. જેમ કે, હોસના  ઘરની શેતરંજી યહૂદી સ્ત્રીઓના ‘વાળની બનેલી છે’. હોસને વેલનબર્ગ પૂછે છે : ‘તમે યહૂદી સ્ત્રીઓનાં ગર્ભાશયો દૂર નથી કર્યાં? યહૂદી પુરુષોનાં અંડાશયો ઇંડાની જેમ નથી અલગ કર્યાં ? માણસોનાં અંગોપાંગો નથી બદલ્યાં?’ એરિઝ કહે છે કે જર્મનોએ તો એમને ‘માત્ર મલ-સામાન જ માનેલ છે, અમારાં ગુહ્યોને પગ નીચે પેચ્યાં છે …’  જર્મન સૈનિકની અંધ વફાદારી, તેના પરિવારમાં સ્ત્રી અને બાળકોનું સ્થાન, યહૂદીઓને રાજદ્વારી કે ગુપ્ત માર્ગે છોડાવવા માટેના ખ્રિસ્તી ધર્મગુરુ લોડના  પ્રયાસો જેવી બાબતોના નિર્દેશો પણ નાટકમાં મળે છે.

દર્શકે નોધ્યું  છે કે જેરૂસલેમમાં ‘હિટલરના હુકમે કતલ કરાયેલા સિત્તેર લાખ યહૂદીઓના સ્મારક’ એવા યેદવેશામની મુલાકાત પછી ‘જે ચૈતસિક અવસ્થા અનુભવી તે આ નાટકનું મૂળ બીજ છે’. આ જ રીતે  સર્જાયેલી બીજી બે નાટ્યકૃતિઓની મહત્તા વિશે હવે પછીના  લેખમાં વાંચશું. 

11 ઑક્ટોબર 2015  મધ્યરાત્રિ

e.mail : sanjaysbhave@yahoo.com

(‘કદર અને કિતાબ’ કોલમ, “નવગુજરાત સમય”, 28 અૉક્ટોબર 2015)

Loading

ફાસીવાદી માહોલમાં ‘દર્શક’નાં નાટકો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|6 November 2015

દાદરી અને મુઝફ્ફરનગરની હિંસા, કાલબુર્ગી-પાનસરે-દાભોલકરની હત્યા તેમ જ તે અંગેનાં બેફામ નિવેદનો જેવાં વિવિધ રૂપે દેશના બારણે ફાસીવાદના ટકોરા થઈ રહ્યા છે. એવા સંજોગોમાં હિટલરના અત્યાચારો પર આધારિત નાટ્યત્રયી રચનાર એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ પ્રસ્તુત છે. આ પહેલાના લેખમાં તેમના ‘સોદો’ નાટકની વાત જોઈ હતી. તેની સાથેના ‘હેલન’ નાટકમાં, યાતના-છાવણીના વડા હમ્બોલ્ટના જુલમે માતા બનેલી યહૂદી યુવતીની નૈતિક ખેંચતાણની કથા છે. તેને મળવા રુબેન્સ આવે છે. રુબેન્સનું પાત્ર નાઝી જુલમગારોને શોધી શોધીને સજા કરાવવાનું કામ કરનાર લડવૈયા સાયમન વિસેન્થેલ પર આધારિત છે. હમ્બોલ્ટને સજા અપાવવાની કાર્યવાહીમાં હેલન તેના ભયંકર ભૂતકાળનો ઓછાયો બાળક ચાર્લ્સ પર પડવા દેવા માગતી નથી. રુબેન્સને સમજાય છે : ‘… જાતિ સમસ્તની જરૂરિયાત કોઈનું માતૃહૃદય ઝૂંટવી શકે નહીં.’ ‘અંતિમ અધ્યાય’ નાટક હિટલરના છેલ્લા દિવસોની આસપાસની ઘટનાઓ પર આધારિત છે. આ ત્રણેય નાટકો ભરત દવેના દિગ્દર્શન હેઠળ એંશીના દાયકામાં યાદગાર રીતે ભજવાયાં હતાં અને પછી તેની ટેલિફિલ્મસ્ પણ બની હતી. એ વિશે ભરતભાઈનાં સંભારણાં  ‘મારી રંગયાત્રા’ પુસ્તકમાં વાંચવા મળે  છે.

‘અંતિમ અધ્યાય’ નાટકમાં બીજા વિશ્વયુદ્ધનો આખરી તબક્કો છે. અમેરિકા, રશિયા અને મિત્રરાષ્ટ્રોનાં લશ્કર જર્મનીમાં પ્રવેશી ચૂક્યાં છે, નાઝી હરોળો તૂટી ગઈ છે, બર્લિન ઘેરાવાની અણી પર છે. તેના રાજભવનમાં ભૂગર્ભગૃહમાં છેલ્લા તળિયાના મુખ્ય ખંડમાં જરા-વ્યાધીગ્રસ્ત હિટલર મહત્ત્વના સાથીઓ વચ્ચે વ્યૂહરચનામાં ખુમારીપૂર્વક મશગૂલ છે. સત્યાવીસ હજાર સૈનિકોને ખોયા  પાછી પાની કરીને આવેલા સેનાપતિ ડાઈટ્રીશ પ્રવેશે છે. ફ્યુરરના ખોફનો જવાબ આપતાં એ કહે છે : ‘તમારો હુકમ કાગળ પર હતો, અને હરોળ ભૂમિ પર હતી … સૈનિકોને બિનજરૂરી સંહારમાંથી બચાવવા એ સેનાપતિનું કર્તવ્ય છે. સેનાપતિ કંઈ કસાઈ નથી.’ ડાઈટ્રીશ તેના સિપાઈઓનાં  ચંદ્રકો એક મૃત સૈનિકના કપાયેલા હાથ પર લગાવીને હિટલરની સામે ધરે છે ! વધુ તીવ્ર સંઘર્ષ હિટલર હિટલરના મિત્ર એવા સ્થપતિ અને શસ્ત્રસરંજામ ઉત્પાદન ખાતાના મંત્રી આલ્બર્ટ સ્પીયર વચ્ચેનો છે. તેને હિટલરે હુકમ કર્યો છે કે રૂહર નામના નગરમાં હારીને પીછેહઠ કરતી વખતે જર્મન લશ્કર ‘પુલનાળાં જ નહીં, જળાશયો, વીજળીઘરો, બંધો, કારખાનાં બધું જ ઊડાડી દે … આવનારને ટીપું પાણી, કે એક કિલોવૉટ વીજળે કે એક સરખો રસ્તો ન મળે.’ ત્યાં  રહેતા એક કરોડ નાગરિકો વિશે નાઝી હૃદયસમ્રાટ એમ માને છે કે, ‘અમેરિકનો સમર્થ હોય તો ભલે જીતે, પણ પછી જર્મન પ્રજાને જીવવાનો હક્ક નથી – તેવાના મૃત્યુનો શો શોક ? જંતુ જીવ્યાં કે મર્યાં તેનો થોડો જ આપણે વિચાર કરીએ છીએ ?’ માનવતાવાદી સ્પીયર હિટલરના આદેશનું પાલન કરતો નથી અને એનો એકરાર પણ કરે છે. નવાઈની વાત એ છે કે હિટલરે નજરબંદી છાવણીઓમાં યહૂદીઓની સામૂહિક કતલ કરાવી છે એ વાતથી સ્પીયર અજાણ છે. ટેક્નોલૉજિના જ્ઞાનથી જર્મન લશ્કરને સજ્જ કરવામાં વ્યસ્ત અને રાજકારણથી અળગા રહેનારા સ્પીયરને જ્યારે તેના ‘મનોદેવતા’ની ક્રૂરતાની અને તેના રાજકારણની ખબર પડી ત્યારે બધું ખેદાનમેદાન થઈ ચૂક્યું હતું. અલબત્ત ત્યાર પછી તેણે હિટલરની સાથેની ગાઢ મૈત્રીને બાજુ પર રાખીને સર્વનાશી યોજનાઓને નાકામિયાબ બનાવી તેને પતાવી દેવા પણ પ્રયત્ન કર્યો. સ્પીયરે હિટલરના કુકર્મોમાં પોતાની નૈતિક જવાબદારી, અને તેના માટે વીસ વર્ષની સજા પણ સ્વીકારી. નાટકમાં એ કહે છે : ‘જર્મનીની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો અમે. અમે નેતાઓ જ, પ્રજા નહિ જ. આ કહેવા અમારે બહાર આવવું જોઈએ. તો જગત અમને દોષિત ઠરાવશે – સામાન્ય જનોને નિર્દોષ, તે બધા કલંકના ડાઘ વિના જીવન શરૂ કરી શકશે … આપણાં કૃત્યો માટેની જવાબદારી ઊઠાવી લેવી તે જ મર્દાઈ, એ જ અંતરાત્મા પ્રત્યેની સચ્ચાઈ …’ દર્શકના મનમાં સ્પીયરની મહત્તા વસી ગઈ છે. પ્રસ્તાવનામાં એ નોંધે છે : ‘ભાવિમાં મહાપુરુષ ગણાવાપાત્ર આ વ્યક્તિને હું આ નાટ્યકૃતિમાં સજીવ કરી શક્યો હોઉં તો મને મારી સરસ્વતીપૂજાની સફળતા લાગશે.’ સ્પીયરના અસાધારણ સંઘર્ષ ઉપરાંત દર્શકે આ નાટકમાં હિટલરના વ્યક્તિત્વના પાસાંને પણ સમાવ્યાં છે. તેમાં ઇવા બ્રાઉન સાથેનો પ્રેમ, કલારુચિ, શાકાહાર, નિરાંતની જિંદગી માટેનાં તેનાં સપનાં, તેનો એકાધિકારવાદ અને યહૂદીદ્વેષ જેવી બાબતો છે.

હિટલર વિશે સ્પીયરનું દર્શકે ટાંકેલું એક મંતવ્ય તેના ‘ઇનસાઇડ ધ થર્ડ રિશ’ સ્મરણપુસ્તકમાં મળે છે : ‘હિટલરની સરમુખત્યારી વર્તમાન ટેકનોલૉજીના જમાનાનું ઔદ્યોગિક રાજ્ય હતું. રેડિયો અને જાહેર ઉદબોધનો જેવાં ટેકનોલૉજીનાં સાધનો વડે આઠ કરોડ માણસો એક માણસના મનોબળને આધિન થયા …’ સ્પીયરના આ વિધાનમાં જાણે નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાનો જ નિર્દેશ મળે છે. વળી, ફાસીવાદી વિચારધારાનો એક તબક્કે હાથો બન્યા પછી વ્યાપક માનવતાવાદી મૂલ્યો તરફ પગલાં માંડનાર સ્પીયર અને તેની જદોજહદ ક્યાંક સુધીન્દ્ર કુલકર્ણીને મળતી આવતી નથી લાગતી?                   

21 ઑક્ટોબર 2015                      

e.mail : sanjaysbhave@yahoo.com

(‘કદર અને કિતાબ’ કોલમ, “નવગુજરાત સમય”, 04 નવેમ્બર 2015)

Loading

...102030...3,6623,6633,6643,665...3,6703,6803,690...

Search by

Opinion

  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved