Opinion Magazine
Number of visits: 9692024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃષ્ણકાંત વખારિયાનું ‘યુગ દર્શન’

અનામિક શાહ|Samantar Gujarat - Samantar|8 March 2016

ગુજરાતના જાહેરજીવનના મોભી એવા કૃષ્ણકાંતભાઈની કિશોરવયથી માંડીને આજ સુધીનાં ૭૩ વર્ષની વ્યક્તિગત, સામાજિક અને રાજકીય જીવનયાત્રાનું સરળ અને સ્પષ્ટ ભાષા સાથેનું આલેખન એટલે તેમના હાથે લખાયેલ પુસ્તક ‘યુગદર્શન’.  યુગદર્શનની સાવ ટૂંકી પ્રસ્તાવનામાં તેમના કહ્યા પ્રમાણે જોયેલા, અનુભવેલા ઘટનાક્રમનું વિવરણમાત્ર છે. બીજી મહત્ત્વની વાત એ છે કે સમગ્ર લખાણોમાં વ્યક્તિ તરીકે કૃષ્ણકાંત વખારિયાનું ક્યાં ય પ્રત્યાર્પણ થતું નથી. અને તેમના પોતાના કહ્યા પ્રમાણે ૪૮૦ પાનાંના પટવિસ્તારમાં ક્યાં ય પોતે કેન્દ્રસ્થાને નથી. આખું પુસ્તક વાંચ્યા પછી કહી શકાય છે કે તેમણે કહેલું કથન સમગ્રતયા સાચું છે. સ્વતંત્ર તેમ જ ધારાવાહિક રીતે વાંચી શકાય તેવું સુરેખ આલેખન થયું છે.

૧૨ વર્ષની વયે કૃષ્ણકાંતભાઈએ ૧૯૪૨ની ભારત છોડો ચળવળમાં બગસરા ખાતે મહાદેવ દેસાઈના અવસાન નિમિત્તે યોજાયેલ મૌન શોક-સરઘસમાં જોડાવાથી કરેલી શરૂઆતથી માંડીને વાયા વીરમગામ, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ખાતે પહોંચ્યા. એ તેમના જીવનની નોંધપાત્ર ઘટના રહી છે. વિદ્યાર્થી નેતા તરીકેનું તેમનું ઘડતર પણ જૂનાગઢથી જ થયું. ધીરુભાઈ અંબાણીની મિત્રતા પણ સાંપડી અને ભારત આઝાદ થયું તે ૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટ અને આરઝી હકૂમતની દરમિયાનગીરીથી જૂનાગઢ ભારતમાં ભળ્યું, ત્યાં સુધીની તમામ ઘટનાઓના સાક્ષી થયા. કૃષ્ણકાંતભાઈએ જૂનાગઢમાં વિદ્યાર્થી-પ્રવૃત્તિઓ શરૂ કરી, વિદ્યાર્થી મધ્યસ્થ સંઘની સ્થાપના કરી. એક તરફ જયપ્રકાશજી, લોહિયા, અરુણા અસફઅલી અને બીજી બાજુ કાર્લ-માર્ક્સ અને લેનિન વગેરેની વિચારધારાઓ તેમના પર પ્રભાવક રહી. આઝાદીના ઉમંગમાં જ જૂનાગઢમાં ભરાયેલી કાઠિયાવાડ રાજકીય પરિષદ તેમ જ ૧૯૪૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જૂનાગઢ અધિવેશન, તે ઘટનાનું શબ્દચિત્ર અને સૌરાષ્ટ્ર વિદ્યાર્થી મધ્યસ્થ સંઘથી જાહેરજીવનમાં કૃષ્ણકાન્તભાઈનો પ્રારંભ. શરૂઆતનાં એ વર્ષો ખૂબ રસપ્રદ રહ્યાં. કૃષ્ણકાંતભાઈએ બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં તેમની સહભાગીદારીવાળી વિદ્યાર્થી-ચળવળની ઘટનાને પણ રસપ્રદ રીતે મૂલવી છે.

આઝાદી મળતા સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના અને શરૂઆતમાં જ સમાજવાદી રંગે રંગાયેલ જશુભાઈ મહેતાના ચૂંટણીપ્રચારની વ્યવસ્થા સંભાળવાને કારણે કૃષ્ણકાંતભાઈએ પોતાના આત્મકથનમાં  ધારાવાહી શૈલીથી સૌરાષ્ટ્રમાં સરકારની સ્થાપના, ઢેબરભાઈનું નેતૃત્વ, દેશમાં પ્રથમ જ વાર થયેલા ત્વરિત જમીન-સુધારણા કાયદાઓ અને સામંતશાહી પરિબળોનો ઉગ્ર વિરોધ, ભૂપત બહારવટિયાનો ઉદ્ભવ – આ બધી ગત સદીનાં વિસારે પડી ગયેલી ઘટનાઓ વિવિધ પ્રકરણોમાં સુંદર રીતે રજૂ થઈ છે.

લોકનાયક જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયાથી અત્યંત પ્રભાવિત રહેલા કૃષ્ણકાંતભાઈએ સૌરાષ્ટ્રના પાટનગર જેવા રાજકોટમાં છ વર્ષ સુધી વકીલાત કરી અને તે પછી અમદાવાદ ખાતે કાયમી નિવાસ કર્યો, છતાં સામાજિક રીતે અને કાર્યક્ષેત્રની રીતે તેમનો અડધો પગ હંમેશાં સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો રહ્યો અને સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોમાં સાત દાયકાથી જીવંત સંપર્ક જાળવી રાખ્યો છે.

કૃષ્ણકાંતભાઈ યુનિયન પ્રવૃત્તિઓમાં ખૂબ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહ્યા અને રેલવે-યુનિયન ચલાવવામાં અને તેની હડતાળને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિ, ધરપકડ થતાં જામીન લેવાના બદલે હડતાળ પામેલા કર્મચારીઓ સાથે રહી બે મહિના રાજકોટ સેન્ટ્રલ જેલમાં જેલવાસ પણ ભોગવ્યો, તે ઘટનાની ઘણા ઓછા લોકોને ખબર હશે. એનું સુંદર ચિત્ર ‘યુગદર્શન’માં ઊપસે છે.

૧૯૫૬માં દ્વિભાષી મુંબઈ રાજ્ય નિમિત્તે મહાગુજરાત જનતા પરિષદે ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ ચલાવેલ લોક-આંદોલન અને તે લોક-આંદોલનના ફળસ્વરૂપે તે સમયે લોકસભાની ૨૨માંથી પાંચ અને ધારાસભાની ૮૭માંથી ૩૦ બેઠકો કબજે કરી.  જશુભાઈ મહેતા એક પ્રખર આગેવાન તરીકે બહાર આવ્યા, તે ઘટનાક્રમ અને પહેલી મે, ૧૯૬૦થી જયજય ગરવી ગુજરાતનું સ્વપ્ન સાકાર કરતા જીવરાજ મહેતાના નેતૃત્વ હેઠળની પ્રથમ સરકારની ઘટનાને અલગ-અલગ પ્રકરણો રૂપે સારી રીતે રજૂ કરી છે.

કૃષ્ણકાંતભાઈના આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે તેનાં પ્રકરણો બહુ સહજ રીતે સામાજિક તેમ જ રાજકીય જીવનના વિવિધ ઘટનાક્રમ તેમ જ પ્રવાહોની આસપાસ ફરતાં રહ્યાં છે. સમાજવાદી પરંપરાના બે ધૂરંધરો એવા અશોક મહેતા અને રામમનોહર લોહિયા, એ બે આગવાનોની વૈચારિક અને વ્યૂહાત્મક ભૂમિકા વચ્ચે મોટું અંતર રહ્યું અને પરિણામે ઘણા બધા પ્રજા સમાજવાદી આગેવાનો વર્ષ ૧૯૬૬માં કૉંગ્રેસમાં જોડાઈ ગયા. અમરેલીના તે સમયના આગેવાન નરભેશંકર પાણેરીના શબ્દોમાં જોઈએ તો બધા “સમાજવાદી બિરાદરો સમાજવાદ છોડી સમજવાદી” થઈ ગયા. આ બાબતનો ઘણો નિખાર કૃષ્ણકાંતભાઈના આત્મકથનમાં નીકળે છે. કૃષ્ણકાંતભાઈ ઘણા સમય સુધી શા માટે કૉંગ્રેસથી અલગ રહ્યા અને નિષ્ક્રિય બન્યા એ વૈચારિક સંઘર્ષના પારાશીશી રૂપ ઘટનાચક્રને તેમણે સુપેરે વર્ણવ્યું છે.

કૃષ્ણકાંતભાઈએ જુદાં-જુદાં પ્રકરણોમાં ચીનનું આક્રમણ, દિવ-દમણ મુક્તિસંઘર્ષ, ગુજરાત રાજ્યની સ્થાપના, ભારત-પાકિસ્તાન યુદ્ધ એવી રાષ્ટ્રીય ઘટનાઓનો ઉલ્લેખ અને તેનો ઐતિહાસિક સંદર્ભ ખૂબ જ સાચવીને મૂક્યો છે. તો જે-જે બાબતોમાં એક રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં-ક્યાં ઊણા ઊતર્યા હતા. તેની પાકી સમજ અને પૃથક્કરણ આ બધાં પ્રકરણોમાં આલેખ્યું છે. ૬૯ જેટલાં પ્રકરણોમાં તેમણે મજૂરપ્રવૃત્તિ, ઇન્ટુકની પ્રવૃત્તિઓ અને કુદરતી આફતોમાં કરાયેલી કામગીરીઓ અને સામાજિક આફતો, સમાજસેવાના માધ્યમથી અવસરમાં પલટવાની ગુજરાતીઓની કાબેલિયતને સહજ રીતે વર્ણવી છે.

૧૯૬૭માં સામાન્ય ચૂંટણીઓમાં કૉંગ્રેસની સામે સ્વતંત્ર પક્ષ એક નવી તાકાત સાથે બહાર આવ્યો અને સમાજવાદી પક્ષ, જનસંઘ અને અપક્ષને માત્ર એક-એક બેઠક મળી હતી, તેના અંદરના પ્રવાહો સમજવામાં કૃષ્ણકાંતભાઈનું આ પુસ્તક ખૂબ ઉપયોગી નીવડે છે. કૃષ્ણકાંતભાઈ તેમના લાંબા જાહેરજીવનમાં ત્રણ ચૂંટણીઓ લડ્યા, જેમાં જયાબહેન શાહ સામે બહુ શરૂઆતનાં વર્ષોમાં અને ૧૯૬૭માં અપક્ષ રહીને ત્યારના કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ ત્રિભુવનભાઈ પટેલ સામે રાજ્યસભાની ચૂંટણી સને ૧૯૭૨માં ઝીણાભાઈ દરજી સામેે. તેઓ નોંધે છે કે ‘હું અને ત્રિભુવનભાઈ બન્ને પૂરી પારદર્શકતા અને નાણાના જોર સિવાય ચૂંટણી લડ્યા.’ કૃષ્ણકાંતભાઈ હાર્યા, પણ નજીકના મિત્રોએ મત ના આપ્યા તે વસવસો નિખાલસ રીતે વ્યક્ત કરે છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસપ્રમુખ તરીકે ઝીણાભાઈ દરજી સામેની ચૂંટણીમાં ૧૯૭૨માં લડ્યા. કૃષ્ણકાંતભાઈને ૯૭ મત મળ્યા અને ઝીણાભાઈને ૧૭૨ મત. આ બધી વાતો તેઓ ખૂબ રસાળ શૈલીમાં પૂરા તાટસ્થ્ય સાથે વર્ણવી શક્યા છે.

કૃષ્ણકાંતભાઈના આત્મકથનમાં ઝીણાભાઈ તેમની ખામથિયરી, માધવસિંહભાઈ, સનતભાઈ મહેતા, ચીમનભાઈ અને તેમની સાથેના વ્યક્તિગત સંબંધો, મતભેદો, ગુજરાત કૉંગ્રેસ, ઇન્દિરા યુગ, રાજીવ ગાંધીનો સમયકાળ, અહેમદભાઈ પટેલનો રાજકીય પટ પર ઉદય – આ બધાં જ પ્રકરણો ખૂબ વિસ્તારથી ચર્ચેલાં છે. તે પાંચ દાયકાના ગુજરાતના રાજકીય ઇતિહાસનું શબ્દબદ્ધ આલેખન છે. ગુજરાતના જાહેરજીવનમાં ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીઓ, ૧૯૬૯માં ગુજરાતના કાર્યક્ષેત્રમાં પડેલા ભાગલાઓ, ૧૯૭૨માં વિધાનસભાની ચૂંટણીઓ અને તેમાં રતુભાઈ, રસિકભાઈ, કાન્તિલાલ ઘીયા જેવા આગેવાનોને બાજુએ રાખી ઘનશ્યામભાઈ ઓઝા મુખ્યમંત્રી પદે પસંદગીવાળું પ્રકરણ, તે સમયના કૉંગ્રેસના આંતરપ્રવાહોને પણ બહુ વિસ્તૃત રીતે આલેખ્યા છે.

કૃષ્ણકાંતભાઈની લેખિની સમયસમયની હવા પકડીને ચાલે છે અને નોંધે છે. દા.ત, ઇન્દુલાલ યાજ્ઞિકનું વિધાન “જે કાચા હોય તે શહીદ થાય અને પાકા હોય તે નેતા થાય.” અને ઇન્દુચાચાએ એમ પણ કહેલું “સાબરમતીનું પાણી એવું છે, સામ્યવાદી પણ ગાંધીવાદી થાય” ઝીણાભાઈ દરજીની ‘ખામ’ થિયરી અંગે ઝીણાભાઈની સ્વઉક્તિની નાનકડી પણ પ્રવર્તમાન સમકાલીનતા બક્ષે છે. “ખામના જન્માર્થી ઝીણાભાઈ, નામાર્થી – વ્યાખ્યાર્થી સનતભાઈ, લાભાર્થી માધવસિંહભાઈ, મરણાર્થી ખુદ ‘ખામ’” આ અને એવા અનેક સૂક્ષ્મ કટાક્ષ અને નુકતેચીની એવી સરસ રીતે રસપ્રદ રીતે રજૂ થઈ શકેલી છે કે સમગ્ર પુસ્તકમાં જાણે કૃષ્ણકાંતભાઈ આપણી સાથે-સામે બેસીને વાર્તાલાપ કરતા હોય!

કૃષ્ણકાંતભાઈએ તેમના આ ગ્રંથમાં અનેક જગ્યાએ એક ન્યાયપ્રિય વ્યક્તિની કટિબદ્ધતા પણ દર્શાવી છે. પણ જે-જે ઘટનાઓ સમયે તેઓ સમયસર નિર્ણય ના લઈને અનિર્ણાયકતાના કેદી બન્યા છે ત્યાં-ત્યાં તેમણે નિખાલસ રીતે એકરારનામું આપેલું છે.  સમગ્ર ગ્રંથમાં પાંચેક પ્રસંગો અને ઘટનાઓમાં તેમણે પોતે લીધેલ નિર્ણયોને કસોટીના પથ્થરે ચડાવી અને તેનું સ્વમૂલ્યાંકન આપણી સામે મૂક્યું છે, ત્યારે આજે માત્ર ને માત્ર આત્મપ્રશંસામાં અને આત્મવંચનામાં રહેવાના જમાનામાં તેમના આ ઉલ્લેખો પુસ્તકને જાહેરજીવનની વ્યક્તિ કેવી રીતે જાતમુલવણી કરે છે, તેનો સુંદર નમૂનો બને છે.

૧૯૭૭માં લોકસભામાં કૉંગ્રેસપક્ષ  હાર્યા પછી કટોકટી લાદવા બદલ કૉંગ્રેસ જાહેરમાં માફી માગે તે માટે તેમણે જે મહાસમિતિમાં ઠરાવ મૂક્યો અને તેને તક આપવામાં આવી નહીં, તેના વિરોધમાં કૉંગ્રેસમાંનાં અનેક પદમાંથી રાજીનામાં આપી તેઓ સમકાલીન રાજકારણમાં એક મુઠ્ઠી ઊંચા હોવાની પ્રતીતિ આપણને થાય છે. તેવું જ શાહબાનુના ઐતિહાસિક કિસ્સામાં રાજીવ ગાંધીની સરકારમાંથી રાજીનામું આપનાર આરીફ મહંમદખાનને લખેલો ટેલિગ્રામ ઉલ્લેખનીય છે.

સૌરાષ્ટ્ર સાથે તેમનો વિશિષ્ટ નાતો રહ્યો છે અને સૌરાષ્ટ્ર વિકાસ સમિતિમાં છ વર્ષ સુધી તેમની સાથે રહી સૌરાષ્ટ્રનું પીપાવાવ-સંમેલન અને સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી પાઇપલાઇન વાટે આવે તે માટેના આયોજનમાં હું પણ એક સક્રિય કાર્યકર તરીકે  રહ્યો હતો. આ પ્રકરણનું પણ તેમણે ટૂંકમાં સરળ રીતે આલેખન કરેલ છે. કૃષ્ણકાંતભાઈએ અમદાવાદમાં રહીને અનેક રાજકીય આગેવાનો સાથે, સહકારી આગેવાનો સાથે ખૂબ નિકટના સંબંધો જાળવ્યા અને મિત્રતા હાંસલ કરી, તે પૈકી ચીમનભાઈ પટેલ, જશવંતભાઈ મહેતા, રસિકભાઈ પરીખ, આત્મારામભાઈ અને જયરામભાઈ, વલ્લભભાઈ પટેલ વગેરે વિશે સુંદર રેખાચિત્રો આપ્યાં છે. બીજી બાજુ વિશ્વ ગુજરાતી સમાજમાં ૧૯૮૫-૮૬થી પ્રવૃત્ત થયા બાદ એક મિશનની ભાવનાથી વિશ્વ ગુજરાતી સમાજની અંદર અનેક સફળ આયોજનો કર્યાં છે, તેનો ટૂંકો ઉલ્લેખ પણ અહીં કરવો જરૂરી છે. સમગ્ર રીતે ૧૯૪૮થી માંડીને ૨૦૧૦ સુધી અને છેલ્લે કેટલાંક વર્ષની રાષ્ટ્રીય અને રાજ્યનીતિઓ વિશે તેમનું સ્વાભાવિક ચિંતન સુપેરે રજૂ થયાં છે સૌરાષ્ટ્રની તળપદી શૈલીના અનેક શબ્દો દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટ અને સરળ રજૂઆત, વિવેકબદ્ધ સમાલોચના અને પુસ્તકના પાછળના ભાગે મૂકવામાં આવેલી સંદર્ભસૂચિ અને પરિશિષ્ટો તેમના નિરાળા વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરે છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાતનું રાજકારણ, રાજકીય પ્રવાહો, સામાજિક અને રાજકીય આગેવાનોના આંતરપ્રવાહો અને રાષ્ટ્રીય ઘટનાક્રમ અને રાજકીય તવારીખોના સંદર્ભ, તેનું મૂલ્યાંકન કરવા માટે કૃષ્ણકાંતભાઈનું આ પુસ્તક અત્યંત ઉપયોગી, નિખાલસ રજૂઆત સાથેના સંદર્ભગ્રંથ તરીકેનું ભાથું પૂરું પાડશે.

(ગુજરાત અને દેશના સાર્વજનિક જીવનના વિવિધ પડાવો અને પ્રવાહોની અનુભવેલી દુનિયાને શબ્દસ્થ કરતાં પ્રખર ધારાશાસ્ત્રી/કાયદાવિદ્દ અને ગુજરાતના જાહેરજીવનના અગ્રણી કૃષ્ણકાંત વખારિયા લિખિત અને પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘યુગ દર્શન’ના તારીખ 13 ફેબ્રુઆરી 2016ના રોજ લૉર્ડ મેઘનાદ દેસાઈને હસ્તે થયેલા લોકાર્પણ નિમિત્તે અપાયેલ પુસ્તકપરિચયનો સાર ભાગ)

કુલનાયક નિવાસ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમમાર્ગ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2016; પૃ. 07-08

Loading

અગન, આસ્થા, આવકાર અને …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|8 March 2016

અગન : 

‘આ ગૃહ કોઈપણ સંજોગોમાં રાજા માટે અને દેશ માટે લડશે નહીં’ – આવા  કેન્દ્રવર્તી વિધાનવાળો ઠરાવ ઑક્સફર્ડ યુનિવર્સિટીના યુનિયને નવમી ફેબ્રુઆરી ૧૯૩૩ના રોજ પસાર કર્યો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના સંઘની આ પેસિફિસ્ટ એટલે કે શાંતિવાદી માગણી હતી. પહેલા વિશ્વયુદ્ધ પછી એકાદ દાયકા બાદ યુરોપમાં ફરીથી ડહોળાઈ રહેલી શાંતિના સંજોગોમાં બ્રિટને શસ્ત્રસજ્જતાની શરૂઆત કરી હતી તેની સામે યુનિવર્સિટીના એક મોટા હિસ્સાની આ લાગણી હતી. ત્યાર બાદ માન્ચેસ્ટર અને ગ્લાસગો યુનિવર્સિટીઓએ પણ આ મતલબના ઠરાવ પસાર કર્યા હતા. અલબત્ત બ્રિટનમાં આ ઠરાવનો ચર્ચિલ સમાજના અનેક વર્ગોએ વ્યાપક વિરોધ કર્યો હતો. વળી, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે ત્રણેક હજાર કૉલેજના યુવકો યુદ્ધમાં સ્વેચ્છાએ જોડાયા પણ હતા. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના બનાવોના સંદર્ભમાં વિશ્વવિદ્યાલયની સ્વાયત્તતાનો આ કિસ્સો મહત્ત્વનો છે. પાયાની માહિતી ‘ટાઇમ્સ ઑફ  ઇન્ડિયા’(૨૧/૨)માં સ્વપન દાસગુપ્તાના લેખમાંથી મળે છે, જો કે તેમનું મંતવ્ય જુદું છે. ‘ઍન્ટિ-નૅશનલ’ એટલે કે રાષ્ટ્રવિરોધી લાગણી ‘વધી રહી છે’ ત્યારે ટાગોરની ‘ઘરે-બાહિરે’ નવલકથા (અને તેની પરથી સત્યજીત રેએ બનાવેલી ફિલ્મને), ઘણાંની જેમ ત્રિશા ગુપ્તા ‘અમદાવાદ મિરર’(૨૧/૨)માં તંત્રીલેખનાં પાનાં પરના લેખમાં  રાષ્ટ્રવાદ અંગેના કવિના અવતરણ સાથે યાદ કરી છે. તેના પહેલાના દિવસે ‘સિક્યુલર પ્રોસ્ટિટ્યૂટ’ બરખા દત્તે પણ જે.એન.યુ.ના સંદર્ભમાં વડા પ્રધાનને લખેલો અને ઇન્ટરનેટ પર વાંચવા મળતો પત્ર ગુરુદેવના પૅટ્રિઑટિઝમ પરનાં અવતરણથી પૂરો કર્યો છે .

હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સત્તર જાન્યુઆરીએ આપઘાત કરનાર વિદ્યાર્થી રોહિત વેમુલાનો અંતિમ પત્ર બહુ જાણીતો થયો છે. પણ તેના બરાબર મહિના પહેલાં તેણે વાઇસ-ચાન્સલરને લખેલો પત્ર દલિત વિદ્યાર્થીની વેદના બિલકુલ સોંસરી રીતે વ્યક્ત કરે છે. જિજ્ઞેશ મેવાણીએ ‘દલિત અધિકાર’(૧/૨)માં લખેલા ‘હવે તો એકલવ્યનો અંગુઠો નહીં, ગળું કપાય છે’  લેખમાં તે પત્ર ટાંક્યો છે. રોહિતે વાઇસ-ચાન્સલરને લખ્યું હતું : ‘… દલિત વિદ્યાર્થીઓને પ્રવેશની સાથે દસ મિલિગ્રામ સોડિયમ અઝાઈટ (ઝેર) પણ આપો, અને તેમને જણાવો કે તમને જ્યારે આંબેડકરને વાંચવાનું મન થાય ત્યારે આનો ઉપયોગ કરવો. દરેક દલિત વિદ્યાર્થીના રૂમમાં એક સરસ દોરડું પણ પહોંચાડો …’ 

‘અમદાવાદ મિરર’( ૧૨/૨)માં યુનિસ ડિસોઝાએ નિરુપમા દત્તના ‘બૅલડ ઑફ બન્ત સિંગ : અ કિસ્સા ઑફ કરેજ’ (સ્પીકીંગ ટાઇગર પ્રકાશન, રૂ. ૨૦૦) પુસ્તક વિશે લખ્યું છે. પંજાબના ઝબર ગામના જનવાદી દલિત કવિ – ગીતકાર બંત સિંગના ‘ગાતાં ધડ’ (‘સિન્ગિન્ગ ટોર્સો’) તરીકે ઓળખાય છે. બંત સિંગની દીકરી પર જાટ યુવાનોએ બે હજારની સાલમાં બળાત્કાર કર્યો. પિતાએ ચાર વર્ષ લડીને તેમને જનમટીપની સજા કરાવી. તેના પરિણામે ગુનેગારોના સાગરીતોએ  જાન્યુઆરી ૨૦૦૬માં બન્ત સિંગ પર હુમલો કરીને તેમના હાથપગ કાપી નાખ્યા. ખેડૂતોના પ્રશ્ને કામ કરતા  બંત સિંગ પર દસ્તાવેજી ફિલ્મ પણ બની છે.

‘બિબ્લિઓ’ (જાન્યુઆરી ૨૧૬)માં સંજીવની બાડીગર લોખંડેએ લખેલા પુસ્તક ‘કમ્યુનલ વાયોલન્સ, ફોર્સડ્ માઇગ્રેશન ઍન્ડ સ્ટેટ : ગુજરાત સિન્સ ૨૦૦૨’ (કેમ્બ્રિજ, રૂ. ૪૯૫) વિશે વાંચવા મળ્યું. આ પુસ્તકમાં, કોમી રમખાણોનો ભોગ બનેલા લોકો પ્રત્યેના ગુજરાત સરકારની નિષ્ઠુરતા વિશેનો અભ્યાસ છે. દામિની શાહનું ઘેટ્ટોઆએઝેશન પરનું પુસ્તક અહીં સ્વાભાવિક રીતે સાંભરે છે.

આસ્થા :

હિમાંશી શેલતનું આત્મકથન ‘મુક્તિ-વૃત્તાંત’ ગયા મહિનાના પહેલા અઠવાડિયામાં સૂરતના પુસ્તકમેળામાં પ્રસિદ્ધ થયું છે. ગુજરાતી સાહિત્ય માટે – અને વંચિતો તેમ જ સ્ત્રીઓનાં સ્વકથનો જૂજ લખાતાં હોય તેવા સમાજ માટે પણ – આ મહત્ત્વની ઘટના છે. જાડું વિધાન લાગવાને ભોગે પણ કહેવું જોઈએ કે આત્મકથનના સ્વરૂપની સભાનતા સાથે લખાયેલું પૂરા કદનું પહેલું નારી આત્મકથન છે. ‘મ્હારી જીવનસ્મૃિત તથા નોંધપોથી’ (કનુબહેન દવે) ‘જીવન સંભારણાં’ (શારદાબહેન મહેતા) ‘હું બંડખોર કેમ બની’ (લક્ષ્મીબહેન ડોસાણી), ‘સ્મૃિતસાગરને તીરે’ (ગંગાબહેન પટેલ), ‘મૂળ સોતાં ઉખડેલાં’ (કમળાબહેન પટેલ) ‘સળગતી હવાઓ’ કાવ્યસંગ્રહના આરંભે સોળ પાનાંમાં  મૂકાયેલ ‘અગનપંખી’ જેવાં મહિલા સ્વકથનો ગુજરાતીમાં છે. તેમની સાથેના વત્તા-ઓછા પરિચય પછી હિમાંશીબહેનનું આત્મવૃત્તાંત વાંચતાં તેની ભિન્નતા તેમ જ  મહત્તા વધારે સમજાય છે. હિમાંશીબહેને તેમનાં જન્મથી (‘હું મુક્તિ. સુડતાળીસમાં જન્મી એટલે સ્વતંત્રતાને વધાવવા પાડેલું મારું પહેલું નામ. રાશિ-નામ મળ્યું એ પાછળથી.’) છેક હમણાં સુધીના એટલે કે ‘રાજ્યની સાહિત્ય અકાદમી પર સરકારની પકડ’ કે ‘દિલ્હીની હવા અત્યંત દૂષિત બનતી જાય છે’ ત્યાં સુધીના સમયનું પોતાનું જીવન, ધોરણસરની  નિખાલસતાથી  સુરેખ રીતે આલેખ્યું છે. તેની સાથે કેટલાક મહત્ત્વના સામાજિક-રાજકીય બનાવો તરફનો પ્રતિભાવ પણ છે. પોતાના થકી થયેલાં સમાજકાર્યની વાત નમ્રતા અને પ્રમાણભાન સાથે મૂકી છે. નારીસંવેદન (ખાસ તો  પાનાં ૩૭થી ૪૬) પણ પુસ્તકમાં અસરકારક રીતે અભિવ્યક્ત થયું છે. આખું પુસ્તક તેના લગભગ દરેક પાસામાં ગમી જાય તેવું છે. હિમાંશીબહેનનું ગદ્ય વાંચવું એ પોતાની રીતે એક અદ્ભુત આનંદ હોય છે તેની મોટા પટે પુનઃપ્રતીતિ થાય છે (પ્રકાશક : અરુણોદય, પાનાં ૧૯૨, રૂ. ૧૮૫/-). ઠીક ઠીક વાંચતો-વિચારતો  વિદ્યાર્થી પાર્થ ત્રિવેદી આ પુસ્તક લગભગ એક બેઠકે વાંચી ગયો, એટલું જ નહીં એણે એની પર લેખ પણ લખી દીધો છે!

‘મુક્તિ-વૃત્તાંત’ પુસ્તક ‘ગ્રંથવિહાર’ (મારા જેવા માટે હજુ ય ‘ગ્રંથાગાર’) પુસ્તકભંડારમાંથી મળ્યું. ત્રીજા દિવસે હંસાબહેન સાથે તેના વિશે વાત થઈ. એટલે એ કહે, ‘તે દિવસે તમે પુસ્તક લઈને ગયા પછી દુકાનમાં કોઈ આવ્યું નહીં તે સારું થયું. મને પણ એ શાંતિથી વાંચવા મળ્યુ!’ આવાં વાચનપ્રેમી ગ્રંથવિક્રેતા કેટલા? એમની પાસેથી એ દિવસે દસ મિનિટમાં ચાર મહત્ત્વનાં ઉત્તમ પુસ્તકો મળ્યાં. બીજું પુસ્તક ચન્દ્રકાન્ત ટોપીવાળાનું ’રચનાવલી’ (પ્રકાશક : પાર્શ્વ, કિંમત રૂ.૬૭૫/-). જુદાં ઘાટ અને બાંધણી ધરાવતા આ ગ્રંથમાં લેખકે જુદી જુદી ભારતીય અને અન્ય ભાષાઓનાં સાહિત્યનાં બસો અઢાર પુસ્તકોનો સરેરાશ આઠસો શબ્દોમાં, સમજાય તેવી ભાષામાં પરિચય આપ્યો છે. લાંબા સમયથી આ પુસ્તકની શોધમાં હતો. ચૌદ વર્ષ પહેલાં બહાર પડેલું આ પુસ્તક અત્યાર સુધી એચ કે. આર્ટસ કૉલેજના અમારા સમૃદ્ધ ગ્રંથાલયમાંથી મેળવતો. હવે નવી આવૃત્તિની બમણા કરતાં વધુ કિંમતવાળી નકલ મળી. મારા માટે મગાવી રાખેલું ‘રિપબ્લિક ઑફ રિઝન : વર્ડસ્ દે કુડ નૉટ કિલ્’ ( સહમત, દિલ્હી, રૂ. ૧૨૦) પણ વસાવ્યું. એકસો વીસ પાનાંના આ પુસ્તકમાં રૅશનાલિસ્ટ હુતાત્માઓ દાભોલકર, પાનસરે અને કલબુર્ગીના ચૂંટેલાં લખાણો છે. વળી દર્શકે ઝવેરચંદ મેઘાણી પર આપેલાં ભાષણોના ’ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’ નામના પુસ્તકની મૂળશંકર ભટ્ટ પરિવાર વતી ભેટ તરીકે બહાર પાડવામાં આવેલી (’કિંમત : વાંચે એનો રાજીપો’) ત્રણ નકલો મળી જે વાચન રસિકોને  આપી. વધુ વીસેક નકલો વાર્તાકાર રમેશ ર. દવે ’ગ્રંથવિહાર’ પર મૂકી ગયા હતા. પરિવારજનોનો, રમેશભાઈનો આભાર!

કવિ, વાર્તાકાર અને સાહિત્ય-કાર્યકર્તા  રાજેન્દ્ર, અને દક્ષા પટેલ માટે પુસ્તકપ્રસાર જીવનનો કેવો હિસ્સો બન્યો છે તે તાજેતરમાં જાણવા મળ્યું. એકત્રીસ જાન્યુઆરીએ તેમની મોટી દીકરીના લગ્નમાં તેમણે શુભસ્થળે પણ પુસ્તક પરબ ગોઠવી હતી! તેમાંથી સાતસો આમંત્રિતોએ બસો પુસ્તકો વસાવ્યાં. એટલું જ નહીં, જાણે કે આમંત્રિતો ચાંલ્લા તરીકે આપવાની રકમ ખુદના વાચન માટે ઉપયોગમાં લેવા પ્રેરાય તે હેતુથી ગુજરાતી સામયિકોનાં લવાજમ સ્વીકારવાની સગવડ પણ રાખવામાં આવી હતી. તેમાં તેર હજાર રૂપિયા જેટલી રકમના લવાજમ ભરાયાં !       

આવકાર :

હૃદયકોષે અનિલભાઈ (ગ્રામદક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આંબલા, જિ. ભાવનગર, રૂ. ૧૨૫)ઃ આંબલાની ગ્રામ દક્ષિણામૂર્તિ શિક્ષણસંસ્થાના શિલ્પી અને નયી તાલીમના એક અગ્રણી કેળવણીકાર અનિલ ભટ્ટ પરના ગૌરવ ગ્રંથનું સંપાદન સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને જાણીતા ચિંતક-પ્રકાશક રમેશ સંઘવીએ કરેલું છે. અનેક તસવીરો ધરાવતાં આ પુસ્તકના ત્રણ વિભાગના બાવન લેખોમાં વડીલો અને સાથીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમ જ મિત્રો અને શુભેચ્છકોની નજરે અનિલભાઈના જીવનકાર્યનું કીર્તન કરવામાં આવ્યું છે. લોકભારતીના વિદ્યાર્થીઓ તેમ જ અધ્યાપકોએ બુનિયાદી કેળવણી વિશેનાં પુસ્તકો  ઉપરાંત નાનાભાઈ ભટ્ટ, દર્શક, લાલજીભાઈ નાકરાણી જેવા માર્ગદર્શકો તરફ ‘કોડિયું’ના વિશેષાંક કે ગ્રંથ દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરામાં અનિભાઈ પરનું પુસ્તક મહત્ત્વનું ઉમેરણ છે.

કચ્છનું ગુજરાતી સાહિત્ય (ઇન્સ્ટિટ્યૂટ ઑફ યૂથ ડેવલપમેન્ટ, ભૂજ, રૂ. ૧૦૦) : કચ્છના લેખકોએ સાહિત્યના પ્રમુખ સ્વરૂપોમાં કરેલાં ખેડાણ પરના અભ્યાસલેખોના આ સંચયનું સંપાદન બહુશ્રુત વિદ્વાન અને શિક્ષણમરમી હરેશ ધોળકિયાએ કરેલું છે. નારી સર્જકો, કચ્છ બહાર વસતા કચ્છી સર્જકો અને સાહિત્યિક સંસ્થાઓ, કચ્છી ભાષાનું સાહિત્ય અને કચ્છના સિંધી સાહિત્ય  પરનાં અલગ લેખો તેમ જ ચૂટેલી છબિઓ સંપાદકની સૂઝ બતાવે છે. હરેશભાઈ પાસેથી થોડા સમય પહેલાં ‘કેળવણીનાં વૈકલ્પિક માધ્યમ’ (ક્ષિતિ પબ્લિકેશન્સ, અમદાવાદ) પુસ્તક મળ્યું છે. તેમાં તેમણે બાર નોંધપાત્ર ફિલ્મો અને સોળ પુસ્તકોનું ટૂંકા મધ્યમ કદના લેખો દ્વારા રસદર્શન કરાવ્યું છે. લેખકના વિચારોનું ખુલ્લાપણું અને રુચિસંપન્નતા બંને નોંધપાત્ર છે.     

અવતરણ (પ્રત્યક્ષ પ્રકાશન, વડોદરા, રૂ. ૮૦) : રમણ સોની ગયાં ચોવીસ વર્ષથી ‘પ્રત્યક્ષ’ નામના, એકંદરે પુસ્તકોને વરેલા ત્રૈમાસિકનું સંપાદન-પ્રકાશન ભેખવૃત્તિથી કરે છે. તેમના સામયિકના દરેક અંકના છેલ્લા પૂંઠા પર ૧૯૯૧થી મૂકવામાં આવેલાં છન્નુ વિચારખંડોનું સંકલન છે. પુસ્તકનિર્માણની સાદગીભરી દૃષ્ટિથી થયેલા આ પુસ્તકના દરેક પાને એક અવતરણ કુનેહથી મૂકવામાં આવ્યું છે. લેખક-અનુવાદક તેમ જ ગ્રંથ અને સામયિક એમ બે સૂચિઓ પણ મળે છે. રમણભાઈએ આ પહેલાં કિશોર વ્યાસ સાથે ‘પ્રત્યક્ષ’ના અવકાશપૂરકોનો સંચય ‘બુંદબુંદની સૂરત નિરાળી’ (પાર્શ્વ, ૨૦૦૯, રૂ ૧૨૫) નામે બહાર પાડ્યો છે. તેનું પેટાશીર્ષક છે ‘દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્ય સામયિક પરંપરાના વિચાર સંચલનો’. 

ચાર્લ્સ ડાર્વિન અને ઉત્ક્રાન્તિનો સિદ્ધાન્ત (કલ્ચરલ એજ્યુકેશનલ ફોરમ, અમદાવાદ) :  અમદાવાદની નર્મદ-મેઘાણી લાઇબ્રેરી પરથી કામ કરતાં વિદ્યાર્થી કાર્યકરો અને કર્મશીલોમાંથી નીતિન પ્રજાપતિ, દિલીપ સતાશિયા અને મીનાક્ષી જોષીએ તૈયાર કરેલું આ અત્યંત અભ્યાસપૂર્ણ, ઉપયોગી અને વાચનીય પુસ્તક દરેકે અચૂક વાંચવા જેવું છે. અંધશ્રદ્ધાયુક્ત ધાર્મિકતાની પકડ વધી રહી છે ત્યારે માનવજાતની દૈવદત્ત નહીં પણ નિસર્ગદત્ત ઉત્પત્તિને લગતી પાયાની વૈજ્ઞાનિક સમજ કેળવવા માટે પણ આ સચિત્ર પુસ્તક અત્યંત જરૂરી છે. આ મંચે શહીદ ભગતસિંહ, વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન તેમ જ ભારતના ઇતિહાસ પર તૈયાર કરેલાં પુસ્તકો પણ વાંચવા-વસાવવાં જેવાં છે. ડાર્વિન પરનું પુસ્તક, ઘણું જોતાં-વાંચતાં  એવા એક પ્રજ્ઞાચક્ષૂ વિદ્યાર્થી અઝીઝે  ભેટ આપ્યું છે.

અને આ પણ …

‘લીગલ ઈગલ્સ’ (રૅન્ડમ હાઉસ, રૂ.૩૯૯)નામનું પુસ્તક એક વાચનરસિયા વિદ્યાર્થી જીગરે ઇન્ટરનેટ પરથી મગાવીને બે પ્રકરણો વાંચીને તેના મિત્રને ભેટ આપ્યું . ‘સ્ટોરીઝ ઑફ ધ ટૉપ સેવન ઇન્ડિયન લૉયર્સ’ એવું પેટા મથાળું ધરાવતું આ પુસ્તક  પત્રકાર ઇન્દુ ભાણે લખેલું છે. તેમાં પદ્ધતિસર લખાયેલા વાચનીય ચરિત્રલેખોના નાયકો  છે : રોહિન્ટન નરિમાન, હરીશ સાલ્વે, મુકુલ રોહતગી, અભિષેક મનુ સિંઘવી, સી.એ. સુંદરમ, અરવિંદ દાતાર અને પ્રશાન્ત ભૂષણ. આમાં છેલ્લા તો વળી ‘ઍન્ટિ નૅશનલ’ છે! લૉ પરનું બીજું એક નવું પુસ્તક ‘લીગલ કૉન્ફિડેન્શિયલ ઍડવેન્ચર્સ ઑફ ઍન ઇન્ડિયન લૉયર’ (પેન્ગ્વિન, રૂ. ૪૯૯) કૉર્પોરેટ વકીલ રંજીવ દુબેએ લખેલું છે. લેખકના અનુભવો પર આધારિત, હાસ્યના છંટકાવ સાથેની સરળ શૈલીમાં લખાયેલું પુસ્તક અદના નાગરિકના સંદર્ભમાં ભારતની ન્યાયપ્રક્રિયાની વરવી વાસ્તવિકતાનો પર્દાફાશ કરે છે.

‘કૅરવૅન’ માસિકના ગયા મહિને સિનેમા વિશેષાંગમાં ત્રિશા ગુપ્તાએ ‘કવર ટુ કવર’ નામનો લેખ છે. તેમાં  હિંદી ફિલ્મોમાં પાત્રોને શું વાંચતા બતાવવામાં આવે છે અને તેમનો કિતાબી દુનિયા સાથેનો શો સંબંધ છે તેની રસપ્રદ વાત છે. જો કે તે લેખમાં એક બાબત રહી ગઈ છે. મુગલે આઝમ ફિલ્મમાં અકબરને સલીમનો પત્ર વાંચતો બતાવ્યો છે. ફિલ્મમાં આ ભૂલ હતી કારણ કે અકબર ડિસલેક્સિયાની ખામીને કારણે વાંચી શકતો ન હતો. આ ભૂલ અમદાવાદના પત્રકાર સઈદખાન પઠાને શોધીને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં લખી હતી, જેને પહેલા પાને ચમકાવવામાં આવી હતી. આ સમાચાર તેમણે ડિસલેક્સિક બાળકો વિશેની ફિલ્મ ‘તારે જમીં પર’ આવી ત્યારે લખ્યા હતા અને એ સ્ટોરીનું મથાળું હતું : અકબર ધ ગ્રેટ વોઝ એ તાર જમીન પર. 

૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૬ 

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2016; પૃ. 09-10

Loading

દાદીનું હૃદય

ધિરેન પંચાલ|Poetry|8 March 2016

ગયા અઠવાડિયે
હું ને મારી મમ્મી,
દાદીને લઈને દવાખાને ગયાં હતાં.
ડૉક્ટરે તપાસીને કહ્યું હતું કે
દાદીનું હૃદય બહુ કોમળ છે, સાચવજો.

ગઈ કાલે સવારે
પપ્પા મમ્મીને લઈને દવાખાને ગયા હતા,
સાથે હું પણ.
પણ દાદીને લઈને ગયા એ દવાખાનામાં
અને આ દવાખાનામાં બહુ ફરક લાગ્યો હતો.
ડૉક્ટરે રિપોર્ટ કરાવવાનું કહ્યું.

ગઈ સાંજે પપ્પા, મમ્મી અને દાદી
કોઈક વાત પર ચર્ચા-દલીલો કરી રહ્યાં હતાં.
દાદી વારે-વારે પપ્પા-મમ્મીને કહેતાં હતાં કે,
હું કહું છું એમ જ થશે.
મારી વાત તો તમારે માનવી જ પડશે.
નહિતર …
ડૉક્ટરે કહેલું યાદ છેને ?
એટલે પપ્પાએ દલીલો કરવાનું બંધ કરી દીધું
ને
મમ્મીએ મારા તરફ જોયું
ને એના ગળાનો ડૂમો વધારે ઘેરો બન્યો.
મને ઊંઘમાં આવી આછી-પાતળી જ ખબર પડી.

આજે સવારથી જ
મમ્મી બહુ રડ્યા કરતી હતી,
જાણે કે કોઈ શોક ન હોય!
ગઈ કાલવાળા દવાખાને અમે પહોંચ્યાં.

ડૉક્ટરે મમ્મીને એક અંધારા રૂમમાં લઈ જવાનું કહ્યું,
જ્યાં દવાખાનાવાળાઓએ
હાથ-મોં પર સફેદ મોજાં પહેર્યાં હતાં.
મારી દાદી પણ
મારી મમ્મીને મોજાં-સ્વેટર-સ્કાર્ફ…
એવું પહેરવાનું કહેતી હતી,
બે-ત્રણ મહિના પહેલાથી.

મમ્મી હજુ ય રડ્યા જ કરતી હતી.
પપ્પા એને સમજાવતા હતા.
મમ્મીને જેના પર સુવાડી હતી,
એ પૈડાંવાળી લારી આગળ ધકેલાતી જતી હતી.
મને કંઈ જ ખબર નહોતી પડતી.
મમ્મીને જોઈને મને ય મજા નહોતી આવતી.

પણ મમ્મીએ છેલ્લે …
એનો હાથ મને અડે એમ
એના પેટ પર હાથ ફેરવ્યો …
ત્યારે મને બહુ ગમ્યું હતું.
ને એ બોલી હતી,
“દીકરી, મને માફ કરજે.”
મને કંઈ જ ખબર નહોતી પડતી.

… પણ એટલી ચોક્કસ ખબર પડી કે,
જો દાદી આજે દવાખાને આવ્યાં હોત, તો
એ આ બધું જોઈ ન શકતાં.
ડૉક્ટરે કહ્યું હતું ને કે
દાદીનું હૃદય બહુ કોમળ છે, સાચવજો.

મે ૨૦૧૧

e.mail : dhiren24x7work@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2016; પૃ. 17

Loading

...102030...3,6563,6573,6583,659...3,6703,6803,690...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved