Opinion Magazine
Number of visits: 9552180
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીને રાષ્ટ્રપિતા ગણવાના ઠાગાઠૈયા

હરિ દેસાઈ|Gandhiana|21 November 2015

રાષ્ટૃીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવર જેવા સ્વઘોષિત ટિળકવાદીઓને ગાંધીજીનું નેતૃત્વ કઠ્યું હતું

ભારતને અહિંસાના માર્ગે આઝાદી અપાવવાનું ઐતિહાસિક કામ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં થતાં એમને રાષ્ટ્રપિતા ગણાવવાની પ્રચલિત પરંપરા છે. તેનાથી વિપરીત દેશના વર્તમાન ભાજપી શાસકો અને એમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપરાંત સહોદર સંગઠનો ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધવામાં સંકોચ અનુભવે છે અને એટલે જ સંઘના કોઈ કાર્યક્રમમાં ગાંધીજીની તસવીર મૂકાય તો એ ન્યૂઝ બને છે. ગાંધીહત્યાનો આરોપ વીર સાવરકરના જૂથની સાથે જ સંઘ પરિવાર ઉપર પણ આવ્યો હતો. દેશના ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે એના પર બંધી લગાવી અને ઊઠાવી હતી, પણ ગાંધીહત્યા સુધીના ઝેરી પ્રચારનું વાતાવરણ તૈયાર કરવામાં સંઘનો હાથ હતો, એ વાત છેલ્લે સુધી સરદારે પોતાના પત્રોમાં સ્વીકારી હતી. તેમને એ વાતનું પણ દુ:ખ હતું કે ગાંધીજીની હત્યા થઈ ત્યારે સંઘ પરિવારના લોકોએ મીઠાઈ વહેંચીને તેનો આનંદ મનાવ્યો હતો. (‘આરએસએસ બીજાં ઘણા પાપ અને ગુનાઓ માટે નિ:શંકપણે જવાબદાર છે, પણ આ પાપ (હત્યા) માટે નહીં’, વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર સરદારનો 27 ફેબ્રુઆરી, 1948નો પત્ર)

સંઘ પરિવારની પ્રચલિત માન્યતા એવી છે કે આ દેશ કાંઈ ગાંધીએ સર્જ્યો નથી. એનો પાંચહજાર વર્ષ પુરાણો ઇતિહાસ છે. સંઘનિષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઑક્ટોબર 2015ના રોજ કોંગ્રેસી શાસકોની પરંપરા જાળવતાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર આદર વ્યક્ત કરવા ગયા. ઉપરાંત ટ્વિટ કરીને પણ મહાત્માને શત શત વંદન કર્યાં. ઝારખંડના દુમકામાં પણ એમણે મહાત્મા ગાંધી પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો, પરંતુ એમની વડાપ્રધાન તરીકેની વેબસાઇટ પર મૂકાયેલાં વ્યાખ્યાન કે ટ્વિટમાં ગાંધીજયંતીએ ક્યાં ય એમણે ‘રાષ્ટ્રપિતા’ શબ્દપ્રયોગ કરવાનું ટાળ્યું છે. એ જુદી વાત છે કે સરકારી પ્રસાર માધ્યમોએ વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપિતાને અંજલિ અર્પવામાં આવી, એવા સમાચાર પ્રસારિત કર્યા હોય, પણ સ્વયં વડાપ્રધાને સ્વયંસેવક તરીકેની શિસ્ત જાળવીને કે અજાણતાં ગત 2 ઑક્ટોબરે મહાત્મા ગાંધી માટે ક્યાં ય રાષ્ટ્રપિતા જેવો શબ્દપ્રયોગ કર્યો નથી.

મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રીય ફલક પર ઉપસેલા લોકમાન્ય બાળગંગાધર ટિળકનું 1 ઓગષ્ટ 1920ના રોજ નિધન થતાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય ચળવળમાં એમના ખાલીપાને મહાત્મા ગાંધીએ ભરવાની કોશિશ કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની 1925માં સ્થાપના કરનાર અને ક્રાંતિકારી માર્ગે આઝાદી મેળવવાના આકાંક્ષી ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જેવા સ્વઘોષિત ટિળકવાદીઓને ગાંધીજીનું નેતૃત્વ કઠ્યું હતું. એમણે તો પાંડિચેરી જઈને મહર્ષિ અરવિંદ(પૂર્વાશ્રમમાં ક્રાંતિકારી અને બોમ્બ સંસ્કૃિતના સમર્થક એવા પ્રા. અરવિંદ ઘોષ)ને નાગપુરમાં 1920માં મળનારી કોંગ્રેસનું અધ્યક્ષપદ સ્વીકારવા વિનવણી પણ કરી જોઈ હતી. અરવિંદે નન્નો ભણ્યો એ પછી કોંગ્રેસમાં છવાતા ગયેલા સત્યાગ્રહ અને અહિંસાના પ્રણેતા મહાત્મા ગાંધીનું નેતૃત્વ એમણે નાછૂટકે સ્વીકારવું પડ્યું હતું. કોંગ્રેસમાં ગાંધીયુગ બેઠો એટલે ટિળકવાદીએ પોતાને બાજુએ હડસેલાયેલા સમજવા માંડ્યા.

સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવલકર (ગુરુજી) ગાંધીહત્યા પછી 1952માં પણ સાવરકર સાથે પુણેમાં એકમંચ પર આવીને ગાંધીજીની રાષ્ટ્રપિતા ગણાવવાની બાબતમાં ખુલ્લી અસંમતિ વ્યક્ત કરતા જણાયા હતા. 1961માં સંઘના રાજકીય ફરજંદ જનસંઘના નેતા અને સંઘના પ્રચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પણ ‘ગાંધીજી પ્રત્યે તમામ પ્રકારનો આદર ખરો, પરંતુ આપણે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું તો માંડી વાળવું કે બંધ કરવું જોઈએ’ એવું જણાવ્યું હતું. આ હકીકત ‘ધ આરએસએસ ઍન્ડ ધ બીજેપી : અ ડિવિઝન ઑફ લેબર’માં એ. જી. નૂરાની જેવા વિદ્વાન અભ્યાસી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ નોંધી છે. ભાજપના અધ્યક્ષ રહેલા નેતા લાલકૃષ્ણ આડવાણી પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા માનવાનો સાફ ઇનકાર કરી રહ્યાનું ટાઇમ્સ ઑફ ઈન્ડિયા 17 ઑક્ટોબર 1980ના અંકમાં તેઓ જણાવે છે. આમ છતાં મુંબઈના વાંદરા રેકલેમેશનમાં સમતાનગર ઊભું કરીને યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના 1980ના સ્થાપના અધિવેશનમાં સંસ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી અને આડવાણી જોડીએ ‘ગાંધીવાદી સમાજવાદ’ને સ્વીકારવાની રજૂઆત કરી ત્યારે એનો વિરોધ કરનાર માત્ર રાજમાતા વિજયારાજે સિંધિયા અને ભૈરોંસિંહ શેખાવત જ હતા. એ અધિવેશન કવર કરનાર આ લેખકે એ વેળા રાજમાતા અને ભૈરોંસિંહના વિસ્તૃત વિરોધ-ઈન્ટરવ્યુ પણ કર્યા હતા.

મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના સંબંધોને સંઘ તરફથી નકારવામાં આવ્યા છે. એમણે 1934માં સંઘ છોડીને હિંદુ મહાસભા સાથે જોડાવાનું પસંદ કર્યું હોવાનું કહી હાથ ખંખેરવાનો પ્રસાય થયો છે. સંઘના સરસંઘચાલક રહેલા પ્રા. રજ્જુ ભૈયાએ ‘આઉટલુક’ની મુલાકાતમાં નથુરામ ગોડસેને કોંગ્રેસી ગણાવવાની કોશિશ કરી હતી. એમ તો સંઘના સંસ્થાપક ડૉક્ટરજી પણ કોંગ્રેસી જ હતા! જો કે મુંબઈમાં ગોપાલ ગોડસે (નથુરામના લઘુબંધુ) સાથેની આ લેખકની ચર્ચા કે તેમણે ઈન્ડિયન ઍક્સપ્રેસને આપેલી મુલાકાતમાં પણ છેલ્લે સુધી ગોડસે પરિવારને સંઘ સાથે સંબંધ જળવાયાનું ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું. એટલું જ નહીં, ગોપાલ ગોડસે ઘણી વાર સંઘસંચાલિત ’હિંદુસ્તાન સમાચાર’ સંસ્થાની મુંબઈ સ્થિત કચેરીની સ્વજનભાવે 1977-81 દરમિયાન મુલાકાત પણ લેતા રહ્યા હતા. તેઓ પોતાને સંઘના સ્વયંસેવક ગણાવવામાં ગર્વની અનુભૂતિ કરતા હતા. 1965માં જેલમાંથી છૂટેલા ગોપાલરાવનું 2005માં નિધન થયું હતું. પ્રદીપ દળવી લિખિત અને વિનય આપ્ટે દિગ્દર્શિત ‘મી નથુરામ ગોડસે બોલતોય’ નાટક મહારાષ્ટ્રમાં ખૂબ ગાજતું રહ્યું છે.

મહાત્માને સંઘની પ્રાર્થનામાં ‘પ્રાત:સ્મરણીય’ ગણાવાયા છતાં આરએસએસની ગાંધીજી ભણીની દુર્ભાવના અનેક વાર સંઘ પરિવારના સંગઠનોમાં પ્રગટતી રહી છે. 1965માં દિલ્હી મ્યુિનસિપલ કૉર્પોરેશનમાં સંઘ સંલગ્ન નગરસેવકોએ એક ઠરાવમાં મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા ગણાવવા સામ વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના વર્તમાન સાંસદ સાક્ષી મહારાજ મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને ‘દેશભક્ત’ ગણાવે છે, તો વિશ્વ હિંદુ પરિષદનાં સાધ્વી પ્રાચી આર્ય મહાત્માને રાષ્ટ્રપિતા ગણાવવા સામે ખુલ્લો વિરોધ કરે છે. સંઘ પરિવારમાંથી ક્યારેક માગ ઊઠે છે કે મહાત્મા ગાંધીને બદલે સરદાર પટેલને રાષ્ટ્રપિતા જાહેર કરો. કારણ? સરદાર જ વર્તમાન ભારતના સાચા શિલ્પી હતા. માયાવતીની બહુજન સમાજ પાર્ટીની વેબસાઇટ રાષ્ટ્રપિતા તરીકે ડૉ. ભીમરાવ આંબેડકરને  જાહેર કરે છે. રાષ્ટ્રપિતા તરીકે ક્યારેક સાવકર તો ક્યારેક સુભાષચંદ્ર બોઝને જાહેર કરવાની ઊઠતી માંગ પાછળ મતનું રાજકારાણ જોવા મળે છે.

એકંદરે મહાત્મા ગાંધીની છબીને ધૂમિલ કરવાના ચોફેરથી પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે વડાપ્રધાને મૂકપ્રેક્ષક બનીને આવી ચર્ચાને મોકળાશ બક્ષવાની જરૂર નથી. આવી રાષ્ટ્રભંજક પ્રવૃત્તિને રોકવા તેમણે દેશવાસીઓને ખરા અર્થમાં અપીલ કરવાની જરૂર છે.

સૌજન્ય : ‘ઇતિહાસ’, “દિવ્ય ભાસ્કર”, 21 અૉક્ટોબર 2015  

Loading

સરકાર તો ઠીક, સાહિત્ય અકાદમી પણ ?

પ્રકાશ ન. શાહ

, પ્રકાશ ન. શાહ|Opinion - Literature|21 November 2015

બુંદસે ગઈ હોજસે નહીં આતી એ સાચું, પણ બુંદે બુંદે હોજ ભરાય છે એ ય સાચું

વૈખરીછૂટા રાજકારણીઓ સહસા મૌનની ગર્તામાં ઊતરી જાય અને પ્રલંબિત મૌન પછી વિલંબિત મૌનભંગનો રસ્તો લે ત્યારે એ એક આશંકા કેવળ અને કેવળ પ્રતીતિમાં ફેરવાઈ જાય કે એમની વ્યૂહકારીમાં લોકશાહી આપલેનો મહિમા નથી પણ એકતરફી એકાધિકારશાહીનો દબદબો છે. જે થયું તે ખોટું થયું એ બોલવા વાસ્તે ખાસ્સો એટલે કે ખાસ્સો સમય લેવો, અને પછી અપૂર્વ ને અનન્ય બંધારણ નિષ્ઠાપૂર્વક શ્રીમુખે આપણું પ્રબોધન કરવું કે કાયદો અને વ્યવસ્થા તો રાજ્ય સરકારનો વિષય છે, નહીં કે કેન્દ્રનો – ક્યા કહના.

આ ટેકનિક ખુલાસો સ્વીકારી લઈએ અને દાદરીમાં અખિલેશ યાદવની સમાજવાદી સરકારની ચોક્કસ જવાબદારી બને છે એ ઉઘાડી વાત છે, પણ કેન્દ્રીય સત્તાપક્ષ, કેન્દ્ર સરકારના પ્રધાન, આ સૌ ત્યાં જે રીતે પેશ આવ્યા એનું શું અને મુંબઈમાં જે બની રહ્યું છે એ તો કેન્દ્રીય સત્તાપક્ષના વડપણ હેઠળની સરકારના નાક નીચે જ બની રહ્યું છે. અહીં કદાચ આખો મુદ્દો ગુણાત્મકપણે બદલાઈ જાય છે. કારણ, દાદરી ઘટના કે ગુલામઅલી ઘટના એ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી. બંને જગ્યાએ સત્તાપક્ષ અને એના ભાગિયાઓની ચાલના એમની સમજ પ્રમાણેના વિચારધારાકીય ધક્કાવશ છે.

ખરું જોતાં, ભલે જરીક મોડેથી અને કંઈક વિલક્ષણપણે, બે નોખી નિરાળી વિશ્વ દૃષ્ટિઓની ચર્ચા ચાચર ચોકમાં ચાલે એવો જોગસંજોગ ઊભો થયો છે. તમે જુઓ કે વડાપ્રધાન સલુકાઈથી અને સિફતથી હાથ ઊંચા કરી રહ્યા છે એ જ વખતે દેશમાં એક અણચિંતવ્યા છેડેથી વિરોધ અને અસંમતિના અવાજોનો આરંભ થયો છે. સાહિત્ય અકાદમીના સન્માન પરત કરવાનો સિલસિલો અનવરત જારી છે તો પદ્મશ્રેણીના સન્માનથી હટવાની કે સંગીતનાટક અકાદમીથી છૂટા થવાથી માંડીને અકાદેમીના સર્વોચ્ચ સત્તામંડળમાંથી રાજીનામાં ધરી દેવાની પ્રક્રિયા પણ સ્વયંભૂ શરૂ થઈ ગઈ છે. હક્કાબક્કા રહી ગયેલા અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ જેવાઓની નજરમાં આ બધું જો કે પ્રાયોજિત જ નહીં પરંતુ વિનિર્મિત (મેન્યુફેક્ચર્ડ) પણ છે. વસ્તુત: આખો ઘટનાક્રમ એટલો ઝડપી છે કે સત્તામંડળને પોતાના પગ તળેથી ધરતી સરકી રહ્યા જેવો ઝાટકો લાગ્યો છે, અને પ્રત્યાઘાતમાં પ્રમાણભાન રહ્યું નથી.

પ્રમાણભાન અને સંતુલન નહીં રહ્યાનો એક નાદર નમૂનો જો વિનિર્મિતિબોધ રૂપે આપણી સામે આવ્યો છે તો બીજો એક નમૂનો આ બધા ‘કોંગ્રેસ અને લેફ્ટ’ પ્રેરિત હોવાની આક્ષેપાત્મક ભૂમિકારૂપે આવ્યો છે. જે સાહિત્યિક પ્રતિભાઓ આજે બોલતી માલૂમ પડે છે તે પૈકી અનેકે આ પૂર્વે કોંગ્રેસના કટોકટીરાજ સામે અગર તો સિંગુર અને નંદીગ્રામનો મુદ્દે સીપીએમ શાસન સામે બહાર આવવાપણું જોયું હતું. નહીં કે આ સિવાયનું દૃષ્ટિબિંદુ ન હોઈ શકે, અગર તો દાદરીથી માંડીને બીજાં નાનામોટાં નિમિત્ત સૌને સારુ એક સરખાં અપીલકારી ન યે હોઈ શકે. મુદ્દો માત્ર એટલો જ છે કે પોતેપોતાને છેડેથી, પોતપોતાની રીતે ઘણાબધા સંવેદનશીલ બૌદ્ધિકોને દિલી અસુખ અનુભવાય છે. એમનાં આગઆગવાં એન્ટેના પૂરતાં સમસંવેદિત અને સાબૂત હોઈ એમને કો ‘તાલ સે કદમ’ની તાલીમની જરૂર સદ્દભાગ્યે નથી.

આ તકરાર વસ્તુત: કોંગ્રેસ અને ભાજપ જેવા સપાટ ખાનાઓમાં ખતવી શકાય એમ નથી. પૂર્વે કહ્યું તેમ તે પક્ષ ‘અ’ અને પક્ષ ‘બ’ અગર ‘ક’ જેવી કોઈ સ્થાયી સંરચનાની બંદી નથી, કેમ કે મામલો વર્લ્ડવ્યૂ કહેતાં વિશ્વદૃષ્ટિનો છે. કોઈ એક હુકમશાહ કે પછી કોઈ એક ડાબલાબંધ વિચારધારાને વશ નહીં વર્તતા વ્યાપક અભિગમપૂર્વક માનવમૂલ્યોથી પરિચાલિત થતી આ મંડળી છે. એને ડાબાજમણા ખાનામાં નાખવાની અને જે સાથે નથી તે સામે છે એમ માનવાની માનસિકતા કોઈ ડલેસ કે મેકાર્થીની હોય તો હોઈ શકે છે.

કેન્દ્રીય સંસ્કૃિત મંત્રી મહેશ શર્મા વગેરે આ દિવસોમાં જે કંઈ બોલતા સંભળાયા છે એ બધું સાથે મૂકીને જોઈએ તો ભારત કને પોતાના ડલેસ અને મેકાર્થી નથી એવા મહેણાને અવકાશ રહેતો નથી. એમની અને તરુણ વિજય(પૂર્વતંત્રી, પાંચજન્ય)ની વાત કંઈક એવી રહી છે કે જો ગોમાંસ ભક્ષણની ઠાલી અફવાવશ કોઈની હત્યા થાય તો એ ખોટું કહેવાય. બીજા શબ્દોમાં, પ્રતાપભાનુ મહેતાએ તત્ક્ષણ ટિપ્પણીરૂપે સ્થાયી મૂલ્યવત્તાવાળી જે વાત કરી હતી તે પ્રમાણે, ધારો કે ખરેખર ગોમાંસ કિસ્સો બન્યો તો સરિયામ હત્યા (લિન્ચિંગ) ‘ધર્મ્ય’ લેખાય. આવી માનસિકતા સબબ જો કોઈ સંવેદનશીલ સર્જક એમ કહે કે આ સંજોગોમાં હું કશું લખી શકતો નથી તો શર્માજી અસંદિગ્ધ શબ્દોમાં કહેશે કે એક વાર તમે લખવાનું બંધ કરો તે પછી જોયું જશે. ધર્માંધ ને રૂઢિચુસ્ત પરિબળોના દબાણ હેઠળ (અને એની પાછળ હોઈ શકતા રાજકીય સેન્ક્શનવશ) લેખકે લેખન પૂરતી આત્મહત્યા વહોર્યાથી માંડીને સામેવાળા તરફથી લગભગ આતતાયીવધની નોબત વહેર્યાનું આપણે મુરુગનથી માંડી કલબુર્ગીના કિસ્સામાં જોયું છે. પણ હાલના સાંસ્કૃિતક સિસ્મોગ્રાફ ઉર્ફે શર્મોગ્રાફમાં સ્વાભાવિક જ તે ઝિલાતું નથી.

સરકારનું તો જાણે કે સમજ્યા પણ કેન્દ્રીય સાહિત્ય અકાદમી જેવી સ્વાયત્ત સંસ્થાઓનું શું. બલકે, ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવી કોઈ બીના હોય તો તે વિશ્વનાથ પ્રસાદ તિવારીના વડાપ્રધાન હેઠળની અકાદેમી કલબુર્ગીની હત્યા પરત્વે ધોરણસર શોકસંવેદના વ્યક્ત કરવાની અને ખાસ તો, આતતાયીવધની માનસિકતા સામે સાફ ભૂમિકા લેવાની બાબતમાં ઓછી ને પાછી પડી એ છે. (સંઘ પરિવારના દીનદયાલવિદ લેખાતા મહેશ શર્મા કહે છે કે લેખકો કઈ વિચારધારા ધરાવે છે તે પણ અમારે જોવું રહેશે.)

ગમે તેમ પણ, 23મી ઑક્ટોબરે સાહિત્ય અકાદેમીના કારોબારી મંડળની તાકીદની બેઠક મળી રહી છે ત્યારે, તિવારી અને સાથીઓએ પોતાના ને અકાદેમીના વજૂદને પુરવાર કરવાની દિશામાં દુર્ગભેદ કરવાપણું છે. બુંદ સે ગઈ હોજ સે નહીં આતી એ સાચું, પણ બુંદે બુંદે હોજ ભરાય છે એ ય સાચું. આ અકાદેમીના અધ્યક્ષ ક્યારેક જવાહરલાલ નેહરુ હોઈ શકતા હતા, જે મિત્ર રશિયાને નિ:સંકોચ કહી શકતા હતા કે ‘ડૉ. ઝિવાગો’ના લેખક પાસ્તરનાકની ભાળસંભાળ લેવા સારું સમિતિને દોરતાં હું નહીં ખચકાઉં. અહીં તો કંઈ રશિયા જઈને મીર મારવાની વાત નથી. ઇટ્સ દેલ્હી, સ્ટુપિડ!

ગુજરાત છેડેથી ગણેશ દેવીએ અને અનિલ જોશીએ ઠીક ખાતું ખોલ્યું. પણ જેમ કોંકણીની પુરસ્કૃત પ્રતિભાઓ એકત્ર આવી એમ આપણે ત્યાંથી કોઈ પહેલ થશે? સિતાંશું યશશ્વંદ્ર આદિએ કારોબારી તાકીદે બરકવા કહ્યું એ રૂડું કીધું. દરમ્યાન જ્યાં સુધી ગુજરાત પહેલનો સવાલ છે, ઘરઆંગણે સ્વાયત્ત અકાદમી આંદોલનના અગ્રચરણ પરથી એક માપ મળી રહીશે. કેન્દ્રીય સાહિત્ય અકાદેમી ઠીક ઠીક પ્રતિનિધિક અને સ્વાયત્ત છતાં એને વજૂદનો પડકાર ઊભો થઈ શકે છે તો અહીં સીધી નિયુક્તિવશ સરકારી અકાદેમી સાથે જોડાનારાઓએ પોતાની હયાતીનો પુરાવો આપવા કાંક તો કરવું જોઈશે.

સૌજન્ય : ‘અકાદેમીની સંવેદના-કટોકટી’, “દિવ્ય ભાસ્કર”, 11 સપ્ટેમ્બર 2015

Loading

તડીપાર થયેલો એક ભાવ : સહિષ્ણુતા

હિમાંશી શેલત|Opinion - Literature|21 November 2015

સ્વતંત્ર પ્રજા તરીકે આપણાં વલણો ન્યાય તરફી કેમ નથી, એનો ઉત્તર મેળવવો તો હજી બાકી છે

તો તમે માનો છે કે બંધારણે આપેલી અભિવ્યક્તિ સ્વતંત્રતાનો પ્રત્યેક નાગરિક ઉપયોગ કરી શકે છે? તમને ધરપત છે કે અહીં કાયદાનું શાસન છે, અને કાયદાનું જે કોઈ ઉલ્લંઘન કરે તે દંડને પાત્ર છે? તમને લાગે છે કે જનસમુદાયની અને સમાજની સુખાકારી કે સામાજિક ન્યાય માટેની લડતનું સમર્થન તમે ભયમુક્ત રહીને કરી શકો છો? તમારી સાથે જે વ્યક્તિઓ કે જૂથો અસંમત છે એ તમને કોઈ નુકસાન નહીં પહોંચાડે, એવી તમારી પ્રતીતિ છે?

જો તમારો ઉત્તર ‘હા’માં હોય તો તમે સદ્દભાગી છો, અને જો ‘ના’માં હોય તો તમારે કશું કહેવાનું રહેતું નથી. ઘરેડબંધ જીવન, જેમાં સ્વતંત્ર વિચારને સ્થાન નથી એમાં સુખ અને શાંતિને આંચ નથી આવતી. જોખમ સ્વતંત્ર વિચારકોને છે, એમને ધમકીઓ મળી શકે, એમના પર જાસાચિઠ્ઠીઓ આવે, એમનો પીછો કરવામાં આવે, એમને ડરાવવામાં અને ધમકાવવામાં આવે. એમ કરવાથી જો એ ચૂપ થઈ જાય કે પાછા પડી જાય તો ઠીક છે. પણ જો એમ ન થાય તો એમણે માથે કફન બાંધી લેવું પડે. એમની ગમે ત્યારે હત્યા થઈ શકે. સ્વતંત્ર વિચારો માટે એમણે આકરી કિંમત ચૂકવવી પડે.

બાંગ્લાદેશના બ્લોગર અભિજીત રોય, અનંત વિજય દાસ અને નિલય ચેટરજી, આપણા દેશના નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે અને એમ. એમ. કલબુર્ગી તમામને એક સૂત્રે જોડે છે. એમની વૈચારિક સ્વતંત્રતા અને એ જેમને સ્વીકાર્ય નહોતું એમણે એમને કાયમ માટે ચૂપ કરી દેવાનું કાવતરું રચ્યું. છેલ્લા થોડા સમયથી આતંકનો એક નવો અને વરવો ચહેરો આપણે જોવાનો આવ્યો છે. એક ચોક્કસ તરેહને આધારે કટ્ટરપંથીઓ પોતાનાં શસ્ત્રો સજતા રહે છે, અને નિશ્ચિત વ્યૂહરચના પ્રમાણે એમને જે વાધાજનક લાગે એમને નિર્મૂળ કરવાનું હાથ ધરે છે, નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે કે કલબુર્ગી જ્યાં ત્યાં મળે એવાં વ્યક્તિત્વો નથી. એમના વિચારોને બેઅસર કરવા માટેનો એક જ ઉપાય અસહિષ્ણુ જૂથો પાસે છે, અને તે એમને ખતમ કરી દેવાનો.

હત્યા પછી કાયદો જે કરવાનું હોય તે કરે, તપાસ ચાલતી રહે, પણ કશું નક્કર હાથ ન આવે. ક્યારેક આશ્ચર્ય થાય કે તંદુરસ્ત સમાજના ઘડતર માટે એકાદ દાભોલકર મથતા હોય તો એમાં કયા સ્થાપિત હિતોને એ નડતા હશે કે એમને મારી નાખવા પડે! અંતે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે મથવું એ કયા જૂથને અનૂચિત પ્રવૃત્તિ લાગતી હશે? સ્વતંત્ર વિચારાનારા અથવા તો વૈચારિક સ્વતંત્રતામાં વિશ્વાસ રાખનાર સહુ કટ્ટરપંથીઓને આટલા બધા જોખમી લાગતા હશે કે એમને રહેંસી નાખવાની હદે પહોંચવું પડે?

એક વાત સ્પષ્ટ છે કે સ્વતંત્ર વિચારની સ્થાપના માટે મથતા અથવા એવા વિચારો વ્યક્ત કરતા લોકો ઓછા હોય છે, અને એ અલગ તરી આવે છે. એમને વિશાળ સમૂહનો ટેકો હોય તો સંભવ છે કે એમનું બળ વધે. દુર્ભાગ્યે આવો પ્રબળ ટેકો એમને ભાગે નથી હોતો. આવા વ્યક્તિત્વો સંઘર્ષનો માર્ગ પસંદ કરે છે અને પોતાની માન્યતાઓ સાથે સગવડભર્યા સમાધાન કરી લેવાનું પસંદ કરતા નથી. આમ કરવાથી પણ તેઓ લગભગ એકલવીર બની રહે છે અને એમના પર આક્રમણ કરવાનું સરળ બનતું જાય છે. કલબુર્ગી કે દાભોલકરના મૃત્યુ સંદર્ભે સમગ્ર સમાજ ઊહાપોહ કરે એમ નથી થતું. ધારો કે એમના વિચારો સાથે પૂરેપૂરા સહમત ન થતાં હોઈએ તો પણ અસહિષ્ણુતાને પગલે થતી હત્યા અંગે આપણું વલણ પ્રમાણમાં અતિશય નરમ અને તેથી નિર્બળ રહે છે. સ્વતંત્ર પ્રજા તરીકે આપણાં વલણો ન્યાય તરફી કેમ નથી એનો ઉત્તર મેળવવો તો હજી બાકી છે. વિદ્યાવ્યાસંગ, સંશોધન અને લેખન જેમનું જીવનધર્મ જેવું કામ છે એવી વ્યક્તિઓને, કલાકારોને અને નાટ્યકર્મીઓને કટ્ટરપંથીઓ નિશાન બનાવી રહ્યા છે. એમનો વાંક માત્ર એટલો કે, એમની વિચારશૈલી અલગ છે, અને ચૂપચાપ ચાલ્યાં જતાં ટોળાંઓ છોડીને એમણે જુદો માર્ગ પસંદ કર્યો છે. તમિલ નવલકથાકાર પેરુમલ મુરુગનને તો ઝનૂની પરિબળોએ લખતાં જ બંધ કરી દીધા છે. છ નવલકથા, ચારેક વાર્તાસંગ્રહો, ચાર કાવ્યસંગ્રહો અને છ લેખસંચયો ઉપરાંત તમિલ બોલી કોંગુ વિશે સંશોધન કરી ચૂકેલા, હજી તો પચાસે પહોંચ્યા નથી એવા સર્જકને, લેખન છોડાવી દેનારા પેલાં ઉગ્ર અને આક્રમક જૂથો જાણે છે કે બંધારણની કોઈ કલમ આ લેખકને ખપ લાગવાની નથી. લેખકના ખુદના સમાજના થોડા બળિયાઓ એમને ધમકી આપે અને એમનું રોજનું જીવન ઝેર બનાવી દે, તો એમને સવાલ તો થાય ને, કે એના લેખનનો જો એની જ પ્રજાને ખપ નથી તો કોને માટે ને શા માટે લખવાનું?

આ પણ એક પ્રકારની હત્યા જ કહેવાય, લેખક પાસેથી કલમ અને શબ્દો ઝૂંટવી લેવાથી થતી હત્યા. અને પેરુમલ એકલા નથી, સુખ્યાત વિવેચક-સાહિત્યકાર એમ. એમ. બશીરને ‘રામાયણ’ પર લખાતી કટાર બંધ કરી દેવી પડી છે એવા સમાચાર છે. મલયાલમ દૈનિક ‘માતૃભૂમિ’માં લખાતી આ કટારને પગલે અજાણ્યા માણસો તરફથી એમને સતત ધમકીઓ મળી રહી છે. માત્ર એમને જ નહીં, દૈનિકના તંત્રીને પણ ગાળો ખાવી પડે છે. પાંચેક હપ્તા પછી આ વિવેચકને લેખન બંધ કરવું પડ્યું છે. મલયાલમ ભાષાના અધ્યાપક રહી ચૂકેલા પંચોતેર વર્ષના આ વિદ્વાનને ખેદ એ બાબતનો છે કે જીવનનાં આટલા વર્ષો ભાષા અને સાહિત્યક્ષેત્રને, અધ્યયન અને અધ્યાપનને આપી દીધાં પછી એમની પોતાની ભૂમિમાંયે એમની ઓળખ માત્ર ‘મુસલમાન’ની જ રહી છે! અખબાર-તંત્રીને ઉગ્રમતવાદીઓ એમ કહીને ભાંડે છે કે ‘રામાયણ’ પર લખવાનું કામ બશીરને શા માટે સોંપાયું!

લખનારના કાંડા, વિચારકોના મગજ, ચિત્રકારોની પીંછી – સઘળું નિયંત્રિત કરનારા, વિવિધ રીતે ગંદી ભાષા વાપરી ધમકીઓ આપનારા, વખતોવખત પથરા મારી, તોડફોડ કરી સર્વત્ર ધાક બેસાડનારાં આ જૂથોને નાથવા શાસન શું કરી શકે છે? આપણને તો માત્ર એટલી જ ખબર છે કે આપણે નથી નરેન્દ્ર દાભોલકરને બચાવી શકતા, કે નથી જાળવી શકતા પાનસરે, કે કલબુર્ગીને. આપણે પેરુમલ કે બશીરને હવાલે કરી દઈએ છીએ પેલા ઝનૂની જૂથોને. નથી આપણા વિરોધમાં કશી તાકાત કે નથી આપણામાં સ્વતંત્રતાનું જતન કરવાની કોઈ દાનત કે આવડત. એકાદ ઝૂઝનારો દુનિયા છોડીને ચાલતો થાય ત્યારે વંધ્ય બળાપા કરવાથી કે નિવેદનો આપવાથી વિશેષ શું થઈ શક્યું છે વિચારવંતોના સમુદાય દ્વારા, જો એને સમુદાય કહેવાય તો!

આ દેશની સંસ્કૃિતના અર્ક સમી પ્રાર્થનાઓમાં તો દુર્જનો સજ્જનો બને, સજ્જનને શાંતિ મળે, શાંતિ પ્રાપ્ત કરનારાં બંધન મુક્ત થાય અને જે બંધનમુક્ત બન્યા છે તે અન્યને મુક્ત કરવાના મહાકાર્યમાં જોડાય એવી અદ્દભુત ભાવના વ્યક્ત થઈ છે. પૃથ્વી પર પગ મૂક્તાં પહેલાં ‘પાદ સ્પર્શ ક્ષમસ્વ મે’ એવી ક્ષમાયાચના કરનારાઓ અને સર્વં ભદ્રાણિ પશ્યન્તુ’ એવી ઇચ્છા રાખનારાંઓનો આ દેશ. આ કોઈ શબ્દલીલા નથી, ઊંડી ઉદારતા અને દૃઢ સહિષ્ણુતામાંથી જન્મીને ઉછરેલો, વિક્સેલો એક વ્યાપક ભાવ છે. એ કાળે ઋષિઓને તો કલ્પના પણ નહીં હોય કે કોઈએ એક ચોક્કસ સમયમાં, પોતાને સંસ્કૃિત રક્ષકોમાં ખપાવતાં ટોળાં, સાવ સાચુકલાં અને જાળવવા જેવાં વ્યક્તિત્ત્વોને રહેંસીને, વિજયનાદો કરતાં બેફામ બબડતાં રહેશે અને સમસ્ત પ્રજા આ સંહાર અસહાય બનીને જોતી રહેશે!

સૌજન્ય : ‘અંતરની પીડા’, “દિવ્ય ભાસ્કર”, 11 સપ્ટેમ્બર 2015

Loading

...102030...3,6543,6553,6563,657...3,6603,6703,680...

Search by

Opinion

  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 
  • વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા
  • ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓમાં વ્યાપેલું મીંઢાપણું ઘાતક છે …

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved