Opinion Magazine
Number of visits: 9691220
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ભારતમાતા કી જય’

જવાહરલાલ નેહરુ|Opinion - Opinion|4 April 2016

મૂળ શીર્ષક :  રસ્તા ઉપરનો સંવાદ, પુસ્તક : જવાહરલાલ નેહરુ – સંઘર્ષનાં વર્ષો : ચૂંટેલાં વક્તવ્યો; અનુવાદ – યાસીન દલાલ; પ્રકાશક : નેશનલ બુક ટૃસ્ટ

રાત પડી ગઈ હતી, અને રોહતક-દિલ્હી રોડ ઉપર અમે ઝડપથી જઈ રહ્યા હતા. અમારે દિલ્હીથી રાતના ટ્રેઈન પકડવાની હતી. હું માંડ માંડ જાગી શકતો હતો. અચાનક, રસ્તાની જમણી બાજુએ હાથમાં ટોર્ચ લઈને બેઠેલાં સ્ત્રી-પુરુષોને જોઈને અમારે અટકવું પડ્યું. એ લોકો અમારી પાસે આવ્યાં અને અમે કોણ છીએ એની ખાતરી કરી, પછી એમણે કહ્યું કે એ લોકો બપોરથી અમારી રાહ જોતાં બેઠાં હતાં. અમે બહાર નીકળ્યા અને હજારેક જેટલાં જાટ સ્ત્રી-પુરુષોની વચ્ચે બેઠા.

કોઈક બોલ્યું, “કોમી નારા” અને તરત હજારો ગળામાંથી ત્રણ વખત ઉદ્ઘોષ થયો, “વંદે માતરમ્”, પછી અમે ‘ભારતમાતા કી જય’ અને બીજાં સૂત્રો બોલ્યા.

પછી મેં એમને પૂછ્યું, “આ ‘વંદે માતરમ્’ અને ‘ભારતમાતા કી જય’ શા માટે ?”

કોઈ જવાબ ન મળ્યો. એમણે મારી સામે જોયું. પછી એકબીજાં સામે જોવા માંડ્યાં. મારા પ્રશ્નથી એ બધાં મૂંઝાયા હતા, મેં ફરીથી પૂછ્યું, “આ સૂત્રોનો અર્થ શો થાય છે ?” પણ, કોઈ જવાબ ન મળ્યો. ત્યાંનો હવાલો સંભાળતા કૉંગ્રેસી કાર્યકર દુઃખી થઈ ગયા. એમણે મને આનો જવાબ આપવા કોશિશ કરી, પણ મેં એમને ‘આ માતા કોણ છે, જેની તમે જય બોલાવો છો ?’ એમ ફરીથી પ્રશ્ન કર્યો. છતાં, તેઓ મૌન અને મૂંઝાયેલા રહ્યા. એમને આવા અજાણ્યા પ્રશ્નો કોઈએ પૂછ્યા નહોતા. એમને તો કહેવામાં આવે, ત્યારે સૂત્રો પોકારી દેતા, પણ એનો અર્થ સમજવાની તકલીફ લેતા નહીં. કૉંગ્રેસવાળા એમને આમ કરવાનું કહે, ત્યારે જુસ્સાથી એ સૂત્રો પોકારતા, એનાથી એમને ઉત્સાહ મળતો અને એમના વિરોધીઓમાં હતાશા થતી.

છતાં મેં પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું. અંતે એક માણસે હિંમત કરીને કહ્યું કે માતા એટલે ધરતી. એ ખેડૂત હતો, આથી એનું ધ્યાન ધરતી તરફ ગયું. એ ધરતીને સાચી માતા અને તારણહાર ગણતો.

મેં પૂછ્યું, “કઈ ધરતી? તમારા ગામની ધરતી, કે પંજાબની, કે આખી દુનિયાની?” પાછા એ મૂંઝાયા, અને પછી એક સાથે બધાં કહેવા લાગ્યાં કે તમે જ અમને સમજાવો. એ લોકોને ખબર નહોતી, એટલે મારી પાસેથી જાણવા માગતા હતા.

મેં એમને કહ્યું કે ભારત શું છે, અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એ કઈ રીતે પથરાયેલું છે, અને એમાં પંજાબ, બંગાલ, મુંબઈ અને મદ્રાસ પણ સમાયેલાં છે. આ મહાન ધરતી પર આપણને એવા લાખો ખેડૂતો મળશે, જેમની મુશ્કેલીઓ, ગરીબી અને દુઃખ આપણાં જેવાં જ છે. આ મહાન દેશ હિંદુસ્તાન છે, ભારતમાતા એ કોઈ સુંદર લાંબાવાળવાળી સ્ત્રી નથી, જે ઘણી વાર કાલ્પનિક ચિત્રોમાં દર્શાવાય છે.

ભારત માતા કી જય, આ જય કોની? એ કાલ્પનિક સ્ત્રીની નહીં, તો પછી શું ઊંચા પહાડોની અને નદીઓ તથા રણની જય? ના, એમણે પોતે જ કહ્યું. પણ, કોની જય, એ ન કહી શક્યાં.

મેં એમને કહ્યું, “ભારતમાં રહેતા લોકોની આ જય છે. જે લોકો એના શહેર અને ગામડામાં રહે છે, એની જય છે.” એમને આ જવાબ ગમ્યો, અને સાચો પણ લાગ્યો.

“આ લોકો કોણ છે? તમે જ, અને તમારા જેવા બીજા. તમે તમારી જ જય બોલાવો છો, અને તમારા ભાઈઓની અને બહેનોની જય બોલાવો છો. યાદ રાખો કે ભારત માતા એટલે તમે જ અને તમારી જ જય બોલાવો છો, એમણે ધ્યાનથી સાંભળ્યું અને એમના ભારેખમ કિશાન મગજ ઉપર જાણે પ્રકાશ પથરાયો.

આ એક અજબ વિચાર હતો કે એ લોકો પોતે જ પોતાની જય બોલાવતા હતા! રોહતાકના ગરીબ જાટ ખેડૂતો પોતાનો જય જયકાર કરતા હતા. તો પછી ચાલો આપણે ફરીથી, સાચી, શુભેચ્છાથી બોલીએ, “ભારતમાતા કી જય”.

[ચૂંટણી ઝુંબેશ દરમિયાન ૧૬-૯-૧૯૩૬ના રોજ લખેલા એક લેખમાંથી; જે ‘ત્રિવેણી’(મદ્રાસ)માં સૌપ્રથમ  છપાયો. (‘સિલેક્ટેડ વર્ક્સ’, ભાગ-૭, પૃ. ૩૪૮-૫૦)]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 01-02

Loading

ભગતસિંહ અને ‘ભારતમાતા કી જય’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 April 2016

ભગતસિંહની પંચાસીમી સંવત્સરી સરહદની બંને બાજુએ અવનવાં સ્પંદનો જગવી ગઈ! આપણી બાજુએ તો સ્પંદનો ઉપરાંત કંઈક શોર પણ; કેમ કે ભાજપે ‘ભારતમાતા કી જય’ અને રાષ્ટ્રવાદનો ખાસ મુદ્દો બનાવવામાં ભગતસિંહને ય ઠીક સંડોવવા ધાર્યું છે. અધૂરામાં પૂરું, કૉંગ્રેસ સાંસદ શશી થરુરે જે.એન.યુ.ના કન્હૈયાકુમારમાં વર્તમાનકાળના ભગતસિંહ જેવી ઝલક જોઈ તે વિગતમાં આ ‘રાષ્ટ્રનેતાનું અપમાન’ જોવાની ભાજપની પ્રતિક્રિયા છે તો કૉંગ્રેસે પણ થરુરના અંગત મતથી કિનારો કરવામાં સલામતી જોઈ છે.

સીમાપાર તાજેતરમાં વરસોમાં ભગતસિંહને સંભારવાની કોશિશ પાછળની એક ચાલના એના આદર્શોથી ત્યાંનો નાગરિક સમાજ પોતાનું સંબલ મેળવવા ચાહે છે તે છે. તે સાથે પાકિસ્તાનના નાગરિક સમાજમાં એક એવો સળવળાટ પણ આ દિવસોમાં સંભળાયો કે રાણી એલિઝાબેથે (બ્રિટિશ તાજે) ભગતસિંહ પ્રશ્ને માફી માગવી જોઈએ. બેશક, લશ્કરશાહીને હવાલે ગયેલી લોકશાહી અને ઉશ્કેરણીના રાહે શોર્ટકટ પોલિટિક્સ ખેલતા મોટાભાગના રાજકારણીઓથી ઉફરાટે સંસ્થાનવાદ સામે જાનફેસાનીનું તેમ જ સર્વાંગી શોષણમુક્તિનું વિચારવિશદ સમણું જોનાર જીવનની અપીલ કંઈક ઓર જ હોય.

આપણે ત્યાં પણ આદર્શવાદી અપીલથી પરિચાલિત અને કુરબાનીના રાહે ખેંચાતા નાનાં નાનાં જૂથો બેલાશક છે. પણ આ ક્ષણે ભગતસિંહ મેગા પોલિટિક્સનો મુદ્દો થઈ પડ્યા છે એથી એને ઓળવવા મોટા પક્ષોનું લાલાયિત હોવું સમજી શકાય તેમ છે. એમાં પણ ભાજપે હૈદરાબાદ યુનિવર્સિટી અને જે.એન.યુ. ઘટનાક્રમને પગલે જમીન પર કોમી ફસલ અને આકાશમાં વિકાસની ખેતી સાથે ખાસ તરેહના રાષ્ટ્રવાદને આગળ કરવાનો વ્યૂહ વિચાર્યો હોઈ એની સક્રિયતા સવિશેષ છે. બલકે, વિકાસનાં વાતવાવેતર કરતાં રાષ્ટ્રવાદની રોકડી કદાચ સહેલો અને સલામત વ્યૂહ હોવાનુંયે સમજાય છે. મુશ્કેલી એ છે કે ભગતસિંહ માટેની અપીલને પક્ષ માટેની અપીલમાં પરિવર્તિત કરવું રાષ્ટ્રવાદના આરંભિક ગર્જનતર્જન અને ભાવોદ્રેક પછી બધો વખત સળંગ સહેલું નથી હોતું. ખાસ તો, ભગતસિંહ જેવી વ્યક્તિના વિચારવિકાસની વિગતો જેઓ જાણેસમજે તે કદાચ આવી અપીલમાં બધો વખત બંધાયેલા ન રહી શકે.

વડોદરામાં ભગતસિંહની પ્રતિમાની સાખે કૉંગ્રેસ અને ભાજપના કાર્યકરો બાખડી પડ્યાના હેવાલો છે. એમના આંગિકમ્‌ની ચર્ચા તો ખેર છોડો; વાચિકમ્‌માં એકબીજાના અવાજને ડુબાડી દેતા સામસામા સૂત્રોચ્ચારો ‘ભારતમાતા કી જય’ (ભાજપ) અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’(કૉંગ્રેસ)ના હતા એમ છાપાં કહે છે. હવે, ‘ભારતમાતા કી જય’ એ સ્વાભાવિક જ ‘વંદે માતરમ્’ કુળનો સૂત્રોચ્ચાર છે. રાષ્ટ્રીય ચળવળમાં એની અપીલ એ ઇતિહાસવસ્તુ છે, અને પોતાના ઘડતરકાળમાં ભગતસિંહે પણ હોંશે હોંશે એવા પોકારો નહીં જ કર્યા હોય એવું નથી. અન્યથા પણ એવાં સૂત્રોને અવકાશ છે. અલબત્ત, એમાં બળજોરીને અવકાશ ન હોઈ શકે એ સાદો વિવેક છે. એમાં પણ મહારાષ્ટ્ર વિધાનસભામાં કૉંગ્રેસ સહિત સર્વ પક્ષોએ એકત્ર થઈ એક સન્માન્ય સભ્યને ચોક્કસ સૂત્ર નહીં બોલવાને મુદ્દે ગૃહનિકાલ કર્યા તે દેશભક્તિને નામે આપણું જાહેર જીવન કઈ હદે અવદશામાં ઢસડાઈ શકે એનો નાદર નમૂનો છે.

નહીં કે કૉંગ્રેસે બહુ ઊંચું ને ઊંડું વિચાર્યું હશે (બલકે, મહારાષ્ટ્ર વિધાનગૃહની એની સંડોવણી કેવળ અવિચારી છે); પણ ‘વંદે માતરમ્’ અને ‘ભારતમાતા કી જય’ જેવાં સૂત્રોને બદલે ભગતસિંહ થકી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ જેવું સૂત્ર સવિશેષ ચલણમાં આવ્યું એ ભારતીય ઉપખંડમાં જાહેર જીવનની દૃષ્ટિએ ગુણાત્મક પરિવર્તન હતું. આઝાદીની માગણી હવે કેવળ સાંસ્થાનિક સામ્રાજ્યશાહીથી મુક્ત થવા માટેની નથી, પણ ઘરઆંગણાનાં જાગીરદારી-મૂડીવાદી તત્ત્વોમાંથીયે મુક્ત થવા માટેની આ લડત છે. આ રીતે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ એ ‘ભારતમાતા કી જય’ કરતાં આગળ જતું ને કોરા તગડમસ્ત રાષ્ટ્રવાદે નહીં ગંઠાઈ જતાં આર્થિક-સામાજિક ન્યાયને ધોરણે આમ આદમીની બાલાશ જાણતું સૂત્ર છે. કન્હૈયાકુમાર જ્યારે ‘ભારતની આઝાદી’ નહીં પણ ‘ભારતમાં આઝાદી’ની વાત કરે છે ત્યારે આવું જ કાંક કહેવા તાકે છે. આ અર્થમાં જોઈએ તો તે ભગતસિંહની નજીક છે. માત્ર, તરુણ ભગતસિંહની પ્રૌઢિ અને કન્હૈયાની કાચીકુંવારી સમજની સરખામણી અલબત્ત નથી.

ભગતસિંહના અનવરત અભ્યાસી ચમનલાલે દિલ્હી યુનિવર્સિટીના છાત્રો જોગ સંબોધનમાં આ વાતે ફોડ જરૂર પાડ્યો હોત, પણ અભાવિપ(અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)નું ટોળું ભગતસિંહને નામે રાષ્ટ્રવાદની ધજાપતાકા લહેરાવવા જેટલું ઉત્સાહી હશે એટલું ભગતસિંહના વિચારો જાણવાસમજવા મુદ્દલ તૈયાર નહોતું. જો કે દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ યોગેશ ત્યાગીને કારણે એ કલાકોમાં એક ક્ષણ જરૂર સચવાઈ ગઈ. ત્યાગી પોતે પાછા જે.એન.યુ.ના પૂર્વછાત્ર છે. એમણે થરુરની કન્હૈયા-ભગત સરખામણી સંદર્ભે સોજ્જી ટિપ્પણી કરી કે ન્યાયને માટે લડનાર હર કોઈ આપણા આ દંતકથારૂપ સ્વાતંત્ર્યજોદ્ધા(ભગતસિંહ)થી પ્રેરિત હોઈ શકે છે. ખબર નથી, અભાવિપને તે પલ્લે પડ્યું કે નહીં.

ભગતસિંહ બેશક એક જલતું જિગર એટલું જ સોચતું મગજ હતા. ટૂંકી જિંદગીનાં છેલ્લાં બેત્રણ વરસ અને એમાં પણ છેલ્લા થોડા મહિના એમની ઉત્તરોત્તર વૈચારિક સજ્જતાનાં હતાં. જેલ દિવસોમાં ભૂખહડતાળ પર હશે એ અરસામાં જવાહરલાલ નેહરુ એમને મળવા ગયેલા. એમણે આત્મકથામાં આ મિલનની સહૃદય નોંધ લેતાં ભગતસિંહના આકર્ષક ચહેરા પરની બૌદ્ધિક દીપ્તિની ખાસ જિકર કરી છે તો વાતચીતમાં ફોરતી ઋજુતા અને એક અનાકુલ અવસ્થાની છાપ પણ સંભારી છે. અલગ રસ્તા છતાં આ આત્મીય અને આદરપૂર્ણ ભૂમિકા બંનેના (અને તે વખતના એકંદર નેતામંડળના) ઉમદા ખવાસની દ્યોતક છે. જુદા રસ્તા છતાં ચંદ્રશેખર આઝાદને આર્થિક સહાય કરી શકતા નેહરુ કે આઝાદની અંત્યેષ્ટિમાં હકથી પહોંચી જતાં કમલા – એવો એ જમાનો હતો.

હમણાં વૈચારિક સજ્જતાની જિકર કરી. એનો એક અચ્છો નમૂનો ભગતસિંહની એ નુક્તેચીનીરૂપે પણ તમને જોવા મળશે કે સુભાષ અને જવાહર બેઉ યુવાનોને આકર્ષતાં નેતૃત્વ છે. પણ સુભાષના ભાવાવેશને મુકાબલે જવાહરની આર્થિક-સામાજિક ન્યાયની સમજ ને પ્રતિબદ્ધતાની અપીલ સવિશેષ છે. એટલે સામ્પ્રત સંદર્ભમાં યુવા પસંદગી જવાહર ભણી ઢળતી હોવી જોઈએ. આ નુક્તેચીનીને એમણે પિતાને કરેલ એ સૂચન સાથે મૂકીને જુઓ કે તમારે સૌએ ગાંધી અને કૉંગ્રેસની સાથે રહેવાપણું છે. નહીં કે ગાંધીજીના નેતૃત્વ વિશે કે કૉંગ્રેસની કાર્યશૈલી વિશે ભગતસિંહનું આગવું મૂલ્યાંકન અને ધોરણસરનાં ટીકાટિપ્પણ નહીં હોય. બલકે, એવું ન હોય તો એ ભગતસિંહ પણ શેના હોય. પણ દેશના પ્રવાહો વચ્ચે લોકઆંદોલનની વાસ્તવિકતામાં આ સૂચન રોપાયેલું હતું.

કેમ કે ગાંધીની વાત નીકળી જ છે અને ભગતસિંહની ફાંસી નહીં રોકનાર તરીકે એ કસુરવાર કહેવાતા રહ્યા છે, અહીં બે શબ્દો એ સંદર્ભમાં વાજબી થઈ પડશે. ૧૯મી માર્ચે ગાંધીજીએ અર્વિનને મળીને ભગતસિંહને ફાંસી આપવાથી પરહેજ કરવાની અપીલ કરી હતી, અને વાંસોવાંસ ‘યંગ ઇન્ડિયા’માં લેખી ઉમેદ પ્રગટ કરી હતી કે ‘ચેરિટી ઑફ અ ગ્રેટ ક્રિશ્ચન’ – એક આગળ પડતા ખ્રિસ્તજનની સમુદારતા અને માનવતાને ધોરણે વિધાયક પ્રતિસાદ મળશે. એ પછી એક વહેલી સવારે અર્વિન જોગ પત્ર એમણે તૈયાર કર્યો, પણ ૨૩મી માર્ચે જ સહસા ફાંસીનો અમલ થઈ ગયો હતો. એથી સ્વાભાવિક જ ૨૯ માર્ચથી શરૂ થઈ રહેલી કરાચી કૉંગ્રેસ એક ઓછાયા અને ઓથાર તળે મળી રહી હતી, અને એ દિવસોમાં ગાંધી સામે કાળા વાવટાના દેખાવો પણ થયા હતા. જો કે ૨૬મી માર્ચનાં અર્વિનનાં એ વિદાયવચનો ભાગ્યે જ કોઈને ઝટ સાંભરતાં હશે કે ‘અહિંસામૂર્તિ (એપોસલ ઑફ નૉનવાયોલન્સ) ગાંધીની, ભગતસિંહને ફાંસીની સજા રદ કરવાની એ આરતભરી (અર્નેસ્ટ) અપીલ સાંભળી હું ગંભીર વિચારમાં સરી પડ્યો હતો કે તેઓ શા વાસ્તે આવી રજૂઆત કરતા હશે … પણ, મારે પક્ષે, ફાંસીની સજા સચોટપણે લાગુ પડતી હોય એવો આવો કોઈ બીજો કેસ હું કલ્પી શકતો નથી.’

ફાંસીની સજાની અનિવાર્યતાનો આ કેસ હતો એ કેવળ નિજી આકલનનો મુદ્દો, માનો કે, અર્વિનને પક્ષે હોત તો ગાંધીની આરતભરી અપીલથી – અને જેમાં ભગતસિંહનો પ્રશ્ન સીધો સંડોવાયેલો નહોતો એ દાંડીપગલે ગાંધીઅર્વિન સમજૂતીની સફળતા માટે જરૂરી વાતાવરણની દૃષ્ટિએ આ સજામોકૂફીથી શક્ય લાભની ગણતરીએ – અર્વિન કદાચ કબૂલ પણ થઈ શક્યા હોત. પણ વાત માત્ર આટલી જ નહોતી, ન તો અર્વિન તેમ જ ગાંધી અને બીજા ભારતીય નેતાઓ પૂરતી સીમિત પણ હતી.

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી સબબ આંબેડકરે મરાઠીમાં લખેલ ટિપ્પણી હજુ હમણે જ અંગ્રેજીમાં અવતરી પહેલી જ વાર ભારતવ્યાપી ધોરણે સુલભ બની છે. આનંદ તેલતુંબડેની અથાક કોશિશને એનું શ્રેય જાય છે. આંબેડકરે કરેલ મુદ્દાઓમાંથી આપણી ચર્ચા પૂરતો એ એક વિગતમુદ્દો બસ થશે કે અર્વિન છેવટે તો બ્રિટનની સરકારને જવાબદાર હતા. બ્રિટનની સરકાર ઘરઆંગણાના લોકમતની દૃષ્ટિએ ભગતસિંહને ફાંસી આપવામાંથી પીછેકૂચ કરવાની સ્થિતિમાં નહોતી. દેશની રૂઢિચુસ્ત (ઉર્ફે રાષ્ટ્રવાદી) લોકલાગણી બગાવતી ગાંધી સામે બ્રિટિશ તાજના હિંદી પ્રતિનિધિ કરાર કરવાની હદે ઝૂકે એ ઘૂંટડો કેમે કરીને ગળે ઉતારી શકે એમ નહોતી. આ સંજોગોમાં જો ભગતસિંહને ફાંસી ન અપાય તો પેલી રાષ્ટ્રવાદી લાગણી (સરકારવિરોધી લાગણી) ઇંગ્લૅન્ડમાં ઓર ભડકે એવું હતું. સ્વાભાવિક જ બ્રિટિશ વડાપ્રધાન અને હિંદી વજીર આ માટે તૈયાર નહોતા – તેથી અર્વિનને માટે ‘આવો કોઈ બીજો કેસ હું કલ્પી શકતો નથી’ એવું ન હોય તો પણ સજાના અમલ સિવાય છૂટકો નહોતો તે નહોતો.

ગમે તેમ પણ, એ વરસો ગાંધી-ભગતસિંહ (અને બીજા) અખાડાઓ છતાં એકંદરે સરજાતા અને સ્ફૂટ થતા આવતા નવ્ય કોન્સેન્સસનાં હતાં. હમણાં કહ્યું તેમ ‘વંદે માતરમ્’ તબક્કે નહીં અટકતાં ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ ભણીની અર્થપૂર્ણ સંક્રાન્તિનાં હતાં. સશસ્ત્ર પ્રતિકારની રુમાની અપીલ કરતાં ભગતસિંહનો ભાર શોષણમુક્તિનાં સમાજકારણ, રાજકારણ, શાસનકારણ વાસ્તે જરૂરી લોકઆંદોલન પર હતો. તેથી સ્તો આપણે નોંધ્યું તેમ તેઓ સુભાષના પ્રશંસક છતાં નેહરુની આર્થિક-સામાજિક સિદ્ધાંતમથામણને વધુ માર્ક્સ આપતા હતા. નાત જાત કોમ ધરમ મજહબને વટી જતી મીઠાની અનન્ય લડતે અને ભગતસિંહ પરના મુકદમાથી પ્રસરેલા ક્રાંતિકારી વિચારોએ જે હવા બનાવી એમાંથી કરાચી કૉંગ્રેસમાં ‘મૂળભૂત હક્કો’ના ઠરાવનો પથ પ્રશસ્ત થયો. ૧૯૨૯માં જવાહરલાલના પ્રમુખપદે થયેલા ‘મુકમ્મલ આઝાદી’(પૂર્ણ સ્વરાજ)ના ઠરાવની વ્યાખ્યા ૧૯૩૧માં વલ્લભભાઈના પ્રમુખપદે ‘મૂળભૂત હક્કો’ના ઠરાવ વાટે સ્પષ્ટ બની. છૂટપૂટ હિંસક ઘટનાક્રમ અને રુમાની રાષ્ટ્રવાદને વટી જતી તેમ જ કોમી ધ્રુવીકરણથી ગંઠાતા રાષ્ટ્રવાદની શક્યતાને ઓગાળી શકતી આ વાત હતી.

‘ભારતમાતા કી જય’ બોલતાં ન સંકોચ હોય, ન એને સારુ બળજોરી હોય – જેવું ‘જય સિયારામ’ના સહજ અભિવાદનમાંથી ‘જય શ્રી રામ’ના યુદ્ધનાદમાં થયેલી સંક્રાન્તિમાં જોવા મળ્યું હતું. સવાલ હમણાં વર્ણવી તે ઇતિહાસ-સંક્રાન્તિની પૂરી ને પાધરી ખબર તેમ જ કદરનો છે. ‘રાષ્ટ્રવાદ’ના ખાસ ચાહકોને તેમ ટીકાકારોને પ્રજાકીય આત્મનિરીક્ષાપૂર્વક આ સંક્રાન્તિની લગરીકે રગ આવે તો વાત બનતાં બને.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 03-04

Loading

ચિત્તભૂષણ દાસગુપ્તાના શતાયુ જીવનનો સાર

ડૉ. સુગન બરંઠ|Opinion - Opinion|4 April 2016

ચિત્તભૂષણ દાસગુપ્તાએ ગત ૭મી ફેબ્રુઆરીએ પોતાના આયુષ્યના ૧૦૧મા વર્ષે દેહ છોડ્યો. માંજિહેડા(પુરુલિયા, બંગાળ)માં તેમણે વાવેલા બીજ સમી રાષ્ટ્રીય બુનિયાદી શિક્ષા સંસ્થાના વિશાળ વૃક્ષ તળે તેમના અંતિમ સંસ્કાર કરાયા. તેઓ ગાંધીવિચારને સમર્પિત જીવન જીવ્યા અને અંતિમ સંસ્કાર બાદ કોઈ પણ ક્રિયાકર્મ ન કરાયાં. તેઓ પોતાની પાછળ માત્ર પોતાનો હર્યોભર્યો પરિવાર જ નહીં, બલકે નઈ તાલીમના એક વિશાળ પરિવારને છોડી ગયા છે. આની એક ઝલક તેમના શતાબ્દી-વર્ષમાં તેમની પૂર્ણ સક્રિય અવસ્થામાં પણ જોવા મળી હતી. એ દરમિયાન તેમણે પોતાના અતિશય સ્પષ્ટ અને સટીક વક્તવ્ય થકી સંસ્થાના હીરક-મહોત્સવનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પોતાના સન્માનનો જવાબ પણ આપ્યો હતો. મહોત્સવની વચ્ચે તેઓ કાંતણ અને લોકકળામાં પણ સામેલ થયેલા. આટલું સ્વસ્થ અને સક્રિય સોમું વર્ષ બહુ ઓછા લોકોના ભાગ્યમાં હોય છે. પોતાનાં બન્ને દીકરા અને બેઉ દીકરીઓને તેમણે નઈ તાલીમ થકી જ ભણાવ્યાં અને તેઓ આજે ય આ વિચારને સમર્પિત છે. આવું બહુ ઓછું જોવા મળે છે.

ચિત્તભૂષણજી, જેમને અમે બધા બાબા કહેતા, તેઓ બંગાળના ક્રાંતિકારી પરિવારના ઋષિજી દાસગુપ્તાના દીકરા હતા. ઋષિજીએ રાજેન્દ્રપ્રસાદ સાથે કામ કરેલું. યુવાવસ્થામાં વર્ષ ૧૯૩૭માં બાબા જ્યારે સેવાગ્રામ આશ્રમમાં મહાત્મા ગાંધી પાસે આવ્યા હતા, એ જ વખતે નઈ તાલીમનાં મા-બાબા અર્થાત્ આશાદેવી આર્યનાયકમ્‌ અને ઈ.ડબલ્યુ. આર્યનાયકમ્ બાપુના કહેણ પર શાંતિનિકેતનથી વર્ધા આવ્યાં હતાં. એ જ વર્ષે વર્ધામાં ઐતિહાસિક શિક્ષણ-પરિષદ યોજાઈ હતી, જેની ગોદમાંથી હિન્દુસ્તાની તાલીમસંઘનો જન્મ થયો. ડૉ. ઝાકિર હુસેન તેના પહેલા પ્રમુખ બનેલા તો આર્યનાયકમ્‌જી મંત્રી અને આશાદેવી સહમંત્રી બનેલાં. વર્ષ ૧૯૩૮માં તેનું પહેલું સંમેલન થયું.

આ દરમિયાન ચિત્તભૂષણજીએ આશાદેવીને કહ્યું કે તેઓ બંગાળના અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારમાં સંથાલ આદિવાસીઓ માટે નઈ તાલીમ શિક્ષણનું કામ કરવા જવા માગે છે. આશાદેવી તેમને બાપુ પાસે લઈ ગયાં અને કહ્યું કે આ યુવાન બંગાળમાં નઈ તાલીમનું કામ કરવા માગે છે. તમારા આશીર્વાદ ઇચ્છે છે. બાપુએ આશીર્વાદ તો આપ્યા પણ ટકોર કરી કે, આશા તમે બહુ જલદી ભરોસો મૂકી દો છો. જો કે, બાપુના આશીર્વાદ લઈને બાબા આ સંથાલીઓમાં આવ્યા અને પછી આજીવન અહીંના જ થઈ ગયા. તેમણે બાપુની શંકાને ખોટી પાડીને આશાદેવીના વિશ્વાસને સાર્થક કર્યો.

ઈ.સ. ૧૯૩૯માં તેમણે માંજિહેડા રાષ્ટ્રીય બુનિયાદી શિક્ષા – સંસ્થાનો પાયો નાખ્યો. સંજોગ એવા સર્જાયા કે એ જ વખતે વર્ધાના મહિલા આશ્રમમાં ખાનદેન(ઉત્તર મહારાષ્ટ્ર)ના એવા જ ઋષિતુલ્ય ગાંધીજન ધનાજી નાના ચૌધરીની દીકરી માલતીનું પણ ત્યાં આગમન થયું. તેમનું ખીરોદા ગામ આજે જલગાંવ જિલ્લામાં છે. ધનાજી નાના પણ સરકારી નોકરી છોડીને ગાંધીજીની સાથે દેશસેવામાં જોડાયા હતા. તેમણે પોતાના પિતાજીને કહેલું કે તેઓ પોતાની નાની દીકરી માલતીનાં લગ્ન પરંપરાગત રીતે નહીં કરે. તેમણે પોતાની દીકરી માલતીને ચિત્તભૂષણજી સાથે પરણાવી, એ પણ અત્યંત સાદગી સાથે ખાદીનાં વસ્ત્રોમાં, વગર કોઈ પરંપરાગત વિધિ કર્યે.

માલતીદેવી પણ પિયરથી અતિ દૂર, નવી ભાષા, નવી સંસ્કૃિત, પિતાના ઘરની અને સાસરીની તમામ સુવિધાઓ છોડીને આદિવાસીઓ વચ્ચે પહોંચી ગયાં. આમ પણ આદિવાસીઓની સંસ્કૃૃિતને ટકાવીને તેમને શિક્ષિત કરવાનું માત્ર નઈ તાલીમ થકી જ શક્ય હતું. માંજિહેડા માટે ત્યારે આઠ કલાક બળદગાડીની સવારી, રસ્તામાં નદી-નાળાં પગપાળા પસાર કરવાનાં, માથા પર સામાન ઉઠાવીને માઇલો સુધી પગપાળા ચાલવાની સાથે મોસમ અને જંગલની ભયંકરતા. આજે તો આ માત્ર પુસ્તકમાંના વર્ણન જેવું લાગી શકે છે.

છેલ્લાં ૭૫ વર્ષોમાં તેમણે પોતે ખેતી કરીને વિદ્યાલય ચલાવ્યું. આદિવાસી સંથાલી બાળકો સાથે જ પોતાનાં બાળકોને ભણાવ્યાં. એ લોકોમાંના એક બનીને જીવ્યાં. પ્રેમ અને વિરોધની તમામ ઘટનાઓનો સામનો કર્યો અને છતાં પણ વગર ક્રોધ કર્યે કે પોલીસની મદદ લીધે તેમણે એ લોકો સાથે જ જીવન વિતાવ્યું. આ સમગ્ર તપસ્યા માલદી- દેવી અને ચિત્તભૂષણજીએ ૨૬ વર્ષની વયે શરૂ કરેલી અને ૧૦૧મા વર્ષ સુધી સતત કરેલી. માલતીદેવીનું નિધન હજુ બે વર્ષ પહેલાં જ થયું. તેમણે પણ પોતાના અંતિમ સંસ્કાર ક્યાં કરવા એની જગ્યા તથા પોતાના મૃત્યુ વખતે ભોજનનું મેનુ નક્કી કર્યા પછી બે દિવસ બાદ દેહ છોડેલો. બાબાએ પણ આખરી શ્વાસ સુધી કાંતણ છોડ્યું નહોતું. માંજિહેડા આશ્રમની સુંદરતા તો આજે પણ તમને સેવાગ્રામની યાદ અપાવશે. સાદગીનું સૌંદર્ય જોવું હોય, તો ત્યાં જઈ આવવું.

આ વર્ષોમાં આ બન્નેએ કોઈ પણ પદ, સંસ્થા, સંપત્તિનો મોહ ન રાખ્યો. મિત્રો સાથે વિવાદ થયો તો પુરુલિયા સ્ટેશનના ગ્રામશિલ્પી વિભાગને તત્કાળ છોડી દીધો. અખિલ ભારતીય નઈ તાલીમ હોય કે સર્વ સેવા સંઘ, તેમણે એકેયમાં સભ્યપદનો મોહ નહોતો રાખ્યો. અલબત્ત, તેમને આ બન્નેમાં કારોબારી સભ્ય બનાવાયાં હતાં. આશ્રમ, વિદ્યાલય, બાળકો અને નઈ તાલીમ આ ધ્યેયને તેમણે પોતાની નજર સામેથી ક્યારે ય દૂર થવા દીધા નહીં.

આજે પણ આ આશ્રમ અને વિદ્યાલય તથા શિક્ષણ તાલીમ મહાવિદ્યાલયમાં તમામ પ્રવૃત્તિઓ નઈ તાલીમને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે, જેની દેખરેખ તેમના પુત્ર માણિક, પુત્રવધૂ મધુમિતા અને મોટો દીકરો પ્રદીપ રાખે છે. તેમની દીકરીઓએ પણ સરકારી શિક્ષણમાં નઈ તાલીમનાં કામ કર્યાં. ખેતી, બાગાયત, કાંતણ, વણાટ, રંગકામ, કઢાઈ, ગ્રામોદ્યોગ … આ તમામ બાબતો અહીંના શિક્ષણનાં માધ્યમો છે. અહીં શરીરશ્રમ ફરજિયાત છે. આ વિસ્તાર આજે પણ અંતરિયાળ જંગલમાં સ્થિત છે, એટલે કુદરતી સૌંદર્ય અને શાંતિ તો સ્વાભાવિક છે. એટલો જ ફરક પડ્યો છે કે હવે ગામ સુધી પુલ-માર્ગ બની ગયા છે. આજે બાબાના પ્રતાપે જ બંગાળના એકથી એક નામીગિરામી કલાકારો, સાહિત્યકારો, શિક્ષણવિદોને અહીં દરેક ચર્ચા-સંગોષ્ઠિ, પરિસંવાદ, સાંસ્કૃિતક કાર્યક્રમોમાં વિનમ્ર બનીને નિરપેક્ષ-ભાવે આ સંથાલી ગાંધીના દરબારમાં હાજરી નોંધાવતાં જોવા મળે છે.

(ડૉ. સુગન બરંઠ કુદરતી ઉપચારના નિષ્ણાત અને સર્વ સેવા સંઘના પૂર્વ પ્રમુખ છે.)

[સપ્રેસમાંથી અનુવાદ : દિવ્યેશ વ્યાસ]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 08

Loading

...102030...3,6423,6433,6443,645...3,6503,6603,670...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved