Opinion Magazine
Number of visits: 9690965
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પડદાની પાછળના હીરો – નાયરસાહેબની વિદાય

અભિજિત વ્યાસ|Opinion - Opinion|5 April 2016

આ ચાર માર્ચના રોજ બે સમાચાર એક જ દિવસમાં મળ્યા. તે નેશનલ ફિલ્મ આર્કાઇવ્સના પૂર્વનિયામક (ડાયરેક્ટકર) પી.કે. નાયરસાહેબના અવસાનના અને અન્ય તે દાદાસાહેબ ફાળકે પારિતોષિકની જાહેરાત.

આજ અહીં થોડી વાત આ એક જ દિવસે આવેલા આ સમાચારોની કરવી છે. પી.કે. નાયરસાહેબ ભારતીય ફિલ્મ આર્કાઇવ્સના પહેલા ડાયરેક્ટર હતા. એટલું જ નહીં, એમના પ્રયત્નોના પરિણામે જ આપણું આર્કાઇવ્સ સ્થપાયું હતું. એઓએ નિવૃત્તિ સુધી આ પદ પર રહીને ભારતીય સિનેમાનું અમૂલ્ય કાર્ય કર્યું. આર્કાઇવ્સ દ્વારા અનેક પ્રકારના ફિલ્મ-સંરક્ષણનાં કાર્યો એમણે કર્યાં. એમના કાર્યોને ધ્યાનમાં રાખીને એમના ઉપર બે-ત્રણ જેટલી ડૉક્યુમેન્ટ્સ ફિલ્મો પણ સર્જાઈ હતી, જે ઇટલીના ફિલ્મ-ફેસ્ટીવલમાં રજૂઆત પામી હતી અને નેશનલ ઍવૉર્ડ પણ મળેલો. એમને ‘સત્યજિત રાય મેમોરિયલ ઍવૉર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવેલા. એમનાં કાર્યોને ધ્યાનમાં લઈને આ વર્ષે ભારતીય સિનેમાના ક્ષેત્રે અનેરું કાર્ય કરનાર પ્રતિભાને અપાતું પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પારિતોષિક એમને આપવાનું સૂચવવામાં આવેલું. આ સૂચન કરનારાઓની યાદીમાં ફિલ્મ જગતના અનેક માનવીય લોકોના પણ નામ હતા. નાયરસાહેબ છેલ્લાં કેટલાંક વર્ષોથી અત્યંત બીમાર હતા અને આ ચોથી માર્ચના રોજ એમનું અવસાન થયું. મરાઠી ‘લોકનેતા’ તથા અન્ય કેટલાંક અંગ્રેજી અખબારોએ એમની વિશેષ નોંધ લીધી. તેમાં ‘લોકસત્તા’નો અંજલિલેખ અત્યંત મહત્ત્વનો હતો. આજે ફિલ્મસમીક્ષા લખતા અનેક વિવેચકોને ફિલ્મ એપ્રીશિયેશન કોર્સ દ્વારા તૈયાર કરવાનું માન પણ એમને જાય છે. ભારતીય સિનેમાના ઇતિહાસને સંરક્ષવાનું તેમનું કાર્ય સદા સરાહનીય રહેશે.

એમને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ તો ન મળ્યો પણ એ પારિતોષિકની જાહેરાત એ જ દિવસે થઈ. આજના સમયમાં પારિતોષિક પામવું હોય, તો અમુક પ્રકારની વિચારસરણી ધરાવવી જરૂરી છે કે પછી શાસકપક્ષને અનુકૂળ હોવું એ જ મહત્ત્વની યોગ્યતા (ક્વૉલિફિકેશન) ગણાય છે. આપણી આ વર્ષની નેશનલ ફિલ્મ ઍવૉર્ડની જુરીમાં પણ એ જ ધોરણે નિમણુકો થઈ હતી. અને એવા પણ જુરી-મેમ્બરો હતા, જેમને સિનેમા સાથે કોઈ લેવા દેવા કે સમજ પણ નહોતી. ફાળકે પારિતોષિક માટે આ વર્ષે જે નામ સૂચવાયાં હતાં તેમાં નાયર સાહેબની સાથે પ્રસિદ્ધ અભિનેત્રી વહીદા રહેમાનનું પણ નામ હતું.

ભારતીય સિનેમાને માટે અમૂલ્ય કાર્ય કરનાર નાયરસાહેબનું યોગ્ય સન્માન ન થયું, પણ એમના અનેક ચાહકોના દિલમાં એઓ હંમેશાં સન્માનનીય રહેશે જ. તેમ ભારતીય ફિલ્મ પર સંશોધન કરનાર અનેક અભ્યાસુઓ પણ એના કાર્યને લઈને જ આગળ આવી શકશે.

e.mail : abhijitsvyas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 17

Loading

નેક નામદાર વિધાનસભ્યો, ક્યાં છો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 April 2016

નેક નામદાર વિધાનસભ્યો, ક્યાં છો

કાશ, બચીખૂચી અકાદમી પંડે ખસી શકે!

ઉર્દૂ અકાદમીની પારિતોષિકવહેંચણી નિમિત્તે અખબારી પાનાં પર ઉભરેલ વિવાદમાં એક નિર્ણાયક વળાંક જેવા સમાચાર હર્ષ બ્રહ્મભટ્ટે ‘મેરા અપના આસમાં’ એ કાવ્યસંગ્રહ માટેનું પારિતોષિક નહીં સ્વીકાર્યાના હેવાલ સાથે આવ્યો છે. ‘મને કેમ નહીં અને ફલાણાને કેમ સહી’ એવા વિવાદવિખવાદમાંયે તથ્ય હોઈ તો શકે, પણ એવા નાના મુદ્દેથી હટીને ‘જો અકાદમી સ્વાયત્ત ન હોય તો હું એનું પારિતોષિક ન સ્વીકારી શકું’ એવી ભૂમિકા તત્ત્વતઃ એક જુદી ઊંચાઈ હાંસલ કરે છે.

ઉર્દૂ-ગુજરાતી બેઉ ભાષાઓમાં રચના કરતા હર્ષ બ્રહ્મભટ્ટ, આમ તો, પૂર્વ બ્યુરોક્રેટ છે. હાલની સરકારી અકાદમીના – કહો કે સરકાદમીના છત્રી પ્રમુખ ભાગ્યેશ જહા પણ, એમ તો, પૂર્વ બ્યુરોક્રેટ છે. વાતચીતમાં અકાદમી વિવાદને આ બે બાબુઓ વચ્ચેના વિવાદ તરીકે પણ કેટલાંક વર્તુળોમાં જોવાતો હોય છે. જો કે, નિરીક્ષક-તંત્રીએ સ્પષ્ટ કરેલું છે કે અમારી વિરોધભૂમિકામાં જળથાળ મુદ્દો લોકશાહી પ્રક્રિયા વિ. સરકારી નિયુક્તિકારણનો છે. આને બદલે તે બ્યુરોક્રેટ, બિહાર આંદોલનના દિવસોમાં જેપી કહેતા તેમ સાપનાથને બદલે નાગનાથ, એવી કોઈ નિયુક્ત પ્રતિભાપસંદગીમાં અમે નથી. બલકે, જેઓ સ્વાયત્તતાના સમગ્ર વિવાદને આવા કોઈ મુદ્દામાં ગંઠાઈને તુચ્છતાના કુંડાળામાં નાખે છે, ટ્રિવિયલાઈઝ કરે છે તેઓ પણ કાબિલે તપાસ છે.

છત્રી પ્રમુખને વરસ પૂરું થવામાં છે તે જ અરસામાં હર્ષ બહ્મભટ્ટે પારિતોષિકના અસ્વીકારથી આ બુનિયાદી મુદ્દે પડને પાછું ગાજતું ને જાગતું કર્યું તે માટે તેઓ અભિનંદનના અધિકારી છે. છેલ્લા મહિનામાં સરકાદમીની સલાહકાર સમિતિ પરથી ધીરુબહેન પટેલ અને કુમારપાળ દેસાઈ ખસ્યાં તેમ જ કારોબારીમાંથી રાજેન્દ્ર પટેલ, જનક નાયક અને નીતિન વડગામા પણ ખસી ગયા, તેમાં એક અવૈધ સરકાદમીને કથિત સાહિત્યપ્રીત્યર્થ જાણેઅજાણે અપાયેલ સ્વીકૃતિ અને વૈધતા (લેજિટિમસી)ના દોષનું કંઈક વારણ જરૂર હશે. પણ હજુ સ્વાયત્તતાની લડાઈ બાકી છે.

આ સંજોગોમાં પોતાના અસ્વીકૃતિપત્રમાં હર્ષ બ્રહ્મભટ્ટે એ વિગત ઠીક સંભારી આપી છે કે સાહિત્ય પરિષદના ટ્રસ્ટી હોવાને નાતે તેઓ પરિષદના સૈદ્ધાંતિક નિર્ણયથી બંધાયેલા છે કે બિનસ્વાયત્ત સાહિત્ય અકાદમી દ્વારા અપાતાં કોઈ પારિતોષિક વગેરેનો સ્વીકાર નહીં કરવામાં આવે. અલબત્ત, તેમણે એ સાથે ભારપૂર્વક ઉમેર્યુ છે કે અન્યથા પણ એક સાહિત્યકાર તરીકે, અકાદમીની સ્વાયત્તતાને સર્વોપરી માનનાર તરીકે, બિનસ્વાયત્ત અકાદમીના ઍવોર્ડ કે પારિતોષિક આદિ સ્વીકારી શકાય નહીં. હાલ છત્રી પ્રમુખ અને સરકાદમીનો મામલો અદાલતમાં વિચારાધીન છે એની પણ એમણે ઉચિતપણે યાદ આપી છે.

અદાલતગ્રસ્ત અકાદમીએ અણશોભીતી રીતે જે આડેધડ નિર્ણયો લીધા છે – ‘સાહિત્યરત્ન’ જેનો ઊંટની પીઠ પરના તણખલા જેવો છેલ્લો દાખલો છે – એ પણ તપાસ અને બહસ માગી લે છે. રત્ન વિષયક ધારાધોરણ તેમ જ ઉચ્ચસ્તરીય નિર્ણાયક સમિતિ, કશું જાહેર જાણમાં નથી. હું આ બધું લખી રહ્યો છું ત્યારે,

ગુજરાત વિધાનસભા હજુ ચાલુ છે. ગતાંકમાં, ધીરુબહેન અને કુમારપાળના રોકડાં રાજીનામાંની જિકર કરવાનું બન્યું ત્યારે પણ ગૃહ ચાલુ હતું એવો ખ્યાલ છે. જે એક વાતે મનમાં ખટકો રહે છે (જેમ પરિષદના હોદ્દેદારોએ સરકાદમીથી કિનારો કરતાં કરેલ વિલંબનો ખટકો રહે છે) તે એ છે કે અકાદમીની સ્વાયત્તતા કાગળ પર રાખી વહેવારમાં નામશેષ કરાઈ અને વરસ પર તો અંજીરપાંદ પણ ફગાવી દઈને મનસ્વી નિમણૂકશાહી ચલાવાઈ, ગુજરાતના સર્વસાધારણ સાહિત્યરસિક વર્ગે પરિષદ પ્રમુખની ચૂંટણીમાં સ્વાયત્તતાવિરોધી પરિબળોને સરકારી કોશિશ છતાં ‘રૂક જાવ’ ફરમાવવાપણું જોયું – આ આખા સમયગાળામાં રાજ્યમાં એકે વિધાનસભ્યને સહજપણે એટલુંયે ન સૂઝ્યું કે ગૃહમાં આ સંદર્ભે ઘટતો મુદ્દો ઉપસ્થિત કરીએ.

રાજકારણી ચેતાકોશમાં સાહિત્યસંસ્થાની સ્વાયત્તતા એ કદાચ કોઈ પ્રસ્તુત મુદ્દો જ નથી કે શું : આ વિચાર આવે ત્યારે આપણા એકંદર રાજકીય અગ્રવર્ગની સંસ્કારસમજ વિશે સવાલો ઉઠે છે. દિલ્હીની અકાદેમીના અધ્યક્ષપદે ક્યારેક જવાહરલાલ નેહરુ હતા અને ‘ઝિવાગો’ના સર્જક પાસ્તરનાક સાથે સોવિયેત દુર્વર્તાવ વિશે આ અકાદેમી સવાલ ઉઠાવી શકતી, એ બધું જ શું હવે વીતેલાં વરસોની વાત ખાતે ખતવવાનું છે.

૧ મે ૨૦૧૫ના રોજ પુસ્તક મેળા ખાતે સરકાદમી સબબ લેખકોની વિરોધસહી ઉઘરાવવાનું શરૂ થયું ત્યારે અહીં કહેવાનું બન્યું હતું કે રાજ્યના સ્થાપના દિવસે આવી સહી ઝુંબેશનો આરંભ થાય તે સરકાર માટે કંઈ નહીં તો પણ ઠપકાની દરખાસ્ત તો છે જ. હવે, નવા વરસે આ ચળવળે ઓર કાઠું કાઢવું રહેશે જેથી ઠપકાની દરખાસ્ત એક કાપ દરખાસ્ત(કટ મોશન)નું કૌવત દાખવી શકે.

સુજ્ઞ વાચકને અલબત્ત ખબર જ હોય કે કાપ દરખાસ્ત પછી સરકારે જવું પડે છે – આ કિસ્સામાં અલબત્ત સરકાદમીએ જવું જોઈશે. ખરું જોતાં, ઠીકઠીક રાજીનામાં પછી જે બચીખૂચી અકાદમી છે એણે પોતે જ ખસી જઈને લોકશાહી પ્રક્રિયાનો પથ પ્રશસ્ત કરવો જોઈએ.           

લખ્યા તા. ૨૯ માર્ચ, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 20

Loading

એક જ ડાળનાં પંખી અમે સહુ

આશા બૂચ|Opinion - Opinion|5 April 2016

આજકાલ જ્યાં જુઓ ત્યાં આંતરવિગ્રહની હોળી ખેલાઈ રહી છે. જો કે આમ તો માનવ ઇતિહાસ લોહિયાળ વિગ્રહો, યુદ્ધો અને ક્રાંતિઓથી ભરપૂર છે. દુ:ખની વાત એ છે કે આપણે આપણા વડવાઓના અનુભવો અને પોતાની ભૂલો પરથી કશું શીખતા નથી, અને એની એ જ ભૂલો ફરી ફરી કરીએ છીએ. આમ જુઓ તો પૃથ્વી એક વૃક્ષ સમાન છે અને આપણે બધા તેની ડાળ પરનાં પંખી છીએ. પક્ષીઓની કેટકેટલી જાત હોય છે? તેઓ પરસ્પર કોઈ લડે છે? જળચર, ભૂચર અને માનવ જાતમાં પણ કેટકેટલી વિવિધતા? જો એ સારું ન હોત તો કુદરત એટલી વિવિધ રચના કરે છે જ શા માટે?

દુનિયાની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ તમામ દિશાઓ કોઈ ને કોઈ કારણસર વિધ્વંસક સંઘર્ષમાં ખતમ થતી ભાસે છે. કોઈ સમૂહને પોતાના ધર્મના સિદ્ધાંતો આધારિત રાજ્ય રચવું છે, કોઈ દેશની પ્રજાને લોકશાહી મૂલ્યોવાળી શાસન રચના પોતાના દેશમાં હોય તેવા ઓરતા છે, કોઈ આપખુદને પોતાની સત્તા યાવદચંદ્રદિવાકરૌ ટકી રહે તે માટે જનતાના હિતને કચડી મારીને શાસન કરવાની ભૂખ જાગી છે, તો વળી કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષી માથા ફરેલ સત્તાધારીઓ ‘શુદ્ધ લોહી’ ધરાવતી જાતિવાળા રાષ્ટ્રના નિર્માણ કરવાની પોતાની મહેચ્છા પૂરી કરવા અન્ય ધર્મીઓની સામૂહિક હત્યા કરવાનો માર્ગ લે છે. હવે પ્રશ્ન એ ઊઠે કે ‘શુદ્ધ લોહી’ કોનું ગણાય, જે ધર્મ કે જાતિના ભેદ આધારિત અન્યનો જાન લે તે? પ્રજા હોય કે સત્તાધારી બંને પક્ષે વાણી પ્રહારનો ઉપયોગ કરવાને બદલે શસ્ત્ર પ્રહારનો પ્રચૂર ઉપયોગ થવાથી માનવ જાતનું સમૂળું અસ્તિત્વ ભયમાં આવી પડ્યું લાગે છે. જાણે કેમ માનવ માત્રને કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ, પોતાની માગણીઓને સંતોષવાનો માર્ગ કે અધિકાર મેળવવાનો એક માત્ર રસ્તો શસ્ત્રો છે અને એ સિવાય કશા માર્ગ છે તેની તેને જાણ જ ન હોય તેમ લાગે છે. તો પછી હજારો વર્ષથી અનેક આધ્યાત્મિક વિભૂતિઓ, સમાજ સુધારકો અને સ્વાતંત્ર્ય વીરો કે જેમણે અનેક પરિસ્થિતિઓનો શાંતિમય ઉકેલ અહિંસક માર્ગે લાવીને પ્રજાના અધિકારો મેળવી આપ્યા છે તેમની મહેનત શું પાણીમાં ગઈ?

સદીઓનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે પોતે જે ધર્મમાં માને છે એ ધર્મની ધજા હેઠળ તેને અનુસરનારની સંખ્યા વધે તેમાં જ તેની સુરક્ષા માનનારાઓએ ધર્મ પરિવર્તન કર્યાં, મિશનરી સેવા પૂરી પાડી અને ડર-ધમકી અને લાલચ આપી પરાણે વટાળ પ્રવૃત્તિ પણ હાથ ધરી. અરે, એક જ ધર્મના અનુયાયીઓ તેના બે વાડાઓના અનુયાયીઓને સહન ન કરી શક્યાને પરિણામે એકબીજાના મઠ, સાધુ-સંતો અને ધર્મસ્થાનોનો નાશ કરતા હતા અને હજુ કરે છે. તો પછી અન્ય ધર્મના લોકોને રંજાડે તેમાં શી નવાઈ? આપણે હવે સમજવું જોઈએ કે દરેક દેશને એક ભૌગોલિક સીમા હોય છે, જેમાં ભાષા, ધર્મ, સંસ્કૃિત, પોષાક અને ખોરાકની વિવિધતા હોવાની જ છે, તો એમાં વાંધો શું? એક વૃક્ષનાં પાન અલગ અલગ હોય છે, તે શું ઝઘડે છે? માનવને મળેલ બુદ્ધિશક્તિનો આવો દુરુપયોગ શાને? વળી વફાદારી પોતાના દેશ પ્રત્યે, ધર્મ પ્રત્યે અને સમાજ એમ બધા માટે જરૂરી છે પણ તે એક બીજાની વિરોધી ન હોવી ઘટે. પોતાનો ધર્મ દરેકને મન શ્રેષ્ઠ લાગે. કોઈને પોતાના ધર્મના સિદ્ધાંતોને આધારે રાજ્ય સ્થાપવું હોય તો તેમ કરે, પણ તે શું બીજા ધર્મના અનુયાયીઓને મારીને કરી શકાય? જીસસ, બુદ્ધ, મહાવીરે એમ કરેલું? મરેલા લોક પર રાજ્ય કેમ થાય? ચક્રવર્તી બનવાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા જીતેલી લડાઈઓના અંતે થયેલ સંહારને જોઈને રાજા અશોકને હિંસાની નિરર્થકતા વિષે જ્ઞાન લાધ્યું તો આપણે તેનો આધાર લઈ સામ્રાજ્ય વિસ્તારની ઘેલછા અને તે પણ સશસ્ત્ર હુમલાઓ દ્વારા સિદ્ધ કરવાની વૃત્તિમાં ફસાતા અટકી જઈએ.

હાલમાં પૂર્વના અને પશ્ચિમના ઘણા દેશોમાં તેના નાગરિકો પોતાના દેશ માટે વફાદારી દાખવે છે કે પોતાના ધર્મ પ્રત્યે એ વિષે ઘણી ચર્ચાઓ થાય છે અને જેમના વલણો ધર્મને નામે ચાલતી હિંસક પ્રવૃત્તિઓ તરફ વધુ ઢળ્યાં છે તેમને નાગરિક તરીકે તેઓ કેટલા વફાદાર છે તે વિષે સાશંક જોવામાં આવે તે સ્વાભાવિક છે. તેના અનુસંધાને હાલમાં ભારતમાં કેટલાક દેશપ્રેમ દર્શાવતા સૂત્રો પોકારવા કે રાષ્ટ્રભક્તિનાં ગીતો ગાવાની ફરજ પાડવાનો નવો સિલસિલો શરુ થયો છે. એવી માગણી કરનારાઓએ જે તે પ્રસંગની ઉપયુક્તતા વિષે અને તે વ્યક્તિના સમાજમાં માન અને સ્થાન વિષે વિવેક દાખવવો રહ્યો. તો સામે પક્ષે એક વાતે ધ્યાન દોરવાનું મન થાય. મૂર્તિ પૂજામાં માનવું કે ન માનવું તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને શ્રદ્ધાનો વિષય છે. એક જ ધર્મના અનુયાયીઓ આ માન્યતાના બે છેડે જોવા મળશે. પરંતુ જે ધર્મ મૂર્તિને સદંતર નિષિદ્ધ ગણે છે તેમણે વિચારવું રહ્યું કે ધરતીને અને દેશને યા તો માતૃભૂમિને કેટલાક લોકો માતાની ઉપમા આપે છે કેમ કે ધરતી આપણને માતાની જેમ ધારે છે, પોષે છે, તેના પ્રત્યે ભૂલ કરીએ તો પણ ક્ષમા આપી સ્વીકારે છે; તે કદી આપણને તરછોડે નહીં. તો એ વિભાવનામાં શું ખોટું છે? હા, તેની રંગબેરંગી વેશભૂષા વાળી મૂર્તિની જરૂર નહીં, પણ કોઈ બનાવે અને પૂજે તો બીજાને શો વાંધો? આખર દુનિયામાં જે કંઈ દ્રશ્યમાન છે તે તેની એક યા બીજા પ્રકારની તસ્વીરને કારણે છે. આપણી પોતાની માતા એક તસ્વીર છે, તો ધરતી કે દેશને એવું માન આપવામાં કોઈ અપરાધ ખરો? આપણા પિતા આપણા પાલક, પોષક અને રક્ષણ કર્તા છે અને તેમની પણ એક તસ્વીર છે, તો સૂર્ય જેવા અજોડ શક્તિના સ્રોતને પિતા સમાન ગણી તેની તસ્વીર કેટલાક લોકો ન બનાવે પણ બીજા કોઈ બનાવે તેમાં આપણી માન્યતાને કોઈ ઠેસ નહીં પહોંચે. કોઈ પણ ધર્મ કે વિચારધારા એવી નાજુક કેમ હોય જે પોતાનાથી અલગ એવી માન્યતાઓથી ડરી જાય, ભડકી જાય? અને તે પણ એટલી હદે કે તે અન્યોને મૂલ્યવાન લાગતાં અને તેમની સંસ્કૃિતના ધરોહર સમાં પ્રતીકોનો નાશ કરવા પ્રેરે?

અહીં મુદ્દો છે અર્થઘટનનો. અમે, એટલે કે હું અને મારા કુટુંબીજનો અને સરખા વિચાર ધરાવનારા મિત્રો જ્યારે બીજા ધર્મ સ્થાનોમાં જઈએ, તેના નશીદ, હિમ્સ, શબદ કે ભજનો સાંભળીએ ત્યારે તેનો અર્થ અને મર્મ જાણીએ એટલે પોતાના ગીતો સાથે સામ્ય લાગે જેથી તે વિષે વિરોધ કે અણગમો ન થાય. રોમના સેન્ટ પીટર્સના પવિત્ર જળમાંથી અંજલી લઈ મારા પુત્રો ગાયત્રી મંત્ર બોલ્યા અને અમે તાજ મહેલના પગથીએ બેસી, યમુનાને કાંઠે દેખાતા લાલ કિલ્લા તરફ થતા સુર્યાસ્તને જોતાં જોતાં ઇશાવાસ્યમ પ્રાર્થનાનું ગાન કર્યું તો નથી અમે અમારો ધર્મ ગુમાવ્યો, ન અમે ‘અપવિત્ર’ થઈ ગયાં કે ન અમે કોઈ પાપ કે ગુનો કર્યાની લાગણી થઈ. એટલું જ નહીં એ પવિત્ર સ્થાનોની ધાર્મિક પ્રતિભા કે મહત્ત્વને જરા પણ ઝાંખપ ન આવી એટલું જ નહીં પણ તેનાથી સાબિત થયું કે એ ઈમારત કે જે તે ધર્મના મૂળ રચયિતાઓ આવી ચેષ્ટાઓને સહર્ષ સ્વીકારી લે છે. તેને જ ખુલ્લા મનના વિચાર ધરાવનારા અને અન્ય ધર્મના અસ્તિત્વ, જુદી માન્યતાઓ, અલગ શ્રદ્ધા ધરાવનારાઓ માટેની સહિષ્ણુતા કહેવાય. દરેક ધર્મના ઉપદેશમાં ‘ભગવાન એક છે અને તેના સિવાય અન્ય કોઈ પર શ્રદ્ધા ન રાખો’ તેમ એક યા બીજી ભાષામાં અને અલગ અલગ શબ્દોમાં કહેવામાં આવ્યું છે. તેનો અર્થ મારા જેવા એવો કરે કે આ સૃષ્ટિને રચનાર માત્ર એક શક્તિ છે, માટે માત્ર તેના પર વિશ્વાસ રાખો, તેનું શરણું સ્વીકારો અને જે નાશવંત છે, સર્વશક્તિમાન નથી તેવા માનવોને શરણે જઈને તેમનું પૂજન ન કરો. એ વિધાનોનો અર્થ લગીરે એવો નથી જ કે સર્વશક્તિમાનને કોઈ જુદા સ્વરૂપે ઓળખે અને પુકારે તો તે પાપી છે, આ દુનિયામાં જીવવા લાયક નથી તેથી તેમને કાં તમારી માન્યતા અનુસરવાની ફરજ પાડો, કાં જાનથી ખત્મ કરી દો. એવું અર્થઘટન માત્ર અને માત્ર એ વિધાનને તેના સાચા અર્થમાં ન સમજનારાઓ જ કરે અને કમનસીબે એવી અધકચરી સમજણવાળી પ્રજા વધતી જતી જણાય છે અને હાથમાં વિનાશક શસ્ત્ર લઈ બીજા શાંતિપ્રિય લોકોને ડરાવે છે. તેમાં કેટલાક શસ્ત્ર ન ઉગામનારા પણ વાણી અને વર્તનથી ઝેર ફેલાવનારાઓનો પણ સમાવેશ થાય છે.

આ દુનિયામાં કેટલાક દેશો પોતાના દેશને ક્રિશ્ચિયન દેશ તરીકે તો કેટલાક પોતાને મુસ્લિમ દેશ તરીકે ઓળખાવે છે, જ્યારે અન્ય દેશો પોતાના દેશની ઓળખ ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે રહે તેવું ઈચ્છે છે. એક એવો પ્રશ્ન ચર્ચાય છે કે ધર્મ આધારિત દેશની રચના હોવી એ તેના નાગરિકોના ભલામાં છે કે બિન સાંપ્રદાયિકતા સારી? ઇતિહાસ પર નજર નાખતાં અહેસાસ થશે કે ધર્મને નામે રચાયેલ કોઈ દેશ કે સમૂહમાં સુલેહ-સંપ નથી રહ્યાં. પિલગ્રિમ્સ ફાધર્સનું સામૂહિક સ્થળાંતર, ધર્મને આધારે પારસી કોમનું સ્થળાંતર, કોઈ એક ધર્મને આધારે એક રાષ્ટ્ર રચવાની મહેચ્છાને કારણે થયેલ મહા હત્યાકાંડ વગેરે ઘટનાઓ શીખવે છે કે આ દુનિયામાં એકે એક દેશમાં અનેક ધર્મ, સંસ્કૃિતઓ, ભાષાઓ, રીત-રિવાજો અનુસરતી જાતિઓ અને વિવિધ રંગના લોકો રહેતા હતા, રહે છે અને રહેશે, – એ સ્વીકારો, તેમને સમજો, આદર આપો અને સહઅસ્તિત્વની ભાવના કેળવો. કોઈ એક દેશમાં વિધવિધ મૂળના, રંગ અને જાતિના લોકો રહેતા હશે જેઓ જુદા જુદા ધર્મને અનુસરે. હવે એ દેશની રાજ્ય પદ્ધતિ લોકશાહી હોય, સામ્યવાદી હોય કે આપખુદી શાસન વ્યવસ્થા હોય, ત્યાં શ્વેત રંગનો માણસ તે શ્વેત રંગો જ ગણાશે અને ક્રિશ્ચિયન દરેક શાસન વ્યવસ્થામાં ક્રિશ્ચિયન આસ્થા ધરાવનારો જ રહેશે. આટલી સીધી સાદી વાત ન સમજી શકીએ તેટલા અબુધ ક્યારથી થયા આપણે?

વસંત ઋતુમાં જેમ પાન અને ફૂલોને નવી કુંપળો ફૂટી નીકળે તેમ ઠેકઠેકાણે કોઈને કોઈ બહાને વિગ્રહો અને સંઘર્ષો ફાટી નીકળે છે. કોઈ પણ કારણસર વિગ્રહ થાય, સહુથી વધુ જાનહાનિ પુરુષોની થાય અને સહુથી વધુ ત્રાસ બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ અને કંઈક અંશે યુવાનો પર વીતે છે. જીવની સલામતી ખાતર સ્થળાંતર કરીને વિસ્થાપિત થતા સમૂહોની હાલત દયાજનક હોય છે. તેઓ ન તો પોતાના દેશના રહે અને પારકા દેશમાં દયાના ટુકડા પર જીવવું, આજીવિકા મેળવવા ફાંફાં મારવાં અને પેઢીઓ સુધી દ્વિતીય વર્ગની પ્રજા તરીકે જીવવું એ તેમની અસ્મિતાને ભારે જોખમમાં મૂકનારી સ્થિતિ હોય છે. તેમાંથી ઉગરવા પેઢીઓની પેઢીઓ સુધી મથવું પડે. તેમ પોતાની મહત્ત્વાકાંક્ષાઓ અને વિચારધારાઓને સાકાર કરવા કેટલાક આતંકવાદીઓ કેવા કેવા દુષ્કૃત્યો આચરે છે? પોતાની માગણીઓનો સ્વીકાર ન થાય તો ગુસ્સામાં કોઈ કાર બાળી મુકો તે ઠીક, પણ પુસ્તકાલયો, વિશ્વવિદ્યાલયો, શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ અને જાહેર ઈમારતોનો નાશ કરવાનું કહેતી હોય એવી કોઈ સંસ્કૃિત છે ખરી? કયો ધર્મ એવો છે જે માનવીની અમૂલ્ય થાપણ સમાં સાંસ્કૃિતક ધામોનો વિનાશ કરવાનું કહે? એમ કરનાર લોકો કયો ધર્મ ફેલાવવા માગે છે? કઈ સંસ્કૃિતનું નિર્માણ કરવા માગે છે? કોણ એ પગલે ચાલશે? જો ધર્મને આધારે સ્થપાયેલ આપખુદ શાસન હેઠળના દેશોમાં માનવ અધિકારોની જાળવણી થતી હોત અને સંપ સુલેહનું રાજ્ય હોત તો અત્યારે ધર્મ નિરપેક્ષ દેશોમાં અને જ્યાં લોકશાહી શાસન છે તેવા દેશોમાં આશ્રય શોધવા લાખો માણસો વલખાં ન મારતાં હોત.

ભારત સ્વતંત્ર થયું ત્યારે જ એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે પોતાની આગવી પ્રતિભા ઊભી કરી શક્યું એ એક અનોખી સિદ્ધિ છે. આજે જાણે એ અસ્મિતા ભૂલથી ઊભી થઈ ગઈ હોય અને એ ભૂલને સુધારવી હોય તેમ તેને ધર્મ આધારિત દેશ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જે અત્યંત દુ:ખદ, ટૂંકી બુદ્ધિની અને વાહિયાત ચેષ્ટા છે. પોતાના દેશમાં રહેનાર અન્ય ધર્મની પ્રજાને ‘તમે અમારાથી અલગ છો, તમારા દેશમાં જતા રહો’, એવો વ્યવહાર કરવાથી પરસ્પર વૈમનસ્ય વધશે, જુદાઈ પાંગરશે અને ક્યાંયના નહીં રહીએ, એટલું નક્કી. એક ઘર બાંધવા કડિયો, સુથાર, ચૂનો દેનાર, રંગ કરનાર, વીજળીનાં જોડાણ કરનાર એમ અનેક કારીગરોની જરૂર પડે તેમ સમાજને રચવા, ટકાવવા અને વિકસાવવા હજારો પ્રકારના કુશળ કારીગરો અને નિષ્ણાતોની જરૂર પડે, પછી ભલે તેઓ કંઠી બાંધે, ક્રોસ લટકાવે, માળા પહેરે, પાઘડી બાંધે કે માથે ઓઢે. આટલું ભારતવાસીઓ અને અન્ય દેશના લોકો પણ કેમ નથી સમજતા? આપણને આ હકીકત કોણ સમજાવશે? પૂર્વજોનાં ડહાપણ પરથી આપણે ઘણું શીખીએ પણ તેમની ભૂલોને ન અનુસરીએ. આજના પુખ્ત વયના લોકો આ વાત ન સમજે તો શું એનાં છોકરાં એને પાઠ ભણાવશે કે પછી પોતાના માતા-પિતા પાસેથી અવળા માર્ગે જવાનું જ શીખશે? જેમ આપણે કર્યું તેમ? છેલ્લા કેટલાક શતકોથી ચાલતી આવેલી લડાઈઓ અને સંઘર્ષો વિષે તપાસ કરતાં માલુમ પડશે કે મોટા ભાગના ભાગ લેનારાઓ ઓછું શિક્ષણ મેળવેલા કે બેકાર હશે. બે પાંચ હજાર કે પાંચસો-સાતસો વર્ષ પહેલાં બનેલી કોઈ ઐતિહાસિક ઘટના કે જેના કોઈ દસ્તાવેજી પુરાવા પણ ન હોય તેને વેર વાળવાનું બહાનું ગણીને સામૂહિક હત્યા કરનાર લોકો પાક્યા છે. ભગવાને એક ધર્મના અનુયાયીઓને એક ભૂમિ ભાગ આપવાનું વચન હજારો વર્ષ પહેલાં આપેલું હતું તે યાદ કરીને હાલમાં ત્યાં વસતા નાગરિકોની જમીન પચાવી પાડી તેમને વિસ્થાપિત કરવા કે તેમનો સદંતર નાશ કરવો એ કેવી વાત છે? ભૂતકાળમાં થયેલ લડાઈઓ કે વર્તમાનમાં ચાલતા સંઘર્ષોના મૂળમાં નજર નાખતા દેખાશે કે જ્યારે તમે કોઈ એક સમૂહના લોકોને મૂળભૂત માનવીય જરૂરિયાતોથી વંચિત કરી દો, તેમને ગામ, શહેર કે દેશથી અલગ રાખો અને પાણી, ખોરાક, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી સેવાઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરો કે તરત જુદાઈ, એકબીજા પ્રત્યે અજાણપણું, નફરત, તિરસ્કાર અને દુશ્મનાવટની લાગણી ફેલાશે જે હિંસાને જન્મ આપશે.

શિક્ષિત અને જાગૃત નાગરિકો માટે એક મૂંઝવણ એ છે કે તેઓ આ પરિસ્થિતિના મૂક પ્રેક્ષક કે શ્રોતા બનીને બેસી રહેવા નથી માગતા. તેમને શોષિત અને પીડિત લોકો માટે અનુકંપા જાગે છે તેથી બહુ બહુ તો સરકારી પગલાંનો વિરોધ કરે અને વિસ્થાપિત થયેલ લાખો લોકો માટે થોડી નાણાકીય સહાય આપી પુણ્ય કર્યાનો સંતોષ માનીને બેસી જાય છે. દુનિયાભરમાં શાંતિ જાળવવાનું કામ જે તે દેશની સરકારનું છે અને બહુ બહુ તો યુ.એન. જેવાં આંતરરાષ્ટ્રીય સંગઠનોનું છે, એમાં સામાન્ય નાગરિકનો અવાજ કોણ સાંભળે એમ તેઓ માને છે. વિયેતનામ, રૂવાંડા અને બોસ્નિયામાં સામૂહિક હત્યાકાંડ થયા ત્યારે યુ.એન.ના સભ્ય દેશો ક્યાં હતા અને શું કર્યું તે જાણીએ છીએ. જરા જાતને પૂછી જોઈએ, જ્યારે ક્યારે પણ કોઈ ધર્મ પર સંકટ આવે છે તો કોઈ સરકાર તેને ઉગારે છે કે જે તે ધર્મના ગુરુઓ અને અનુયાયીઓ? ગુલામી પ્રથા કઈ સરકારે દૂર કરી? દક્ષિણ આફ્રિકાની રંગભેદી નીતિ સામે સરકારે લડત આપી કે આફ્રિકન નેશનલ કોંગ્રેસે? ભારતની આઝાદીની ચળવળ કઈ સરકારના પ્રતાપે લડાઈ? ક્રાંતિ અને સુધારણા માત્ર લોકશક્તિથી જ આવે છે. સરકારો તો માત્ર આપખુદ, સમાજવાદી, સામ્યવાદી કે લશ્કરી શાસન આપે છે, પોતાના દેશની સીમાઓની રક્ષા કરે છે અને સત્તા પર બેઠેલાઓના અને તેમના મળતિયાઓના હિતમાં આર્થિક વિકાસ કરીને જનતાને આડકતરો લાભ ચાલુ રહે તે જુએ છે. તો બાકીનાં બધાં કામ મારા તમારા જેવા નાગરિકોના હાથમાં છે.

આથી જ તો સારી્ ય માનવ જાત એક જ ડાળ પર રહેતાં પંખી જેવી છે એ સમજીએ. એ ગીતમાં ગવાયું છે તેમ સુખ અને દુઃખમાં સાથે જ રહીએ, લડીએ, વઢીએ અને કદી જુદાં પણ પડીએ, તોયે નિરંતર સંપીને સાથે રહીએ એ જ એક માર્ગ છે. એકલે હાથે કશું સિદ્ધ ન થાય, માટે ‘સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થાક જાયેગા મિલકર બોજ ઉઠાના’ એ આહ્વાન ઝીલી લઈને સહુ સહિયારો પ્રયાસ કરીએ।

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,6413,6423,6433,644...3,6503,6603,670...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved