Opinion Magazine
Number of visits: 9690954
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બત્રીસે કોઠે દીવા

પૂર્ણિમાબહેન પકવાસા|Opinion - Opinion|12 May 2016

મારા બચપણના સમયમાં એવી ઘટનાઓ ઘટિત થઈ કે જેને લઈને અમો બાળકોમાં સ્વગૌરવ, ખુમારી, નિર્ભયતા અને સ્વરક્ષણની ભાવના પેદા થઈ, તેમ જ જીવનલક્ષ્ય પ્રતિ અભિમુખ બનાવામાં પણ મદદ થઈ.

અમારું મૂળ વતન સૌરાષ્ટ્રનું લીમડી ગામ. તે દેશી રાજ્ય હતું. અને દોલતસિંહ બાપુ ત્યાંના રાજા હતા. મારા કાકા અમૃતલાલ શેઠ જેમને અમો બાળકો ‘જીકાકા’ કહીને બોલાવતા. મારા પિતાશ્રી વ્રજલાલ શેઠને સૌ ‘મોટાભાઈ’ કહીને સંબોધતાં. જીકાકા રાજ્યના ન્યાયાધીશ હતા અને પિતાશ્રી શાળામાં શિક્ષક હતા.

તે વખતના સંકુચિત જમાનામાં પણ મારા પિતાશ્રી અને કાકાશ્રી નાતજાતના ભેદભાવોથી પર હતા. એક વાર રાજાના જમણા હાથ જેવા શ્રીમંત શેઠિયાએ એક ગરીબ હરિજનને અન્યાય કરીને જુલમ ગુજાર્યો. કોર્ટમાં ફરિયાદ થઈ, કેસ ચાલ્યો, શેઠિયાને દંડ થયો. તેણે રાજા પાસે ઘા નાખી. રાજાએ જીકાકાને બોલાવીને ધમકાવ્યા. જીકાકાએ જુસ્સાપૂર્વક જવાબ આપ્યો કે ‘આપે જે ન્યાયના આસને મને બેસાડ્યો છે, તે સ્થાન પરથી મારે સાચો ન્યાય જ તોળવો પડે. શેઠ ગુનેગાર હતા તે સાબિત થયું. તેને સજા ન કરું તો હું ગુનેગાર ઠરું.’ આ સાંભળ્યા છતાં બાપુએ કડકપણે કહેવાનું ચાલુ જ રાખતાં જીકાકાએ દૃઢપણે કહ્યું કે ‘બાપુ, સાંભળી લ્યો, કે એક વાર આપનાથી પણ આવું કૃત્ય થઈ જાય તો આપને પણ સજા ફટકારવામાં પાછી નહીં કરું. સાચો ન્યાયાધીશ તાળોવંચો ન કરી શકે.’…

મારા જીકાકા રાજાશાહીની આવી ગુલામી સહન કરી શકે તેમ નહોતા, એટલે જ્યાં સ્વતંત્રાપૂર્વક જીવી શકાય અને નિર્ભયતાપૂર્વક વિચારો રજૂ કરી શકાય તેવે સ્થાને વસવાટ કરવા વિચાર્યું. એક મધ્યરાત્રિએ બાપદાદાના ઘરને અને ગામને અમારા પરિવારે છોડ્યું. રાણપુર ગામે ઍજન્સીની સરહદમાં મુકામ કર્યો. મિત્રોની મદદ અને હૂંફથી દેશી રાજ્યની પ્રજાની તકલીફોને વાચા આપવા ‘સૌરાષ્ટ્ર’ નામે અખબાર શરૂ કર્યું.

આ અખબારમાં આવતી સત્ય હકીકતોથી રાજાઓ ઘણા નારાજ થયા. અમારા ઉપર જાસાચિઠ્ઠીઓ, ખૂનની ધમકીઓ તથા અપહરણની કોશિશો થઈ.

આવા કપરા સમયમાં અમારા શીલસન્માનની રક્ષા માટે અમોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી. જે થકી અમારામાં નિર્ભયતા અને પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત તથા સત્યાગ્રહની ભાવના જાગ્રત થઈ.

આ પહેલાં ગાંધીબાપુ અમારે ત્યાં મહેમાન બનેલા, અને ત્રણ દિવસ અમારી સાથે રહેલા. એમની આ મુલાકાતે અમો સૌમાં દેશપ્રેમની ભાવના, ખાદી પહેરવાની પ્રતિજ્ઞા અને દેશ માટે કશું કરી છૂટવાની તમન્ના સબળ બની. બાપુનું સરળ અને નિખાલસ સ્મિત, અને તેઓ ખડખડાટ હસી પડતા તે દૃશ્યની મારા પર ઊંડી અસર પડેલી.

ગાંધીજીના સત્યાગ્રહસંગ્રામમાં અમારા પૂરા પરિવારે ભાગ લીધો હતો. …

સ્વરક્ષણની તાલીમ લીધી હતી એટલે એક નાનકડી કટાર કમ્મરમાં ભરવી રાખતી હતી. અમો બરવાળા છાવણીમાં હતાં. છાવણીના નેતાને કટારવાળી વાતની જાણ થઈ એટલે તેમણે વિરોધ જાહેર કરીને બાપુને ફરિયાદ કરવાની ધમકી આપી. તે વખતે બાપુ રાજકોટ પોતાના મોટાભાઈની બીમારી અંગે આવ્યા હતા. હું સીધી તેમની પાસે પહોંચી ગઈ. તેમને ચરણે કટાર ધરીને પ્રશ્ન પૂછ્યો કે ‘અમારા શીલસન્માનની રક્ષા માટે આવું સાધન રાખીએ તેમાં શું ખોટું છે?’ બાપુએ મારા વાંસામાં શાબાશીના ધબ્બા માર્યા અને કહ્યું કે ‘આવી સ્વરક્ષણની કળા તું સમાજની અન્ય બહેનોને પણ શીખવે તો મને બહુ આનંદ થાય. અને તો તને મારી ખરી દીકરી સમજું.’ વાહ વાહ, આ તો મઝાની વાત થઈ! બાપુની દીકરી થવાનું કોને ન ગમે? તેઓનો આવો પ્રેમાળ આદેશ મારું જીવનલક્ષ્ય બની ગયો. …

તે પછી સત્યાગ્રહ દરમિયાન અમો બેઉ બહેનો પકડાયાં, કેસ ચાલ્યો, સજા પડી અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લઉ જવામાં આવ્યાં. અહીં કસ્તૂરબા ગાંધી, મણિબહેન પટેલ, જેડી સિપાહીમલાણી આદિ નેતાબહેનોની હૂંફ મળી. બાને ઘણીવાર મળી હતી. પરંતુ નિકટનો પરિચય તો અહીં જ થયો. આવાં વત્સલ વડીલો અમારી સાથે હતાં એટલે જેલનું કષ્ટમય જીવન સહ્ય બન્યું હતું. ચુસ્ત વૈષ્ણવ બાની સેવાનો લાભ મળ્યો. …

કેટલાક મિત્રો પૂછે છે કે મુંબઈનાં સુખસગવડો છોડીને સાપુતારાનાં જંગલોમાં શું મઝા આવે છે ? મને લાગે છે કે આ બધું માનસિક વલણ પર આધારિત છે. ત્યાંનું પ્રદૂષણરહિત વાતાવરણ, નિસર્ગનું સાંનિધ્ય, અદ્‌ભુત શાંતિ, ત્યાંનાં પહાડો, ઝરણાં, ઝાડી, બગીચા, સુંદર ગુલાબો,  કિલ્લોલતાં પક્ષીઓ ને તે બધાંની સમૃદ્ધિ સાચી સમૃદ્ધિ લાગે છે. મુંબઈનાં અશાંત ધમાલિયા જીવન સાથે તેની તુલના જ ન થઈ શકે. સાપુતારાનું જંગલ મંગલમય લાગે છે. આ મારું મહાભાગ્ય લાગે છે કે પ્રભુએ આદિવાસી સમાજની સેવા સાથે આત્મસાધનાની તક પણ આપી. જાણે નવચેતન પ્રગટ થતું હોય તેમ લાગે છે. એકવાર બાપુએ કહેલું તેમ ‘આવાં કામ કરનારા અને તેમાં લીન થઈ જનારા કાર્યકરો સો વર્ષનું આયુષ્ય ભોગવે છે’ આ વિધાનને સાચું પાડવાની કોશિશ કરવાનું મન થાય છે.

જીવનની સાર્થકતા તો ત્યારે લાગશે કે જ્યારે આ પછાત ગણાતી કન્યાઓ સંસ્કારવંતી બનીને તેઓનાં ઘર ઉજાળશે. પછાત સમાજમાં ક્રાંતિનું નિર્માણ કરશે, નિરક્ષરતા, અજ્ઞાન, અંધકાર. અંધશ્રદ્ધા આદિ ભૂતકાળની વાતો બની જશે, ભદ્ર સમાજ અને પછાત સમાજ વચ્ચેની ખાઈ પુરાઈ જશે, અને માનવી હોવાને નાતે માનવીને મળતી સુખસગવડો અને અધિકારો ઉચિત રીતે ભોગવવાની તેઓમાં જાગૃતિ અને ક્ષમતા આવશે. અને ત્યારે?… ત્યારે મારા બત્રીસે કોઠે દીવા થઈ જશે.

(૧૦૩મે વર્ષે પૂર્ણિમાબહેનની ચીર વિદાય થતાં ઉષા ઉપાધ્યાય સંપાદિત ‘ગુજરાતી લેખિકાઓના પ્રતિનિધિ આત્મકથ્ય’માંથી. આ સંપાદન પાર્શ્વ પબ્લિકેશન દ્વારા સન 2006 દરમિયાન પ્રગટ થયું છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 19

Loading

ના.દે. વિશે પૌત્ર : દીવા તળે અંધારું?

સંજય શ્રીપાદ ભાવે|Gandhiana|12 May 2016

કદર અને નિસબત

ગાંધીકથાકાર નારાયણભાઈ દેસાઈના પૌત્ર અને ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’(અમદાવાદ)ના ચીફ કૉપી એડિટર સુકરાત દેસાઈએ તેમના દાદાનું લખેલું ચરિત્ર ‘ધ લાસ્ટ ઑફ ધ ગાંધીયન્સ’ (નોશન પ્રેસ, ચેન્નાઈ રૂ. ૨૩૦/-) તાજેતરમાં બહાર પડ્યું છે. ‘ઍન અન ઑથોરાઇઝ્‌ડ બાયોગ્રાફી ઑફ નારાયણ દેસાઈ’ એવું પેટાશીર્ષક ધરાવતા આ પુસ્તકને ઊતાવળે જોઈ ગયા પછી તેના વિશેનો પ્રાથમિક પ્રતિભાવ એવો કે એ રસપ્રદ, અસરકારક લેખનના અનેક ઝબકારાવાળું, વિવાદનો અવકાશ ધરાવતું પુસ્તક છે. આ પુસ્તકમાં સુકરાતનો સૂર, અને કેટલેક અંશે એ લખવા પાછળનો હેતુ, ‘દીવા તળે અંધારું’ એવી વ્યથા વ્યક્ત કરવાનો છે. સુકરાત નારાયણભાઈ સાથેના તેના સંબંધને ગાંધીજી અને હરિલાલ ગાંધી વચ્ચેના જાણીતા તણાવયુક્ત સંબંધની સાથે સરખાવે છે. લેખક શરૂઆતની નોંધમાં લખે છે :

એમની લોકપ્રિયતા આસમાનને અડે છે. અને હું એમનો પૌત્ર સુકરાત દેસાઈ અંધકારમાં ડૂબું છું … ગાંધીવાદી વારસાના બધાં સંતાનોને – નહેરુ પરિવારના સોનિયા અને રાહુલ, ગાંધી પરિવારના રાજમોહન અને તુષારને – રાજકારણી, લેખક કે બૌદ્ધિક તરીકેની કારકિર્દી ઊભી કરવા માટે વારસામાં એક પરફેક્ટ પ્લૅટફૉર્મ મળ્યું છે. પણ ગાંધીનો એક બદકિસ્મત બેટો હતાશામાં સરી ગયો. એ દારૂ પીએ છે અને વ્યભિચાર કરે છે. એ સાવ મામૂલી માણસ તરીકે એકલવાયી દશામાં મૃત્યુ પામે છે. ગાંધીજન એવા ઇતિહાસકાર ચંદુલાલ ભગુભાઈ દલાલે લખેલું હરિલાલનું જીવનચરિત્ર મેં વાંચ્યું. મારામાં પણ હરિલાલનાં લક્ષણો હતાં. નારાયણભાઈ ગાંધીને જીવી ગયા, ગાંધીની લઘુપ્રતિમા (મિનિએચર) બન્યા. એમની છાયામાં હું ઓઝપાઈ ગયો, અજાણતા જ હું હરિલાલની જેમ જીવવા લાગ્યો.

દાદાજીની અનેક મુલાકાતોમાંની પહેલી મુલાકાતને ટાંકીને સુકરાત લખે છે : નારાયણભાઈ ઉપરાંત મારે મારા વિશે લખવું છે – આજના જમાનાના હરિલાલ વિશે, એની આપઓળખની મથામણ (આઈડેન્ટિટી ક્રાઇસિસ), એની હતાશા, નારાયણભાઈ સાથેની એની લવ-હેઇટ રિલેશનશીપ વિશે લેખકના વ્યથાજનક અનુભવોનું વર્ણન ‘મેમરિ લેન્સ ઑફ વારણસી  એન્ડ જિનેસિસ ઑફ મૉડર્ન ડે હરિલાલ’ અને ‘ગાંધી = ત્યાગ, હરિલાલ = સ્વાર્થ’ પ્રકરણોમાં છે. સુકરાતે નારાયણભાઈના જન્મથી લઈને એકંદર જીવનકાર્યનું ગૌરવપ્રેરક  નિરુપણ પચીસેક પ્રકરણોમાં કર્યું છે. જેમાં આઝાદીની લડતના તબક્કા ઉપરાંત ભૂદાન, શાંતિસેના, નયી તાલીમ, બાંગ્લાદેશ, જયપ્રકાશ આંદોલન,સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, સાહિત્યસર્જન, આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ ઇત્યાદિનો સમાવેશ થાય છે. પુસ્તકની શરૂઆત ગોધરાકાંડને પગલે થયેલા હિંસાચાર અને તેના ઓસડ તરીકે નારાયણભાઈને સૂઝેલી ગાંધીકથાથી કરી છે. પુસ્તકમાંથી  ઝડપથી પસાર થતાં ય બે પ્રકરણો બિનજરૂરી જણાય છે. વ્યાવસાયિક અંગ્રેજી લેખનપ્રણાલીને અનુસરીને હકીકતોના બયાનમાં માત્ર ‘નારાયણ’ નામ જ વપરાયું છે, ‘ભાઈ’ એવો ઉપસર્ગ નથી. અભિવ્યક્તિ અનેક જ્ગ્યાએ અસરકારક તો ક્યારેક ખરબચડી પણ લાગે છે. સુકરાતમાં આક્રોશ છે, ક્યાંક અપશબ્દોય છે. પણ તેનાથી છળી ઊઠવાની જરૂર નથી. વેદનાને વાચા આપવામાં નારાયણભાઈની મૂર્તિ ખંડિત થાય છે એવું જણાય. પણ બધાએ મૂર્તિને જોયા કરવી કે પૂજવી એવું ય ક્યાં છે? નારાયણભાઈના ચાહકો-અભ્યાસીઓ આ મૂર્તિભંજકતા પરત્વે પ્રતિભાવ-બચાવ-પ્રતિક્રિયા આપે એમ થવું જોઈએ. સુકરાતનો આક્રોશ કેટલે અંશે સાચો અને ન્યાયોચિત (જેન્યુઇન ઍન્ડ જસ્ટિફાયેબલ) છે તેનું વિશ્લેષણ પણ થઈ શકે.

છેલ્લેથી બીજા પ્રકરણ ‘લાસ્ટ ડાયલૉગ્સ’ને અંતે સુકરાતે નારાયણભાઈને ટાંક્યા છે :

આપણે વારાણસીમાં પહેલી વાર મળ્યા ત્યારે મારા તરફની તારી નકારાત્મકતા તે બતાવી હતી. મને ખ્યાલ આવ્યો કે ગાંધીવાદી તરીકેના મારા અહમને કારણે કદાચ એ લાગણી ઊભી થઈ હોય. તારા આરોપ મુજબનો કોઈક પ્રકારનો અન્યાય પણ મેં તને કર્યો હોય. હજુ પણ તને એવું લાગતું હોય તો માફી માગવા સિવાય બીજું હું શું કરી શકું ? બેટા, મહેરબાની કરીને મને માફ કરી દે. અને અહીં હું એ બધાની માફી માગવા ઇચ્છું છું કે જેમને મેં અભાનપણે, શરતચૂકથી પણ દૂભવ્યાં હોય …

છેલ્લા તેંત્રીસમા પ્રકરણને છેડે લેખક નોંધે છે : ‘નારાયણભાઈ કે એમના ગાંધી મને ક્યારે ય ગમ્યા ન હોવા છતાં મને તેમની વાત માંડવાની અદમ્ય ઇચ્છા જાગે છે. એવી વાત કે જેના થકી આવતી પેઢીઓ એમના ગાંધીમાં રસ લેતી થાય.’ પુસ્તકના આખરી  વાક્યમાં લેખક કહે છે કે એમનો નાનો દીકરો અંગ્રેજી કક્કો વાંચતાં ‘જી ફૉર ગન’ બોલતો હતો, એમણે એને અટકાવીને કહ્યું ‘જી ફૉર ગાંધી!

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 20

Loading

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓની ઓળખાણ : પત્રકારો – સંપાદકો – પ્રકાશકો – મુદ્રકો

નઝમી રામજી|Diaspora - History|10 May 2016

– 1 –

કેન્યાના અંગ્રેજ સામ્રાજ્યશાહી વિરોધી સંઘર્ષમાં અનેક દેશપ્રેમી એશિયન કેન્યાવાસી પત્રકારો, સંપાદકો, પ્રકાશકો, મુદ્રકો તેમ જ ચોપડી બાંધનારોએ ઘણો મોટો ફાળો આપેલો છે. આપણે પહેલાંના લેખોમાં મણિલાલ દેસાઈ, અંબુભાઈ પટેલ, પીઓ ગામા પીંટો અને મખનસિંહ વિશે જાણ કરી છે. આ સિવાય બીજા પણ ઘણા રષ્ટ્રભક્તોએ આ લડતમાં ભાગ લીધેલ, આ લડત હતી અંગ્રેજ શાસન સત્તાની જાતિય અને રંગ ભેદભાવની રાજ્યનીતિને પડકાર દેતી લડત અને દેશની આઝાદીની લડત.

આ દેશપ્રેમીઓના બાપદાદાઓ ભલે ભારત અથવા પાકિસ્તાનથી આવેલા, પરંતુ તેઓની માન્યતા હતી કે એશિયન કેન્યાવાસીઓની વફાદારી કેન્યા પ્રત્યે પહેલી હોવી જોઈએ. આનો મતલબ એમ ન થયો કે આપણે આપણી અસલિયત ભૂલી જઈએ. આપણે આપણી સંસ્કૃિત, આપણી ભાષાઓ વગેરેને ઉત્તેજન આપવું જોઈએ પણ એ સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જે દેશમાં આપણે જન્મ લઈએ એ દેશ આપણો, અહીંની હવા અને અહીંનાં અન્નપાણીથી આપણે પોષાયા, એટલે આ દેશ તરફની ભક્તિ, એના તરફની વફાદારી એ આપણી ફરજ છે. આવી માન્યતા રાખવાવાળા આ દેશપ્રેમીઓ કેન્યાના ગોરા વિરોધી આંદોલનમાં પરોવાઈ ગયા. આ સાથે ભારતમાં જે સામ્રાજ્યશાહીની સામે સંઘર્ષ ચાલી રહ્યો હતો તેની સાથે પણ સંબંધ રાખ્યો. બન્ને દેશોની લડતના દુ:શ્મન એક હતા : અંગ્રેજ સામ્રાજ્યવાદ.

પત્રિકા કે ખબરપત્ર દ્વારા પરદેશી શાસન સત્તાને પડકાર કરવાવાળા સૌપ્રથમ કેન્યાવાસી એશિયન સીતારામ આચાર્ય હતા. તેઓ 1912માં દક્ષિણ ભારતથી પૂર્વ આફ્રિકા આવ્યા. અહીં તેઓએ રેલવેમાં અને અંગ્રેજ લશ્કરમાં ટેલિગ્રાફરનું કામ કર્યું. ભારતમાં તેમ જ દુનિયાના બીજા મુલકોમાં વસેલા ભારતીયોએ ભેગા મળી સામ્રાજ્ય સરકારને પડકાર કરવા માટે એક છૂપો રાજકીય પક્ષ શરૂ કરેલ, આનું નામ હતું ગદ્દર પક્ષ. આ પક્ષની માન્યતા હતી કે બિનહથિયારી લડતથી પરદેશી કબજો આપણા દેશોમાંથી નહિ નીકળે. આ કામ કરવા માટે સશસ્ત્ર બળવો પોકારવો પડશે.

ગદ્દર પક્ષની પૂર્વ આફ્રિકાની શાખાના નેતા આચાર્ય હતા. પહેલી વિશ્વ લડાઈ દરમ્યાન તેઓએ એક છૂપું ખબરપત્ર છપાવી અને તેની વહેંચણી કરી. આ વાતની જાણ ગોરાઓને થતા તેઓએ આચાર્યને દેશનિકાલ કર્યા અને પંજાબમાં તેઓને નજર કેદ રાખ્યા. જ્યારે 1915ની અંતમાં તેઓ પકડાયા ત્યારે અંગ્રેજોને બરાબર જાણ ન હતી કે આ પક્ષનું કામ અહીં કેટલું બધું ફેલાઈ ગયું હતું. આ બાદ જે ગદ્દર પક્ષના સભ્યો પકડાયા તેઓને તો ફાંસી સુધીની સજા થયેલ. બે કેન્યાવાસી એશિયનો 1916માં ફાંસીને માંચડે ચઢ્યા અને બીજા ત્રણને બંદૂકથી મારી નાખવામાં આવેલ. આ સિવાય આઠ માણસોને છ મહિનાથી લઈ ચૌદ વરસની જેલની સજા કરવામાં આવેલ અને એ ઉપરાંત વીસ માણસોને દેશમાંથી બળજબરીથી કાઢી મુકવામાં આવેલ. આ શૂરવીરો ઉપર આક્ષેપ મૂકવામાં આવેલ કે તેઓ પાસે ગુપ્ત પત્રિકાઓ મળેલ હતી કે જેમાં સામ્રાજ્ય વિરોધી માહિતી હતી અને તેઓએ જનતાને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેર્યા હતાં.

વિશ્વ યુદ્ધ પૂરું થયા પછી સીતારામ આચાર્ય પાછા કેન્યા આવ્યા અને 1923માં તેઓએ મણિલાલ દેસાઈ અને એન. એસ. ઠાકુર સાથે મળી અંગ્રેજી ભાષામાં ‘ડેમોક્રેટ’ નામનું એક છાપું શરૂ કર્યું. આ છાપામાં તેઓએ સામ્રાજ્ય શાસન સત્તાની અન્યાય ભરેલી વર્તણૂકની જાહેરાત આપી અને આફ્રિકી અને કેન્યાવાસી એશિયનોની લડતને જોરદાર ટેકો આપ્યો. દેશમાં વિલાયતી વસાહતોનાં છાપાઓમાં જે ખોટો પ્રચાર પ્રગટ થતો, તેની સામે તેઓએ ‘ડેમોક્રેટ’માં ખરી હકીકત પ્રજા સામે રજૂ કરી. આ સિવાય તેઓએ પોતાના ખબરપત્રનું જે પ્રિન્ટિંગ પ્રેસ હતું તેમાં આફ્રિકી છાપાંઓ અને પત્રિકાઓ છાપવાનું કામ પણ કર્યુ. આ છાપાઓમાં કીકુયુ સેન્ટ્રલ એસોશિયેશનનું ‘મ્વીગ્વીથાન્યા’નો સમાવેશ થાય છે. આના સંપાદક મ્ઝે જોમો કેન્યાટા હતા.

ગિરધારીલાલ વિદ્યાર્થી

જેઓનું મૃત્યુ 31 જુલાઈ 1985માં થયેલ, એ એક બીજા દેશપ્રેમી પ્રકાશક હતા. તેઓનો જન્મ ઓગષ્ટ 1907માં નાઈરોબીમાં થયો હતો. 1930માં તેઓએ હિંદી-ઉર્દૂ-અંગ્રેજી સાપ્તાહિક ‘મિત્રો’ અને 1933માં ગુજરાતી-અંગ્રેજીમાં છપાતું ‘કોલોન્યલ ટાઈમ્સ’ શરૂ કર્યાં. આ છાપું લગભગ ત્રીસ વરસ સુધી છપાયું. આ સિવાય આફ્રિકી જનતા સુધી સામ્રાજ્યશાહીઓના પ્રચાર વગરના સમાચાર પહોંચે તે માટે કિસ્વાહીલી ભાષામાં 1933માં ‘હબારી ઝા ડુન્યા’ (‘દુનિયાના સમાચાર’) અને 1952માં ‘જીચો’ (‘આંખ’) નામના સાપ્તાહિક ખબરપત્રો પણ પ્રસિદ્ધ કરવાનું શરૂ કરેલ. આ બન્ને કિસ્વાહીલી છાપાંઓમાં જે ગોરાઓની ગેરવ્યાજબી રાજ્યનીતિ વિષે સમાચાર છપાતા તે પરદેશી શાસન સત્તાને પસંદ ના પડ્યું. તેથી તેઓએ ‘હબારી’ને 1947માં અને ‘જીચો’ને 1962માં બંધ કરવાની ફરજ પાડી.

પોતાના છાપાઓ પ્રસિદ્ધ કરવાની સાથે સાથે વિદ્યાર્થીએ બીજા આફ્રિકી દેશપ્રેમીઓના ખબરપત્રો પણ છાપવામાં મદદ કરેલ. દાખલા તરીકે એક નેતા જેમ્સ બ્યુટાહસે તેઓ વિષે નીચે મુજબ લખ્યું છે :

“1937માં મે એક ખબરપત્ર પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું કે જેનું નામ હતું ‘મુથીથુ’ (‘ખજાનો’) જો વિદ્યાર્થીએ મને મદદ ન કરી હોત તો આ છાપું કદી પ્રગટ ન થાત. અમારી પાસે છપાવવા માટે પૈસા ન હતા. તેઓએ અમારા માટે બધું કમ્પોઝીંગનું તેમ જ છાપવાનું કામ કર્યુ. આમાં તેઓને ન કોઈ પૈસાની લાલચ હતી કે ન કોઈ અંગત સ્વાર્થ. તેઓને ફકત એમ જોઈતું હતું કે આફ્રિકીઓને પોતાના હકોની માંગ કરવાનો મોકો મળે.”

આ સિવાય જુદા જુદા વખતે વિદ્યાર્થીના કોલોન્યલ પ્રિન્ટિંગ વર્કસે બીજા ઘણા ખબરપત્રો છાપ્યા. આમાં ‘લુઓ મેગેઝીન’ 1937માં અને 1940-50ના દાયકા દરમ્યાન લુઓ ભાષામાં ‘રામોગી’ અને કીકુયુમાં ‘મુમેન્યેયેરે’નો સમાવેશ છે.

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7 

– 2 –

એક બીજા કેન્યાવાસી એશિયન દેશપ્રેમી, હારુન અહમ્મદના સંપાદન નીચે ‘કોલોન્યલ ટાઈમ્સે’ એક જોરદાર પરદેશી હકૂમત વિરુદ્ધી ઝુંબેશ ઉપાડેલ. ઘણી શોષણખોરી અને જુલમી રાજ્યનીતિઓ સામે પડકાર કર્યો. દેશમાં જાતિય અને રંગભેદભાવની વર્તણૂક, આફ્રિકી ખેતીવાડીની જમીન બળજબરીથી ઝૂંટી લેવી, દેશની લેજસ્લેટીવ કાઉન્સિલમાં આફ્રિકી પ્રતિનિધિત્વ ન હોવાનું અને કેન્યાવાસી એશિયનોનું પ્રતિનિધિત્વ વિલાયતી વસાહતો કરતાં ઘણું ઓછું, મજૂરોની સંસ્થાઓને નાબૂદ કરવી અને તેઓના હકોની માંગને દબાવી દેવાની કોશિશ, આફ્રિકી મજૂરોને બળજબરીથી સરકારી નોંધણીપત્રકો ગળામાં તાંબાની ડબલી(કીપેડ)માં પહેરવા.

આવા અનેક સામ્રાજ્યશાહીઓના જુલમોના સમાચાર અને તેના વિરુદ્ધ અભિપ્રાય પ્રસિદ્ધ કરવાથી વિદ્યાર્થી તેમ્ જ તેઓના છાપાઓના પત્રકારો અને સંચાલકોને ગોરી સરકાર તરફથી ઘણી તકલીફો ભોગવવી પડેલ. જ્યારે 1945માં બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યારે અંગ્રેજ સરકારે ગોરા સૈનિકોને કેન્યા આવવાનું ઉત્તેજન આપ્યું અને તેઓને દેશના ફળદ્રુપ પહાડી પ્રદેશમાં હજારો એકરો જમીન આપી. પરંતુ જ્યારે આફ્રિકી સૈનિકો અંગ્રેજ લશ્કરમાં બર્મા તેમ જ ઉત્તર આફ્રિકામાં લડાઈમાં ભાગ લઈ જ્યારે દેશ પાછા આવ્યા ત્યારે તેઓને કોઈ પણ જાતનો બદલો કે ઇનામ ના મળ્યો. આવા ભેદભાવની સામે જ્યારે ‘કોલોન્યલ ટાઈમ્સે’ વાંધો નોંધાવ્યો ત્યારે વિદ્યાર્થી ઉપર મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને તેઓને 2,000 શિલીંગનો દંડ ભરવો પડ્યો.

1946માં નાઈરોબી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી ડબલ્યુ. એલ. સોહનએ ‘કોલોન્યલ ટાઈમ્સ’માં એક કાગળ લખેલ. આમાં તેઓએ અંગ્રેજ સામ્રાજ્યશાહી હકૂમત નીચેના મુલકોની રૈયત તરફ અંગ્રેજોની વર્તણૂકની સરખામણી જર્મનીના કોન્સન્ટેૃશન કેમ્પોમાં કેદીઓ સાથેની વર્તણૂક સાથે કરેલ. આ અભિપ્રાયને ગોરી અદાલતે રાજદ્રોહી ઠરાવી સોહનને અને વિદ્યાર્થીને ચાર-ચાર મહિનાની સખત કેદની સજા કરેલ. આ સાથે ‘કોલોન્યલ ટાઈમ્સ’ના એક સંચાલક, વન્શીદારને એક મહિનાની સખત કેદની સજા ભોગવવી પડેલ.

સોહને અદાલતમાં જે ન્યાય કરવાનો ઢોંગ થઈ રહ્યો હતો તેને પડકારતા કહ્યું : “હું માનું છું કે હું અંગ્રેજોનો ગુલામ છું. મારું એમ પણ માનવું છે કે દરેક ગુલામની પવિત્ર ફરજ છે કે તે પોતાની ગુલામીની હાલત સામે બળવો પુકારે. ગુલામ તરીકેની મારી ફરજ એમ પણ છે કે હું સર્વ ગુલામો પાસે બળવાનો સંદેશો પહોંચાડું. આમાં જ પીડાતી અને ગુલામી ભોગવતી માનવતાનો છુટકારો છે.”

જેલની બહાર નીકળ્યા પછી પણ સોહનએ સામ્રાજ્યશાહીઓની સામે ટક્કર લેવાનું ના મૂક્યું. આથી એક વખત જ્યારે તેઓ ભારત કોઈ કામ અર્થે ગયા અને જ્યારે પાછા આવવાનો પ્રયત્ન કર્યો, તો શાસન સત્તાએ તેઓને દેશમાં દાખલ થવાની મનાઈ કરી દીધી. અંગ્રેજ સરકારને સોહનથી ડરવાનું બીજુ કારણ એ હતું કે તેઓની કોશિશ હતી કે સામ્રાજ્ય વિરુદ્ધી ઝુંબેશમાં આફ્રિકીઓ અને કેન્યાવાસી એશિયનો હાથ મળાવીને કામ કરે. દાખલા તરીકે તેઓની આ કોશિશને કારણે નવેમ્બર 1944માં જે ઇસ્ટ આફ્રિકન નેશનલ કોંગ્રેસની સભા ભરાયેલ તેમાં કેન્યા આફ્રિકન સ્ટડી યુનિયનના પ્રમુખ જેમ્સ ગીચુરુ હાજર રહેલ. આની સામે અંગ્રેજ પદ્ધતિ હતી માણસને માણસથી અલગ કરીને શાસન કરવાની.

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7

– 3 – 

1947માં ગુજરાતી-અંગ્રેજી ભાષાઓમાં છપાતું એક બીજું ખબરપત્ર ‘ડેઈલી ક્રોનિકલ’ શરૂ થયું. આના સંસ્થાપકો હારુન આહમદ, પીઓ ગામા પીંટો, પ્રાણલાલ શેઠ, ડી. કે. શારદા, મખનસિંહ, ચનન સિંહ અને લેજીસ્લેટીવ કાઉન્સિલના સભ્ય એ. બી. પટેલ હતા. મણિલાલ દેસાઈનું ‘ઇસ્ટ આફ્રિકન ક્રોનિકલ’ તેમ જ સીતારામ આચાર્યનું ‘ડેમોક્રેટ’નો જે સામ્રાજ્યશાહી વિરુદ્ધી પદ્ધતિનો દાખલો હતો તે ‘ડેઈલી ક્રોનિકલે’ અનુસર્યો. આ છાપાના સંપાદકો હારુન આહમદ અને પીંટો હતા.

માઉ માઉનો સ્વતંત્રતાની લડાઈ વિષે તપાસ કરવા માટે અંગ્રેજ સરકારે કોરફિલ્ડ નામના એક ગોરાની નિમણૂક કરેલ. કોરફિલ્ડે પોતાના વર્તમાન પત્રમાં ‘ડેઈલી ક્રોનિકલ’ વિષે લખેલ કે આ છાપાએ દેશની આફ્રિકી જનતાના હકોની માંગની લડતને જરા પણ પાછી પાની કર્યા વગર ટેકો આપેલ. અંગ્રેજ ગવર્નર ફિલીપ મીચલને આ ખબરપત્રના કર્મચારીઓની જે કેન્યા પ્રત્યે દેશપ્રેમની વર્તણૂક હતી, તેને અંગ્રેજ સામ્રાજય સામે રાજદ્રોહી જેવી લાગી.

1947થી 1950ના ગાળા દરમ્યાન આ છાપા ઉપર પચાસથી વધારે વખત રાજદ્રોહના આરોપ સબબ મુકદ્દમા કરવામાં આવેલ. 1947માં મોમ્બાસાના મજૂરોએ પોતાના હકોની માંગ કરતાં એક સાર્વત્રિક હડતાલ બોલાવેલ. ‘ક્રોનિકલે’ આ હડતાલને પૂરેપૂરો ટેકો આપ્યો. આ સાથે અંગ્રેજ સરકારે મજૂરો તેમ જ તેઓના નેતાઓ સામે જે સખત ગેરવ્યાજબી પગલાં લીધેલ તેની સામે પડકાર કર્યો. આ કારણસર ત્યારના સંપાદક હારુન આહમદને છ મહિનાની કેદ ભોગવવી પડેલ.

આ દેશપ્રેમીએ ‘કોલોન્યલ ટાઈમ્સ’ અને ‘ડેઈલી ક્રોનિકલ’માં એક પત્રકાર તરીકે જે લડત લડ્યા તે સિવાય રાજકીય સંઘર્ષ તેઓએ બીજા ક્ષેત્રમાં પણ ચાલુ રાખી. દાખલા તરીકે ઓકટોબર 1946માં તેઓએ ભારતીય યુવાન સંઘ(ઇન્ડિયન યુથ લીગ)ના આશ્રય હેઠળ એક ગંજાવર મોરચો યોજ્યો કે જેમાં દક્ષિણ આફ્રિકાના નાગરિકોની લડતને ટેકો આપવામાં આવેલ. મોરચા પછી જે સભા બોલાવવામાં આવેલ તેમાં અનેક નેતાઓ એ ભાષાણો કર્યાં તેમાં જોમો કેન્યાટા અને આહમદનો સમાવેશ હતો. આહમદની કોશિશ હતી કે અંગ્રેજ સામ્રાજ્યશાહી સામેની લડતમાં કેન્યાના આફ્રિકી અને એશિયાઈ લોકો સાથે મળી કામ કરે.

1953માં આહમદ હીરાભાઈ પટેલ નામના એક વકીલે સાથે મળી ગુજરાતી ભાષામાં ‘આફ્રિકા સમાચાર’ નામનું સાપ્તાહિક શરૂ કરેલ. આમાં પણ તેઓએ સર્વ નાગરિકોના હકોની બરાબરી અને લોકશાહીની જોરદાર માંગ કરવાનું ચાલુ રાખ્યું. એશિયન કેન્યનો વચ્ચે જે હિંદુ-મુસલમાનના ભેદભાવો ઊભા થયેલ તેને હટાવવાનો તેઓએ પ્રયત્ન કર્યો. આ સાથે દેશની આફ્રિકી અને એશિયાઈ જનતા વચ્ચેનું જુદાપણું પણ દૂર કરવાની તેઓની કોશિશ ચાલુ રહી.

આવા પત્રકારો સિવાય બીજા દેશપ્રેમી પ્રકાશકો અને મુદ્રકો પણ હતાં કે જેઓએ સામ્રાજ્યશાહીઓ સામેની લડતમાં પોતાના અંગત સ્વાર્થનો જરા્ પણ વિચાર ના કર્યો. દાખલા તરીકે વી. જે. પટેલ નામના એક પ્રકાશકે હેનરી મુઓર્યાના કીકુયુ ભાષાનું ખબરપત્ર ‘મુમેન્યેરેરે’ છાપવાના આક્ષેપ ઉપર જેલમાં ગયેલ. આ પછી જૂન 1950માં તેઓ તેમ જ શ્રીમતી બેસન્ત કૌર, અમરસિંહ અને તેમલ સિંહને એક મહિનાની કેદ થયેલ. આ વખતે તેઓ એક બીજા દેશપ્રેમી ખબરપત્રમાં અંગ્રેજ સરકાર વિરોધી લખાણ છાપવાનો આક્ષેપ હતો. આ છાપું હતું કે. સી. કમાઉ અને વિકટર મુરાગેનું ‘હીંડીયા ગીકુ યુ.’

એક બીજા દેશપ્રેમી પત્રકાર હતા ડી. કે. શારદા કે જેઓએ 1947-51 દરમ્યાન ‘ડેઈલી ક્રોનિકલ’માં કામ કરેલ. ત્યાર બાદ તેઓએ પોતાનું સાપ્તાહિક, ‘ટ્રીબ્યુન’ પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. આ છાપામાં તેઓ રંગ અને જાતિય ભેદભાવ દૂર કરવાની જોરદાર માંગ કરેલ. તેઓની એમ પણ કોશિશ હતી કે એશિયન કેન્યનોની બિરાદરીના લોકોમાં જે હિંદુ, મુસલમાન અને ક્રિશ્ચન ધર્મોના ફાંટા પડેલ હતા, તે હટાડી દેવામાં આવે. તેઓને એમ પણ જોઈતું હતું કે સામ્રાજય સરકાર સામેની લડતમાં આફ્રિકી અને એશિયાઈ લોકો સાથે મળી અને રાજકીય પક્ષોની સ્થાપના કરે. આવી બધી એકતાની કોશિશોએ અંગ્રેજ શાસન સત્તાને ગભરાવી મૂકી એટલે 1952ના અંતમાં માઉ માઉના કટોકટીના કાયદાઓ હેઠળ ‘ટ્રીબ્યુન’નો અટકાવ કરવામાં આવ્યો.

આ બધા એશિયન કેન્યન દેશપ્રેમીઓ કે જેઓએ આપણા દેશની આઝાદીની લડતમાં પૂરેપૂરો અને નિસ્વાર્થ ભાગ લીધેલો તેઓ આપણા માટે ગર્વ પાત્ર છે. દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીનો જે દાખલો તેઓ આપણા માટે રાખી ગયા છે તેનું પાલન કરવું એ આપણી ફરજ છે

જય કેન્યા

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7

Loading

...102030...3,6313,6323,6333,634...3,6403,6503,660...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved