Opinion Magazine
Number of visits: 9552972
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક માપદંડ: મધ્યાહ્ન ભોજન યોજનાનું મૂલ્યાંકન

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|16 January 2016

 આ યોજના સામાજિક એકતા, સમાનતા અને ભાઈચારાની દિશામાં કેટલાં ડગ માંડી શકી છે તે ચકાસવું જોઈએ

નવ દાયકા કરતાં વધુ સમય પૂર્વે, ઈ.સ. 1923માં, મદ્રાસ મ્યુિનસિપલ કોર્પોરેશને શહેરી વિસ્તારોની શાળાનાં બાળકો માટે પોષક આહાર યોજના શરૂ કરી હતી. 1930માં પોંડિચેરીમાં ફ્રેન્ચ વહીવટી તંત્રે પણ આવો પ્રયાસ કર્યો હતો. આઝાદી બાદ 1962-63માં તામિલનાડુમાં કે. કામરાજે નાના પાયે અને પછી એમ.જી. રામચંદ્રને 1982માં સમગ્ર રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી. મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય હતું. કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 19મી નવેમ્બર 1984ના રોજ ગુજરાતમાં આ યોજના શરૂ કરી હતી. આરંભે રાજ્યના 68 તાલુકામાં શરૂ થયેલી આ યોજના ડિસેમ્બર 1984થી સમગ્ર રાજ્યમાં અમલી બની હતી. 2001 અને 2004ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પછી એ યોજના સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવી. 1995થી આ યોજના માટે કેન્દ્ર સરકાર 75% અનુદાન આપે છે. આજે ગુજરાતનાં તમામ ગામો અને શહેરી વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો જોગ બપોરાંની આ યોજના અમલી છે, જેમાં 450 કેલેરીનો 180 ગ્રામ આહાર સરેરાશ 200 દિવસ આપવામાં આવે છે.

મધ્યાહ્ન ભોજન યોજના એના આરંભ કાળથી જ ચર્ચા અને વિવાદમાં રહી છે. તેનો ઉદ્દેશ બાળકોને શાળા શિક્ષણ તરફ વાળવાં, શિક્ષણનો વ્યાપ વધારવો, નિરક્ષરતાનિવારણ કરવું, બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડી ગરીબીનિવારણ કરવું, બાળકોનું સ્વાસ્થ્ય સુધારવું, રોજગારી પૂરી પાડી બેરોજગારીની સમસ્યા હળવી કરવી, શાળાની બહાર ધકેલાતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, બાળકોમાં જાતિ, ધર્મ કે લિંગના ભેદભાવ સિવાય સામાજિક એકતા વિકસાવવી અને રાષ્ટ્રીય એકતા સ્થાપવી, એવો હતો. પરંતુ આ યોજના તેના મોટા ભાગના ઉદ્દેશો પાર પાડવામાં નિષ્ફળ ગઈ હોવાનું અને તે ભ્રષ્ટાચારનો પર્યાય હોવાનું માનવામાં આવે છે. કેટલાક સરકારી-બિનસરકારી મૂલ્યાંકન અહેવાલો પણ આ વાતની ગવાહી પૂરે છે. ગુજરાતમાં આ યોજના આરંભાયાના બે જ વરસ પછી ખુદ સરકારે જ એના મૂલ્યાંકનનું કામ જાણીતી સંશોધન સંસ્થા ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’(સુરત)ને  સોંપ્યું હતું. આ મૂલ્યાંકનનું એક તારણ, યોજનાના નબળા અમલીકરણનું, રાજકીય ઈચ્છાશક્તિના અભાવનું અને વહીવટી તંત્રની ઉપેક્ષાનું હતું. આજે 30 વરસો પછી વગર મૂલ્યાંકને પણ આ તારણ યથાવત રહે એવી સ્થિતિ છે.

આયોજન પંચે 2010માં તમામ રાજ્યોની મધ્યાહ્ન ભોજન યોજનાનું મૂલ્યાંકન કરાવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે 13 લાખ પ્રાથમિક શાળાઓના લક્ષિત બાળકો પૈકી 94 % બાળકોને આ યોજના હેઠળ આવરી લેવામાં સફળતા મળી છે. જ્યાંથી આ યોજનાનો આરંભ થયો હતો તે તામિલનાડુમાં આ યોજના સહુથી વધુ સફળ રહી છે. ત્યાં 98,228 શાળાઓના 53 લાખ બાળકોને વરસે 220 દિવસ ગરમ રાંધેલો ખોરાક મળે છે. જો કે આ સમીક્ષામાં 56% શાળાઓમાં પાકાં રસોડાં ના હોવાનું, 76% શાળાઓમાં અનાજના સંગ્રહ માટે પાકા ઓરડા ના હોવાનું અને 17% શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોવાનું જણાયું હતું. ઘણાં રાજ્યોમાં યોજનાની વ્યવસ્થા સ્વૈચ્છિક-સામાજિક-ધાર્મિક સંસ્થાઓ હસ્તક હોવા છતાં બાળકોને ગુણવત્તાવાળો ખોરાક ન મળવાના, ખાધા પછી બાળકો બીમાર પડ્યાના કે મૃત્યુુ થયાના બનાવો પણ બન્યા છે.

યોજનાને કારણે બાળકોનું પ્રાથમિક શાળામાં દાખલ થવાનું પ્રમાણ નિ:શંક વધ્યું છે. પરંતુ ગુણવત્તાવાળા શિક્ષણથી એ દૂર રહી જાય છે. એટલે જ આ યોજના પર દલિત-આદિવાસી- પછાત-ગરીબ બાળકોને કાયમ નબળા રાખવાના ષડયંત્રનું પણ આળ છે. આ યોજના કુપોષણ નાબૂદીનું લક્ષ ધરાવે છે, પરંતુ દેશમાં 5 વરસથી નાની ઉંમરના કુપોષિત બાળકોનું પ્રમાણ 48% જેટલું હોય, ત્યારે 5 વરસથી મોટી ઉંમરના બાળકોને મધ્યાહ્ન ભોજનનું બટકું ફેંકીને કુપોષણની સમસ્યા સંપૂર્ણ હલ કરી શકાશે નહીં. ઉત્તર ભારતનાં ગરીબ પછાત રાજ્યોમાં આ યોજનાની સફળતા 40 થી 60% હોય અને દેશમાં તેનો સફળતા દર 72% હોય ત્યારે કુપોષણમુક્તિ  પણ આંશિક રહેવાની.

‘શાળાઓમાં જાતિ, ધર્મ અને લિંગ આધારિત કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય બાળકોને એક સાથે જમવાનું આપવામાં આવે’ એવો યોજનાનો મહત્ત્વનો અને ઉમદા હેતુ છે. આ યોજના થકી સામાજિક એકતા, સામાજિક સમાનતા સધાય અને બાળકો બચપણથી જ જ્ઞાતિ-ધર્મના પૂર્વગ્રહોથી મુક્ત બને તેવો યોજનાનો હેતુ હોય અને બીજી તરફ ન માત્ર ગુજરાતમાં દેશભરમાં દલિત બાળકો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠે ત્યારે આ યોજના સામાજિક સમાનતા સ્થપવામાં ઊણી ઉતરી હોવાનું લાગે છે.

જાણીતા સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈના 1976ના ‘ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા’ના અભ્યાસમાં સંશોધન હેઠળના 59 માંથી 58 ગામોમાં દલિત બાળકો સાથે શાળામાં આભડછેટ રાખવામાં આવતી ન હોવાનું જણાયું હતું. પરંતુ 1986-87માં બે સંશોધકો કિરણ દેસાઈ અને સત્યકામ જોશીએ નોંધ્યું હતું કે, ‘મધ્યાહ્ન ભોજન યોજનાના અમલે શિક્ષકોના જ્ઞાતિકીય પૂર્વગ્રહોને સપાટી પર આણ્યા છે. ઉચ્ચ વર્ણીય શિક્ષકો ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં સભાનપણે હરિજન બાળકોને અલગ બેસાડે છે. આમ, હરિજન બાળકોને સામાજિક દૂષણનું જ્ઞાન બચપણથી જ થાય છે.’ ગુજરાતના 56 તાલુકાના 2589 ગામોમાં પ્રવર્તતી આભડછેટનો 2010નો રોબર્ટ કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઈટ્સ અને નવસર્જન ટ્રસ્ટનો અભ્યાસ આપણી આંખો ખોલી નાંખે છે. આ અહેવાલ જણાવે છે તેમ, ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં દલિત બાળકો પ્રત્યે આચરવામાં આવતી આભડછેટનું પ્રમાણ 53.8 ટકા જેટલું ઊંચું છે.

ભારતની જડ જાતિ પ્રથા અને ઉચ્ચનીચ કોટિક્રમ કેટલો જડબેસલાક છે અને દલિતોમાં આંતરિક આભડછેટ પણ કેટલી વ્યાપક છે તેનો નિર્દેશ કરતાં આ અહેવાલ નોંધે છે કે ગુજરાતમાં 17.4 % શાળાઓમાં દલિત બાળકો તેમનાથી કહેવાતા નીચી જાતિના વાલ્મિકી બાળકો પ્રત્યે આભડછેટ પાળે છે. એટલે કે 17.4% શાળાઓમાં મધ્યાહન ભોજન આરોગતાં બાળકોની દલિત અને બિનદલિત એવી બે જ પંગતો હોતી નથી પણ બિનદલિત, દલિત અને દલિતમાં દલિત એવા વાલ્મીકિ એવી ત્રણ પંગતો હોય છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા અને ગુજરાતની 186 શાળાઓની મધ્યાહ્ન ભોજન યોજનામાં 41 સંશોધન સંસ્થાઓ દ્વારા ઓકટોબર 2010 થી સપ્ટેમ્બર 2012 વચ્ચે થયેલી તપાસમાં પણ દલિત વિદ્યાર્થીઓ પ્રત્યેનો ભેદભાવ ઉજાગર થયો હતો.

દેશના લગભગ 12 કરોડ બાળકોને આવરી લેતી મધ્યાહ્ન ભોજન યોજના દુનિયાની સહુથી મોટી યોજના છે. કલ્યાણ રાજ્યને વરેલી આપણી સરકારો માટે આ એક મહત્ત્વની યોજના છે. પરંતુ તેની સફળતા માત્ર આંકડાઓની માયાજાળથી ન આંકતા વાસ્તવમાં આ યોજના સામાજિક એકતા, સમાનતા અને ભાઈચારાની દિશામાં કેટલાં ડગ માંડી શકી છે તે પણ ચકાસવું જોઈએ. આ યોજના સામાજિક સમાનતા સ્થાપવામાં કેટલી ખરી કે ઊણી ઉતરી છે તેના પરથી તેની સફળતા મૂલવવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘સામાજિક માપદંડ’, “દિવ્ય ભાસ્કર”, 13 જાન્યુઆરી 2016

Loading

લાભશંકરને મારી શ્રદ્ધાંજલિ

સુમન શાહ|Opinion - Literature|13 January 2016

લાભશંકર ઠાકરના અવસાનને આજે એક અઠવાડિયું થયું. મારે શોકસભામાં જવું’તું પણ મન ખંચકાયું ને એણે મારા પગને ડગ ભરવાની ના પાડી…ખૅર…

એ ૧૯૮૮ની સાલ હતી, ૨૮ વર્ષ વીતી ગયાં. લાભશંકર એમનાં ૬ કાવ્યોનો સંગ્રહ “કાલગ્રન્થિ” પ્રગટ કરી રહેલા. મને એમણે એને વિશે લેખ કરવા કહ્યું. કહે, સંગ્રહની આગળ મૂકીશ. મેં લેખ કર્યો ને એ “કાલગ્રન્થિ”-માં તેમજ મારા પુસ્તક “કાવ્યપદ”-માં પ્રકાશિત છે. ત્યારે મારા નાના દીકરા મદીરે આર્કિટૅક્ચરનું ભણવાનું શરૂ કરેલું. એ સમયગાળામાં એણે એક સ્પેશ્યલ માટીનાં પેપરવેઇટ્સ બનાવેલાં. દરેક પર ત્રસ્ત મનુષ્ય-ચ્હૅરા ઉપસાવેલા. લાભશંકરને બહુ ગમી ગયેલાં. એટલે નક્કી કર્યું કે “કાલગ્રન્થિ”-ના ટાઇટલ પેજ પર એક પેપરવેઇટનું ચિત્ર મૂકવું. એ મુકાયું છે. ઉપરાન્ત, મદીરે ‘કાલગ્રન્થિ’ અક્ષરાંકન પણ કર્યું. પાર્શ્વ પ્રકાશન, ૧૯૮૮.

આ સંગ્રહની ૬ રચનાઓને લાભશંકરે પોતાની ‘તે તારીખે’ ‘અન્તિમ કાવ્યરચનાઓ’ કહેલી. પછી તો ઘણું લખ્યું. પણ એવું એમનું સર્જક તરીકેનું એક આસ્વાદ્ય ઍટિટ્યુડ હતું.

સંગ્રહ એમણે અમારા બન્નેના જિગરી મિત્ર રાધેશ્યામ શર્માને અર્પણ કર્યો છે. નિવેદન રૂપે કવિએ મિત્ર માટે લખ્યું છે : ‘ઇન્ટર આર્ટ્સમાં રા. અને લા.-નું મળવું અને પ્રગાઢ મૈત્રીમાં પરિણમવું -એમનાં ગદ્યચક્રો અને મારાં પદ્યચક્રો પ્રતિદિન રચાય અને પરસ્પર દ્વારા આસ્વાદાય, કડક નિર્મમ પરીક્ષણથી ચકાસાય. અમારી ગોષ્ઠિના એ દિવસો વિરલ સંપદા રૂપે સ્મૃિતકોષમાં હજુ અકબંધ ચમકે છે.’

હું એમની સાથે મતમતાન્તર કાજે ઠીકઠીક લડાઇઓ કરતો. મારે માટે લખ્યું : “જેની સાથે કડક યુદ્ધના ધોરણે બાખડી શકાય અને એક કપમાંથી ગરમ ગરમ અર્ધી અર્ધી ચા પી શકાય એવા સહૃદય સમકાલીન સુમન આ ષડ્ રચનાઓના પ્રકાશન-કાર્ય(ઇફૅક્ટ)માં નિમિત્ત કારણ( કૉઝ) છે તે મને આનન્દ આપે છે.’

મારા એ લેખનું શીર્ષક છે : ‘ત્રસરેણુઓ જેમ ઊડતી સમ્પ્રજ્ઞતા’. મારે મન લાભશંકર સર્વ અર્થોમાં એક સમ્પ્રજ્ઞ સર્જક હતા. એક એવી અન્તહીન તોષહીન સમ્પ્રજ્ઞતા, જેને હું કલાકારજીવનો મહત્તમ ગુણ ગણું છું. એણે એમને જંપવા નહીં દીધેલા. બીજું, આ માણસ ભાષાથી ભાષા જોડે જીવનભર ઝડતો રહ્યો. અને એ ઝઘડાઓએ જે કંઇ સુઝાડ્યું તેને કવિ નિરન્તર આપણી સામે મૂકતા રહ્યા. આ પદ્ધતિને હું આધુનિક સર્જકનો જીવલેણ વિશેષ ગણું છું. આ બન્ને બાબતે લાભશંકર એક સદાવિચારણીય સાહિત્યવસ્તુ રૂપે ગુજરાતી કાવ્યજગતમાં હમેશાં યાદગાર રહેશે. પછી તો લાભશંકરમાં એક ક્રિએટિવ લૅબિરિન્થ રચાતી ગયેલી : સમ્પ્રજ્ઞતાને વિશેની સમ્પ્રજ્ઞતા; શંકાને વિશેની શંકા; ભાષાસમેત સભ્યતામાત્રને વિશેની અશ્રદ્ધા; છતાં સર્જક-શબ્દને જોતર્યા કરવાની હંગામી શ્રદ્ધા; વળી, કલ્પન-પ્રતીક પ્રાસ-લય ટાઇપોગ્રાફી વગેરે અંગેની ચાલુ સર્જનલાચારી; વગેરે. આ સઘળાં લાભશંકરનાં જાણીતાં થીમ છે. એ “કાલગ્રન્થિ”-માં તો છે જ પણ કવિ લાભશંકર સમગ્રમાં છે. એ વડે એમણે પોતાની શબ્દસૃષ્ટિમાં એક ઊંચી સમ્પ્રજ્ઞતાને તાકી છે. જોઇ શકાય તો એમાં આનન્દની પેલે પારનું ઇંગિત છે, સંભળાય તો પેલે પારનું ઇજન છે.

આ અદ્વિતીય કાવ્યપુરુષાર્થી હવે આપણી વચ્ચે નથી પણ કોઇપણ નિષ્ઠાવાન સર્જક માટે એ હમેશાં દીપ અને દર્પણ હશે અને સદા રહેશે…પ્રભુ એમના આત્માને શાન્તિ અર્પો …

Loading

કાવ્યગુચ્છ

અિશ્વની બાપટ|Poetry|13 January 2016

(1) સહિષ્ણુતા

પહેલો અક્ષર પાડવા જાઉં છું
ત્યાં જ
એ શબ્દ
મહાકાય બની જાય છે
દરેક કાળના
અનેક સમૂહોએ
ભર્યા તે અર્થના
છેડા ખોવાઈ જાય છે
જોતજોતામાં
ટોળેટોળાં ઊમટે છે
એ શબ્દ જે નથી તે
જેની સાથે કદાપિ જોડાયેલ નથી તે
અનર્થ પ્રત્યર્થ લઈને
તેના અર્થને દબાવી
તેને ફુલાવી
ફોડી નાખવા
ટોળેટોળાં ઊમટે છે
શબ્દવિહીન અવાજોના
ચહેરાવિહીન માણસોના
બેબાકળી થઈને હું
ટી.વી. ચેનલો ફેરવી ફંફોસું છું
છાપાંમાં શોધું છું
ક્યાંક ખરા અર્થમાં વાપર્યો હોય
તો બચી શકે
એ શબ્દ
ફેસબુકની શેરીઓમાં
ચિતરાયેલી દીવાલો પર
મળી તો આવ્યો
પણ
એ જ ટોળાં ઊમટ્યાં હતાં

°°°°

(2) ટોળાં

સિક્ સિક્ સિક-ક્યૂલર
સુડો સુડો સુડો
ટોળાંવાસી એ શબ્દ પર
થૂંકતો હતો
શબ્દકોષની બહારના ઉચ્ચારો
ફૂંકતો હતો
એને ફરી માત્ર શબ્દકોષમાં ઘકેલી
કેદ કરવા જાણે ફતવો
મૂકતો હતો
ઘણાં ચૂપચાપ ઊભાં હતાં
શહામૃગની જેમ
ટોળું પસાર થઈ જવાની રાહ જોતાં
કોઈ જાતભાઈની જીભ કાપી આણવા
ઈનામ જાહેર થાય કે
દૂર દેશમાં કોઈ ફયાદને મૃત્યુદંડ થાય
જગભરની શેરીઓમાં
ફાટી નીકળતાં ટોળાંને શેં પહોંચાય ?
સામનો ન કરતા હોય
તેમને એ ટોળાંની સાથે કેમ ગણાય ?

°°°°

(3) પરિણામ

મૃત સમયની
આંખો ફોલતાં ફરે છે
તે ટોળાં
શહીદોનાં સુકાયેલાં લોહી ચાટી
ત્રિશુલથી ઇતિહાસ ખોદતાં ફરે છે
તે ટોળાં
ટીપુના રેશમી વસ્ત્રને
મરજી મુજબ વેતરે છે
તે ટોળાં
મહાત્મા-વિચારકોની હત્યાઓને
સકારણ સત્કૃિત ઠેરવે છે
તે ટોળાં
હવે બેખોફ બેફામ રક્તરંજિત કમંડળ
ઉઘાડેછોગ ફેરવે છે
તે ટોળાં.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ડિસેમ્બર 2015; પૃ. 23

Loading

...102030...3,6283,6293,6303,631...3,6403,6503,660...

Search by

Opinion

  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved