ત્રણ સંભાવના છે. એક સંભાવના એવી છે કે તેઓ ક્યારે ય બદલાયા નહોતા, તેઓ હિન્દુત્વવાદી છે અને એ જ તેમનો એજન્ડા હતો. બીજી સંભાવના એવી છે કે દિલ્હી પહોંચી ગયા પછી સંઘપરિવાર નરેન્દ્ર મોદીને ગણકારતો નથી. ત્રીજી સંભાવના એવી છે કે વડા પ્રધાન પાસે વિકાસનો કોઈ સ્પષ્ટ એજન્ડા જ નથી અને જ્યાં શું કરવું જોઈએ એની સમજ છે ત્યાં એ કરવા જેટલી હિંમત નથી
ગયા અઠવાડિયે મેં લખ્યું હતું કે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે એટલે સંઘપરિવારે ઑર્કેસ્ટ્રા ગોઠવવા માંડ્યું છે અને સાજ સજાવવામાં આવી રહ્યા છે. હવે વાજિંત્રોનો ઝણઝણાટ કાને પડવા લાગ્યો છે. BJPના ભૂતપૂવર્ નેતા અરુણ શૌરીએ તો મહિના પહેલાં જ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે BJP ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવશે અને દેશમાં પ્રજા વચ્ચે ઊભી કોમી તિરાડ પાડવામાં આવશે. તેમનો ભય સાચો પડવા લાગ્યો છે. આવનારા દિવસો વસમા નીવડવાના છે અને દેશને દાયકાઓ સુધી રૂઝ ન વળે એવા ઘા પડવાના છે.
ગયા સપ્તાહના અંતમાં BJPની રાષ્ટ્રીય કારોબારીની બેઠક અલાહાબાદમાં મળી હતી. એ બેઠકમાં વડા પ્રધાને ઉત્તર પ્રદેશના વિકાસની વાતો કરી હતી અને તેમની હાજરીમાં જ પક્ષના અધ્યક્ષ અમિત શાહે કૈરાનાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મુસલમાનોની બહુમતીવાળા આ ગામમાંથી હિન્દુઓ ડરના માર્યા ઉચાળા ભરી રહ્યા છે. હિન્દુઓને વ્યવસ્થિત આયોજનપૂવર્ક ગામમાંથી તગેડવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકાર હિન્દુઓને સંરક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે. આ વાત તેમણે વડા પ્રધાનની હાજરીમાં કહી હતી અને વડા પ્રધાન સંમતિની મુદ્રામાં ચૂપ રહ્યા હતા. એ પછી સાધ્વી પ્રાચીએ કહ્યું હતું કે દેશને મુસલમાનોથી મુક્ત કરવાની જરૂર છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના BJPના સંસદસભ્ય હુકુમ સિંહે કહ્યું હતું કે કૈરાનામાંથી ૩૪૬ હિન્દુઓ જીવ બચાવવા ગામમાંથી ભાગી ગયા છે. તેમણે કૈરાનાની સ્થિતિની તુલના કાશ્મીરની ખીણ સાથે કરી હતી જ્યાં હિન્દુઓને તગેડી મૂકવામાં આવ્યા છે. એની પાછળ-પાછળ એ જ પ્રદેશના બીજા એક સંસદસભ્ય સંગીત સોમે હિન્દુઓને ન્યાય અપાવવા યાત્રા કાઢી હતી. બધું જ ઉપરથી આવવામાં આવતા આદેશ મુજબ થઈ રહ્યું છે અને દરેક જણ તેમને આપવામાં આવેલી ભૂમિકા ભજવી રહ્યું છે. ચોમાસામાં વરસાદ પડે અને જેમ દેડકાઓ જમીનમાંથી બહાર આવીને ડ્રાંઉં-ડ્રાંઉં કરવા માંડે એવી સ્થિતિ છે.
મીડિયા પણ હંમેશાં જોવા મળે છે એમ બે છાવણીમાં વહેંચાઈ ગયાં છે. બેશરમ અને બિકાઉ મીડિયા અનુકૂળ સૂર કાઢવા લાગ્યાં છે અને કોઈ પણ પ્રકારની ચકાસણી વિના BJPના નેતાઓ દ્વારા કરવામાં આવતા દાવાઓને એમ ને એમ હાર્ડ ન્યુઝ તરીકે આપી રહ્યાં છે. ફેબ્રુઆરી મહિનામાં તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કન્હૈયાકુમાર દેશદ્રોહી સૂત્રોચ્ચાર કરતો હોય એમ બતાવતી ફિલ્મ ચલાવી હતી જે મૉર્ફ્ડ (ફોટોશૉપમાં કટ-પેસ્ટ દ્વારા ઊપજાવી કાઢેલી) હતી. સત્ય જ્યારે બહાર આવ્યું ત્યારે ખેદ પ્રગટ કરવા જેટલી માણસાઈ પણ તેમણે બતાવી નહોતી. આ વખતે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની જગ્યાએ તેમને કૈરાનાની બ્રીફ આપવામાં આવી છે. બીજાં કેટલાંક મીડિયા ચાલાકીપૂવર્ક મદદ કરી રહ્યાં છે. તેઓ સત્યની ચકાસણી કરતાં નથી, પરંતુ તટસ્થતાનો દેખાવ કરવા રાજકીય પક્ષોના નેતાઓને આમનેસામને અફળાવી રહ્યા છે. નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરે એ પ્રતિક્રિયા કહેવાય, જેને નકારી ન શકાય એવાં તથ્યો ક્યાં? એની તેમને જરૂર નથી લાગતી અને એ રીતે તેઓ પણ ઑર્કેસ્ટ્રાનો એક હિસ્સો છે.
માત્ર ગણતરીનાં મીડિયા સ્થળ પર જઈને સત્યને ચકાસવાની ઈમાનદારી બતાવી રહ્યાં છે. આવાં મીડિયા આંગળીને વેઢે ગણી શકાય એટલાં જ છે અને એમ છતાં તેઓ જુઠ્ઠાણાં ફેલાવનારાં બગલબચ્ચાંઓને ભારી પડી રહ્યાં છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’એ હુકુમ સિંહે આપેલાં ૩૪૬ નામોની ચકાસણી કરી હતી જેમાં તથ્ય બહાર આવ્યું હતું કે એમાંના કેટલાક અવસાન પામ્યા છે અને બીજા કેટલાક કોમી તંગદિલી પેદા થઈ એના ઘણા સમય પહેલાં કમાવા માટે અન્યત્ર સ્થળાંતરિત થયા હતા. તેમણે ગામ છોડ્યું નથી, તેઓ ગામની બહાર વસે છે અને પરિવાર તો હજી ગામમાં જ છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને બીજાં તટસ્થ મીડિયા જ્યારે નક્કર પ્રમાણો બહાર લઈ આવ્યાં ત્યારે ફસાઈ ગયેલા હુકુમ સિંહે ખુલાસો કર્યો હતો કે હિન્દુઓ ગામ છોડી ગયા છે એનું કારણ આર્થિક છે, કોમી નથી.
આ બાજુ સોશ્યલ મીડિયા પર કુપ્રચાર કરનાર સાઇબર સેલ સક્રિય છે. ભાડૂતી સોશ્યલ મીડિયા બહાદુરો બીજા કોઈ સ્થળની તસવીરો અને વિડિયો-ફુટેજ (અગેઇન મૉર્ફ કરેલાં) ખોટી માહિતી સાથે વાઇરલ કરી રહ્યા છે જેને ભક્તો સાચી માનીને પોતપોતાના ગ્રુપમાં ફૉર્વર્ડ કરી રહ્યા છે. ભક્તો જાણે છે કે તેઓ જે માહિતી અને તસવીરો ફૉર્વર્ડ કરી રહ્યા છે એમાં સત્યનો અંશ સુધ્ધાં નથી. તેઓ બિચારા દયાનંદ સરસ્વતીએ કહ્યું હતું એમ કાનફટા અને નાકકટા સાધુઓ જેવા છે. એક વાર નાક કપાવ્યા પછી હવે સત્ય સ્વીકારવાની તેમનામાં હિંમત રહી નથી.
આ વાત જરાક આકરી તો લાગશે, પણ કહેવી જરૂરી છે. આના દ્વારા કેટલાક ભક્તોની આંખ ખૂલે એવી ભોળી શ્રદ્ધા દયાનંદ સરસ્વતીએ પણ રાખી હતી અને હું પણ રાખું છું. દયાનંદ સરસ્વતીએ ભક્તોની સંખ્યા જાળવી રાખવાની કાર્યપદ્ધતિ તેમના ‘સત્યાર્થ પ્રકાશ’ નામના ગ્રંથમાં વર્ણવી છે. એક વાર મારઝૂડમાં કપાયેલા નાકવાળો સાધુ એક ગામમાં ગયો. લોકોએ નાક કપાવાનું કારણ પૂછ્યું તો એ સાધુએ કહ્યું કે ઈશ્વરનાં દર્શન કરવા તેણે નાક વધેરી નાખ્યું હતું. એક ભોળા ભક્તે પૂછ્યું કે શું નાક કાપવાથી ભગવાનનાં દર્શન થઈ શકે? સાધુએ કહ્યું કે જરૂર થઈ શકે, જો હિંમત હોય તો નાક કાપીને ખાતરી કરી લે. પેલાએ નાક કપાવી નાખ્યું, પણ ઈશ્વરનાં દર્શન થયાં નહીં. તેણે પ્રશ્નાર્થ સાથે સાધુ તરફ જોયું ત્યારે પેલા સાધુએ કાનમાં કહ્યું કે હવે નાક તો ગયું અને તું મૂર્ખ બની ગયો છે. હવે જો આબરૂ બચાવવી હોય તો તું પણ કહે કે મને સાક્ષાત્ ભગવાનનાં દર્શન થઈ રહ્યાં છે. બસ, આ કાર્યપદ્ધતિ છે ભક્તોની સંખ્યા વધારવાની અને જાળવી રાખવાની. હું એકલો મૂર્ખ નથી એમ બતાવવા તેઓ પોતાની સંખ્યા વધારી અને ટકાવી રહ્યા છે. દયાનંદ સરસ્વતી કહે છે કે કેટલાક સંપ્રદાયો આ રીતે અસ્તિત્વમાં આવ્યા છે અને ટક્યા છે. એક વાર કંઠી બાંધ્યા પછી આપણને બેવકૂફ બનાવાઈ રહ્યા છે એનો ભક્તો જલદી સ્વીકાર કરી શકતા નથી અને મૂર્ખ બનાવનારાઓ આ સાઇકોલૉજી જાણે છે.
૨૦૧૩માં નરેન્દ્ર મોદીએ જ્યારે BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી ત્યારે ભક્તો કહેતા હતા કે તમે સેક્યુલરિસ્ટો ૨૦૦૨ના ગુજરાતને ભૂલતા નથી અને ભૂલવા દેતા નથી, બાકી સાહેબ તો ક્યારના આગળ નીકળી ગયા છે. નરેન્દ્ર મોદી હવે વિકાસના પંથે છે અને ગુજરાત પછી હવે દેશનો વિકાસ કરવા નીકળ્યા છે. નરેન્દ્ર મોદીના કપાળ પર કોમવાદી અને ફાસીવાદી હોવાનાં લેબલ ચોડવાની જગ્યાએ એક તક તેમને આપવી જોઈએ. કેટલાક વળી કહેતા હતા કે દરેક માણસ બદલાઈ શકે છે અને નરેન્દ્ર મોદી હવે ૨૦૦૨ના ગુજરાતના મોદી નથી રહ્યા. બીજા કેટલાક વળી એમ સમજાવતા હતા કે જુઓ તેમણે ગુજરાતમાં કેવી સિફતપૂવર્ક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એનાં બીજાં સંગઠનોને હાંસિયામાં ધકેલી દીધાં છે અને એ રીતે તેઓ રાષ્ટ્રીય સ્તરે પણ પરિવારના કોમવાદી સભ્યોને હાંસિયામાં ધકેલી દેશે. તેઓ શંકા કરનારાઓને સધિયારો આપતા હતા કે સાહેબ બદલાયા છે અને સાહેબ કોઈ પણ પ્રકારના કોમી ભેદભાવ વગર દેશનો વિકાસ કરવા માગે છે એટલે ડરવાની જરૂર નથી. સંઘની વિચારધારાનો વિરોધ કરનારા અનેક સેક્યુલરિસ્ટોએ અને મુસલમાનોએ સુધ્ધાં ભરોસો રાખીને ત્યારે વિકાસ માટે મત આપ્યા હતા. આજે હવે એ જ ભક્તો ભ્રમમુક્ત થઈને બહાર આવવાની જગ્યાએ નરેન્દ્ર મોદીના નાક નીચે થતી કોમવાદી પ્રવૃત્તિનો બચાવ કરી રહ્યા છે. આ જ તો કાનફટા અને નાકફટા સિન્ડ્રૉમ છે જેની દયાનંદ સરસ્વતીએ વાત કરી હતી.
સવાલ એ છે કે શા માટે નરેન્દ્ર મોદી ૨૦૧૩-’૧૪માં સમર્થકો અપેક્ષા રાખતા હતા એમ વિકાસના માર્ગને નથી વળગી રહેતા? તેમની પાસે લોકસભામાં બહુમતી છે અને નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સમાં જે સાથી પક્ષો છે એમાંના કોઈ હિન્દુ કોમવાદી રાજકારણ કરવાનો આગ્રહ નથી રાખતા. ઊલટું તેઓ તો ઇચ્છે છે કે BJP હિન્દુ કોમવાદી રાજકારણ ન કરે જેથી તેમને પોતાના રાજ્યમાં નુકસાન ન થાય. આ ઉપરાંત પક્ષ પર નરેન્દ્ર મોદીની પૂરી પકડ છે. રહી વાત લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, અરુણ શૌરી જેવા વિરોધીઓની તો તેઓ તો હજ કરી આવેલી બિલ્લીઓ જેવા છે જે હવે સેક્યુલર વાણી વદે છે. એવી કઈ મજબૂરી છે કે નરેન્દ્ર મોદીએ વિકાસની જગ્યાએ હિન્દુત્વનો માર્ગ અપનાવવો પડે છે?
ત્રણ સંભાવના છે. એક સંભાવના એવી છે કે તેઓ ક્યારે ય બદલાયા નહોતા. તેઓ હિન્દુત્વવાદી છે અને એ જ તેમનો એજન્ડા હતો. દાયકાઓ સુધી પ્રચારક તરીકે જેનો પ્રચાર કર્યો હોય એનાથી માણસ બહુ દૂર નીકળી જાય એ શક્ય જ નથી. સબકા સાથ સબકા વિકાસ તો દિલ્હી પહોંચવા માટેનું મહોરું હતું. દેશમાં હિન્દુત્વવાદી એજન્ડા લાગુ કરવો હોય તો કેન્દ્રમાં BJP પાસે બહુમતી જરૂરી છે અને બહુમતી મેળવવા સબકા સાથ સબકા વિકાસનો ખેલ ભજવવામાં આવ્યો હતો. સંઘપરિવારના તમામ સભ્યોને કહેવામાં આવ્યું હતું કે આપણો રથ દિલ્હી ન પહોંચે ત્યાં સુધી કોઈએ હિન્દુત્વનો હ ઉચ્ચારવાનો નથી. આવડતું હોય તો ડાહી-ડાહી વાતો કરો અને ન આવડતું હોય તો મૂંગા રહો. પહેલાં આપણે દિલ્હી પહોંચવાનું છે અને એક વાર દિલ્હી પહોંચ્યા પછી બધી જ સરકારી, અર્ધસરકારી અને સરકારની સહાય દ્વારા ચાલતી સંસ્થાઓ આપણા તાબામાં હશે.
બીજી સંભાવના એવી છે કે દિલ્હી પહોંચી ગયા પછી સંઘપરિવાર નરેન્દ્ર મોદીને ગણકારતો નથી. આવી તક બીજી વાર મળે કે ન મળે એટલે આ તક જવા દેવાની નથી. તેમણે ધરાર શિક્ષણ અને સાંસ્કૃિતક બાબતોનાં ખાતાં આંચકી લીધાં છે અને એમાં ચહેરા વિનાનાં પૂતળાંઓ બેસાડી દીધાં છે. તમે વિકાસના મોરચે જે કરવું હોય એ કરો, આ બે ખાતાં અમારાં એવું વડા પ્રધાનને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે અને વડા પ્રધાન સંઘ સામે લાચાર છે. સંઘની સહાય વિના BJP કોઈ ચૂંટણી જીતી શકે નહીં એવી લોકવાયકા પ્રબળ છે. શિક્ષણ અને સાંસ્કૃિતક બાબતો સંઘ નક્કી કરતો હોવાના કારણે રાજકારણ કોમી રંગે ડહોળાઈ ગયું છે અને વડા પ્રધાન મજબૂર છે. આ દેશમાં વિધાનસભાની ચૂંટણી ઉપરાઉપરી આવતી રહે છે. સંઘે સબકા સાથ સબકા વિકાસની જગ્યાએ રાજકારણને હિન્દુ રંગ આપી દીધો છે એટલે નાછૂટકે હિન્દુત્વનું રાજકારણ કરવું પડે છે.
ત્રીજી શક્યતા એવી છે કે વડા પ્રધાન પાસે વિકાસનો કોઈ સ્પષ્ટ એજન્ડા જ નથી અને જ્યાં શું કરવું જોઈએ એની સમજ છે ત્યાં એ કરવા જેટલી હિંમત નથી. દેશનો જો ખરેખર વિકાસ કરવો હોય તો અદાલતી, વહીવટી, ચૂંટણીકીય, આર્થિક, નાણાકીય, સંસદીય, સંઘીય (ફેડરલ) એમ સોએક જેટલા ધરખમ સુધારાઓ કરવા પડે એમ છે અને એ કરવા માટે ખરેખર ૫૬ની છાતીની જરૂર છે. ૧૯૮૪માં રાજીવ ગાંધી લોકસભામાં ૭૫ ટકા કરતાં વધુ બેઠકો સાથે વડા પ્રધાન બન્યા હતા અને કૉન્ગ્રેસમાં તો પરિવાર સવર્સ્વ છે અને એ છતાં તેઓ વ્યવસ્થા સુધારી નહોતા શક્યા. એટલું તો તેમના દુશ્મનોએ પણ કબૂલ કરવું પડશે કે તેમણે વ્યવસ્થાને હાથ લગાડવાની હિંમત કરી હતી. રાજીવ ગાંધીને સફળતા તો નહોતી મળી પણ ઊલટું સત્તા ગુમાવવી પડી હતી.
આના પરથી ખ્યાલ આવશે કે સ્થાપિત હિતો કેટલાં મજબૂત છે અને શાસકો કેટલા વામણા છે. નરેન્દ્ર મોદી પોતે આ વ્યવસ્થાનું પ્રોડક્ટ છે એટલે તેઓ એની વિરુદ્ધ જઈ શકતા નથી. છેલ્લાં બે વર્ષમાં તમે જોયું હશે કે નવી સરકારે એક પણ દૂરગામી સુધારો નથી કર્યો કે નથી એવો સુધારો કરવાનો તેમણે કોઈ પ્રયાસ કર્યો. દૂરગામી સુધારાઓ કરવા જેટલી હિંમત નથી અને ઉપરાઉપરી ચૂંટણી આવી રહી છે એટલે નરેન્દ્ર મોદીએ નાછૂટકે ભાગલા પાડો અને રાજ કરોનું કોમી વિભાજન કરવું પડે છે એવો આ ત્રીજો ખુલાસો છે.
આ ત્રણ શક્યતાઓમાંથી કઈ શક્યતા તમને નજરે પડે છે? બીજાની ભક્તિ કરવામાં વાંધો નથી, પરંતુ બુદ્ધિ તો આપણી પોતાની ગાંઠે છેને!
વિચારી જુઓ.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 જૂન 2016
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-19062016-14
![]()


In our father-son relationship, clicking "like" button would have been rare, if we had Facebook when I was growing up. And I would not have dared to click "dislike" button even if one was available.
In our father-son relationship, clicking "like" button would have been rare, if we had Facebook when I was growing up. And I would not have dared to click "dislike" button even if one was available.