Opinion Magazine
Number of visits: 9554846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસમાં છવાઈ જાય યા વિશ્વભરમાં ફેલાઈ જાય

મહેન્દ્ર દેસાઈ|Opinion - Opinion|2 March 2016

હાલમાં ભારત સરકારે સુભાષચંદ્ર બોઝને લગતા સરકારી કાગળો અને દસ્તાવેજો પ્રજા સમક્ષ પ્રકાશિત કર્યા અને એ સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં મન ડૂબી ગયું. આઝાદી પછી લગભગ ખોવાઈ ગયેલા, વિસરાઈ ગયેલા કે વિસરાવી દીધેલા એ નેતાજી બોઝ ફરીથી જનમાનસ પર છવાતા લાગ્યા અને સાથે સાથે અનેક પ્રશ્નો પણ ઉભરાવા લાગ્યા.

એ વાત તો સુવિદિત છે કે આઝાદીની લડત માટે ગાંધીજીની અહિંસક સત્યાગ્રહની વિચારધારા તે કાળના કૉંગ્રેસ પક્ષના બધા જ નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ અપનાવી લીધી હતી. આ પ્રકારની લડત એક નવીન તરેહની હતી, તેથી પરિણામ અસ્પષ્ટ અને ધીમું હોય એવું ઘણા દેશવાસીઓને લાગતું હતું. નેતાજી બોઝને આ પ્રકારની લડતમાંથી ધીરેધીરે વિશ્વાસ ઉઠતો ગયો અને તેથી કૉંગ્રસમાંથી રાજીનામું આપી છૂટા થઈ ગયા હતા. સશસ્ત્ર જંગથી જ ભારતને આઝાદી મળી શકે એવી પોતાની વિચારધારાને દેશની પ્રજા સમક્ષ રજૂ કરવા લાગ્યા. ચોક્કસ પરિણામ અને સમયબંધ પરિણામ આ સશસ્ત્ર જંગથી જ આવી શકે એ વાત પોતાની વાણીના પ્રભુત્વથી દેશના મોટા ભાગના જન સમુદાયને સમજાવવામાં સફળ થતા ગયા. એમના વ્યક્તિત્વથી અને જુસ્સાદાર વક્તવ્યથી આકર્ષાઈને ઘણા બધા એમના પક્ષમાં સામેલ થવા લાગ્યા અને એમ કરતા કરતા થોડા જ સમયમાં એક ફોજ − ચાળીસ હજારની સશક્ત અને સશસ્ત્ર સૈનિકોની ફોજ − તૈયાર થઈ ગઈ. પણ કાળની ગતિ કંઈક વિપરીત હોય છે અને એક વિમાન દુર્ઘટનામાં નેતાજી મૃત્યુ પામ્યા. એમના જેવું વ્યક્તિત્વ ધરાવતી બીજી કોઈ વ્યક્તિ તે સમયે એમના પક્ષમાં નહીં હોવાથી ધીરે ધીરે ફોજ વિખરાવા લાગી અને એમનો પક્ષ પડી ભાંગ્યો. બીજી બાજુ ગાંધીજીની અહિંસક લડત ચાલુ રહી અને ભારતને આઝાદી પ્રાપ્ત થઈ. એ હવે ઇતિહાસ થઈ ગયો.

હવે આ પ્રકાશિત દસ્તાવેજોમાંથી નેતાજી બોઝ ફરીથી જન માનસ પર પ્રગટ થવા લાગ્યા. આઝાદી સંગ્રામના એ સમયના બે ઘડવૈયા – લડવૈયા પણ બન્નેની વિચારધારા એકબીજાથી વિપરીત હોય ત્યારે એ બેમાંથી કોણ સાચા અને કોણ ખોટા એ પ્રશ્નને બાજુએ મૂકીને બન્નેની અલગ અલગ વિચારધારાની સમીક્ષા કરવાનું સૌ કોઈને મન થાય. અને એ સમીક્ષા કરવામાં પણ સાચાખોટાનો મુદ્દો તો કેન્દ્રવર્તી રહેવાનો જ.

તો પછી, ‘જો’ અને ‘તો’ના મનોલોકમાં જઈને જોઇએ તો ? જો સુભાષચંદ્ર બોઝ જ્યારે કૉંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા હતા અને એક સમયે પક્ષ પ્રમુખ પણ હતા ત્યારે કૉંગ્રેસે સશસ્ત્ર જંગની એમની વિચારધારાને અપનાવી લીધી હોત − ગાંધીજીને એકલા છોડી દઈને − અને એ પ્રમાણે કાર્યરત થઈ હોત તો ?

ગાંધીજી એ અહિંસક સત્યાગ્રહની લડતની વાત પ્રજા સમક્ષ રજૂ કરી તે પહેલાં, રાજ્યસત્તાના પરિવર્તન માટે સશસ્ત્ર જંગ સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. એનો બીજો કોઈ પર્યાય હોઈ ન શકે એવી વિચારસરણી સમગ્ર દેશમાં અને જગતમાં પણ પ્રચલિત હતી. તેથી કરીને સશસ્ત્ર જંગના નેતાજી બોઝના વિચારોને પ્રજાએ સ્વીકારી લીધા હોત.

પણ એ વિચારધારાને કાર્યરત કરવા માટેની કિંમત ! પ્રથમ તો શસ્ત્ર-સરંજામ એકત્રિત કરવાની મુશ્કેલી. એ ખરીદવા માટે નાણાંની મુશ્કેલી. કદાચિત પ્રજાના સહકારથી સારું એવું નાણાંભંડોળ ઊભું થઈ શક્યું હોત અને આઝાદી જંગમાં જોડાવા વિશાળ સંખ્યામાં પ્રજા તૈયાર થઈ હોત. પણ ત્યાર બાદ અનેકાનેક યુદ્ધમાં થતી આવી છે એવી ભારે હાલાકી, સમગ્ર દેશમાં જાનમાલનો, માલમિલકતનો વિનાશ થયો હોત. કેટલી બધી જાનહાનિ થઈ હોત. કેટલું બધું યુવાધન નાશ પામ્યું હોત. અને ત્યાર બાદ મેળવેલાં પરિણામ પછી દેશને ઊભા થવામાં કેટકેટલી હાડમારી ભોગવવાની થાત. જો કે આવી ભારે કિંમતની કલ્પના એ સમયની પ્રજામાં હતી તો ખરી. કારણ કે કોઈ પણ વસ્તુને હાંસલ કરવા માટે બલિદાનની જરૂર છે અને જ્યારે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય તો … … ‘યુદ્ધસ્વ’ એ જ અંતિમ − આવું ખમીર ધરાવતી પ્રજાના નેતા હતા સુભાષચંદ્ર બોઝ.

હવે મનોલોકમાંથી નીકળી ભૌતિક જગતમાં આવીએ. અહિંસક સત્યાગ્રહથી ભારતને આઝાદી મળી. ત્યાર બાદ વિશ્વના અનેક રાષ્ટૃો પરદેશી શાસનમાંથી મુક્ત થયા, પણ ક્યાં ય સશસ્ત્ર જંગ થકી આઝાદી મેળવી હોય એવું બન્યું નથી. એવું પણ નથી કે ત્યાર બાદ વિશ્વભરમાં ક્યાં ય સશસ્ત્ર જંગ ન થયા હોય. વિશ્વયુદ્ધોની ભયંકર વિનાશકતા ભોગવી હોવા છતાં પણ ‘યુદ્ધનો મોહ’ મહાસત્તાઓમાંથી છૂટ્યો નથી. વિશ્વયુદ્ધ પછી ય જેટલા સશસ્ત્ર જંગ ખેલાયા ત્યાં ક્યાં ય પણ અંત પરિણામ ઉદ્દેશપૂર્ણ પ્રાપ્ત થયું ખરું ? છતાં ય એ ગતિવિધિ આજે પણ ચાલુ જ રહી છે.

ગાંધીજીના અહિંસક લડતના વિચારોને પ્રજા સમક્ષ રજૂ કરાયાના સો વરસ થવા આવશે. એમની રાહે ચાલીને ભારતે કેટલી બધી ખુવારી થતી નિવારી. આખાયે જગતને શસ્ત્ર સિવાય પણ પ્રશ્નો સુલજાવી શકાય, ઉદ્દેશ પ્રાપ્ત થઈ શકે એવી નવીન વિચારધારા મળી અને અનેક યુદ્ધો થતાં નિવારી શકાયાં … એ ગાંધીજીની દૂરદર્શિતા.

કોઈ વ્યક્તિ ઇતિહાસમાં છવાઈ જાય તો કોઈ વિભૂતિ વિશ્વભરમાં ફેલાઈ જાય.

લંડન, 19 ફેબ્રુઆરી 2016

e.mail : mndesai.personal@googlemail.com

Loading

શાસકોનો સ્વાર્થવાદ અને અધૂરિયાઓનો રાષ્ટ્રવાદ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|29 February 2016

જેમનું પેટ ભરેલું છે અને જેમને સરકાર પાસેથી કંઈ જોઈતું નથી એવા લોકો સવાયા રાષ્ટ્રવાદી છે. તેમને મનરેગા સફળ થાય કે ન થાય, છેલ્લા માણસનું પેટ ભરાય કે ન ભરાય, બાળમરણ અને ભૂખમરો દૂર થાય કે ન થાય, દલિતોને ન્યાય મળે કે ન મળે, ગ્રામીણ સ્ત્રીઓને પીવાનું પાણી ભરવા ગમે એટલું દૂર જવું પડે, ટૉઇલેટના અભાવમાં બહેનોએ રાતના અંધારામાં ટૉઇલેટ જવું પડે, અદાલતોમાં ન્યાય મોંઘો મળે કે સસ્તો મળે અથવા ટાણે મળે કે મોડો પડે ખાસ કોઈ ફરક પડતો નથી.

આકાર પટેલે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માંની તેમની રવિવારની કૉલમમાં એક સરસ વાત કરી છે. દાયકા પહેલાં આકાર પટેલની ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપદે નિયુક્તિ થઈ હતી. તેમણે તેમના પુરોગામી શ્રવણ ગર્ગ પાસેથી તંત્રીપદનો ચાર્જ લીધો અને મૂળ મધ્ય પ્રદેશના વતની શ્રવણ ગર્ગે ગુજરાતમાંથી વિદાય લીધી ત્યારે આકાર પટેલે તેમને પૂછ્યું હતું કે તમને અમારામાં ગુજરાતીઓમાં કઈ અનોખી ચીજ જોવા મળી હતી અને ગુજરાત નરેન્દ્ર મોદી પાછળ ઘેલું હોવાનો તમારો શું ખુલાસો છે? શ્રવણ ગર્ગે જે જવાબ આપ્યો હતો એ વિચારવા જેવો છે અને આજે રાષ્ટ્રીય સ્તરે જે બની રહ્યું છે એ જોતાં વધારે વિચારણીય છે. ‘દિવ્ય ભાસ્કર’ના ભૂતપૂર્વ તંત્રીએ કહ્યું હતું કે શહેરી ગુજરાતીઓની સરકાર પરની નિર્ભરતા નહીંવત્ છે એટલે શહેરી ગુજરાતીઓ સરકાર પાસેથી માત્ર પોતાની સલામતીની અપેક્ષા રાખે છે.

વાત આમ છે. જેમનું પેટ ભરેલું છે અને જેમને સરકાર પાસેથી કંઈ જોઈતું નથી એવા લોકો સવાયા રાષ્ટ્રવાદી છે. તેમને મનરેગા સફળ થાય કે ન થાય, છેલ્લા માણસનું પેટ ભરાય કે ન ભરાય, બાળમરણ અને ભૂખમરો દૂર થાય કે ન થાય, દલિતોને ન્યાય મળે કે ન મળે, ગ્રામીણ સ્ત્રીઓને પીવાનું પાણી ભરવા ગમે એટલું દૂર જવું પડે, ટૉઇલેટના અભાવમાં બહેનોએ રાતના અંધારામાં ટૉઇલેટ જવું પડે, અદાલતોમાં ન્યાય મોંઘો મળે કે સસ્તો મળે અથવા ટાણે મળે કે મોડો પડે ખાસ કોઈ ફરક નથી પડતો. નરેન્દ્ર મોદી ૫૬ ઈંચની છાતી બતાવીને સલામતીની ખાતરી આપતા હોય, મુસલમાનોને તેમની જગ્યા બતાવી આપતા હોય, આ લખનાર જેવા ન્યાય-સમાનતા અને કાયદાના રાજ માટે આગ્રહ ધરાવનારા લોકોને ગાળો ભાંડતા હોય, તેમને હાંસિયામાં ધકેલી દેતા હોય તો બીજું જોઈએ શું?

આ ગુજરાત મૉડલ હતું જે હવે રાષ્ટ્રીય મૉડલ બની રહ્યું છે. છેલ્લા દોઢ દાયકામાં દેશભરમાં શહેરી મધ્યમવર્ગ વિસ્તર્યો છે અને તેમણે ગુજરાતીઓની માનસિકતા અપનાવી લીધી છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર જે લોકો ઍક્ટિવ છે તેઓ આવી માનસિકતા ધરાવે છે અને દિવસમાં બે-ચાર કલાક સોશ્યલ મીડિયા પર વિતાવવાની તેમની પાસે ફુરસદ છે. પેટ ભરેલું છે અને ઉપરથી સરકારનો ઉપયોગ કરતાં તેમને આવડે છે. તેમની નિસ્બત માત્ર એક જ વાતની છે. અંગત એટલે કે શહેરી મધ્યમવર્ગની સલામતી, જેને તેઓ દેશની સલામતી અને રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવે છે. એટલે તો દિલ્હીમાં નિર્ભયાની ઘટના બને ત્યારે તેઓ મીણબત્તી લઈને રસ્તા પર ઊતરી આવે છે, પરંતુ ગામડાંમાં ઉજળિયાતના પ્રેમમાં પડેલી દલિત કન્યાને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવે ત્યારે તેમનો અંતરાત્મા જાગતો નથી. વધુમાં વધુ તેમની નિસ્બત વિસ્તરીને ભ્રષ્ટાચાર સુધી પહોંચે છે, એનાથી આગળ પહોંચતી નથી. ભ્રષ્ટાચાર તેમની નિસ્બતનો વિષય એટલા માટે છે કે ભ્રષ્ટાચારને કારણે સરકારનો પૂરેપૂરો, ઝડપથી અને નિર્વિઘ્ને ઉપયોગ થઈ શકતો નથી. મનરેગામાં ભ્રષ્ટાચાર હોય એનાથી તેમને કોઈ ફરક પડતો નથી, મેટ્રો અને મહામાર્ગોના બાંધકામમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ.

તો દાયકા પહેલાં જે ગુજરાત મૉડલ હતું એ આજે રાષ્ટ્રીય મૉડલ બની રહ્યું છે અને એ ચિંતાનો વિષય છે. ફુરસદવાળા લોકો અપપ્રચાર કરીને પોતાના વર્ગીય હિતમાં દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે એનું તેમને ભાન નથી અને જો ભાન છે તો એનાથી તેમને કોઈ ફરક નથી પડતો. તેમનાં સંતાનો અમેરિકા, કૅનેડા કે ઑસ્ટ્રેલિયા વસવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યાં તેઓ ભારતીય શહેરી મધ્યમવર્ગ કરતાં પણ સવાયા રાષ્ટ્રવાદી બનવાના છે. આપણા કરતાં અનિવાસી ભારતીયો વધારે આકરા રાષ્ટ્રવાદી છે, કારણ કે તેમને તો સરકાર પાસેથી સલામતી સુધ્ધાંની અપેક્ષા નથી. બસ, અમારી પાછળ છૂટી ગયેલી ભૂમિ આબાદ રહે. અમારો ધર્મ, અમારી ભાષા, અમારા સંસ્કાર, અમારી પરંપરા આબાદ રહે. કયા સંસ્કાર અને કઈ પરંપરા? એ જ જે અમે પાછળ મૂકીને આવ્યા છીએ એમાં તસુભાર પણ ફરક ન પડવો જોઈએ. એટલે તો કન્યાની શોધમાં નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ ભારત આવે છે. સંસ્કાર અને પરંપરા બચાવવાની જવાબદારી પણ એ લોકો ભારતથી આયાત કરેલી સ્ત્રી પર લાદે છે એવા આ ધકધકતા રાષ્ટ્રવાદીઓ છે. વાસ્તવમાં આ કાયર રાષ્ટ્રવાદીઓ છે જેને જાણીતા સમાજશાસ્ત્રી બેનેડિક્ટ ઍન્ડરસને ઇમેજિન્ડ કમ્યુિનટીઝ તરીકે ઓળખાવી છે. તેમને મુંબઈ મૅનહટન જેવું જોઈએ છે, પરંતુ મૂલ્યો? નહીં, મૂલ્યો તો જૂનાં જ જળવાવાં જોઈએ.

જેમની સરકાર પાસેથી પોતાની સલામતી (જેને તેઓ દેશની સલામતી તરીકે ઓળખાવે છે) સિવાય કોઈ અપેક્ષા નથી એવા લોકો આજે રાષ્ટ્રીય ચર્ચાને હાઇજૅક કરી ગયા છે. આવો બળાપો દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ કાઢ્યો છે જેને બહુ ઓછાં અખબારોએ પહેલા પાનાને લાયક સમાચાર ગણ્યા છે. મુખ્ય ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરે કહ્યું છે કે હવે સરકારના કામકાજનું સોશ્યલ ઑડિટિંગ કરવું પડે એવો સમય આવી ગયો છે. મુખ્ય ન્યાયમૂર્તિએ પ્રશ્ન કર્યો છે કે દેશમાં પેન્ડિંગ કેસોનો ભરાવો થઈ રહ્યો હોય, કાચા કેદીઓ વગર સજાએ જેલમાં સબડી રહ્યા હોય, ન્યાય જેવી અમૂલ્ય ચીજ દેશના અદના નાગરિકને સુલભ ન થતી હોય ત્યારે દેશની વડી અદાલતોમાં (વડી અદાલતોમાં, નીચલી અદાલતોની વાત તો જવા દો) ન્યાયમૂર્તિઓની અડધી જગ્યાઓ ખાલી પડી હોય એ ગંભીર બાબત નથી? મુખ્ય ન્યાયમૂર્તિએ બળાપો કાઢ્યો છે કે મહિનાઓથી નિમણૂકની ભલામણો સરકાર પાસે પડી છે, પરંતુ સરકાર નિમણૂકો કરતી જ નથી.

આમાં આશ્ચર્યની કોઈ વાત નથી. જાણીબૂજીને નિમણૂકો કરવામાં નથી આવતી. જો નિમણૂકો કરવામાં આવે તો કન્હૈયાને વગર ગુને જેલમાં ન રાખી શકાય અને નકલી રાષ્ટ્રવાદનું રાજકારણ ન કરી શકાય. જો નિમણૂકો કરીને ન્યાયતંત્રને સક્ષમ કરવામાં આવે તો બૅન્કોને સવા લાખ કરોડ રૂપિયાનો ચૂનો લગાડનારા લોકોને કદાચ સજા થાય અને તેમની સંપત્તિ જપ્ત થાય. જો ન્યાયતંત્રને સજ્જ કરવામાં આવે તો રાજકીય પક્ષોએ આવકનો હિસાબ આપવો પડે. ટૂંકમાં ન્યાયતંત્રને સક્ષમ કરવામાં આવે તો દેશના આમ આદમીની મોટા ભાગની સમસ્યાઓનો અંત આવી જાય, પણ બીજી બાજુ શાસકવર્ગ માટે અને ખાસ આદમી માટે સમસ્યા શરૂ થાય. રાષ્ટ્રવાદનું રાજકારણ કરનારાઓ આ વાત જાણે છે, પરંતુ ઘેલા રાષ્ટ્રવાદીઓ આ જાણતા નથી અથવા જાણે છે તો એનાથી તેમને કોઈ ફરક નથી પડતો. અધૂરિયાઓ અને સ્વાર્થીઓ સોશ્યલ મીડિયા દ્વારા આજે નૅશનલ ડિસકોર્સ હાઇજૅક કરી ગયા છે જેનો શાસકો લાભ લે છે. એટલે મુખ્ય ન્યાયમૂર્તિએ કહેવું પડ્યું છે કે હવે સરકારના કામકાજનું સોશ્યલ ઑડિટિંગ થવું જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 29 ફેબ્રુઆરી 2016

Loading

ચાલો ઇન્સાન બનાવીએ

આશા બૂચ|Opinion - Opinion|28 February 2016

થોડા દિવસ પહેલાં દિલ ધડકાવનાર સમાચાર મળ્યા કે Ligoએ Black Holeમાં ચુંબકીય મોજાંની શોધ કરી. આ એક અસાધારણ સિદ્ધિ માનવ જાતને ચોપડે લખાઈ. એવું જ ઇબોલા તથા Zika જેવા જીવલેણ કીટાણું સામે પણ દુનિયા આખી એક થઈને સામનો કરે છે; અને વૈજ્ઞાનિકો દેશ, જાત પાત કે ધર્મના ભેદ વિના સહુને તેમાંથી ઉગારવા કટિબદ્ધ થઇ રહ્યા છે. ખરેખર આવા અનેક શુભ સમાચારો થકી મનુષ્યની શક્તિ માટે માન ઉપજે અને જીવન જીવવાલાયક લાગે એ હકીકત છે.

તો બીજી બાજુ સમાચાર માધ્યમો સતત સીરિયામાં ચાલતા આંતર વિગ્રહને પરિણામે લાખો લોકો બેઘર બન્યા, વિસ્થાપિત થયા, પોતાનો દેશ છોડીને ચાલી નીકળ્યા અને નિરાશ્રિત બનીને શરણાર્થીનું બિરુદ મેળવી જિંદગી જીવવા પાંચ પાંચ વર્ષથી મથામણ કરી રહ્યાના દુ:ખદ સમાચારો રેલાવતા રહે છે. જાણે કે હાલમાં એક પણ દેશ આંતરિક કે આંતર દેશીય અશાંતિનો અનુભવ કરવામાંથી બાકાત રહ્યો હોય તેવું નથી લાગતું. જુઓને બે વિશ્વયુદ્ધો ખેલાયાં પછી યુનાઈટેડ નેશન્સની સ્થાપના થઈ અને એવી આશા બંધાયેલી કે આવા બબ્બે મોટા સંહારમાંથી માનવ જાતે પાઠ લીધો અને હવે અંદરો અંદર અને પરસ્પર સમજુતીથી રહેશે અને સંઘર્ષનો નિવેડો શાંતિથી લાવશે. પણ ના, હોલોકોસ્ટ પછી તો વિયેટનામ, રુવાન્ડા અને બોસ્નિયાના સામૂહિક હત્યાકાંડ થયા, ત્યારે એમ થાય કે આપણે ભૂતકાળની ભૂલોમાંથી કશું ન શીખ્યા? સંઘર્ષ અને લડાઈનાં કારણો માત્ર જુદા જુદા ધર્મ વચ્ચેના મતભેદો જ છે? એમ તો જેનોસાઈડ – સામૂહિક હત્યા કયા કયા કારણે થાય છે, એ તપાસીએ તો ધર્મ, જાતિ, દેખાવ, શારીરિક કે માનસિક અપંગાવસ્થા, જુદી જીવન પદ્ધતિ અને બાપ દાદાના જમાનાથી ચાલતા આવેલ વેર જેવાં અનેક કારણો જોવા મળશે. આવા હત્યાકાંડ ખેલાય તે આજકાલની વાત નથી, પરાપૂર્વથી ચાલ્યું આવે છે. પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરેલી, એ કિંવદંતી હોય તો પણ એ શું બતાવે છે?

આવે સમયે માદરે વતનના 21મી સદીમાં શા હાલચાલ છે, એ તપાસ્યા વિના ચેન ન પડે. ભારત બી.જે.પી.ના શાસન હેઠળ પ્રગતિની હરણફાળ ભરી રહ્યાના સમાચારોની શાહી સુકાઈ નથી, ત્યાં વાણી સ્વાતંત્ર્ય અને અન્ય મૂળભૂત માનવ અધિકારોનાં ખંડનને પરિણામે થતા અન્યાયો, જાનહાનિ અને હિંસક બનાવોનો ધોધમાર વરસી રહ્યો છે. કોઈ યુવાનની પ્રેમ ચેષ્ટાને અવગણવા બદલ કે તેના લગ્નના પ્રસ્તાવને ઠુકરાવવા બદલ થતો એસીડ એટેક હો કે નક્સલવાદી સમૂહોનાં હિંસક પગલાં હો, ભારત દેશમાં એક યા બીજા મુદ્દે, વ્યક્તિગતથી માંડીને સમૂહગત હિંસા જાણે હઠવાનું નામ નથી લેતી.

તેવામાં મનને શાતા વળે એટલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે બે ચાર જૂનાં ગીતોની વીડિયો ક્લીપ જોવામાં આવી, અને થયું, કાશ, તે ગીતોમાં વ્યક્ત થયેલી ભાવનાઓ સાકાર પામી હોત! કેટલાક વાચકોને ‘ગંગા જમના’ ફિલ્મનું ‘ઇન્સાફ કી ડગરપે બચ્ચો સીખાઓ ચલકે, એ દેશ હૈ તુમ્હારા નેતા તુમ હી હો કલ કે’ એ ગીત સાંભળ્યાંનું યાદ હશે. એવું જ દિલને વિચાર કરતા કરી મુકે એવું ‘ધૂલકા ફૂલ’નું ગીત ‘તુ ન હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ એ પણ સાંભળ્યું હશે. એ ફિલ્મ જોઈ અને ગીતો ગાતાં ત્યારે મનમાં ખરેખર એક આશા બંધાયેલી કે ભારતમાં એવા સુવર્ણ મઢ્યા દિવસો જરૂર આવશે. આજે સાડા છ દાયકે જરા નજર માંડીને હાલની પ્રજાનું બદલતું જીવન, તેના ઘસાતાં મૂલ્યો અને વધતી જતી અશાંતિનાં કારણો શોધતાં વિચાર આવે કે સ્વતંત્ર થયા પછી આપણે આપણી નવી પેઢીને એ સ્વપ્નો સાકાર કરવા આપણે યોગ્ય જમીન પૂરી પાડેલી? શિક્ષણ અને સંસ્કારોરૂપી જળ સિંચન કરેલું? સાચું બિયારણ વાવેલું કે આકડાનાં બીજમાંથી આંબાની અપેક્ષા રાખેલી?

સ્વતંત્ર દેશનાં બાળકો આવતી કાલના નાગરિક અને નેતા બને એ માટે તેમને સચ્ચાઈના માર્ગે ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવાના એટલે કે શુદ્ધ સાધનો દ્વારા મંઝીલ સુધી પહોંચવાના રસ્તા બતાવ્યા હોત, તો રગેરગમાં વ્યાપી ગયેલ ભ્રષ્ટાચાર અને અસત્યાચરણ જીવનના દરેકે દરેક પાસાને કોરી ન ખાતા હોત. અપેક્ષા હતી ભારતીય યુવા પેઢી દુનિયાને ઉન્નત બનાવે તે રીતે બદલી નાખશે, તેને બદલે ઘેટાંની માફક ભૌતિક સુખો પાછળ આંધળુકિયા કરી દોડનાર પ્રજા બની. જો કે તેમાં અપવાદ રૂપ અનેક વૈજ્ઞાનિકો, વિવિધ ક્ષેત્રોમાં સંશોધન કરનારાઓ અને સાહસિકો પાક્યા છે, જેમની ગણના સાદર કરવી રહી. ભ્રષ્ટાચાર અને અસત્યાચરણના પરિણામ સ્વરૂપ કે કારણભૂત જોવા મળતી એક પરિસ્થિતિ તે ભારતની કાયદા અને ન્યાયની નબળી વ્યવસ્થા. કયા ધર્મ, વર્ગ કે પ્રાંતમાં જન્મ્યા છો એ પરથી ન્યાય તમારી તરફેણમાં મળે કે વિરુદ્ધમાં એવી હાલત કાયમ રહી છે જે અત્યંત ખેદ જનક છે. આર્થિક, સામાજિક અને રાજકીય અસમાનતા આપણને સ્વતંત્ર થયા ત્યારે વારસામાં મળેલી અને તેને દૂર કરવા હિમાલય જેવી અડગ નિર્ણય શક્તિ, સાગર જેવડી ઉદારતા અને નર્મદાની ખીણ જેટલી ઊંડી સમજની જરૂર હતી. સમાજના દરેક સ્તરના લોકોને પાયાની જરૂરિયાતો મળી રહે અને સહિયારો વિકાસ થાય એ માર્ગ ખૂબ કઠીન હોય છે. 1940-50ના દાયકામાં જન્મેલાં બાળકોને એ હિંમત, આત્મવિશ્વાસ અને કુશળતા કેળવવાની તાલીમ આપવામાં આપણે ક્યાંક થાપ ખાઈ ગયા હોઈશું કે જેથી કરીને એ કપરાં ચઢાણ જોઈને તેને હામ ભીડી, પાર કરવાને બદલે આસાન માર્ગે થઈ પોતાના એકલાના પેટ ભરવાના સાધનો મેળવી સંતોષ માનીને બેસી રહેનાર પ્રજા બની રહી.

છેલ્લાં કેટલાંક વર્ષોથી માનવતા જાણે પાછળ પગલાં ભરી રહી છે. ધર્મ, રંગ, જાત-પાત અને લિંગના ભેદોને કોરાણે મૂકી પરસ્પર સમજણ કેળવી એખલાસભર્યું જીવન જીવવાનાં મંડાણ થયેલાં. પરંતુ હમણાં જાણે તેમાં ઓટ આવી છે. વિશ્વયુદ્ધો અને શીત યુદ્ધના ઓછાયા ઓસર્યા ત્યાં આંતરિક કલેશ, જાતિ અને ધર્મ આધારિત ભેદને નામે આતંકવાદ વકરી પડ્યો છે. ભારત ગૌરવ લઈ શકે તેમ છે કે દુનિયા આખીમાં જેટલી પ્રાકૃતિક, માનવ સ્રોતોનું, ધર્મોનું, ભાષાનું, ખોરાક અને પોશાકનું, અને સંસ્કૃિતનું વૈવિધ્ય છે, એ તમામ ભારતમાં જોવા મળશે. તો સાથે સાથે તેણે એ પણ કબૂલ કરવું પડશે કે દુનિયા આખીમાં જે પ્રશ્નો છે, એ તમામ ભારતમાં પણ વધતે ઓછે અંશે જોવા મળશે. તેમાં ય છેલ્લા બે-ત્રણ દાયકાઓથી ભારત પણ સતત આતંકવાદનો ભોગ બન્યું છે. અહીં કેટલાક લોકો એ માટે અન્ય દેશ, લઘુમતી કોમ અને લોકશાહી સિવાયની વિચારધારાને દોષિત ઠરાવશે. પરંતુ માનો કે સ્વતંત્રતા બાદ ભારતનો નવજન્મ થયો માનીએ તો દરેકે દરેક બાળકને જન્મતાંની સાથે તું અમુક જ્ઞાતિ કે ધર્મનો છો, માટે તું અમુક કરી શક, બીજાને અમુક અધિકારો ન આપી શકાય તેવું શિક્ષણ આપવાને બદલે એ માત્ર માનવ બાળ છે અને બીજા જેટલા જ અધિકારો તેને છે અને બીજાને પણ તેની બરોબરી કરવાનો જન્મસિદ્ધ અધિકાર છે તેમ આપણે શીખવેલું? તો આજે ‘અનામત’ની હોળી સળગી છે એ ન બન્યું હોત. પેલા ગીતમાં કહ્યું છે એ તદ્દન સાચું છે કે કુદરત કહો કે ઈશ્વર, તેણે તો માત્ર ઇન્સાન બનાવ્યો, આપણે તેને હિંદુ-મુસલમાન, બ્રાહ્મણ, અંત્યજ બનાવ્યો. કુદરતે જળ, જમીન અને જંગલ બનાવ્યાં, આપણે તેના પર લકીર ખેંચીને દેશ બનાવ્યા, તે શું લડાઈ ઝઘડા કરવા માટે જ ને? બેશક મંદિર-મસ્જિદ તોડો, બુલ્લે શાહ યહ કહતા; પર કિસીકા દિલ ન તોડો, ઉસમેં ખુદા હૈ રહતા. આવી શાણપણ ભરી શીખ અનેક સૂફી સંતો અને હિંદુ મહાત્માઓ આપી ગયા, તે આપણે ન તો શીખ્યા, ન આપણી નવી પેઢીને શીખવાડી.

મારે અનેક ધર્મના અને વિવિધ સંસ્કૃિતક તરાહના લોકોને મળવાનું બને છે અને એ તમામને મોઢે સંભાળું છું કે એક પણ ધર્મ, ધર્મગુરુ કે ધાર્મિક પુસ્તક પોતાના કે અન્યના ધર્મના લોકોને નફરત નથી શીખવતો, એક પણ મઝહબ બીજાને પોતાના પગ નીચે કચડવાનો બોધ નથી આપતો. તો પછી મંદિરમાં જનાર તોરા વાંચે અને સમજે અને ચર્ચમાં જનારાઓ ગુરુ ગ્રન્થ સાહિબ વાંચે અને સમજે તો દુનિયામાં અમ્ન-શાંતિ સુલેહનું રાજ્ય હોત ! દરેક સામાન્ય નાગરિકને કહેતો સંભાળ્યો છે કે આજની વિષમ પરિસ્થિતિ માટે આ રાજકારણીઓ જ જવાબદાર છે. અરે ભાઈ, લોકશાહી દેશોમાં તો તમે જ એમને ચૂંટીને મોકલો છો, તો શું તમે એમાં ભાગીદાર ન કહેવાઓ? વળી આપખુદ કે તાનાશાહી રાજ્ય વ્યવસ્થામાં પણ પ્રજા ધારે તો તેના શાસકને જરૂર પાઠ ભણાવી શકે. માત્ર શરત એટલી કે ન્યાય અને શાંતિ સ્થાપવાનું ધ્યેય શસ્ત્રો ઉપાડવાથી સિદ્ધ નહોતું થયું, નથી થતું કે નહીં થાય એ જેટલું જલદી સમજીને સ્વીકારીશું એટલું જલદી તેનો વિકલ્પ પણ શોધીશું.

માનવ જાતે અગણિત સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણે વૈજ્ઞાનિકો, શિક્ષકો, ખગોળશાસ્ત્રીઓ, વકીલો, અવકાશયાત્રીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને બીજા અસંખ્ય ક્ષેત્રોમાં અત્યંત કુશળ વ્યાવસાયિકો બનાવ્યા. પણ લાગે છે કે હજુ આપણે ઇન્સાન નથી બનાવ્યા. ડોક્ટર કે વકીલ પોતાની પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપે, શિક્ષક પોતાના જ વિદ્યાર્થીનું જાતીય શોષણ કરે, વેપારી ગ્રાહકોને છેતરીને લૂંટે, રાજકારણીઓ પોતાની પ્રજાને વિના કારણે મોતના મુખમાં ધકેલે, ત્યારે તેઓમાં માનવની ગેરહાજરી મહેસૂસ થાય. માણસનો જન્મ તેના માતા-પિતાને ઘેર થાય, તેનું ભરણપોષણ અને પાયાના સંસ્કારનું સિંચન તેઓ અને કુટુંબીઓ કરે, વિધિવત શિક્ષણ અને ઇન્દ્રિયોની સર્વાંગી કેળવણી શાળા-કોલેજમાં પ્રાપ્ત થાય, સમાજ અને બૃહદ્દ સમૂહો તેનું ઘડતર કરે, રાજકારણીઓ તેમને ઇંધણ પૂરું પાડે અને ધર્મ તથા સમાજના નેતાઓ તેમને દિશા સૂચવે. અને આથી જ તો એ બધાએ સાથે મળીને હવે માનવીને માનવ બનાવવા એક સાથે મળીને કટિબદ્ધ બનવું પડે એવા પડાવ પર આવી ગયાં છીએ. કોઈ જજ ન બને તો વાંધો નહીં, કોઈ સ્ત્રી મોટી કંપનીની માલિકણ ન બને તો ફિકર નહીં, પણ તે બંન્ને અન્યના વિચારો, માન્યતાઓ, લાગણીઓ અને જરૂરિયાતો સમજી, પોતાની ફરજો સંપૂર્ણપણે બજાવનારા માનવ બને એવો ઉછેર અને તાલીમ આપવાની તાતી જરૂર ઊભી થઇ છે.

આ લેખ લખવા જે બે ગીતોએ મનને ધક્કો માર્યો તે અહીં વાચકો માટે જોડું છું.

https://youtu.be/3DUoUULuWNM

https://youtu.be/jqcyUkUFzrc

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,6033,6043,6053,606...3,6103,6203,630...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved