Opinion Magazine
Number of visits: 9553012
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જુલિયેટ

વલીભાઈ મુસા|Opinion - Short Stories|3 March 2016

પારંપારિક લૂક ધરાવતા બેડરૂમની સીલિંગ લાઈટ્સ ઓફ છે. એક માત્ર પ્રવેશદ્વારે ટ્યુબલાઈટ ઝળહળી રહી છે. ઓરડાના મધ્યભાગે પિત્તળના મહાકળશમાં ઉગાડાયેલાં વિવિધરંગી ગુલાબનાં ફૂલોની જગ્યાએ માત્ર શ્યામરંગી ગુલાબ જ દેખા દે છે. બારીઓના પડદા શ્યામ અને ફ્લોર ઉપરની કારપેટ પણ શ્યામ. પલંગની મચ્છરદાની, ગાદલાની ચાદર, રજાઈ, પિલોકવર સઘળું શ્યામ; દિવાલો પણ બ્લેક વોલપેપરથી એવી શ્યામરંગી, જાણે કે બેડરૂમ કોઈ સ્ટુડીઓનો ડાર્કરૂમ ન હોય! તો વળી તેણે પરિધાન કરેલો નાઈટગાઉન પણ શ્યામ જ છે. એક માત્ર ગૌર દેખાય છે, એનું વદન; હા, જુલિયેટનું વદન. ફુલ સ્લીવ નાઈટગાઉનની બાંયોની નીચેથી દેખાતા એના હાથના ગૌર પંજા અને પગનાં તળિયાં પણ ગૌર જ. જુલિયેટે તેના પતિ લોરેન્સ સાથેના સંબંધોનો છેદ ઉડાડીને બે બાળકો સાથે માતૃગૃહે પાછી ફર્યા પછી ઇન્ટિરિયર ડેકોરેટર્સને બોલાવીને પોતાના બેડરૂમની આંતરિક સજ્જાને વૈરાગ્ય અને ઉદાસીના પ્રતીકસમી શ્યામલ બનાવડાવી દીધી હતી, એટલા માટે કે હવે લોરેન્સથી છૂટા પડ્યા પછી તેના જીવનમાં અન્ય રંગો માટે કોઈ સ્થાન રહ્યું ન હતું. જો કે જુલિયેટની માતા ઈલિઝાબેથ કે તેનાં સંતાનોને તેની આ હરકતનું કોઈ આશ્ચર્ય થયું ન હતું, કેમ કે તેઓ તેને ધૂની અને સ્વૈરવિહારી સમજતાં હતાં; વળી તેના આંતરિક કારણથી તેઓ અજ્ઞાત પણ હતાં.     

એ રાત્રિએ જુલિયેટ ભર નિદ્રામાં હતી અને તેને લાગ્યું કે તેના મસ્તકના કેશમાં કોઈકની કોમળ આંગળીઓ ફરી રહી છે. એ આંગળીઓ હળવેકથી પક્ષીના પીછાની જેમ તેની ભ્રમરના મધ્ય ભાગ, કાનબુટ્ટીઓ અને નાસિકાના મધ્ય ભાગથી ઉપલા ઓષ્ઠ વચ્ચેની ખાંચ(Philtrum)ને સ્પર્શી રહી છે. હવે એ આંગળીઓ કેટલાક સમય સુધી તેના બિડાયેલા ઓષ્ઠને હળવેકથી સ્પર્શ્યા પછી તેની હથેળીનો પૃષ્ઠભાગ તેના ગાલો ઉપર નાજુક રીતે ફરવા માંડે છે અને તે ઝબકીને જાગી જાય છે. ઉપરાઉપરી તાલીસ્વરે તે સેન્સર નાઈટ લેમ્પને તેજોમય કરીને ભયભીત નજરે બેડરૂમમાં ચારે તરફ જોઈ વળે છે અને કોઈ ન દેખાતાં તેને ખાતરી થઈ જાય છે કે એ સ્વપ્ન માત્ર જ હતું. વળી એને એ અહેસાસ પણ થઈ જાય છે કે સ્વપ્નિલ એ સ્પર્શ અન્ય કોઈનો નહિ, પણ લોરેન્સનો જ હતો. શય્યાસુખ પૂર્વે આવી જ આંગિક પ્રણયચેષ્ટાઓ લોરેન્સ કરતો અને જુલિયેટ પણ એ ચેષ્ટાઓની આદી થઈ ગઈ હતી. વળી બંધ આંખે એ સઘળી સંવનનક્રિયાઓને મન ભરીને તે માણતી પણ ખરી.             

જાગી ગયેલી જુલિયેટ પલંગ નીચેની સુટકેસમાંથી ફોટો-આલ્બમ કાઢે છે અને શૂન્યમનસ્કભાવે અને શુષ્ક નજરે ટેબલ લેમ્પના અજવાળામાં મેરેજના અને હનીમૂનના ફોટાઓ જોવા માંડે છે. પરંતુ લોરેન્સ સાથે બેસીને આ જ આલ્બમને અનેકવાર જોવા છતાં પણ ધરપત મહેસુસ ન કરી શકતી એ જ જુલિયેટને આજે રસ પડતો નથી. બગાસું ખાતાં તેને છાતી સરસું ચાંપીને નાઈટલેમ્પને ડીમ કરી દે છે અને છેલ્લા અઠવાડિયા સિવાયના દસકાનાં મધુર દાંપત્યજીવનનાં સંસ્મરણોને વાગોળતાં વાગોળતાં તે ફરી પાછી નિદ્રાધીન થઈ જાય છે.

પરંતુ જુલિયેટનું અજ્ઞાત મન તો લોરેન્સથી વૈવાહિક સંબંધે છૂટા પડવાના છેલ્લા ઘટનાક્રમને જ ઉખેળવા માંડે છે. આજ લગીનું સુમેળભર્યું અને અન્યોન્ય નિર્ભેળ પ્રેમનું સિંચન પામીને ઘટાદાર બનેલું એમનું દાંપત્યવૃક્ષ એ દિવસે અચાનક ઉન્મૂલન પામ્યું હતું અને એના માટે જવાબદાર પોતે જ હતી. એ સાંજે ખુશમિજાજ ચહેરે ઓફિસેથી ઘરે આવેલા લોરેન્સ ઉપર કોઈપણ જાતની પૂર્વભૂમિકા વગર એણે વજ્રઘાત કર્યો હતો. જુલિયેટપક્ષે સ્વસ્થતાપૂર્વક અને લોરેન્સપક્ષે આઘાત અને આશ્ચર્યમિશ્રિત ભાવે તેમની વચ્ચે આમ સંવાદ થયો હતો :

‘મારી કેટલીક શરતો તને સ્વીકાર્ય હોય, લોરેન્સ, તો આપણી આપસી સંમતિથી; નહિ તો ફેમિલી કોર્ટના ચૂકાદા હેઠળ આપણે છૂટાં પડીએ છીએ.’

‘ઓ માય ગોડ, તું ગાંડી તો નથી થઈ ગઈ! તને ભાન છે કે તું શું બોલી રહી છે? તારો મજાક કરવાનો ભાવ હોય તો આવી ગંભીર અને આઘાતજનક મજાક થાય ખરી?’’ 

‘મજાક નથી, હકીકત છે; અને તું માથું પટકશે તો પણ તને કારણ તો નહિ જ જણાવું.’

‘જુલી, ફોર ધ ગૉડઝ સેક, મને પરેશાન ન કર. ઘડીભર માની લઉં કે તું ગંભીર છે, તો પણ ફેમિલી કોર્ટની રૂએ મને કારણ તો આપવું જ પડે ને!’

‘આપણો મામલો કોર્ટે જશે, તો ત્યાં કારણ આપીશ; અને એ પણ સાવ ખોટેખોટું! ડાયવોર્સની મારી માગણીને સાચી ઠેરવવા ઈશ્વરની માફી માગીને મારે તારા ઉપર ખોટા આક્ષેપો પણ કરવા પડશે! આપણાં બેઉની ભલાઈ એમાં છે કે આપણે રાજીખુશીથી છૂટાં પડીએ.’

‘જો હવે હું ગંભીરતાપૂર્વક કહું છું કે આપણા કેબિનેટની આંતરિક સેઈફમાંની મારી  રિવોલ્વરથી મને શુટ કરી દે એટલે ડાયવોર્સની જફા વગર તું મારાથી આપોઆપ છૂટી, બસ! વળી હું સ્વૈચ્છિક રીતે સુસાઈડ કરી રહ્યો છું એવી નોટ લખીશ એટલે તું આરોપમુક્ત! આનાથી વધારે તો તારા માટે હું બીજું શું કરી શકું?’ આમ કહેતાં લોરેન્સ રડી પડ્યો હતો.

‘એમ કરું કે, લોરેન્સ, હું જ મને પતાવી દઉં તો!’

‘આમ કહીને તું મને ઇમોશનલ ધમકી આપી રહી છે, ખરું ને! ઈશ્વરને ખાતર ધીમેથી બોલ, નહિ તો છોકરાં સમજશે કે આપણે ઝઘડી રહ્યાં છીએ.’

‘મેં એમને મારી મોમના ત્યાં મોકલી દીધાં છે.’

‘વાત આટલે સુધી પહોંચી ગઈ અને એ પણ મારી ગેરહાજરીમાં! તું મને ગાંડો કરી દઈશ, જુલી!’

‘હવે આડીઅવળી વાત પડતી મૂક, લોરેન્સ, અને મને જવાબ આપ કે આપણે કઈ રીતે છૂટાં પડવું છે?’

‘મારાં પેરન્ટ્સ તો આ દુનિયામાં મોજુદ નથી અને આપણાં બેઉ વચ્ચે એક માત્ર પેરન્ટ તરીકે તારાં મોમ મોજુદ છે. ચાલ, આપણે તેમના ઉપર છોડીએ કે આપણે કેવી રીતે છૂટાં પડવું? જોઈએ તો ખરાં કે તેઓ  કેવો માતૃધર્મ નિભાવે છે!’ લોરેન્સ ખિન્ન વદને બોલ્યો.

‘તું ભલે મને ઇમોશનલી બ્લેક મેઈલ ન કરતો હોય, પણ એટલું તો મક્કમતાપૂર્વક કહીશ કે મારો નિર્ણય અફર છે. હું ઇચ્છું છું કે આપણે આપસી સંમતિથી છૂટાં પડીશું તો જ આ વાત આપણા બે જણ પૂરતી ખાનગી રહેશે અને ખાસ તો મારાં મોમથી પણ અજાણ રહેશે. હું બાળકો સાથે મોમ સાથે રહીશ એ સૌને બાહ્ય રીતે એમ જ દેખાશે કે મારો ભાઈ જેક કોલેજશિક્ષણ માટે ફિલાડેલ્ફીઆ ચાલ્યો ગયો હોઈ મોમને એકલવાયાપણું ન લાગે માટે હું ત્યાં રહું છું.’

‘તારું ખરેખરું કારણ એ જ હોય તો તું ત્યાં રહે અથવા એમને આપણા ભેગાં બોલાવી લઈએ, પણ આ માટે તારું ડાયવોર્સ લેવાનું લોજિક મને સમજાતું નથી.’

‘એ સમજાવીશ પણ નહિ. પરંતુ હા, આપણી આપસી સહમતિથી આપણે છૂટાં પડીએ છીએ તેમ મેં તારા ઉપરના વિશ્વાસથી માની લીધું છે; અને તેથી લે, આ કાગળ વાંચી જો, જેમાં મેં મારી શરતો લખી છે. તારે નીચે કોઈ સહી કરવી જરૂરી નથી, કેમ કે એ આપણે બેઉએ સમજવા પૂરતી છે અને આપણે સજ્જનોની જેમ તેનું પાલન કરીશું.’ આમ કહીને જુલિયેટે ભાવવિહીન શુષ્ક ચહેરે લોરેન્સ આગળ કાગળ ધરી દીધો હતો; જેમાં આમ લખેલું હતું. .

• આપણે આપસી સંમતિથી છૂટાં પડીએ છીએ અને આપણા ડાયવોર્સ આપણા બે જણ વચ્ચે ખાનગી જ રહેશે.

•  હું બંને બાળકો સાથે મોમના ત્યાં રહીશ, એ બાહ્ય દેખાવ હેઠળ કે આપણા સંબંધો નોર્મલ છે અને તું પણ વિના રોકટોક અવારનવાર અમારા ત્યાં આવતો જતો રહીશ.

• ઈશ્વરસાક્ષીએ અને આપણા અંતરાત્માના અવાજે આપણે લગ્નવિચ્છેદ કર્યો હોઈ આપણે એકબીજાંને અજનબી વ્યક્તિઓ તરીકે જ મળીશું અને આપણે પતિપત્ની હોવાનો વિચારસુદ્ધાં પણ નહિ કરીએ.

• કાયદેસર તારી સ્થાવર-જંગમ મિલ્કતના મારા અડધા હકદાવા હેઠળ મને મળવાપાત્ર નાણાં અથવા વન ટાઈમ એક મિલિયન ડોલર એ બેમાંથી જે ઓછું હોય તે જ તારે રોકડ સ્વરૂપે જ મને ચૂકવવાનું રહેશે.

• મારા કે સંતાનોનાં ભરણપોષણ તરીકે કે અન્ય ખર્ચ નિમિત્તે તારે મને કશું ય આપવાનું રહેશે નહિ.

• સંતાનો પુખ્તવયનાં થયેથી તેમની ઇચ્છા મુજબ ગમે ત્યાં રહી શકશે.

• આપણે પુનર્લગ્ન કરીશું નહિ.

• મારી ઇચ્છા થયેથી હું ગમે ત્યારે ડાયવોર્સ રદબાતલ કરીને ફરીવાર તારી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ શકીશ.

લોરેન્સે જુલિયેટને કાગળ પરત આપતાં કહ્યું હતું. ‘હું સારી રીતે જાણું છું કે તું ખુદ્દારી અને કૃતનિશ્ચયતાની એક જીવંત મિસાલ હોઈ તારા નિર્ણયને નહિ જ બદલે અને તેથી કપાતા દિલે પણ તારી ઇચ્છાને માન આપીશ, કેમ કે હું તને બેહદ ચાહું છું અને તે માટે હું ગમે તે કરવા તૈયાર છું. પરંતુ એક વાત તો નક્કી કે તું મારાથી કંઈક છુપાવે છે, જુલિયેટ.’

‘હા, એ સાચું અને સમય આવ્યે એ હું તને કહીશ પણ ખરી. મૂળ વાત કે તું નાણાંની વ્યવસ્થા કેટલા દિવસમાં કરી શકીશ?’

‘અઠવાડિયું તો થશે જ, કેમ કે તારે રોકડા જ જોઈએ છે. આમ તો તારા હક્કની રૂએ તો મારે અઢળક આપવાનું થાય, પણ તું  એક મિલિયન જ માગે છે એટલે રોકડ સગવડ અંગે મારા માટે એટલી રાહત ગણાય. વળી એ પણ હાથ ઉપર ન હોઈ મારે મિત્રોને ચેક આપીને તેમની પાસેથી રોકડા મેળવવા પડશે.’

* * *

ઈલિઝાબેથ દોહિત્ર-દોહીત્રીને સ્કૂલબસમાં બેસાડવા માટે વહેલી સવારે ડ્રાઈવ-વે પાસે ઊભેલાં હતાં અને લોરેન્સની લેક્સસ કાર આવી પહોંચી. એણે કાર ધીમી પાડીને છોકરાંઓને હેલો-હાય કહીને ગરાજ આગળ પાર્ક કરી દીધી. ડોરબેલના અવાજે જુલિયેટે દરવાજો ખોલીને લોરેન્સને આવકાર્યો. ટેલિફોનિક ગોઠવણ મુજ્બ લોરેન્સ સમયસર આવી ગયો હતો.

લોરેન્સે અંદર દાખલ થતાં જ એકાંતનો લાભ લઈને જુલિયેટના હાથમાં કરન્સીનું પાકીટ પકડાવી દેતાં કહ્યું, ‘મોટી નોટો છે, પૂરા એક મિલિયન.. મોમના આવવા પહેલાં ઠેકાણે મૂકી દે.’

જુલિયેટના બ્લેક નાઈટ ગાઉન તરફ લોરેન્સનું ધ્યાન જતાં તેનાથી ટીખળ કર્યા સિવાય રહેવાયું નહિ અને કહ્યું,  ‘અરે, આ શું જોઈ રહ્યો છું? શ્યામરંગી વસ્ત્રપરિધાન કરેલી ‘ક્લિયોપેટ્રા’ મુવીની ઈલિઝાબેથ ટેલરની પ્રતિકૃતિ કે પછી મારા એક ભારતીય મિત્રના કહેવા પ્રમાણેની પૂર્વીય મીરાંબાઈ? ‘ઓઢું કાળો બ્લેન્કેટ, દુઝો ડાઘ ન લાગે કોય’ (I am wrapped up in a black blanket, so that no any stain can tarnish it) એ મતલબનું કંઈક એ ગાતો હતો. મને તેણે એ પણ સમજાવ્યું હતું કે મીરાંનું કાસળ કાઢવા તેને ઝેરનો પ્યાલો મોકલવામાં આવ્યો હતો, પરંતુ આપણા કિસ્સામાં તો સાવ જુદું થાય છે. તેં તો ‘પાશ્ચાત્ય મીરાં’ બનીને જાતે જ ઘૂંટેલા ઝેરનો પ્યાલો ગટગટાવ્યો છે, કેમ ખરું કે નહિ?’


‘હવે વહેલી સવારમાં મારો મુડ ખરાબ કર્યા વગર ચૂપ બેસી રહે તો સારું! હવે આપણે મિત્રો છતાં ય તારાથી  રિસાઈ જવાના મારા અધિકારને મેં જતો કર્યો નથી!’ આમ કહીને જુલિયેટે મધુર ગુસ્સાસહ ત્વરિત બેડરૂમમાં જઈને પેકેટને કેબિનેટમાં મૂકી દીધું.

થોડીવાર પછી ઈલિઝાબેથનું આગમન થયું અને તેમણે આવતાંની સાથે જ જણાવી દીધું કે પોતે હાલ જ ગ્રોસરીનો કેટલોક સામાન ખરીદવા બહાર જાય છે. એક અઠવાડિયે ભેગાં મળેલાં એમને પ્રાયવસી મળી રહે તે આશયે એમણે બહાનું ઊભું કર્યું હતું.

જુલિયેટે લોરેન્સને બ્રેકફાસ્ટનું પૂછતાં તેણે અનીચ્છા દર્શાવી અને જુલિયેટને હાથના ઈશારાથી સામેના સોફા ઉપર બેસવાનું કહ્યું.

‘સામેના સોફે કેમ? તારી પાસે અડીને ન બેસી શકું?’

‘તારી જ તો શરત છે કે આપણે એકબીજાંને અજનબીની રીતે મળીશું અને પતિપત્ની હોવાનો વિચારસુદ્ધાં પણ નહિ કરીએ!’

‘તો પછી તું મને પજવે છે કેમ? રાત્રે ચેનથી ઊંઘવા પણ દેતો નથી!’

’હું તને પજવું છું! તને અહીં આવ્યાને અઠવાડિયું થયું. પહેલીવાર રૂબરૂ મળીએ છીએ અને આપણી વચ્ચે ફોન ઉપર  રાત્રે કે ક્યારે ય કોઈ વાતચીત પણ થઈ નથી. પણ હા સમજ્યો!  તો હું રાત્રે જ હેરાન કરું છું, એમ ને! એ પણ સપનામાં જ, ખરું ને! ખરે જ તું હેરાન થતી હોય, તો … તો હું રોજ રાત્રે એમ જ કરીશ!  ’

‘ચાલ, એ વાત રહેવા દે. હું તને પૂછું છું કે મારી ગેરહાજરીમાં તને કોઈ અગવડતા પડે છે, ખરી?’

‘તમાચો ઠોકી દીધા પછી પૂછવાનું કે ગાલ તતડે છે?’

‘મારા ગાલ ઉપર પણ તમાચો તો પડ્યો જ છે ને, ભલે ને પછી મેં જ મને જડી દીધો હોય!’

‘પોતાના હાથે પોતાના ગાલ ઉપર તમાચો તો હળવો જ પડે, સામેવાળાને તો ખેંચીને જ દેવાય ને! હું કહું છું કે આપણે એકબીજાંના તતડતા ગાલોને પંપાળીને રાહત આપવી જ હોય, તો હજુ ય ક્યાં મોડું થયું છે? હાલ જ ચર્ચ તરફ દોડી જઈએ, ફાધર આગળ પશ્ચાત્તાપ કરી લઈએ, ફરી જોડાઈ જઈએ અને એકબીજાંના ગાલોને પંપાળી લઈએ!’

‘એમ જ થશે, પણ એ સમય આવ્યે! મારી આખરી બે શરતો પણ એવી જ છે ને! કેમ ભૂલી જાય છે?’

‘ભૂલ્યો નથી, કેમ કે એ જ તો મારા જીવનની આશાદોરી છે ને! પણ હું પૂછું છું કે આ તે તારી કેવી અદાલત? તું કેદની સજા ફરમાવે, પણ કેટલાં વર્ષની એ ચૂકાદામાં જણાવે જ નહિ!’ 

‘અંદાજે વર્ષ જણાવું તો ચાલે?’

‘ના, મારે તો સજામાફી જ જોઈએ. તું નહિ સાંભળે, તો ઉપલી અદાલતમાં અપીલ કરીશ, મોમની અદાલતમાં!’

‘ઈશ્વરને ખાતર તેમ કરીશ નહિ. મોમ દુ:ખી દુ:ખી થઈ જશે!’

‘તો તારા આ પગલાંથી હું સુખી સુખી થઈ ગયો એમ તું માને છે? તારા ચૂકાદાની પાયાની ખામી એ જ કે તેં મને આરોપ તો સંભળાવ્યો જ નથી!’

‘પણ તું આરોપી હોય તો જ આરોપનામું સંભળાવું ને! આરોપી તો હું જ છું અને મેં જ મને સજા ફરમાવી છે. તારા ઉપર તો મારી સજાની આડઅસર થઈ ગણાય!’

‘નિર્દોષને સજા એ વળી ક્યાંનો ન્યાય ગણાય? વળી મારા માટે એ સજાની આડસસર નહિ, પણ સીધી જ અસર કહેવાય!.’

‘તો શું તું એમ માને છે કે મને આપણા વિયોગનું કોઈ દુ:ખ નહિ થતું હોય! જાણવું છે તારે, મારું દુ:ખ? તો જા, મારો બેડરૂમ જોઈ આવ.’

‘શું દિવાલો ઉપર મારા ફોટા જડી દીધા છે કે શું?’

‘એ તો તું જ જોઈ આવ ને!’ આમ કહેતાં જુલિયેટ હૈયાફાટ રડી પડી.

ગભરાયેલો લોરેન્સ જુલિયેટના બેડરૂમ તરફ ધસી ગયો અને શ્યામરંગી ઇન્ટિરિયર જોતાં જ ફાટ્યા અવાજે બોલી ઊઠ્યો, ‘અરે પગલી, હું મરી નથી ગયો; જીવું છું, જીવતોજાગતો તારી સામે તો છું! તારી આવી માનસિક હાલત જોતાં હવે મને લાગે છે કે મારે તને હમણાં જ મારી સાથે લઈ જવી પડશે. હું તારી શરતોને ખારિજ કરું છું. તું એમ ન માનતી કે મને તારા આવા ઘાતકી પગલા પાછળના કારણની ખબર ન પડે! તારે કોઈક કારણોસર નાણાંની જરૂર હતી અને તેં તારી ખુદ્દારીએ મારી પાસે સીધી માગણી ન મૂકતાં આપણા મધુર દાંપત્યજીવનને વટાવી ખાધું. પરંતુ તું એ ભૂલી ગઈ કે દિવ્ય પ્રેમથી જોડાયેલાં પતિપત્ની એકબીજાંનાં સુખદુ:ખનાં સાથી હોય છે. આપણે લગ્ન પહેલાં ‘હું’ અને ‘તું’ હતાં અને લગ્ન પછી ‘આપણે’ બની ગયાં કહેવાઈએ. તારે ડાયવોર્સના આવા જલદ માર્ગે જવા પહેલાં મને ચકાસવો જોઈતો તો હતો!  ખેર, આમ છતાંય હું તને દોષ નથી દેતો, કેમ કે તેં કોઈ ઉમદા હેતુ માટે ડાયવોર્સ અને તે થકી મળનારા નાણાંકીય લાભને રોકડો કરી લીધો લાગે છે. હવે મારે જાણવું તો પડશે જ કે તારો કયો એવો ઉમદા હેતુ છે કે જેના માટે તારે આમ ઝેરનાં પારખાં કરવાં પડ્યાં!’

જુલિયેટને લોરેન્સના સીધા વાકપ્રહાર સામે ઝૂકી જવું પડ્યું અને રડતાંકકળતાં કહેવું પડ્યું, ‘લોરેન્સ, એ ઉમદા હેતુ છે, બબ્બે જિંદગીઓ બચાવવાનો; એક, જેકની અને બીજી તેના દોસ્ત જહોન્સનની. હું આજે જ મોમ આગળ જેકને મળવા જવાનું બહાનું કરીને આ નાણાં લઈને હું ફિલાડેલ્ફિઆ જવાની હતી. હવે આપણા બેઉ વચ્ચે વાત ઊઘાડી પડી જ ગઈ છે, તો આપણે બંને સાથે જ જઈશું. મોમને આ વાતની ખબર ન પડવી જોઈએ, નહિ તો તે આંતરિક રીતે તૂટી પડશે.’

લોરેન્સ આ સાંભળીને રાડ પાડતાં બોલી પડ્યો, ‘આટલી ગંભીર વાતનો મારી સાથે પડદો! તેં મને પરાયો ગણ્યો, એમ ને! કેમ, જેક મારો પણ ભાઈ ન ગણાય? વળી એનો મિત્ર પણ પરાયો કેમ ગણાય? એ જુવાનિયાઓ એવું તે શું પરાક્રમ કરી બેઠા કે આવડી મોટી નાણાંકીય આફતમાં ઘેરાઈ ગયા? કોઈ ખંડણીખોરોએ એમને બાનમાં લીધા છે કે શું? આજકાલ આપણા દેશમાં આવા ક્રાઈમ ખૂબ જ વધી ગયા છે. ખેર, માંડીને વાત કર કે હકીકત શું છે?’

‘વાત એમ છે, લોરેન્સ, કે આપણો જેક સીધોસાદો અને નિખાલસ હોઈ સહજ રીતે જ જહોન્સનનો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો. તેણે વાતવાતમાં જણાવી દીધું હતું કે પોતે આર્થિક રીતે મધ્યમવર્ગનો માણસ છે. અહીં ફિલાડેલ્ફિઆ ખાતે પોતે ભણવા આવી શક્યો છે તે તેનાં બહેન અને જીજાજીની ઉદારદિલિ આર્થિક સહાયના કારણે જ તો. તેણે એ પણ જણાવ્યું હતું કે અમે સ્વમાની છીએ અને મારી બહેનને પણ જીજાજીની આવી સહાય લેવી ગમી નથી. તે માને છે કે દાંપત્યજીવનમાં અંગત સ્વાર્થ આડો આવવો જોઈએ નહિ. જહોન્સને જેકની વાત ગંભીરતાથી લેતાં તેને મદદરૂપ થવા માટેની તૈયારી બતાવી અને તેણે પોતાની યોજના સમજાવી. જહોન્સનના પિતા બિલિયોનર હોઈ તેમણે બેંકના પિતાપુત્રના સંયુક્ત લોકરમાં એક મિલિયન ડોલર રિઝર્વ હાર્ડ કેશ મૂકી રાખ્યા હતા, જે ભવિષ્યે જહોન્સનને કામમાં આવી શકે. લોકરની એક ચાવી જહોન્સન પાસે રહેતી હતી. મૂર્ખાઓએ જલદી નાણાં કમાઈ લેવાનો શોર્ટ કટ વિચાર્યો અને કેસિનોના રવાડે ચઢી ગયા. તેમનું ભાગ્ય ખૂલવાની આશામાં ને આશામાં એકાદ મહિનામાં તો સૂપડું સાફ! તેઓ દસેદસ લાખ ડોલર ગુમાવી ચૂક્યા. જહોન્સન ખૂબ જ સંવેદનશીલ હોઈ પિતા આગળ શરમિંદગી ન અનુભવવી પડે તે માટે તેણે જેક આગળ આત્મહત્યા કરી લેવાની ઇચ્છા જણાવી. જેકે કહ્યું કે આ આફત માટે જવાબદાર તે પોતે જ છે અને તેથી આત્મહત્યા તેણે કરી લેવી જોઈએ. જહોને કહ્યું કે ભલે તને આર્થિક સહાય માટે આમ કરવાનો મને વિચાર આવ્યો હોય, પણ તને કંઈ લાખો ડોલરની સહાયની જરૂર ન હતી. મારી પોતાની પણ લાલસા હતી કે પિતાએ મને આપેલા મિલિયન ડોલર આમ લોકરમાં વ્યર્થ પડ્યા રહે તેના કરતાં તેમાં વૃદ્ધિ કરીને હું તેમને સરપ્રાઈઝ આપું. આખરે તેમણે તાજેતરમાં જ ઊજવેલા ફ્રેન્ડશીપ ડે ઉપર એકબીજા માટે મરી ફીટવાના તેમના સંકલ્પને યાદ કરીને એ નતીજા ઉપર આવ્યા હતા કે બંને સાથે જ આત્મહત્યા કરી લેશે. પરંતુ જેકને આપણા ઉપર થોડી આશા બંધાઈ અને એક ચાન્સ લેવાના ઈરાદે તેણે મને ટેલિફોનિક બધી કેફિયત જણાવી. મેં વારાફરતી બંને સાથે વાતચીત કરીને તેમને હૈયાધારણ આપી કે હું પૂરા મિલિયન ડોલર લઈને ટૂંક સમયમાં રૂબરૂ આવું છું અને તમે લોકો કોઈ અવિચારી પગલું ભરતા નહિ. મેં એમને એમ પણ સમજાવ્યું કે તમે બેઉ તરવરતા યુવાન છો, અભ્યાસમાં તેજસ્વી છો, જીવનમાં કંઈક કરી શકવાની તમે લોકો ક્ષમતા ધરાવો છો. તમે જીવન જ ગુમાવી  બેસશો તો બધું ખતમ થઈ જશે. તમારા બેઉના જીવન સામે એક મિલિયન ડોલરની કોઈ વિસાત નથી. ઈશ્વરને ખાતર મારી રાહ જુઓ અને મેં જેકને મોમની તેના પ્રત્યેની લાગણીની યાદ અપાવીને તેને સમજાવીને વારી લીધો હતો..’

* * *

જુલિયેટ અને લોરેન્સ એરપોર્ટથી સીધાં જેક અને જહોન્સનની હોસ્ટેલે પહોંચી ગયાં. એ બેઉ મિત્રો તેમને ભેટી પડીને ચોધાર આંસુએ રડી પડ્યા. લોરેન્સે જહોન્સનને પૂછ્યું, ‘બોલ, શું કરવું છે? આ નાણાં બેંકના લોકરમાં સીધાં મૂકી દેવાં છે કે તારા પિતાના હાથમાં આપી દેવાં છે?’

‘મારી-અમારી વિચારશક્તિ બહેર મારી ગઈ છે. આપ બેઉ વડીલોને ઠીક લાગે તેમ કરી શકો છો. આપ બેઉનો આભાર વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી. આપે અમને જીવતદાન આપ્યું છે, તેનું ઋણ અમારાથી અદા થઈ શકશે તો નહિ; પણ અમે ઈસુને પ્રાર્થીએ છીએ કે આપને આ લોક અને પરલોકમાં સુખ, સમૃદ્ધિ, સામર્થ્ય અને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ ..’

જુલિયેટ અને લોરેન્સનાં દિમાગોમાં એકસાથે સમાન વિચાર ઝબૂક્યો અને ચારેય જણાં જહોન્સનના પિતાની એપોઈન્ટમેન્ટ લઈને તેમની ઓફિસમાં પહોંચી ગયાં. મિ. જહોનની ચેમ્બરમાં સંવેદનશીલ વાતાવરણ બની રહ્યું. સઘળી કેફિયત રજૂ થઈ. મિ. જહોને જુલિયેટ અને લોરેન્સની સજ્જનતાને બિરદાવતાં કહ્યું, ‘આપે આપના સુખી દાંપત્યજીવનને હોડમાં મૂકીને આપણા બેઉ દીકરાઓની જિંદગી બચાવી છે, જે નાનીસૂની વાત નથી. જુવાનિયાઓએ ભૂલો કરી છે અને આ ઉંમરે એ થાય એ સ્વાભાવિક પણ છે. આપ આપનાં નાણાં પાછાં લઈ જાઓ, જેને આપ બેઉનાં પુનર્મિલનની મારા તરફની ભેટ સમજજો. જેક હવે મારો દીકરો જ છે. તેને જેટલું ભણવું હશે તે ભણવા માટેના તેના ખર્ચની જવાબદારી હું આનંદભેર સ્વીકારું છું. જહોન્સને જે કંઈ ભૂલ કરી છે તે ક્ષમ્ય છે, એટલા માટે કે તેણે લોકરમાંનાં નાણાંને મોજમજા માણવા માટે નહિ, પણ મિત્રભાવે જેકને મદદરૂપ થવા માટે લીધાં હતાં. જો કે એણે એમાંથી સીધી મદદ કરી હોત તો એ વધારે ઉચિત ગણાત. ખેર, જે થયું તે થયું. માનવજીવનમાં ઘટતી આવી ઘટનાઓ પાછળ કોણ જાણે કેટકેટલા ભેદ જળવાયેલ હોય છે. ઈશ્વર સૌનું ભલું કરે.’

પ્રસન્ન વદને અને ભાવવિભોર હૈયે એ પાંચેય જણ છૂટાં પડે છે. 

(તા. ૦૫-૦૨-૨૦૧૬)

ઈ મેઈલ – musawilliam@gmail.com

Loading

ઇતિહાસમાં છવાઈ જાય યા વિશ્વભરમાં ફેલાઈ જાય

મહેન્દ્ર દેસાઈ|Opinion - Opinion|2 March 2016

હાલમાં ભારત સરકારે સુભાષચંદ્ર બોઝને લગતા સરકારી કાગળો અને દસ્તાવેજો પ્રજા સમક્ષ પ્રકાશિત કર્યા અને એ સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં મન ડૂબી ગયું. આઝાદી પછી લગભગ ખોવાઈ ગયેલા, વિસરાઈ ગયેલા કે વિસરાવી દીધેલા એ નેતાજી બોઝ ફરીથી જનમાનસ પર છવાતા લાગ્યા અને સાથે સાથે અનેક પ્રશ્નો પણ ઉભરાવા લાગ્યા.

એ વાત તો સુવિદિત છે કે આઝાદીની લડત માટે ગાંધીજીની અહિંસક સત્યાગ્રહની વિચારધારા તે કાળના કૉંગ્રેસ પક્ષના બધા જ નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ અપનાવી લીધી હતી. આ પ્રકારની લડત એક નવીન તરેહની હતી, તેથી પરિણામ અસ્પષ્ટ અને ધીમું હોય એવું ઘણા દેશવાસીઓને લાગતું હતું. નેતાજી બોઝને આ પ્રકારની લડતમાંથી ધીરેધીરે વિશ્વાસ ઉઠતો ગયો અને તેથી કૉંગ્રસમાંથી રાજીનામું આપી છૂટા થઈ ગયા હતા. સશસ્ત્ર જંગથી જ ભારતને આઝાદી મળી શકે એવી પોતાની વિચારધારાને દેશની પ્રજા સમક્ષ રજૂ કરવા લાગ્યા. ચોક્કસ પરિણામ અને સમયબંધ પરિણામ આ સશસ્ત્ર જંગથી જ આવી શકે એ વાત પોતાની વાણીના પ્રભુત્વથી દેશના મોટા ભાગના જન સમુદાયને સમજાવવામાં સફળ થતા ગયા. એમના વ્યક્તિત્વથી અને જુસ્સાદાર વક્તવ્યથી આકર્ષાઈને ઘણા બધા એમના પક્ષમાં સામેલ થવા લાગ્યા અને એમ કરતા કરતા થોડા જ સમયમાં એક ફોજ − ચાળીસ હજારની સશક્ત અને સશસ્ત્ર સૈનિકોની ફોજ − તૈયાર થઈ ગઈ. પણ કાળની ગતિ કંઈક વિપરીત હોય છે અને એક વિમાન દુર્ઘટનામાં નેતાજી મૃત્યુ પામ્યા. એમના જેવું વ્યક્તિત્વ ધરાવતી બીજી કોઈ વ્યક્તિ તે સમયે એમના પક્ષમાં નહીં હોવાથી ધીરે ધીરે ફોજ વિખરાવા લાગી અને એમનો પક્ષ પડી ભાંગ્યો. બીજી બાજુ ગાંધીજીની અહિંસક લડત ચાલુ રહી અને ભારતને આઝાદી પ્રાપ્ત થઈ. એ હવે ઇતિહાસ થઈ ગયો.

હવે આ પ્રકાશિત દસ્તાવેજોમાંથી નેતાજી બોઝ ફરીથી જન માનસ પર પ્રગટ થવા લાગ્યા. આઝાદી સંગ્રામના એ સમયના બે ઘડવૈયા – લડવૈયા પણ બન્નેની વિચારધારા એકબીજાથી વિપરીત હોય ત્યારે એ બેમાંથી કોણ સાચા અને કોણ ખોટા એ પ્રશ્નને બાજુએ મૂકીને બન્નેની અલગ અલગ વિચારધારાની સમીક્ષા કરવાનું સૌ કોઈને મન થાય. અને એ સમીક્ષા કરવામાં પણ સાચાખોટાનો મુદ્દો તો કેન્દ્રવર્તી રહેવાનો જ.

તો પછી, ‘જો’ અને ‘તો’ના મનોલોકમાં જઈને જોઇએ તો ? જો સુભાષચંદ્ર બોઝ જ્યારે કૉંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા હતા અને એક સમયે પક્ષ પ્રમુખ પણ હતા ત્યારે કૉંગ્રેસે સશસ્ત્ર જંગની એમની વિચારધારાને અપનાવી લીધી હોત − ગાંધીજીને એકલા છોડી દઈને − અને એ પ્રમાણે કાર્યરત થઈ હોત તો ?

ગાંધીજી એ અહિંસક સત્યાગ્રહની લડતની વાત પ્રજા સમક્ષ રજૂ કરી તે પહેલાં, રાજ્યસત્તાના પરિવર્તન માટે સશસ્ત્ર જંગ સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. એનો બીજો કોઈ પર્યાય હોઈ ન શકે એવી વિચારસરણી સમગ્ર દેશમાં અને જગતમાં પણ પ્રચલિત હતી. તેથી કરીને સશસ્ત્ર જંગના નેતાજી બોઝના વિચારોને પ્રજાએ સ્વીકારી લીધા હોત.

પણ એ વિચારધારાને કાર્યરત કરવા માટેની કિંમત ! પ્રથમ તો શસ્ત્ર-સરંજામ એકત્રિત કરવાની મુશ્કેલી. એ ખરીદવા માટે નાણાંની મુશ્કેલી. કદાચિત પ્રજાના સહકારથી સારું એવું નાણાંભંડોળ ઊભું થઈ શક્યું હોત અને આઝાદી જંગમાં જોડાવા વિશાળ સંખ્યામાં પ્રજા તૈયાર થઈ હોત. પણ ત્યાર બાદ અનેકાનેક યુદ્ધમાં થતી આવી છે એવી ભારે હાલાકી, સમગ્ર દેશમાં જાનમાલનો, માલમિલકતનો વિનાશ થયો હોત. કેટલી બધી જાનહાનિ થઈ હોત. કેટલું બધું યુવાધન નાશ પામ્યું હોત. અને ત્યાર બાદ મેળવેલાં પરિણામ પછી દેશને ઊભા થવામાં કેટકેટલી હાડમારી ભોગવવાની થાત. જો કે આવી ભારે કિંમતની કલ્પના એ સમયની પ્રજામાં હતી તો ખરી. કારણ કે કોઈ પણ વસ્તુને હાંસલ કરવા માટે બલિદાનની જરૂર છે અને જ્યારે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય તો … … ‘યુદ્ધસ્વ’ એ જ અંતિમ − આવું ખમીર ધરાવતી પ્રજાના નેતા હતા સુભાષચંદ્ર બોઝ.

હવે મનોલોકમાંથી નીકળી ભૌતિક જગતમાં આવીએ. અહિંસક સત્યાગ્રહથી ભારતને આઝાદી મળી. ત્યાર બાદ વિશ્વના અનેક રાષ્ટૃો પરદેશી શાસનમાંથી મુક્ત થયા, પણ ક્યાં ય સશસ્ત્ર જંગ થકી આઝાદી મેળવી હોય એવું બન્યું નથી. એવું પણ નથી કે ત્યાર બાદ વિશ્વભરમાં ક્યાં ય સશસ્ત્ર જંગ ન થયા હોય. વિશ્વયુદ્ધોની ભયંકર વિનાશકતા ભોગવી હોવા છતાં પણ ‘યુદ્ધનો મોહ’ મહાસત્તાઓમાંથી છૂટ્યો નથી. વિશ્વયુદ્ધ પછી ય જેટલા સશસ્ત્ર જંગ ખેલાયા ત્યાં ક્યાં ય પણ અંત પરિણામ ઉદ્દેશપૂર્ણ પ્રાપ્ત થયું ખરું ? છતાં ય એ ગતિવિધિ આજે પણ ચાલુ જ રહી છે.

ગાંધીજીના અહિંસક લડતના વિચારોને પ્રજા સમક્ષ રજૂ કરાયાના સો વરસ થવા આવશે. એમની રાહે ચાલીને ભારતે કેટલી બધી ખુવારી થતી નિવારી. આખાયે જગતને શસ્ત્ર સિવાય પણ પ્રશ્નો સુલજાવી શકાય, ઉદ્દેશ પ્રાપ્ત થઈ શકે એવી નવીન વિચારધારા મળી અને અનેક યુદ્ધો થતાં નિવારી શકાયાં … એ ગાંધીજીની દૂરદર્શિતા.

કોઈ વ્યક્તિ ઇતિહાસમાં છવાઈ જાય તો કોઈ વિભૂતિ વિશ્વભરમાં ફેલાઈ જાય.

લંડન, 19 ફેબ્રુઆરી 2016

e.mail : mndesai.personal@googlemail.com

Loading

શાસકોનો સ્વાર્થવાદ અને અધૂરિયાઓનો રાષ્ટ્રવાદ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|29 February 2016

જેમનું પેટ ભરેલું છે અને જેમને સરકાર પાસેથી કંઈ જોઈતું નથી એવા લોકો સવાયા રાષ્ટ્રવાદી છે. તેમને મનરેગા સફળ થાય કે ન થાય, છેલ્લા માણસનું પેટ ભરાય કે ન ભરાય, બાળમરણ અને ભૂખમરો દૂર થાય કે ન થાય, દલિતોને ન્યાય મળે કે ન મળે, ગ્રામીણ સ્ત્રીઓને પીવાનું પાણી ભરવા ગમે એટલું દૂર જવું પડે, ટૉઇલેટના અભાવમાં બહેનોએ રાતના અંધારામાં ટૉઇલેટ જવું પડે, અદાલતોમાં ન્યાય મોંઘો મળે કે સસ્તો મળે અથવા ટાણે મળે કે મોડો પડે ખાસ કોઈ ફરક પડતો નથી.

આકાર પટેલે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માંની તેમની રવિવારની કૉલમમાં એક સરસ વાત કરી છે. દાયકા પહેલાં આકાર પટેલની ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપદે નિયુક્તિ થઈ હતી. તેમણે તેમના પુરોગામી શ્રવણ ગર્ગ પાસેથી તંત્રીપદનો ચાર્જ લીધો અને મૂળ મધ્ય પ્રદેશના વતની શ્રવણ ગર્ગે ગુજરાતમાંથી વિદાય લીધી ત્યારે આકાર પટેલે તેમને પૂછ્યું હતું કે તમને અમારામાં ગુજરાતીઓમાં કઈ અનોખી ચીજ જોવા મળી હતી અને ગુજરાત નરેન્દ્ર મોદી પાછળ ઘેલું હોવાનો તમારો શું ખુલાસો છે? શ્રવણ ગર્ગે જે જવાબ આપ્યો હતો એ વિચારવા જેવો છે અને આજે રાષ્ટ્રીય સ્તરે જે બની રહ્યું છે એ જોતાં વધારે વિચારણીય છે. ‘દિવ્ય ભાસ્કર’ના ભૂતપૂર્વ તંત્રીએ કહ્યું હતું કે શહેરી ગુજરાતીઓની સરકાર પરની નિર્ભરતા નહીંવત્ છે એટલે શહેરી ગુજરાતીઓ સરકાર પાસેથી માત્ર પોતાની સલામતીની અપેક્ષા રાખે છે.

વાત આમ છે. જેમનું પેટ ભરેલું છે અને જેમને સરકાર પાસેથી કંઈ જોઈતું નથી એવા લોકો સવાયા રાષ્ટ્રવાદી છે. તેમને મનરેગા સફળ થાય કે ન થાય, છેલ્લા માણસનું પેટ ભરાય કે ન ભરાય, બાળમરણ અને ભૂખમરો દૂર થાય કે ન થાય, દલિતોને ન્યાય મળે કે ન મળે, ગ્રામીણ સ્ત્રીઓને પીવાનું પાણી ભરવા ગમે એટલું દૂર જવું પડે, ટૉઇલેટના અભાવમાં બહેનોએ રાતના અંધારામાં ટૉઇલેટ જવું પડે, અદાલતોમાં ન્યાય મોંઘો મળે કે સસ્તો મળે અથવા ટાણે મળે કે મોડો પડે ખાસ કોઈ ફરક નથી પડતો. નરેન્દ્ર મોદી ૫૬ ઈંચની છાતી બતાવીને સલામતીની ખાતરી આપતા હોય, મુસલમાનોને તેમની જગ્યા બતાવી આપતા હોય, આ લખનાર જેવા ન્યાય-સમાનતા અને કાયદાના રાજ માટે આગ્રહ ધરાવનારા લોકોને ગાળો ભાંડતા હોય, તેમને હાંસિયામાં ધકેલી દેતા હોય તો બીજું જોઈએ શું?

આ ગુજરાત મૉડલ હતું જે હવે રાષ્ટ્રીય મૉડલ બની રહ્યું છે. છેલ્લા દોઢ દાયકામાં દેશભરમાં શહેરી મધ્યમવર્ગ વિસ્તર્યો છે અને તેમણે ગુજરાતીઓની માનસિકતા અપનાવી લીધી છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર જે લોકો ઍક્ટિવ છે તેઓ આવી માનસિકતા ધરાવે છે અને દિવસમાં બે-ચાર કલાક સોશ્યલ મીડિયા પર વિતાવવાની તેમની પાસે ફુરસદ છે. પેટ ભરેલું છે અને ઉપરથી સરકારનો ઉપયોગ કરતાં તેમને આવડે છે. તેમની નિસ્બત માત્ર એક જ વાતની છે. અંગત એટલે કે શહેરી મધ્યમવર્ગની સલામતી, જેને તેઓ દેશની સલામતી અને રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવે છે. એટલે તો દિલ્હીમાં નિર્ભયાની ઘટના બને ત્યારે તેઓ મીણબત્તી લઈને રસ્તા પર ઊતરી આવે છે, પરંતુ ગામડાંમાં ઉજળિયાતના પ્રેમમાં પડેલી દલિત કન્યાને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવે ત્યારે તેમનો અંતરાત્મા જાગતો નથી. વધુમાં વધુ તેમની નિસ્બત વિસ્તરીને ભ્રષ્ટાચાર સુધી પહોંચે છે, એનાથી આગળ પહોંચતી નથી. ભ્રષ્ટાચાર તેમની નિસ્બતનો વિષય એટલા માટે છે કે ભ્રષ્ટાચારને કારણે સરકારનો પૂરેપૂરો, ઝડપથી અને નિર્વિઘ્ને ઉપયોગ થઈ શકતો નથી. મનરેગામાં ભ્રષ્ટાચાર હોય એનાથી તેમને કોઈ ફરક પડતો નથી, મેટ્રો અને મહામાર્ગોના બાંધકામમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ.

તો દાયકા પહેલાં જે ગુજરાત મૉડલ હતું એ આજે રાષ્ટ્રીય મૉડલ બની રહ્યું છે અને એ ચિંતાનો વિષય છે. ફુરસદવાળા લોકો અપપ્રચાર કરીને પોતાના વર્ગીય હિતમાં દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે એનું તેમને ભાન નથી અને જો ભાન છે તો એનાથી તેમને કોઈ ફરક નથી પડતો. તેમનાં સંતાનો અમેરિકા, કૅનેડા કે ઑસ્ટ્રેલિયા વસવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યાં તેઓ ભારતીય શહેરી મધ્યમવર્ગ કરતાં પણ સવાયા રાષ્ટ્રવાદી બનવાના છે. આપણા કરતાં અનિવાસી ભારતીયો વધારે આકરા રાષ્ટ્રવાદી છે, કારણ કે તેમને તો સરકાર પાસેથી સલામતી સુધ્ધાંની અપેક્ષા નથી. બસ, અમારી પાછળ છૂટી ગયેલી ભૂમિ આબાદ રહે. અમારો ધર્મ, અમારી ભાષા, અમારા સંસ્કાર, અમારી પરંપરા આબાદ રહે. કયા સંસ્કાર અને કઈ પરંપરા? એ જ જે અમે પાછળ મૂકીને આવ્યા છીએ એમાં તસુભાર પણ ફરક ન પડવો જોઈએ. એટલે તો કન્યાની શોધમાં નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ ભારત આવે છે. સંસ્કાર અને પરંપરા બચાવવાની જવાબદારી પણ એ લોકો ભારતથી આયાત કરેલી સ્ત્રી પર લાદે છે એવા આ ધકધકતા રાષ્ટ્રવાદીઓ છે. વાસ્તવમાં આ કાયર રાષ્ટ્રવાદીઓ છે જેને જાણીતા સમાજશાસ્ત્રી બેનેડિક્ટ ઍન્ડરસને ઇમેજિન્ડ કમ્યુિનટીઝ તરીકે ઓળખાવી છે. તેમને મુંબઈ મૅનહટન જેવું જોઈએ છે, પરંતુ મૂલ્યો? નહીં, મૂલ્યો તો જૂનાં જ જળવાવાં જોઈએ.

જેમની સરકાર પાસેથી પોતાની સલામતી (જેને તેઓ દેશની સલામતી તરીકે ઓળખાવે છે) સિવાય કોઈ અપેક્ષા નથી એવા લોકો આજે રાષ્ટ્રીય ચર્ચાને હાઇજૅક કરી ગયા છે. આવો બળાપો દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ કાઢ્યો છે જેને બહુ ઓછાં અખબારોએ પહેલા પાનાને લાયક સમાચાર ગણ્યા છે. મુખ્ય ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરે કહ્યું છે કે હવે સરકારના કામકાજનું સોશ્યલ ઑડિટિંગ કરવું પડે એવો સમય આવી ગયો છે. મુખ્ય ન્યાયમૂર્તિએ પ્રશ્ન કર્યો છે કે દેશમાં પેન્ડિંગ કેસોનો ભરાવો થઈ રહ્યો હોય, કાચા કેદીઓ વગર સજાએ જેલમાં સબડી રહ્યા હોય, ન્યાય જેવી અમૂલ્ય ચીજ દેશના અદના નાગરિકને સુલભ ન થતી હોય ત્યારે દેશની વડી અદાલતોમાં (વડી અદાલતોમાં, નીચલી અદાલતોની વાત તો જવા દો) ન્યાયમૂર્તિઓની અડધી જગ્યાઓ ખાલી પડી હોય એ ગંભીર બાબત નથી? મુખ્ય ન્યાયમૂર્તિએ બળાપો કાઢ્યો છે કે મહિનાઓથી નિમણૂકની ભલામણો સરકાર પાસે પડી છે, પરંતુ સરકાર નિમણૂકો કરતી જ નથી.

આમાં આશ્ચર્યની કોઈ વાત નથી. જાણીબૂજીને નિમણૂકો કરવામાં નથી આવતી. જો નિમણૂકો કરવામાં આવે તો કન્હૈયાને વગર ગુને જેલમાં ન રાખી શકાય અને નકલી રાષ્ટ્રવાદનું રાજકારણ ન કરી શકાય. જો નિમણૂકો કરીને ન્યાયતંત્રને સક્ષમ કરવામાં આવે તો બૅન્કોને સવા લાખ કરોડ રૂપિયાનો ચૂનો લગાડનારા લોકોને કદાચ સજા થાય અને તેમની સંપત્તિ જપ્ત થાય. જો ન્યાયતંત્રને સજ્જ કરવામાં આવે તો રાજકીય પક્ષોએ આવકનો હિસાબ આપવો પડે. ટૂંકમાં ન્યાયતંત્રને સક્ષમ કરવામાં આવે તો દેશના આમ આદમીની મોટા ભાગની સમસ્યાઓનો અંત આવી જાય, પણ બીજી બાજુ શાસકવર્ગ માટે અને ખાસ આદમી માટે સમસ્યા શરૂ થાય. રાષ્ટ્રવાદનું રાજકારણ કરનારાઓ આ વાત જાણે છે, પરંતુ ઘેલા રાષ્ટ્રવાદીઓ આ જાણતા નથી અથવા જાણે છે તો એનાથી તેમને કોઈ ફરક નથી પડતો. અધૂરિયાઓ અને સ્વાર્થીઓ સોશ્યલ મીડિયા દ્વારા આજે નૅશનલ ડિસકોર્સ હાઇજૅક કરી ગયા છે જેનો શાસકો લાભ લે છે. એટલે મુખ્ય ન્યાયમૂર્તિએ કહેવું પડ્યું છે કે હવે સરકારના કામકાજનું સોશ્યલ ઑડિટિંગ થવું જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 29 ફેબ્રુઆરી 2016

Loading

...102030...3,6013,6023,6033,604...3,6103,6203,630...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved