Opinion Magazine
Number of visits: 9554846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગણવેશ બદલાતો રહ્યો છે અને બદલાતો રહેશે, માત્ર કાળી ટોપી કાયમ રહેશે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|15 March 2016

ચડ્ડીને ત્યજવાનું કારણ અગવડતા છે, એને કોઈ વૈચારિક વિકાસ સાથે સંબંધ નથી. પાટલૂન આખું હોય કે અડધું હોય, ખાખી હોય કે ભૂરું હોય – એને વિચાર સાથે શો સંબંધ છે? આજકાલ મેદસ્વિતા જાગતિક સમસ્યા બની રહી છે જેમાં નીતિન ગડકરી જેવા નેતાઓ હાફ પૅન્ટમાં ભૂંડા લાગે છે. ઘણાં વર્ષોથી આ વિશે ધ્યાન ખેંચવામાં આવતું હતું અને ૨૦૧૦થી ચડ્ડીને આખી કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ હતી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ખાખી ચડ્ડીને તિલાંજલિ આપી છે અને હવે એની જગ્યાએ સંઘનો સ્વયંસેવક ભૂરા રંગનું આખું પૅન્ટ પહેરશે. સારી વાત છે. કેવો ગણવેશ પહેરવો કે બદલવો એ જે-તે સંગઠનનો વિષય છે. ૯૦ વર્ષે સંઘે ચડ્ડીથી પૅન્ટ સુધીનો વિકાસ સાધ્યો એને મુદ્દો બનાવીને વિરોધીઓ ઠઠ્ઠા પણ કરશે. મજાક ઉડાવવા માટે પાછો સંઘના જનરલ સેક્રેટરી સુરેશ જોશી ઉર્ફે ભય્યાજી જોશીએ મોકો પણ આપ્યો છે. તેમણે કહ્યું છે કે સંઘ પરંપરાપરસ્ત નથી, પરંતુ ખુલ્લું દિમાગ ધરાવનાર પરિવર્તનશીલ છે એનું આ ઉદાહરણ છે. વિકાસ અને પરિવર્તન ગણવેશમાં છુપાયેલાં છે એની આજ સુધી જાણ નહોતી.

વસ્ત્રપરિધાનને વિચાર અને વિકાસ સાથે જોડવાની કમાલની હથરોટી ગાંધીજીમાં હતી. તેમણે પોતાની જિંદગીમાં આઠ વખત કપડાંની શૈલી બદલી હતી. બાળપણમાં તેઓ કાઠિયાવાડી વાણિયા પહેરે એવાં કપડાં પહેરતા હતા. લંડન ભણવા ગયા પછી (અને આમ તો તૈયારીના ભાગરૂપે એ પહેલાં જ) તેમણે પાશ્ચત્ય વસ્ત્રો અપનાવ્યાં હતાં. આમાં પશ્ચિમના સ્વીકારનું એક સ્ટેટમેન્ટ હતું. જીવનની આબાદી પશ્ચિમના રસ્તે આવે છે એનો સ્વીકાર હતો. સાઉથ આફ્રિકામાં તેમણે જ્યારે સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે લુંગી પહેરવાનું શરૂ કર્યું હતું, કારણ કે સાઉથ આફ્રિકાના ગિરમીટિયાઓમાં મદ્રાસીઓ વધુ હતા. ગાંધીજીએ તામિલ ભાષા પણ શીખી હતી. આમાં પ્રજા સાથે એકાકાર થવાનું રાજકીય સ્ટેટમેન્ટ હતું.

ગાંધીજી ભારત આવ્યા ત્યારે ધોતી, કેડિયું અને ફેંટો એવાં કાઠિયાવાડી કપડાં પહેરીને સ્ટીમરમાંથી ઊતર્યા હતા અને પછી કેટલોક સમય એ જ તેમની વસ્ત્રશૈલી હતી. આમાં પશ્ચિમના અસ્વીકારનું અને પોતીકી પરંપરાને શરમાયા વિના અપનાવવાનું સ્ટેટમેન્ટ હતું. એ પછી તેમણે ધોતી, ખમીસ અને ટોપી પહેરવાનું શરૂ કર્યું હતું. આ દ્વારા તેમણે માત્ર સાદગીનું જ નહીં, સામાજિક સમાનતાનું અને એક સરખી રાષ્ટ્રીય ઓળખનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. વાચકને જાણ હશે કે પહેલાંના યુગમાં લોકો અલગ-અલગ પ્રકારની પાઘડી પહેરતા હતા અને પાઘડીની શૈલી દ્વારા તે કયા પ્રદેશનો અને કઈ જાતનો છે એની ઓળખ વગર પૂછ્યે થઈ જતી. મહારાષ્ટ્રમાં અઠરા પગડ જાતિ કહેવત પ્રચલિત છે જે એમ સૂચવે છે કે ગામમાં ૧૮ પ્રકારની પાઘડી બાંધનારા ૧૮ જાતિના લોકો રહે છે. ગાંધીજીએ અંતે ખમીસ અને ટોપી પણ ત્યજી દીધાં હતાં અને એ દ્વારા તેમણે અંતિમ માણસ સાથેના એકત્વનું, ઓગળી જવાનું, લીન થઈ જવાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. ગાંધીજી વિશે વિશ્વભરના વિદ્વાનોમાં એટલી કુતૂહલતા છે કે ગાંધીજીના વસ્ત્રપરિધાન વિશે જ આખું એક પુસ્તક અંગ્રેજીમાં લખાયું છે.

ખેર, ગાંધીજીની વાત નિરાળી હતી; પરંતુ ગાંધીજીએ પાંચમી વાર વસ્ત્રશૈલી બદલી, પાઘડીની જગ્યાએ ગાંધીટોપી દાખલ કરી અને એ સાથે અઢાર પગડ ઓળખ ખતમ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જન્મ થયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીજીથી ઊલટું ચોક્કસ ઓળખ બચાવી લેવા માગતો હતો અને ચોક્કસ ઓળખ મિટાવી દેવા માગતો હતો. આને માટે સ્વયંસેવકોની કૅડરની જરૂર હતી અને કૅડરનો સભ્ય નજરે પડતાં જ ઓળખાઈ જવો જોઈએ. તે શિસ્તબદ્ધ હોવો જોઈએ, આજ્ઞાનું સિપાઈની માફક પાલન કરનારો હોવો જોઈએ, વિચારોને સમર્પિત હોવો જોઈએ અને શંકા કરનારો કે પ્રશ્ન પૂછનારો તો મુદ્દલ ન હોવો જોઈએ. અંગ્રેજીમાં આને માટે રેજિમેન્ટેશન શબ્દ છે. લશ્કરની રેજિમેન્ટમાં જેમ સિપાઈ હોય એમ સ્વયંસેવક હોવો જોઈએ. બિલકુલ ગાંધીજીથી ઊલટી દિશા. ગાંધીજી અઢાર પગડની ઓળખ મિટાવીને એક ભારતીય ઓળખ વિકસાવવા માગતા હતા તો સંઘ અઢાર પગડ ઓળખ મિટાવીને એકમેવ હિન્દુ ઓળખ વિકસાવવા માગતો હતો. ટૂંકમાં, ગણવેશને રેજિમેન્ટેશન સાથે સંબંધ છે, વૈચારિક વિકાસ સાથે નથી. સૈનિકને વિચારવાની, શંકા કરવાની, પ્રશ્નો પૂછવાની અને પોતાની જાતે નિર્ણય લેવાની આઝાદી નથી.

૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ ત્યારથી લઈને ૧૯૪૦ સુધી સંઘના સભ્ય માટે ખાખી ચડ્ડી અને ખાખી શર્ટનો ગણવેશ હતો. આ ઉપરાંત સંઘના સ્વયંસેવક હાથમાં લાઠી પણ રાખતા હતા અને લાઠી ચલાવવાની તાલીમ લેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લોકોના મનમાં સ્વયંસેવક અને સુરક્ષાકર્મી વચ્ચે ઓળખનો ગૂંચવાડો ન થાય એ માટે સરકારે ખાનગી નાગરિક ખાખી શર્ટ અને ખાખી પાટલૂન પહેરે એની સામે વાંધો લીધો હતો એટલે ૧૯૪૦થી ખાખી શર્ટની જગ્યાએ સફેદ શર્ટ અપનાવવામાં આવ્યું હતું. કાળી ટોપી ૧૯૨૫થી આજ સુધી બચેલી છે અને એમ લાગે છે કે આવનારાં વર્ષોમાં પણ એ બચતી રહેવાની. ખાખી ટોપી ઇટલીના ફાસીવાદી શાસક મુસોલિની પાસેથી અપનાવવામાં આવી છે. કમર પરના ચામડાના પટ્ટાને અને ચામડાના બૂટને એક જૈન સાધુના કહેવાથી હટાવવામાં આવ્યાં હતાં. ચામડું વાપરવામાં પ્રાણીની હત્યા થાય છે એટલે અહિંસાથી પ્રેરાઈને ચામડાની ચીજો વાપરવાનું બંધ કર્યું હતું. જો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અહિંસામાં માને છે એવી સત્તાવાર જાહેરાત આજ સુધી કરવામાં આવી નથી. ગાંધીજીની હત્યા પછી સંઘના સ્વયંસેવકોને અર્ધલશ્કરી તાલીમ આપવામાં નહીં આવે એવી સરદાર વલ્લભભાઈ પટેલની શરત સંઘે સ્વીકારી લીધી હતી એટલે લાઠી દશેરાની રૅલીની એક શોભા માત્ર રહી છે. આમ ૧૯૨૫થી અત્યાર સુધી બચી છે કાળી ટોપી અને ખાખી ચડ્ડી જેમાંથી ખાખી ચડ્ડી હવે વિદાય લઈ રહી છે.

ચડ્ડીને ત્યજવાનું કારણ અગવડતા છે, એને કોઈ વૈચારિક વિકાસ સાથે સંબંધ નથી. પાટલૂન આખું હોય કે અડધું હોય, ખાખી હોય કે ભૂરું હોય એને વિચાર સાથે શો સંબંધ છે? આજકાલ મેદસ્વિતા જાગતિક સમસ્યા બની રહી છે જેમાં નીતિન ગડકરી જેવા નેતાઓ હાફ પૅન્ટમાં ભૂંડા લાગે છે. ઘણાં વર્ષોથી આ વિશે ધ્યાન ખેંચવામાં આવતું હતું અને ૨૦૧૦થી ચડ્ડીને આખી કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ હતી.

હા, એક પરિવર્તનનું સ્વાગત કરવું જોઈએ. સંઘે કહ્યું છે કે તમામ હિન્દુ દેવસ્થાનો સ્ત્રીઓ માટે ખુલ્લા હોવાં જોઈએ. આને માટે અભિનંદન.

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 15 માર્ચ 2016

http://www.gujaratimidday.com/features/columns/know-why-rss-dumped-khaki-shorts-chose-brown-trousers-as-new-uniform

Loading

યા દેવી સર્વભૂતેષુ

આશા બૂચ|Opinion - Opinion|15 March 2016

 

યા દેવી સર્વભૂતેષુ
બુદ્ધિ રૂપેણ સંસ્થિતા
નમસ્ત્સ્યે નમસ્ત્સ્યે નમસ્ત્સ્યે નમો નમ:

દેવી સૂકતમાં શિવની સાથે દેવીને પણ નમન કરતા શ્લોક છે જેમાં દેવીની બુદ્ધિ, ક્ષુધા, શક્તિ, શાંતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, સ્મૃિત, દયા, છાયા, તૃષા અને માતૃ રૂપે આરાધના કરવામાં આવી છે.

જ્યારે પણ સમ ધર્મી અને અન્ય ધર્મીઓ સાથે ધર્મના મર્મની વાત નીકળે અને ધાર્મિક ગ્રંથો, પ્રાર્થના, પૂજા, તહેવારો વગેરે વિષે ઉલ્લેખ થાય ત્યારે હું કહેતી હોઉં છું કે ભઈ, અમારે હિંદુ ધર્મમાં ઈશ્વર માત્ર પુરુષ નહીં, સ્ત્રી રૂપે પણ હાજરાહજૂર હોય છે. શિવ-શક્તિ એક શબ્દ મનાય છે. એટલી હદે કે એક શરીરમાં નર-નારી બન્નેનો સમન્વય થયેલો બતાવાય છે. જેટલા ભગવાન અને દેવ તેટલા જ બલકે તેથી વધુ સંખ્યામાં સ્ત્રી શક્તિ અને દેવીઓની કલ્પના કરેલી છે. તેમનું સ્થાન ભગવાન જેટલું જ ઊંચું છે. તેમની મૂર્તિઓ બને, પૂજા-અર્ચના થાય, તેમની માનતાઓ મનાય અને તેમના માનમાં ઉત્સવો મનાય એ દર્શાવે છે કે દુનિયામાં હિંદુ ધર્મ એક જ માત્ર એવો ધર્મ છે જેમાં દેવ જેટલું જ દેવીઓનું ઊંચું સ્થાન છે અને તે નિર્વિવાદ છે. આમ કહી હું એમ પણ પ્રસ્થાપિત કરવા કોશિશ કરું કે આથી જ તો અમારી પ્રાર્થનાઓમાં પ્રથમ વંદન માતાને અર્પીએ, પિતાનું સ્થાન તેના પછી આવે. માતૃ શક્તિને લક્ષીને વિવિધ સાહિત્ય રચનાઓ સદીઓથી થતી આવી છે. અને આથી જ મને મારા ધર્મના સ્ત્રી સન્માન વિષેના ખ્યાલો પ્રત્યે આદર છે.

ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષીઓ ભારત ભૂમિ પર પાકી. ઝાંસીની રાણી અને રાણી અહલ્યાબાઈ જેવી વીરાંગનાઓ ધરતીને ઘમરોળીને દુશ્મનોનો સામનો કરવાનું શીખવી ગઈ. મધર ટેરેસા અને મીરાંબહેન જેવી વિદેશી પુત્રીઓએ ભારતને પોતાનો ગણીને તેનાં સંતાનોની મૂક સેવા કરીને સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડયું. સરોજિની નાયડુ અને પ્રતિભા પાટીલે રાજકારણ શોભાવ્યું. પ્રથમ હવાઈ જહાજ ચાલક સરલા ઠકરાલ અને પહેલી ટ્રેન ડ્રાઈવર સુરેખા યાદવે પુરુષો જે કામ કરી શકે તે બધાં સ્ત્રીઓ કરી શકે, માત્ર વધુ સારી રીતે, એ સાબિત કરી બતાવ્યું. એવરેસ્ટને સર કરનાર બચેન્દ્રી પાલ, પ્રથમ ઉચ્ચ દરજ્જાની પોલીસ ઓફિસર કિરણ બેદી અને અવકાશયાત્રા કરનાર પ્રથમ અમેરિકન-ભારતીય કલ્પના ચાવલાએ ‘અશક્ય’ શબ્દને પોતાના શબ્દકોષમાંથી બાદ કરીને અજોડ સિદ્ધિ મેળવી, આધુનિક નારીઓ માટે માર્ગ મોકળો કરી આપ્યો. આ હકીકતની સાદર અને ગૌરવ સાથે નોંધ લેવી રહી.

આમ ચપટીભર નારીઓની સિદ્ધિઓની વાત કર્યા બાદ, મારી નજર વાસ્તવિક સમાજ જીવન, તેના પ્રશ્નો, દુરાચારો, ગુનાઓ અને સામાજિક અસમાનતાને કારણે પેદા થતી વિટંબણાઓ પર પડે અને સવાલ થાય, ઉપર કહી તે સુંદર વિભાવના અને આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે આવડું મોટું ગાબડું કેવી રીતે પડયું હશે, ભલા? તાજેતરમાં ‘આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાઈ. બહેનો હરખાઈ, ‘અમારું નામ બોલ્યા’! આમ જુઓ તો ઈ.સ. 1909માં કપડાં બનાવનાર સ્ત્રી મજૂરોના અધિકારોની રક્ષા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. જાહેર છે કે સ્ત્રીનું સ્થાન સમાજમાં ઘણું નિમ્ન ગણાવા લાગેલું તેથી તેને તેના મૂળ સ્થાન અને માન ભરેલ સ્થાને પુન:સ્થાપિત કરવા આ અભિક્રમ યોજાયો. સામાન્ય રીતે આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે કશુંક ગણનાપાત્ર પ્રદાન કરનારનું સન્માન કરવા, તેમના કાર્યની પ્રશંસા કરવા અને તેમના પ્રત્યે આદર-પ્રેમ દર્શાવવા 8મી માર્ચનો દિવસ ફાળવવામાં આવ્યો છે. પરંતુ સામાન્ય પ્રજા એ દિવસે પોતાના પરિવારની તેમ જ અન્ય બહેનો પ્રત્યે પોતાની આભાર અને પ્રેમની લાગણી દર્શાવતા કોઈ નાની સૂની ભેટ આપીને કૃતકૃત્ય થતા જોવા મળે છે. તેમ ઉપર ઉલ્લેખ કર્યો છે તેવી ભારતીય અને અનેક વિદેશી નારીઓ ખૂબ ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ પામીને ઝળકી ઊઠી છે, પરંતુ જગતની તમામ મહિલાની ગણતરીમાં એ માત્ર એક બિંદુ સમાન છે અને એટલે જ બાકીની કરોડો બાળકીઓ અને મહિલાઓનાં ઉત્થાન માટે કોશિશ કરવાનું પ્રણ દર વર્ષે લેવાતું રહે છે.

નારીની સફળ કારકિર્દી અને કુટુંબ તથા બહોળા સમાજમાં તેનું સ્થાન એ સિક્કાની એક બાજુ છે, તો તેની બીજી બાજુ પણ જોઈ લઈએ. ખાસ કરીને ભારતમાં વસતી અને મૂળ ભારતની અન્ય દેશોમાં વસતી મહિલાઓ પેલા શ્લોકમાં ગવાય છે તેમ કયા સ્વરૂપે પૂજાય છે તે તપાસીએ. વાચકોમાંના ઘણા કબૂલ કરશે કે તેમની માતા અને  દાદી-નાનીનાં લગ્ન માત્ર તેમના મા-બાપ કે વડીલો દ્વારા ગોઠવાયેલાં હતાં એટલું જ નહીં પણ થનાર પતિ-પત્ની વચ્ચે બૌદ્ધિક કે વૈચારિક સામ્ય, જીવન પ્રત્યેનો અભિગમ કે વ્યક્તિગત શોખ, ગમા-અણગમાને ધ્યાનમાં લેવાનો તે વખતે ‘રિવાજ’ નહોતો. અરે, કેટલાક કિસ્સાઓમાં તો ઉંમરનો પણ ખાસ્સો તફાવત રહેતો અને એ બધું જ રિવાજ, સંસ્કૃિત, રૂઢિ અને પ્રતિષ્ઠાની જાળવણી કરવા ખાતર થતું તેમ સમજાવવામાં આવતું. પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાને પરિણામે દીકરી માટે શિક્ષણના દરવાજા બંધ કરી તેને માત્ર અને માત્ર ગૃહકાર્યની સીમામાં ઝકડી દીધી. આથી છોકરો નાનો હોય ત્યારથી જોતો આવે કે તેના બાપુ માની વાત કાને ન ધરે, તેને ધમકાવે, અન્ય દેખતા અપમાન કરે, માર મારે, કાઢી મુકે અને છેવટ જાન ગુમાવે તો પણ તેની પત્ની કે તેના કુટુંબીજનો સ્ત્રીનો બચાવ ન કરે કે પુરુષને તેમ કરતા ન રોકે તે તદ્દન સ્વાભાવિક છે. કેમ કે તેના સ્થાને બીજી સ્ત્રીને લાવી શકાય. અને એવી સ્ત્રીને પૂછો કે તું શા માટે આ ત્રાસ અને અન્યાય સહન કરે છે? તો કહેશે કે ‘ઈ તો એમ જ હોય, ભાઈ માણસ બે આકરાં વેણ કે, ધોલ ધપાટ કરે તો ઇમાં આપડે શું કરીએ? ક્યાં જઈએ? પિયરિયું તો લગન થિયાં તે દીનું છૂટ્યું, ન્યાં કાંઇ પાછું નો જવાય, એના કરતાં તો કૂવો અવાડો પુરવો સારો. પણ જો એમ કરું તો આ છોકરાંવનું કોણ?’

આમ થવાનું કારણ એ પણ છે કે જેમ દીકરાને વધુ મહત્ત્વ અપાય, ભણવા દેવાય અને મોટા થઈને કમાઈને લાવવાની મહત્ત્વાકાંક્ષા રોપીને ઉછેરવામાં આવે છે તેમ દીકરીને બધાના કહ્યામાં રહેવું, ઊંચે સાદે સામે ન બોલવું, ઘરનું બધું કામ કરવું, ઘરની બહાર નોકરી કરવાની શું જરૂર, તારો વર કમાઈને દે એટલે બસ વગેરે શીખ આપીને કેળવવામાં આવી હોય એટલે ધણી પોતાનું ધાર્યું કરે અને ધણિયાણી તેના વશમાં રહે એટલે સમાજ સુચારુ રૂપે ચાલે. એમાં કશું કરવાપણું ન રહે. પત્ની એટલે ઘરનું બૈરું, ઘરમાં વગર પૈસે વૈતરું કરવા માટે સામાજિક વિધિસર ઢસડી લાવવામાં આવેલું પાત્ર એવી એક પ્રચલિત ધારણા છે તો સામે પક્ષે પતિ એટલે ઘરનો માલિક, મુખ્ય કમાનાર વ્યક્તિ અને સમાજની માન્યતા પ્રમાણે પોતાની સત્તા જમાવનાર જમાદાર એવો ખ્યાલ સદીઓથી જડ ઘાલી ગયો છે. ‘પુત્રવધૂ’ કહીને કંકુએ પગ રંગીને ઘરમાં પારકી દીકરીને લાવીએ ત્યારે તે તમારા પુત્રની સહધર્મચારિણી, સ્વતંત્ર ઈચ્છા અને વિચાર ધરાવનારી વ્યક્તિ છે એમ સ્વીકાર્યું? ‘કુલવધૂ’ના સ્વાંગમાં આવેલ સ્ત્રી તમારા કુળને દીપાવનાર સંતાનોની માતા થશે, તેને એ જવાબદારી નિભાવવા મોકળાશ આપવાની ચેષ્ટા કરી જોઈ?

આખર દીકરીને શું જોઈએ છે? દીકરાની જેમ પોષક ખોરાક, સારું શિક્ષણ, કળીમાંથી ફૂલ બનવાની મોકળાશ અને પોતાનાં સ્વપ્નને સાકાર કરવા જરીક અમથો ટેકો. એ શું વધુ પડતું છે? લગ્ન પછી પત્નીને કપડાં, ઘરેણાં, સારું ઘર અને સંતાનો આપી દીધાં એટલે વાર્તા પૂરી? કદાચ તેના ત્રાજવામાં ઘરના તમામ કામની સામે વહાલના બે શબ્દ મૂકો તો વહાલનું પલ્લું નમી જશે. કોર્ટ કચેરીમાં કામ કરતા પ્રતિષ્ઠિત વકીલ કે જજે કોઈ દિવસ પોતાની પત્ની કોઈ મુદ્દા વિષે શું વિચારે છે એ જાણવાની પરવા કરી હોય તો એ કેટલી ખુશ થાય એ જોયું છે? જે પોતાનાં સંતાનોની જનેતા છે, જેમને ઉછેરીને સંસ્કાર આપી સમાજને ચરણે ધરે છે તે પોતાની ફરજનું ચુકવણું નથી માગતી, પણ કદીક પોતાને સમકક્ષ ગણી તેની સાથે વાત કરવી, સમાજમાં તેના અસ્તિત્વનું અને તેના પ્રદાનનું મૂલ્ય આંકવાનું ચુકી જનાર પુરુષોને શું કહેવું? પોતાની પત્ની ન હોય તેવી સ્ત્રી તરફ કામુક દ્રષ્ટિથી જોઈ તેનું શોષણ કરતા પુરુષો તરફ સમાજ અને કંઈક અંશે કાયદો પણ આંખ આડા કાન કરે છે, તેની પાછળ પુરુષ પ્રધાન કુટુંબ વ્યવસ્થા છે. જ્યારે પોતાની કામવાસના સંતોષવી હોય ત્યારે પોતાની કે અન્યની સ્ત્રીનો તેની ઈચ્છા કે અનિચ્છાએ ભોગવટો કરવો એ શું સંસ્કૃત સમાજનું લક્ષણ છે? તો એ જ રીતે પોતાની પત્નીને પણ માત્ર જાતીય ઈચ્છાઓ પૂરી કરવાનું અને પોતાનો વંશવેલો ટકાવી રાખવા સંતાનો પેદા કરવાનું પાત્ર ગણવું એ પણ કંઈ શોભાસ્પદ નથી જ.

પશ્ચિમી જગતમાં સ્ત્રીનું સ્થાન પૂર્વીય દેશો કરતાં અલગ છે. પશ્ચિમના સમાજમાં વર્ષો પહેલાં દીકરીને ઓછું શિક્ષણ અપાતું એ ખરું અને આજે પણ તેને સમાન વેતન મેળવવા લડવું પડે છે. તેને મતાધિકાર પણ મોડો મળ્યો. તેના પ્રત્યે ઘરેલુ હિંસા આચરાતી જોવા મળે છે એ પણ જાણીએ છીએ. પરંતુ જાણે કે પૂર્વની સંસ્કૃિત પોતાના ધર્મ અને સામાજિક ધોરણોના ઓઠે સ્ત્રીઓને તેના માનવીય અધિકારોથી વંચિત કરી રહી હોય તેવું ભાસે. નહીં તો ભ્રુણહત્યા, ડાવરી જેવા અન્ય સામાજિક કુરિવાજોના ભોગ બની હજારો સ્ત્રીઓ જાન ગુમાવે અને ત્રાસના માર્યા કુટુંબ વિછિન્ન થઇ જાય તેવું ન બનતું હોત. અહીં ભારતના સમગ્ર પુરુષ વર્ગને રૂઢિચુસ્ત કે અન્યાયી ઠરાવવાનો આશય લગીરે નથી, પરંતુ બહુ મોટી સંખ્યામાં સ્ત્રીઓ પ્રત્યે તથા અત્યાચારો અને અન્યાયો પાછળ પુરુષોનું અધિપત્ય અને અહંકાર યુક્ત વલણ જવાબદાર હોવાનું સાબિત થયું છે. જો કે હું તો એમ કહીશ કે મા જ પોતાનાં સંતાનોને ઉછેરે છે, તો દીકરાને ગોળ અને દીકરીને ખોળ આપે, એકને નિશાળે મોકલે અને બીજીને વાસણ સાફ કરવા બેસાડે, દીકરાની કાન ભંભેરણી કરી વહુને ત્રાસ કરે, માર ખવડાવે અને દીકરીને ‘દુખી થાય તો પણ સાસરે પડી રહે’ એવી શીખ આપનાર પણ એક સ્ત્રી જ છે એટલે એ પણ એટલી જ જવાબદાર છે. તો શું આધુનિક સમાજમાં બને છે તેમ દીકરી અને વહુના અધિકારોની જાળવણી કરવા જતાં જેમ સ્ત્રી અને તેના પરિવાર જનોને અન્યાય થતો, તેમ હવે પુરુષ અને તેના કુટુંબને અન્યાય થવા લાગ્યો છે એ પરિસ્થિતિ ઇચ્છનીય છે?

સ્ત્રી-પુરુષ વચ્ચે ખરું સામંજસ્ય અને સમાનતા તો ત્યારે આવશે જ્યારે દીકરા અને દીકરીના ઉછેર અને કેળવણીમાં લૈંગિક ભેદને ભૂલી જઈને તેમને એક માનવ બાળ ગણી બંનેને ભાગે આવતા તમામ પ્રકારની શિક્ષા અને કાર્યની તાલીમ અપાશે અને કુટુંબ અને સમાજના સ્ત્રી અને પુરુષનાં સ્થાન અને માનના ખ્યાલો બદલાશે. તે માટે કોઈ સાલ નિશ્ચિત ન કરી શકાય, પણ જ્યારે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની માફક ‘‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ’ ઉજવાશે અને બંનેના સામાજિક, કૌટુંબિક, આર્થિક, રાજકીય અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અપાયેલ ફાળાની નોંધ લેવાશે ત્યારે સમાનતાનું પલ્લું સરભર થયું ગણાશે. એ માટે બધાએ સહિયારો પ્રયત્ન આદરવો રહ્યો.

e.mail : 71abuch@gmail.com

Loading

મુક્તિ-વૃત્તાંત: સાત્ત્વિક લેખિકાનું સત્ત્વશીલ લેખન

રઘુવીર ચૌધરી|Opinion - Literature|13 March 2016

પીડિત સાથે એકાત્મતાની દિશા કેવી રીતે ખૂલે એના સંકેતો ‘મુક્તિ-વૃત્તાંત’માંથી મળે છે

હિમાંશી શેલતની હાજરી વાતાવરણને અજવાળે – મધુર લાગે કે ન લાગે પણ પ્રસન્ન અવશ્ય કરે. ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રે એમનું અર્પણ અનોખું, નારીચેતનાનાં અજાણ્યાં સૂક્ષ્મ પરિમાણો – ડાયમેન્શન્સ એમની વાર્તાઓમાં વ્યક્ત થયાં. લઘુનવલ પણ રચી. સંસ્મરણો લખવા લાગ્યાં છે, એ જાણીને પ્રશ્ન થયો – કથાલેખન માટેનો સમય ભલો અંગત લેખાંજોખાં માટે ફાળવ્યો. પછી યાદ આવ્યું. વિનોદભાઈ મેઘાણીની આકસ્મિક વિદાય પછી કંઈક ઊંડેથી એકલું લાગવા માંડ્યું હશે. અહીં જો કે મુક્તિ – નીલકંઠ નામ રાખ્યાં છે.

પ્લેટફોર્મ પરનાં અનાથ બાળકોને અને જીવોને એમનું વહાલ સાંપડ્યું છે. શબ્દ સુધી પહોંચ્યું છે. બાળપણમાં ઊંચનીચનો ભેદ કળાયો નથી. ગણિત ન આવડ્યું તો કંઈ વાંધો નહીં. આ ઉંમરે એ વિશે હસી લેવાય. સોમાંથી સાત માર્ક મેળવનાર એ ઘટનાને યાદ કરી આજે મલકાય છે: ‘દાખલા ફટાફટ ગણનારાં સહુ મને મોટાં જાદુગર લાગે. મને તો સોમાંથી રોકડા સાત મળ્યા હોય એવાયે દાખલા છે, ને અમારા શિક્ષક ભારે અચંબાથી કહે કે ખાલી રીતનાયે છેવટે દસ માર્ક તો મળે, તો આ સાત જ શી રીતે આવ્યા?

એક કામ આટલા સમયમાં કરવામાં અમુક અમુક સંખ્યામાં માણસો જોઈએ તો બીજું કામ તેટલા સમયમાં પૂરું કરવા કેટલા માણસોની જરૂર પડે? તેવા કોઈ વિચિત્ર દાખલાના જવાબમાં સાડા પંદર કે એવો કશો ગજબનો ધડાકો કરીને મેં મારા ગણિતના શિક્ષકને હતાશાની ઊંડી ખીણમાં ધકેલી દીધા હતા, એ યાદ આવતાંની સાથે આજે ય મલકી પડું છું.’ (પૃ. 5, મુક્તિ-વૃત્તાંત)

અહીં હિમાંશીના વિકલ્પે મુક્તિ છે. શૈશવનાં સ્મરણોનાં ચિત્રો સુરેખ શિલ્પો છે. મકાન જીર્ણ હોય કે કલાસભર, સાતેય રંગમાં પ્રગટ થાય છે. પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ બિલાડીઓના સ્મરણથી છલકાઈ આવે છે. લખે છે: ‘હવે આ કયું ખેંચાણ હશે તે હું આજ લગી નથી પામી શકી. હતું અને છે એ સર્વથા નિરપેક્ષ આકર્ષણ. આ પ્રેમનું જ લક્ષણ, સ્વાર્થ વિનાનું વારી જવાનું, અને વરસી પડવાનું. ઉત્તમ સમય એ પ્રિય પાત્રો સાથે ગાળવાનો … સાવ મળસ્કે મારી બિલાડીઓ પૂરા ભરોસાથી મને જગાડી શકે, પેટ પર બેસીને ટગરટગર જોઈ શકે, ગાલ જોડે ગાલ ઘસી શકે. મને એનો ભરોસો ગમે છે. મને એ કેટલી વહાલી છે એ કહેવાની જરૂર નથી પડતી. એ તમામને એની ખબર છે.’ (પૃ. 7)

બાળપણમાં માણસની ક્રૂરતા જોઈને ચીસો પાડી છે. પતિનો માર ખાતાં ભાણીબેન રસ્તા પર જેટલી ચીસો પાડે છે, એટલી જ ચીસો આ બાળકી બારીથી જોતાં જોતાં પાડે છે. દાદાજી અને બાપુજી ભાણીબેનને છોડાવે છે. પછી પતિ-પત્ની એ જ છાપરા નીચે રહેવાનાં છે. અહીં લેખિકાને આવાં દૃશ્યો દ્વારા વર્તમાન અને ભાવિ સમાજનું દર્શન લાધે છે: ‘જે દુનિયામાં બાકીનાં વર્ષો ગાળવાનાં છે એ સંપૂર્ણ સલામત, સુંદર અને પ્રેમભર્યું સ્થાન નથી એ કાચીપાકી સમજનું બીજ એ રાતે રોપાયું હશે.’ (પૃ. 9)

દાદાજી ઉમરેઠના બ્રાહ્મણ – કાલિદાસ શેલત. પત્રકાર થયેલા. પછી સુરત. ઘરની મોટર ખરી પણ ભાઈ સાથે ‘જીવનભારતી’માં ચાલતાં જ જતાં. દાદાજીને કારણે ‘ઘેર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હો ય તોય ફોટા ન પડે. ન કશી જાહેરાત. આવો પણ એક યુગ હતો.’ (પૃ.18)

હિમાંશીબહેનના વ્યક્તિત્વમાં જે સાત્ત્વિક લક્ષણો વરતાય છે, એમાંનું એક છે પરગજુપણું. એને પરિવારનું પોષણ મળ્યું લાગે છે. એક પ્રસંગ રજૂઆતની સાદગી માણવા પણ નોંધવા જેવો છે: ‘દસેક વરસની હતી ત્યારે મારાથી ચારેક વર્ષ મોટી પાર્વતી નામની એક છોકરી એની માને મદદ કરવા અમારે ઘેર આવતી. મૂળ રાજસ્થાનનું કુટુંબ, અને એકાદ બે વરસ પછી એને પરણાવી દેવાની હતી, એટલે જેટલું ભણી એટલું બહુ છે એવું માની લેવાયેલું. હું નવરી હોઉં અને રવિવાર કે રજાનો દિવસ હોય તો ચોકડીમાં એની જોડે વાસણ માંજવા બેસી જાઉં. બપોરે બધાં આરામ કરતાં હોય એટલે મને ટોકવા માટે હાજરી કોઈની નહીં. બહેનપણીની જેમ ગપ્પાં મારતાં અમે વાસણ સાફ કરીએ. પાર્વતીની આંખે રાજસ્થાન જોવાની મને મોજ પડતી.

એની રહેણીકરણીનું ચિત્ર મને બહુ રોમાંચક લાગતું. પાર્વતી એકલી એકલી વાસણ માંજે એ મને નહોતું ગમતું. એટલે કામનું કામ અને સાથનો સાથ. આવી સાદી સમજ સાથે હું બપોરે આ કામ કોઈને ખબર ન પડે એમ કરતી. રસોડામાં કોઈ આવે ત્યારે હાથ ધોઈને વાતમાં લાગી જતી. જો કે બાને જ્યારે મારી આ પ્રવૃત્તિની ખબર પડી તો એણે કહી દીધું કે કામ કરવામાં સંકોચ શા માટે, અને વાસણ સાફ કરવાં એમાં ખોટુંયે શું! પાર્વતીને મદદ થાય એ તો વળી એકદમ સારી વાત.’ (પૃ. 13)

કુટુંબીજનોને આમાં ગુણ દેખાયો, એ વલણે ઘડતરનું કામ કર્યું. સર્વ કળાઓમાં રસ. સુરત અને ઉમરેઠનાં સ્થળોનું પ્રત્યક્ષ થવું. સ્વજનો, સખીઓ, અને પછી કહે છે – ‘ઉદ્વેગ અને ઉકળાટનો પ્રારંભ થયો સમજણ આવ્યા પછી.’ (પૃ. 55)

કુટુંબજીવનના સંબંધોમાં ક્યાંક સંકુલતા વરતાઈ તો એ વિશે પણ લખ્યું છે. એકવીસમાં વર્ષે કૉલેજમાં અધ્યાપકની નોકરી મળી. ‘લગ્ન તો કરવાં નહોતાં’ એ વખતનો ખ્યાલ. પરિવારથી સ્વતંત્ર રહેવું, રેલવે સ્ટેશનનું જીવન દેખાવું, ‘વણકથી પીડાઓથી ઘેરાયેલી સ્ત્રીઓ સાથે, મારે જરાતરા જોડાવાનું આવ્યું.’ (પૃ. 61)

‘અંગ્રેજીનું અધ્યાપન, 1994માં માનવસર્જિત આપત્તિકાળમાં જનસમુદાયનો વરવો ચહેરો જોવાનું આવી પડ્યું.’ (પૃ. 70)

કલાની સજ્જતા સાથે સહન કરતા મનુષ્ય માટે કરુણા જ નહિ, એકાત્મતાની દિશા કેવી રીતે ખૂલે એના સંકેતો ‘મુક્તિ-વૃત્તાંત’ના વાચન દરમિયાન મળશે. એમનું વલસાડ-અબ્રામાનું દામ્પત્યજીવન. ‘જીવનને આવરી લેતા આત્મીય સંબંધનો અંત એટલે કપરામાં કપરો ગાળો.’ (પૃ. 123)

પુસ્તકના અંતે રવીન્દ્રનાથની પંક્તિઓ છે: ‘થાય છે કે જવાના દિવસે આ વાત કહી જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી.’

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 13 માર્ચ 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-article-of-sahitya-vishesh-by-raghuvir-chaudhari-in-sunday-bhaskar-5272659-NOR.html

Loading

...102030...3,5973,5983,5993,600...3,6103,6203,630...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved