Opinion Magazine
Number of visits: 9691212
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માલેગાંવમાં નહોતા મુસલમાનોએ બૉમ્બવિસ્ફોટ કર્યા, નહોતા હિન્દુઓએ કર્યા તો શું પારસીઓએ કર્યા હતા?

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|30 June 2016

ગુનેગારો જો મુસલમાનો નહોતા તો હિન્દુ રાજમાં આતંકવાદના ગુનેગારો હિન્દુ કેવી રીતે હોઈ શકે? હિન્દુને અહિંસક કરવાનું કામ મહાત્મા ગાંધી કરશે. આપણે હિંસક હિન્દુઓ પરથી હિંસાના આરોપ દૂર કરીને તેમને અહિંસક બનાવી દઈશું. આપણે એટલા સ્માર્ટ છીએ કે ચપટી વગાડતાં હિંસકને અહિંસક બનાવી શકીએ છીએ. હિન્દુ હિંસક હોય જ નહીં. હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ ને હિન્દુત્વ એ જ અહિંસકત્વ

ખાસ રચવામાં આવેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) માટેની અદાલતના જજે માલેગાંવ બૉમ્બબ્લાસ્ટનાં મુખ્ય આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન પર છોડવાની ના પાડી દીધી છે. અદાલતના જજ એસ. ડી. ટેકાલેએ કહ્યું છે કે સાધ્વી પ્રજ્ઞા સિંહ સામે ગુનો બનતો નથી એવી NIAની દલીલ ગળે ઊતરે એવી નથી. ઘટનાસ્થળેથી જે મોટરસાઇકલ મળી આવી હતી એ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની હતી એ લિન્ક પ્રાથમિક ગુનો નોંધવા માટે પર્યાપ્ત છે. પહેલાં ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને એ પછી NIA એમ બન્ને તપાસકર્તા એજન્સી સ્વીકારે છે કે ઘટનાસ્થળેથી મળેલી મોટરસાઇકલ પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામે નોંધાયેલી છે. ATS એવા તારણ પર આવી હતી કે પ્રજ્ઞા સિંહ ઠાકુરની બ્લાસ્ટમાં સીધી સંડોવણી હતી; જ્યારે રહી-રહીને આઠ વર્ષે NIA એવા તારણ પર પહોંચી છે કે મોટરસાઇકલ પ્રજ્ઞા સિંહ ઠાકુરની ભલે હતી, પરંતુ તેમના કબજામાં નહોતી. એ મોટરસાઇકલ ઘટના બની એના ઘણા સમય પહેલાંથી રામચન્દ્ર કલસાગરાના કબજામાં હતી. આ કલસાગરા પણ એક કરતાં વધુ આતંકવાદી ઘટનાઓમાં ગુનેગાર છે.

માલેગાંવમાં શબ્બે બરાતની રાતે કબ્રસ્તાનમાં બૉમ્બવિસ્ફોટની ઘટના બની એને આજે દસ વર્ષ થવા આવ્યાં છે અને ચુકાદો આવવાનો તો બાજુએ રહ્યો, હજી તો મુખ્ય આરોપી આરોપી છે કે નહીં એ જ નક્કી નથી થઈ રહ્યું. આખી રમત હિન્દુત્વવાદી ગુનેગારોને બચાવવાની છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ એ પછી ગણતરીપૂર્વક કેસને નબળો પાડવામાં આવી રહ્યો છે જેથી હિન્દુ ઉગ્રવાદીઓને સજા ન થાય.

બન્યું એવું કે એપ્રિલ મહિનાની ૨૭ તારીખે માલેગાંવમાં થયેલી બૉમ્બવિસ્ફોટની ઘટના પછી દસ વર્ષે આવેલા ચુકાદામાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટના ગુનેગારો માટેની અદાલતે નવેનવ આરોપીઓને દોષમુક્ત કર્યા હતા એટલે બીજો વળાંક આવવો જરૂરી હતો. જે નવ આરોપીઓને છોડવામાં આવ્યા હતા એ બધા જ મુસલમાનો હતા એટલે સ્વાભાવિકપણે એવું ફલિત થતું હતું કે એ ગુનાની ઘટનામાં મુસલમાનો સડોવાયેલા નહોતા તો હિન્દુઓ સંડોવાયેલા હોવા જોઈએ.

દરમ્યાન ૨૦૦૮માં તપાસકર્તા એજન્સીઓએ સગડ મળવા માંડ્યા હતા કે માત્ર માલેગાંવ નહીં; હૈદરાબાદની મક્કા મસ્જિદ, સમઝૌતા એક્સપ્રેસ અને અજમેર શરીફ એમ મુસલમાનોને ટાર્ગેટ કરનારી જેટલી આતંકવાદી ઘટનાઓ બની છે એમાં હિન્દુ ઉગ્રવાદીઓનો હાથ છે. ૨૦૦૮માં મુંબઈમાં પાકિસ્તાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં શહીદ થઈ ગયેલા હેમંત કરકરે ATSના એ સમયે અધ્યક્ષ હતા. તેઓ પ્રજ્ઞા સિંહ ઠાકુર, સ્વામી અસીમાનંદ અને બીજા હિન્દુ આરોપીઓ સુધી પહોંચ્યા હતા. ૨૦૦૮માં દેશભક્તો માટે કરકરે શહીદ હતા. અત્યારે એ જ દેશભક્તો કહે છે કે ATSએ દ્વેષભાવ સાથે તપાસ કરી હતી. રાજકીય પક્ષપાત અને સ્વાર્થ સામે કોઈની શહીદી કેટલી સસ્તી છે એનું આ ઉદાહરણ છે.

ગુનેગારો જો મુસલમાનો નહોતા તો હિન્દુ રાજમાં આતંકવાદના ગુનેગારો હિન્દુ કેવી રીતે હોઈ શકે? આખું જગત જેની કદર કરે છે એ સત્ય, અહિંસા જેવાં મહાન હિન્દુ મૂલ્યોનું જતન કરવા જેવી આવડત ન હોય તો કંઈ નહીં; કમસે કમ જઘન્ય ઘટનાના હિન્દુ આરોપીઓને બચાવી શકીએ કે નહીં? દેશ અને રાજ્યમાં હિન્દુત્વવાદી સરકાર હોય અને આટલું પણ ન કરી શકે? હિન્દુને અહિંસક કરવાનું કામ મહાત્મા ગાંધી કરશે. આપણે હિંસક હિન્દુઓ પરથી હિંસાના આરોપ દૂર કરીને તેમને અહિંસક બનાવી દઈશું. મહાવીર, બુદ્ધ અને ગાંધી મૂરખ હતા કે તેમણે પ્રજાને ઘડવાનો લાંબો રસ્તો અપનાવ્યો; જ્યારે આપણે એટલા સ્માર્ટ છીએ કે ચપટી વગાડતા હિંસકને અહિંસક બનાવી શકીએ છીએ. હિન્દુ હિંસક હોય જ નહીં. હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ અને હિન્દુત્વ એ જ અહિંસકત્વ.

જ્યારે કહેવાતા મુસ્લિમ આતંકવાદીઓને દોષમુક્ત કરવામાં આવ્યા છે એટલે NIAએ પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત પાંચ હિન્દુ આરોપીઓ સામે આરોપનામું ઘડી શકાય એટલા પુરાવાઓ નથી એવી ક્લીન ચિટ આપી દીધી છે. આવું બનવાનું છે એનો ઇશારો મહિનાઓ પહેલાં આગલી મહારાષ્ટ્ર સરકારનાં પબ્લિક પ્રોસિક્યુટર રોહિણી સાલિયને આપી દીધો હતો. રોહિણી સાલિયન મહારાષ્ટ્ર સરકાર તરફથી આ ખટલો લડતાં હતાં. સરકાર બદલાયા પછી તેમને બાજુએ હડસેલી દેવાયાં હતાં, પરંતુ તેમને જાણ હતી કે NIAમાં શું રંધાઈ રહ્યું છે. તેમને જાણ હતી કે મુસ્લિમ આરોપીઓ સામેનો ખટલો અદાલતમાં ટકી શકે એમ નથી અને મુસ્લિમ આરોપીઓ દોષમુક્ત થવાના છે. જે વાતની ખાતરી રોહિણી સાલિયનને થઈ હતી એ વાતની ખાતરી મહારાષ્ટ્ર સરકારને પણ થઈ હતી. NIAને સૂચના આપી દેવામાં આવી હતી કે હિન્દુ આરોપીઓને છોડી મૂકવાના છે.

સવાલ એ છે કે માલેગાંવમાં, હૈદરાબાદમાં, સમઝૌતા એક્સપ્રેસમાં અને અજમેર શરીફમાં નહોતા મુસલમાનોએ બૉમ્બવિસ્ફોટ કર્યા, નહોતા હિન્દુઓએ કર્યા તો શું પારસીઓએ કર્યા હતા? કે પછી પરગ્રહવાસી એલિયને બૉમ્બવિસ્ફોટ કર્યા હતા? આ ન્યાય નથી, ન્યાયનું કાસળ છે. એટલે જ સ્પેશ્યલ અદાલતે NIAનું નાક કાપ્યું છે અને આદેશ આપ્યો છે કે ફરી તપાસ કરે.

દસ વર્ષે ફેરતપાસ થશે. એ પણ ઈમાનદારીપૂર્વક નથી થવાની એની ખાતરી રાખજો. શું આવું હોય હિન્દુ રાષ્ટ્ર?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 30 જૂન 2016

http://www.gujaratimidday.com/features/columns/malegaon-blast-2

Loading

રાષ્ટ્રભાષાવિહોણો દેશ આપણો, અંગ્રેજીનું ચલણ યથાવત્‌ રહ્યું છે

હરિ દેસાઈ|Opinion - Opinion|30 June 2016

રાજનાથ ભલે સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીને રાષ્ટ્રભાષા ગણાવતા હોય, આજ લગી હિંદીને આ દરજ્જો પ્રાપ્ત થયો નથી

હમણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિટ્‌ઝર્લેન્ડ, અમેરિકા અને મૅક્સિકોમાં ટૅલિ-પ્રૉમ્પ્ટરના ટેકે પ્રભાવી અંગ્રેજીમાં સંબોધનો કર્યા પછી ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં શાંઘાઈ સહકાર સંગઠનના દેશોની પરિષદમાં એ સહભાગી થયા ત્યારે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની સીધી મંત્રણામાં તેમણે હિંદીમાં બોલવાનું પસંદ કર્યું. મોદીએ દુભાષિયાના ટેકે શી સાથે હિંદીમાં વાત કરી અને જિનપિંગે આપણા વડા પ્રધાન સાથે દુભાષિયાના માધ્યમથી ચીની-મૅન્ડેરિન ભાષામાં સંવાદ સાધવાનું પસંદ કર્યું.

વડા પ્રધાન મોદીની સત્તાવાર વૅબસાઈટ પર ઝળકતી તસવીરોમાં ટૅલિ-પ્રોમ્પ્ટર દેખા દે છે. એટલે એના વપરાશ વિશે પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે, પરંતુ વડા પ્રધાન સમય, સંજોગો અને શ્રોતાગણ જોઈને કઈ ભાષામાં બોલવું એ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. પશ્ચિમના દેશોમાં ટૅલિ-પ્રોમ્પ્ટરનો ઉપયોગ વિવિધ દેશોના નેતાઓ કરતા હોય છે અને ઘરઆંગણે મોદી પૂર્વેનાં વડા પ્રધાનો અને મુખ્યમંત્રીઓ પોતાનાં વ્યાખ્યાનો લખી આપવા માટે તેજસ્વી લહિયા રાખતાં રહ્યાં છે એટલેસ્તો ‘ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર’ કે પછી ‘ટપ ટપથી નહીં, પણ મમ મમથી જ’ સંબંધ રાખવાનું યોગ્ય લેખાય.

ભારત આઝાદ થયું ત્યારથી એની રાષ્ટ્રભાષા (નેશનલ લૅંગ્વેજ) હોવી જોઈતી હતી, પરંતુ બંધારણસભામાં જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અભિપ્રેત ઉર્દૂની છાંટવાળી હિંદુસ્તાની અને સંસ્કૃતની છાંટવાળી હિંદી બાખડવાના સંજોગોમાં દક્ષિણ ભારતનાં રાજ્યોના તર્કને આગળ કરીને પંદર વર્ષ માટે રાજભાષા (ઑફિશિયલ લૅંગ્વેજ) તરીકે હિંદીની સાથે જ અંગ્રેજી પણ રખાઈ. પંદર વર્ષને આજે ૭૦ થવા આવ્યાં, છતાં ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિંદી હજુ સ્વીકારી શકાઈ નથી.

અંગ્રેજીનું ચલણ યથાવત્‌ રહ્યું છે, અને દેશની કુલ રર ભાષાઓને સત્તાવાર ભાષાઓ તરીકે સ્વીકૃતિ અપાયા છતાં અલાહાબાદ, પટણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વડી અદાલતો સિવાયની દેશની તમામ વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં પણ હિંદી ભાષા હજુ અસ્પૃશ્ય જ રહી છે. ગુજરાતની વડી અદાલતની ખંડપીઠે જાન્યુઆરી-ર૦૧૦માં ‘હિંદી રાષ્ટ્રભાષા નથી’ એવા આપેલા ચુકાદાને હજુ કોઈએ પડકાર્યાનું જાણમાં નથી અને છોગામાં સર્વોચ્ચ અદાલતમાં હિંદીમાં રજૂઆત કરવા માટે જાહેર હિતની કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દેવાઈ છે. ગુજરાતના સ્વર્ગસ્થ કાયદાપ્રધાન અશોક ભટ્ટ વડી અદાલતના કામકાજમાં ગુજરાતીને દાખલ કરવાના પક્ષે હતા, પણ હવે એ વાત હવાઈ ગઈ લાગે છે.

“હું એ પક્ષ સાથે સંબંધ ધરાવું છું કે જેણે આજ લગી કહ્યું છે કે, આપણે અંગ્રેજીને દૂર કરવી જોઈએ. ભારતીય ભાષાઓમાં જ કામ કરવું જોઈએ.” એવું કહી લોકસભામાં જનસંઘના નેતા તરીકે ૧ર ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ સરકારી ભાષા સુધારણા વિધેયકનો વિરોધ કરતાં પોતાનો મત રજૂ કરનારા અટલ બિહારી વાજપેયીએ ૧૯૭૭માં દેશના વિદેશ પ્રધાન તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીમાં ભાષણ કર્યું, ત્યારે એમનું ગૌરવ કરવામાં આવ્યું હતું. જો કે વાજપેયી પહેલાં પણ સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીમાં ભાષણ કરવાનો યશ પંડિત પ્રકાશવીર શાસ્ત્રીને ફાળે જાય છે. પંડિત શાસ્ત્રી આર્યસમાજી હતા. સંસ્કૃતના વિદ્વાન હતા. ઘણો લાંબો સમય એ લોકસભા અને રાજ્યસભાના સભ્ય હતા. સામાન્ય રીતે એ અપક્ષ સાંસદ હતા, પણ એકવાર ૧૯૭૪માં જનસંઘના પ્રતિનિધિ તરીકે સાંસદ બન્યા હતા. ર૩ નવેમ્બર, ૧૯૭૭ના રોજ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે પણ એ ઉત્તર પ્રદેશમાંથી અપક્ષ સાંસદ હતા.

પંડિત શાસ્ત્રી અને કવિવર વાજપેયી પછી વડા પ્રધાન રહેલા તથા ૧૪ ભાષાના જાણકાર એવા પી. વી. નરસિંહરાવ અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઘણા મહાનુભાવો સંયુક્ત રાષ્ટ્રની બેઠકને હિંદીમાં સંબોધન કરી ચૂક્યા છે. અત્યારે હિંદીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકૃતિ અપાવવાના આગ્રહી એવા કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ૬ ઑક્ટોબર, ર૦૧૦ના રોજ ‘ હિંદી અમારી રાષ્ટ્રભાષા હોવાથી મારું સંબોધન હું હિંદીમાં કરવાનું પસંદ કરીશ.’

એવું પ્રારંભિક કથન રજૂ કરીને વૈશ્વિક આતંકવાદ નિર્મૂલન અંગે હિંદીમાં જ સંયુક્ત રાષ્ટ્રના ૬પમા સત્રને સંબોધિત કરી ચૂક્યા છે. રાજનાથ ભલે સંયુક્ત રાષ્ટ્રમાં હિંદીને રાષ્ટ્રભાષા ગણાવતા હોય, આજ લગી હિંદીને આ દરજ્જો પ્રાપ્ત થયો નથી અને એ અપાવવાની જવાબદારી રાજનાથના મંત્રાલયની જ છે ! ભારતીય બંધારણસભામાં સંસ્કૃતપ્રેમી ડૉ. બાબાસાહેબ આંબેડકરના માધ્યમથી સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાની કોશિશ પણ થઈ હતી, પરંતુ એ કોશિશ સફળ રહી નહોતી.

ભારતીય ભાષાઓની જ નહીં, ઘણી બધી ઈન્ડો-યુરોપિય ભાષાઓની પણ જનની ગણાતી સંસ્કૃત કરતાં તમિલ જૂની ભાષા હોવાનો દાવો કરાય છે. હિંદી અને સંસ્કૃત સામેનો વિરોધ પણ રાજકીય કારણોસર તમિળભાષી પ્રદેશમાંથી જ ઊઠતો રહ્યો છે. ફારસી અને પુસ્તુ ભાષા પણ સંસ્કૃત સાથે સંબંધ ધરાવે છે. એટલું જ નહીં, વેબ્સ્ટર ડિક્શનેરીના ચાર લાખ જેટલા અંગ્રેજી શબ્દોમાંથી ચોથા ભાગના એટલે કે એક લાખ જેટલા અંગ્રેજી શબ્દો સંસ્કૃતમાંથી જ ઉતરી આવ્યાનું ડૉ. એન.આર. વરહાડપાંડે જેવા ૧૦ હજાર શબ્દો તારવી આપીને બાકીના કામની જવાબદારી નાગપુર યુનિવર્સિટીને શિરે નાખનાર વિદ્વાનનું કહેવું હતું.

ભોપાલમાં સપ્ટેમ્બર ર૦૧પમાં યોજાયેલા ત્રિ-દિવસીય વિશ્વ હિંદી સંમેલનના સમાપન સત્રમાં કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે હિંદીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્થાપિત કરવા માટે યોગની વૈશ્વિક સ્વીકૃતિની ભૂમિકા પર કામ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. અત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં અરબી, ચીની, અંગ્રેજી, ફ્રેંચ, રશિયન અને સ્પેિનશ ભાષાને જ સત્તાવાર ભાષા તરીકે સ્વીકૃતિ પ્રદાન થયેલી છે.

વિશ્વમાં ચીની-મૅન્ડેરિન ભાષા બોલનારા સૌથી વધુ છે અને એ પછીના ક્રમે હિંદી બોલનારા આવે છે. ગૃહમંત્રી રાજનાથના મતે, ‘ભારતીય નેતાગીરીની કેટલીક નબળાઈને કારણે’ હિંદી રાષ્ટ્રભાષા બની શકી નથી. જો કે વર્ષ ર૦૧૮માં હવે પછીનું વિશ્વ હિંદી સંમેલન મોરેશિયસમાં મળે એ પૂર્વે હિંદીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષામાં સમાવવા માટે ભારત સરકાર કૃતસંકલ્પ જણાય છે, પણ ભારતમાં એને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની બાબતમાં મગનું નામ મરી પાડવામાં આવતું નથી. વિધિવિધાન તરીકે હિંદી દિવસની ઉજવણી ૧૪ સપ્ટેમ્બરે ભારતમાં કરવાની પરંપરાને ગૃહમંત્રી રાજનાથસિંહે અખંડ રાખી છે.

સમાજવાદી નેતા ડૉ. રામમનોહર લોહિયાએ જર્મન ભાષામાં પોતાનો પીએચ.ડી.નો મહાનિબંધ લખીને જર્મનીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવ્યા છતાં ભારતની ભાષા તરીકે હિંદીને જ પ્રસ્થાપિત કરવાની એમની નેમને આગળ વધારવાનું પ્રંશસનીય કામ એમના રાજકીય શિષ્ય એવા મુલાયમસિંહે કરી બતાવ્યું હતું. ૧૯૯૬-’૯૮ દરમિયાન મુલાયમ જ્યારે દેશના સંરક્ષણ પ્રધાન બન્યા ત્યારે એમણે પોતાના મંત્રાલયના વ્યવહારને હિંદીમાં જ ચલાવવાના આગ્રહનો અમલ કરાવ્યો હતો. જો કે એ સંરક્ષણ પ્રધાનના હોદ્દેથી ગયા કે તૂર્ત જ સંરક્ષણ મંત્રાલયમાંથી હિંદી ટાઈપરાઈટરોને રૂખસદ અપાઈ હતી. મોદી સરકાર સંયુક્ત રાષ્ટ્ર(યુએન)માં હિંદીને માન્યતા અપાવવા મેદાને પડી છે ત્યારે દેશમાં પ્રત્યેક તબક્કે ભાષા-વિવાદ અખંડ છે અને હિંદીને હજુ રાષ્ટ્રભાષા તરીકેની સ્વીકૃતિ અપાવવાની વાત તો ઊભી જ છે.  

સૌજન્ય : ‘હિંદીત્વ’,  “દિવ્ય ભાસ્કર”, 29 જૂન 2016

Loading

ઇમર્જન્સી વરસી

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|29 June 2016

જવાહરલાલ નેહરુના અવસાન પછી સેક્યુલર મૂલ્યના જતનમાં કૉન્ગ્રેસનું કોઈ યોગદાન નથી અને ભારતમાં આઝાદીનાં મૂલ્યનાં જતનમાં BJPનું કોઈ યોગદાન નથી, દરેક રાષ્ટ્રીય કલંકની ઘટના વેળા મૂલ્યોના પક્ષે ઊભા રહેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ નીવડ્યા છે. અદના ભારતવાસીએ ભારતની લાજ રાખી છે, પરંતુ રાજકીય પક્ષોએ નહીં. ઇમર્જન્સી વખતે આઝાદીનાં મૂળભૂત મૂલ્યોમાં માનનારા સામાન્ય માણસે ઇમર્જન્સી સામે લડત આપી હતી. દિલ્હી, અયોધ્યા અને ગુજરાત વખતે મુઠ્ઠીભર સેક્યુલરિસ્ટોએ મોરચો સંભાળ્યો હતો. એ વખતે રાજકીય પક્ષો તો પાણીમાં બેસી ગયા હતા

BJPએ રવિવારે (26 જૂને) ઇમર્જન્સીની ૪૧મી વરસી ઊજવી. અંગ્રેજી ભાષામાં એક ફાયદો છે કે ઍનિવર્સરી શબ્દમાં સારી-નરસી બન્ને ઘટનાઓનો સમાવેશ થાય છે. ઇમર્જન્સી એ કોઈ ઊજવવા જેવી ઘટના નહોતી, પરંતુ શરમાવા જેવી ઘટના હતી એટલે આવી ઘટનાઓ માટે વરસી શબ્દ ઠીક રહેશે. ૪૧ વરસ પહેલાં ૨૬ જૂને ઇન્દિરા ગાંધીએ દેશ પર ઇમર્જન્સી લાદી હતી. હવે તો ઇમર્જન્સી શું હતી એ ૬૦ વરસથી નીચેની વયના લોકોને સમજાવવું પડે એટલી એ જૂની ઘટના છે અને લોકો વીસરવા લાગ્યા છે. BJPને સ્વાભાવિકપણે ઇમર્જન્સી ન વીસરાય એમાં રસ છે, કારણ કે એમાં કૉન્ગ્રેસ ગુનેગાર છે અને BJP ઇમર્જન્સીનો સીધો અને મોટો લાભાર્થી પક્ષ છે.

BJP લાભાર્થી પક્ષ છે એટલે એણે ઇમર્જન્સીને યાદ કરતા રહેવું જોઈએ અને બીજાઓએ હવે એને જૂની ઘટના ગણીને ભૂલી જવી જોઈએ એવું નથી. ડાહ્યા માણસો જીવનમાં મેળવેલી સિદ્ધિઓની માફક જીવનમાં કરેલી ભૂલોને પણ યાદ રાખે છે અને ભૂલો વિશે વધારે બોલે છે. ઇતિહાસ બેધારી તલવાર છે. એનો કોઈની સામે વેર વાળવા માટે પણ ઉપયોગ થઈ શકે છે અને આત્મનિરીક્ષણ કરીને જાતને સુધારવા માટે પણ ઉપયોગ થઈ શકે છે. ડાહ્યો માણસ બીજી રીતે ઇતિહાસનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રને પણ આ વાત લાગુ પડે છે. રાષ્ટ્ર એ કોઈ જમીનનો ટુકડો નથી, પરંતુ જીવતો સમાજ છે જે ભૂલો કરી શકે છે અને જો વિવેક જાગ્રત હોય તો એને સુધારી પણ શકે છે. ઇતિહાસ ઊલટાવી શકાતો નથી, પરંતુ ઇતિહાસમાં માનવસમાજે કરેલી ભૂલો બીજી વાર ન થાય એની તકેદારી લઈ શકાય છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ રવિવારે કહ્યું હતું કે ઇમર્જન્સી રાષ્ટ્રીય કલંક છે અને કૉન્ગ્રેસે એના વિશે પક્ષ અંતર્ગત અને બહાર ચર્ચા કરવાની તૈયારી બતાવવી જોઈએ. તેમની વાત સાચી છે. ઇમર્જન્સી એક રાષ્ટ્રીય કલંક છે. ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવાના એકમાત્ર ઉદ્દેશથી દેશ પર ઇમર્જન્સી લાદી હતી. ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની રીતરસમો પાળવામાં કરેલા ભંગ સામે રાજનારાયણ નામના તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારે અલાહાબાદની હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં ઇન્દિરા ગાંધી હારી ગયાં હતાં. અદાલતે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કર્યું હતું અને બીજાં છ વર્ષ તેઓ ચૂંટણી ન લડી શકે એવી સજા કરી હતી. ચૂંટણીકીય રીતરસમોમાં કરવામાં આવેલા મામૂલી અને એ પણ ટેક્નિકલ ભંગના ગુના માટે આ સજા જરા વધારે પડતી આકરી હતી. ઇન્દિરા ગાંધીની ચૂંટણીસભા માટે બાંધવામાં આવેલા મંચની ઊંચાઈ ઠરાવેલી ઊંચાઈ કરતાં વધારે હતી એ રીતરસમોમાં કરવામાં આવેલા ઉલ્લંઘનનો મહત્ત્વનો મુદ્દો હતો.

ગમેતેમ, ગુનો એ ગુનો હતો અને સજા એ સજા હતી અને પાછી સજા હાઈ ર્કોટે કરી હતી. સજા અપીલમાં ટકી શકે એમ નહોતી એવો દરેક વકીલનો અભિપ્રાય હતો. અપીલ અને ચુકાદાનો માત્ર વચગાળાનો સમય હતો અને એ દરમ્યાન ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપવું પડે એમ હતું. ઇન્દિરા ગાંધી રાજીનામું નહોતાં આપવા માગતાં. નવો વડો પ્રધાન પછી ખસે નહીં તો? પક્ષ એ માણસના પક્ષમાં ઊભો રહી જાય તો? સજામાં ઘટાડો ન થાય તો? બહાદુરીનો દેખાડો કરનારા મોટા ભાગના માણસો અંદરથી ડરપોક હોય છે એટલે તેઓ પોતાનો ગરાસ ન લૂંટાઈ જાય એ માટે આક્રમક બની જાય છે. ઇન્દિરા ગાંધી આવાં અસલામતીથી પીડિત બહાદુર મહિલા હતાં. તેમણે પોતાની સત્તા જાળવી રાખવા ઇમર્જન્સી લાદી હતી.

પોતાના અંગત સ્વાર્થ સારુ બંધારણને લકવાગ્રસ્ત કરવું, રાષ્ટ્રના અંતરાત્મા પર કુઠારાઘાત કરવો અને પ્રજાની જીભ સીવી લેવી એ અક્ષમ્ય ગુનો હતો. અરુણ જેટલી કહે છે એમ રાષ્ટ્રીય કલંક હતું. અરુણ જેટલીએ પક્ષ અંતર્ગત અને પક્ષની બહાર કૉન્ગ્રેસે ચર્ચા (નૅશનલ ડિબેટ) કરવી જોઈએ એવું આહ્વાન કર્યું છે. એ વાત ખરી છે કે કૉન્ગ્રેસે એ વિશે ક્યારે ય ચર્ચા નથી કરી. મૂંગા રહેવાનું અને મોં ફેરવી લેવાનું વલણ કૉન્ગ્રેસીઓ ધરાવે છે. એટલું સારું છે કે હવે કૉન્ગ્રેસીઓ ઇમર્જન્સીનો બચાવ નથી કરતા.

અહીં માત્ર અરુણ જેટલીને નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષોને અને એમાં પણ ખાસ કરીને કૉન્ગ્રેસને અને BJPને સૂચવવું રહ્યું કે આપણે આઝાદી પછીનાં રાષ્ટ્રીય કલંકોની યાદી બનાવીને રાષ્ટ્રીય સ્તરે આત્મનિરીક્ષણ કરીએ તો કેમ? અમે અને તમેની ભાષામાં બોલવાની અને લલકારવાની શી જરૂર છે, આપણેની ભાષામાં આપણે આત્મનિરીક્ષણ કરીએ તો કેમ? મારી દૃષ્ટિએ આઝાદી પછી પાંચ ઘટનાઓ એવી બની છે જેને રાષ્ટ્રીય કલંક તરીકે ઓળખાવી શકાય. પહેલી ઘટના મહાત્મા ગાંધીની હત્યા. બીજી ઘટના ઇમર્જન્સી. ત્રીજી ઘટના ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હી અને અન્યત્ર સિખોનો કરવામાં આવેલો નરસંહાર. ચોથી ઘટના ૧૯૯૨માં બાબરી મસ્જિદનો કરવામાં આવેલો ધ્વંસ અને પાંચમી ઘટના ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોનો કરવામાં આવેલો નરસંહાર. આ પાંચેય ઘટનાઓ સભ્ય સમાજ માટે શરમજનક છે અને આપણે, અમે અને તમેની ભાષા છોડીને, રાષ્ટ્રીય સ્તરે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભલે પાંચ શરમજનક ઘટનાઓ બની હોય, પરંતુ એકવીસમી સદીમાં અને એ પછીના યુગમાં આવી એક પણ ઘટના ન બને એ માટે માણસ બનીને આત્મનિરીક્ષણ કરવું જોઈએ.

રાજકીય પક્ષોના મંચ પર ચર્ચા થવી જોઈએ, બહાર ચર્ચા થવી જોઈએ, રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થવી જોઈએ, જરૂરી બંધારણીય સુધારાઓ થવા જોઈએ, ચૂંટણીકીય સુધારાઓ થવા જોઈએ. બોલો છે તૈયારી? તમારે આત્મનિરીક્ષણ કરવું જોઈએ એવી સુફિયાણી સલાહ આપવાનો કોઈ અર્થ નથી.

એક વાત નોંધી રાખજો, આમાંનું કાંઈ થવાનું નથી. એનું કારણ એ છે કે દરેક રાષ્ટ્રીય કલંકની ઘટના વેળા મૂલ્યોના પક્ષે ઊભા રહેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ નીવડ્યા છે. અદના ભારતવાસીએ ભારતની લાજ રાખી છે, રાજકીય પક્ષોએ નહીં. ઇમર્જન્સી વખતે રાજકીય પક્ષો પાણીમાં બેસી ગયા હતા. કોઈકે માફી માગી હતી, કોઈકે બીમારીનાં બહાનાં કાઢ્યાં હતાં, કોઈકે છૂપી સોદાબાજી કરી હતી, કોઈકે સખણા રહેવાની બાંયધરી આપી હતી; જ્યૉર્જ ફર્નાન્ડિસ જેવા બહુ ઓછા લોકો હતા જેમણે સામી છાતીએ ઇમર્જન્સીનો મુકાબલો કર્યો હતો. આઝાદીનાં મૂળભૂત મૂલ્યોમાં માનનારા સામાન્ય માણસે ઇમર્જન્સી સામે લડત આપી હતી જેની સંખ્યા ભલે ઓછી હતી, પરંતુ છાતી નેતાઓ કરતાં મજબૂત હતી. આ નોંધાયેલો ઇતિહાસ છે જેની ખાતરી થઈ શકે એમ છે. દિલ્હી, અયોધ્યા અને ગુજરાત વખતે મુઠ્ઠીભર સેક્યુલરિસ્ટોએ મોરચો સંભાળ્યો હતો. રાજકીય પક્ષો તો પાણીમાં બેસી ગયા હતા. ભારતમાં આઝાદીના મૂલ્યના જતનમાં BJPનું કોઈ યોગદાન નથી અને જવાહરલાલ નેહરુના અવસાન પછી ભારતમાં સેક્યુલર મૂલ્યના જતનમાં કૉન્ગ્રેસનું કોઈ યોગદાન નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 જૂન 2016

http://www.gujaratimidday.com/features/columns/emergency-in-india-2

Loading

...102030...3,5973,5983,5993,600...3,6103,6203,630...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved