Opinion Magazine
Number of visits: 9689917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૬૭મા પ્રજાસત્તાક દિવસની આગલી સાંજે થોડું ચિંતન –––– 
દેશની લોકશાહી પક્ષસત્તાક કે પ્રજાસત્તાક!

બિપિન શ્રોફ|Opinion - Opinion|25 January 2017

આપણા દેશે લોકશાહી પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા પસંદ કરે ૬૬ વર્ષ થઇ ગયાં. આ સમય ગાળો કોઇપણ દેશની રાજ્યવ્યવસ્થાનાં મૂલ્યાંકન માટે પૂરતો ગણાય. પ્રજાસત્તાકનો સામાન્ય અર્થ એ થાય છે કે આ દેશનું રાજ્યસંચાલન પ્રજા તેમના પ્રતિનિધિઓને ચૂંટણી દ્વારા પસંદ કરીને કરે છે. પ્રજા પોતાના સાર્વભૌમ હકનું હસ્તાંતર પોતાના પ્રતિનિધિને ચૂંટીને કરે છે. કયા હિત માટે પ્રજા કે નાગરિકો મતદાર તરીકે પોતાની પવિત્ર ને મહામૂલ્ય નાગરિક સત્તાનું હસ્તાંતર કરે છે? 
  

માનવજાતના ઇતિહાસમાં લોકશાહી પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાનો ક્રમશ; જે વિકાસ થયો છે તે રાજાશાહી, ધર્મશાહી, સામંતશાહી ને લશ્કરશાહી રાજ્યવ્યવસ્થાઓના અનુભવો અને પરિણામો ભોગવીને થયો છે. બધી જ વ્યવસ્થાઓ માનવ સર્જીત હતી અને માનવ હિત માટે અસ્તિત્વમાં આવેલી હતી. સમય જતાં આ બધી રાજ્ય વ્યવસ્થાઓમાં તેનો સર્જનહાર જે માનવી હતો તેને બાજુ પર મૂકીને કાં તો રાજા,પોપ, પુરોહિત, મૌલવી, જમીનદાર કે લશ્કરી સેનાપતિ પ્રજાના ખભા પર બેસી ગયો અને પ્રજાને બદલે તેના પોતાના હિતો માટે પ્રજાનું જ સર્વ પ્રકારનું શોષણ કરવા માંડ્યો. સાથે તે બધા લોકો પ્રજાને એવી પ્રતીતિ કરાવવામાં સફળ થયા કે તેમના દ્રારા સંચાલિત રાજ્ય વ્યવસ્થા બહુજન સમાજના હિતાર્થે જ છે. આ ઉપરાંત પોતાની યેનકેન પ્રકારે મેળવેલી રાજ્યસત્તા સામે પ્રજા બળવો ન કરે માટે તમામ પ્રકારના લશ્કરી, હિંસક અને અન્ય પ્રકારના સાધનોનો બેફામ ઉપયોગ સદીઓ સુધી કર્યા કર્યો છે. પ્રજાને પોતાની એડી નીચે સર્વ પ્રકારે દબાવેલી રાખી હતી. હજુ કેટલાક દેશોમાં આ બધા સ્થાપિત હિતોની સત્તાઓ બે-રોકટોક ચાલુ છે. જ્યાં નથી ત્યાં લાવવા માટે સીધા કે આડકતારા પ્રયત્નો આધુનિક સાધનોનો જેવા કે ઇન્ટેરનેટ, ટીવી, ફેસબુક, ટ્વીટર અને અન્ય પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરીને મોટા પાયે લાવવા કોશિષ કરવામાં આવે છે.


અઢારમી સદીના છેલ્લા દસકાઓમાં થયેલ ફ્રાંસની ક્રાંતિ સાથે માનવ કેન્દ્રિત રાજ્યવ્યવસ્થાઓના પ્રયોગો શરૂ થયા. રાજ્ય વ્યવસ્થાનું સંચાલન ભગવાન કે તેના પૃથ્વી પરના પ્રતિનિધિઓ માટે નહીં, રાજા માટે નહીં, કોઇ લશ્કરી સેનાપતિ કે જમીનદારનાં હિતો માટે નહીં, પણ જીવતા જાગતા સદેહે બે પગથી ચાલતા ફરતા માણસનાં સુખ, કલ્યાણ માટે રાજ્યવ્યવસ્થા કેવી હોઇ શકે તેના પ્રયોગો જ નહીં, પણ મોટા પાયે અમલ શરૂ થયા. લોક માટેની આ રાજ્યવ્યવસ્થા હોવાથી તે લોકશાહી રાજ્યવ્યવસ્થા તરીકે ઓળખાઇ ને વિકાસ પામી. આધુનિક રાજ્યનો વિસ્તાર પ્રાચીન ગ્રીક નગર રાજ્યો (સીટી સ્ટેટસ) કરતાં અનેક ગણો મોટો બની ગયો છે. આધુનિક રાજ્યની લોકહિતાર્થે કરવાના કામોની યાદી ખૂબ મોટી બની ગઈ છે. તેમ જ આધુનિક રાજ્યની વસ્તી સેંકડો કે હજારોને બદલે લાખ્ખો નહીં પણ કરોડોની સંખ્યામાં થઈ ગઈ છે. લોકોનું સીધું રાજ્યસંચાલન કે સીધી લોકભાગીદારી રાજ્યપ્રથા ને બદલે લોકપ્રતિનિધિવાળી પરોક્ષસ્વરૂપની પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાઓ વિકસી. નાગરિક તરીકેની લોકોની સાર્વભૌમ સત્તા જે રાજાશાહી, સામંતશાહી કે ધર્મશાહી સામે બળવો કરી મહામહેનતે મેળવેલી તેને પ્રતિનિધિ સ્વરૂપની ચૂંટણી અને મતદાન પ્રથામાં પરોક્ષ રીતે પોતાના પ્રતિનિધોઓમાં પરિર્વતન થઈ ગઈ. પ્રજાસત્તાકના સાર્વભૌમ સિદ્ધાંતનું હસ્તાંતર પરોક્ષ પ્રતિનિધિવાળી રાજ્યવ્યવસ્થામાં થઇ ગયું.


આધુનિક રાજ્યમાં લોકોની સંખ્યા કરોડોમાં થયેલ હોવાથી રાજ્ય સંચાલન માટે લોકપ્રતિનિધિત્વનો દાવો કરનારા રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા. લોકોએ નાગરિક હિતાર્થે જે રાજ્યસત્તા મેળવી હતી તે પરોક્ષરીતે સાવકાઇથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓમાં રૂપાંતર થઈ ગઈ. સમાંયતરે લોકોના મતથી ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પક્ષપ્રતિનિધિઓ બની ગયા છે. તેમનાં મુખ્ય કામો લોક હિતાર્થે ને બદલે પક્ષ હિતાર્થે બની ગયા. પેલા લોકશાહીના હિતેચ્છુ અબ્રેહામ લીંકને જે લોકશાહીની વ્યાખ્યા કરી હતી કે “લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા ને લોકોના મત વડે સત્તામાં આવે તે લોકશાહી”. હવે લોકશાહી એટલે પક્ષશાહી જે પક્ષ માટે, પક્ષ દ્વારા અને ચૂંટણીમાં ચૂંટણી લડતા બધા ઉમેદવારોમાંથી સૌથી વધારે મત મેળવનાર પક્ષીય ઉમેદવારના સરવાળાથી મેળવેલ પક્ષીય બહુમતીની રાજ્ય સત્તા. લોકશાહીમાં લોકોની સત્તા સર્વોપરી કહેવાય પણ લોકોએ પોતાનો મત, રાજકીય પક્ષોએ પસંદ કરેલા પોતાના ઉમેદવારોમાંથી ગમે તે એકને જ આપવાનો હોય છે. પક્ષશાહીમાં નાગરિકોને મત આપવાનો અધિકાર છે, પણ રાજકીય પક્ષોએ પસંદ કરેલા ઉમેદવારોમાંથી જ. આ ઉમેદવારોની પસંદગી જે તે રાજકીય પક્ષોએ કરેલી હોય છે. નાગરિકોએ નહીં.

મને અને તમને સૌને ખબર છે કે આ બધા પક્ષીય ઉમેદવારોને રાજકીય પક્ષો તેમની કઈ કઈ લાયકાતોને આધારે પોતાના પક્ષીય ઉમેદવાર તરીકે પસંદ કરે છે. એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહેવાય કે સામન્ય નાગરિકના બધા હિતો બાજુપર મૂકીને પોતાના ઉમેદવારને, જ્ઞાતિ, ધર્મ, પૈસા, બાહુબળ અને પક્ષીય વફાદારી જેવી લાયકાતોને આધારે પસંદ કરવામાં આવે છે. જે રાજકીય પક્ષ અને તેના નેતાઓ નાગરિકોને ઠાલાં વચનો આપીને, આકાશના તારા હાથની હથેળીમાં બતાવી શકે તે પક્ષ રાજકીય સત્તા મેળવી શકે! દર પાંચ વર્ષે આવતી ચૂંટણીઓમાં દરેક રાજકીય પક્ષ અને તેના નેતાએ મળેલી સત્તા ટકાવી રાખવા વધુ ને વધુ બહેકાવનારા અને લોકરંજન વચનોની લ્હાણી કર્યા સિવાય બીજો કોઈ તેમનો છૂટકો નથી. આવી રીતે મહામૂલી જે નાગરિક સત્તા મેળવી હતી તે રાજકીય પક્ષોના સ્થાપિત હિતોને ગિરવે મુકાઈ ગઈ છે.


આપણા ૬૭મા પ્રજાસત્તાક દિવસે આપણી સમક્ષ ગંભીર પડકાર ઊભો થયો છે કે કેવી રીતે દેશ ને  દુનિયાની લોકશાહી રાજયપ્રથાઓને રાજકીય પક્ષશાહી પ્રથાની પકડોમાંથી છોડાવીને નાગરિક હાથોમાં સલામત રીતે પાછી મૂકવી! આપણે એવી વિચારસરણી વિકસાવી પડશે કે જેના મુખ્ય કેન્દ્રમાં કોઈ ધર્મ, પક્ષ, પ્રદેશ કે રાષ્ટ્ર ને બદલે માનવી હોય! માનવી માટે પક્ષ, ધર્મ કે દેશ હોય. પણ માનવીને કોઈ રાજકીય પક્ષો, ધર્મો કે કલ્પિત રાષ્ટ્રીય સામૂહિક હિતોના ઝનૂન માટે બલી બનવાનો ન હોય! કોઇ પણ સામૂહિક એકમો સમાજ, કુટુંબ, જ્ઞાતિ, ટોળું, રાજકીય પક્ષો, પ્રદેશ કે દેશ વગેરે સુખ કે દુ:ખ અનુભવી શકતા નથી, વિચારી શકતા નથી. આ બધા સામૂહિક એકમો અત્યાર સુધી એક યા બીજા સ્વરૂપે નક્કી કરતા આવ્યા છે કે માનવી માટે સારું શું છે ખોટું શુ છે?

ઘણા સામૂહિક એકમો જેવા કે ધર્મો, તેમના સંપ્રદાયો, રાજકીય પક્ષો કે તે બધાનું સંચાલન કરતી મુઠ્ઠીભર ટોળકીઓ આજ દિન સુધી પોતાના સામૂહિક હિતો માટે વ્યક્તિગત નાગરિકોના વિચારો, સંશોધનો અને સત્યોનો બલી વધેરતા આવ્યા છે. આપણી પાસે સવૈજ્ઞાનિક સત્યોને આધારે પુરાવા છે કે માનવી કોઈ ઇશ્વર, અલ્લાહ કે ગોડનું બનાવેલું સર્જન નથી. માનવી પોતે તેની આસપાસ કુદરતી પરિબળોના સંચાલનના નિયમો સમજીને પોતાનું અસ્તિત્વ તેના જેવા અન્ય માનવીઓનો સહકાર મેળવીને ટકાવી રાખતો અને વિકાસ કરતો આવ્યો છે.

આપણે સૌ માટે નવેસરથી વિચારવાની જવાબદારી ઊભી થઈ ગઈ છે કે કેવી રીતે પેલી ફ્રાંસની માનવ ક્રાંતિએ આપેલાં મૂલ્યો : ’સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારો(બંધુત્વ)’ને આધારે માનવકેન્દ્રી નવી રાજયવ્યવસ્થા પેદા કરવી જેમાં માનવીનો બલી કોઇ ધર્મ, રાજકીય પક્ષ કે રાષ્ટ્ર ન લેતું હોય! આપણને ૨૧મી સદીના જ્ઞાન આધારિત માનવીય વારસામાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ કે વર્તમાનમાં મોટા પાયે ઉપલબ્ધ હાથવગા સાધનોની સરખામણીમાં જ્યારે માનવી પાસે ઘણાં બધાં પ્રકારની મર્યાદાઓ હતી, તેમ છતાં તે બધા સંઘર્ષોમાંથી બહાર નીકળીને અહીં સુધી આવી શક્યો છે. તો આ રાજકીય પક્ષોની ચૂંગાલમાંથી પણ તે ચોક્કસ બહાર નીકળી શકશે. દરેક માનવીય ક્રાંતિ પોતાની સમસ્યો પ્રમાણે ક્રાંતિનાં નવાં સાધનો અને માર્ગદર્શકો શોધી કાઢે છે. આવી માનવીય શક્તિઓમાં વિશ્વાસ રાખી, વર્તમાન પડકારનો રસ્તો શોધી કાઢવામાં જ આપણા સૌનું શ્રેય સમાયેલું છે.

e.mail : shroffbipin@gmail.com

Loading

ટ્રમ્પે આવતાંની સાથે જ ફફડાટ અને ભારત માટે ગભરાટ પેદા કરવાનું શરૂ કરી દીધું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 January 2017

ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલાં જ કહ્યું હતું કે તેઓ અમેરિકા ફસ્ર્ટની નીતિમાં માને છે અને સત્તાનો ઉપયોગ બીજાને હડસેલવા માટે કરવાના છે. હવે એની શરૂઆત થઈ ગઈ છે. આમાં ભારતને મોટો માર પડી શકે એમ છે

અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પે સત્તાગ્રહણ કર્યા પછી ભારતની ચિંતામાં વધારો થાય એવાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકા ફસ્ર્ટ, બાય અમેરિકન અને હાયર અમેરિકન એવા ત્રિસૂત્રી કાર્યક્રમની તેમણે જાહેરાત કરી છે. આમ જુઓ તો આ કોઈ અચાનક જાહેર કરવામાં આવેલો કાર્યક્રમ નથી. ડોનલ્ડ ટ્રમ્પ ચૂંટણીપ્રચાર વખતે જ આવા અભિગમની વકીલાત કરતા હતા અને એનાથી આકર્ષાઈને જ અમેરિકન મતદાતાઓએ ટ્રમ્પને મત આપીને ચૂંટ્યા હતા. ચૂંટણી પહેલાં પ્રમુખપદના બે મુખ્ય દાવેદાર હિલેરી ક્લિન્ટન અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે ત્રણ રાઉન્ડ વન ઑન વન ચર્ચા યોજાઈ હતી જેમાં પણ ટ્રમ્પે અમેરિકન આર્થિક રાષ્ટ્રવાદની હિમાયત કરી હતી. તેઓ ચર્ચામાં હિલેરી ક્લિન્ટનની સર્વસમાવેશક અમેરિકન રાષ્ટ્રવાદની દલીલોનો જવાબ આપી શકતા નહોતા એ જુદી વાત છે, પરંતુ અમેરિકન મતદાતાઓએ નિર્ણય લઈ લીધો હતો કે હવે અમેરિકન રાષ્ટ્રવાદ જ તેમની સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે.

એક યુગ હતો જ્યારે અમેરિકા વૈશ્વીકરણનું હિમાયતી હતું. અમેરિકા અને બીજા સમૃદ્ધ વિકસિત દેશોને એમ લાગતું હતું કે તેમની પાસે મૂડી અને ટેક્નૉલૉજી બન્ને છે એટલે પોતાના વિકાસ માટે જગતભરનાં કુદરતી સંસાધનો પર કબજો જમાવવો હોય તો વૈશ્વીકરણ એ શ્રેષ્ઠ ઉપાય છે. વિકાસની પર્યાવરણીય કિંમત જે-તે દેશો ચૂકવશે. એ વખતે વૈશ્વીકરણની રમત એકપક્ષીય લાગતી હતી. વલ્ર્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના એના ભાગરૂપે કરવામાં આવી હતી. ગરીબ દેશોને પણ એમ લાગતું હતું કે વૈશ્વીકરણની રમત સમૃદ્ધ દેશોના હિતમાં એકપક્ષીય છે અને એનો વિરોધ કરવામાં આવતો હતો. બે દાયકા પછી અમેરિકા સહિત સમૃદ્ધ દેશોને એમ લાગવા માંડ્યું છે કે વૈશ્વીકરણને કારણે તેમને ફાયદા કરતાં નુકસાન વધુ થઈ રહ્યું છે.

આનાં બે કારણો આગળ ધરવામાં આવે છે. પહેલું કારણ એ છે કે આર્થિક સમૃદ્ધિ વધી છે, પરંતુ રોજગારીમાં વધારો થયો નથી. ઊલટું રોજગારી વધવાની જગ્યાએ ઘટી છે. બીજું કારણ એ છે કે વૈશ્વીકરણના કારણે સરહદો ઢીલી કરવામાં આવી છે અને એને કારણે મોટી સંખ્યામાં વિદેશી વસાહતીઓ સમૃદ્ધ દેશોમાં ઠલવાવા લાગ્યા છે. વૈશ્વીકરણને સંસ્થાગત સ્વરૂપ આપવામાં આવે તો વસાહતીઓને રોકી શકાય નહીં. પોતાના દેશને આર્થિક સંરક્ષણ આપનારા ઇકૉનૉમિક પ્રોટેક્શનિસ્ટ નૅશનલિઝમ અને ગ્લોબલાઇઝેશન એકસાથે ચાલી શકે નહીં. આ ઉપરાંત કૉર્પોરેટ કંપનીઓ વર્ક આઉટર્સોસ કરાવવા લાગી છે. જે જગ્યાએ કિફાયતી કિંમતે કામ થાય ત્યાં કરાવવાનો કૉર્પોરેટ કંપનીઓને અધિકાર છે. ગ્લોબલાઇઝેશનનું આ પણ એક અંગ છે. માર્કેટ અને રિસોર્સિસનો લાભ કૉર્પોરેટ કંપનીઓને મળી રહ્યો છે, જ્યારે લોકોને તો એની કિંમત જ ચૂકવવી પડે છે.

ગ્લોબલાઇઝેશનના ભાગરૂપે રાજ્યને નબળું પાડવામાં આવ્યું હતું, અંકુશો હટાવવામાં આવ્યા હતા. ગરીબોના કલ્યાણની યોજનાઓ માટેના બજેટ પર કાપ મૂકવામાં આવ્યો છે અને એ અર્થમાં રાજ્ય કલ્યાણરાજ્ય મટી ગયું છે. ગ્લોબલાઇઝેશનના ભાગરૂપે રાજ્યે મૂડીવાદની તરફેણમાં ખસી જઈને રસ્તો કરી આપ્યો હતો અને હવે બે દાયકાનો અનુભવ એવો છે કે મૂડીવાદીઓએ રાજ્ય પર કબજો જમાવ્યો છે. ઑક્સફામ નામની સંસ્થાએ આર્થિક અસમાનતા વિશે જે અહેવાલ તૈયાર કર્યો છે એમાં આ હકીકત પ્રગટ થાય છે. ભારતમાં એક ટકો ધનપતિઓ દેશની ૫૮ ટકા સંપત્તિ ધરાવે છે અને જગતના આઠ કુબેરપતિઓ આખા જગતની અડધોઅડધ સંપત્તિના માલિક છે.

નવમૂડીવાદના આવા સ્વરૂપ વિશે આખા જગતમાં અસંતોષ પેદા થયો છે. સ્વાભાવિકપણે અસમાનતા સામે ઊહાપોહ પેદા થવો જોઈતો હતો, ન્યાયી આર્થિક વ્યવસ્થા માટેની માગણી ઊઠવી જોઈતી હતી, કલ્યાણરાજ્યની પુન: સ્થાપના માટે આંદોલનો થવાં જોઈતાં હતાં, રાજ્યની પ્રજાપ્રતિબદ્ધ રચનાત્મક ભૂમિકા માટે માગણી ઊઠવી જોઈતી હતી. આવી પ્રતિક્રિયા સ્વાભાવિકપણે પેદા થવી જોઈતી હતી, પરંતુ વિશ્વમાં અત્યારે જે પ્રતિક્રિયા પેદા થઈ રહી છે એ સ્વાર્થની થઈ રહી છે. એક પ્રકારના પ્રતિક્રિયાવાદે ઊહાપોહની જગ્યા લઈ લીધી છે. અમેરિકા ફસ્ર્ટ, ઇન્ડિયા ફસ્ર્ટ, બ્રિટન ફસ્ર્ટ વગેરે અભિગમમાં સમસ્યાનું સરળીકરણ નજરે પડી રહ્યું છે. શાસકો નવમૂડીવાદનો મુકાબલો કરવા જેટલું સામથ્યર્‍ ધરાવતા નથી એટલે બે ખાનારાઓ વચ્ચે તેઓ ભેદ કરી રહ્યા છે. તમારો રોટલો એટલા માટે ઝૂંટવાઈ રહ્યો છે કે પેલો એમાં ભાગ પડાવે છે અને તે આપણો નથી, પારકો છે. આમ શાસકો પ્રજાકીય અસંતોષને અંગ્રેજીમાં અસ અને ધે એટલે કે આપણે અને પરાયાનું સ્વરૂપ આપવાનું કામ કરે છે. આ સ્થિતિનો જગત આખામાં સાંસ્કૃિતક રાષ્ટ્રવાદીઓ લાભ લઈ રહ્યા છે અને તેઓ સત્તા સુધી પહોંચી રહ્યા છે અથવા પહોંચવા માટે લોહિયાળ લડાઈ લડી રહ્યા છે.

સમસ્યાનો ઉકેલ ન્યાયઆધારિત અર્થવ્યવસ્થા છે અને પ્રજાભિમુખ જવાબદાર રાજ્ય છે; પરંતુ એ તો જ્યારે થાય ત્યારે, અત્યારે તો પ્રજા બીજાને હડસેલો મારીને પોતાનો સ્વાર્થ સાધી આપે એવા નેતાઓની તલાશમાં છે. ડોનલ્ડ ટ્રમ્પ આવી પ્રજાકીય માનસિકતાના લાભાર્થી છે. તેમણે ચૂંટણી પહેલાં જ કહ્યું હતું કે તેઓ અમેરિકા ફસ્ર્ટની નીતિમાં માને છે અને સત્તાનો ઉપયોગ બીજાને હડસેલવા માટે કરવાના છે. હવે એની શરૂઆત થઈ ગઈ છે. આમાં ભારતને મોટો માર પડી શકે એમ છે. ખાસ કરીને ITના ક્ષેત્રને મોટું નુકસાન થઈ શકે એમ છે, કારણ કે IT (ઇન્ફર્મેશન ટેકનોલૉજી) સેક્ટરનો ૭૫ ટકા ધંધો નિકાસઆધારિત છે જેમાંથી ૬૦ ટકા નિકાસ અમેરિકામાં કરવામાં આવે છે. આ ઉપરાંત આઉટસોર્સિંગ પર પણ એની અસર થશે. IT પછી બીજા ક્રમે મોટી અસર ફાર્માસ્યુિટકલ ઇન્ડસ્ટ્રીને થશે. ડોનલ્ડ ટ્રમ્પ ગરીબોને આરોગ્યકીય રાહત આપનારી ઓબામાકૅર યોજના સમેટી લેવાના છે અને એની જગ્યાએ અમેરિકન ફાર્મા-કંપનીઓ ઘરઆંગણે દવાઓનું ઉત્પાદન કરીને ઓછા ભાવે અમેરિકન બજારમાં વેચે એવો આગ્રહ રાખી રહ્યા છે.

આનો અર્થ એવો નથી કે ટ્રમ્પ તેમની બધી યોજનાઓમાં સફળ થવાના છે. તેમની સામે કાયદાકીય અને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓને લગતી મર્યાદાઓ છે, પરંતુ તેમણે ફફડાટ તો જરૂર પેદા કર્યો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 જાન્યુઆરી 2017

Loading

ટ્રસ્ટીશીપ

ધીરુ મહેતા|Gandhiana|23 January 2017

‘મુંબઈ સર્વોદય મંડળ’ દ્વારા ગાંધી વિચાર સંબંધિત લેખો નિયમિત પ્રકાશિત થતા રહે છે.  ધીરુભાઈ મહેતાનો મૂળે અંગ્રેજીમાં લખાયેલ તારીખ 03 જાન્યુઆરી 2017નો ઓનલાઇન જર્નલ આર્ટિકલ ટી.આર.કે. સોમૈયાની અનુમતિથી, ‘ઓપિનિયન’ના વાચક સમક્ષ ગુજરાતી અનુવાદરૂપે રજૂ કરું છું.

 − આશા બૂચ

પી.વી. નરસિંહરાવની સરકારમાં નાણાં મંત્રી તરીકે ફરજ બજાવનાર મનમોહનસીંગે નિરૂપણ કરેલ ઉદાર અને વૈશ્ચિક અર્થ નીતિને ભારતની વેપારી આલમે ઈ.સ. 1991માં અપનાવી લીધેલી. એ જ નીતિ ત્યાર બાદની તમામ સરકારોને પણ માર્ગદર્શન આપતી રહી  છે. અર્થકારણની નીતિ વિશેના વિચારો અને તેના વસ્તુ વિષયમાં કોઈ પણ સરકાર વચ્ચે મૂળે કોઈ તફાવત નથી. આપણા દેશમાં ઈ.સ.1951થી 1992 – ચાલીસ વર્ષ દરમ્યાન સમાજવાદી અર્થકારણ અમલમાં હતું. ત્યાર બાદની સરકારો ઉદાર અર્થકારણ અને વૈશ્વીકરણની નીતિને અનુસરતી આવી છે. સ્વતંત્રતા મળી તે ટાણે ભારત વર્ષની  એટલે કે અત્યારના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મળીને કુલ વસતી 40 કરોડ હતી. જ્યારે આજે માત્ર ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 42 કરોડની છે.

એમ કહેવાય છે કે 2016 સુધીમાં જગતની 1% વસતી પાસે દુનિયાની 99% મિલકત હશે. ભારતનો કિસ્સો આનાથી વધુ વેગળો નથી હોવાનો. એનાથી સ્પષ્ટ જણાય છે કે સમાજવાદ કે ઉદાર અર્થકારણની નીતિ એ આ દેશના આર્થિક વિકાસ કે સમૃદ્ધિ માટેનું યોગ્ય સાધન નથી. દેશના આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે આપણે ગાંધીજીએ આપેલ હલ સ્વીકારવા જોઈશે. પંડિત નહેરુને તેમના જીવનના અંતિમ દિવસોમાં આ હકીકતનો અહેસાસ થયો જે પોતાની નીતિઓમાં પરિવર્તન લાવવા માટે ઘણો મોડો પડ્યો હતો. સાંપ્રત અર્થકારણની નીતિઓની સરાહના કરનારા લોકો એક પ્રકારના નશામાં ચકચૂર છે. ગાંધીજીની આર્થિક નીતિઓમાંનો એક સિદ્ધાંત ટ્રસ્ટીશીપનો હતો.

1991માં તત્કાલીન નાણામંત્રીએ પ્રથમ વખત પોતાના અંદાજપત્ર રજૂ કરતા વક્તવ્યમાં ગાંધીજીના ટ્રસ્ટીશીપની ફિલોસોફીનો ઉલ્લેખ કરેલો. હજુ આજે પણ એ વિચારોનું અર્થઘટન કરીને તેને અમલમાં મુકવા માટે કોઈ પ્રયત્નો થયાના અણસાર નથી જોવા મળતા. આપણા જેવા ગરીબ દેશમાં કુદરતી સાધનો પર અબાધિત અધિકાર ખાનગી ક્ષેત્રને ન આપી શકાય કે ન તો થોડા હજારેક જેટલી વ્યક્તિઓ કે કુટુંબોના ફાયદા માટે દેશની સંપદાનો અમર્યાદિત ઉપભોગ કરવાની પરવાનગી આપી શકાય. અહીં ગાંધીજીના ટ્રસ્ટીશીપના ખ્યાલોની પ્રસ્તુતતા રહેલી છે. જો નવી અર્થનીતિને સફળ બનાવવી હોય તો તે આપણી માર્ગદર્શક હોવી જોઈએ.

એક સર્વોદય આગેવાન કાર્યકર દાદા ધર્માધિકારીએ એક વખત કહેલું: જગત બે પક્ષોમાં વહેંચાયેલું છે – સામ્યવાદ અને મૂડીવાદ. સામ્યવાદ રાજ્ય દ્વારા કરવામાં આવતા શોષણ પર નભે છે. બીજી બાજુ સામ્યવાદ અને મૂડીવાદના પાયા હચમચી ગયા છે અને નવા સામાજિક માળખાની રચના કરવા બંનેમાંથી એકેયનો પાયો કામ લાગે તેમ નથી. નવું સામાજિક માળખું તો ગાંધીજીની વૈકલ્પિક અર્થનીતિના પાયા પર જ ઊભું કરી શકાશે. રશિયાનો સામ્યવાદ નિષ્ફળ ગયો છે તે સર્વવિદિત છે. આથી એમ સ્વીકારી શકાય કે મૂડીવાદ આપોઆપ સફળ થયો ગણાય. ગાંધીજી એક એવી પ્રથમ વ્યક્તિ હતી જેમણે સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચેનો મૂળભૂત વિરોધાભાસ જોયો હતો અને એક વ્યવહારુ આદર્શવાદી તરીકે તેમણે ટ્રસ્ટીશીપનો વિચાર આપ્યો જે સામ્યવાદ અને મૂડીવાદનું સ્થાન લઇ શકે. જયારે દેશ આખો નહેરુની સમાજવાદી કેન્દ્રીય આર્થિક આયોજનને અનુસરે છે અને ખનગી ક્ષેત્રને જરૂર કરતાં ય વધુ મહત્ત્વ આપી અજમાવવા માગે છે, ત્યારે વેપારી વર્ગે આ ટ્રસ્ટીશીપના વિચાર માટે કેમ કઇં રસ નથી દાખવ્યો તેની નવાઈ ઉપજે છે.  

ટ્રસ્ટીશીપના વિચારનાં મૂળ:

ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો વિચાર ઉપનિષદના પ્રથમ શ્લોકમાં જોવા મળે છે, જેનો અર્થ થાય છે, “આ વિશ્વમાં જે કઇં અસ્તિત્વ ધરાવે છે તેમાં ઈશનો વાસ છે. ત્યાગીને ભોગનો આનંદ મેળવો. અન્યના ધનની કામના ન કરવી.”  બાઇબલમાં પાંચ બ્રેડના લોફ અને બે માછલીની વાર્તામાં પણ આ ઉપદેશ જોવા મળે છે. એક સમાજવાદી વિચાર ધરાવનારની માફક ગાંધીજી પણ મિલકતની સમાન વહેંચણીમાં માનતા હતા, પણ તેમને એ હકીકતની જાણ હતી કે દરેક સ્ત્રી અને પુરુષની ક્ષમતા અને શક્તિ અલગ અલગ હોય છે અને તેમની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. આથી સંપત્તિની સમાન વહેંચણીનો અર્થ દરેકને એક સરખું મળે એવો ન કરી શકાય. ગાંધીજીના શબ્દોમાં, “સમાન વહેંચણીનો અમલ કરવો એટલે દરેક માણસ પાસે તેની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે પૂરતાં સાધનો અને તક હોવાં જોઈએ અને તેથી વિશેષ કશું ન ખપે. દાખલા તરીકે એક માણસને નબળી હોજરી હોય અને રોટલા માટે પા રતલ લોટ જોઈએ અને બીજાને એક રતલ જોઈએ તો બંને પોતપોતાની જરૂરિયાત સંતોષી શકે તેવી સ્તિથિમાં હોવા જોઈએ. વળી દરેક માણસ પાસે એક સરખી બુદ્ધિ શક્તિ નથી હોતી, અરે એક ઝાડ ઉપર બે પાન પણ સરખાં નથી હોતાં. ઉપર ઉપરથી ડાળ પાંખડાં કાપી નાખવાથી આસમાનતા દૂર નથી કરી શકાતી.”

ગાંધીજી કોઈની બુદ્ધિ શક્તિ વેડફી દેવા નહોતા માગતા. તેઓ બધાની શક્તિઓનો સમાજના હિત માટે વિનિયોગ કરવા માગતા હતા. ગાંધીજીએ એ પણ કબૂલ કરેલું કે કુદરતી અને સંસાધનોમાંથી પ્રાપ્ત થતા વળતરનો વ્યાજબી ભાગ તેના માલિકો સમાજ માટેની તેમની સેવા અને સમાજને ઉપયોગી થવાના બદલામાં રાખી શકે. તેઓ માનતા કે સંપૂર્ણ ત્યાગ એ એક અમૂર્ત વિચાર છે કે જેનો શબ્દશઃ અમલ ન થઇ શકે. સમાજવાદી અને સામ્યવાદી  વિચારો ધરાવનારાઓએ ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને ખાનગી માલિકીના ઉદ્યોગ-વેપારને નવી જિંદગી બક્ષતી એક હોશિયારી ભરી યુક્તિ તરીકે ઓળખાવી કાઢી. આ લોકોએ દેશની જનતાને સમજાવવાની ફરજ છે કે તેમનો સમાજવાદ તેમ જ તેમના વિરોધીઓનો મૂડીવાદ કેટલે અંશે ગરીબીનું પ્રમાણ ઘટાડવામાં સફળ રહ્યાં છે કે જે ધ્યેય સિદ્ધ કરવાનો તેઓ દાવો કરે છે. તેઓ તમામ સાહસો સરકારની માલિકીના રહે તેમ ઇચ્છતા હતા. ગાંધીજી એ વાત સાથે સહમત થતા હતા કે વ્યક્તિ શોષણ દ્વારા ધન સંચય કરે છે જેને પરિણામે હિંસા ફાટી નીકળે છે, પરંતુ તેઓ રાજ્યની હિંસા કરતાં વ્યક્તિની હિંસા ચલાવી લેવાના મતના હતા કેમ કે એ બંનેમાંથી વ્યક્તિની હિંસા અમુક અંશે ઓછી દુષ્ટ હોઈ શકે છે.

ગાંધીજી જ્યારે આગાખાન મહેલમાં કેદ હતા ત્યારે તેમને આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત વિષે વિચાર આવેલો. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓએ આ વાત આશ્રમના કેટલાક અનુભવી સભ્યો અને મુંબઈ યુનિવર્સીટીના એમ.એલ દાંતવાલા સાથે ચર્ચી. ટ્રસ્ટીશીપ માટેનો ખરડો પ્રૉફેસર દાંતવાલા, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાલા અને અન્યો દ્વારા તૈયાર કરવામાં આવેલો. ગાંધીજીએ તેમાં થોડા સુધારા કર્યા બાદ મંજૂરી આપી. તેનો આખરી મુસદ્દો આ પ્રમાણે છે:

“હાલની મૂડીવાદી સમાજ વ્યવસ્થાને સમતાવાદી સમાજમાં પરિવર્તિત કરવાની તક ટ્રસ્ટીશીપ આપે છે. એ મૂડીવાદને ખતમ નથી કરતો પણ એ અત્યારના મલિક વર્ગને પોતાની જાતને સુધરવાની તક આપે છે. આ સિદ્ધાંત એવા વિશ્વાસના પાયા પર ઊભેલો છે કે માનવ સ્વભાવ કદી ઋણ મુક્તિથી પર નથી. સમાજના હિત માટે સમાજ મંજૂર કરે તેટલા પ્રમાણમાં ખાનગી મિલ્કતની માલિકી સિવાય વધુ કોઈ પણ અધિકાર માણસને નથી એમ તેમાં અભિપ્રેત છે. તે માલિકી અને સંપત્તિના ઉપભોગ માટે કાયદાકીય નિયમોને પણ બાકાત નથી કરતો. તો આ રીતે રાજ્ય દ્વારા નિયંત્રિત ટ્રસ્ટીશીપમાં કોઈ વ્યક્તિ સ્વાર્થી થઈને આત્મ સંતોષ ખાતર કે સમાજના હિતનો વિચાર કર્યા વિના પોતાની મિલકતની માલિકી રાખવા કે તેનો ઉપયોગ કરવા સ્વતંત્ર નહીં  હોય. જે રીતે લઘુતમ વેતન ધારો નિર્ધારિત થયો છે એ રીતે સમાજમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી આવક અને સંપત્તિ ધરાવી શકે તે પણ નિશ્ચિત થવું જોઈએ. લઘુતમ અને મહત્તમ વેતન વચ્ચેનો તફાવત તાર્કિક અને સમાનતા પર આધારિત હોવો જોઈએ તેમ જ સમયે સમયે બદલાતો રહેવો જોઈએ એટલું જ નહીં પણ છેવટ એ તફાવતની સદંતર નાબૂદી જ થઇ જાય તેવું ધ્યેય હોવું જોઈએ.”

ગાંધીની અર્થ વ્યવસ્થામાં ઉત્પાદનનું પ્રમાણ સમાજની જરૂરિયાત પર નિર્ભર કરશે નહીં કે વ્યક્તિની ઈચ્છા કે તેનો લોભ. ટ્રસ્ટીશીપનો પાક્કો ખરડો પ્રેસમાં મોકલતાં પહેલાં જી.ડી. બિરલાને બતાવવાનું મુનાસીબ ધાર્યું અને તેમણે એ ખરડો આવકાર્યો. એક એવો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો કે આ ફોર્મ્યુલાના પ્રકાશનથી જ તેની શરૂઆત કે અંત ન આવવા જોઈએ, પરંતુ બિરલાએ તેમના સાથી ઉદ્યોગપતિઓ વચ્ચે તેનો પ્રચાર કરવો જોઈએ જેથી એ લોકોના સ્વીકારની જાહેરાત ટ્રસ્ટીશીપના ખરડાના પ્રકાશન સાથે કરી શકાય. બિરલા તરફથી આ બાબતમાં આગળ કોઈ વાતચીત નહોતી થયેલી. પ્યારેલાલના અનુમાન મુજબ, “કદાચ તેમણે જેમનો સંપર્ક કર્યો હશે તેમની પાસેથી નિરાશાજનક પ્રતિભાવ મળ્યો હશે.”

અહીં સારાયે વિશ્વને અસર કરે તેવો એક મહાન વિચાર છે જે સામાજિક સંપત્તિના સંચયના દુષ્ટ પરિણામો દૂર કરવાનો એક નવો માર્ગ બતાવે છે. વિનોબા ભાવેના ભૂદાન/ગ્રામદાન કાર્યક્રમો મૂલતઃ આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પરની શ્રદ્ધાની ઉપજ હતા. ભૂદાને ક્રાંતિ સર્જી કે નહીં તે અલગ વાત છે. પણ હકીકત એ છે કે ભૂદાનની ચળવળમાં ભૂમિ વિહોણા મઝદૂરોને દાનમાં મળેલ કુલ જમીન બધા પ્રાંતોને વિવિધ જમીન મર્યાદાના કાયદાઓ દ્વારા મળેલી તેના કરતાં થોડી વધુ હતી. સ્કોટ બાડર કંપનીના અર્નેસ્ટ બાડરે યુનાઇટેડ કિંગ્ડમમાં ટ્રસ્ટીશીપના વિચારનો પ્રચાર સફળતાપૂર્વક કર્યો. યુનાઇટેડ કિંગ્ડમમાં 1976માં આ જ હેતુસર industrial common ownership એક્ટ અસ્તિત્વમાં આવ્યો. પશ્ચિમ જર્મનીમાં કેટલીક કંપનીઓ થોડી ઘણી સફળતા સાથે આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અમલમાં મૂકી રહી છે, જેમાંના 40,000 લોકો આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત અનુસાર કામ કરી રહ્યા છે. ભારતમાં સદ્દગત જયપ્રકાશ નારાયણની પ્રેરણાથી મુંબઈમાં ગોવિંદરાવ દેશપાંડેએ સ્થાપેલ ટ્રસ્ટીશીપ ફાઉન્ડેશનના નેજા હેઠળ કેટલાક સંગઠનો ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કામ કરે છે. દેશભરમાં સંમેલનો, શિબિરો અને ચર્ચા વર્તુળો ગોઠવવા ઉપરાંત ગોવિંદરાવ દેશપાંડે અને તેમના સાથીદારોએ કેટલાક સંગઠનો આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ ચલાવવાનો પ્રયોગ પણ કર્યો. મહેસાણા સ્થિત The People’s Trusteeship Packaging Private Limited આનું ઉદાહરણ છે. દરેક પ્રયોગમાં બને તેમ આવા એકમોના સંચાલનમાં પ્રશ્નો તો ઊભા થવાના જ, પરંતુ એ એકમો પડ્યા વિના આપબળે ચાલતા પણ થઇ જતા હોય છે.

હવે મોટા વેપાર ઉદ્યોગોએ આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને સમજી, સ્વીકારીને એ પ્રમાણે પોતાનો વહીવટ ચલાવવાની જરૂર છે.

સવાલ એ છે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આજના યુગમાં અર્થસંગત છે કે નહીં? એ શું માત્ર આદર્શ છે? મારી અંગત માન્યતા પ્રમાણે એ માત્ર આદર્શ બિલકુલ નથી. વર્લડ બેન્ક કે આંતરરાષ્ટ્રીય મોનિટરી ફન્ડ દ્વારા સૂચવાયેલ પેકેજ કરતાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો પ્રયોગ ઓછો જોખમકારક નીવડશે. ભારતીય નાણાંનાં અવમૂલ્યનથી નિકાસમાં નોંધપાત્ર વધારો થવા સંભવ નથી. આશ્ચર્ય પમાડે તેવી હકીકત તો એ છે કે ચોથી લોકસભામાં સમાજવાદના કટ્ટર હિમાયતી રામ મનોહર લોહિયાએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું બિલ રજૂ કરીને તે માટેનો માર્ગ મોકળો કરી આપેલો. જો કે લોકસભા બરખાસ્ત થવાથી એ વિચાર પડી ભાંગ્યો. ટ્રસ્ટીશીપ પર આધારિત સંગઠનોએ કેવું વહીવટી માળખું અપનાવવું જોઈએ? પાર્લામેન્ટ આ માટે કાયદો ઘડવા માટે ભરસક પ્રયાસ કરે તે દરમ્યાન મને લાગે છે કે વર્તમાન કાયદાકીય માળખું પર્યાપ્ત છે. માલિકી કે ભાગીદારીનો સવાલ ઊભો થાય તો માલિક કે ભાગીદારના સહિયારા નિર્ણયથી ઉકેલ લાવી શકાય. કામદારો અને સમાજના પ્રતિનિધિઓ આવા સંગઠનો સાથે સંલગ્ન હોય અને તમામ નિર્ણયો લેવામાં ભાગીદાર હોઈ શકે. એવી જ રીતે લિમિટેડ કંપની પણ ટ્રસ્ટીશીપ પર આધારિત વહીવટી માળખું અપનાવી શકે. દાતાઓ, માલિકો, નોકરિયાતો અને સમાજના સભ્યોનું બનેલ એક જુદું ટ્રસ્ટ એ કંપનીના હિતને અંકુશમાં રાખવાનું કાર્ય બજાવી શકે. નોકરિયાતોને મત આપવાનો અધિકાર હોય અને તેમનું સભ્યપદ કંપનીમાં કામ કરે તેટલા સમય માટે મર્યાદિત હોય. ટ્રસ્ટીશીપના સિદ્ધાંત માટે અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર કે વેપારની અસાધારણ સૂઝ અને વિશેષ શક્તિ ધરાવનાર એવી બહારની કોઈ વ્યક્તિ હોય તો તેમને આ ટ્રસ્ટનું આજીવન કે નિશ્ચિત સમય માટેનું સભ્યપદ લેવા આમંત્રણ આપી શકાય. પબ્લિક લિમિટેડ કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સમાં કેટલાક પાયાના ફેરફાર કરવા જરૂરી બને. આવા ટ્રસ્ટના આવક વેરા અને મિલ્કત વેરાના નિયમોમાં જરૂર સુધારા કરવા પડે. યુનાઇટેડ કિંગ્ડમના Industrial Common Ownership Act, 1976 પાસેથી આપણે એક ધડો લઇ શકીએ. લોહિયાએ લોકસભામાં મુકેલ ખરડો પણ આપણને આ બાબતમાં માર્ગદર્શક થઇ પડે. મહેસાણા – ગુજરાતમાં આવેલ પીપલ્સ ટ્રસ્ટીશીપ પેકેજીંગ પ્રાઇવેટ લિમિટેડના સંચાલન વિષે અભ્યાસ કરી શકાય. સહકારી મંડળીનું માળખું ટ્રસ્ટીશિપનું હોય તે જરૂરી નથી. સહકારી સાહસમાં તેના સભ્યો એ મંડળીના સભ્યોના ફાયદાને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે કે જે દરેક કિસ્સામાં અલગ અલગ હોઈ શકે. કેટલાક અનુભવ દર્શાવે છે કે શેરડી ઉગાડનારની સહકારી મંડળીના સભ્યો બીજી સહકારી મંડળીના સભ્યો, ગ્રાહકો કે સમાજના સભ્યો સાથે ખાસ નિસબત નથી ધરાવતા. એ જ રીતે ગ્રાહક સહકારી મંડળીના સભ્યો પણ પોતાના ગ્રાહકોનાં હિતના લાભાર્થે જ કામ કરે છે.

ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત દાનવીરો, કામદારો, ગ્રાહકો અને સમાજને એક સમાન ભાગીદાર તરીકે જુએ છે. મજૂર વર્ગને સારો પગાર, વધુ વેતન અને સગવડો આપવા માત્રથી ટ્રસ્ટીશીપનો અમલ નથી થતો. સમયે સમયે નામી કે અનામી રહીને જુદા જુદા પ્રકલ્પોમાં દાન આપવાને પણ ટ્રસ્ટીશીપને ન કહી શકાય એક ટ્રસ્ટ કોઈ કંપનીમાં સમાન ધોરણે શેર ધરાવે એ પણ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતથી ઘણો વેગળો વિચાર છે. ટ્રસ્ટીશીપ તો ઘણો વિશાળ વિચાર બની શકે, એક ચળવળ બની શકે, અરે, એ એક જીવન પદ્ધતિ બની શકે. બધા સત્તાધારીઓ પોતાને ટ્રસ્ટી માને અને તમામ સંસાધનો, સત્તા અને તેની સાથે સંકળાયેલ પ્રભાવક શક્તિનો વિનીયોગ લોક કલ્યાણ અર્થે કરે નહીં કે સ્વ અર્થે.  સંગઠિત મઝદૂર વર્ગે પણ યાદ રાખવું ઘટે કે તેઓ 10% સદ્નસીબ નાગરિકોમાંના એક છે. અન્ય કોઈ આ પ્રક્રિયાની શરૂઆત કરે તેની રાહ આપણે ન જોઈએ. આપણે આજે અને અત્યારે જ આનો શુભારંભ કરીએ.

મહાત્મા આપણને માત્ર નદી સુધી દોરીને લઇ જઇ શકે, પાણી ન પીવડાવી શકે.   

મૂળ અંગ્રેજી લેખની કડી : 


http://www.mkgandhi.org/articles/trusteeship5.html?utm_source=Gandhi-Journal&utm_medium=email&utm_campaign=Gandhi+Journal+Article-I+%28+January+2017+%29+-+Trusteeship

(અનુવાદક : આશા બૂચ)

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,5043,5053,5063,507...3,5103,5203,530...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved