Opinion Magazine
Number of visits: 9768186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘એ તમને નહીં સમજાય…’

નીલમ દોશી|Opinion - Short Stories|3 April 2017

બીજલી અને તેનો વર રોજ બાજુના ગામડેથી અહીં શાક, ફળ વેચવા આવતાં. બન્ને મહેનતુ હતાં. યુવાન હતાં. પોતાની મીઠી બોલીથી ઘરાકને પ્રસન્ન કરતાં તેમને આવડતું હતું. તેમનો ભાવ હમ્મેશાં વ્યાજબી રહેતો. પતિ–પત્ની ક્યારે ય કોઈને છેતરતાં નહીં. સતત હસતાં રહેતાં આ દમ્પતીના આમ તો લગભગ બધા બાંધેલા, નિયમિત ઘરાક હતા. બધો માલ ખાલી કરીને જ રોજ જતાં. સાંજે સાત વાગે તેમની છેલ્લી બસ આવતી. પતિ–પત્ની હાથમાં આવેલા પૈસા ગણતાં, બસમાં રવાના થઈ જતાં. છેલ્લા એક વરસથી તેઓ અહીં શાક વેચવા આવતાં. તેમનાં જેવાં બીજાં પણ કેટલાયે શાકવાળા અહીં આવતાં. તેમને ક્યારેક વધેલું  શાક પાછું લઈ જવું પડતું. પણ બીજલીને તો બધું શાક ખાલી થઈ જ ગયું હોય ! કદાચ તેમની મીઠી જીભ, તેમની સરળતા અને કોઈને ન છેતરવાની તેમની વૃત્તિ આ માટે કારણભૂત હતી.

આજે બીજલીના વરને શરીરે થોડું અસુખ જેવું હતું. તેથી બીજલી એકલી જ શાક લઈને આવી હતી. શાક વેચીને જાય ત્યારે તેમનો ચૂલો પેટતો. એટલે બીજલીને અનિચ્છાએ પણ પતિને મૂકીને આવવું પડ્યું. આજે બીજલીનો જીવ સ્વાભાવિક રીતે જ ઉતાવળમાં હતો. આજે બને તો શાક જલદી વેચી તેને વહેલાસર ઘર ભેગા થઈ જવું હતું. પણ સાથે સાથે શાક પડ્યું રહે એ પણ પોષાય તેમ નહોતું ! અને મોટા ભાગના ઘરાકો સાંજે તડકો નમે પછી જ આવતા. એટલે બહુ વહેલું પહોંચવાની કોઈ શક્યતા નહોતી.

થોડા ભાવ ઓછા કરીનેયે તેણે જલદી જલદી શાક ખાલી કરવા માંડ્યું. મોટા ભાગનું શાક તો ખાલી થઈ ગયું. માત્ર થોડાં બોર ઘરાકની રાહ જોતાં હતાં. તેની બસનો સમય પણ થવા આવ્યો હતો. આજે બોર પાછાં લઈ જવાં પડશે કે શું ? બીજલી હવે ક્યારની ઊંચીનીચી થતી હતી. તેનું મન તો ઘરે પહોંચી ગયું હતું. પણ બોર વેચાઈ જાય તો પાછાં ન લઈ જવાં પડે .. વળી, આજે તો પતિ માટે દવા પણ લઈ જવાની હતી. એટલે તે થોડી લાલચમાં પણ હતી. તેણે આશા રાખી બે  પાંચ મિનિટ વધુ રાહ જોવાનું નક્કી કર્યું.

ત્યાં જ એક ગાડી પાસે આવી ને ઊભી રહી. એક શેઠાણી તેમાંથી ઉતર્યાં. બીજલીને હાશ થઈ ! હવે બોર વેચાઈ જશે. શેઠાણીએ પાસે આવી બોર હાથમાં લીધાં. બોર સરસ મજેનાં તાજાં જ હતાં. પણ ભાવ ઓછા કરાવવાના ઈરાદાથી બોલી ઊઠ્યાં, ‘કેવા છે? તાજાં નથી લાગતાં!’

બીજલી કહે, ‘ના, ના, એકદમ તાજાં અને મીઠાં છે. લો, ચાખો.’ કહી એક મોટું સરસ મજાનું બોર આપ્યું. શેઠાણીએ ઊભાં ઊભાં મોટું બોર નિરાંતે ખાધું.

પછી કહે, ‘આ તો તું શોધીને આપે. એ તો સારું જ હોય ને ! એમ ખબર ન પડે’, કહી બીજાં ત્રણ–ચાર બોર જાતે લઈ ઊભાં ઊભાં ખાધાં.

બીજલી અકળાતી હતી. બોર લેવા આવ્યાં છે કે મફત ખાવા? પણ આજે પોતાને બોર વેચવાની ગરજ હતી તેથી કંઈ બોલી નહીં. ત્યાં શેઠાણીએ ભાવ પૂછ્યો. ભાવ સાંભળીને કહે, ‘ના રે, વીસ રૂપિયે કિલો તે હોતાં હશે? બોલ, દસમાં દેવાં છે?’

બીજલી આમ પણ ગુસ્સે થઈ હતી. કદાચ જવાની ગરજને લીધે આપી પણ દેત. પણ શેઠાણીની વૃત્તિ જોઈ તેને ગુસ્સો આવ્યો હતો. તેથી બોર આપવાનું મન ન થયું. તેણે સાફ ના પાડી દીધી. ભલે, પાછાં લઈ જવાં પડે. આને તો નથી જ આપવાં.

શેઠાણીને ખબર હતી કે આ લોકોને ગામડે પાછા જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે નહીં આપે તો જશે ક્યાં? રાહ જોઈ જોઈને પાંચ–સાત મિનિટ જોશે. એટલે ધીરજ ધરીને શેઠાણી દલીલો કરતાં રહ્યાં.

ત્યાં સાઈકલ પર એક કાકા આવ્યા. અને ધીમેથી પૂછ્યું, ‘બહેન, કેમ આપ્યાં આ બોર? બીજલીએ કાકા સામે જોયું અને બોલી, ‘કાકા, લઈ જાઓ. તમને ઠીક લાગે તે આલજો.’

કાકાએ કંઈ બોલ્યા સિવાય બધાં બોર લીધાં અને પૂછ્યું, ‘પંદર રૂપિયા ચાલશે ?‘

બીજલી મીઠું હસીને કહે, ‘કાકા, દસ આપત તોયે ચાલત.’ અને બીજલીએ પ્રેમથી કાકાના હાથમાં બોરની કોથળી મૂકી.

પેલા શેઠાણી જરા ધૂંધવાઈને તરત બોલ્યાં, ‘હું ક્યારની કે’તી ’તી તો મને કેમ ન આપ્યાં?’

બીજલી શાન્તિથી બોલી, ‘એ તમને નહીં સમજાય.’

“સન્ડે ઇ મેહફીલ”માંથી સાભાર, [લેખકની પરવાનગી સાથે]

Loading

‘યોગી નહીં, નમો સહી’?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 April 2017

ઓવેસી જેનું નામ, એમના રાજકારણ સાથે સમ્મત થવાનો સવાલ તો અલબત્ત ન જ હોય. પણ હમણાં ભાજપની ચૂંટણીફતેહને અંગે, નવયુગી કમ્પ્યૂટરી ભાષામાં એમણે જે સૂત્રાત્મક ટિપ્પણી કરી એ સંભારવા જોગ છે. સાગરિકા ઘોષે નોંધ્યું છે કે ઓવેસીના શબ્દોમાં કહીએ તો ડેવલપમેન્ટ (વિકાસ) એ યુઝર નેમ અને હિંદુત્વ એ પાસવર્ડ સાથે તમે કામ પાડ્યું એટલે વ્યાપક જનાદેશ જોડે લૉગ ઑન થઈ ગયા સમજો ! અરુણ શૌરિનું ‘કૉંગ્રેસ વત્તા ગાય’ એ નિરીક્ષણ ટાંકવાનું આ પૂર્વે બનતું રહ્યું છે, પણ એ ટિપ્પણી શાસન શૈલી વિશે વિશેષરૂપે હતી. ઓવેસીનું અવલોકન ચૂંટણી ફતેહના વિશેષ સંદર્ભમાં છે.

ઉપાડમાં જ આ વાત ઉખેળવાનું તત્કાળનિમિત્ત ભાજપ શ્રેષ્ઠીઓએ જે સિફ્ત અને સલુકાઈથી છેલ્લી ઘડીએ યોગી આદિત્યનાથને લખનૌની ગાદીએ બેસાડ્યા એ છે. નરેન્દ્ર મોદી, સળંગ વિકાસમંત્રની તરજ પર બોલતા રહ્યા છે. વચમાં સ્મશાન વિ. કબ્રિસ્તાન જેવું કાંક ઉછાળે તો પણ અગ્રતાક્રમે એમણે વિકાસવેશ ધારણ કરેલો છે. ઉત્તર પ્રદેશમાં એમણે એકદમ જ યોગીને આગળ કર્યા એ બીના આ રીતે જોતાં દેખીતા અપવાદરૂપ છે. સમુદાર ધોરણે ટીકા કરીએ તો આ કિસ્સો નમો-અમિતને પક્ષે મજબૂરીનો હશે એવું પણ કહી તો શકીએ. ઉલટ પક્ષે, મોદીચાહકો પૈકી કેટલાક જુઓ એમણે યોગીને આગળ કરીને રામ મંદિર બાબતે જવાબદારીનો ગાળિયો કેવો કાઢી નાખ્યો તેમ પણ કહેતા માલૂમ પડે છે. મંદિર બને તો યશ નમોને અને ન બને તો અપયશ યોગીને, એવું આ એક ધૂર્તચતુર નહીં તો પણ મુત્સદ્દીભર્યું પગલું છે એમ આ સ્કૂલ કહેશે. ગમે તેમ પણ, એટલું ચોક્કસ કે યોગી આદિત્યનાથનું લખનૌ આરોહણ કંઈક અણધાર્યું તો છે.

ભાજપ પ્રત્યે સમુદાર નહીં તો પણ કંઈક સહાનુભૂતિથી જોનારાઓએ વીતેલા દાયકાઓમાં લાડથી પાળેલું એક જોડકું અહીં સાંભરે છે. વાજપેયી એટલે લિબરલ અને અડવાણી એટલે હાર્ડલાઈનર. નહીં કે આ અવલોકન પરબારું ખોટું હતું. પણ જરી સબૂરીથી જોઈએ તો એમાં એક કાર્યસાધક ગોઠવણ પણ હતી. બધા પ્રકારના લોકોને સાચવીને વ્યાપ વધારવાનો એક  વ્યૂહ પણ એ હતો સ્તો. લિબરલ વાજયેપીને હાર્ડલાઈનર ડિપોટી અડવાણી વિના નહોતું ચાલતું, અને અડવાણીને વાજપેયી વિના. એકબીજા અંગે એકંદરે મત્સર વિનાની જોડલી તરીકે એમને જોઈ શકીએ અને રાજી પણ થઈએ. પરંતુ, હતી તો એ ગોઠવણ. જો આ રીતે જોઈએ તો દિલ્હીમાં મોદી અને લખનૌમાં યોગી એવું કથિત સ્વયંસ્ફૂર્ત સૂત્ર અને એમાં રહેલી વ્યૂહાત્મકતા તરત સામે આવશે.

રવિશંકર પ્રસાદ અને વેંકય્યા નાયડુ આ પરિણામો સાથે પડમાં પધાર્યા ત્યારે એમણે કહ્યું હતું કે દેશના ગરીબો મોદીમાં મસીહા જુએ છે અને પ્રજાએ જે પણ મત આપ્યો છે તે વિકાસની એમની ભૂમિકાને આપ્યો છે. જો આ જનાદેશ ભાજપના સત્તાવાર દાવા પ્રમાણે વિકાસ (અને ‘ગરીબી હટાવો’) સારુ હોય તો યોગી આદિત્યનાથની લાંબી સંસદીય કારકિર્દી તે માટેની કોઈ જમીની કારવાઈ માટે જાણીતી નથી. લવ જેહાદ સહિતના ભળતાસળતા મુદ્દે આપણે ત્યાં જે બાબુ બજરંગી મંડળી સુકીર્તિત છે એ ધોરણે મઠાધીશ જરીક વધુ જ સુપ્રતિષ્ઠ હોય તો હોય. એમના મઠમાં મુસ્લિમો સુખે કામ કરે છે વગેરે વાનાં હમણે હમણે આગળ ધરાઈ રહ્યાં છે, પણ આદિત્યનાથના રાજકારણની ઓળખ વિકાસવેશના નવપ્રાપ્ત શોરઉજવણાં વચ્ચે મુખ્યત્વે હિંદુત્વ હાર્ડલાઈનર તરીકે હતી અને છે.

સંઘ શ્રેષ્ઠીઓએ કે બીજા જે પણ નિર્ણાયક તત્ત્વોએ આદિત્યનાથને આગળ કર્યા હોય એમની પસંદગી પાછળની ગણતરી અને માનસિકતા હિંદુત્વ ચહેરા માટેની હોય એ સમજી શકાય એમ છે. તે સાથે સમજવાનું એ પણ છે કે મે ૨૦૧૪ના જનાદેશથી માંડીને હમણાંના જનાદેશમાં ભાજપી ફતેહનું રહસ્ય હિંદુત્વ મતો અકબંધ રાખી તેની ઉપર વિકાસ તરેહના મતોનો મજલો ખડો કરવામાં છે. એટલે ભાજપ હાડે કરીને પલટાયેલો નવયુગી પક્ષ નથી. એ ‘હિંદુત્વ વત્તા’ના ગણિત – અને સવિશેષ તો વ્યૂહથી – ચાલતું જંતરડું છે. એટલે યોગી લખનૌનશીન બને એ કદાચ દુર્નિવાર પણ હોઈ શકે.

તાજેતરનાં વરસોમાં જેઓ ભાજપના ચાહક તરીકે ઉભર્યા છે એ સાધારણપણે વાજપેયીની લિબરલ  છાપથી અને પછી નમોના વિકાસવેશ વત્તા નિર્ણાયક હોઈ શકતા નેતૃત્વથી ખેંચાયેલા છે. લખનૌ ઘટના સાથે આ સૌ સ્વાભાવિક જ એક કસોટી કે કટોકટીની સ્થિતિમાં મુકાયા છે. નમો તો બરોબર છે, પણ આ યોગીનું થયું એ બરાબર નથી એવી ભદ્ર નુક્તેચીની સાથે તેઓ આ કસોટી/ કટોકટીથી કિનારો કરવા ઇચ્છે તો નવાઈ ન થવી જોઈએ. નમોને સાચવી લેવા અને યોગીની ટીકા કરવી, એ જો એક અર્થમાં તટસ્થ ભૂમિકાની દ્યોતક વાત છે તો બીજે છેડેથી જોતાં એમાં ખાસી માસૂમિયત રહેલી છે. અને જો તે કોઠે પડી ગયેલ હોય તો આપણે એને સરળધૂર્ત પણ કહી શકીએ.

મોદીના નવચાહકોને આ ટિપ્પણી ન ગમે તે સમજી શકાય એમ છે. માત્ર, પેકેજ અને પેકેજિંગની જે તરાહ ને તાસીર ભાજપે છેલ્લાં વરસોમાં ઉપસાવી છે એનો નજીકથી અભ્યાસ કરતાં આ ટિપ્પણીનું મહત્ત્વ સમજાઈ રહેશે. જસ્ટિસ વર્માએ હિંદુત્વ એ એક જીવનપ્રણાલિ (વે ઑફ લાઇફ) છે એવી ટિપ્પણી એમના એક ચુકાદામાં કરી હતી જે ટાંકતાં અડવાણી થાકતા નહોતા. આ જ જસ્ટિસ વર્મા, પછીથી, માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે ૨૦૦૨માં ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે ‘હિંદુત્વ ઈન ઍક્શન’ના સાક્ષાત્કાર પછી એમને પોતાની જીવનપ્રણાલિ ટિપ્પણી (અને એના રાજકીય દુરુપયોગ) વિશે ખાસો અફસોસ થયો હતો એ સૌ જાણે છે. મુદ્દે, હિંદુધર્મ એક વાત છે અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા તે બીજી વાત છે એ પાયાનો મુદ્દો નહીં પકડાયાથી ગરબડગોથાં અને વિચારવ્યામોહને ખાસો અવકાશ રહે છે. આ જ વ્યામોહ, પછીથી, યોગી નહીં ને મોદી સહી એવા અભિગમમાં પોતાનો મોક્ષ લહે છે. ભાઈ, પેકેજ અને પેકેજિંગની લીલાની આરપાર જરી તો જોતા શીખો!

કૉંગ્રેસથી માંડીને જનતાદળ (યુ) અને આપ સહિતના પક્ષો વિશે ચર્ચાને અને ટીકાટિપ્પણને અવશ્ય અવકાશ છે. ખાસ કરીને સ્વરાજ વડી પાર્ટી તરીકે કૉંગ્રેસ બેહદ ઊણી ઊતરી છે એ સાફ છે. બિહારનો બિનભાજપવાદ કારગત રહ્યા છતાં એની પરંપરાગત તાસીર સાફ છે. આપ સામે સૌથી મોટી બોલતી ટીકા કોઈ હોય તો તે યોગેન્દ્ર યાદવ – પ્રશાન્ત ભૂષણનું સ્વરાજ અભિયાનરૂપે અલગ ઉભરવું છે તે પણ સાફ છે. પણ આવનારાં વર્ષોમાં દેશ સમક્ષ વૈકલ્પિક વિમર્શદાવાની રીતે જોતાં ભાજપનો કેસ સવિશેષ હોઈ યોગી ઘટના નિમિત્તે આટલી સખોલ ટિપ્પણી કરવી જરૂરી લાગે છે.

ભાજપે જે બધા વૈકલ્પિક વિચારમુદ્દાઓ ઉછાળ્યા અગર આગળ કર્યા છે તે વિચારણીય હશે એના કરતાં તપાસલાયક વધુ છે. આ સૌ કથિત વિચારમુદ્દાઓ પણ કોઈ ઊંડી સમજ અને સઘન અભ્યાસ કરતાં વધુ તો પેકેજ અને પેકેજિંગનો મામલો છે. તે સાથે, વ્યૂહરચનાની રીતે ‘બીજા’ને રાષ્ટ્રને નામે ધ્વસ્તપરાસ્ત કરવાનું ને લોકમતને મૂર્છિત અગર ઉચ્ચાલિત કરવાનું એનું સતત લક્ષણ રહ્યું છે.

અહીં પૂર્વે લખવાનું બન્યું જ હતું કે માર્ચ ૨૦૧૭માં ભાજપ જીતો કે ન જીતો, સંગઠિત રાષ્ટ્રવ્યાપી વિકલ્પના અભાવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એની ફતેહ હોવાની છે એવું સાર્વત્રિક અવલોકન છે. પણ યોગી ઘટના (અને એવાં બીજાં નિમિત્તો) આસપાસ ઊહાપોહ જારી રહે તે જરૂરી છે; કેમ કે તો અને તેથી જ નાગરિકની વિકલ્પખોજને રાજપથ-જનપથ બાબતે સુધબુધ રહેશે.

માર્ચ ૨૯, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 01-02

Loading

આ જનાદેશ શું સૂચવે છે?

ઘનશ્યામ શાહ|Opinion - Opinion|3 April 2017

વર્ષ ૨૦૧૭માં દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનાં પરિણામો પરથી એ સામાન્ય તારણ કાઢી શકાય છે કે આ જનાદેશમાં સત્તાવિરોધી વલણ વ્યાપક રીતે જોવા મળ્યું છે. પાંચમાંથી એકેય રાજ્યમાં સત્તાધારી પક્ષ બહુમતી હાંસલ કરી શક્યો નથી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષે કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવા છતાં સત્તા બચાવી શક્યો નથી. ઉત્તરાખંડમાં સત્તાધારી કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં. પંજાબમાં સત્તાધારી અકાલી દળ-ભાજપ ત્રીજા ક્રમે ધકેલાઈગયો અને વિરોધ પક્ષનો દરજ્જો પણ ન પામ્યો. ગોવામાં સત્તાધારી ભાજપ ભલે સરકાર બનાવવામાં સફળ રહ્યો, પરંતુ પ્રજાએ તો તેને જાકારો જ આપ્યો હતો. મણિપુરમાં સત્તાધારી કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો, પણ સરકાર બનાવવામાં અસમર્થ રહ્યો. લોકોની અપેક્ષાએ ખરા ઊતરવાની બાબતે તમામ પક્ષોની સરકારો નિષ્ફળ રહી અને જનતાએ જાકારો આપ્યો.

પાંચ રાજ્યોમાંથી રાષ્ટ્રીય રાજકારણની દૃષ્ટિએ ઉત્તરપ્રદેશ સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્ય હતું અને એટલે જ તેનાં ચૂંટણી પરિણામોની સૌથી વધારે ચર્ચા થવી સ્વાભાવિક છે. ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશમાં જ્વલંત સફળતા હાંસલ કરી હતી અને આ ચૂંટણી પરિણામોએ પણ બતાવી આપ્યું કે ઉત્તરપ્રદેશ પર ભાજપની પકડ મજબૂત રહી છે. લોકસભાની ચૂંટણી અગાઉ મુઝફ્ફરનગરમાં રમખાણો થયાં એ ઘટના પછી ભાજપે સતત કોમવાદી વલણને અપનાવ્યું, જે ગૌહત્યાની અફવાથી ઇખલાકની હત્યા, લવજેહાદ, કિરાના વગેરેના મુદ્દે સતત ચાલતું રહ્યું અને કોમી ધ્રુવીકરણનો માર્ગ મજબૂત બનતો ગયો. ભાજપે એક પણ બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહીં આપીને હિંદુવાદી પરિબળોનો વિશ્વાસ બંધાવ્યો અને અધૂરું હતું તે નરેન્દ્ર મોદીએ કબ્રસ્તાન-સ્મશાન અને ઈદની જેમ દિવાળી પર વીજળી આપવાની વાતો કરીને નક્કર સંકેતો આપ્યા. સૌથી અગત્યનું તે મુસ્લિમ વિરોધી હિંદુ એકતા જુદાં જુદાં સ્વરૂપમાં, ખુલ્લેઆમ અને ગુપસુપ વિસ્પરિંગ કેમ્પેઇન દ્વારા સતત ચાલુ રહી. વડાપ્રધાનની દરેક ચૂંટણી રેલી-સભામાં તેમને ‘જયશ્રી રામ’ના નારાથી આવકારવામાં આવ્યા.

બીજી બાજુએ ગરીબ – ‘પછાત’ સમુદાયોનું વિભાજન વધ્યું. યાદવોને બાદ કરી બીજી ઓબીસી જ્ઞાતિઓના (જેઓ ઓબીસીમાં ૯૦ ટકા છે) આગેવાનોને ટિકિટો આપી – માનપાન આપ્યા. તે રીતે બસપાના જાટવ સમુદાય સિવાયના દલિતોને ભાજપે યેનકેન પ્રકારેણ જીતી લીધા. આ વિભાજિત ગરીબો ‘વિકાસ’ના નામે કંઈક મળશે, સ્થિતિ સુધરશે, તે આશાએ ભાજપમાં ગયા. વળી, ઉપલી ગણાતી જ્ઞાતિઓ – બ્રાહ્મણ, ઠાકુર, વાણિયા અને જાટ, જે મોટા ભાગે ભાજપ તરફી હતા, તેઓનું ૨૦૧૪ની લોકસભા ચૂંટણીથી જ ભાજપતરફી કોન્સોલિડેશન થયું. એ ઉપરાંત ભાજપનું બુથસ્થરનું મજબૂત નેટવર્ક-માઇક્રો પ્લાનિંગે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સામે પક્ષે સમાજવાદી પાર્ટી યાદવની પાર્ટી તરીકે, એક પરિવારના પક્ષ તરીકે પંકાયેલી હતી તો માયાવતી બંધિયાર અને વ્યક્તિકેન્દ્રી રાજકારણમાં રાચતાં રહ્યાં, જેને કારણે ભાજપની સ્થિતિ વધુ સાનુકૂળ બની. ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ મજબૂત પરિબળ રહી નથી અને એટલે તેની સાથેના ગઠબંધનનો સપાને પણ કોઈ ખાસ ફાયદો જોવા ન મળ્યો.

ઉત્તરપ્રદેશના લોકોને આકર્ષવા માટે ગુજરાત મૉડલના નામે પણ ભ્રામક પ્રચાર કરાયો. જાણે કે ગુજરાતમાં જે કંઈ ઔદ્યોગીકરણ (વિકાસ) છે, તે નરેન્દ્ર મોદી થકી જ થયું છે. ૨૦૦૧ પહેલાં ગુજરાત ઉત્તરપ્રદેશ જેવું પછાત રાજ્ય હતું. એક જૂઠને વારંવાર બોલવામાં આવે તો લોકો સાચું માનવા લાગે છે. આવા સિદ્ધાંત પર પ્રોપગૅન્ડા કરવા માટે જર્મનીનો ગોબેલ્સ જાણીતો હતો, એટલે આને ‘ગોબેલ્સ ટ્રુથ’ કહે છે, જેને હવે નવા જમાનામાં ‘પોસ્ટ ટ્રુથ’ એવું નામ મળ્યું છે. ભાજપ દ્વારા આવા ભ્રામક પ્રચારની ભરમાર રચવામાં આવી, જેને કારણે મત મેળવી શકાયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં કેટલાક સમયથી તેમની સરકાર ગરીબતરફી હોવાનો પણ ધૂમ પ્રચાર કર્યો છે. હું એવું નહીં કહું કે મોદી સરકાર ગરીબ-વિરોધી છે. સરકાર તરફથી જનધન, મનરેગાને વધારે મહત્ત્વ, ગરીબી રેખા હેઠળના લોકોને એલપીજી વગેરે કામો દ્વારા થોડાક ગરીબોને રાહત મળી છે. એમ તો ઇન્દિરા ગાંધી પણ ગરીબતરફી જ હતાં. ઇન્દિરા જેટલાં ગરીબતરફી હતાં, મોદી પણ એમના જેવા ગરીબતરફી છે. જો કે, તેમના જેટલા નહીં! ઇન્દિરા ગાંધી ગરીબી દૂર કરી શક્યાં નહોતાં, મોદી પણ એવો ચમત્કાર કરી શકશે, એવી આશા રાખવી મૂર્ખતાપૂર્ણ છે. આપણા દેશની જ વાત નથી, દુનિયાની કોઈ પણ લોકશાહી વ્યવસ્થામાં રાજકારણી ખુલ્લેઆમ ગરીબ-વિરોધી ન હોઈ શકે! અલબત્ત, ગરીબોને બે-પાંચ સવલતો આપી દેવી કે સબસિડી-સહાય કરી દેવી, એ ખરું ગરીબતરફી રાજકારણ નથી. મૂળ મુદ્દો રોજગારી આપવાનો છે અને વર્તમાન આર્થિક નીતિ તો જોબલેસ ગ્રોથ તરફ પૂરપાટ વેગે દોડી રહી છે. આગામી સમયમાં બેરોજગારીનો મુદ્દો બહુ ઉગ્ર બનવાનો છે, ત્યારે મોદીની આર્થિકનીતિની ખરી પરીક્ષા થશે.

નરેન્દ્ર મોદી અને તેમની સરકાર મૂળે મૂડીવાદી છે. ભાજપની સરકારે સંઘના સ્વદેશી વગેરે આર્થિક મુદ્દાઓને કોરાણે મૂકી દીધા છે. કૉંગ્રેસ પોતે પણ મૂડીવાદમાં માને છે અને દેખીતી રીતે મોદી પોતાના પૂર્વસૂરિ મનમોહનસિંહ સરકારની જ નીતિ આગળ વધારી રહ્યા છે ત્યારે કૉંગ્રેસ પણ નક્કર વિરોધ કરી શકવાની સ્થિતિમાં નથી. આમ, વિરોધીઓ પાસે પણ ભાજપનો વિરોધ કરવાના મુદ્દાઓ-રણનીતિઓ અને સમજનો વ્યાપક અભાવ જોવા મળે છે.

નરેન્દ્ર મોદી તોગડિયા-સિંઘલ કે સાક્ષી મહારાજ જેવા ફૅનેટિક નથી, છતાં પણ તેમના મનમાં હિંદુરાષ્ટ્રનો ખયાલ ચોક્કસ છે. મોદીનો રાજકીય ઇતિહાસ જોતાં તેમણે પોતાના હિંદુત્વના મામલે રાજકીય સમાધાનો કર્યા નથી. મોદીએ સદભાવના ઉપવાસ કર્યા પણ ટોપી પહેરવાનો ઇન્કાર કરી દીધેલો. મુસ્લિમોની સ્થિતિનો ક્યાસ કાઢવા માટે નિમાયેલી સાચર સમિતિને મળવાનો ઇન્કાર કરી દીધેલો. પોતે હિંદુત્વનું નામ લેવાનું ટાળે છે, છતાં સંકેતો જરૂર આપતાં રહે છે. મોદીની વિચારધારાના વિરોધી હોઈએ તો પણ એટલું તો માનવું રહ્યું કે તે પોતાની વિચારધારા બાબતે પ્રતિબદ્ધ છે અને એ માટે સતત મથ્યા કરે છે. મોદીને સાધારણ રાજકારણી તરીકે નહીં પણ એક મિશનરી તરીકે મૂલવીએ તો જ સાચો અંદાજ બાંધી શકાય. તમે જ વિચારો મોદી હિંદુરાષ્ટ્ર માટેના રાજકારણમાં જેટલા સક્રિય-પ્રતિબદ્ધ છે, એટલો સતત સક્રિય-પ્રતિબદ્ધ કોઈ સેક્યુલર નેતા જોવા મળે છે? રાજકારણીઓની વાત જવા દઈએ તો આપણા નાગરિક સમાજમાં પણ કોમવાદી વિચારધારાના આક્રમણ સામે બિનસાંપ્રદાયિક મૂલ્યોની સાચવણી-પ્રચારપ્રસાર કરવા માટે પ્રતિબદ્ધ લોકો અને સંસ્થાઓ કેટલી? સમતામૂલક સમાજમાં માનનારાઓએ અવાજ ઉઠાવવો જોઈએ, પણ ન આપણી જાહેર સંસ્થાઓ રસ બતાવે છે, ન એનજીઓને પોતાના પ્રોજેક્ટ બહારનું કંઈ કરવાનું મન થાય છે.

રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદી કે ભાજપનો કોઈ વિકલ્પ નથી. કૉંગ્રેસ વામણી છે અને રાહુલ ગાંધી પ્રત્યે વધારે અપેક્ષા જાગતી નથી. વર્ષ ૨૦૧૯ની ચૂંટણી જીતવા માટે તેમની સામે અત્યાર સુધી તો કોઈ મોટો પડકાર જણાતો નથી, સિવાય કે મોદી સરકાર ફુગાવા પર કાબૂ ન મેળવી શકે, અર્થતંત્ર મૅનેજ ન થઈ શકે અને મોંઘવારી-બેરોજગારી જેવી આર્થિક સમસ્યાઓ વિકરાળ બને તો જનાદેશ મેળવવો મુશ્કેલ પડે!

[દિવ્યેશ વ્યાસ સાથેની વાતચીતના અંશો]

E-mail : ghanshyam.shah2008@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 03-04 

Loading

...102030...3,4833,4843,4853,486...3,4903,5003,510...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved