Opinion Magazine
Number of visits: 9689329
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદી પછીનો આપણો સ્વરાજધર્મ કયો?

ડંકેશ ઓઝા|Opinion - Literature|5 March 2017

આજે તે દિવસો વહી ગયા છે. કારણ ધર્મોમાંથી જાણે ધાર્મિકતા જ ચાલી ગઈ છે. હવે આર્ય, બૌદ્ધ, યહૂદી, ઇસ્લામ વગેરે સર્વ ધર્મો માનવતાની અદાલતમાં આરોપી બનીને હાજર થયા છે. ધર્મને નામે એટલી સંકીર્ણતા ફેલાવા લાગી છે, એટલો મનુષ્યદ્રોહ થઈ રહ્યો છે કે આજે એકેએક ધર્મ ન્યાયાધીશને બદલે આરોપીના સ્થાને આવી ગયા છે. હવે ધાર્મિકતાને જ ધર્મોના સકંજામાંથી ઉગારવાની ઘડી આવી પહોંચી છે.

– કાકા કાલેલકર

દર્શકના એટલે કે મનુભાઈ પંચોળીના ‘સ્વરાજધર્મ’ (૧૯૯૬) પુસ્તક વિશે વિગતે વાત કરતાં પહેલાં લેખકનો આપણે પરિચય કરી લેવો જોઈએ. ગુજરાતી સાહિત્યના આ અગ્રગણ્ય સાહિત્યકાર અને કેળવણીકાર છે. પિતા પ્રાથમિક શિક્ષક હતા. મનુભાઈએ કિશોરવયે ૧૯૩૦ના સત્યાગ્રહમાં ભાગ લેવા શાળાનો અભ્યાસ નવમા ધોરણ પછી છોડી દીધો. દક્ષિણામૂર્તિ અને આંબલામાં ગૃહપતિ અને શિક્ષક તરીકે ઘડાયા પછી ૧૯૫૩માં સણોસરા ખાતે લોકભારતીની સ્થાપના અને સંચાલનમાં તેઓ જોડાયા. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન બન્યા અને ૧૯૭૦માં બહુ ટૂંકા ગાળા માટે ગુજરાતના શિક્ષણમંત્રી પણ થયેલા.

તેઓ જાણીતા છે તેમની નવલકથા અને નાટકો માટે, પરંતુ તેમણે સાહિત્ય અને ચિંતન બંને દ્વારા સતત વ્યાપક લોકશિક્ષણ કર્યું છે.

તેમની ‘વાચનકથા’ અને ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ બહુ જાણીતાં છે.  વાચનકથાની સંવર્ધિત આવૃત્તિ વખતે આપણા જાહેર બૌદ્ધિક અને ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહે પ્રસ્તાવનામાં લખ્યું છે : તરુણ ‘દર્શક’ને સમાજવાદ પ્રત્યે લગાવ હતો, જે તેમને સામ્યવાદી અંતિમો સુધી ન લઈ જઈ શક્યો. પ્રસ્તાવનાકારના શબ્દો છે કે “તેઓ જરૂર નસીબદાર છે કે માર્ક્સની અપીલ ઝીલવા છતાં એમને માર્ક્સવાદની મૂઠ વાગી નહીં.” સમાજના અન્યાયો અને વિષમતાઓની આર્થિક-તાર્કિક મીમાંસા એ કર્મઠ ‘દર્શક’નો એક સ્વાધ્યાયવિશેષ રહ્યો છે.

આવા ‘દર્શક’ વિશે દાદા ધર્માધિકારીએ એક વ્યાખ્યાનમાં એવું કહેલું કે “આપણા આ મનુભાઈના હાથપગ રચનાત્મક કાર્યકરના છે, એમનું મસ્તક જ્ઞાની અને રાજકારણીનું છે અને એમનું હૃદય સાહિત્યકારનું છે.”

ભારતે સ્વરાજ મેળવ્યું. પરંતુ આજે પણ લાગે છે કે એવું કે ભારતે પોતાનો સ્વરાજધર્મ જાણ્યો-પિછાણ્યો નથી. આઝાદ ભારતમાં લઘુમતીના ધર્મસ્થાનને બહુમતીથી ખુલ્લેઆમ ધ્વસ્ત કરે એવું ઝનૂની ધર્માભિમાન ૧૯૯૨માં જોવા મળ્યું, ત્યારે મનુદાદાએ ન્યૂ જર્સી, અમેરિકાથી જે લેખ લખ્યો છે, તે આખા પુસ્તકને ગતિ પૂરી પાડનારો છે. તેમણે ટાગોરને યાદ કરીને લખ્યું છે કે “રાષ્ટ્રવાદ, ધર્મવાદ, જાતિવાદ કે વંશવાદ અને સંસ્કૃિતવાદ સર્વોપરી નથી જ નથી. માણસનું બલિદાન માગનારા આ વિચારો મધ્યયુગના અંધારયુગનો વારસો છે, જે આ પ્રકાશયુગમાં ન ચાલે.” તેઓ આ પુસ્તકમાં તારસ્વરે વારંવાર કહેતા રહ્યા છે : ભૂતકાળમાં થયું તેને આજે શું સંબંધ છે ? આજે કોઈ મુસલમાન હિન્દુ મંદિર તોડવા આવે છે? આજે કોઈ હિન્દુ બૌદ્ધ સ્મારક તોડવા આવે છે? ના. તો આપણા પૂર્વજોએ જે ભૂલો કરી તેને ચાલુ રાખી તેની સજા આજે જે ભૂલો નથી કરતા તેમને માથે મૂકવાની શી જરૂર?”

તેમણે સતત ધર્મ, સંસ્કૃિત, લોકશાહી, સેક્યુલરિઝમ, રાજ્ય અને તેની જવાબદારી આ બધા વિશે પાયાની સમજ આપતાં-આપતાં નરકના ભય અને સ્વર્ગની લાલચ બંનેથી વિરુદ્ધ અને વિપરીત એવા સ્વરાજધર્મની સ્થાપના કરવાનો સબળ પુરુષાર્થ નાના-નાના લેખો દ્વારા આ પુસ્તકમાં કર્યો છે. ધર્મ(સંપ્રદાય)ના નામે ચાલતું રાજકારણ એ વિભાજક છે. ‘એવું થયું તો રાષ્ટ્ર ગયું’ એમ તેઓ ભારપૂર્વક કહે છે.

મુસ્લિમ લઘુમતી સામે બહુમતીનો વિરોધ, એની ચર્ચા તો તેઓ કરે જ છે, પરંતુ ઉર્દૂ શબ્દો અને ઉર્દૂ ભાષાનો વિરોધ કે પૂર્વગ્રહ પ્રગટ થતો જુએ છે, ત્યારે લખે છે કે ‘ઉર્દૂ જાણે (કેવળ) મુસ્લિમોની ભાષા હોય એમ માની નવો હિન્દુ કોમવાદ મુસ્લિમવિરોધ ઉર્દૂ તરફ વાળે છે. આ અવૈજ્ઞાનિક અને ઉત્પાતિયો કોમવાદ છે.’

આપણા દેશમાં આજકાલ ધાર્મિક પુરુષોનું વર્ચસ્વ વધતું જાય છે. યજ્ઞો, રથયાત્રાઓ, જ્ઞાતિ અને પેટાજ્ઞાતિનાં સંમેલનો, સંતમેળાઓ વગેરે ધર્મને નામે લોકમાનસને ઉશ્કેરવાના અને ધર્મ ભયમાં છે, તેમ કહી સંગઠિત કરવાના ઊહાપોહથી વાતાવરણને ક્ષુબ્ધ કરી રહેલ છે. ‘એક બાજુ વવાય છે અને બીજી બાજુ ઉખેડાય છે.’ એક બાજુ વૈજ્ઞાનિકતાની સ્થાપના થાય છે, બીજી બાજુ અવૈજ્ઞાનિક માન્યતાઓનું પ્રસ્થાપન થાય છે. દાદાની શૈલી પોતાની આગવી છે. તેઓ લખે છે : જાણે ઉનાળો આવ્યો છતાં શિયાળાનાં કપડાં પહેરવાનું ચાલુ રાખ્યું. આજનું આ બિનજરૂરી, અવૈજ્ઞાનિક વલણ એ સમાજને પાછો લઈ જવાનો પ્રત્યાઘાતી પ્રયાસ છે, તેમ કહેવું જોઈએ. ધર્મ સમાજમાં ભેદ કરે છે, રાજ્ય સમાજના બધાને જોડે છે. આજે ધર્મ તોડનારું બળ છે, નાગરિકતા જોડનારું બળ છે. જે રાજ્યદંડ શિથિલ હાથે પકડે છે તે, જગ્યા માટે લાયક નથી. રાજ્યનું મુખ્ય લક્ષણ કશા ભેદભાવ વિના કાયદાનું પાલન કરાવવાનું છે કે અને ન કરે, તો તેને નશ્યત કરવાનું છે.

ઇતિહાસ અને સંસ્કૃિતના અભ્યાસી અને સંશોધક એવા દર્શકે આ પુસ્તકમાં છેલ્લું પ્રકરણ ‘સાદો હિન્દુધર્મ’ નામે લખ્યું છે, જે પચ્ચીસ પાનનું છે. તેમાં હિન્દુધર્મનાં સનાતન મૂલ્યોને તેમણે ખૂબ જ તર્કપૂત રીતે ઉજાગર કર્યાં છે. જોડે તે ધર્મ, તોડે તે અધર્મ, એ વાત પર ભાર મૂક્યો છે.

પુસ્તકની પ્રસ્તાવના આપણા જાણીતા બિનસાંપ્રદાયિક અને બુદ્ધિનિષ્ઠ ચિંતક યાસીન દલાલે લખી છે. તેમણે ‘દર્શક’ના સમતાવાદી ધર્મતત્ત્વવિચારને પુરસ્કાર્યો છે અને આવકાર્યો છે. દર્શક મસ્જિદ હટાવીને મંદિર બાંધવાના વિરોધી છે. રામમંદિરના વિરોધી નથી. રાજજન્મભૂમિ અયોધ્યામાં હોવાનું એકમત નથી તેથી પણ ત્યાં મંદિર બાંધવાના તેઓ તરફદાર નથી. યાસીન દલાલ તો તેથી પણ આગળ જાય છે. તેમનું સૂચન એવું છે કે બાબરી મસ્જિદ સામે ચાલીને હિન્દુસમાજને સોંપી દેવી જોઈએ. આનાથી બે કામ થાય : હિન્દુ-મુસ્લિમ તંગદિલી ઘટે અને ભા.જ.પ. જેવા રાજકીય પક્ષો આવી સમસ્યાનો ગેરલાભ ઉઠાવતા બંધ થઈ જાય.

‘દર્શક’ એક રાજકારણી હોવા છતાં બાંગ્લાદેશમાં ઘૂસીને મુજીબૂર રહેમાનને મદદ કરવાના મતના નથી. તેમનો તર્ક હતો કે મુજીબૂર રહેમાન જતા રહેશે અને મુલ્લાંશાહી કાયમ થશે. તસ્લિમા નાસરીનની જે દશા બાંગ્લાદેશે કરી, તેમાં ‘દર્શક’ના વિચારનો પુરાવો મળે છે. બાંગ્લાદેશની ધર્મપરસ્ત લોકશાહીનો પડદો ચીરનાર તસ્લિમાને ‘દર્શક’ ‘બાંગ્લાદેશની માર્ટિન લ્યૂથર’ કહે છે.

એ તો એક અફીણ છે, સત્તાવાળાઓએ ગરીબોનો કબજો રાખવા માટે યોજેલ કપટ છે. પણ મનુદાદાનું સંશોધન છે કે આ અધૂરું વાક્ય છે, તેના પછીનું વાક્ય ખરું મહત્ત્વનું છે, જે કોઈ વાંચતું નથી. તે એવું છે કે “આ નિર્દયી દુનિયામાં ધર્મ એક જ દયાભરી જગ્યા છે.” માર્ક્સનું વાક્ય હતું : ઇટ વોઝ ધી હાર્ટ ઑફ ધી હાર્ટલેસ વર્લ્ડ. નિર્બલ કે બલરામ, કઠોરજગતમાં એ જ હૃદય હતું. કંઈ પાકતું ન હતું, રોગો હતા, ભયત્રસ્તતા હતી, બહારવટિયા હતા, કંઈ-કંઈ હતું. એ વખતે તે કઠોરતા વચ્ચે ખરું હૃદય તે આ ધર્મ હતો. ટૂંકમાં, દર્શકે ધર્મની સનાતનતા અને તેની કાળબદ્ધતા, બંનેને ઘણી તટસ્થતાથી સમજાવી છે. તેઓ ધર્મને અંતતોગત્વા માનવીય ઇતિહાસનું એક વિધાયક પરિબળ માને છે.

એકંદરે આજે આઝાદભારતમાં લોકો હજુ નાગરિકમાં પૂરેપૂરા વિકસિત થતા નથી, થયા નથી, ત્યારે તેમનો નાગરિક ધર્મ કે સ્વરાજધર્મ શો છે એ સમદૃષ્ટિપૂર્વક દર્શાવવાનો, ચીંધવાનો ઉત્તમ પુરુષાર્થ દર્શકે આ લેખો દ્વારા કર્યો છે. દેશના ભાન ભૂલેલા રાજકારણીઓને પણ તેમાંથી સાચી દિશાનો સ્પષ્ટ સંકેત પ્રાપ્ત થાય તેમ છે, જો તેઓ દાદાની વાત કાને ધરે તો.

‘સ્વરાજધર્મ’, લેખક – ‘દર્શક’, રંગદ્વાર પ્રકાશન, યુનિવર્સિટી પ્લાઝા, અમદાવાદ-૩૮૦ ૦૦૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 13-14 

Loading

ઘર બળે છે, જાણી લેવું જોઈએ!

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|5 March 2017

પોપ્યુલેશન ફર્સ્ટ નામની મુંબઈસ્થિત સ્વૈચ્છિક સંસ્થા દ્વારા દર વર્ષે લિંગભેદ જેવી સામાજિક સમસ્યા પર પ્રિન્ટ, ટીવી કે બ્લોગ જેવાં માધ્યમોમાં અહેવાલ, ફીચર, લેખો, ન્યૂઝ રિપોર્ટ, ઇન્વેિસ્ટગેટિવ સ્ટોરી કરનારા પત્રકારો કે મહિલાકેન્દ્રી વિશેષ ઝુંબેશ ચલાવનારા અખબાર કે મીડિયા જૂથને પ્રોત્સાહન આપવા માટે ‘લાડલી મીડિયા ઍન્ડ ઍડવર્ટાઇઝિંગ ઍવોર્ડસ ફૉર જેન્ડર સેન્સિટિવિટી’ આપે છે. દેશના અલગ અલગ ઝોનમાં જુદી જુદી ભાષામાં કામ કરનારા મીડિયાકર્મીઓને આપવામાં આવતા આ ઍવોર્ડના તાજેતરમાં યશભાગીઓમાં ‘નિરીક્ષક’ને જેમની આત્મીય કુમક યથાપ્રસંગ મળતી રહે છે એ તરુણ સાથી દિવ્યેશ વ્યાસ પણ છે. પ્રત્યાયનના માધ્યમ તરીકે એસ.એમ.એસ.ની અસરકારકતા પરના શોધનિબંધ માટે ડૉક્ટરેટ મેળવનાર દિવ્યેશભાઈને અભિનંદન સાથે અહીં ‘દિવ્ય ભાસ્કર’(૧૬-૧૨-૨૦૧૫)ની કળશ પૂર્તિમાં પ્રકાશિત એમની કૉલમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સાભાર ઉતારીએ છીએ.

*

આજે ૧૬મી ડિસેમ્બરનો દિવસ, દિલ્હીમાં નિર્ભયા પર થયેલા પાશવી બળાત્કારની પીડાદાયક સ્મૃિત તાજી કરાવતો દિવસ છે. મહિલાઓ પર થનારા અત્યાચારોમાંથી સૌથી વધારે ઘાતકી અત્યાચાર હોય, તો તે બળજબરીથી થતું શારીરિક શોષણ છે. દેશમાં નિર્ભયા કાંડે એવો માહોલ જરૂર સર્જ્યો કે સમાજ રેપનો ભોગ બનનારી સ્ત્રી પ્રત્યે આજે વધુ સંવેદનશીલ બન્યો છે અને તેના દૃષ્ટિકોણમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. કમનસીબે યુવતીઓ-સ્ત્રીઓ ઘરની બહાર અસલામત છે, એવું નથી. ઘરની અંદર પણ તેનું શોષણ અને મારણ થતું રહે છે. પરિવારજનોથી કંટાળેલી અને સામાજિક પ્રથાઓ-પરંપરાઓ સામે હારેલી તેમ જ આર્થિક રીતે પરાવલંબી એવી સ્વમાની સ્ત્રીઓ માટે ઘણી વખત આત્મહત્યા સિવાય કોઈ માર્ગ બચતો નથી. દેશમાં દર વર્ષે હજારો ગૃહિણીઓ આત્મહત્યા કરે છે. જો કે, આપણે ત્યાં ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે બહુ ઊહાપોહ થતો હોય છે, અનેક રાજ્યોમાં સત્તાઓ બદલાઈ જતી હોય છે, પરંતુ ગૃહિણીઓની આત્મહત્યાના મામલે ભાગ્યે જ ક્યાં ય ચર્ચા કે ચિંતા જોવા હોય છે.

દેશમાં ખેડૂતોની આત્મહત્યા જેટલો અગત્યનો તેમ જ વધારે ગંભીર મુદ્દો ગૃહિણીઓની આત્મહત્યાનો છે. કદાચ વાત તમારામાં માનવામાં નહીં આવે, પણ નેશનલ ક્રાઇમ રેકૉડ્ર્સ બ્યૂરોના (NCRB) વર્ષ ૨૦૧૪ના આંકડા પુરવાર કરે છે કે દેશમાં થતી કુલ આત્મહત્યાઓમાં ખેડૂતોનું પ્રમાણ ૪.૩ ટકા છે, જ્યારે ગૃહિણીનું પ્રમાણ તેના કરતાં લગભગ ચાર ગણું વધારે, એટલે કે અધધ ૧૫.૩ ટકા છે. ૨૦૧૪માં ૫૬૫૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, તેની સામે આત્મહત્યા કરનારી ગૃહિણીઓની સંખ્યા ૨૦,૪૧૨ છે. અલબત્ત, એ વાતનો સંતોષ જરૂર લઈ શકાય કે વર્ષોવર્ષ આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે, છતાં આંકડા એ વાતની સાબિતી છે કે પરિણીત મહિલાઓની સ્થિતિ આજે પણ એટલી ખરાબ છે કે તેમણે મોતને વહાલું કરવું પડે છે.

ભારતમાં વર્ષ ૨૦૧૪માં કુલ ૧,૩૧,૬૬૬ લોકોએ આત્મહત્યા કરી જેમાં મહિલાઓની સંખ્યા ૪૨,૫૨૧ છે. તેમાંથી ૨૦,૪૧૨ મહિલા વ્યવસાયે ગૃહિણી હતી. મહિલાઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારાં મુખ્ય કારણો જોઈએઃ લગ્નસંબંધિત પ્રશ્નને કારણે ૪૪૧૧ મહિલાઓએ આત્મહત્યા કરી હતી, દહેજના દોઝખને કારણે ૨૨૨૨, લગ્નબાહ્યસંબંધને કારણે ૨૪૯, છૂટાછેડાને કારણે ૧૮૩, અન્ય પારિવારિક પ્રશ્નને કારણે ૯૯૭૭ સ્ત્રીઓએ મોતને મીઠું કર્યું હતું. પરિવાર ઘણી વખત આત્મહત્યાને પણ કુદરતી મોત દર્શાવવાની કોશિશ કરતો હોય છે, તો ક્યારેક હત્યાને આત્મહત્યા દર્શાવતો હોય છે. વાસ્તવિકતા જોતાં ઘણી આત્મહત્યાઓ નોંધાતી ન હોય, એવું માનવાને ચોક્કસ કારણો છે.

એક તરફ આપણે ગૃહિણીને ગૃહલક્ષ્મી કહીએ છીએ અને છતાં તેની સ્થિતિ એટલી વિકટ હોય છે કે તેને જિંદગી કરતાં મોત વધારે મોહક લાગવા માંડે છે. ઘરની ચાર દીવાલોમાં રહેતી ગૃહિણીએ આત્મહત્યા કરવા મજબૂર થવું પડે, તે હકીકત કોઈ પણ પરિવાર અને સમાજ માટે લાંછનરૂપ ગણાય.

છેલ્લાં પાંચ વર્ષથી ગૃહિણીની આત્મહત્યાના આંકડા ઘટી રહ્યા છે, પણ તેનો દર અત્યંત ધીમો છે. કમનસીબે આજે પણ મહિલાઓની-ગૃહિણીની સમસ્યાઓ અંગે આપણા પરિવારો કે સમાજમાં ગંભીરતા જોવા મળતી નથી. દેશ અને દુનિયા અનેક વિકરાળ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે એ ખરું, પણ આપણું ઘર બળી રહ્યું છે, જરા જાણી લેવું જોઈએ!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 15 

Loading

અત્યારના ભારતમાં દમન અને અત્યાચાર સામે પોતપોતાની રીતે અવાજ ઊઠાવનાર યુવા તેજસ્વિનીઓને સલામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|4 March 2017

આગામી બુધવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે મક્કમ પ્રતિકાર કરનાર કેટલીક વીરાંગનાઓની ગાથા

દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજની વિદ્યાર્થિની ગુરમેહરે સોશ્યલ મીડિયામાં ઝુંબેશ ચલાવી – ‘હું દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની છું અને હું એ.બી.વી.પી.થી ડરતી નથી’.  અસહિષ્ણુતા અને કોમવાદથી ડહોળાયેલા દેશના અત્યારના માહોલમાં, સ્ત્રીઓ માટે વધુ જોખમી દિલ્હી જેવા શહેરમાં, પિતા વિનાની વીસ વર્ષની છોકરી આવી હિંમત દાખવે તે બિરદાવવાની બાબત છે. ‘મારા પિતાની હત્યા પાકિસ્તાને નહીં યુદ્ધે કરી છે’ એવું અનેક પોસ્ટ દ્વારા સમજપૂર્વક કહેવું એ ગુરમહેરનો રાષ્ટ્રદ્રોહ ગણાયો. પાકિસ્તાનના નવાઝ શરીફ સાથેની દોસ્તી રાખવી એ નરેન્દ્ર મોદીની રાજદ્વારી મુત્સદ્દેગીરી ગણાઈ. વિદ્યાર્થિનીના વિરોધીઓના બેવડાં અને બોદાં ધોરણો અહીં ખુલ્લાં પડે છે.  ગુરમેહરને ઠીક ટેકો મળ્યો છતાં જાતીય સતામણીને કારણે તેને પીછેહઠ કરવી પડી એ હકીકત રહે જ છે.

પાછી નહીં પડનારી છે તે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)ની વિદ્યાર્થી નેત્રી શેહલા રશીદ. ગુરમેહરે એ.બી.વી.પી.નો જે વિરોધ કર્યો તેના કારણ સાથે શેહલા સંકળાયેલી છે. દિલ્હીની રામજસ કૉલેજમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલા સેમિનારને એ.બી.વી.પી.એ અટકાવ્યો એટલે ગુલમેહરે આ સંગઠનનો વિરોધ શરૂ કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એ.બી.વી.પી.)નો વાંધો સેમિનારમાં બે વ્યક્તિઓને બોલાવવા સામે હતો – ઉમર ખાલિદ અને શેહલા. બીજા દિવસે પરિષદના વિરોધમાં કેટલાંક વિદ્યાર્થી સંગઠનોએ કાઢેલી રેલી પર પરિષદે હુમલો કર્યો જેમાં શેહલા પર પથ્થર મારવામાં આવ્યો અને તેનો ફોન આંચકી લેવામાં આવ્યો. કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી સમાજશાસ્ત્રમાં લૉ અને ગવર્નન્સમાં એમ.ફિલ. કરી રહેલી શેહલા ખૂબ શક્તિશાળી યુવતી છે. ગયા વર્ષે રાજદ્રોહના આરોપ હેઠળ કન્હૈયા કુમાર, અનિર્બન અને ઉમરની થયેલી ધરપકડની સામે ચાલેલી ચળવળને તેણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તે પહેલાં ‘ઑક્યુપાય યુ.જી.સી.’ નામના બે મહિના ચાલેલાં વિદ્યાર્થી આંદોલનમાં પણ શેહલાનો મહત્ત્વનો ફાળો હતો. તેનાં ખૂબ પ્રભાવશાળી ભાષણો, મુલાકાતો અને લેખોમાં યુનિવર્સિટીઓની ખતમ થઈ ગયેલી સ્વાયત્તતા, શિક્ષણના વેપારીકરણ તેમ જ ભગવાકરણનો જોરદાર વિરોધ હોય છે. માનવ અધિકાર અને જુવેનાઈલ અન્ડરટ્રાયલ્સના જસ્ટીસ માટે તેણે તેના વતન કાશ્મીરમાં કામ કર્યું છે.

કાશ્મીરની ઝાઇરા વાસીમે આમીર ખાનના ‘દંગલ’માં કુસ્તીબાજ ગીતા ફોગટનું પાત્ર સરસ રીતે ભજવ્યું છે. તેને  લઈને કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ તેને કાશ્મીરી જનતા માટેની રોલ મૉડેલ ગણાવી. તેનાથી ઉશ્કેરાયેલા અલગતાવાદીઓએ ઝાઇરા પર સોશ્યલ મીડિયામાં ખૂબ ત્રાસ ગુજાર્યો. તેને એવી પોસ્ટ મૂકવી પડી કે એને રોલ મૉડેલ ગણવામાં આવી તેને કારણે જેમની લાગણી ઘવાઈ તેમની એ માફી માગે છે અને એની આવી પ્રશંસામાં ખરેખર મોટા માણસોનું અપમાન છે. જો કે આમીરખાને ટેકો આપ્યા પછી એણે એ પોસ્ટ ઊતારી લીધી. કેન્દ્રના રમતગમતમંત્રી વિજય ગોયલે મોટાભા બનીને એક પોસ્ટ મૂકી. તેમાં તેમણે હિજબ પહેરેલી સ્ત્રી તેમ જ પાંજરામાં કેદ સ્ત્રીવાળું એક ચિત્ર મૂક્યું અને કહ્યું, ‘આ ચિત્રની વાત ઝાઇરા વસીમને મળતી આવે છે. પિંજરા તોડકર હમારી બેટિયાં આગે બઢને લગી હૈ. મોર પાવર ટુ અવર ડૉટર્સ.’ ઝાઇરાએ જવાબ ફટકાર્યો, ‘સર, યોગ્ય આદર સાથે તમને જણાવું છું કે મારે આમાં અસંમતિ બતાવવી જ પડે. આવા અયોગ્ય વર્ણન સાથે મને ન જોડવા વિનંતી છે. હિજાબ પહેરેલી સ્ત્રીઓ ખૂબસૂરત અને આઝાદ હોય છે. વળી, આ ચિત્ર જે વાત કહે છે તે મારી બાબતમાં કોઈ પણ રીતે પ્રસ્તુત નથી.’ હિજાબ અંગેની ઝાઇરાની માન્યતા સાથે અસંમતી હોય તો પણ મંત્રીશ્રીને તેણે આપેલા સાફ જવાબમાં તેનો  નવા જમાનાની ઔરત તરીકેનો મિજાજ દેખાય છે.

આવો જ મિજાજ ગયા વર્ષે આઈ.એ.એસ.માં પહેલા ક્રમે આવનાર દલિત પરિવારની ટીના ડાબીનો છે. ટીના અને બીજા ક્રમે આવનાર કાશ્મીરનો યુવક અથાર આમીર પ્રેમમાં પડ્યા, તેમણે એ જાહેર પણ કર્યું. આને ‘લવ જિહદ’ કહેનારા હિન્દુ મહાસભા જેવી માન્યતા ધરાવનાર સહુને ટીનાએ કહ્યું છે : ‘મારી નાત એક ધર્મના ન હોય તેવા વ્યક્તિની સાથે પ્રેમમાં પડીને જાણે મેં કોઈ ગુનો કર્યો હોય એવી વાત થઈ રહી છે … પણ મારે કોઈને કંઈ સાબિત કરી બતાવવાનું નથી.’

ક્રિટિકલી વિચારનારી યુવા વિદ્યાર્થિની એક આખા દમનકારી કાયદાને કેવી રીતે દૂર કરાવી શકે તેનો દાખલો એટલે દિલ્હીની શ્રેયા સિંઘલ. દિલ્હી યુનિવર્સિટીની કાનૂન વિદ્યાશાખાની પચીસ વર્ષની વિદ્યાર્થિની શ્રેયાએ ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજિ ઍક્ટની કલમ 66એ વિરુદ્ધ જાહેર હિતની અરજી કરી, જેને સર્વોચ્ચ અદાલતે મંજૂર રાખીને એ કલમને 26 માર્ચ 2015 ના રોજ રદ કરી. ઇંગ્લેન્ડની બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાંથી ખગોળભૌતિકની પદવી મેળવી ચૂકેલી શ્રેયાએ કહ્યું, ‘ મેં આ કલમને એ કારણસર પડકારી કે એના થકી મુક્ત ભાષા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના બંધારણે આપેલા મૂળભૂત અધિકારનો ભંગ થતો હતો.’

કલાના માધ્યમથી અન્યાય અને અત્યાચાર, શોષણ અને દમન, વંચિતતા અને વર્ણવ્યવસ્થા સામે અવાજ ઊઠાનારા મુંબઈ-પુનાના ‘કબીર કલા મંચ’ના સહુ યુવા કલાકારોમાં મુખ્ય છે શીતલ સાઠે. તેમણે અને તેમના સાથીદારોએ જાગૃતિ અને વિરોધનાં ગીતો માટે મહારાષ્ટ્ર સરકારે જે જુલમ કર્યા છે તે અલગ લેખનો વિષય છે. જલંધરની ઓગણીસ વર્ષની ગુરકંવલ ભાટી ઉર્ફે ગિન્ની માહી તેની મંડળી સાથે રવીદાસ અને ડૉ. બાબાહેબ આંબેડકરના સંદેશ પહોંચાડતાં ગીતો ગાવાં માટે ખૂબ જાણીતી છે.

મોરબીની એક સિરામિક ફૅક્ટરિમાંના 111 બાળ મજૂરોને ગયા વર્ષે માર્ચ મહિનામાં છોડાવનાર કૉલેજ વિદ્યાર્થિની ઝરણા જોશીને યાદ કરવી જ પડે. બાવીસ વર્ષની ઝરણાએ બાળકોને છોડાવવા માટે ખુદ ફૅક્ટરિમાં બે મહિના નોકરી કરીને સ્ટિંગ કર્યું હતું. ત્રણ મહિના પછી ઝરણા પર હુમલો પણ થયો હતો. પુરુષો દ્વારા અત્યંત પાશવી અત્યાચાર પછી મોત સામે દેખાતું હતું ત્યારે પણ ‘મારે જીવવું છે’ એવો સ્પિરિટ રાખનાર જ્યોતિ સિંગ અર્થાત નિર્ભયાને કેમ ભૂલાય ? તેના મા-બાપ અને તેમને ટેકો આપનારા લાખો દેશવાસીઓના ન્યાય માટેના સંઘર્ષને કારણે બળાત્કાર વિરોધી કાયદો વધુ કડક અને પીડિતા તરફી બન્યો છે.

નિર્ભયા ઘટનાને પછી દેશભરમાં ચાલેલાં વલોણાને કારણે બળાત્કાર પીડિતા તરફ જોવાનો સમાજ, શાસકો, ન્યાયતંત્ર અને માધ્યમોનો નજરિયો કંઈક બદલાયો છે. બળાત્કાર વેઠ્યા પછી તૂટી ગયા વિના અપરાધીને સજા માટે લડનાર વીરાંગનાઓ, સર્વાઈવર્સ મહિલાઓને સો સો સલામું આપવી રહી. પારુલ યુનિવર્સિટીના નરાધમ સામે ફરિયાદ કરનાર સર્વાઇવર વિદ્યાર્થિનીની જિગર  યાદ જ હોય. પણ કમનસીબે બીજી એક સર્વાઈવરની પણ વાત કરવાની થાય તે નાલિયાકાંડની. આ વાસનાકાંડની ગૂંચવણો હશે. તે છતાં ઓગણીસ વર્ષની આ યુવતીને બુધવારે આવનાર મહિલા દિન નિમિત્તે ધન્યવાદ આપવા જોઈએ. ખાસ તો એટલા માટે નાલિયાની આ નીડર બહેને જેની સામે અવાજ ઊઠાવ્યો હોવાનું બહાર આવ્યું છે તેમાંનાં કેટલાક, ‘બેટી બચાઓ’ના નારા આપ્યા કરનાર સત્તાધારી ભારતીય જનતા પક્ષની સાથે સંકળાયેલા છે.

2 માર્ચ 2017

+++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 03 માર્ચ 2017

Loading

...102030...3,4723,4733,4743,475...3,4803,4903,500...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved